Opinion Magazine
Number of visits: 9561574
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સદ્દગત આચાર્ય ભાલચન્દ્ર જોશી

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|13 November 2023

રોમેરોમ વિદ્યાર્થી વત્સલ શિક્ષક, મનોવિજ્ઞાન વિષયના અધ્યાપક, અમદાવાદની સી.યુ. શાહ આર્ટસ કૉલજના પૂર્વ આચાર્ય અને જી.એલ.એસ. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. ભાલચન્દ્ર જોષીનું , 12 નવેમ્બરના રવિવારે બપોરે ત્રણ વાગ્યે, 78 વર્ષની ઉંમરે, અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલમાં માંદગી બાદ અવસાન થયું.

આખરના બે મહિના સિવાય તેઓ અરધી સદીથી વધુ સમય સંપૂર્ણ સ્વસ્થ શરીર અને હેતભર્યા હૈયા સાથે શિક્ષણક્ષેત્રે કાર્યરત રહ્યા. જોશી સાહેબના આચાર્યપદ હેઠળ તેમની કૉલેજમાં હું સાડાત્રણ વર્ષ માટે અધ્યાપક હતો. તે સહવાસ સહિત કુલ સાતેક વર્ષના પરિચયમાં ભાલચન્દ્ર જોશી જેવા દેખાયા તેની આ છબિ છે – તેમને અંજલિ સાથે.

****** 

‘માફ કરશો વિદ્યાર્થીમિત્રો, તમને વર્ગ દરમિયાન ખલેલ પહોંચાડું છું. પણ કેટલીક અગત્યની સૂચનાઓ સાંભળી લેશો…’, આવી સંસ્કારી રીતે સી.યુ. શાહ આટ્‌ર્સ કૉલેજના પૂર્વ આચાર્ય ભાલચન્દ્ર જોશી પબ્લિક એડ્રેસ સિસ્ટમ પરથી જાહેરાત કરતા.

ભાલચંદ્ર જોશી

‘અલા તમ બધાં આંય મારી ઑફિસ પર આવો. દર મહિને એકાદ દિવસ નક્કી કરો. આંય બગીચામાં ઘડીક કલાક-બે કલાક મળીએ.’ આવા ઉમળકાથી ગુજરાત લૉ સોસાયટી જેવી માતબર સંસ્થાના વડા જોશી સાહેબ તેમની પૉશ ચેમ્બરમાં તેમને મળવા આવતા સી.યુ. શાહ આટ્‌ર્સ કૉલેજનાં પૂર્વ વિદ્યાર્થીઓને નોતરતા. આ વિદ્યાર્થીઓ તેમને ભા.જો. કહેતા.

ધ્યાનમાં લેવી પડે તેવી ઊંચાઈ, ધ્યાન આપ્યું હોય તેવું શરીર, ઊજળો વાન, જાડો પણ સાંભળવો ગમે તેવો અવાજ, આખા ય વ્યક્તિત્વમાં શાલીનતા. ભાલચન્દ્ર જોશી એવા આચાર્ય હતા કે જેમના મનમાં વસતું વિદ્યાર્થીઓનું હિત તેમનાં વાણીવર્તન તેમ જ રોજ બ રોજના કામકાજમાં દેખાતું હોય.

કૉલેજનો તેમનો મોટા ભાગનો સમય વિદ્યાર્થીઓ સાથેના સૌજન્યપૂર્ણ કામમાં જતો. વિદ્યાર્થીઓને ટટળાવતા રાખીને, વર્ગને પડતો મૂકીને મહેમાનો, અધ્યાપકો, કર્મચારીઓ, સત્તાવાળાઓ સાથે રૂબરૂ કે મોબાઈલ પર લટુપટુ વાતો કરતા તેમને જોયા નથી.

ઘણા આચાર્યોમાં જોવા મળતાં તોરતુમાખીથી તે વિદ્યાર્થીઓ સાથે ક્યારે ય વર્તતા જોવા મળ્યા નથી. મિજાજ તો દૂર, તેમનો અવાજ પણ કોઈની સાથેની – ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથેની – વાતચીતમાં ઊંચો જતો સાંભળ્યો નથી. વટની જગ્યાએ તેમના અવાજમાં વાત્સલ્ય વસેલું હતું. વિદ્યાર્થીઓ પર તો જાણે ગુસ્સે થઈ જ ન શકે. અને જો ભૂલેચૂકે થાય તો ય ચહેરા પર ક્રોધ કરતાં વ્યથાના ભાવ વધુ દેખાય.

જોશી સાહેબના વિદ્યાર્થીઓ એવા હતા કે જે ભણતરને બદલે ભભકને મહત્ત્વ આપતી કૉલેજમાં જોવા ન મળતા હોય. એમની કૉલેજમાં એવાં વિદ્યાર્થિનીઓ તેમ જ વિદ્યાર્થીઓ હતાં કે જે પોતે અને તેમનાં માવતર ‘છૂટક મજૂરી’ કરીને ફી ભરતાં હોય.

તેમાં સફાઈ કામદાર, કાગળ વીણવાવાળા, વેઈટર, વૉર્ડબોય, કચરા-પોતાંના ઘરઘાટી, લારીવાળા, પ્યાલા-બરણીવાળા, લેથ કે બોઈલર પર કામ કરનારા એવા અનેક પ્રકારના શ્રમજીવી ઘરનાં છોકરા-છોકરીઓ હતાં.

તેઓ અમદાવાદના પૂર્વના પરાંમાંથી બસમાં અથડાતાં-કૂટાતાં કૉલેજ આવે. તેમના આચાર્ય કે અધ્યાપકને બર્થડે પર બુકે આપી ન શકે, ન કાર્ડ કે ગિફ્ટ, મહેનતકશ મા-બાપની ન હોય કોઈ વગ, ન પત. પણ એ બધાં જોશી સરના મનમાં પ્રતિષ્ઠિત હોય.

આવા વિદ્યાર્થીઓની જિંદગી સુધરે તે માટે સારી રીતે ચાલતી કૉલેજ થકી તેમને સારું શિક્ષણ મળે તે કેન્દ્રવર્તી વિચારના અમલ માટે જોશી સાહેબ સજાગ રહેતા. કૉલેજ સારી રીતે ચાલવાનો તેમની દૃષ્ટિએ અર્થ રૅન્કિંગ, ‘નૅક’માં ગ્રેડ મેળવવા રૂપાળી બનાવાયેલી કૉલેજની ઇમારત, કૉલેજમાં ફૅશન પરેડ ને ડિસ્કોથેકમાં પાર્ટીઓ કરતાં છેલછોગાળા એવો ન હતો.

તેમની દૃષ્ટિએ કૉલેજ સારી રીતે ચાલે એટલે – વર્ગો નિયમિત લેવાય, સ્પર્ધાની ખેંચતાણ વિનાના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય, વાચનશિબિર થાય, અર્ન-વ્હાઈલ-યુ-લર્ન જેવી યોજના સ્વચ્છ રીતે અમલમાં આવે, અધ્યાપકો અને કર્મચારીઓ વિદ્યાર્થીઓ સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરે, અને સહુથી વધુ મહત્ત્વનું તો એ કે છેક છેવાડાના વિદ્યાર્થીની પણ કાળજી લેવાય.

મનોવિજ્ઞાનના અધ્યાપક ડૉ. ભાલચંદ્રભાઈ જોશીએ વીસેક વર્ષ પહેલાં આચાર્યપદ સ્વીકારીને તેમની કૉલેજની ગડ બરાબર બેસાડી હોવાનું સાંભળ્યું છે. તેમાં તેમણે અસામાજિક તત્ત્વો સાથે કડકાઈ અને કુનેહથી કામ લીધું હતું.

વિદ્યાર્થી કાજે જોખમ ખેડવાની જોશી સાહેબની મોટાઈનો એક કિસ્સો નોંધપાત્ર છે. અમદાવાદના છારાનગરમાં રહેતો એક વિદ્યાર્થી કૉલેજમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો વચ્ચે પૂરો સમય હાજરાહજૂર હતો. ત્યારે તેની સામે તેના વિસ્તારમાં હત્યાનો ગૂનો નોંધાયો.

એ છોકરાને સંડોવવામાં આવ્યો હતો. જોશી સાહેબે પોતે તે વિદ્યાર્થીને તે સમયે કૉલેજમાં જોયો ન હતો. છતાં તે વિદ્યાર્થીની, બીજાં વિદ્યાર્થીઓની અને બે અધ્યાપકોની વાત પર વિશ્વાસ મૂકીને પોલીસ કાર્યવાહીમાં વિદ્યાર્થીની તરફેણ કરવાનો નિર્ણય વિદ્યાર્થીના વાલીની આખી વાત પાંચ મિનિટ સાંભળીને તત્ક્ષણ લઈ લીધો.

તેમણે કે વીરતા કે વશેકાઈની સહેજેય છાંટ વિના કહ્યું, ‘ઇ તો આપણે પોલીસને કે’શું. તમતમારે મારા તરફથી નચિંત રહેજો. તમે કહો છો તેવું એફિડેવિટ આપણે કરશું.’ આટલું ઓછું હોય તેમ, તેમના ઓળખીતા એક અગ્રણી વકીલ વિદ્યાર્થીનો કેસ નજીવી ફીથી લડે તેવું ય જોશી સાહેબે એ ગોઠવી આપ્યું.

વિદ્યાર્થી બચી ગયો, અત્યારે નોકરીમાં છે. બીજા એક કિસ્સામાં એમ હતું કે એક મનોવિકૃત માણસ એક વિદ્યાર્થીને કનડતો હતો. સાહેબને આ અંગે જાણ કરી, એટલે તરત ‘હાલ, આજકાલમાં આપણે પેલાને મળી આવીએ … તો એની વિકૃતિ માટે કાઉન્સેલિંગ કરવું પડે, હું ઈ … કનોરિયામાં ગોઠવી દઉં.’

ભાલચંદ્ર જોશી સારાં માણસો, પુસ્તકો, કામ અને મૂલ્યો માટે આદર અને કદરનો ભાવ ધરાવતા. પદ-પ્રતિષ્ઠા-પૉલિટિક્સમાં પડેલા લાભદાયી મહેમાનોને કૉલેજમાં બોલાવવા કરતાં, સમાજ માટે ઘસાઈ છૂટનારા માણસો એ વધુ પસંદ કરતા.

એટલે તેમણે ઇલાબહેન પાઠક, ચુનીભાઈ વૈદ્ય, વિનય-ચારુલ, દક્ષિણ છારા જેવાં કર્મશીલોને અને યશવંત શુક્લ  તેમ જ આનંદીબહેન પટેલ જેવાં વિદ્વાનોને કૉલેજમાં બોલાવ્યાં હતાં. ગુજરાત લૉ સોસાયટી સાથે સંકળાયેલા જયંત કોઠારી અને મધુસૂદન બક્ષી જેવા વિદ્વાનો સાથેના સંભારણાં કહેવાનું તેમને ગમતું.

ગાંધી, વિનોબા, વિમલાતાઈ અને ડોલરરાય માંકડ ભાલચન્દ્રભાઈનાં આરાધ્ય હતાં. માંકડ સાહેબનો ‘ડો’કાકા તરીકે પ્રેમાદરપૂર્વક ઉલ્લેખ કરી શકનારા અમદાવાદના જૂજ માણસોમાં જોશી સાહેબ એક હતા. તેમનું સંસ્કારસિંચન અલિયાબાડાની ગંગાજળા વિદ્યાપીઠમાં થયું હતું.

શિક્ષકને પોતાને મળેલું મૂલ્યશિક્ષણ અને મૂલ્યનિષ્ઠ શિક્ષણવ્યવસ્થા વચ્ચેના ફળદાયી સંબંધનું ભા.જો. એક ઉદાહરણ છે. એમનાં મનમાં વસતી એ શિક્ષણભૂમિ અલિયાબાડા અતીતરાગે જોશી સાહેબની વાતમાં હંમેશાં આવે. તે એટલી બધી વાર સાંભળવા મળે કે જોશી સાહેબની મિમિક્રીનો પણ તે ભાગ બની ગઈ હતી. જેમ કે ‘ઇ અમારે અલિયાબડામાં તો સંજય તને કંઉં …’

એક જ કાર્યક્રમમાં એક કરતાં વધુ વિદ્યાર્થીઓ એમની મિમિક્રી કરી શકે તેવાં હેત અને હળવાશ ભાલચન્દ્ર જોશીનાં હૈયે વસેલાં છે. એ જ હળવાશને કારણે, જ્યારે અંગ્રેજીમાં બોલવાનું આવે ત્યારે નિઃસંકોચપણે કહી શકતા, ‘મારું અંગ્રેજી તો તમે જાણો જ છો, એટલે હું તો ગુજરાતીમાં જ બોલીશ.’

કેટલાક આચાર્યોમાં જોવા મળતું સર્વજ્ઞ હોવાનું આચાર્યસહજ અજ્ઞાન તેમનામાં ન હતું. ‘ઇ મને એમાં કાંઈ હમજ નો પડે, ઇ બધું તું સંભાળી લે જો હોં, ભાઈ’, એવું આચાર્યશ્રી જોશી સાહેબ અધ્યાપકથી લઈને એકાઉન્ટન્ટ સુધીના કોઈને પણ નિખાલસતા અને નમ્રતા સાથે કહી શકતા.

જોશી સર પુસ્તકોનું મહત્ત્વ બરાબર સમજતા અધ્યાપકોની પેઢીના હતા અને તેમાં ય આચાર્ય બન્યા. આચાર્યપદનાં અહંકારપોષક નફા હોય છે. પણ વાચન-લેખન, અભ્યાસ-સ્વાધ્યાયમાં રુચિ ધરાવનારા આચાર્ય બને તો એને આ પદ ખોટ કરાવે છે. આ નુકસાનની જાણે ભરપાઈ કરવાની હોય તેમ ભા.જો. પુસ્તકો વિશે સાંભળવામાં તેમ જ પુસ્તકો જોવા-વસાવવામાં રસ લેતા.

તેમણે વાચન શિબિરો કરાવી. એક વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન કૉલેજના ગ્રંથાલયની ફેરગોઠવણી કરવાનો ઉપક્રમ હાથ ધર્યો. તેના માટે સ્વચ્છાએ મહેનત કરનારા દસેક વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને દરરોજના આવવા-જવાના બસભાડાંની અને ચા-નાસ્તાના ખર્ચની જોગવાઈ તેમણે કરી.

કૉલેજના વાર્ષિક સમારંભમાં આ છોકરા-છોકરીઓનું વિશેષ સન્માન કરીને તેમને પુસ્તકો ભેટ આપ્યાં. કૉલેજમાં ઈનામ તરીકે ચંદ્રકો ઉપરાંત પુસ્તકો આપવાની પણ તેમણે શરૂઆત કરી. એક વર્ષે તેમનાં માતાપિતાની સ્મૃતિમાં કૉલેજના હજારેક યુવક યુવતીઓમાંથી દરેકને લોકમિલાપ પ્રકાશનની ખિસ્સાપોથી મળે તેવું આયોજન પણ તેમણે કર્યું.

વાચન અને તેમને મળેલી સારી કેળવણીમાંથી આવતી સંસ્કારિતા તેમ જ મૂલ્યલક્ષિતા જોશી સાહેબમાં હતી. એ તેમના સૌજન્યપૂર્ણ વાણીવર્તનમાં અને વક્તવ્યમાં દેખાતી. તેમના વ્યાખ્યાનોમાં તેમને શેરોશાયરી અને ટુચકાનો સહારો લેવો પડતો નહીં. વાગ્મિતાસભર ભાષણોમાં પ્રતીતિપૂર્ણ વિદ્યાર્થીકેન્દ્રી શિક્ષણ એ સ્થાયી ભાવ હોય છે.

એક વખત ગુજરાત લૉ સોસાયટીએ નૉલેજ કોન્સોર્ટિયમ ઑફ ગુજરાતની સાથે મળીને અધ્યાપકો માટે એક સંશોધન શિબિરનું આયોજન કર્યું હતું. તેના ઉદ્ઘાટન સમારોહમાં અધકચરા અંગ્રેજી-ગુજરાતીમાં થયેલાં કેટલાંક અણઘડ વક્તવ્યોમાં સંશોધનની ક્ષિતિજો, પદ્ધતિઓ અને તેના માટેના કરોડો રૂપિયાની ફાળવણી જેવી મોટીમોટી વાતો થઈ.

જોશી સાહેબે એ તેમની અસરકારક ગુજરાતી ભાષામાં કહ્યું, ‘ગુલબાઈ ટેકરા પરથી થઈને મારા કાર્યાલયમાં જાઉં છું ત્યાં રસ્તામાં આવતી ગરીબોની વસાહતમાં ગણપતિની મૂર્તિ બનાવવાનો હુન્નર વિકસ્યો છે. મને એ લોકો વિશેના સંશોધન અંગેના વિચારો કેમ ન આવે?

હિન્દુસ્તાનની જરૂરિયાત અપ્લાઇડ રિસર્ચ, હ્યુમન એન્જિનિયરિંગ છે. સાધારણ માણસ, ખેડૂત મજૂર, ને વિદ્યાર્થી માટે રિસર્ચ કરવાનું છે. તેના માટે કલાસરૂમ અને ચેમ્બરમાંથી બહાર નીકળવું પડે …’

*****

જોશીસાહેબને મારા માટે ઘણી લાગણી હતી. અમદાવાદની શ્રી. એચ.કે. આર્ટસ કૉલેજમાંથી હું સરપ્લ્સ થયો ત્યારે મને તેમની જ કૉલેજમાં જ નિમણૂક મળે તેમાં તેમણે ખાસ રસ લીધો હતો, તેને હું એક પ્રમાણપત્ર ગણું છું. એ પ્રક્રિયા દરમિયાન કે ત્યાર પછી એમણે ક્યારે ય લેશમાત્ર  કૃપાભાવ બતાવ્યો ન હતો.

કૉલેજના કામની વ્યસ્તતાને લીધે તેમની ચેમ્બરમાં બેસીને તેમની સાથે પા-અરધો કલાક વાત ન થઈ હોય એવા ચારેક દિવસ વીતે એટલે એ મને બોલાવીને કહે : ‘કાં અલા, તને કાંઈ ખોટું નથ લાગ્યું ને? બૌ દિવસમાં દેખાણો નથી. આપણે કાંઈ જમાવટ નથ થૈ ….’.

આચાર્યશ્રી ભાલચન્દ્ર જોશીને મારી કૃતજ્ઞતાપૂર્વક અંજલિ.

13 નવેમ્બર 2023                              
[તસવીર સૌજન્ય : શ્રી શૈલેષ રાવલ, 25/1/2021]
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

‘મણ ઘાસનો ભાવ 4 આના અને મણ શેરડીનો ભાવ 6 આના ! શું આ અન્યાય નથી?’

રમેશ સવાણી|Opinion - Opinion|13 November 2023

[ભાગ-1]

હજુ ગુજરાત રાજ્યનો જન્મ નહોતો થયો; ત્યારે સૌરાષ્ટ્ર રાજ્યના ધારાસભ્યોમાં કેવો જુસ્સો હતો / કેવી કર્તવ્યનિષ્ઠા હતી / કેવી પ્રમાણિકતા હતી / મૂલ્યો માટે લડવાની કેટલી હિમ્મત હતી તે જોઈએ ત્યારે 2023માં જે ધારાસભ્યો છે તેમની તરફ દૃષ્ટિ કરતા ભારે નિરાશા ઉપજે છે. હાલના ધારાસભ્યો લોકોને પ્રતિબદ્ધ નથી, પક્ષના ગુલામ છે. ફરી ટિકિટ નહીં મળે તેની ચિંતા તેમને સતાવે છે. જૂની કોઈ ફાઈલ ખોલી સત્તાપક્ષ હેરાન કરશે એ ડર પણ હોય / સ્વાર્થ હોય; પણ લોકોના પ્રશ્નો અંગે લડત કરવાની ત્રેવડ ધારાસભ્યોએ ગુમાવી દીધી છે. કનુભાઈ કલસરિયા જેવા એકાદ ધારાસભ્ય લોકોના પ્રશ્નો ઉઠાવે તો તેમને પક્ષ છોડવો પડે છે અને તેમને હરાવવા સત્તાપક્ષ નેવાનાં પાણી મોભે ચડાવે છે. દુ:ખની બાબત એ છે કે લોકો પણ પોતાના પ્રશ્નો ઊઠાવનાર કર્તવ્યનિષ્ઠ ઉમેદવારને ચૂંટણીમાં હરાવે છે. જ્ઞાતિ / જાતિ / ધર્મ / સંપ્રદાયને કેન્દ્રમાં રાખીને લોકો માયકાંગલા / ક્રિમિનલ / તડિપાર ધારાસભ્યને ચૂંટે છે અને પછી પેટ ભરીને પસ્તાય છે !

1936માં ભાવનગરના પ્રગતિશીલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ચોગઠ ગામમાં પધાર્યા હતા. એમની સાથે કેળવણી ખાતાના અધિકારી પણ હતા. મહારાજાની નીતિ હતી કે લોકો સાથે સીધો સંપર્ક કરવો. રુબરુ જઈ લોકોના પ્રશ્નો જાણવા. ગામના ઉતારામાં માનવમેદની ઉમટી હતી. બધી રીતરસમો પૂરી થયા બાદ મહારાજાએ પૂછ્યું : “ગામમાં કોઈને મૂંઝવણ છે? કાંઈ ફરિયાદ છે? છે કોઈની રાવ? જેમને કહેવું હોય તે ખુશીથી કહો.” સભામાં કેટલાક આગેવાનો બેઠાં હતાં તેમણે કહ્યું કે ‘મહારાજ ! રૈયતને સુખ શાંતિ છે. આપના રાજ્યમાં ફરિયાદ શેની હોય? આપની મહેરબાનીથી બધી વાતે સારું છે.’

છગનભાઈ પટેલ

ત્યાં બધાંના આશ્ચર્ય વચ્ચે સભામાંથી એક 22 વરસના જુવાનનો હાથ ઊંચો થયો. બાજુમાં બેઠેલા લોકોએ એ જુવાનનો હાથ પાછો ખેંચવા પ્રયત્ન કર્યો. આગેવાનોએ કહ્યું કે ‘મહારાજ, એ તો અમસ્તો, એવું કાંઈ નથી…’ પરંતુ મહારાજાએ એ જુવાનને પોતાની પાસે બોલાવ્યો. જુવાને કહ્યું કે “ગામના માસ્તરો પૂરું ભણાવતા નથી ! અને ગામમાં કજિયો થાય તેવું કરે છે.”

કૃષ્ણકુમારસિંહજી એ જુવાનની પીઠ થાબડી સધિયારો આપ્યો. શિક્ષકોને શિક્ષણમાં ધ્યાન આપવા અને ગામમાં સંપ વધે તેવું કરવા સૂચના કરી.

આ જુવાને પછી 1945 થી 1962 દરમિયાન 17 વરસ સુધી ધારાસભ્ય તરીકે રહી લોકોના આદર્શ પ્રતિનિધિ કેવા હોય તેનું ઉદાહરણ પૂરું પાડ્યું. આ જુવાન એટલે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામના છગનભાઈ પટેલ (9 જુલાઈ 1914 – 4 ફેબ્રુઆરી 1976). તેમની અટક ગોપાણી હતી. તેમનો અભ્યાસ માત્ર 4 ચોપડી સુધીનો હતો. પરંતુ કુદરતે તેમને બૌદ્ધિકતા અખૂટ આપી હતી. તેમનો પહેરવેશ કાયમી એક સરખો રહ્યો હતો; ચોરણો / કફની / બંડી / ખંભે ખેસ / માથે પાઘડી. બધું ખાદીનું. પડછંદ કાયામાં તેઓ જાજરમાન લાગતા હતા. તેમની વિશેષતા એ હતી કે ગામના નાનામાં નાના દલિત માણસ પણ તેમની ઓસરીમાં બેસી ચા-પાણી પીઈ શકતા હતા. તેમણે 1976માં અંતિમ શ્વાસ લીધા ત્યારે 33 હજારનું દેવું મૂકીને ગયા હતા !

ભાવનગર રાજ્યના દિવાન અનંતરાય પટ્ટણીના સમયે એક ખાનગી કંપનીએ ધોળા ખાતે એક ખાંડનું કારખાનું ઊભું કરેલ. આ કારખાના માટે કાચા માલ તરીકે શેરડી પૂરી પાડવા દિવાને, ખેડૂતોએ ફરજિયાત શેરડી પૂરી પાડવા કાયદો કર્યો હતો. એક જોડી બળદ રાખતા હોય તેવા ખેડૂતોએ ફરજિયાતપણે 48 ગૂંઠા (3 વીઘા) શેરડી વાવવી અને તે શેરડી છેક ધોળાના કારખાને પહોંચાડવી પડતી ! આ શેરડીનો ભાવ એક મણના ફક્ત 6 આના (36 પૈસા) રાખવામાં આવ્યો હતો. એક જોડી બળદવાળા ખેડૂતની જમીન બહુ ઝાઝી હોય નહીં. જે કાંઈ જમીન હોય તેમાંથી ત્રણ વીઘા જમીનમાં શેરડી વાવવામાં આવે તો 12 મહિના સુધી પાણી પાવા માટે કોસ ચલાવવામાં જ બળદ રોકાયેલા રહે ! બાકીના ખેતીના કામો થઈ ન શકે. ખેડૂતો શેરડી સિવાયનું કોઈ કામ કરી શકે નહીં અને એક વર્ષ કાળી મજૂરી કરે ત્યારે શેરડીના એક મણે ફક્ત 6 આના મળે ! આ હળાહળ અન્યાય હતો, ખેડૂતોમાં ગણગણાટ થયો. સૌના મનમાં રોષ હતો પરંતુ રાજના હુકમ આગળ સૌ લાચાર હતા.

ઉમરાળામાં ગાંધીચિંધ્યા માર્ગે સવિનય કાનૂનભંગ જેવી લડત માટે એક વિશાળ સભાનું આયોજન થયું. હજારો ખેડૂતો હાજર રહ્યા. તેમાં છગનભાઈએ આગેવાની લીધી અને શેરડી મોકલવાનું બંધ કરવાની હાકલ કરી. રાજ્યના આદેશનો ભંગ થવાથી પોલીસ અધિકારીએ તેમને પકડીને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સમક્ષ રજૂ કર્યા. છગનભાઈએ કહ્યું : “રાજ્યના ઘોડાઓને ખવડાવવાના ઘાસનો ભાવ મણના 4 આના છે. ઘાસને ઉગાડવા મહેનત કરવાની હોતી નથી. તે આપોઆપ વગર પાણીએ અને ખેડખાતર વિના ઊગે છે. જ્યારે 12 મહિના સુધી પાણી પીવડાવીને, ખાતરખેડ વગેરે બધું કર્યા પછી શેરડીને છેક ધોળા પહોંચાડવા છતાં એનો ભાવ ફક્ત 6 આના ! મણ ઘાસનો ભાવ 4 આના અને મણ શેરડીનો ભાવ 6 આના ! શું આ અન્યાય નથી? આપની આજ્ઞા છે એટલે હું સજા ભોગવવા તૈયાર જ છું પરંતુ આપને વિનંતી છે કે મારી આ વાત મહારાજા સુધી પહોંચાડવામાં આવે.” પોલીસ અધિકારી સારા હતા. તેમણે દિવાન દ્વારા આ વાત મહારાજા પાસે પહોંચાડી. મહારાજાએ ખેડૂતોને ફરજિયાત શેરડી મોકલવામાંથી મુક્ત કર્યા !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દિવાળીનો आकाशकंदील 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|13 November 2023

દિવાળીનો આકાશકંદીલ એ ત્રેપન વર્ષથી અમદાવાદમાં રહેતા અમારા ભાવે પરિવારને મહારાષ્ટ્રમાંથી મળેલો સુંદર વારસો છે.

આ આકાશકંદીલ અમદાવાદમાં વસતા અમ ત્રણ ભાઈઓ – સંદીપ, સુનીલ અને સંજય – પોતપોતાના ઘરે જાતે બનાવીને લગાવીએ છીએ. कंदील એ મરાઠી શબ્દનો અર્થ થાય છે ફાનસ અથવા દીવો.

અમને આ વારસો અમારા પિતા શ્રીપાદ માધવ ભાવે, જેમને અમે ‘ભાઉ’ કહેતા તેમની પાસેથી મળ્યો છે. આકાશકંદીલ બનાવીને લગાવવામાં અમારી દિવાળીની સાર્થકતા હોય  છે.

વાંસની સળકડીઓ, સૂતરની દોરી (કે પતંગનો માંજો), પતંગના કાગળ અને ચોંટાડવા માટે ઘંઉના લોટની ‘લઇ’ – આટલી જ સામગ્રીમાંથી બનતું આ સુશોભન સંપૂર્ણપણે હાથથી બનાવેલું અને eco-friendly હોય છે.

તે મુંબઈ જેવા મહાનગર સહિત મહારાષ્ટ્રમાં બધે જ જોવા મળે છે. ઘણાં લોકો તે તૈયાર પણ લાવે છે. મહારાષ્ટ્રમાં વાચનસમૃદ્ધ મરાઠી દિવાળી અંકોની જેમ જાતભાતનાં આકાશકંદીલનું પણ બહુ મોટું ચલણ છે.

આકાશકંદીલ બનાવવાના બે-ત્રણ દિવસ અમારા માટે તે બનાવવાનો આનંદના હોય છે. પણ તેમાં તે મોડામાં મોડો ધનતેરસ પર સરસ રીતે બનાવીને મૂકાશે કે નહીં એના કંઈક તણાવ પણ હોય છે.

આકાશકંદીલ બનાવવાની એક ચોક્કસ રીત અને સમયપત્રક હોય જે જાળવવાં પડે છે. આકાશકંદીલ બનવવાનું શરૂ કરો એટલે તે પૂરો કરીને, ઘરની બહાર લટકાવીને અંદર દીવો  પ્રગટાવ્યે જ છુટકો.

આકાશકંદીલ સાથે ઉછેરનાં વર્ષો, તબક્કા અને અલબત્ત યાદો જોડાયેલાં છે.

આ મનગમતું કામ અમને દર વર્ષે એક વાર કેટલી ય વસ્તુઓ/પ્રવૃત્તિઓ સાથે જોડે છે – વાંસ, છરી, દોરા, કાતર, કાગળ, ફૂટપટ્ટી, નકશીકામની કોતરણી, જાતે બાફીને બનાવેલી ‘લઈ’ (જે અમને ગુંદર કે ફેવિસ્ટિક કરતાં ય વધુ વહાલી લાગે છે), સીડી, વાયર, બલ્બ, પલાંઠી વાળીને બેસવું, ગાંઠો વાળવી, બાળપણ, બાપુજી, બા, કાકા, ફોઈ, માસી, ડહેલું ….

પૂના-મુંબઈના અમારા પિતરાઈઓ અત્યારે ભલે કૉર્પોર્રેટમાં હોય કે આઈ.ટી.માં, ફૅક્ટરીમાં હોય કે બાંધકામમાં, સમય કાઢીને ખસૂસ જાતે આકાશકંદીલ બનાવે છે, એ નહીં તો ઘરનાં બહેનો બનાવે છે. ગ્રુપમાં તેના ફોટા મૂકે છે. એમનાં પપ્પા-મમ્મીઓને મેં મારા નાનપણમાં આકાશકંદીલ બનાવતાં જોયાં છે.

અમારા ભાઉ સ્વયંમેવ પ્રતિભાવાન અને સ્વશિક્ષિત-સ્વદિક્ષીત મિકૅનિકલ અને ઇલેક્ટ્રૉનિક એન્જિનિયર હતા. ‘ઇસરો’ના એક મહત્ત્વના વિભાગના મૅનેજર તરીકે નિવૃત્ત થયા. મેં જોયેલા અત્યંત બૂદ્ધિશાળી, ખૂબ ઊંચો બૂદ્ધિઆંક IQ ધરાવનાર વ્યક્તિઓમાં એક હતા. મારા નાનપણમાં એ આકાશકંદીલ બનાવતા. ક્યારેક વધારામાં નાતાલમાં હોય છે તેવો એક તારો પણ બનાવતા.

ત્યાર બાદ હું કંદીલ બનાવતો થયો. પછીનાં વર્ષોમાં એ આનંદ મારા બંને ભાઈઓએ એક પછી એક માણ્યો. અમે ત્રણેય નોકરીઓ વગેરેમાં વ્યસ્ત રહેવા લાગ્યા, અને ભાઉ નિવૃત્ત થયા એટલે ફરી પાછા એ બનાવતા. થોડાંક વર્ષ બાદ તેમને ઉંમરને કારણે મુશ્કેલી પડવા લાગી. એટલે મેં  બનાવવાનું શરૂ કર્યું.

ભાઈઓનાં પોતાનાં ઘર થયાં એટલે હવે તેઓ એમના ઘરે બનાવે છે. પણ અમારા ‘ભાઉ’ના કામમાં હતાં તેટલાં ચોકસાઈ અને finishing અમારામાં નથી આવતાં. પણ ત્રણેય માટેના કાગળ વચેટ સુનીલ ગાંધી રોડ પરની જૂમા મસ્જિદેથી લઈ આવે છે.

વચ્ચે ત્રણેક વર્ષ મુશ્કેલીના ગયા. આકાશકંદીલ ન બની શક્યો. ગયા વર્ષ હું બનાવવા બેઠો, પણ કોણ જાણે કેમ પણ સળકડીઓનું માળખું ધાય જ નહીં. મારી તો ઊંઘ ઊડી ગઈ. આવું તે કેમ થાય ? વર્ષાભાભી અને સુનીલે અરધી રાત સુધી મદદ કરી પછી બધું પાર ઊતર્યું.

આકાશકંદીલ બને એટલી ચીવટથી બનાવીને લગાવી દીધા પછી રાત્રે તેને ઉજાસતો જોવાનું મને બહુ ગમે છે. મારી પાસે જે કંઈ ચપટીક કસબ, મૂઠીભર મુગ્ધતા અને જિંદગી માટેનો થેલાભર ઉમંગ છે તે મને એ આકાશમાં લટકતા દીવામાં દેખાય છે. મને ખૂબ આનંદ અને સંતોષ મળે છે.

અમારાં મમ્મી જેને અમે ‘આઈ’ કહેતા તેમને આકાશકંદીલ બહુ ગમતો. એ તો ગોવત્સ દ્વાદશીએ, મરાઠીમાં વસુબારસે, આકાશકંદીલ બની જાય એવું ઇચ્છતાં. ભાઉ એ દિવસ જાળવતા. અમે બનાવતા ત્યારે મોટે ભાગે ધનતેરસ કે ક્વચિત કાળી ચૌદસ પણ આવી જતી.

આકાશકંદીલ જોયા બાદ અમારી આઈના ચહેરા પર જે અજવાસ ફેલાતો એ જાણે દિવાળીના કોડિયાનો ઉજાસ ! અને તેના મોંમાંથી જે શબ્દો નીકળતા તેના માટે જ કદાચ આજે ય મારા હાથે આકાશકંદીલ બની જાય છે. દર વર્ષે આકાશકંદીલ બન્યા બાદ હરખના આંસુ સાથે આઈ કહેતી – शाब्बास रे माझ्या बाळा !’ 

12 નવેમ્બર 2023, દિવાળી
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...102030...860861862863...870880890...

Search by

Opinion

  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved