Opinion Magazine
Number of visits: 9560747
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આટલો રીઢો શિક્ષણ વિભાગ ગુજરાત સિવાય બીજે ક્યાં ય નહીં હોય …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|24 November 2023

રવીન્દ્ર પારેખ

જાડી ચામડી તો ઘણાંની હોય, પણ ગેંડાને શરમાવે એવી ચામડી ગુજરાતનાં શિક્ષણ વિભાગની છે. તેને સંભળાય છે બધું, પણ બહેરાશ કેળવેલી છે એટલે ન સાંભળવાનો અભિનય કરે છે. વિભાગમાં શેખચલ્લી કોણ નથી એની તપાસ કરાવાય તો કદાચ કોઈ બાકી ન રહે. વિભાગને રોજ જ શિક્ષણલક્ષી, પરીક્ષાલક્ષી એટેકો આવે છે ને એનો ભોગ શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ બને છે. આ વિભાગ ઘડીકમાં અભ્યાસક્રમ બદલે છે, તો ઘડીકમાં પ્રશ્નપત્રનું પ્રારૂપ બદલે છે. કાલના જ સમાચાર છે કે વિજ્ઞાન પ્રવાહના અંગ્રેજી પ્રથમનું પરિરૂપ બદલાયું. એમ.સી.ક્યૂ.માં કાવ્યના 20 ગુણના પ્રશ્નોને બદલે હવે 12 ગુણના પ્રશ્નો પુછાશે. આવું તો લગભગ રોજ થતું હોય છે ને તે પણ ચાલુ ટર્મમાં. વેકેશનમાં તો શિક્ષણ વિભાગ પણ રજા પર હોય છે એટલે ત્યારે તો કૈં થતું નથી. કાલની જ વાત છે કે સૂરતની શિક્ષણ સમિતિએ એક જ માલિકની જુદી જુદી ચાર કંપનીને કોન્ટ્રાક્ટ આપી કરોડોની લહાણી કરી. આખી સમિતિનો નિકાલ કરવાની જરૂર છે, પણ કરવાનું સરકારથી થતું નથી ને ન કરવાનું બધું જ થાય છે. આ ઓછું હોય તેમ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રીસર્ચ એન્ડ ટ્રેનિંગ-NCERTને રામાયણ-મહાભારત સ્કૂલોમાં ભણાવવાનો તુક્કો સૂઝ્યો છે ને તેની, ઉચ્ચ સ્તરીય સામાજિક વિજ્ઞાનની પેનલે ભલામણ કરી છે. પેનલે એવો પ્રસ્તાવ પણ મૂક્યો છે કે ભારતીય બંધારણની પ્રસ્તાવના વર્ગોની દીવાલો પર પ્રાદેશિક ભાષામાં લખવામાં આવે. કેટલા ય વર્ગોને તો દીવાલો જ નથી તે NCERT જાણે છે? ભલામણ તો એવી પણ છે કે પાઠ્યપુસ્તકોમાં હવે ઇન્ડિયાની જગ્યાએ ભારત છપાય. ઈસ્ટ ઈન્ડિયા કંપની અને પ્લાસીના યુદ્ધ પછી ‘ઇન્ડિયા’નો ઉપયોગ વધ્યો એ ખરું, પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાત આવે તો તેનું ‘પૂર્વ ભારત કંપની’ એમ કરીશું કે અંગ્રેજોનો, મોગલોનો ઇતિહાસ જ ભણવાનો નહીં આવે એવું આયોજન છે? ભવિષ્યમાં ‘ઇન્ડિયા ગેટ’, ‘ગેટ વે ઓફ ઇન્ડિયા’ ‘તાજમહાલ’ કે ‘લાલ કિલ્લા’ જેવું કોર્સમાં જ નહીં હોય એમ બને.

સમિતિનાં ચેરપર્સન સી.આઈ.આઇઝેકે ધોરણ 7થી 12નાં વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત શીખવવા પર ભાર મૂક્યો છે. એમનું માનવું છે કે આ ઉંમરે સ્વમાન, દેશભક્તિ અને રાષ્ટ્ર માટે ગૌરવના સંસ્કાર વિકસે છે. દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ભારત છોડીને અન્ય દેશનું નાગરિકત્વ મેળવવા મથે છે. તે એટલે કે તેમનામાં દેશભક્તિનો અભાવ છે. તેમનામાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે પ્રેમ વિકસે તો વિદેશી નાગરિકત્વ મેળવવાનો લોભ ઘટે. આઇઝેકે પ્રાચીન ઇતિહાસને બદલે ભવ્ય ઇતિહાસ દાખલ કરવાની ભલામણ પણ કરી છે. સમિતિએ વેદ, આયુર્વેદને સામેલ કરવાનું પણ સૂચવ્યું છે. આ પ્રસ્તાવ અગાઉ પણ NCERTએ મૂક્યો હતો, પણ હજી સુધી તેને મંજૂરી મળી નથી.

રામાયણ, મહાભારત, વેદ, આયુર્વેદ ભણાવાય તેની સામે તો શો વાંધો હોય, પણ સમિતિ સ્વતંત્ર નિર્ણયો લે એ અપેક્ષિત છે. આ બધું તે સરકારની ગુડબુકમાં રહેવા કરતી હોવાની શંકા પડે છે. ‘ઇન્ડિયા’નું ‘ભારત’ કરવાનું તેને વિપક્ષોએ I N D I A અપનાવ્યું તે પહેલાં સૂઝ્યું કે પછી, તેનો ખુલાસો થવો જોઈએ. આઇઝેકે પ્રાચીન ને બદલે ભવ્ય ઇતિહાસ દાખલ કરવાની ભલામણ કરી છે. ભવ્ય ઇતિહાસ અગાઉથી નક્કી કરીને રચાતો નથી ને પ્રાચીન ઇતિહાસમાં ભવ્ય કશું હતું જ નહીં એમ તો કોણ કહે?

રહી વાત રામાયણ-મહાભારત ભણાવવાના હેતુની, તો એ ભારોભાર શંકાસ્પદ છે. સમિતિનું માનવું છે કે વિદેશી નાગરિકત્વ માટે અરજી કરતાં ભારતીયોમાં દેશપ્રેમ નથી એટલે તેઓ વિદેશ સ્થાયી થવા મથે છે. તેમને રામાયણ-મહાભારતની ખબર હોય તો તેઓ આ દેશ છોડીને વિદેશ વસવાનું ન વિચારે. આ બરાબર નથી. શક્યતાઓ તો એવી વધુ છે કે રામાયણ-મહાભારત જાણે છે તે આ દેશ છોડવાનું વહેલું વિચારે. મહાકાવ્યોનાં જે આદર્શો, મૂલ્યો સ્થપાયાં છે, એનાથી ઊલટી દિશામાં દેશ અને શિક્ષણ ચાલતાં હોય એવી સ્થિતિ વધારે છે. શિક્ષિત યુવાનોમાં અગાઉ ક્યારે ય ન હતી એવી હતાશા અત્યારે છે. દેશને માટે કોઈ જ લાગણી ન થાય એ રીતે આજનું શિક્ષણ વિદ્યાર્થીઓ સાથે વર્તે છે. બધી યોગ્યતા છતાં શિક્ષણ પ્રવેશ કે નોકરીમાં અન્યાયની જે ભૂમિકામાં ભારત છે એવી ભૂમિકા, ભાગ્યે જ કોઈ દેશની હશે. જે દેશ તેનાં યુવાનો માટે યોગ્ય તક ઊભી ન કરી શકે, તે દેશ માટે યુવાનોને કેટલીક લાગણી બચે તે સમજી શકાય એવું છે. સ્વમાન, દેશભક્તિ ને રાષ્ટ્રગૌરવ વિકસે એવી ઉંમરમાં યુવાનો ડગલે ને પગલે જે રીતિનીતિઓનો સામનો, શિક્ષણમાં ને રોજ બ રોજની જિંદગીમાં કરે છે એ રહી સહી દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવનો છેદ ઉડાડે એમ છે. તેમાં પણ ગુજરાત, તેની સૌથી વરવી ભૂમિકામાં છે.

એમાં તથ્ય છે જ કે વધુ કમાણીના લોભમાં યુવાનો વિદેશ ભાગે છે, પણ બધા જ એવા નથી. કેટલાકને એમ લાગે છે કે બધી યોગ્યતા છતાં અહીં ભવિષ્ય જ નથી, તો લાચારીથી, ઉધારઉછીનું કરીને તેઓ દેશ છોડે છે. ત્યાં પણ બધું સામે કરી રાખ્યું નથી, સ્ટ્રગલ તો ત્યાં પણ છે જ ! ગુજરાતનાં જ હજારો વિદ્યાર્થીઓ કેનેડા જાય છે. એમને વતન અકારું લાગે છે ને જાય છે, એવું નથી, પણ અહીં તકો જ ઓછી  છે. માત્ર શિક્ષણની જ વાત કરીએ તો કેટલા ય વાલીઓ તેમનાં સંતાનોને પેટે પાટા બાંધીને ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી અપાવે છે. એટલાથી નોકરી ન મળે એવું લાગતાં બી. એડ્. કરાવે છે, એ પણ ઓછું લાગતાં ટેટ-ટાટની પરીક્ષાઓ પાસ કરાવે છે. પચીસ-છવ્વીસ વર્ષનાં ભણતર પછી પ્રવાસી શિક્ષક, વિદ્યા સહાયક કે જ્ઞાન સહાયકની કામચલાઉ નોકરી પણ માંડ મળતી હોય તો તે ‘ગરવી ગુજરાત’ ગાશે કે ‘વરવી ગુજરાત’ ગાશે? આવી સ્થિતિ કદાચ કોઈ રાજ્યની નહીં હોય. આવી રમત પણ ગુજરાતનો શિક્ષણ વિભાગ જ કરી શકે. ગમ્મત તો એ છે કે બીજી બધી કેટેગરીઓ કેન્સલ કરીને, જ્ઞાન સહાયકની 21 હજારની ફિક્સ પગારની નોકરી, કોન્ટ્રાક્ટ પર, સરકાર દાનમાં આપતી હોય તેમ આપે છે ને એનો તેને જરા જેટલો પણ સંકોચ નથી. આવી નોકરી એવા મંત્રીઓ અને અધિકારીઓ આપે છે, જેમાંનું કોઈ કોન્ટ્રાક્ટ નોકરીમાં નથી. એ બધાં પોતાનું તળિયું પાકું કરીને બેઠાં છે ને આપવાનું આવે છે તો કંજૂસને સારા કહેવડાવે છે.

જ્ઞાન સહાયકોની નોકરી લેવાનો ટેટ-ટાટ પાસ ઉમેદવારો એટલે વિરોધ કરે છે, કારણ એ 11 મહિનાના કોન્ટ્રાક્ટવાળી નોકરી છે. 11 મહિના પછી એ જ નોકરી ફરી મેળવવાની રહે. પચીસ-છવ્વીસ વર્ષ ભણ્યા પછી આ હાલત હોય તો રામાયણ જાણતા હોય તેમને અસુરોનો સંહાર કરવાનું જ મન થાય કે બીજું કૈં? ને NCERT કહે છે કે આજના યુવાનોમાં દેશભક્તિ નથી ! દેશભક્તિ બચે એવું રાખ્યું છે કૈં? એવું નથી કે જ્ઞાન સહાયકોની નોકરી, કાયમી જગ્યાઓ ભરાઈ ગઈ છે તેથી ઊભી કરાઇ છે. એવું બિલકુલ નથી. 2017થી કાયમી શિક્ષકોની ભરતી જ થઈ નથી. 32,000 કાયમી શિક્ષકોની ઘટ છે, તે ભરાતી નથી ને કોન્ટ્રાક્ટ નોકરીનો વેપલો કરવા સરકાર બેઠી છે. આજે તો અનેક શહેરોમાં જ્ઞાન સહાયકની નોકરીનો વિરોધ ઊઠ્યો છે. ગાંધીનગરમાં પણ એકથી વધુ વખત દેખાવો થયા છે. ગયા જુલાઈમાં પણ ગાંધીનગરમાં આંદોલન કરાયું હતું ને 200ની અટકાયત કરવામાં આવી હતી. એ પછી સપ્ટેમ્બરમાં પણ વિરોધ થયો હતો. ગઈ 21 નવેમ્બરે ફરી આંદોલન થયું તો પોલીસ ટીંગાટોળી કરીને આંદોલનકારીઓને લઈ ગઈ, કેમ જાણે એ બધાં આતંકવાદીઓ હતાં ! ટેટ પાસ ઉમેદવારો જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલા હતા ને શિક્ષણ સચિવને કાયમી ભરતી કરો – એ મતલબનું આવેદનપત્ર આપવા માંગતા હતા, પણ તેમની વાત સાંભળવાનું તો દૂર, તેમની સાથે ગુનેગારો જેવો વ્યવહાર થયો. ખરેખર તો ટેટ-ટાટની પરીક્ષાનો હેતુ જ કાયમી ભરતી કરવાનો છે, તો એ પરીક્ષા પાસને કામચલાઉ નોકરીની ઓફર થાય જ કેવી રીતે? પાંચ વર્ષે પરીક્ષા લેવાય ને એ પાસ કર્યા પછી પણ, કામચલાઉનું લેબલ મરાય એ સરાસર અન્યાય છે. આ અન્યાય કરી કરીને સરકાર રીઢી થઈ ગઈ છે. એને એટલી શરમ પણ નડતી નથી કે આંદોલનકારીઓ સાથે વાત કરે કે તેમની વાત સાંભળે.

એક વાહિયાત વાત સરકાર એ કર્યા કરે છે કે જ્ઞાન સહાયક તો વૈકલ્પિક છે. કાયમી જગ્યા ભરાય ત્યાં સુધીની જ આ વ્યવસ્થા છે, પણ સરકાર એ કહેતી નથી કે કાયમી ભરતી ક્યારે થવાની છે? 6 વર્ષમાં કાયમી ભરતી કરવાની ફુરસદ સરકારને નથી, પણ પ્રવાસી શિક્ષકો, વિદ્યા સહાયકો, જ્ઞાન સહાયકોની હજારોની સંખ્યામાં ભરતી કરવાની નવરાશ સરકારને છે. હકીકત એ છે કે સરકારની જ દાનત કાયમી ભરતી કરવાની નથી. કાયમી ભરતી કરે તો પૂરો પગાર આપવો પડે, નિવૃત્તિ પછીનાં પેન્શન વગેરે લાભો આપવા પડે. શિક્ષણ વિભાગમાં બધા જ પૂરો પગાર લે છે, પણ શિક્ષકને પગાર આપતાં તેનો હાથ ખેચાય છે. મંત્રીઓ, વિધાયકો એકથી વધુ પેન્શન પાકું કરીને બેઠાં હશે, પણ શિક્ષકને પેન્શન આપવું ન પડે એટલે મદદને નામે કાવતરાં કરતાં અચકાતા નથી. બીજું કોઈ શોષણ કરે તો સરકારને રાવ થાય, આ તો સરકાર જ શોષણખોર હોય તો કહેવું ય કોને?

NCERT વિદ્યાર્થીઓની દેશભક્તિને મામલે ચિંતિત છે. એને સરકાર, તેમાં ય ગુજરાત સરકાર, કેટલી દેશભક્ત છે, એ મામલે કોઈ ચિંતા નથી. એ તો એવું છે ને કે કૂવામાં હોય તો હવાડામાં આવે. અહીં તો કૂવો જ ખાલી છે તો એનું ક્યાં જઈને રડવાનું?

000 

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 નવેમ્બર 2023

Loading

તથાગતના ત્રિપિટક પછીની વિશ્વઘટના આજની તારીખે બની હતી

પ્રકાશ ન. શાહ|Gandhiana, Opinion - Opinion|23 November 2023

‘હિંદ સ્વરાજ’ વાંચ્યા પછી તોલ્સતોયે ગાંધીને લખ્યું કે આમ તો તમે આફ્રિકાના અંધારખૂણે પડ્યા છો, પણ ત્યાંની તમારી પ્રવૃત્તિ એ પંથકને કેમ જાણે નવી દુનિયાના કેન્દ્રમાં મૂકી આપે છે

પ્રકાશ ન. શાહ

આજથી બરાબર 114 વરસ પાછળ જાઉં છું તો જહાજ ‘કિલ્ડોનન કેસલ’માં ચાળીસ વરસના બેરિસ્ટર મોહનદાસ ગાંધીને ‘હિંદ સ્વરાજ’ની ગુજરાતી હસ્તપ્રતનું છેલ્લું પાનું લખી સહેજસાજ શ્વાસ લેતાં જોઉં છું. ઇંગ્લેન્ડથી દક્ષિણ આફ્રિકા પરત થઈ રહ્યા છે અને સ્ટીમરમાં 13મી નવેમ્બરથી (કેમ કે રહી શકાયું નથી) લખવાનું શરૂ કર્યું છે. જમણો હાથ થાક્યો તો ડાબો ખપમાં લીધો છે, પણ લખતાં અટકી શક્યા નથી.

22મી નવેમ્બરે એમનું હાથલખાણ પૂરું થયું. દક્ષિણ આફ્રિકામાં ઉપાડેલી લડતના અનુભવો અને બ્રિટિશ રાજથી માંડી નાનાવિધ વિશ્વપ્રવાહો સાથેનો મુકાબલો, એ બધું મળીને વાચક અને અધિપતિ (તંત્રી) વચ્ચે સંવાદ રૂપે આ કિતાબ વણથંભી ઊતરી આવી છે.

કોની સાથે હશે આ સંવાદ? વાત તો વાચક અને તંત્રી વચ્ચેની છે. તો, આ વાચક કોણ છે વારુ? 1909માં દક્ષિણ આફ્રિકાના પ્રશ્નોની રજૂઆત વાસ્તે ખાસા મહિના લંડનમાં સળંગ રોકાવાનું થયું છે. તે દરમ્યાન, ઘણાં લોકો સાથે ઘણો વખત ચર્ચાના પ્રસંગો આવ્યા છે. એક પા બંધારણીય ઉકેલની કોશિશ જારી છે તો બીજી પા 1906થી સત્યાગ્રહનો અભિનવ અભિગમ ચિત્તને લાંઘી જઈ ચિત્રમાં આવી ચૂક્યો છે. પણ જુલાઈમાં ગાંધી લંડન પહોંચ્યા ત્યારે માહોલ ઉશ્કેરાટનો છે, કેમ કે મદનલાલ ઢીંગરાએ સાવરકરની પ્રેરણાથી કર્ઝન વાયલીની હત્યા કરી છે.

1905માં ઇન્ડિયા હાઉસ અસ્તિત્વમાં આવ્યું ત્યાર પછી જ્યારે પણ લંડન જવાનું થયું, ત્યાં કાર્યરત શ્યામજી કૃષ્ણ વર્માથી સાવરકર આદિ સાથે ગાંધીને કંઈક ને કંઈક પ્રસંગ જરૂર પડ્યો હશે. 1909ના નવેમ્બરમાં એ દક્ષિણ આફ્રિકા પરત થઈ રહ્યા હતા તે પૂર્વે 24મી ઓક્ટોબરે સાવરકર અને સાથીઓએ યોજેલ વિજયાદશમી ઉત્સવની ગાંધી અધ્યક્ષતા પણ કરી ચૂક્યા છે.

બે જુદા અભિગમો સામસામે ચિત્રમાં ઊપસી રહ્યા છે. એક હિંસાનો, બીજો અહિંસાનો. અને આ ચર્ચા કંઈ લંડનના ઇન્ડિયા હાઉસ પૂરતી સીમિત તો નહોતી. અમેરિકાબેઠા ક્રાંતિકારી તારકનાથ દાસે પોતાના પત્ર ‘ફ્રી હિંદુસ્તાન’ માટે રૂસના તોલ્સ્તોય સાથે પત્રવહેવાર કર્યો છે. જો કે, તોલ્સ્તોયે એમનો આપેલો ઉત્તર કે પ્રતિકારનો પંથ પ્રેમનો જ હોઈ તારકનાથ દાસ અને સાથીઓને સ્વાભાવિક જ ગમ્યો નથી. આ પત્ર ફરતો ફરતો ગાંધીના હાથમાં, સંભ‌વત: પ્રાણજીવનદાસ મહેતા મારફતે આવ્યો છે. એમને એ ગમ્યો છે.

લિયો તોલસ્તોય

પોતે 1893-94માં તોલ્સ્તોયનું ‘ધ કિંગ્ડમ ઓફ ગોડ ઈઝ વિધિન યૂ’ વાંચી પ્રેમધર્મને (સત્યાગ્રહી પ્રતિકારને) વરતા થયા છે અને 1906નું વરસ એમાં સીમાવર્ષ છે. (ગાંધીજીએ આત્મકથામાં તોલ્સતોયના શીર્ષકને ઠેઠ ગુજરાતીમાં આબાદ ઉતાર્યું છે કે ‘વૈકુંઠ તારા હૃદયમાં છે.’ આ તળ ગુજરાતી મથાળાએ દાયકાઓ સુધી એવું ગોથું ખવડાવ્યું છે કે આપણે માનતા રહ્યા કે ગુજરાતીમાં સુલભ છે. વસ્તુત: એ હજુ હમણેનાં વરસોમાં જ ચિત્તરંજન વોરાના અવિશ્રાન્ત ઉદ્યમ પછી નવજીવન થકી ગુજરાતવગું થયું છે.) તોલ્સતોયનો પેલો પત્ર, ‘અ લેટર ટૂ અ હિંદુ’ ગુજરાતીમાં ઉતારવા સારુ ગાંધીએ રજા માંગી તે તોલ્સતોયે આપી છે. આગળ ચાલતાં ‘હિંદ સ્વરાજ’ વાંચવાનું બન્યું ને તોલ્સતોયે એ મતલબનું લખ્યું કે આમ તો તમે (ગાંધી) આફ્રિકાના અંધારખંડમાં ખૂણે પડ્યા છો પણ તમારી પ્રવૃત્તિએ કરીને તે ………………. કેમ જાણે નવી દુનિયાના કેન્દ્રમાં મુકાઈ ગયો છે.

‘ઇન્ડિયા હાઉસ’ના મિત્રો સાથે ચર્ચા ચોક્કસ જ થઈ છે. પણ વાચક તે સાવરકર અને અધિપતિ તે ગાંધી, એ ઉત્તર ઉતાવળો લેખાશે. આપણી કને ગાંધીની ખુદની સાહેદી છે કે મિત્ર પ્રાણજીવનદાસ મહેતા સાથે રાતભર થયેલી લાંબી ચર્ચા આ પુસ્તક માટેનો પ્રધાન ધક્કો છે. આજે ગૂજરાત વિદ્યાપીઠમાં છાત્રાલયના નામ સાથે કે કદાચ આશ્રમ પરિસરના લાલ બંગલા સાથે સંકળાઈને એમનું નામ યાદ રહી ગયું તો ભલે; પણ ગાંધીજીવનમાં એમનું સ્થાન સવિશેષ છે તે તો મેહરોત્રાએ લખેલી એમની જીવનીથી સમજાય છે.

પ્રાણજીવનદાસ મહેતા

પોતે જેને ઇંગ્લેન્ડના પ્રથમ દિવસે બ્રિટિશ એટિકેટના પહેલા પાઠ ભણાવ્યા હતા એ મોહનદાસ ઉત્તરોત્તર કેવા વિકસતા ગયા અને એમની નિત્ય વિકસનશીલતાથી પોતે કેવા પ્રભાવિત થતા ગયા એનું શરદ ઋતુના નિરભ્ર આકાશ જેવું સરસ બયાન પ્રાણજીવનદાસે એક તટસ્થ આકલન રૂપે આપેલું છે. 1911-12માં હજુ ગાંધીની વતનવાપસીયે થઈ નથી એટલા વહેલાં આ આકલન, એક પત્રમાં – અને તે પણ ગોપાલકૃષ્ણ ગોખલે, રિપિટ, ગોખલે પરના પત્રમાં! એમણે ગોખલેને લખ્યું છે કે આ તો ‘મહાત્મા’ છે અને એકાદ સૈકા પર થયા હોત તો હિંદની આજની તાસીર કંઈક જુદી જ હોત.

ગાંધીજીને પહેલાં મહાત્મા કોણે કહ્યા તે ગુજરાતમાં એક રસિક ખોજમુદ્દો છે. (જો કે ‘સત્યના પ્રયોગો’ની પ્રસ્તાવનામાં ગાંધીજીએ ભરીબંદૂક કહ્યું છે કે ‘મહાત્મા’નાં દુ:ખો તો મારા જેવો ‘મહાત્મા’ જ જાણે.) ગોંડલના રાજવૈદ્ય, ભુવનેશ્વરી પીઠ ખ્યાત ચરણતીર્થ મહારાજે એમના સ્વાગતમાં એક સંસ્કૃત શ્લોકમાં પહેલ પ્રથમ એ પ્રયોગ કર્યાનો દાવો છે. બીજા પણ હશે. પણ આ પ્રયોગ વિશ્વખ્યાત બની એનો સિક્કો પડી ગયો તે તો રવીન્દ્રનાથના ‘મહાત્મા’ એ પ્રગટ સંબોધનથી. આ મહાત્મા પુરાણ અલબત્ત પ્રાણજીવનદાસની સમજ સબબ.

‘હિંદ સ્વરાજ’ વિશે લખવા સારુ કંઈ નહીં તો પણ સુવાંગ એક કોલમ જોઈએ જ જોઈએ. સાતસો શબ્દની તંગ દોર પરની નટચાલમાં આ તબક્કે ઉતાવળે પણ કહેવાનું એટલું જ કે તે વખતની યુરોપીય પરંપરાની હિંદુસ્તાની નકલ જેવી જે સાવરકર સ્કૂલનો ઇન્ડિયા હાઉસમાં કંઈક વક્કર હશે એને બદલે વિશ્વમાનવતાને અવિરોધી ધોરણે વૈકલ્પિક યુરોપીય પરંપરાને આત્મસાત્ કરતી ભારત છેડેથી ‘હિંદ સ્વરાજ’ રૂપે નવયુગી કંઈક બની આ‌વ્યું હતું. લામા રિમ્પોંછે (તિબેટની સ્વતંત્ર સરકારના પૂર્વ પ્રધાન મંત્રી) આ ગાંધીગીતાને તથાગતના ત્રિપિટક પછીની સર્વાધિક મોટી વિશ્વઘટના લેખે વર્ણવે છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 22 નવેમ્બર 2023

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૧૬ – ૪) : ભરત મુનિ

સુમન શાહ|Opinion - Opinion|23 November 2023

સુમન શાહ

ભરતના રસસૂત્રમાં સૂત્રિત વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવથી મનુષ્યજીવનનો ભાવસમૂહ સૂચવાય છે.

એ પછી સૂત્ર આમ પૂરું થાય છે, ‘સંયોગાત્ રસનિષ્પત્તિ:’ એટલે કે, એ ભાવોના સંયોગથી રસ નિષ્પન્ન થાય છે.

ભાવ અને રસ વચ્ચે શું સંભવે છે? શાસ્ત્ર કાર્ય-કારણ બતાવતાં એમ કહે છે કે ભાવોના ‘કાર્ય’ રૂપે – ઍક્શન રૂપે – અનુભાવો છે અને તે રસનું ‘કારણ’ બની શકે છે. બીજું એ કહે છે કે સ્થાયી ભાવ, વ્યભિચારી ભાવ, ‘ચિત્તવૃત્તિ’ રૂપ છે. પરન્તુ નિયમાનુસાર, બે ચિત્તવૃત્તિઓ સાથે સાથે ન હોઈ શકે, તેથી વિભાવો અને અનુભાવોથી ‘ઉપચિત’ સ્થાયી ભાવ જ રસ છે; અનુપચયિત સ્થાયીને માત્રસ્થાયી જ ગણવો જોઇશે.

મને એક પ્રશ્ન થયો છે : ભાવ અને રસ વચ્ચે ‘સંયોગાત્’ સંજ્ઞા છે. જો સંયોગ છે, તો એનો કરનાર પણ હશે; કોણ હોય છે?

હું એક ઉત્તર એ આપું કે વિભાવો રંગભૂમિ પરની ‘પ્રૉપ’ કહેતાં, પ્રૉપર્ટિ વગેરે તમામ સન્નિવેશથી – સૅટિન્ગ્સથી – સરજાય છે અને અનુભાવો તેમ જ વ્યભિચારી ભાવો અભિનેતાઓના અભિનયથી સરજાય છે. પરિણામે, સંયોગ સિદ્ધ થાય છે અને રસનિષ્પત્તિ થાય છે.

ભરત તો એટલે સુધી સૂચવે છે કે અભિનેતાઓએ સંયોગ સિદ્ધ થાય એ સ્વરૂપનો અભિનય કરવો જોઈશે.

આ મુદ્દો એમણે શૃંગાર આદિ લગભગ બધા રસ વિશે વિવરણપૂર્વક રજૂ કર્યો છે : હું બધા રસોની ઉત્પત્તિરૂપ શૃંગાર, રૌદ્ર, વીર, બીભત્સની, અને મને બહુ જ ગમતા કરુણ તેમ જ અદ્ભુતની જ વાત કરીશ :  

રસસૂત્રાનુસારી મુખમુદ્રાઓ —

Pic Courtesy : Mediated Unity

૧: શૃંગાર વિશે –

શૃંગારનો સ્થાયી ભાવ રતિ છે.

ભરત જણાવે છે કે શૃંગાર સ્ત્રી-પુરુષનાં નિમિત્તોથી સંભવે છે. ઉજ્જવળ વેશવાળી વ્યક્તિ શૃંગારવાન ગણાય છે. ઉત્તમ યૌવનવાનને શૃંગાર વધારે અનુકૂળ પડે છે, અથવા ઊલટું !

કહ્યું કે – તસ્ય દ્વે અધિષ્ઠાને સમ્ભોગો વિપ્રલમ્ભશ્ચ. શૃંગારરસનાં બે અધિષ્ઠાન છે, સમ્ભોગ શૃંગાર અને વિપ્રલમ્ભ શૃંગાર. અધિષ્ઠાનને આશ્રય કે પ્રકાર પણ કહી શકીએ.

ભરત જણાવે છે કે ઋતુ, માળાઓ, અનુલેપ, ઘરેણાં, પ્રિયજન, વિષય, સરસ ઘર, ઉપભોગ, ઉપવનગમન, શ્રવણ, દર્શન, ક્રીડા, લીલા વગેરે વિભાવોથી સમ્ભોગશૃંગાર ઉત્પન્ન થાય છે. હું એથી એ સંકેત ગ્રહું છું કે રંગકર્મીઓએ રંગભૂમિ પર આવશ્યક વિભાવો પ્રગટે એ માટે ઉચિત સન્નિવેશની રચના કરવી જોઈશે.

વિપ્રલમ્ભ શૃંગાર અને કરુણ રસ વચ્ચેનો ફર્ક બતાવતાં ભરત કહે છે કે કરુણ રસ શાપ, ક્લેશ, વિનિપાત, ઇષ્ટજન-વિયોગ, ધનનાશ, વધ કે બન્ધનથી ઉદય પામે છે, એમાં ઉત્કણ્ઠા અને ચિન્તાથી સમુત્થિત નિરપેક્ષતાનો એટલે કે લાપરવાહીનો ભાવ હોય છે, જ્યારે વિપ્રલમ્ભમાં સાપેક્ષતાનો ભાવ હોય છે એટલે કે એકમેકની પરવા કરાતી હોય છે.

અભિનય માટે ભરત કહે છે, નયનચાતુર્ય, કટાક્ષ, લલિતમધુર અંગવિેક્ષેપ અને વાક્યાદિ અનુભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઇશે. ભય, આલસ્ય, ઉગ્રતા અને ઘૃણા સિવાયના ભાવો વ્યભિચારી ભાવો છે. નિર્વેદ, ગ્લાનિ, શંકા, અસૂયા, શ્રમ, ચિન્તા, ઉત્કણ્ઠા, નિદ્રા, સ્વપ્ન, ઉન્માદ અપસ્માર જડતા અને મૃત્યુ વગેરે અનુભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઇશે – પ્રયોક્તવ્ય:

૨ : રૌદ્ર વિશે –

રૌદ્રનો સ્થાયી ભાવ ક્રોધ છે.

ભરત જણાવે છે કે ક્રોધ રાક્ષસ, દૈત્ય અને ઉદ્ધત મનુષ્યોથી ઉત્પન્ન થાય છે. કોઇનો નિરાદર કરવો, કોઇ પર આક્ષેપ કરવો, અપમાન કરવું, જૂઠું બોલવું તેમ જ કઠોર વાણી કે મત્સરતા વગેરે વિભાવોથી રૌદ્ર રસ ઉત્પન્ન થાય છે. હું એથી એ સંકેત ગ્રહું છું કે રંગકર્મીઓએ રંગભૂમિ પર આવશ્યક વિભાવો પ્રગટે એ માટે ઉચિત સન્નિવેશની રચના કરવી જોઈશે.

અભિનય માટે ભરત કહે છે, વ્યક્તિ પર શસ્ત્રપ્રહાર કરવો, માર મારવો, એને તંગ કરવી તેમ જ ફાડવું, ચીરવું, કાપવું, ઉગામવું વગેરે રૌદ્રસંગત કાર્યો છે. તદનુસારનો અભિનય કરવો. ઉપરાન્ત, દાંત કચકચાવવા, હોઠ દબાવવા, કાંડું પકડીને દબાવવું તેમ જ આંખ લાલ હોય, પ્રસ્વેદ થતો હોય, ભ્રકુટિ ખૅંચાતી હોય, વગેરે અનુભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઈશે – પ્રયોક્તવ્ય:

કહે છે, સમ્મોહ, ઉત્સાહ, વેગ, અમર્ષ એટલે કે ક્રોધ, ચપલતા, ઉગ્રતા, પ્રસ્વેદ, વેપથુ એટલે કે કાંપવું, રોમાંચ, વગેરે વ્યભિચારી ભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઇશે – પ્રયોક્તવ્ય:

૩ : વીર વિશે –

વીરનો સ્થાયી ભાવ ઉત્સાહ છે.

ભરત જણાવે છે કે એ ઉત્તમ કહી શકાય એવી પ્રકૃતિ ધરાવનારી વ્યક્તિઓમાં જોવા મળે છે. અસમ્મોહ, અધ્યવસાય એટલે કે નિશ્ચય, નીતિ, વિનય, પરાક્રમ, શક્તિ, પ્રતાપ, પ્રભાવ વગેરે વિભાવોથી વીર રસ ઉત્પન્ન થાય છે. હું એથી એ સંકેત ગ્રહું છું કે રંગકર્મીઓએ રંગભૂમિ પર આવશ્યક વિભાવો પ્રગટે એ માટે ઉચિત સન્નિવેશની રચના કરવી જોઈશે.

અભિનય માટે ભરત કહે છે, સ્થિરતા, શૌર્ય, ધૈર્ય, ત્યાગ, વૈશારદ્ય એટલે કે ચાતુર્ય વગેરે અનુભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઈશે – પ્રયોક્તવ્ય:

કહે છે, ધૃતિ, મતિ, ગર્વ, વેગ, ઉગ્રતા, અમર્ષ એટલે કે ક્રોધ, સ્મૃતિ, રોમાંચ, વગેરે વ્યભિચારી ભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઇશે – પ્રયોક્તવ્ય:

૪ : બીભત્સ વિશે –

બીભત્સનો સ્થાયી ભાવ જુગુપ્સા છે.

ભરત જણાવે છે કે અમનોહર અને અપ્રિય વસ્તુ જોવાથી, અનિષ્ટ સાંભળવાથી, જોવાથી કે બીજાને કહી બતાવવાથી, શબ્દદોષ દેખાય એથી, રસ, ગન્ધ, સ્પર્શ વગેરેમાં ત્રુટિઓ ધ્યાનમાં આવવાથી, સર્વ પ્રકારની વ્યાકુળતાઓથી બીભત્સ રસ ઉત્પન્ન થાય છે. હું એથી એ સંકેત ગ્રહું છું કે રંગકર્મીઓએ રંગભૂમિ પર આવશ્યક વિભાવો પ્રગટે એ માટે ઉચિત સન્નિવેશની રચના કરવી જોઈશે.

અભિનય માટે ભરત કહે છે, મૉં સંકોચવું, વમન કરવું, થૂંકવું, અંગો હાલે એમ કરવું વગેરે અનુભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઈશે – પ્રયોક્તવ્ય:

કહે છે, અપસ્માર, વેગ, મોહ, વ્યાધિ, મરણ વગેરે વ્યભિચારી ભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઇશે – પ્રયોક્તવ્ય:

૫ : કરુણ વિશે –

કરુણનો સ્થાયી ભાવ શોક છે.

ભરત જણાવે છે કે શાપથી જનમેલો ક્લેશ, ઇષ્ટજનનો વિયોગ, વિભવનાશ (ધન વગેરેનો), વધ, બન્ધન, ભાગદોડ, દુર્ઘટના, વ્યસન-સંયોગ વગેરે વિભાવોથી કરુણ રસ ઉત્પન્ન થાય છે. હું એથી એ સંકેત ગ્રહું છું કે રંગકર્મીઓએ રંગભૂમિ પર આવશ્યક વિભાવો પ્રગટે એ માટેના સન્નિવેશની રચના કરવી જોઈશે.

અભિનય માટે ભરત કહે છે, આંસુ સારવાં, શોકમૂલક વિલાપ કરવો, મૉં સૂકાયેલું કે નિસ્તેજ દર્શાવવું, નિસાસા નાખવા, ઉપરાન્ત, ગાત્રપતન કે વિસ્મરણ વગેરે અનુભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઈશે – પ્રયોક્તવ્ય:

કહે છે, નિર્વેદ, ગ્લાનિ, ચિન્તા, ઉત્કણ્ઠા, આવેગ, મોહ, શ્રમ, ભય, વિષાદ, દીનતા, વ્યાધિ, જડતા, ઉન્માદ, અપસ્માર, મૃત્યુ વગેરે વ્યભિચારી ભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઇશે – પ્રયોક્તવ્ય:

૬ : અદ્ભુત વિશે –

અદ્ભુતનો સ્થાયી ભાવ વિસ્મય છે.

ભરત જણાવે છે કે દિવ્ય વસ્તુના દર્શનથી, મનવાંછિત ઇચ્છા પૂરી થવાથી, ઉત્તમ વન કે દેવમન્દિરોમાં જવાથી, અસંભવ વસ્તુઓ કે ઇન્દ્રજાલથી, અતિશયાર્થ વાક્ય કે શીલનો બોધ થવાથી, વગેરે વિભાવોથી અદ્ભુત રસ ઉત્પન્ન થાય છે. હું એથી એ સંકેત ગ્રહું છું કે રંગકર્મીઓએ રંગભૂમિ પર આવશ્યક વિભાવો પ્રગટે એ માટેના સન્નિવેશની રચના કરવી જોઈશે.

અભિનય માટે ભરત કહે છે, આંખો વિસ્ફારિત કરવી, તાકી તાકીને જોવું, હર્ષ દર્શાવવો, ધન્યવાદ આપવા, ઉપહારનું દાન કરવું, વગેરે અનુભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઇશે – પ્રયોક્તવ્ય:

કહે છે, સ્પર્શ કરવો, ઉત્કણ્ઠિત થઈ જવું, હસવું, આંસુ સારવાં, હોહો કરવું, ગદ્ ગદ્ વચન ઉચ્ચારવાં તથા રોમાંચ, સ્તમ્ભ, પ્રસ્વેદ, આવેગ, સંભ્રમ, જડતા, વગેરે વ્યભિચારી ભાવો માટે અભિનેતાએ પોતાના અભિનયને પ્રયોજવો જોઇશે – પ્રયોક્તવ્ય:

રસસૂત્રમાં, અગાઉ કહ્યું એમ, ભાવ અને રસ વચ્ચે ‘સંયોગાત્’ સંજ્ઞા છે. મેં એવો પ્રશ્ન કરેલો કે સંયોગ છે, તો એના કરનાર કોણ હોય છે -? આપણે જોઈ ગયા એ પ્રમાણે, એ સંયોગના કરનાર રંગકર્મીઓ અને અભિનેતાઓ હોય છે.

પણ હું બીજો ઉત્તર એ આપીશ કે એ સંયોગના કરનાર સર્જકો / લેખકો હોય છે. સર્જકતાની સત્તાએ સંયોગ સિદ્ધ થાય છે અને રસનિષ્પત્તિ થાય છે.

= = =

(11/21/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...848849850851...860870880...

Search by

Opinion

  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved