Opinion Magazine
Number of visits: 9457824
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાનહોઝેથી તેનકાશી

સુરેશ જાની|Opinion - Opinion|17 September 2023

સાન હોઝેમાં (કેલિફોર્નિયા, અમેરિકા) અબજો ડોલરની સંપત્તિનો માલિક, શ્રીધર વેમ્બુ, ધમધમતો ધંધો છોડીને તામિલનાડુના તેનકાશીમાં સ્થાયી થયો છે. તે પોતાની આવડતનો ઉપયોગ ગામડાંઓની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને વ્યવસાયિક ઉન્નતિ  માટે તાલીમ આપવાના સ્તૂત્ય કાર્ય માટે કરી રહ્યો છે.

એ નવાઈની વાત નથી કે, ભારત સરકારે તેને ૨૦૨૧માં પદ્મશ્રીનો ઇલ્કાબ એનાયત કર્યો છે.

શ્રીધર વેમ્બુ

શ્રીધરનો જન્મ ૧૯૬૭માં તામિલનાડુના તાંજોર જિલાના એક નાના ગામના, મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો. ૧૯૮૯માં ચેન્નાઈમાં આવેલી, IITમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિરિંગમાં સ્નાતક થયા બાદ શ્રીધર ઉચ્ચ શિક્ષણ મેળવવા અમેરિકા ગયો હતો. અમેરિકાના ન્યુજર્સી રાજ્યમાં આવેલ પ્રખ્યાત પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી (આલ્બર્ટ આઈન્સ્ટાઈનની છેવટની કર્મભૂમિ) અનુસ્નાતક અને પી.એચ. ડી. પદવી તેણે પ્રાપ્ત કરી હતી.

ત્યાર બાદ સાન દિયેગોમાં ક્વોલ-કોમ નામની કમ્પનીમાં વાયરલેસ એન્જિનિયર તરીકે તેની કારકિર્દીની શરૂઆત થઈ હતી. ૧૯૯૬માં પોતાના બે ભાઈઓ સાથે તેણે AdventNet  નામની સોફ્ટવેર કમ્પની સ્થાપી હતી. ૨૦૦૯માં તેનું નામ બદલીને ઝોહો કોર્પોરેશન રાખવામાં આવ્યું હતું. SaaS ( Software as a service)  આપતી  આ કંપનીને ઘણી નામના અને યશ મળ્યાં હતાં. આ નામ અને કામથી તેને ઘણી સંપત્તિની પ્રાપ્તિ પણ થઈ હતી. આપણે એ નોંધવું જોઈએ કે, ફોર્બ્સ કમ્પની દ્વારા ૨૦૨૧માં ઝોહોની કુલ નાણાંકીય અસ્કયામતની આકારણી ૨૪૪ કરોડ ડોલર આંકવામાં આવી છે.

પણ શ્રીધરના દિલમાં આનાથી સંતોષ ન હતો. દિલની આરજૂ પૂરી કરવા તેણે તામિલનાડુના તેનકાશી જિલ્લામાં આવેલ માતલમ્પરાઈ ગામને પોતાની કર્મભૂમિ બનાવી છે.

અહીં અને આન્ધ્ર પ્રદેશના રેનિગુન્ટામાં, ઝોહોના નેજા હેઠળ, રોજગાર લક્ષી સોફ્ટવેર આધારિત શિક્ષણ આપતી શાળાઓ તેણે સ્થાપી છે. આવી ઘણી શાળાઓ દેશભરમાં સ્થાપવા શ્રીધરને ઉમેદ છે.

પદ્મશ્રીના ઈલ્કાબ ઉપરાંત ભારતના પ્રધાન મંત્રીને સલાહ આપતી National Security Councilમાં પણ તેની વરણી થઈ છે. દેશના શિક્ષણને નવી તરાહ આપવાની પાયાની નીતિ નક્કી કરવાના યજ્ઞ કાર્યમાં પણ તે યથોચિત ફાળો આપી રહ્યો છે.

અંગત જીવનમાં તેની પત્ની પ્રમીલા શ્રીનિવાસન્‌, ભાઈ કુમાર અને બહેન રાધા છે.

સંદર્ભ –

https://en.wikipedia.org/wiki/Sridhar_Vembu
https://twitter.com/svembu?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Eauthor
https://www.forbesindia.com/article/big-bet/cover-story-sridhar-vembus-vision-from-the-village/59833/1
E.mail : surpad2017@gmail.com

Loading

ભારત ઇન્ડિયા તરીકે ન ઓળખાય એવું મહમ્મદઅલી ઝીણા ઈચ્છતા હતા

રમેશ ઓઝા|Opinion - Opinion|17 September 2023

રમેશ ઓઝા

રાષ્ટ્રપતિએ જી-૨૦ના નેતાઓને ભોજન માટે અંગ્રેજીમાં આમંત્રણ આપ્યું. એમાં યજમાન તરીકે પોતાને ભારતનાં રાષ્ટ્રપતિ તરીકે ઓળખાવ્યાં હતાં, એ જોતાં એમ લાગે છે કે કેન્દ્ર સરકાર દેશનું સત્તાવાર નામ બદલીને ભારત કરવા માગે છે. ખરું પૂછો તો આમાં બદલવાની વાત નથી, પણ ભારતનાં જે બે સત્તાવાર નામ છે તેમાંથી એક નામ ઇન્ડિયાને પડતું મૂકવા માગે છે. બંધારણમાં ભારતની ઓળખ ઇન્ડિયા ધેટ ઈઝ ભારત તરીકેની છે.

નામ બદલવાં કે નામ પડતાં મૂકવાં એ ઈસરો, બાર્ક, એઈમ્સ, આઈ.આઇ.એમ., આઇ.આઇ.ટી., ઇન્ડિયન કેમિકલ લેબોરેટરી, ડી.આર.ડી.ઓ., ભેલ, એચ.એમ.ટી. જેવી સંસ્થાઓની સ્થાપના કરવા કરતાં ઘણું સહેલું કામ છે. આવી બધી સંસ્થાઓની સ્થાપના કરવા માટે કેટલી બધી જહેમત લેવી પડે! ભાભા (હોમી) અને ભટનાગર (શાંતિ સ્વરૂપ) જેવા યોગ્ય વિદ્વાનોને શોધવાના, તેમના તરંગોને સહન કરવાના, જે માગે એ પૂરું પાડવાનું, છૂટો દોર આપવાનો વગેરે પ્રકારનાં કેટલા લાડ કરવાના! હા, ભવિષ્યમાં ભારત અણુસત્તા બની શકે, ચન્દ્રયાનને ચન્દ્ર પર મોકલી શકે, ભારતના યુવકો વિશ્વમાં મોકાની અને પ્રતિષ્ઠાની જગ્યાએ પહોંચી શકે વગેરે ખરું, પણ એ તો ભવિષ્યમાં. નગદમાં કશું જ નહીં. આપણે વાવીએ અને બીજા લણે એવો મહેનતનો અને ઉપરથી ખોટનો સોદો કોણ કરે?

આનાં કરતાં નામ બદલવામાં કે પડતાં મૂકવામાં મહેનત ઓછી પડે અને તાત્કાલિક લાભ. અલ્હાબાદનું પ્રયાગરાજ કરી નાંખ્યું કે ઔરંગાબાદનું સંભાજીનગર કરી નાખ્યું એટલે ખાસ પ્રકારના લોકો રાજી. મુસલમાનોને ડીંગો બતાવવાનું સુખ કાંઈક અનેરું હોય છે.

ભારત સદીઓથી ભારતની બહાર ઇન્ડિયા તરીકે ઓળખાય છે. ભારત સદીઓથી ભારતની બહાર હિન્દ કે હિન્દુસ્તાન તરીકે ઓળખાય છે. ભારતની પ્રજા સદીઓથી ભારતની બહાર હિંદુ તરીકે ઓળખાતી હતી, પછી તેનો ધર્મ ગમે તે હોય. ભારતનાં મુસલમાનો પણ હિંદુ મુસલમાન તરીકે ઓળખાતા હતા. હિન્દુસ્તાનમાં વસતી પ્રજા એટલે હિંદુ પ્રજા. એ તો જ્યારે પશ્ચિમના ધર્મોની દેખાદેખી સનાતન ધર્મને હિંદુ ધર્મ તરીકે ઓળખાવવાનું શરૂ થયું ત્યારે અન્ય ધર્મીઓએ પોતાને અલગ રીતે ઓળખાવવાનું શરૂ કર્યું હતું. જેમ કે ૧૯મી સદીના અંત સુધી પંજાબમાં શીખો ક્યારે ય પોતાને અલગ ધર્મીય ગણાવતા નહોતા, પણ આર્ય સમાજીઓએ જ્યારે ઈસાઈ અને ઇસ્લામના જવાબમાં ભારતની સનાતની પ્રજા માટે હિંદુ ઓળખ વિકસાવી અને એ ઓળખ શીખો પર લાદવાનું શરૂ કર્યું અને જો તેઓ તેનો સ્વીકાર ન કરે તો તેમને નિંદવાનું શરૂ કર્યું ત્યારે તેમણે પોતાને હિંદુથી અલગ શીખ તરીકે ઓળખાવવાનું શરૂ કર્યું હતું. હિન્દુસ્તાનમાં વસતા શીખ, જૈન, બ્રહ્મોસમાજી વગેરેએ એ પછીથી પોતાને હિંદુ તરીકે ઓળખાવવાનું બંધ કર્યું. આ ઘટેલી ઘટનાઓનો સાચો ઇતિહાસ છે, ખાતરી કરી શકો છો.

૧૯મી સદીથી લઈને દેશને આઝાદી મળી ત્યાં સુધી ભારતમાં ભારતનું પ્રચલિત નામ હિન્દ હતું. શિવાજી મહારાજે તેમના સ્વ-રાજને હિન્દવી સ્વરાજ તરીકે ઓળખાવ્યું હતું. હિંદુ સ્વરાજ નહીં, હિન્દવી સ્વરાજ. જય હિન્દ હજુ ગઈકાલ સુધી પ્રચલિત શબ્દ હતો. ગાંધીજીનાં પ્રસિદ્ધ પુસ્તકનું શીર્ષક છે; ‘હિન્દ સ્વરાજ.’ દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયો પોતાને હિન્દી તરીકે ઓળખાવતા હતા. માટે તો ભારતની રાષ્ટ્રભાષાને હિન્દી તરીકે ઓળખાવવામાં આવે છે. મુસલમાનોનો રાજકીય પક્ષ જમાત એ ઇસ્લામી હિન્દ તરીકે ઓળખાતો હતો. ભારત શબ્દ ભારતમાં અજાણ્યો હતો જેને આઝાદી પછી પ્રચલિત કરવામાં આવ્યો છે. બીજી બાજુ અંગ્રેજીમાં ઇન્ડિયા. વૈશ્વિક સ્વીકૃતિ ધરાવતું વિશ્વપ્રસિદ્ધ નામ અને એ પણ સદીઓ જૂનું.

ભારત નામ પ્રચલિત કરવામાં આવ્યું એની પાછળ કારણ છે. મુસ્લિમ લીગ અને તેના નેતા મોહમ્મદઅલી ઝીણાએ ભારતીય મુસલમાનો માટે પાકસ્તાનની માગણી કરી હતી. પાકિસ્તાનની માગણી કરવામાં તેમણે દલીલ કરી હતી કે હિન્દુ અને મુસલમાન બે અલગ પ્રજા છે, તેમની અલગ રાષ્ટ્રીયતા છે, અલગ ઓળખ ધરાવે છે અને ૧૮૦ ડિગ્રીની ભીન્નતાના પાયામાં અલગ ધર્મ છે. માટે ભારતનું કોમી વિભાજન થવું જોઈએ. તેમની આ દલીલનો કાઁગ્રેસે વિરોધ કર્યો હતો અને વળતી દલીલ કરી હતી કે કેટલાક મુસલમાનો અલગ થઇ રહ્યા છે, બધા નહીં. જેટલા અલગ થઇ રહ્યા છે એનાં કરતાં ભારતમાં રહેનારા મુસલમાનોની સંખ્યા વધુ છે. માટે આને કોમી વિભાજન ન કહેવાય પણ કેટલાક લોકોએ કરેલો નોખો ચોકો કહેવાય.

ઝીણા તેમની દલીલ પર કાયમ હતા અને આગ્રહી હતા. જો વિભાજનને કોમી અને અનિવાર્ય ગણાવી શકાય તો પાકિસ્તાનની પ્રાસંગિકતા સિદ્ધ કરી શકાય અને પોતાને ભારતનાં ભાગલા કરનારા વિલનના કલંકથી બચાવી શકાય. માત્ર વિનાયક દામોદર સાવરકર અને તેમની હિન્દુ મહાસભાએ ઝીણાની દલીલને ટેકો આપ્યો હતો. હકીકતમાં ઝીણાએ કરેલી દલીલો સાવરકરે ઝીણા કરતાં ત્રણ વરસ પહેલાં ૧૯૩૭ની સાલમાં કરી હતી.

ખેર, ત્રીજી જૂન ૧૯૪૭ના રોજ ભારતનાં ભાગલાની જાહેરાત કરાઈ. વિભાજનની વિગતો નક્કી કરવા કાઁગ્રેસ, મુસ્લિમ લીગ અને અકાલી દળના નેતાઓની બેઠક લૉર્ડ માઉન્ટબેટનની અધ્યક્ષતામાં લગભગ રોજેરોજ મળવા લાગી. આગળ કહ્યું એમ ઝીણા વિભાજનને કોમી, સંપૂર્ણ અને અનિવાર્ય તરીકે ગણાવવા માગતા હતા. માટે એ બેઠકમાં તેમણે માગણી કરી કે વિભાજનને કારણે અત્યાર સુધી વિશ્વમાં પ્રસિદ્ધ જૂના અવિભાજીત ઇન્ડિયાનો અંત આવે છે. એટલે હવે પછી ભારત કે નવો અસ્તિત્વમાં આવી રહેલો દેશ પોતાને ઇન્ડિયા તરીકે નહીં ઓળખાવે. વિભાજન સાથે ઇન્ડિયાનો અંત આવે છે અને હવે પછી મુસલમાનોનો દેશ પાકિસ્તાન તરીકે અને હિંદુઓનો દેશ હિન્દુસ્તાન તરીકે ઓળખાશે.

તરત સરદાર વલ્લભભાઈ પટેલ (જી હા, સરદાર) તાડુક્યા : નહીં મિ. ઝીણા, તમે અને કેટલાક મુસલમાનો અલગ થઈ રહ્યા છો, ઇન્ડિયાનું વિભાજન નથી થઈ રહ્યું. ઇન્ડિયા હતું, છે અને હશે. ભારત વિશ્વમાં ઇન્ડિયા તરીકે ઓળખાશે અને દેશમાં ભારત તરીકે અને પછી ઇન્ડિયા ધેટ ઈઝ ભારતનો પ્રસિદ્ધ પ્રયોગ કર્યો. ભારત નામ અપનાવવા પાછળનું કારણ એ નહોતું કે એ પ્રાચીન નામ છે, પણ એટલા માટે કે એ સેક્યુલર નામ છે. એમ તો હિન્દુસ્તાન નામ એક જમાનામાં દરેક કોમનો સમાવેશ કરનારું સેક્યુલર નામ હતું અને લોકજીભે ચડેલું હતું, પણ બન્ને પ્રકારના કોમવાદીઓએ તેને કોમવાદી બનાવી દીધું હતું. એટલે તો ઝીણા ઇચ્છતા હતા કે ભારત ઇન્ડિયા કે ભારતની જગ્યાએ હિન્દુસ્તાન તરીકે ઓળખાય. હિંદુઓનો દેશ એટલે હિન્દુસ્તાન. પણ સરદારે ઇન્ડિયા ધેટ ઈઝ ભારત કહીને ઝીણાની રમત પર પાણી ફેરવી દીધું હતું.

ઇન્ડિયા નામ સામે શું વાંધો છે? એ અંગ્રેજોએ પાડેલું નામ નથી કે તેમાં ગુલામીની ગંધ આવે. બીજું જેઓ ગુલામી સામે લડ્યા અને દેશને મુક્ત કર્યો એ લોકોને ઇન્ડિયા સામે કોઈ વાંધો નથી તો ગુલામી સામે જેઓ લડ્યા પણ નથી તેમને સંસ્થાનવાદની પીડા ક્યારથી સતાવવા લાગી! ઇન્ડિયા, હિંદુ, હિન્દી, હિન્દ આ દરેક શબ્દનાં મૂળ સિંધુ નદી સાથે જોડાયેલાં છે. સિંધુની પૂર્વેનો દેશ અને પ્રજાને આ બધા નામે ઓળખવામાં આવતા હતા. ગ્રીક સામ્રાજ્યના સમયથી આ બધી ઓળખો અને નામ પ્રચલિત થવાં લાગ્યાં હતાં. રહી વાત ભારતની તો ઇતિહાસમાં ક્યારે ય આજે જે સ્વરૂપમાં આપણે ભારત તરીકે ઓળખાવીએ છીએ એ સ્વરૂપમાં ક્યારે ય અસ્તિત્વમાં નહોતું. પેશાવરથી ઇમ્ફાલ સુધી અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી વિસ્તરેલું અવિભાજિત ભારત અંગ્રેજોએ બનાવ્યું હતું જે ઇન્ડિયા તરીકે ઓળખાય છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 17 સપ્ટેમ્બર 2023

Loading

બાળકની પજવણી વિશેનું એક પુસ્તક, અને પર્યાવરણ વિશેનું બીજું 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|17 September 2023

પુસ્તક પરિચય 

‘પરીકથામાં પંક્ચર’ અત્યારના સાયબરસમયમાં બધી ઉંમરના વાચકોને મજા પડે, તેમને જાણવા અને શીખવા મળે તેવી કિશોરકથા છે. લેખિકાઓ તેજલ શાહ  અને અર્ચિતા પંડ્યાને નવા ડિજિટલ જમાનાનાં પાત્રો અને વર્ચ્યુઅલ વર્લ્ડની સામગ્રી લઈને વાર્તા કહેવાનું સરસ ફાવ્યું છે. તેમણે સાયન્સ ફૅન્ટસી અને ઇન્ટરનેટના સમયમાં ઉછરી રહેલાં ઉપલા મધ્યમવર્ગના બાળપણની વાસ્તવિકતાનો તાજગીસભર સુમેળ સાધ્યો છે. એટલે તેમાં મોબાઈલ, ચૅટિન્ગ, ગેમિંગ, ક્લિપ્સ, યુ-ટ્યુબ ચૅનલ્સ, ફૅનફૉલોઇંગ, લાઇક્સ, ટ્રોલ્સ, વેબપેજ ડિઝાઇનિંગ, મૉર્ફિંગ ને એ બધાની આખી દુનિયાનો ‘ઓમ ઇગ્નોરાય નમ:’ મંત્ર સાથે, સહજ રીતે સમાવેશ થયો છે.

સ્કૂલ બસમાં બેસીને એક ઢબૂડી પહેલાં દિવસે ખુશીથી નિશાળે બેસે છે ત્યારથી લઈને તે મિડલ સ્કૂલમાં એથિકલ હૅકિંગથી સોશ્યલ મીડિયા બુલિને પકડી પાડતી કિશોરી તરીકે આગળ આવે છે ત્યાં સુધીની સ્ટોરી વાચક છેક સુધી વાંચતા રહે તે રીતે કહેવાઈ છે. વળી, નવા જમાનાની, સમજદાર માતાની ભાવનાશાળી છતાં ય ચાલાક એવી આ દીકરીના મુખે વાર્તા કહેવાઈ છે. આ નાનકડી અને સરસ રીતે વિકાસ પામતી નૅરેટરની જિંદગીના એક અંશ(a slice of life)ના કેટલાં ય પાસાં લેખિકાઓએ રમણીય અને પ્રતીતિજનક રીતે નિરૂપ્યાં છે. કથકનાં મા-બાપ, મિત્રો, શિક્ષકો, શાળાના કર્મચારીઓ એવા કેટલાં ય પાત્રો મળે છે. તેમાં છોકરા-છોકરીઓની મિત્રમંડળી અને તેમની નાનકડી દુનિયા, શાળા અને રૅન્કિ-ફ્રૅન્કિ ફૂડ કૉર્નર સહિત, સરસ રીતે ઊભી કરવામાં આવી છે. મા-બાપ અને શિક્ષકોની ખૂબીઓ અને ખામીઓ તરફ ઇશારો છે. સહુથી નોખું પાત્ર તે પરગ્રહવાસી-એલિયન વિન્સી. તેનાં કુળમૂળ જ નહીં પણ તેનાં દેખાવ-સ્વભાવ-પ્રભાવનું પણ આકર્ષક ચિત્રણ છે. પુસ્તકની ભાષામાં કહેવતો સહિતની બોલચાલની સુઘડ ગુજરાતી અને અનિવાર્યપણે ડિજિટલ વત્તા સોશ્યલ મિડિયાના શબ્દોનું નોંધપાત્ર સંતુલન છે. વાર્તાના દરેક પાનાના બંને હાંસિયામાં તે પાનાંમાં જેનો ઉલ્લેખ તેમાંથી એકાદ-બે પાત્રો અને વસ્તુઓના અનામી કલાકારે કરેલાં ચિત્રો પુસ્તકને અનોખી જીવંતતા આપે છે.

 ‘એક ચુલબુલી કથા’ એવું પુસ્તકના પેટા-નામ પુસ્તકનો વિષય સૂચવે છે. શાળામાં બાળકનું ‘બુલિંગ’ એટલે કે તેની થતી પજવણીની સમસ્યા પુસ્તકનો વિષય છે. પ્રસ્તાવનામાં બુલિંગની ઘાતક અસરોનો ઉલ્લેખ કરીને લેખિકાઓ તેની સાથે સોશ્યલ મીડિયાના શાળાજીવન સંદર્ભે લેખાંજોખાંને પણ સમાવે છે. અંતે તેઓ લખે છે : અમે સહાયના આશયથી ‘બુલી’ જેવા ભારેખમ વિષયને વાર્તામાં ઢાળીને લોકો સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ હાથ ધર્યો છે.’

•••

‘પર્યાવરણ અને તેનું રક્ષણ’ પુસ્તકમાં લોકવિજ્ઞાન(પૉપ્યુલર સાયન્સ)ના જાણીતા લેખક કિશોર પંડ્યાએ ખૂબ સરળ અને લાઘવપૂર્ણ ભાષામાં વિષયની સમજ આપી છે. પુસ્તકના પહેલાં ત્રણ પ્રકરણમાં પર્યાવરણની વ્યાખ્યાઓ આપીને તેના ઘટકોને આકૃતિ સાથે વિશદ કરવામાં આવ્યા છે. પર્યાવરણ અને નિવસનતંત્ર વચ્ચેની ટૂંકમાં સમજ ત્રીજા પ્રકરણમાં છે. ત્યાર બાદ પર્યાવરણ પરિવર્તન અને તેની અસરો તેમ જ ભારતના સંદર્ભે તેના પડકારો વિશે વાંચવા મળે છે. પર્યાવરણ અભ્યાસશાખા અંગેના બે પ્રકરણો બાદ ચાર પ્રકરણો સંરક્ષણ પ્રદૂષણ સહિતની પર્યાવરણ સમસ્યાઓ અને તેના ઉકેલ તરીકે પર્યાવરણ સંરક્ષણ માટે ફાળવવામાં આવ્યાં છે. લેખકે કુદરતને જાળવવા અને ફેલાવવા માટેના રોજબરોજના વ્યવહારુ સૂચનો પણ આપ્યાં છે. કવિ ઝીણાભાઈ દેસાઈએ લખેલું  ‘વૃક્ષારોપણ ગીત’ અને પુસ્તકને અંતે મળતું ‘પર્યાવરણ પ્રમાણપત્ર’ હૃદયસ્પર્શી છે.

પુસ્તકમાંથી મળતી વિશિષ્ટ માહિતીના ઘણાં દૃષ્ટાંતો આપી શકાય. ફિલિપાઇન્સમાં દરેક વિદ્યાર્થીએ શાળા કે કૉલેજનું પ્રમાણપત્ર મેળવતાં પહેલાં દસ સ્થાનિક વૃક્ષો રોપીને તેની સંભાળ રાખવાની હોય છે. પર્યાવરણનો અભ્યાસ કર્યો હોય તેવા ‘ઇકોલૉજિસ્ટ’, વૃક્ષોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ પુન:સ્થાપિત કરનાર ‘રિસ્ટોરેશન ઇકોલૉજિસ્ટ’ અને વાતાવરણમાં થતા ફેરફારને કારણે આવી પડનાર જોખમોથી લોકોને માહિતગાર કરનાર ‘એન્વાયર્નમેન્ટલ બાયોલોજિસ્ટ’ની વ્યાવસાયિક કારકિર્દી માટેના અભ્યાસક્રમો ભારતમાં ચાલે છે. વાયુપ્રદૂષણને કારણે દેશના 36 શહેરોમાં દર વર્ષે 51,779 લોકો અકાળે મૃત્યુ પામે છે. એક અંદાજ મુજબ પ્રદૂષણને કારણે દરરોજ લગભગ 150 લોકો મૃત્યુ પામે છે. ભારતમાં 20 હજારથી વધુ પ્લાસ્ટિક રિસાયકલિન્ગ એકમો છે. દિલ્હીની નંદનગરી પડોશમાં પ્લાસ્ટિક રિસાયકલિંગ માટે  એશિયાનું  સૌથી મોટું કેન્દ્ર છે. અહીં દરરોજ દસ લાખ કિલો (એક હજાર ટન) પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરવામાં આવે છે. એક વૃક્ષ વર્ષમાં 20 કિલો ધૂળ શોષે છે. એક વૃક્ષ દર વર્ષે આશરે 700 કિલો ઑક્સિજન ઉત્સર્જન કરે છે, બજારમાં 2.5 કિલોગ્રામ ઑક્સિજનની કિંમત અંદાજે 6,500 રૂપિયા છે. તે દર વર્ષે 20 હજાર કિલો (20 ટન) કાર્બન ડાયોક્સાઈડ શોષે છે અને દરરોજ રાત્રે આશરે 10 ગ્રામ પ્રમાણે વર્ષમાં પોણા ચાર કિલો જેટલો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે.

[820 શબ્દો]

—‌‌‌———————————————————————–

● પરીકથામાં પંક્ચર : એક ચુલબુલી કથા 

પ્રકાશક : Zen Opus, અમદાવાદ, પાનાં 103, કિ. 225/- સંપર્ક 079 2656112, 400081112 contact@zenopus.in  / www.zenopus.in 

●પર્યાવરણ અને તેનું રક્ષણ

પ્રકાશક : અવનિકા પ્રકાશન, અમદાવાદ, પાનાં 96, કિ. 160/- 

સંપર્ક : 9879001081

પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 17 સપ્ટેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...102030...854855856857...860870880...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved