Opinion Magazine
Number of visits: 9457687
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉત્સાહ

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|14 September 2023

પ્રીતમ લખલાણી

રંભામાનો જીવ જરા ઉત્પાતિયો. આમ તો તેમને ચિંતાનું કોઈ કારણ હતું નહીં. છેલ્લાં કેટકલાંક વરસોથી રંભામાને એક ચિંતા કારણ વગર ઘર કરી ગઈ હતી કે જો નળમાં સવારે પાણી નહીં આવે તો?

રંભામા જે સોસાયટીમાં રહેતાં હતાં તે સોસાયટીમાં નળમાં પાણી સવારે રોજ નવને ટકોરે ફકત વીસ મિનિટ માટે જ આવતું હતું. કયારેક રંભામાનાં અને સોસાયટીનાં નસીબ સારાં હોય તો પાણી વીસ મિનિટને બદલે બાવીસથી ત્રેવીસ મિનિટ આવતું અને કોઈ દિવસ નસીબનો પડિયો કાણો હોય તો પાણી વીસને બદલે અઢાર મિનિટમાં બંઘ થઈ જતું, ત્યારે રંભામાનો મગજનો પારો આસમાને ચઢી જતો. નગરપાલિકા અને બંઘમાંથી પાણી છોડતા કર્મચારીઓને મનમાં જેટલી યાદ આવી હોય એટલી એક સામટી બઘી ગાળો બેઘડક ભાંડી નાંખતા રંભામાની જીભ જરા ય અચકાતી નહીં.

ભલા આમ તો રંભામાને જોઈએ કેટલું પાણી? પોતાના માટે અને રામજીબાપાના રોજિંદા વપરાશ માટે બેથી ચાર બાલટી! પણ રંભામા તો રોજ પતરાનાં બે મોટાં પીપડાં, બે-ચાર બેડાં, એકાદ બે બાલટી સાથે હાથમાં જે કંઈ નાનુંમોટું વાસણ આવે તે વીસ મિનિટ આવતા નળમાં ઘડાઘડ ભરી લેતાં હતાં.

દિવસ આખો પોતે કોઈ સંકોચ કે કરકસર કર્યા વગર પાણી પોતાના રોજિંદા વપરાશ માટે વાપરે, બાકીનું બચેલ પાણી સોસાયટીમાં જે કોઈ સવારે વહેલુંમોડું ઊઠ્યું હોય કે પછી બીજા કોઈ કારણસર પાણી ભરી શક્યું ન હોય, એવાં અડોશી-પડોશીને બે હાથે લ્હાણી કરી, સ્વર્ગમાં જવાનું પુણ્ય કમાવવાનું રંભામા ચૂકતાં નહીં.

આજે વૈશાખની ઘોમ ઘખતી બપોરે દાંતે બજર દેતાં ઓસરીમાં હિંડોળે બેઠાં. મનમાં એક જ ચિંતા કરતાં હતાં કે જો આવતીકાલે સવારે નળમાં પાણી નહીં આવે તો? પાણી વગર દિવસ આખો જશે કેવી રીતે? આજે સવારે જ ટી.વી.ના સમાચાર દ્વારા જાણ્યું કે, નગરના તળાવમાં આ ઘોમ વૈશાખના તડકાને કારણે પાણી સુકાવા માંડયું છે. ચોમાસું ગયા વરસની જેમ આ વખતે બે-ચાર અઠવાડિયાં લંબાશે તો? નગરપાલિકાને ન છૂટકે રોજ અપાતા વીસ મિનિટના પાણીમાં કાપ મૂકવાનો સમય આવશે?

બરાબર એ જ વખતે પાણીની ચિંતામાં ડૂબેલાં રંભામાને ‘ટ્રીન ટ્રીન’ સાઈકલની ઘંટડી વગાડતા, ડેલીમાં પ્રવેશેલા બચુ ટપાલીએ, જયશ્રીકૃષ્ણ કહી, તેમના હાથમાં એક પોસ્ટકાર્ડ પકડાવી, સાઈકલને ડેલામાંથી પાછી બહાર જવા જરાક ઘુમાવીને વળાંકમાં લીઘી ન લીઘી ત્યાં જ રંભામાએ હાક મારીને બચુને ફળિયા વચ્ચે ઊભો રાખી દીઘો, “અરે! બચુ દીકરા, તારા બાપા તો સમી સાંજ પહેલાં કયે દિવસે ઘરે આવે છે? મારે તેમની રાહ જોતાં, હાથમાં પોસ્ટકાર્ડ પકડીને કયાં લગી બેસવું? મારા વ્હાલા, તું જ મને આ પોસ્ટકાર્ડ વાંચીને જે કંઈ સારામાઠા સમાચાર હોય તે સંભળાવી દે તો ભલા, તારો ઉપકાર થશે.”

“લાવો માડી, પોસ્ટકાર્ડના સમાચાર તમને સંભળાવી પછી જ સોસાયટીના બીજા ઘરે ટપાલ નાંખવા જઈશ!” આ પ્રમાણે જણાવી બચુ ટપાલી નાકની દાંડીએ ઢળી ગયેલાં ચશ્માંને હળવેકથી આંખે ચઢાવી. પોસ્ટકાર્ડને વાંચવા માંડયું. પોસ્ટકાર્ડના શબ્દેશબ્દ વાચતાં બચુનો ચહેરો ક્ષણવારમાં ચમકી ઊઠ્યો. “અરે! રંભામા લાવો પેંડા અને કરાવો આ બચુનું મોઢું મીઠું. પછી જ હું તમને આ પોસ્ટકાર્ડના ખુશી સમાચાર જણાવું!”

“અરે! બોલ, જલદી બોલ મારા દીકરા, બચુ, શું ખુશી સમાચાર છે પોસ્ટકાર્ડમાં? દીકરા તારા એકનું જ નહીં હું તો આખી સોસાયટીનું મોઢું મીઠું કરાવીશ!”

“માડી, તમારા નાના દીકરા વૈકુંઠરાયના ઘરે બે દિવસ પહેલાં જ દીકરાની પઘરામણી થઈ છે.” દીકરા વૈકુંઠરાયના ઘરે પુત્રની પઘરામણી થઈ છે, તેના ખુશી સમાચાર બચુના મુખે સાંભળી રંભામા હિંડોળેથી સબાક્નારાં ઊભા થઈ ગયાં. બચુને બે હાથે દુઃખણા લેતાં, સાડલાને છેડે બાંઘેલ એક સો’ની નોટ કાઢી, બચુના હાથમાં મૂકતાં બોલ્યાં, “લે બચુ તું તારે આજે ખુશીથી મારી વતી બપોરે ચા સાથે જલેબી ગાંઠિયા ખાજે, અને પછી ઓસરીની જાળીમાંથી દેખાતા શ્રીનાથજીના ગોખલા સામે, બે હાથ જોડી હરખાતાં બોલ્યાં, “હે વાસુદેવ, તમે તો આજે આ દુખિયારીનો ખોળો ઉત્સાહ આનંદથી છલકાવી દીઘો!”

દીકરાના ઘરે પાંચ દીકરી પર દીકરો આવ્યો તેની ખુશીમાં દાંતે બજર દેવા, રંભામાએ જ્યાં હોઠ ખોલ્યાં, ત્યાં જ રંભામાના કાને ટપ…ટપ… નળ ટપકવાનો અવાજ પડયો.

અરે! આખરે બપોરે બે વાગ્યે કંઈ નળ આવતો હશે? હું પણ બાઈ ખરી છું! આમ આ ઉંમરે ઘોળે દિવસે દિવાસ્વપ્ન જોવા કિયારથી માંડી! ફરી તેમના કાને નળ ટપકવાનો અવાજ જરા તીવ્રતાથી સંભળાયો. રંભામાએ કિચુડ કિચુડ કરતાં હિંડોળાને ક્ષણવાર માટે થંભાવી, કાન જરા બાથરૂમની મોરી તરફ માંડ્યા. થોડી વાર પહેલાં કાને જે ટપટપ ટપકવાનો અવાજ સંભળાતો હતો તે હવે વઘારે તેજ ગતિથી ઘાર સમો પડવાનો જણાતાં રંભામા હિંડોળેથી ઊભાં થઈ બાથરૂમ તરફ દોડ્યાં. તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.

“અરે! હું આ શું જોઈ રહી છું? આજે ખરે બપોરે નળની પઘરામણી થઈ ગઈ!” રંભામાએ પળનો પણ વિચાર કર્યા વગર, બાથરૂમના ખૂણામાં પડેલ એક બાલટીને લઈ નળ નીચે મૂકી દીઘી અને પછી નળ આગમનના ખુશી સમાચાર આપવા ઓસરીના ખૂણે પડેલ લાકડી લઈને આખી સોસાયટીમાં નીકળી પડ્યાં. સોસાયટીમાં રંભામાને જે કોઈ નાનુંમોટુ મળે તેને બસ એક જ ખુશી સમાચાર આપવા માંડ્યાં. અરે! પાણી ભરવા માંડો આજે ઈશ્વરની ઈચ્છાથી ઘોળે દિવસે લૉટરી લાગી ગઈ છે. સવારે આવતો નળ આજે બપોરે આવી ગયો!”

હાથમાં લાકડી લઈ હરખઘેલાં દોડે જતાં રંભામાએ ગેલરીમાં બેસી ઉનાળાની ગરમીથી અકળાઈને ઉઘાડા ડિલે છાપું વાંચતા શોભિતની નજરે ચઢી ગયાં, તેણે રંભામાને ઊભાં રાખી પૂછ્યું, “અરે! માડી, આજ આટલાં ખુશ થઈને કયાં દોડે જાવ છો?”

“અરે! દીકરા શોભિત, તું તારી વહુ કલ્પનાને કહે કે રોજ સવારે મોડી ઊઠવાથી ટેવાયેલી તું પાણી ભરવાનું ભૂલી જાય છે અને પછી દિવસ આખો મારો જીવ ખાતી, બે-પાંચ ડોલ મારા પીપડામાંથી ભરી જાય છે, તો આજે મારા વ્હાલાની મહેરબાનીથી નળ બપોરે આવી ગયો છે, તો બે-ચાર બેડાં કે ડોલ પાણી ભરીને તું તારે પછી નિરાંતે ટી.વી. જોજે. એટલે મારે પણ નિરાંત!” એ જ વખતે રંભામાની નજર સોસાયટીના ચોકમાં પીપળા તળે એકલા એકલા ગોટી રમતાં અમિત પર પડી. “એ અમિતિયા તારી મા શુશીલાને જઈને જલદીથી કહે કે, પછી નિરાંતે બપોરે સૂજે. આજે નળ બપોરે આવ્યો છે તો બે ચાર ઘડા પાણીના ભરી લે એટલે કારણ વગર સાંજે મારો જીવ ખાય નહીં અને તારા બાપ કાંતિને ગરમ રસોઈ કરી તો આજે જમાડે, બિચારો રોજ પાણીની મોકાણમાં ટાઢુંટપ ખાઈને સૂઈ જાય છે.”

આખી સોસાયટીમાં નળ આવ્યાના ખુશી સમાચાર આપતાં, રંભામાને એ પણ ખ્યાલ  ન રહ્યો કે સાંજના છ ક્યારે વાગી ગયા. હમણાં ઘરે જઈશ તો, અમૃતના બાપા હીંચકે બેઠા, બિચારા મારી ચિંતા કરતા હશે કે, રંભાગૌરી કયાં ગયા હશે? એ વિચાર સાથે રંભામાએ ઓસરીમાં આવી ઉત્સાહ ભેર હાથની લાકડીને રોજની જગ્યાએ એક ખૂણામાં મૂકી. હરખાતાં પાછા બાથરૂમ તરફ દોડ્યાં. જો બાલટી ભરાઈ ગઈ હોય અને નળ હજી આવતો હોય તો? બીજું કોઈ ખાલી વાસણ ભરવા મૂકી અમૃતના બાપા માટે બે ભાખરી ને બટેટા-રીંગણાંનું શાક ચૂલે ચઢાવી દઉં. ઘરમાં જો પાણી ભરેલું હશે તો મને નહીં તો અડોશીપડોશીને તો કામ આવશે!

રંભામાએ બાથરૂમની મોરીમાં આવીને જોયું તો? ‘અરે ભગવાન’ કરતાં કપાળ કૂટ્યું. “અરે! બાઈ હું પણ કેવી ભૂલકણી છું? નળ આવ્યાની ખુશીમાં, જોયા વિના ઉતાવળમાં અને ઉત્સાહમાં નળ તળે ભૂલથી કાણાવાળી બાલટી મૂકી, સોસાયટીને નળ આવ્યાના ખુશી સમાચાર દેવા દોડી ગઈ.”

દુઃખી મને, રંભામા પાછો નળ કાલે સવારે આવશે કે નહીં તેની ચિંતા કરતાં, ઓસરીના હિંડોળે બેઠાં ન બેઠાં અને ત્યાં જ રામજીબાપા બજારમાંથી ઘરે આવી ચઢ્યા. બાપાએ હાથમાં પકડેલ શાકથી ભરેલ બંને થેલીને ઓસરીના એક થાંભલી નીચે મૂકી, હળવેકથી રંભામાની બાજુમાં આવી હિંડોળે બેઠા. રંભામાએ હિંડોળેથી ઊભા થઈ માટલામાંથી ઠંડા પાણીનો ગ્લાસ ભરીને રામજીબાપાને હાથમાં આપ્યો. રામજી બાપાએ પાણીનો ગ્લાસ હોઠે માંડતાં રંભામાને પૂછ્યું,“અરે! રંભાગૌરી, ટપાલમાં આજે કોઈનો કાગળ પત્ર!: અને ત્યાં જ રંભામાને યાદ આવી ગયું કે, બપોરે બચુ ટપાલી ખુશી સમાચારથી ફાટફાટ થતું પોસ્ટકાર્ડ આપી ગયો છે. “અરે! અમૃતના બાપા, તમને શું કહું? આજે તો આપણે જેટલાં ખુશ થઈએ એટલાં ઓછાં છીએ. આપણાં વૈકુંઠના ઘરે દીકરાની પઘરામણી થઈ છે.”

નાના દીકરા વૈકુંઠના ઘરે, ઘણાં વરસો બાદ પાંચ દીકરી પર દીકરો આવ્યાના સમાચાર સાંભળી રામજીબાપા હરખાતા હિંડોળેથી કૂદી પડ્યા. આજુબાજુમાં નજર કરી, કોઈ જોતું તો નથીને! પછી રંભામાને બાથમાં લઈને બોલ્યા, “અરે! રંભાગૌરી, આખરે રણછોડરાયે આપણા સામું જોયું ખરું? હો?”

“અરે! અમૃતના બાપા, હું પણ કેવી ગાંડી છું! નાના દીકરાના ઘરે પાંચ દીકરી પર દીકરો આવ્યાના આવડા મોટા ખુશી સમાચાર સોસાયટીને આપવાના બદલે બપોરે ઓચિંતા આવી ચઢેલા નળના સમાચારમાં જીવનના ખુશી સમાચાર દેવાના તો સાવ ભૂલી જ ગઈ.”

E.mail : preetam.lakhlani@gmail.com

Loading

અલવિદા, સુકુમાર પરીખ; અલવિદા અચ્યુત યાજ્ઞિક : તમારા વિના શહેર સૂનું લાગશે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|13 September 2023

એકે સ્વરાજના ઉઘાડ અને બીજા સ્વરાજમાં લિબરલ ધારાનું અનુસંધાન જાળવ્યું તો બીજાએ અભ્યાસી ને તળ કાર્યકર વચ્ચે સંધાનની જયપ્રકાશોત્તર લોકાયત પરંપરા સેવી

સુકુમાર પરીખ

અલબત્ત, એ એક જોગાનુજોગ જ હતો, પણ બે પ્રસંગ લગભગ સાથે બની આવ્યા. પહેલી સપ્ટેમ્બરે સુકુમાર પરીખનું બેસણું હતું, અને બીજી સપ્ટેમ્બરે અચ્યુત યાજ્ઞિકની શ્રદ્ધાંજલિ સભા, સુકુમાર સુપ્રતિષ્ઠ નીલકંઠ ઘરાણાના. (માતા વિનોદિનીએ આગ્રહપૂર્વક પિતા રમણભાઈ નીલકંઠની અટક જાળવી રાખી હતી, એ ન્યાયે.) એમ.આઈ.ટી. ટ્રેઈન્ડ સુકુમાર છેલ્લે જાહેરમાં ક્યારે જણાયા હતા? વિનોદિની નીલકંઠની નવલકથા ‘કદલીવન’નો અંગ્રેજી અનુવાદ પ્રગટ થયો ત્યારની એમની વ્હીલચેર હાજરી આ લખતી વખતે નજર સામે તરે છે. દરિયો ખેડી નાતમાંથી કમી થનાર મહીપતરામ, ‘ભદ્રંભદ્ર’કાર રમણભાઈ, એ ગુજરાતની નવાચારી કુટુંબ પરંપરાના વારસ સુકુમાર. પ્રાર્થના સમાજની સાર્ધ શતાબ્દી નિમિત્તે એક ધોરણસરના પ્રકાશન અને ‘કદલીવન’નો અનુવાદ શક્ય બનાવવા સાથે એમણે અંતિમ વર્ષોમાં કિંચિત ઋણતર્પણનો સાર્થક અનુભવ કર્યો હશે.

અચ્યુત યાજ્ઞિક

અચ્યુતને છેલ્લે ક્યારે જોયેલા? વિશાળ પ્રાતિનિધિક હાજરીએ છલકાતી શ્રદ્ધાંજલિ સભામાં સામેલ થનારાઓ પૈકી ઘણાએ કદાચ વર્ષોથી નહીં જોયા હોય; કેમ કે વર્ષોથી એ ઘર ને દફતર સિવાય ખાસ બહાર નીકળતા નહોતા. પણ દફતર બેઠા એમના અને એમની સાથેના સંપર્કોનો સુમાર નહોતો. 

સુકુમાર પરીખે કોઇ પુસ્તક નહોતું લખ્યું, જેમ અચ્યુત યાજ્ઞિકે (સુચિત્રા શેઠ સાથે) ગુજરાત અને અમદાવાદ પરનાં નોંધપાત્ર (અને બીજાં પણ) લખ્યાં છે. પણ શૈલજા કાલેલકર પરીખે ‘નીલકંઠ્સ ઇન ગુજરાત’ (‘એકલો જાને રે’) લખ્યું છે એમાંથી અમદાવાદ અને ગુજરાતના પલટાતા સમાજજીવનનું, પરિવર્તન માટેની મથામણનું, પોતાની તરેહના જે તે પેઢીના વિશ્વદર્શનનું ચિત્ર જરૂર મળે છે. આ ચિત્ર સુઘારક પરંપરાનું છે, આજના સમયમાં તે મવાળ પણ લાગે. પરંતુ જે તે સમયમાં નાતજાતમાં નહીં માનવાની પ્રાર્થના સમાજની ભૂમિકા કે વિધવા પુનર્વિવાહ માટેનો આગ્રહ વગેરે વાંચીએ ત્યારે એનો સ્પંદ જરૂર અનુભવાય.

ભોળાનાથ સારાભાઇ સ્તો એ ઇતિહાસનિમિત્ત હતા જેમના તેડાવ્યા દલપતરામ વઢવાણથી પગપાળા નીકળી ફાર્બસને અમદાવાદ મ‌ળવા પહોંચ્યા અને ગુજરાતની તવારીખમાં એ અંતર ગાઉઓમાં નહીં એટલું સદીઓમાં કપાઇ ગયું. દેશભરમાં ત્યારે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરના વિદ્યાપ્રેમ, વિધવાવિવાહ સહિતના એકંદર સુધાર અભિગમની વિશિષ્ટ સુવાસ પ્રસરેલી હતી. ભોળાનાથના કુટુંબને એવી હોંશ કે દીકરીને દીકરો જન્મે તો વિદ્યાસાગર ને દીકરી જન્મે તો વિદ્યા એવું નામ આપવું. આ વિદ્યાગૌરી તે લેડી વિદ્યાગૌરી નીલકંઠ. સર રમણભાઇનાં પત્ની અને 1932માં ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સના લખનૌ અધિવેશનના પ્રમુખ. એમનાં દીકરી વિનોદિની.

ઊલટ પક્ષે, અચ્યુત (કુટુંબ પરંપરાનું નામ જયેન્દ્ર) આવી કોઇ જાણીતી પરંપરાનું સંતાન નહીં. પણ આપ અભ્યાસે એણે ગુજરાતની પરંપરા સમસ્તની દમદાર વારસાઇ અભ્યાસગત ખસૂસ કરી. લિબરલ કુટુંબોનો જે સહજ, કદાચ કંઇક સીમિત વિકાસ એનીયે અનોખી રેન્જ એમ તો ક્યાં નહોતી? હીરાલાલ ભગવતી અને જયન્તિ દલાલ પાસે સાંભળ્યું છે કે એમને કોઇ નાટક સારુ મારવાડી લોકઢાળની રચના જોઇતી’તી તો વિદ્યાબહેને એમને ત્યાં હાથલારી ખેંચવા શ્રમિકોની મુલાકાત કરાવી આપી હતી. તેઓ એ શ્રમિકોનું હૂંફઠેકાણું હતાં. આછુંપાતળુંયે એમનું યુનિયન જેવું કાંક હશે.

અચ્યુત, સેતુ-સેન્ટર ફોર સોશિયલ નોલેજ એન્ડ એક્શનથી ઓળખાયા અને પંકાયા. નીલકંઠ ધારા થોડોક અપવાદ બાદ કરતાં એકંદરે શાલીન બંધારણીય પરંપરામાં વિલસી. સેતુની કામગીરીમાં જયપ્રકાશના આંદોલન અને કટોકટીઉત્તર નવસમજનો ફાળો હતો તે એ રીતે કે જે લોકો તળ સ્તરે કામ કરે છે એમને નવપ્રયોગપૂર્વક સાંકળવામાં સહભાગી થવું. અભ્યાસીઓ અને સંશોધકોએ એમના એકાંતકક્ષની બહાર આવી તળ હલચલ, માઇક્રો સ્ટરિંગ્ઝ સાથે સંકળાવું, નોલેજ અને એક્શનનું સાથેલગાં હોવું એ એનો વિશેષ હતો. નામ પાડવું હોય તો એ ‘લોકાયન’ હતું અને છે. એટલે જે ગુ જુદું પડ્યું તે આ : ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સ (અખિલ હિંદ મહિલા પરિષદ) અને ‘સેવા’ વચ્ચેનો ભેદ પકડાય તો આ મુદ્દો પમાય. અભ્યાસી અને તળ કાર્યકરનું સંધાન, નારી શક્તિનું શ્રમિક સંધાન, એમ પણ કહી શકો તમે.

અલબત્ત, નોલેજ એન્ડ એક્શનનાં આ સહિયારાંમાં મળી રહેતો કર્મશીલ ને કાર્યકર કદાચ એક જુદી જ પ્રજાતિ છે. ગાંધીનો રચનાત્મક કાર્યકર, આપણે ત્યાં રવિશંકર મહારાજની બબલભાઇ લગીની નમૂનારૂપ પરંપરા એક જુદી જ મિસાલ હતી અને છે. અનામત વિરોધી ઉત્પાત વખતે બબલભાઇએ ગુજરાતનાં ગામોની પદયાત્રા કરી સંત્રસ્ત સૌને હૂંફ્યાં, એમનાં આંસુ લૂછ્યા. એમની યાત્રોનો હેવાલ, એમની સાથે પગે ચાલતાં વાતચીત વાટે મેં મેળવીને છાપામાં આપ્યો ત્યાર પછી એક વાર અચ્યુતે મને કહ્યું કે ભલે આપણાં વિશ્લેષણ ને ઝુકાવમાં છાયાભેદ હોય પણ તમે બબલભાઇ પાસેથી કઢાવેલી માહિતી ઇ.પી.ડબ્લ્યુ.ની મારી નિયમિત કટારમાં ખાસી સહાયરૂપ થઇ. બબલભાઇએ એ જ અરસામાં સભાન-સંકલ્પપૂર્વક ‘મહેતા’ અટક છોડી હતી. એ કોઇ સરવે કરવા વાસ્તે નીકળેલ જણ નહોતા.

વાતની શરૂઆત સુકુમાર પરીખ અને અચ્યુત યાજ્ઞિકને સાથે રાખીને પલટાતા અમદાવાદ-ગુજરાતને જોવાના પ્રયાસ રૂપે કરી હતી પણ જે કોશિશ અચ્યુત જેવા ‘જ્ઞાન અને કર્મનાં યથાસંભ‌ સહિયારાં’ માટે મથનારાઓની સતત રહી તે છેલ્લાં વર્ષોની અમદાવાદ-ગુજરાતની કોમી તાસીરના સગડ દાબવાની. હમણાં જ વિદેહ થયેલા અમેરિકી અમદાવાદ-મિત્ર હાવર્ડ સ્પોડેકે જેની કોશિશ અમદાવાદને ‘શૉક સિટી ઓફ ટ્વેન્ટિયેથ સેન્ચરી ઇન્ડિયા’ એ ઉપશીર્ષકે હજુ થોડાં વરસ પર જ કરી હતી. એ વરસોમાં સ્પોડેક પહેલી જુલાઇએ ક્યારેક ક્યારેક વસંત-રજબ સ્મારક પર મળી જતા પણ તે આ વિષય પર કામ કરી રહ્યા હશે એનો ત્યારે મને અંદાજ નહોતો …

દરમ્યાન, હમણાં તો સુકુમાર અને અચ્યુતને અલવિદા.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 13 સપ્ટેમ્બર 2023

Loading

અશ્રુઘારા

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|13 September 2023

પ્રીતમ લખલાણી

ઉષાની ચિતાને રાહુલે અગ્નિદાહ દીઘો. થોડી જ વારમાં ચિતા ભડભડ બળવા માંડી. આ જોઈ રાહુલે રજનીકુમારને કહ્યું, “પપ્પા, મમ્મી લાકડા પર ચઢીને સૂઈ ગઈ. એટલે આપણે તેને બાળી મૂકી.” ઈશ્વર સમા નિર્દોષ રાહુલનાં વેણ રજનીકુમારના કાને પડતાં છાતીમાં ક્યારનાં ય ધરબાઈને બેઠેલાં બે આંસુ રજનીકુમારની આંખેથી દડી ગાલ પર રેલાણાં. ઘોતિયાના છેડે આંસુ લૂછતાં રજનીકુમારે દીકરા રાહુલને માથે પ્રેમભર્યો હાથ ફેરવી પોતાની નજદીક લઈ જઈ માની ભડભડ બળતી ચિતાને જોઈ કચવાતા મને સ્મશાનમાં ડાઘુનાં ટોળા વચ્ચે ઊભેલા પુત્રને છાતી સરસો ચાંપ્યો.

પપ્પાની આંખમાં આંસુ જોઈ રાહુલથી બોલાઈ જવાયું, “પપ્પા, તમે કેમ રડો છો? શું તમને પિપરમિન્ટ જોઈએ છે? લ્યો આ પિપરમિન્ટ” એમ કહી તેને ખમીશના ઉપલા ખિસ્સામાંથી બે લાલપીળી પિપરમિન્ટ કાઢી, પપ્પાની હથેળીમાં મૂકી. તે ભોળા, નાદાન દીકરાના માથે ફરી વ્હાલ ભર્યો હાથ ફેરવતાં, મનમાં વિચારતા, અરે! દીકરા બિચારાને કયાં ખબર છે કે તેની મમ્મી, મૃત્યુ પામી છે. દુઃખી મને રજનીકુમારે કહ્યું, “બેટા, તું ઘરે જઈને આ પિપરમિન્ટને ખાઈ જજે. હમણાં તું પાછી ખિસ્સામાં મૂકી દે.”

સ્મશાનના એક ખૂણામાં ડાઘુના નાનકડાં ટોળામાં ઊભેલા મનસુખલાલે બીડી સળગાવતાં રતિલાલને કહ્યું, “રતિલાલ, તમે મારી વાત માનો કે ન માનો, પણ આ ઉષા તો ખરેખર ભાગ્યલક્ષ્મી હતી. ઉષાના આગમને જ આ રજનીકુમારના જીવનમાં રંગીન પ્રભાત ઊઘડ્યું હતું. નહીંતર તમને કયાં ખબર નથી? આ રજની મહાભદ્રકાળિ પાસે એક નાનકડી રેંકડીમાં કટલેરીનો પરચૂરણ સામાન લઈને બિચારો ફેરી કરતો હતો. રજનીનો બાપ સાતઆઠ વર્ષના નાના ત્રણ ભાઈઓ અને પરણાવવા જેવડી ચાર કુંવારી બહેનોને રજનીને વારસામાં આપીને પરલોક સિઘાવ્યો હતો. આ રજની દિવસ આખો ફેરી કરીને લોથ થઈ જતો હતો ત્યારે ઘરમાં આઠનવ માણ્સનો ચૂલો સાંજે માંડ સળગતો હતો.”

રતિલાલે મનસુખલાલની વાતમાં ટાપસી પુરાવતાં કહ્યું, “ભાઈ મનસુખલાલ, તમારી વાત બિલકુલ સોળ આના સાચી છે. ખરેખર આ રજનીને શહેરના નામાંકિત રજનીકુમાર કરવામાં દીકરી, ઉષાનો ફાળો ઘણો મોટો છે. આ બાબતમાં આપણે કોઈ કાળે ના ન કહી શકીએ. લ્યો, તમે જ કહો! રજનીકુમારને બે પાંદડે કરવા ભલા ઉષાએ શું નથી કર્યું? આ ગાંડાઘેલા દીકરાને અડોશપડોશમાં મૂકી મિલમાં રાતપાળી કરીને જાતને ઘસી નાખી. તો દીકરાને કેડે તેડી બળબળતી બપોરે રજની સાથે રેંકડી ફેરવી. લોહીપસીનો એક કરી મહાભદ્રકાળી પાસે જ એક નાનો સરખો બાંકડો વસાવ્યો. આ પછીનો રજનીનો ઇતિહાસ કયાં આપણી આંખ સામે નથી? ઉષાની સખત મહેનત અને કરકસર સાથે રજનીની આવડતે એકદોઢ દાયકા જેવા ટૂંકા સમયમાં રજનીને શહેરના ઉઘોગપતિ રજનીકુમાર કરી દીઘા. આજે વર્તમાનમાં રજનીકુમાર જે કંઈ છે તે ખરેખર ઉષાના ભાગ્યને કારણે જ છે. જો એમ આપણે કહીએ તો મારી દૃષ્ટિએ કયાં ય કોઈ અતિશયોકિત નથી.” 

“ભાઈ રતિલાલ, તમારી વાત સાચી છે. જુઓ તો, ઉષાની જિંદગીની જેમ તેની ચિતા કેવી ભડભડ બળી રહી છે. અરે અરે હરિ, હમણાં બિચારી હતી ન હતી થઈ જશે. બાઈ તો ખરેખર દેવી જેવી હતી. મેં તેને આજની તારીખમાં કયારે ય રડતી કે ચિંતાતુર હૈયે જોઈ નથી. બસ સદા એનું એ જ હસતું ફૂલ જેવું મુખડું.” આંખે આવેલાં ઝળઝળિયાં લૂછતાં મનસુખલાલે એક નિસાસો નાખતાં વાતને આગળ ચલાવી. “બિચારીને જિંદગીમાં કોઈ દિવસ કયારે ય બે ઘડી પગ વાળીને નિરાંતે બેસવા ન મળ્યું. રજનીકુમાર અને ઉષાના ઘેર લગભગ એકાદ દાયકા બાદ પારણું બંઘાણું. બંનેએ કેટલાં દેવદેવીની પૂજા-માનતા રાખી હતી. પથ્થર એટલા દેવ પૂજ્યા. આપણે કોઈ કાળે માની ન શકીએ એટલી બાઘઆખડી રાખી ત્યારે ઉષાના ખોળે આ દીકરો રાહુલ જન્મ્યો!”

“અરે, ભલા, ઈશ્વર પણ કેવો છે! રજનીકુમાર અને ઉષાને ત્યાં કેટલાં વરસો પછી ખોળે એક દીકરો દીઘો અને તે પણ આ રિટાર્ડેડ, મંદમુદ્ઘિનો. બિચારો આ છોકરો આજે ત્રીસ-બત્રીસ વર્ષનો થયો પણ બુદ્ઘિમાં તો હજુ પાંચ-છ વર્ષના નાદાન ભોળા બાળક જેવો જ છે.”

“એ બિચારા નાદાનને સ્વપ્ને પણ કયાં ખબર છે મા સ્વર્ગે સિઘાવી છે. બસ એ તો એની મસ્તીમાં. જુઓ તો ખરા રજનીકુમારના ઘોતિયાનો છેડો ઝાલી, બળતી ચિતાને નીરખતો. મોઢામાં મજેથી ખાટીમીઠી પિપરમિન્ટ ચગળી રહ્યો છે.”

મનસુખલાલ, મને તો આ છોકરાની દયા આવે છે. ઉષા વિના બિચારાનું હવે શું થશે? મા, જીવતી હતી તો બિચારાને આજ લગી કંઈ ખબર પડી નથી. રજનીકુમાર તો રાતદિવસ ઘંઘામાં રચ્યાપચ્યા રહે છે. તેને શું ખબર હોય કે ઉષાએ આ મંદબુદ્ઘિના દીકરાને બત્રીસ વર્ષનો કરવા જિંદગીમાં કેટલું સહન કર્યું છે.”

“રતિલાલ, હશે! અરે! એનો પણ ભગવાન હશે ને. ભલા આપણે બીજું તો શું કરી શકીએ? ઈશ્વર ઉષાના આત્માને શાંતિ અર્પે અને રાહુલ તેમ જ રજનીકુમારને માથે પડેલા આ દુઃખને સહન કરવાની શકિત આપે. આપણે તેમને આશ્વાસનના બે બોલથી વિશેષ બીજી તો શું મદદ કરી શકીએ? જો કે રજનીકુમારને પૈસેટકે કોઈ ચિંતા નથી. તેઓ રાહુલની તેનાતમાં બેપાંચ નોકરને ગોઠવી દેશે. પછી તો ભલા ઈશ્વરને ખબર!”

“રતિલાલ, તમારી વાત મને અત્યારના સંજોગોમાં સાચી લાગે છે. હમણાં બેચાર મહિના તો ઉષાના પિયરિયાં અને રજનીકુમારનાં ભાઈબહેનો રાહુલની કાળજી લેશે. ત્યાં લગી તો રજનીકુમાર રાહુલ માટે કંઈ નવો રસ્તો શોઘી કાઢશે. રજનીકુમાર પૈસેટકે સુખી છે એટલે રાહુલને કોઈ દુઃખ પડવા નહીં દે. પણ ભલા દીકરાને માની ખોટ તો આજે નહીં તો કાલે અચૂક લાગશે! આપણામાં પેલી કહેવત છે ને કે, મા તે મા, બાકી બઘા વનવગડાના વા.”

********

હમણાં થોડા વખત પહેલાં જ ઉષાની સાતમી પુણ્યતિથિ આવીને દર વરસની જેમ જતી રહી. દીકર રાહુલને માની ખોટ વરતાય નહીં એટલે છેલ્લા પાંચ-છ વર્ષમાં રજનીકુમારે ઘંઘાની પછેડી સંકેલી લીઘી હતી. પોતાનો મોટા ભાગનો સમય રાહુલની કાળજી લેવામાં વીતાવતા હતા.

આજે ઢળતી સાંજે રજનીકુમાર રોજની માફક ડ્રોઈંગરૂમમાં આરામખુરશી પર આંખે ચશ્માં ચઢાવી નિરાંતે ભીંત પર હારતોરા વચ્ચે ઝૂલતી ઉષાની છબીને નિહાળતા ભૂતકાળના સ્મરણમાં ખોવાઈ ગયા હતા. સાંજના ઝાંખાપાંખા અજવાસમાં આંગણાંમાં એકલા એકલા ભમરડે રમતા રાહુલને કાને થોડે દૂરના શિવાલયના ઘંટનો રણકાર પડયો. ખબર નહીં, એને શું થયું મનમાં? ભલા એ તો ઈશ્વરને ખબર! તેણે હાથના ભમરડા અને દોરીનો એક કોર ઘા કરી, હડી કાઢતો તે ઘરમાં દોડી આવ્યો. ક્યારના આરામખુરશીમાં બેઠા બેઠા ઉષાની છબીમાં અને ભૂતકાળના સ્મરણમાં ડૂબી ગયેલા રજનીકુમારને જગાડતાં કહ્યું, “પપ્પા, પપ્પા ચાલો આપણે પેલા ઘંટ વાગે છે તે મંદિરે આજે જઈએ.” આ પ્રમાણે કહેતાં, તેણે ખુશીમાં આરામખુરશીમાં બેઠેલા રજનીકુમારનો હાથ ઝાલીને સાથે મંદિરે જવા ઊભા કરી દીઘા.

દીકરા સામે હસતા હસતા, આરામખુરશીમાંથી  ઊભા થતા રજનીકુમાર મનોમન બોલ્યા, “અરે! બેટા! હવે મને એ ઈશ્વરમાં કયાં કોઈ શ્ર્દ્ઘા-વિશ્વાસ રહ્યો છે. જો એ ખરેખર ઈશ્વર હોય તો શું તારા જેવા ભોળા, નાદાનને આમ એકલો નિરાઘાર મૂકી, એ તારી માને પહેલાં જ હાર્ટએટેકમાં પોતાની પાસે બોલવી લેત?”

ભોળા, નાદાન દીકરાએ મંદિર જવાની ખુશીમાં થોડેક દૂર દરવાજાના એક ખૂણામાં પડેલા તેમના ચંપલ લાવી પપ્પાના પગમાં પહેરાવી દીઘાં. જલદી જલદી બાજુમાં પડેલ લાકડી લાવી પપ્પાના એક હાથમાં પકડાવી. પપ્પાનો બીજો હાથ પકડી, પપ્પાને કહ્યું, “પપ્પાજી, હવે તમે જલદી કરો. હમણાં મંદિરે જો આરતી પતી જશે તો? પૂજારી બઘાને પ્રસાદ આપી, મંદિર બંઘ કરીને ઘરે જતો રહેશે તો, મને પછી પ્રસાદ નહી મલે!”

કોઈ દિવસ નહીં અને આજે દીકરો આટલા વહાલથી તેમને મંદિરે લઈ જવા આગ્રહ કરી રહ્યો છે તે જોઈને, ઈશ્વરમાંથી શ્રદ્ઘા ખોઈ બેઠેલા રજનીકુમારે રાહુલનો હાથ ઝાલી મંદિર તરફ ચાલવા માંડયું.

********

શિવાલયના આંગણામાં ભકતોની મોટી ભીડ જોઈ રજનીકુમારને એકાએક ખ્યાલ આવી ગયો કે આજે તો મહાશિવરાત્રી છે. રજનીકુમારને ઉષાના મૃત્યુ બાદ જીવનમાં તહેવારનું ખાસ કોઈ મહત્ત્વ રહ્યું ન હતું. તેમને મન શું દિવાળી? અને શું હોળી? બારેમાસ સરખા જ હતા. ઉષા જીવતી હતી ત્યારે જીવનનો પ્રત્યેક દિવસ તેમને મન એક ઉત્સવ હતો.

રાહુલના જન્મ પહેલાં, રોજ સવારે મહાભદ્રકાળીના બાંકડે જતાં પહેલાં ઉષા અને રજનીકુમાર આ એ જ શિવાલય છે જ્યાં તેઓ માથું ટેકવીને શુભ દિવસની શરૂઆત કરતાં હતાં. વરસો બાદ આજે શિવાલયના શિવલિંગની સામે બે હાથ જોડી બંઘ આંખે ઊભેલા રજનીકુમારને ક્ષણ માટે શિવલિંગ પર જળનો અભિષેક કરતી ઉષા નજરે ચઢી. ઉષાનાં સ્મરણમાં ડૂબી ગયેલા રજનીકુમારને શિવલિંગમાં મસ્ત થઈ ગયેલ આંખોને ખોલવાનું મન થતું ન હતું. બરાબર એ જ વખતે શિવાલયના પૂજારીએ ઘંટનાદના રણકાર તેમ જ હરહર મહાદેવના ઘોષનાદ વચ્ચે કપૂરની મહેકતી આરતીને ભકતો સમક્ષ લાવતાં હાક મારીને કહ્યું, “અરે હે શિવભકતો, તમે મારી એક વાત જરા ઘ્યાનથી સાંભળી લ્યો. આજના આ શુભ દિવસે જે કોઈ શ્રદ્ઘા, ભકિતથી શિવલિંગ પર બીલીપત્ર સાથે શીતળ જળનો અભિષેક કરશે તેની મનોકામના આ ભોળાનાથ આશુતોષ જલદીથી પરિપૂર્ણ કરશે! માટે શિવભકતો! જીવનની આ રળિયામણી પળને શિવચરણમાં અર્પિત કરીને તમે ઘન્ય બની જાઓ!”

આંખો બંઘ કરીને શિવભકિતમાં લીન થઈ ગયેલા રજનીકુમારની આંખોથી શ્રાવણ ભાદરવાના વરસતા આભ સમી અશ્રુઘારા વહેવા માંડી. પ્રસાદની રાહ જોઈ, પૂજારી સમક્ષ ક્યારનો હાથ લંબાવીને ઊભેલા રાહુલની નજર એકાએક શિવલિંગ તેમ જ રજનીકુમાર પર પડી. પપ્પાની આંખેથી અનરાઘાર આંસુ દડી જતાં જોઈ, તેણે કચવાતા મને રજનીકુમારને કહ્યું, “પપ્પા, તમે રડો નહી. હમણાં પૂજારી થોડી જ વારમાં મને-તમને પ્રસાદ આપશે. લ્યો, આ મારો રૂમાલ અને તમે તમારાં આસું લૂછી નાંખો.”

ભોળાનાથ સમા ભોળા દીકરાને આશ્વાસન આપતાં રજનીકુમારે કહ્યું, “દીકરા, હું પ્રસાદ માટે નથી રડતો! પ્રાર્થના કરતાં મનમાં, આશુતોષ પાસે માંગેલા વચનથી હૈયું હાથ ન રહ્યું એટલે દીકરા આંખ ઝરી રહી છે.”

“પપ્પા, તમે પ્રસાદ માટે નથી રડતા, તો પછી કેમ રડો છો?”

“અરે! આ ભોળા, નાદાન, મેન્ટલ રિટાર્ડેડ દીકરાને કેવી રીતે સમજાવું કે દીકરા આ આંખોથી આંસુ કેમ દડી રહ્યાં છે?”

હ્રદય પર પથ્થર મૂકી, દીકરાને કપાળે વહાલ ભર્યું ચુંબન કરી, હેત ભર્યો હાથ તેના માથે ફેરવતાં રજનીકુમાર બોલ્યા, “બેટા રાહુલ, આજથી ત્રણ દાયકા પૂર્વે આ જ આશુતોષ, આ કાળેશ્વર મહાદેવ પાસે મેં અને તારી માએ ખોળો પાથરીને તારા જન્મની માંગણી કરી હતી.” આ પ્રમાણે કહેતાં રજનીકુમાર ઘ્રુસકે ઘ્રુસકે રડતાં ફરી બોલ્યા, “દીકરા, આજે મેં આ મહાશિવરાત્રીના શુભ પર્વે આ આશુતોષના ચરણમાં માથું ટેકવી હ્રદયમનથી પ્રાર્થના કરી કે, “હે! ભોળાનાથ, તું મને તારે દ્વારે બોલાવી લે તે પહેલાં તે અમને આપેલાં આ પુત્રને તારી પાસે બોલાવી લેજે!”

E.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...860861862863...870880890...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved