Opinion Magazine
Number of visits: 9663470
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકોએ જે કરવું હતું એ જ કર્યું !

રમેશ સવાણી|Opinion - Opinion|6 November 2025

એક આફ્રિકન બોધકથા છે. એમાં એક કાગડો રાજાનો ભાઈબંધ છે. એક દિવસ એ કાગડો રાજાને કહે છે : બધા લોકો કોયલનાં વખાણ કરે છે પણ મારાં વખાણ તો કરતા જ નથી. તમે એવું કંઈક કરો જેથી લોકો મારાં વખાણ કરે. બીજા જ દિવસે રાજાએ એક વટહુકમ બહાર પાડ્યો : હવે પછી આપણે બધાંએ કાગડાને ‘કોયલ’ કહેવો અને કોયલને ‘કાગડો’. 

લોકો એ વટહુકમનો આદર કરવા લાગ્યા બધા કાગડાને કોયલ કહેવા લાગ્યા. પણ જ્યારે સ્વરનાં વખાણ કરવાનાં આવે ત્યારે બધા ‘ભૂતપૂર્વ કોયલ’ એટલે કે ‘સમકાલીન કાગડા’નાં જ વખાણ કરે. 

પાછો કાગડો રાજા પાસે ગયો. કહે : મહારાજ, એક વટહુકમ બહાર પાડીને મારો કંઠ બદલી નાખો. તો મહારાજ કહે : મિત્ર, રાજા તરીકે મારી પણ કેટલીક મર્યાદાઓ હોય છે. હું નામ બદલી શકું; કંઠ નહીં. 

આ બોધકથા મેં અનેક મિત્રોને, વિદ્યાર્થીઓને, (જાહેરમાં) અનેક શ્રોતાઓને પણ કહી છે. અને બધાંને પૂછ્યું છે કે આ બોધકથામાંથી તમે શો બોધ તારવશો? લગભગ બધાંએ એમ કહ્યું કે રાજા પ્રકૃતિને ન બદલી શકે. અર્થાત્ સત્તા પ્રકૃતિ ન બદલી શકે. જો કે, નરેન્દ્રભાઈ તો અદાણી અંબાણી માટે પ્રકૃતિ પણ બદલી નાખે. કંઈ કહેવાય નહીં. 

દરેક બોધકથામાં હોય છે એમ આ બોધકથામાં પણ એક trap છે. એથી હું બોધકથા વિશે જરા જુદી રીતે વિચારું છું. મને લાગે છે કે આ બોધકથામાં પ્રજા રાજા કહે એમ કરે છે પણ એમ કરીને એ મૂળ સત્ય બદલતી નથી. એ કાગડાને ‘કોયલ’ કહે છે. જેવો મહારાજાનો હુકમ. પણ જ્યારે કંઠનાં વખાણ કરવાનાં આવે ત્યારે કોયલના કંઠનાં જ વખાણ કરે. એ કોયલના સત્યનો આદર કરે છે.

ઝોહરાન મમદાની

એ (મૂળ ગુજરાતી, ઉંમર 34) રોટી, કપડાં અને મકાનની વાત કરી વિશ્વના સૌથી વધુ સમૃદ્ધ ન્યૂયોર્ક શહેરના મેયરની ચૂંટણી જીતી છે. ભારત કા મીડિયા ‘રોટી, કપડાં, મકાન અને રોજગારની વાત કરનારને દેશદ્રોહી ઘોષિત કરે છે ! ટ્રમ્પે ધમકી આપેલી કે જો મમદાનીને ચૂંટશો તો ન્યૂયોર્ક શહેરને ફંડ આપતાં પહેલાં મારે વિચાર કરવો પડશે. ન્યૂયોર્કની કેટલીક કંપનીઓના CEOએ કહ્યું કે જો મામદાનીને ચૂંટશો તો અમે ન્યૂયોર્ક છૌડીને બીજે ક્યાંક જતા રહીશું. ટેક્સાસના ગર્વનરે કહ્યું કે જો ન્યૂયોર્કની કંપનીઓ મારા ત્યાં આવશે તો હું એમના પર 100% tariff નાખીશ. સાલું આ tariff પણ ખરું શસ્ત્ર છે. ગ્લોબલાઈઝેશને આપેલું.

તો કેટલાક Republican નેતાઓએ ટ્રમ્પને વિનંતી કરી કે આ માણસ યહૂદીઓનો વિરોધી છે, એને કારણે આપણી વિદેશનીતિ પર અવળી અસર પડશે. એનું નાગરિકત્વ છીનવી લો. કેટલા ય લોકોએ એને ‘સામ્યવાદી’ અને ‘સમાજવાદી’ની ગાળો દીધી. 

ટૂંકમાં, અનેક રાજાઓએ મામદાનીની સામે અનેક વટહુકમો બહાર પાડ્યા અને લોકોએ એ વટહુકમોનો વિરોધ ન કર્યો પણ જ્યારે મત આપવાનો આવ્યો ત્યારે કોયલને અન્યાય ન કર્યો. એ લોકોએ જે કરવું હતું એ જ કર્યું.

મૂડીવાદ અને એમાં પણ ખાસ કરીને નિઓ-મૂડીવાદ સાવ જ નિષ્ફળ ગયો છે. પણ, એ સમૂહમાધ્યમો અને સામાજિક માધ્યમોના ઘાસચારા પર નભી રહ્યો છે. તમે જુઓ કે આ મૂડીવાદનાં વિદ્વાનોએ કેવાં કેવાં નામ આપ્યાં છે : late Capitalist Fascism (Mikkel Bolt Rasmussen), The playstation Dreamworld (Alfie Bown), Cryptocommunism (Mark Alizart), Platform Capitalism (Nick Srnicek), Narcocapitalsim (Laurent de Sutter), Paranoid Finance (Fabian Muniesa), Pornocapitalism  (Byung-Chul Han), Emotional Capitalism (Eva Illouz), Affective Capitalism (Brian Massumi, Patricia Clough), Surveillance Capitalism (Shoshana Zuboff), Info-Capitalism / Cognitive Capitalism (Yann Moulier-Boutang, Franco “Bifo” Berardi), Data Capitalism (Nick Srnicek). હજી આ યાદી હું લંબાવી શકું એમ છું. એ માટે મારે ઊભા થઈને મારા પુસ્તકાલયમાં આવેલા નિઓલિબરલ અર્થતંત્ર પરનાં પુસ્તકો જોવાં પડે. આ બધાં જ નામ મૂડીવાદ દેવના અલગ અલગ ચહેરાને સૂચવે છે. એને કોઈ એક ચહેરો નથી.

મામદાનીનું એક જ જમા પાસું છે : પોતે જે રાજકીય વિચારધારામાં માને છે એને એમણે જરા પણ છુપાવી નથી. એમણે પોતાને સમાજવાદી-ડેમોક્રેટ તરીકે ઓળખાવ્યા છે. ઘણા ડેમોક્રેટોને એ વાત ગમી નથી. કયો રાજકારણી આજના જમાનામાં પોતાને સમાજવાદી કહેવા તૈયાર થશે? 

પણ, ઝિઝેક, બાદિયુ જેવા અનેક ફિલસૂફો કહે છે કે હવે પછી જે રાજકીય પક્ષો સમાજના ગરીબ અને મધ્યમ વર્ગને ઓળખી શકશે એ જ રાજકીય પક્ષો સત્તા પર આવી શકશે. કેમ કે દિનપ્રતિદિન એ વર્ગ સતત વિસ્તરતો જાય છે.

જો કે, મારું માનવું છે કે ભારતમાં એવું નહીં થાય. ભારતમાં ગરીબ માણસ પાસે કર્મનો સિદ્ધાન્ત છે અને એને તાવ આવે છે ત્યારે એ બે કામ કરતો હોય છે. સૌ પહેલાં તો એ તાવની દવા લેતો હોય છે અને પછી કોઈક માતાની કે બાપાની કે પીરની બાધા રાખતો હોય છે. પછી એ સાજો થઈ જાય ત્યારે માતાની કે બાપાની કે પીરની બાધા કરતો હોય છે અને એમ માનતો હોય છે કે એમની કૃપાથી જ એનો તાવ ગયો. નહીં તો એ ઉપર પહોંચી ગયો હોત. એ પેલી દવાને ભૂલી જતો હોય છે.  

[સૌજન્ય : બાબુ સુથાર, ભાષાવિજ્ઞાની, સર્જક, Philadelphia, USA]
05 નવેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

વિશ્વધાનીમાં મેયર મમદાની : ફૂટતું પ્રભાત ને સંકેલાતી રજની

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|6 November 2025

પ્રજાશક્તિ  

ટ્રમ્પશાહી સામે મમદાનશાહી 

ટ્રમ્પ અને પુતિનના આ દિવસોમાં મમદાની ઘટના ડિકન્સની ‘અ ટેલ ઑફ ટુ  સિટીઝ’ના ઉઘાડની યાદ આપે છે કે, તે સારામાં સારો સમય હતો … તે નરસામાં નરસો  સમય હતો.

પ્રકાશ ન. શાહ

અમેરિકી રાજધાની અલબત્ત વોશિંગ્ટન હશે, બલકે છે જ. પણ અવિધિસરની વિશ્વધાનીનો દરજ્જો અલબત્ત ન્યૂયોર્કનો અને ન્યૂયોર્કનો જ છે. જોહરાન મમદાનીને મેયરપદે ચૂંટી કાઢીને ન્યૂયોર્કરોએ વિશ્વને બતાવી આપ્યું છે કે વંશીય અને વર્ણગત દાપાદરમાયા ને દરજ્જાની દુનિયાને ઓળાંડી જઈને એક નવી દુનિયા રચવાની ખ્વાહિશ જિંદા છે. 

સામાજિક ન્યાયનાં મૂલ્યોને વરેલી ફિલ્મકાર મીરાં નાયર જો પંજાબી હિંદુ છે તો એના પતિ મહમૂદ મમદાની ગુજરાતી મુંબઈગરા મૂળના છે. બેઉ લાંબો સમય યુગાન્ડા ને દક્ષિણ આફ્રિકામાં વીતાવી હાલ અમેરિકામાં કાર્યરત છે. મહેમૂદ નવવસાહતી અને વસાહતોત્તર અભ્યાસોમાં રમેલા છે, અને એ રીતે કથિત ત્રીજી દુનિયા ને કથિત પહેલી દુનિયા વચ્ચેની જોડકડી શી એમની અભ્યાસસાધના છે. ભારત સરકારે 2012માં જેમને પદ્મ સન્માનથી અભિષિક્ત કર્યાં તે મીરા નાયર પ્રગતિશીલ માનવતાને ચિત્રિત કરતી ફિલ્મકારી સારુ વિશ્વપ્રતિષ્ઠ છે. 

આ અવસર અલબત્ત મહમૂદ ને મીરાના પુત્ર, માંડ ચોત્રીસેકના જોહરાન મમદાનીનો છે. પણ જોહરાનનાં મૂળને કૂળનો આછોતરો ખયાલ પણ એમના વાસ્તે કે હવે પહેલી જાન્યુઆરીએ વિધિવત હોદ્દો ધારણ કરનાર વ્યક્તિની પૃષ્ઠભૂ કઈ હદે વ્યાપક હોઈ શકે છે. જે કાર્યક્રમ પર જોહરાને ચૂંટણીઝુંબેશ ચલાવી એ કાર્યક્રમની સ્ફોટક ગુંજાશનો અંદાજે હિસાબ તો એ ક્ષણે જ મળી ગયો હતો જ્યારે પ્રમુખ ટ્રમ્પે સરેરાશ ન્યૂયોર્કરને ચેતવ્યો હતો કે ખબરદાર આને ચૂંટ્યો છે તો – ફેડરલ સરકાર (‘હું પોતે’ એ વાંચો) ન્યૂ યોર્કને મળતી સઘળી સહાય બંધ કરી દેશે. મતદારો જો કે બીધા નથી ને પરિણામે અક્ષરશઃ સાબિત કરી આપ્યું છે. 

જોહરાન મમદાની

નાકટીચકું ચડાવીને કોઈકે જેને ‘ઘોર સામ્યવાદી’ તરીકે વર્ણવવા જેવી ચેષ્ટા કરી તે કાર્યક્રમ વસ્તુતઃ ડેમોક્રેટિક સોશલિસ્ટ ધારાનો કાર્યક્રમ છે અને અમેરિકાના ધરાર મૂડીવાદી મનાતા માહોલ વચ્ચે નવેક દાયકા પર ‘ગ્રેટ ડિપ્રેશન’ના વારામાં રુઝવેલ્ટે તે ધોરણે કામ કરી સરેરાશ અમેરિકી નાગરિકને હૂંફ ને સધિયારો આપ્યાં હતાં. એ જ ‘ન્યૂ ડીલ’ની એક ઝલક તમે જોહરાન મમદાનીના કાર્યક્રમમાં પણ જોશો. આ કાર્યક્રમ અમેરિકા ઢબછબે પરનો છે. સરખી જિંદગી બસર કરવા સારુ જે પાયાની જોગવાઈ જોઈએ તે સરેરાશ નાગરિક જોગવી શકે એ માટેની જદ્દોજહદ જ કહો ને. સિટી બસમાં વિનાટિકિટ મુસાફરી, કરિયાણું ને એવી જીવનજરૂરિયાતની ચીજવસ્તુ શહેરી માલિકીની દુકાનમાંથી વાજબી ભાવે મળી રહે, બાળઉછેર સારુ પાયાની સુવિધા – આમાં એવું તો શું કમ્યુનિસ્ટ છે? જિંદગી બસર કરવા સારુ સર્વસાધારણ સોઈની સ્તો વાત આ છે. 

પણ આ ચર્ચાને મારે ‘એફોર્ડેબિલિટી પ્લેટફોર્મ’માં બાંધી દેવી જોઈએ નહીં. વસ્તુતઃ ‘નેશન ફર્સ્ટ’ જેવા નારાઓમાં જે વંશગત ને વર્ણગત જેહાદી માનસ પનાહ લઈ રહ્યું છે એ માનસની સામે જે સ્પિરિટથી માર્ટિન લ્યુથર કિંગે ગોરાકાળાના ભેદ વગરના ‘ગ્રેટ અમેરિકન ડ્રીમ’નો નેજો લહેરાવ્યો હતો એવું જ કાંક જોહરાન મમદાનીનુંયે સપનું છે. એ એને સારુ કદાચ ઉછેરગત જ હોવું જોઈએ. સાંભળ્યું છે કે આપણો આ વીરનાયક માધ્યમિક શાળામાં હતો ને મોક ઇલેક્શન લડવાનો પ્રસંગ આવ્યો ત્યારે એમણે યુદ્ધ ન થાય ને એને સારુ ફાળવાયેલ રકમ શિક્ષણ ને આરોગ્ય પાછળ ખરચાય એવી પ્રચાર ભૂમિકા લીધી હતી. આજે ગાઝા પટ્ટીની જે ત્રાસદી છે એની સામેનો આ અવાજ હોઈ શકે છે. જોહરાન મમદાનીની ફતેહના સમાચારો ઊતરતા હતા ત્યારે ટ્રમ્પ-પુતિન એક પા અને આ પરિણામ બીજી પા, એ ખયાલે ડિકન્સ સાંભરતો હતો કે આ ‘વેસ્ટ ઓફ ધ ટાઇમ્સ’ છે, આ ‘વર્સ્ટ ઓફ ધ ટાઇમ્સ’ છે. પણ ત્યાં તો એના વિજય વક્તવ્યમાં જવાહરલાલના શબ્દો ઊતરી આવ્યા કે ઇતિહાસમાં કવચિત આવતી આ ક્ષણ છે જ્યારે કાળ કરવટ લે છે અને રાષ્ટ્રના રૂંધાયેલા આત્મનો અવાજ સંભળાય છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 05 નવેમ્બર 2025

Loading

નેહરુ વિશે જૂઠાણાં શા માટે ફેલાવવામાં આવે છે? 

રમેશ સવાણી|Opinion - Opinion|5 November 2025

નહેરુ વૈજ્ઞાનિક મિજાજ ધરાવતા હતા. એમણે વિજ્ઞાનને મહત્ત્વ આપ્યું. સિંચાઈ ડેમ બનાવ્યા. હોસ્પિટલો બનાવી. શૈક્ષણિક સંસ્થાઓ બનાવી. તેમણે હંમેશાં પ્રગતિશીલ મૂલ્યો, બંધારણીય મૂલ્યો અને સમાજવાદની તરફેણ કરી. નેહરુ માણસાઈમાં માનતા હતા. આ કારણે RSSને કાયમ પેટમાં અને મગજમાં દુખાવો રહે છે. એટલે જ નહેરુ વિશે જૂઠાણાં ફેલાવવા સિવાય એમની પાસે કોઈ વિકલ્પ નથી. નેહરુ વિશે ફેલાવેલ 10 જુઠ્ઠાણાં અને સત્ય પર નજર કરીએ :

જુઠ્ઠાણું 1 : જવાહરલાલ નેહરુનાં કપડાં પેરિસમાં ધોવામાં આવતાં હતા !

સત્ય : નેહરુએ પોતાની આત્મકથામાં સ્પષ્ટપણે લખ્યું છે કે તેમના વિશે આવી અફવાઓ ફેલાવવામાં આવે છે. પરંતુ એક વાત, કોઈ પેરિસમાં રોજ પોતાના કપડાં કેવી રીતે ધોઈ શકે? બીજું, જ્યારે દેશ સ્વતંત્રતા માટે લડી રહ્યો છે અને ગરીબીની ઝપેટમાં છે, ત્યારે આવી બાબતો વિશે વિચારવું પણ વ્યભિચાર છે. પોતાના નિવાસસ્થાનની નજીક લોન્ડ્રીની દુકાન હતી, જેનું નામ પેરિસ લોન્ડ્રી હતું. 

જુઠ્ઠાણું 2 : નેહરુએ ક્રાંતિકારીઓ માટે કંઈ કર્યું ન હતું !

હકીકત : નેહરુએ જેલમાં ભગતસિંહની મુલાકાત લીધી હતી અને તેમની મુક્તિ માટે તમામ પ્રયાસો કર્યા હતા. ચંદ્રશેખર આઝાદ પણ નેહરુના સંપર્કમાં હતા. ઉત્તર પ્રદેશના તમામ ક્રાંતિકારીઓના નેતા ગણેશ શંકર વિદ્યાર્થી, નેહરુના નેતૃત્વમાં કામ કરી રહ્યા હતા.

જુઠ્ઠાણું 3 : મહાત્મા ગાંધીએ સરદાર પટેલને અવગણીને નેહરુને વડા પ્રધાન બનાવ્યા હતા !

હકીકત : મહાત્મા ગાંધીએ 1935થી સ્પષ્ટ કરી દીધું હતું કે જવાહરલાલ નેહરુ તેમના અનુગામી હતા. 1942ના ભારત છોડો આંદોલન દરમિયાન પણ તેમણે આ વાત કહી હતી. 1937 અને 1946ની ચૂંટણીઓમાં, નેહરુ કાઁગ્રેસના નિર્વિવાદ નેતા અને જનતાની પહેલી પસંદગી હતા, તેથી તેમને વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

જુઠ્ઠાણું 4 : નેહરુએ કાશ્મીર મુદ્દાને જટિલ બનાવ્યો હતો !

હકીકત : ભારતની સ્વતંત્રતા પહેલા, નેહરુ ચિંતિત હતા કે જો પાકિસ્તાનની માંગ ઊભી થાય, તો કાશ્મીર, મુસ્લિમ બહુમતી ધરાવતું હોવાથી, પાકિસ્તાનમાં જઈ શકે છે. તેથી, તેમણે કાશ્મીરના લોકોને કાઁગ્રેસ પાર્ટી સાથે જોડવા માટે શેખ અબ્દુલ્લાનો ઉપયોગ કર્યો. પંડિત નેહરુની રાજદ્વારી પદ્ધતિ જ કાશ્મીરને ભારતીય સંઘમાં એકીકૃત કરવા તરફ દોરી ગઈ.

જુઠ્ઠાણું 5 : સરદાર પટેલની કાશ્મીર મુદ્દામાં કોઈ ભૂમિકા નહોતી અને નેહરુ એકલા કામ કરી રહ્યા હતા !

સત્ય : નેહરુ શેખ અબ્દુલ્લા સાથે વાટાઘાટો કરી રહ્યા હતા, અને સરદાર પટેલ રાજા હરિ સિંહ સાથે વાટાઘાટો કરી રહ્યા હતા. કાશ્મીર મિશન બંને નેતાઓ વચ્ચેનું સંયુક્ત મિશન હતું.

જુઠ્ઠાણું 6 : બંધારણના આર્ટિકલ-370 માટે નેહરુ દોષિત છે !

સત્ય : બંધારણ સભામાં આર્ટિકલ 370 પસાર થઈ તે દિવસે પંડિત નેહરુ અમેરિકામાં હતા. સરદાર પટેલે એકલા હાથે કાઁગ્રેસના બંધારણ સભાના સભ્યોને સમજાવ્યા અને કોઈપણ ચર્ચા વિના આર્ટિકલ 370 પસાર કર્યો. શ્યામા પ્રસાદ મુખર્જીએ પણ કલમ 370નો વિરોધ કર્યો ન હતો.

જુઠ્ઠાણું 7 : નેહરુ સુભાષ ચંદ્ર બોઝની જાસૂસી કરી હતી !

સત્ય : પંડિત નેહરુ અને સુભાષ ચંદ્ર બોઝ સાચા મિત્રો હતા. બોઝના મૃત્યુ પછી, પંડિત નેહરુ અને સરદાર પટેલે તેમની પત્ની અને પુત્રીને ગુપ્ત રીતે નાણાંકીય સહાય પૂરી પાડી હતી, જે લાંબા સમય સુધી ગુપ્ત રીતે ચાલુ રહી. આ સહાય હવે જાસૂસી તરીકે જાહેર કરવામાં આવી રહી છે.

જુઠ્ઠાણું 8 : નેહરુએ બ્રિટિશ વડા પ્રધાનને પત્ર લખીને ચેતવણી આપી હતી કે સુભાષ ચંદ્ર બોઝની ધરપકડ કરવામાં આવશે !

સત્ય : આ પત્ર સંપૂર્ણપણે ખોટો છે. બ્રિટિશ વડા પ્રધાનના નામની જોડણી પણ ખોટી છે. સત્ય એ છે કે પંડિત નેહરુએ એક વકીલ તરીકે લાલ કિલ્લામાં કેદ આઝાદ હિંદ ફોજના સૈનિકોનો કેસ લડ્યા હતા અને તમામ સેનાપતિઓ અને સૈનિકોની મુક્તિ મેળવી હતી.

જુઠ્ઠાણું 9 : નેહરુએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાયમી સભ્યપદનો ઇન્કાર કર્યો હતો !

સત્ય : આ સ્પષ્ટપણે જુઠ્ઠાણું છે. નેહરુએ તેમના જીવનકાળ દરમિયાન સંસદમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે ક્યારે ય આવો કોઈ પ્રસ્તાવ ભારત સમક્ષ રજૂ કરવામાં આવ્યો નથી. બીજું, તાઇવાનને બદલે, ચીનને સંયુક્ત રાષ્ટ્રનું સભ્યપદ મળવાનું હતું જે તેની પાસે પહેલાથી જ હતું. 

જુઠ્ઠાણું 10 : નેહરુએ ઇન્દિરા ગાંધીને વડા પ્રધાન બનાવીને પરિવારવાદના રાજકારણને પ્રોત્સાહન આપ્યું હતું ! 

સત્ય : નેહરુ પહેલા જયપ્રકાશ નારાયણને તેમના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કરવા માંગતા હતા, અને પછી રામ મનોહર લોહિયા. જો કે, બંને નેતાઓએ આ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. નેહરુ પછી, તેમના સૌથી વિશ્વસનીય સહાયક, લાલ બહાદુર શાસ્ત્રી, દેશના વડા પ્રધાન બન્યા. નેહરુએ ઇન્દિરા ગાંધીને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા ન હતા.  

[સૌજન્ય : પીયૂષ બલેલે, ‘નેહરુ મિથક ઔર સત્ય’] 
04 નવેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...88899091...100110120...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved