Opinion Magazine
Number of visits: 9457765
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, હરારી પાસે -23 : ડેટા આપમૅળે

સુમન શાહ|Opinion - Opinion|19 September 2023

સુમન શાહ

’એ.આઈ.’ આપમૅળે ડેટા કલેક્ટ કરી શકે છે; અનેક રીતે કરી શકે છે :

એક તો, Web scraping -થી. વિવિધ વેબસાઇટો પરથી ડેટા ખૅંચી શકાય એવી પ્રક્રિયા ઊભી કરવા માટે ‘એ.આઈ.’-નો વિનિયોગ થાય છે. એ પ્રક્રિયાને ‘એ.આઈ.’ ઑટોમેટ કરી આપે, સ્વયંચાલિત; એથી એક વેબસ્ક્રૅપર સરજાય ને સ્ક્રૅપિન્ગનું કામ  કરતું રહે. એ પ્રકારે ડેટા આપોઆપ મળ્યા કરે. માણસ માટે આ કામ કંટાળાભર્યું છે, સમય ખાનારું ય છે !

એક દાખલો જોડી કાઢવાની કોશિશ કરું : કોઈ એક ઍમેઝોન જેવી ઇ-કૉમર્સ વેબસાઈટ હોય, વેબસ્ક્રૅપર ત્યાંની પ્રોડક્ટનું નામ, તેની વીગતો, તેનો ભાવ તેમ જ ગ્રાહકોએ આપેલા રીવ્યૂઝ ખૅંચી લે. એ ડેટા ડેટાબેઝમાં સચવાય, એ ડેટાબેઝને સ્પ્રેડશીટ પણ કહેવાય છે. એના વપરાશથી ભાવતાલની સરખામણી કરી શકાય છે, ઑનલાઇન ગ્રાહકસેવાઓને લોકપ્રિય બનાવી શકાય છે. આપણે ઑનલાઇન ખરીદવા જઇએ છીએ ત્યારે આ બધું બનતું જ હોય છે.

‘એ.આઈ.’ Sensors-થી ડેટા એકત્ર કરી શકે છે. કૅમેરા, માઇક્રોફોન, જી.પી.ઍસ. વગેરે સૅન્સર્સ છે. એ ડેટા વડે ગતિવિધિઓ જાણી શકાય છે, વસ્તુઓની ઓળખ મેળવી શકાય છે, પર્યાવરણની સ્થિતિ-પરિસ્થિતિઓને માપી શકાય છે.

ડેટા કલેક્ટ કરવા માટેની એક પ્રક્રિયાને Image recognition કહે છે. વસ્તુઓને એમની છબિઓ – ફોટોઝ – પરથી ઓળખી લઈને અને એ રીતે ડેટા મેળવવાની પ્રક્રિયા. એ પ્રક્રિયાને ‘એ.આઈ.’ ઑટોમેટ કરી આપે, સ્વયંચાલિત, જેથી પછી આપણી આસપાસની દુનિયામાંથી ડેટા મળ્યા કરે.

એ કેવી રીતે તે સમજવા જેવું છે : એક ઇમેજ રૅકગ્નિશન મૉડેલ તૈયાર કરાય છે. પ્રાણીઓના, છોડવાઓના કે વાહનોના એમ વિવિધ વસ્તુઓના ફોટોઝ ઓળખી શકે તે માટે એને તાલીમ અપાય છે. મૉડેલ એ શીખી જાય એટલે પછી વસ્તુઓના નવા ફોટોઝને ઓળખી શકે છે અને એ રીતે પછી એને વપરાશમાં લેવાય છે.

દાખલા તરીકે, એક વનનો ફોટો લેવામાં આવે. એને ઇમેજ રૅકગ્નિશન મૉડેલ પર અપલોડ કરવામાં આવે. મૉડેલ વનનાં જુદાં જુદાં વૃક્ષોને ઓળખી બતાવે, અને એ દરેક જાતનાં વૃક્ષની સંખ્યા સાથેની યાદી રીટર્ન કરે. એટલે પછી સમયાન્તરે એ ડેટાનો વનનાં વૃક્ષપ્રકારો અને સંખ્યા જાણવા માટે કે વનની બાયોડાયવર્સિટીના અધ્યયનમાં વિનિયોગ કરી શકાય.

વિવિધ આધારસ્રોતોમાંથી ડેટા મેળવવા માટે પ્રયોજાતું એ એક સમર્થ ઑજાર છે. ટ્રાન્સપોર્ટેશનમાં અને હૅલ્થકેઅરમાં એનો વિનિયોગ ઘણો લાભદાયી પુરવાર થયો છે.

ટેસ્લા જેવી સૅલ્ફ-ડ્રાઇવિન્ગ કાર કે એવાં અન્ય વાહનો માટે આ ઇમેઝ રૅકગ્નિશનનો વિનિયોગ થાય છે. એ ફોટોઝનો ઉપયોગ કરીને એ વાહનો પોતાની આસપાસની કારોને, પદયાત્રીઓને અને ટ્રાફીક સિગ્નલ્સને ઓળખી લે છે. તે પછી એ માહિતી સલામત કારનૅવિગેશન માટે વપરાય છે.

MRI એટલે મૅગ્નેટિક રીઝોનન્સ ઇમેજિન્ગ. એ મશીન મૅડિકલ ઇમેજીસ બનાવી આપે. એ ઇમેજિસ વડે ઇમેજ રૅકગ્નિશન મૉડેલને વિવિધ પ્રકારના શારીરિક દોષ કે રોગચિહ્નો અંગે તાલીમ અપાઈ હોય છે. પછી એ માહિતી રોગનિદાન તેમ જ રોગનિવારણ માટે વપરાય છે.

વિચારો કે બ્રેઇન ટ્યુમર, કૅન્સર, હાર્ટ ડીસીઝ, લિવર ડીસીઝ, મલ્ટિપલ સ્ક્લેરોસિસ કે સ્ટ્રોક જેવી મહા ભયાનક બીમારીઓની આટલી સુવિશદ અને કાર્યકર માહિતી આ ‘એ.આઈ.’ વિના શી રીતે મળવાની હતી?

‘એ.આઈ.’ Natural language processing (NLP) વડે પણ ડેટા મેળવી શકે છે. માનવભાષાનું વિશ્લેષણ અને તેને વિશેની સમજ માટેની છે આ પ્રક્રિયા. એ પ્રક્રિયાને ‘એ.આઈ.’ ઑટોમેટ કરી આપે, સ્વયંચાલિત, જેથી ભાષિક ટૅક્સ્ટ ડૉક્યુમૅન્ટ્સમાંથી ડેટા મળતો થાય.

આ પ્રક્રિયા ગ્રાહકોએ કરેલા રીવ્યુઝમાં રહેલાં કડવાંમીઠાં સંવેદનોના વિશ્લેષણ માટે પણ પ્રયોજાય છે. પછી એ માહિતી ઉત્પાદનો અને ગ્રાહકસેવાઓની સુધારણા માટે અને સરવાળે ગ્રાહકના સંતોષ માટે વપરાતી હોય છે.

પણ આપણે સાહિત્યકારો સાહિત્યકૃતિઓ અને સાહિત્યકારોની સૃષ્ટિઓ સંદર્ભે  NLP-નો સરસ વિનિયોગ કરી શકીએ.

યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયા, બર્કલિના સંશોધકો શેક્સપીયરની સૃષ્ટિના વિશ્લેષણ માટે એનો વિનિયોગ કરી રહ્યા છે. આ ટૅક્નિકથી તેઓ શેક્સપીયરની ભાષામાં રહેલી પૅટર્ન્સ શોધી રહ્યા છે, જેમ કે, કયા શબ્દો શેક્સપીયરે વારંવાર વાપર્યા છે, કેવા કેવા પ્રકારનાં વાક્યો રચ્યાં છે, સંદર્ભ બદલાય ત્યારે શેક્સપીયર ભાષાને કેવી કેવી જુદી રીતે પ્રયોજે છે. વગેરે.

ધારો કે, પી.એચડી. પદવી માટે અધ્યયન કરવા આવેલા કોઈ વિદ્યાર્થીને હું “જનાન્તિકે”-માં સુરેશ જોષીએ પ્રયોજેલા અલંકારોની ભૂમિકાએ એમની શૈલી વિશે થીસીસ લખવા કહું, અને એ જો આ NLP-નો વિનોયોગ કરે, તો હું માનું છું કે એના શોધકાર્યનો પાયો ઘણો જ નક્કર બની આવે. એ પાયા પરથી એ આગળ ધપે અને જે વર્ગીકરણ, તારણ, વિવરણ અને મૂલ્યાંકન કરે તે શ્રદ્ધેય હોવાનો સંભવ વધી જાય. કેમ કે એ પાયો ‘એ.આઈ.’-સંલગ્ન ડેટાબેઝ હોય છે, જેમાં ભૂલ થવાની શક્યતા નહિવત્ હોય છે.

મને કલ્પના આવે છે કે ધડ-માથા વિનાના શોધનિબન્ધોના નાશની ઘડીઓ ગણાઈ રહી છે. મારી પાક્કી ધારણા છે કે નવી પેઢી ‘એ.આઈ.’-વિમુખ નહીં જ હોય.

= = =

(09/19/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

“દૈનિક પત્રકારત્વ પોતાના ધ્વંસ પર જાહેર પ્રજાની રસવૃત્તિને ચણે છે” : મેઘાણી

કિરણ કાપૂરે|Opinion - Opinion|18 September 2023

મેઘાણીની જન્મજંયતી વિશેષ :

ઝવેરચંદ મેઘાણી

સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનો જન્મ પત્રકારત્વ થકી થયો અને તે વિશે તેઓએ આપેલું નિવેદન તેમના ‘પરિભ્રમણ-2’ નામનાં ગ્રંથમાં નોંધાયેલું છે. મેઘાણી લખે છે : “1922માં હું દિશાશૂન્ય હતો. કલકત્તાની નોકરી છોડીને કાઠિયાવાડમાં આવ્યો હતો. સ્થિર થવું હતું. ખેતીના ઉદ્યામા ચડ્યા, વ્યાપારી સ્વજનો વ્યાપાર તરફ ખેંચવા લાગ્યા. દેશી રજવાડાની નોકરી પણ બહુ દૂર નહોતી. સહુ કોઈ ભાંગ્યાના ભેરુ જેવી શિક્ષણની નોકરી તો સામે જ ઊભી હતી.”

“ખરાબા ચડેલા નાવને મારા બે-ત્રણ લેખોએ બચાવ્યું. ‘અમર રસની પ્યાલી’ ‘ચોરાનો પોકાર’ વગેરે લેખો ‘સૌરાષ્ટ્ર’ પત્ર પર ગયા, છપાયા અને તે પરથી ભાઈશ્રી અમૃતલાલ શેઠે મારો ડૂબતાનો હાથ ઝાલ્યો.” આગળ તેઓ અમૃતલાલ શેઠ વિશે લખે છે : “અમૃતલાલ શેઠ પત્રકાર બન્યાને ત્યારે નવ જ મહિના થયેલા. એમના સ્વયંસ્ફુરિત પત્રકારત્વે ગુજરાતમાં નવી ભાત પાડી હતી. સૌરાષ્ટ્ર લેખનશૈલી આજે જૂની થઈ છે, ચવાઈ ચવાઈ છોતાં જ રહ્યાં છે એનાં; એમાંથી સ્વાભાવિકતાનો આત્મા ગયો છે, પણ 1921-1922માં એ શૈલી લોકોને મુગ્ધ કરતી … શ્રી શેઠ પત્રકાર બન્યા તે પૂર્વે ઘણાં વર્ષના જૂના સાહિત્યસેવી હતા. કવિ પણ હતા. ‘ચાલો વ્હાલી, જગતભરના ભોગમોજો ત્યજી દો!’ એ મંદાક્રાન્તા કાવ્યના કર્તા શેઠ છે એવું તો એ કાવ્ય પર અનુરાગ થયા પછી મેં આઠેક વર્ષે જાણેલું. આ સાહિત્યપ્રેમી જ શેઠના પત્રકારત્વને ભાષાવૈભવ, ઊર્મિરંગો અને કલ્પનાયુક્ત કલાવિધાન ચડાવ્યું.”

અમૃતલાલ શેઠ

જે ઉદ્દેશ્યથી મેઘાણીને અમૃતલાલ શેઠ લાવ્યા તે વિશે તેઓ આગળ લખે છે : “મને તેડ્યો હતો સાહિત્યની શાખા ચલાવવા. પણ પત્રકારત્વથી નિર્લેપ રહી શકું તેવી બંધિયાર કુંડીએ બાંધેલી એ બન્ને પૃથ્થક શાખાઓ નહોતી. હું બેઉ ક્ષેત્રમાં રમણ કરતો થયો.” જો કે પછી એ લખે છે : “નવો મોહ પાતળો પડી જતાં ક્રમેક્રમે પત્રકારત્વ મને વેરાનરૂપ લાગ્યું. એ વેરાનમાં રેતીના વંટોળ ચડતા હતા. આંખો અંધી બનતી હતી. પગદંડીઓ નહોતી જડતી. કોને માટે, શાને માટે, કયા લોકશ્રેયાર્થે હું અગ્રલેખો ને નોંધો, સમાચારો ને પત્રો લખતો હતો તેનો આજે વિચાર કરું છું ત્યારે જવાબ ફક્ત એટલો જ જડે છે કે લખવાનું હતું માટે લખતો હતો.” તે પછી મેઘાણીની પત્રકારત્વ થકી સાહિત્યયાત્રા ‘ફૂલછાબ’થી આગળ વધી અને જ્યારે “ફૂલછાબ’ને સૌરાષ્ટ્રના રાજરંગોમાં ઝબકોળવાનું ઠર્યુ. મેં ખસી મારગ આપ્યો.” તેમ મેઘાણી લખે છે. તે પછી તેમની આ યાત્રા અમૃતલાલ શેઠના ‘જન્મભૂમિ’માં આરંભાઈ અને મેઘાણી તે વિશે નોંધે છે કે, “’જન્મભૂમિ’ના દૈનિક-સંપાદન પર જોડ્યો. એમાં ય એમણે મને મારી ઝીણી બત્તી અજવાળી શકે તેટલા પૂરતો જ સાહિત્ય-ખૂણો પકડવાની અનુકૂલતા કરી આપી.” આ સફર પછી તેમનું નિવેદન : “હમેશાં સાંજના એકાદ-બે કલાકના જીવન પછી પસ્તીના ઢગલામાં પડી જતું દૈનિક પત્રકારત્વ પોતાના ધ્વંસ પર જાહેર પ્રજાની રસવૃત્તિને ચણે છે. … આજનું આપણું રોજિંદું પત્રકારત્વ દેકારાની દશાને પામ્યું છે, ‘આવતી-કાલ’ની નવરચાનામાં નહીં. તેઓ માનતા જણાય છે કે રાજદ્વારી છમકલાં છાપવાથી અને લીંબરડી-પીપરડી ગામોના ખળાવડોના હવાલદારની ખબર લઈ નાખવાથી જ લોકો વાંચવા લોભાય છે; સાહિત્યનું પાનું તો જાણે પચીસ-પચાસ વ્યક્તિઓના વિલાસની વસ્તુ છે. આવી માન્યતાઓ જ દૈનિક પત્રકારત્વને શુષ્ક, શૂન્ય, સળગતા વેરાનનું સ્વરૂપ આપનારી છે. આવી માન્યતાઓએ જ પત્રકારત્વની ચેતના-વિદ્યુતને કેવળ સંહાર માટે, તમતમાટને માટે, ભજિયાં તળવાના તાવડા તપાવવા માટે નિયોજી છે. એ એક વિકૃત અને વિઘાતક માન્યતા છે.”

મેઘાણીએ આજથી નવ દાયકા પહેલાં લખેલી વાત પણ કેટલી પ્રસ્તુત ભાસી રહી છે. તેઓ લખે છે કે, “રતીભાર સત્ય અને ખાંડી ખાંડી પ્રચારવેગ, પ્રજાના ચિરસ્થાયી વિચારભાવોને ઉવેખી કેવળ ક્ષણિક આવેશોનો જ ભડકો, સ્વતંત્ર તુલનાશક્તિનો હ્રાસ કરી ઉત્તેજના મૂકવાની જ રમણલીલા, એ કંઈ રોજિંદા પત્રકારત્વના ન નિવારી શકાય તેવા અનર્થો નથી. સાહિત્યદૃષ્ટિ પત્રકારત્વની શત્રુ નથી. દરેક લખાણ, છાપાનું કે ચોપડીનું જેટલું સાહિત્યરંગી બનશે, તેટલી એની ચોટ વધશે, એની માર્મિકતાને નવી ધાર ચડશે.”

સાહિત્ય અને પત્રકારત્વને જોડતાં તેમના લખાણો આ બંને શાખાઓ વિશેનો ઉઘાડ કરી આપે છે. ‘પત્રકારત્વ : સાહિત્યનું સબળું અંગ’માં તેઓ લખે છે : “પત્રકારત્વને સાહિત્યનું નબળું અંગ ગણનારાઓ પાસે મોટામાં મોટી દલીલ એ હોય છે કે પત્રોમાં આવેલું લેખન પુખ્તપણે વિચાર્યા વગરનું અને ત્વરિત ગતિએ લખાયેલું હોય છે.

“આવી દલીલ કરનારા ભૂલી જાય છે કે નર્યા સાહિત્યકારોમાંના ઘણાના સર્જન પત્રકાર કરતાં પણ વધુ ત્વરિત ગતિએ લખાયેલાં હોય છે. શ્રી ક.મા. મુનશી જેવા કેટલા ય સાહિત્યકારોનાં પોતાનાં ખૂબ પ્રશંસા પામેલાં પુસ્તકો પણ એક બાજુ કંપોઝ થતું હોય છે, ત્યારે બીજી બાજુ ઝડપથી તેમણે લખેલાં હોય છે. આજના યંત્રને, ગ્રાહકોને અને સમયને પહોંચી વળવા લગભગ દરેક સાહિત્યકારને પોતાના લેખનની ઝડપ વધારવી જ રહી …

“બીજી બાજુ જોઈએ તો સ્વ. લોકમાન્ય કે ગાંધીજી, મશરૂવાળા કે કાકા કાલેલકર, નવલરામ કે આચાર્ય આનંદશંકર ધ્રુવનાં સામયિકોમાં પ્રસિદ્ધ થયેલાં લેખો, ભાષણો કે નિવેદનો આજે પુસ્તકારૂઢ થવા પામ્યાં છે, એ જ એના પુરાવારૂપ છે કે પત્રકારત્વમાં સ્થાન પામતું બધું લખાણ અપરિપક્વ, વગર વિચાર્યું, અતિ ઉતાવળું અને ક્ષણજીવી હોય છે એમ ન કહી શકાય.” પત્રકારત્વ દ્વારા આમજનતાની જે સેવા થઈ છે તે વિશે તેઓ આગળ લખે છે : “પત્રકારત્વે આપણને નવા સર્જકો અને નવા વિવેચકો આપ્યા છે, નવા નવલકથાકારો અને નવા કવિઓ આપ્યા છે. પત્રકારત્વે એકલા લલિત વાંડ્મયને જ નહિ પણ સાહિત્યના બધા પ્રકારોને પોષી ઉત્તેજીને જે જ્ઞાન, જે વિદ્વતા, જે કલા ચોક્કસ વર્ગના ગણ્યાગાંઠ્યા લોકોના ભોગ સમાં હતાં એને બંધિયારપણામાંથી મુક્ત કરીને આમજનતા સુધી પહોંચાડ્યાં છે.”

‘પત્રકારની કબર ઉપર’ના મથાળેથી જે મેઘાણી લખે છે તે ખાસ વાંચવા જેવું છે. મેઘાણીશૈલીમાં લખાયેલું તે સાહિત્યની શરૂઆત આવી છે : “ઘણી સહેલાઈથી એ પૈસાદાર બની શક્યો હોત, પોતાના અખબારનું ધોરણ નીચું ઉતારે એટલી જ વાર હતી. પરંતુ એ લાલચની સામે થવા જેટલી ય જરૂર એને નહોતી પડી, કેમ કે ધક્કો મારીને કાઢવો પડે તેટલી એની નજીક જ કમાવવાનો વિચાર નહિ આવેલો ને! સળગતી પ્રામાણિકતા સેવનારો એ માનવ હતો એટલું કહેવું બસ નથી. એનામાં તો ઇજ્જતની વીરતા હતી” આ પછી તેઓ લખે છે : “જેઓની મૃત્યુ-ખાંભી ઉપર બેધડક આટલી પંક્તિઓ લખી શકીએ, તેવા પુરુષો આજની અખબારી દુનિયામાં ક્યાં છે? કેટલાક છે? થઈ ગયા છે કોઈ?” મેઘાણી જે પ્રશ્નો પૂછે છે તે સ્થિતિ તે સમય કરતાં વધુ ખરાબ થઈ છે. મેઘાણીનો આ લેખ ઇંગ્લેડના પત્રકાર સી.પી. સ્કોટને સમર્પિત છે. તેમાં મેઘાણીએ ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ અખબારમાં સ્કોટની તંત્રી તરીકેનું કાર્ય દર્શાવીને તેઓએ કેવી રીતે કાર્ય કરવું તે જાણે દિશાનિર્દેશ કરી આપ્યો છે. તંત્રી સ્કોટ વિશે તેઓ લખે છે : “લશ્કરી કડકાઈથી કામ લેતો છતાં તે કડકાઈને પોતાની શોભારૂપ ન સમજતો, શબ્દ કરતાં સૂચન વડે જ શાસન કરતો, સ્ટાફ પ્રત્યે સભ્ય તેમ જ ભદ્ર અને સ્વતંત્ર વિચારણાને, ટીકાને, વિરોધને વધાવતો, ચર્ચા માટે હંમેશાં તૈયાર, પોતાના સાથીઓના ઢચુપચુ નિર્ણયોને નાપસંદ કરનાર, જેવો પોતે આગ્રહી તેવો જ સામાના આગ્રહીપણાનો પ્રશંસક.”

“… કટ્ટર નિર્ણયબુદ્ધિ, એ હતી એના જીવનની ગુરુચાવી અને વિજયનું મર્મબિંદુ. વિચાર કરીને એકવાર લીધેલા નિર્ણયમાંથી ડગલું પણ ચારતવું, ન બીવું, વિરોધનો સામનો કરવા તત્પર રહેવું, મિત્રોની કે પ્રજાની ચાહે તેટલી મોટી ખફગી વહોરવાને ભોગે પણ નિર્ણયને વળગી રહેવું.” મેઘાણી જે પત્રકારત્વની ઉમેદ રાખે છે તે ઘટના આજે તો વધુ દુર્લભ બની છે.

(28 ઑગસ્ટ 2023)

મેઘાણીની જન્મજંયતિ વિશેષ: “દૈનિક પત્રકારત્વ પોતાના ધ્વંસ પર જાહેર પ્રજાની રસવૃત્તિને ચણે છે”: મેઘાણી

Loading

જીવ 

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|18 September 2023

પ્રીતમ લખલાણી

માણેકબા સ્વર્ગે સિઘાવ્યાં બાદ માઘવજી બાપાનું સ્થાન ફળિયે ઠૂંઠા થઈ ગયેલા આંબા તળે જ હતું. સવારસાંજ ચોરે દેવ દર્શન જાય, આટલી બઘી જ ઘડી આંબાને રેઢો મૂકે. બાકી દિ’ આખો આંબા નીચે ખાટલો ઢાળી ગામના સરખે સરખા ડોસા જોડે બીડીના કસ લેતાં અલકમલકની વાતોના ગપાટા મારતા બેઠા હોય.

દીકરા મોહનની વહુ કમળા આમ તો માઘવજી બાપાની લાજ કાઢતી. જમવા ટાણે ગામ આખું સાંભળે તેમ રાંઘણિયામાં રોટલા ઘડતી મોટા છોકરાને સાદ પાડી કહેતી, ‘અરે, મહેશ, બાપાને કહે કે, તમારા ભાઈબંઘોને હવે ઘરે તગડી મૂકો અને ઓસરીમાં ટળો તો મારી મા તમારી થાળી માંડે’.

વખતના માર્યા બિચારા માઘવજી બાપા મનમાં ને મનમાં નશીબને કોસતા, ‘જેવી પ્રભુ ની ઈચ્છા’, એમ કહીને મનને મનાવતા. વહુનો સાદ કાને પડતાં જ ખાટલેથી ઊભા થઈ ફળિયાની કુંડીએ હાથ પગ ઘોઈ, ઓસરીના એક ખૂણે પાથરેલ ગોદડી પર આવીને બેસે. કમળાવહુ મોઢું બગાડતી; જાણે શેરીના કૂતરાને રોટલો નાખતી હોય તેમ છણકો કરી, સસરાની થાળીમાં રોટલાનો ઘા કરતી, અને જેવી આવી હોય તેવી જ પાછી રાંઘણિયામાં જતી રહેતી.

કમળા વહુ પરણીને આવી ત્યારે તો શરૂઆતમાં માણેકબા અને માઘવજીબાપાનુ તેનાં સગાં માબાપ હોય તેમ ઘ્યાન રાખતી. કમળાનાં સાસુસસરા પ્રત્યેનાં પ્રેમ લાગણી જોઈ ગામ આખું માણેકબાને કહેતું, ‘અરે! માણેકમા, તમે તો કોઈક જન્મમાં પુણ્ય કર્યાં હશે, તે તમારા મોહનને આવી ભાગ્યલક્ષ્મી મળી, પણ એક નાનકડી બાબતમાં સસરા-વહુ વચ્ચે મન દુઃખ થઈ ગયું. કમળાએ રાઈ જેવી વાતને પહાડ જેવું સ્વરુપ આપી દીઘું!’

કમળાની ઈચ્છા હતી કે મોટા દીકરા મહેશને પરણાવી ફળિયામાં પોતાની મેડી સામે એકાદ બે ખોરડાવાળું નાનું મકાન ચણાવી આપી, વહુ-દીકરાને નોખાં કરી આંખ સામે રાખવાં.

એક સાંજે ફાનસના અજવાળે ઓસરીના એક ખૂણે બીડી વાળતા મોહને, કમળાના શીખવાડ્યા પ્રમાણે બાપાને કહ્યું, ‘બાપા, હવે આપણો મહેશ પરણાવવા જેવડો થયો છે, તો કયાંક સારું એવું ખોરડું જોઈ, વાજતે ગાજતે મહેશની જાનનાં ગાડાં જોડીએ.’

‘મોહન! આ બાબતમાં તું મને શું પૂછે છે? તને વહુને જ્યાં ઠીક લાગે ત્યાં ગામમાં મહેશની વાત કરી જુઓ. બઘું જ્યારે પાકે પાયે નકકી થઈ જાય ત્યારે તું મને વાત કર જે! માથે સાફો બાંઘી, જાનની આગળ સાબદો થઈને હું ઊભો રહી જઈશ.’

‘બાપા, તમારી બઘી વાત સાચી. કમળાની મનમાં એક ઈચ્છા છે, કે …..’ અને મોહનને મનમાં એક ક્ષણ માટે થયું કે, હવે જે વાત મારે કરવાની છે તે બાપાને કેમ કરીને કહું, મોહનને આમ વાત કરતો એકાએક અટકી ગયેલ જોઈ, ઓસરીના ઓટલે ફાટેલા ગોદડાને ટેભા મારતી કમળા વહુએ, લાજના છેડાને જરા એક કોર ખેંચી, મોહન પટેલની અઘૂરી વાતને પોતાના હાથમાં લીઘી. ‘બાપા, આપણે મહેશને પરણાવીએ એટલે આપણને આ મેડી નાની પડશે! આપણે તો સાંકડે-માંકડે આ મેડીમાં વર્ષો કાઢી નાખ્યાં પણ કોઈની પારકી જણીને ઘરે લાવ્યાં પછી આ ભંડકિયા જેવી મેડીમાં કેમ રખાય!’

‘અરે! દીકરા કમળા, આપણે એકાદ-બે ખોરડાની બીજી નાની એવી એક નવી મેડી ચણાવી નાખીશું! એમાં તે કંઈ મોટી વાત નથી. બે ત્રણ ઓરડાની મેડી ચણતાં કેટલી વાર. ગામમાં ક્યાં જમીનનો તોટો છે! બસ, તમે અને મોહન બન્ને મને હુકમ કરો એટલી જ વાર!’

‘પણ બાપા, મારી અને તમારા દીકરાની ઈચ્છા છે કે, ગામમાં બીજે કયાં ય જગ્યા લઈને મેડી ચણાવીએ તેના કરતાં, આ ફળિયામાં ઠૂંઠા થઈ ગયેલ આંબાને વઢાવી નાખીએ તો કેમ રહેશે? આ આંબો નથી આપતો ફળ કે નથી આપતો છાંયડો! વગર કારણે ફળિયામાં જગ્યા રોકે છે ને ઉપરથી દિ’ આખો કાગડાની ક્રાઉં ક્રાઉંથી માથું ખવાઈ જાય તે નોખું !’

આંખે આવેલ ઝળહળિયાંને ધોતિયાના છેડે લૂંછતા, માઘવજી બાપા બોલ્યા, ‘બેટા કમળા, તમારા વડસાસુ મને કહેતાં હતાં કે, માઘવ, તું જન્મ્યો તેના બે દિવસ બાદ તારા બાપુએ આ આંબાને ફળિયે રોપ્યો હતો. કમળા, હું તમને શું કહું? પણ મોહન તું કયાં બઘું નથી જાણતો! આ આંબાને છાંયડે શું શું નથી થયું? આપણા ખોરડે જ્યારે રૂડો પ્રસંગ આવ્યો ત્યારે તેના લીલા પાંદડે ઊંબરે, ડેલીએ જ નહીં પણ આખી શેરીમાં તોરણ બંઘાયા છે! તારી મા મારી હારે પરણીને પહેલ વહેલી આ આંબે આવી હતી. તારા લગ્નનો માંડવો, આ આંબાને છાંયડે જ નંખાયો હતો! તારી ચારે ય બે’નોની જાન મેં આ આંબા હેઠેથી જ વળાવી હતી … .અને મારાં માબાપ તેમ જ તારી માની નનામી પણ આ આંબા હેઠેથી જ ઊપડી હતી. દીકરા, તું જરા કમળાને સમજાવ કે જીવતા જીવ મારા હાથે આ ઘોર પાપ ન કરાવે. જે દિવસે મારો દેહ પડે અને મારી નનામી અહીંથી ઉપડે તે પછી તમારે જે કરવું હોઈ તે કરજો! પણ આ ઘડીએ તો ભગવાનને ખાતર બસ આ વિચારને માંડી વાળો. તમારે ગામમાં જ્યાં મેડી બાંઘવી હોય ત્યાં ખુશીથી બાંઘો! અને સાંભળો, જો તમારે બે પૈસાની અગવડ હોય તો ખુશીથી એક દસ બાર વીઘાનો ટુકડો વેચી નાખજો!’

બસ, આ દિવસથી કમળાવહુની આંખમાં માઘવજી બાપા એક કણાની જેમ ખૂંચવા માંડ્યા, લાગ મળતાં જ ડોસાને મેણાં-ટોણાં મારવાનું ચૂકે નહીં.

***********

હોળીના પાંચેક દિવસ પહેલાં કમળાએ મોહન પટેલને કહ્યું, ‘રેડિયો સાંભળ્યો? બે ચાર દહાડા માવઠું રહેવાનું છે. બાપાને કહો કે બે ચાર દહાડા મેડી પર સૂઈ જાય. આ ઉંમરે માંદા પડશે તો કોણ ચાકરી કરવાનું છે?’

મોહને બાપાને શાંતિથી કહ્યું, ‘બાપા, હોળીને કારણે તમને આંબાની ચિંતા છે. માવઠાને કારણે મને તમારી ચિંતા છે. આવા માવઠામાં તમને નથી લાગતું કે તમે મેડી પર સૂઈ જાઓ. ન કરે નારાયણ ને વરસાદ અને વંટોળમાં તમને કંઈ થઈ જાય તો હું ગામમાં કોઈને મોઢું બતાવવા જેવો નહીં રહું.’

મોહનની વાત માનીને માઘવજીબાપા માવઠાને લીઘે મેડી પર સૂઈ જાય પણ એમનો જીવ તો આંબામાં જ હોય. મોડી રાત સુઘી આંબાની ચિંતા કરતા સૂએ નહીં. અવારનવાર ઊઠીને નાનકડી બારીમાંથી ડોકિયું કરી આંબાને જોઈ લે. હોળીના આગલા દિવસે તો પવન અને વરસાદે માઝા મૂકી. ‘આવા તોફાનમાં કોણ બહાર નીકળે?’ એમ વિચારી માઘવજી બાપા રાત્રે શાંતિથી સૂતા.

રોજની જેમ આજે પણ ખેતર જતાં પહેલાં બાપા આંબા તળે ખાટલે બેઠા હશે. એમ વિચારી વહેલી સવારે શિરામણમાં રોટલો અને ચા આપવા મોહન પટેલ ઓસરીમાં આવ્યા અને એમની નજર ફળિયે જડાઈ ગઈ. ગામના છોકરાઓ કુહાડીથી જમીન દોસ્ત આંબાના કટકા કરી રહ્યા હતા. પાછળ ઉભેલ કમળાએ મોહન પટેલને હસતાં કહ્યું, ‘લાગે છે કે વંટોળમાં આંબો ઢળી પડયો હશે. છોકરાં ભલે, હોળી માટે લઈ જતાં. ચાલો, એક બલા ટળી.’

‘અરે, પણ તેં બાપાનો વિચાર કર્યો છે?’

‘એમાં શું વિચાર કરવાનો? ઠૂંઠા આંબાના દહાડા પૂરા થયા હશે!’

ફળિયે, માવઠાને કારણે ઢળી ગયેલ આંબાના દુઃખદ સમાચાર બાપાને આપવા મોહન પટેલ મેડી પર ગયા. બાપાના ઓરડાનું બારણું અંદરથી બંઘ હતું. જોરથી એક બે બૂમો પાડી. કંઈ જવાબ ન મળતાં એણે જોરથી એક પાટું મારીને બારણું તોડી નાખ્યું. અંદર પગ મૂકતાં હેબતાઈ ગયા. માઘવજી બાપા ચત્તાપટ જમીન પર પડયા હતા. એમનો હાથ પકડી ઢંઢોળ્યા. જાણે આંબાનું ઠુંઠું! મોહન પટેલ પળમાં સમજી ગયા. તેમણે બાપાના નામની એક મોટી પોક મૂકી. પોક સાંભળી મા-દીકરો ફળિયેથી મેડી પર દોડી આવ્યાં. બન્નેના પગ પણ જમીન સાથે જડાઈ ગયા. ઘડીક વારમાં ગામ આખામાં વાયુ વેગે બે વાત ફેલાઈ ગઈ. ગઈ રાત્રે વંટોળમાં માઘવજી બાપાના ફળિયે આંબો ઢળી પડયો અને સાથે જ માઘવજી બાપા કોઈને કંઈ કહ્યા વગર મોટે ગામતરે ચાલી નીકળ્યા.

હોળીની એ સાંજે ગામના પાદરમાં ઢોલ નગારાને અબીલ ગુલાલ સાથે હોળીમાં માઘવજી બાપાના ફળિયાનો આંબો બળી રહ્યો હતો, અને પાદરમાં વહેતી નદીના સામે કાંઠે સ્મશાનમાં ચિતા પર માઘવજી બાપાનો દેહ …..

E.mail : preetam.lakhlani@gmail.com

Loading

...102030...852853854855...860870880...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved