Opinion Magazine
Number of visits: 9560733
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું ન્યાયતંત્ર લકવાગ્રસ્ત છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|3 December 2023

રમેશ ઓઝા

૨૬મી નવેમ્બરે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડે કહ્યું હતું કે દેશના અદનામાં અદના નાગરિક માટે પણ અદાલતના દરવાજા ખુલ્લા છે. આવી બંધારણમાં વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી દેશમાં કાયદાનું રાજ જળવાઈ રહે. કાયદાનું રાજ એટલે ન્યાય કરનારું રાજ્ય અને ન્યાયનિષ્ઠ રાજ્ય. ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણ સભાએ ઘડવામાં આવેલાં ભારતનાં બંધારણને મંજૂરી આપી હતી એટલે ૨૬મી નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને વર્તમાન શાસકો લોકશાહી માર્ગે લોકશાહીનું કાસળ કાઢી રહ્યા છે એટલે બંધારણને બચાવવા માટે વધુને વધુ ઊહાપોહ થઈ રહ્યો છે. દેખીતી રીતે આ માટે લોકોની ન્યાયતંત્ર અને એમાં પણ સર્વોચ્ચ અદાલત પાસેથી વધુ અપેક્ષા છે.

અહીં આગળ વધતા પહેલાં ડૉ. આંબેડકરે બંધારણસભામાં તેમનું આખરી ભાષણ આપ્યું હતું એમાંથી બે વાત યાદ કરવી જોઈએ. એક તો તેમણે કહ્યું હતું કે જો શાસકો નઠારા હોય તો દુનિયાના શ્રેષ્ઠતમ બંધારણને નિષ્ફળ બનાવી શકે અને જો શાસકો મર્યાદામાં માનનારા જવાબદાર હોય તો દુનિયાના નબળામાં નબળા બંધારણને પણ સફળ બનાવી શકે. આવું જ કથન બ્રિટિશ કાયદાવિદ્દ આઈવર જેનિંગે પણ કર્યું હતું. બીજી વાત તેમણે એ કહી હતી કે બંધારણીય ભારતમાં હવે પછી કોઈએ સત્યાગ્રહ, આંદોલનો, હડતાલો વગેરે દ્વારા પ્રજાએ રસ્તા પર ઉતરવાની જરૂર નહીં રહે અને જો એવી પ્રવૃત્તિ કરવામાં આવશે તો તે અરાજકતા ગણાશે. કારણ એ કે કાયદાના રાજમાં હવે પછી કોઈને ય અન્યાય થવાનો પ્રશ્ન નથી અને જો એવું બને તો સ્વતંત્ર ન્યાયતંત્ર દરેક માટે ઉપલબ્ધ છે. બન્ને કથન એકબીજા સાથે જોડીને સમજવાં જોઈએ. જો ખરા અર્થમાં બંધારણીય ભારત અસ્તિત્વમાં આવશે તો રસ્તા પર ઉતરવું તે અરાજકતા ગણાશે, પણ તેમણે એ સાથે એમ પણ કહ્યું છે કે જગતનાં સારામાં સારાં બંધારણને પણ નિષ્ફળ બનાવી શકાય છે.

હવે વિચાર કરો કે આપણે ક્યાં છીએ? ન્યાયમૂર્તિ ચન્દ્રચૂડે કહેલી વાતને જ ચકાસીએ. ભારતનો અદનામાં અદનો નાગરિક પણ અદાલતનો દરવાજો ખખડાવી શકે છે એ તેમની વાત બિલકુલ સાચી છે પણ ન્યાય મેળવીને તે અદાલતમાંથી બહાર ક્યારે નીકળે છે? કેટલાં વર્ષે? જાણીતા ધારાશાસ્ત્રી દુષ્યંત દવેએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં લખેલા લેખમાં નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડના ૧૭ નવેમ્બર ૨૦૨૩ના રોજ બહાર પડેલા જે આંકડા આપ્યા છે એ ચોંકાવનારા છે. ચોંકાવનારા છે, પણ નવા નથી. બસ તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. છેલ્લામાં છેલ્લા સર્વેક્ષણ મુજબ દેશની વિવિધ અદાલતોમાં ૪,૪૩,૦૩,૪૪૯ કેસ ન્યાયની રાહ જોતા પડ્યા છે. એમાંના ૬૯,૮૮,૨૭૮ ખટલાઓ પાંચથી દસ વરસ જૂના છે. ૩૨,૪૨,૪૪૧ ખટલાઓ દસથી વીસ વરસ જૂના છે, ૪,૯૭,૬૨૭ કેસો વીસથી ત્રીસ વરસ જૂના છે અને ૯૩,૭૭૦ કેસો ત્રીસ વરસ કરતાં પણ જૂના છે. થોભો, ૧૫,૬૯,૨૮૧ દીવાની ખટલાઓમાં ચુકાદા આવ્યા છે, પણ તેનો અમલ કરવામાં આવ્યો નથી એટલે તેને અંગેની અરજીઓ અદાલતોમાં પડી છે. ગયા ઓક્ટોબરમાં ભારતની વિવિધ અદાલતોમાં ૧૬,૧૪,૩૪૯ કેસો અદાલતમાં દાખલ થયા હતા અને તેની સામે ૧૨,૨૪,૯૭૨ કેસોમાં નિકાલ આવ્યો હતો. આનો અર્થ એ થયો કે દર મહીને અંદાજે ચાર લાખ કેસોનો ભરાવો થઇ રહ્યો છે. આ રફતારે સાડા ચાર કરોડ કેસોનો નિકાલ ક્યારે થશે? સર્વોચ્ચ અદાલતમાં ૭૯,૩૬૧ કેસો ચુકાદાની રાહ જોતા પડ્યા છે. ગયા ઓક્ટોબર મહિનામાં સર્વોચ્ચ અદાલતે ૪,૪૬૬ કેસોનો નિકાલ કર્યો હતો, પણ તેની સામે ૪,૯૧૫ કેસો નવા દાખલ થયા હતા. સ્થિતિ એવી છે કે લાખોની સંખ્યામાં લોકો ફરિયાદ લઈને અદાલતમાં પ્રવેશે છે, પણ ન્યાય મેળવીને અદાલતની બહાર નીકળતા નથી, એ પહેલાં જ તેમની જિંદગી પૂરી થઇ જાય છે.

અહીં જેલોની સ્થિતિ સમજવી જરૂરી છે. કેન્દ્ર સરકારના ગૃહ ખાતા આધીન નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના ૨૦૨૧ના આંકડા મુજબ ૮૧,૫૫૧ કેદીઓ કેન્દ્રીય કારાગૃહોમાં સજા ભોગવી રહ્યા છે અને તેની સામે ૧,૫૪,૪૪૭ આરોપીઓ વગર સજાએ કાચા કેદી તરીકે કેન્દ્રીય કારગૃહોમાં સબડે છે. અને બીજી જેલોમાં? બીજી જેલોમાં ૪,૨૭,૧૬૫ આરોપીઓ કાચા કેદી તરીકે સબડે છે. ગુનેગાર તો સજા ભોગવે, પણ આરોપીઓએ સમયસરના ન્યાયના અભાવમાં સજા ભોગવવાની? આને કાયદાનું રાજ કહેવાય? વગર સજાએ સજા ભોગવનારા કાચા કેદીઓનો જેલવાસ એક વરસથી પાંચ વરસનો હોય છે અને તેમાંથી મોટી સંખ્યામાં આરોપીઓ નિર્દોષ છૂટે છે.

દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ભારતના અદનામાં અદના નાગરિકને પોતાના (ન્યાયતંત્ર અને ન્યાયાધીશો) હોવાપણાની બાંયધરી આપે છે ત્યારે તેમને ખબર નથી કે તેઓ પોતે જ લકવાગ્રસ્ત છે? જોઈએ એટલી અદાલતો નથી, જોઈએ એટલા જજો નથી, ન્યાયતંત્રમાં ખટલો ચલાવવાને લગતી પ્રક્રિયામાં સુધારાઓ થતા નથી, ન્યાયતંત્રમાં વ્યાપક ભ્રષ્ટાચાર છે, જજો રાજકીય દબાવમાં આવે છે, કેટલાક તો વેચાઈ જાય છે, નેતાઓના અને બીજા વી.આઈ.પી.ઓની સામેના ખટલા લાઈન તોડીને સત્વરે સાંભળવામાં આવે છે, સરકારને માફક ન આવે એવા ખટલા સાંભળવામાં જ ન આવે, કોલેજિયમ હોવા છતાં સાધારણ કૌવત અને નબળું ચારીત્ર્ય ધરાવનારા જજો ન્યાયતંત્રમાં પ્રવેશી જાય છે અને છેક સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી જાય છે, જજો ભારતમાં સૌથી વધુ રજાઓ ભોગવે છે, દરેક સંસ્થાઓમાં ન્યાયતંત્ર ઓછામાં ઓછું કામ કરે છે વગેરે વગેરે સમસ્યાઓ ન્યાયમૂર્તિ ધનંજય ચન્દ્રચૂડ નથી જાણતા?

તેઓ મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા એ પછીના છેલ્લા એક વર્ષમાં તેમણે આ બીમારી વિષે ઊહાપોહ કર્યો હોય એવું મારા ધ્યાનમાં નથી. લડત અને ઈલાજ તો બહુ દૂરની વાત છે. જો બીમારી દૂર નહીં કરવામાં આવે તો બંધારણમાં પરિવર્તન કર્યા વિના જ બંધારણીય ભારતનો અંત આવી જશે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 ડિસેમ્બર 2023

Loading

ચલ મન મુંબઈ નગરી—225

દીપક મહેતા|Opinion - Opinion|2 December 2023

મુંબઈના જીવનના ઇન્દ્રધનુનો આઠમો રંગ 

અને તે રંગ બતાવનાર લેખક ચુનીલાલ મડિયા       

આપણા આ મુંબઈ શહેરે ગુજરાતી સાહિત્યને અનેક ધરખમ નવલકથાકારો આપ્યા છે. પણ આપણી ભાષાની નવલકથાઓમાં મુંબઈનું ચિત્રણ કેટલું? કેવું? અને છતાં કેટલીક વાર અણધારી રીતે એવી નવલકથા મળી આવે છે જેના કેન્દ્રમાં રહ્યું હોય મુંબઈ શહેર. આવી એક નવલકથા તે ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’. આપણા સાહિત્યના અભ્યાસીઓને અને વિવેચકોને લેખકોને જુદાં જુદાં ખાનાંમાં ગોઠવી દેવાથી ઘણો હાશકારો થાય છે. કનૈયાલાલ મુનશી એટલે ઐતિહાસિક નવલકથાઓના લેખક. રમણલાલ દેસાઈ એટલે યુગમૂર્તિ વાર્તાકાર. પન્નાલાલ પટેલ એટલે તો ગામડું. તેવી જ રીતે ચુનીલાલ મડિયા એટલે ગ્રામજીવનના આલેખક.

પણ એ જ મડિયાએ ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ જેવી નિતાંત મુમ્બૈયા નવલકથા લખી છે એ વાત તરફ પ્રમાણમાં ઓછું ધ્યાન ગયું છે. અઘોરી જાનકીદાસ, ડીકી, કરમસી કાકા, વિજભૂખણ, પ્રાણજીવનદાસ, યશોદા, કુંદા, ગોદાવરી, નારંગી, રિકમ્મા – આ બધાં પાત્રોને જોઈએ ત્યારે પહેલી નજરે તો જાણે જાતીય સંબંધો પરત્વે એબનોર્મલ માનસ ધરાવતાં સ્ત્રી-પુરુષોનું સરઘસ નીકળ્યું હોય એમ લાગે. લગ્નપૂર્વ અને લગ્નબાહ્ય સંબંધો તો ખરા જ, પણ એ ઉપરાંત પણ જાતીય સંબંધોની અનેક વિચિત્ર કે અસામાન્ય પ્રકારની ભૂખ આ નવલકથાનાં પાત્રોમાં ઠેર ઠેર જોવા મળે છે.

તે ઉપરાંત અહીં અફીણ-ગાંજાના નશામાં મસ્ત રહેનારાઓ છે, ટ્રાન્ક્વિલાઈઝરના વ્યસનીઓ છે, હીરારસના પ્રયોગથી બીજાને બરબાદ અને પોતાને આબાદ કરનારાઓ છે. વિકૃત જાતીય અંગો ધરાવતી રસ્તે રઝળતી નગ્ન ભિખારણ છે, દારૂનો ધંધો કરતી ટોળકી છે, પી.એ. કે સ્ટેનોનું મહોરું પહેરીને વેશ્યા વ્યવસાય કરતી સ્ત્રીઓ છે. મુંબઈનું આખુંયે અંડર વર્લ્ડ અહીં આપણી નજર સામે ખડું થઈ જાય છે.

ચુનીલાલ મડિયા

કથાનો નાયક – બલકે પ્રતિનાયક – નરેન, કુન્દાનું સ્મરણ કરતો બસમાં જતો હોય છે ત્યારે એને માત્ર એકઝોસ્ટના કડવા ધૂમાડાની કડવી વાસ જ નથી આવતી, પણ એ વાસને વીંધીને આછી, છતાં ય ઓછી નહિ, એવી ઓ દ કોલોનની સુવાસ પણ આવે છે. અને આ નવલકથામાં પણ કડવી વાસની સાથોસાથ આછી આછી જીવનની સુવાસ પણ ફેલાયેલી છે જ. જગત અને જીવનની વિષમતાઓ તો છે જ, મુંબઈના જીવનની લાક્ષણિક કહી શકાય એવી વિટંબણાઓ પણ છે જ. પણ આ કથામાં ચંદ્રન જેવા મરજીવા અને લતિકા જેવી વીરાંગનાઓ પણ છે જ. અહીં હરનાથ જેવા કલાકાર પણ છે જે જીવનના ચિત્રમાં કોઈ અદકેરો રંગ પૂરવાની ખ્વાઈશ ધરાવે છે. અને આખી વાર્તામાં સતત નરેનનું મંથન તો છે જ. છેવટે તેને છોડીને કુંદા ડિકી સાથે ભાગી જાય છે ત્યારે પણ નરેન ભાંગી પડતો નથી. હરનાથ પણ મૃત્યુ પામે છે, પણ કથા ત્યાં અટકતી નથી. ભલે પોતાના નહિ, પણ કુંદાના સંતાનને નરેન જુએ છે, અને ત્યારે જ આકાશમાં  ઇન્દ્રધનુ ખીલી ઊઠે છે. લેખકના શબ્દોમાં જ એ વાત સાંભળીએ :

હમણાં જ વરસાદ થંભ્યો હોવાથી હવા ઠંડી ઠંડી અને ગુલાબી લાગતી હતી. બેકવોટર્સની ખાડી ઉપર છવાયેલા આકાશમાં ત્રણ ટુકડે મેઘધનુષ ઉપસી આવ્યું હતું. નરેન એના સર્વ રંગો પી રહ્યો, અને એમાં અદકા રંગનું આરોપણ પણ કરી રહ્યો. એ રંગ હતો, હરનાથની છાતીમાંથી ધોધવો બનીને રેલાયેલા લાલચટાક લોહીનો, એ રંગ હતો કુંદાને સિઝેરિયન શસ્ત્રક્રિયા વેળા મૂકાયેલા બે ઊભા છેદમાંથી વહેલા લોહીનો, એના બાળકની ઓર કાપતાં વહેલા લોહીનો, રિકમ્મા ટિયરગેસની ગૂંગળામણમાં ટોળાના ધસારામાં કચડાઈ ગઈ અને એના ઉદરમાંથી લોચોપોચો બહાર નીકળી પડ્યો ત્યારે એ મેદાનમાં વહેલા લોહીનો. … નરેને જરા પીઠ ફેરવીને ફળિયામાંથી આકાશ તરફ જોયું. ઇન્દ્રધનુનો બહુ જ નાનો ટુકડો અહીંથી દેખાતો હતો. પણ એની રંગપૂરણીમાં એક અદકા રંગની મિલાવટ થઈ ચૂકી હતી. 

નરી આંખે ઇન્દ્રધનુમાં ભલે સાત રંગો દેખાતા હોય, પણ આઠમો રંગ પણ એમાં ભળ્યો છે. અને આમ, મૃત્યુથી શરૂ થતી નવલકથા જીવન, બલકે નવજીવન આગળ આવીને અટકે છે. અને છતાં કૃતિ ક્યાંય ‘મંગળ છાપ’વાળી બનતી નથી.

મડિયાનું મુંબઈનું નિવાસસ્થાન, ‘ચંદ્રલોક’

આ નવલકથામાં પ્રસંગો પાર વિનાના છે. ક્યારેક તો કોઈ કંજૂસની ભરેલી તિજોરીનો ખ્યાલ આપે તેટલા છે. પણ પ્રસંગ ખાતર પ્રસંગ અહીં ભાગ્યે જ જોવા મળે છે. વાંચતી વખતે ક્યારેક ભલે લાગે કે આ પ્રસંગ તો કથામાં આગંતુક છે. પણ વાર્તામાં થોડા આગળ વધીએ ત્યાં જ એ પ્રસંગ આખા ઘટના-પ્રવાહમાં ગોઠવાઈ જતો લાગે. આ નવલકથાનું નિરૂપણ યરવડા ચક્ર જેવું નહિ, પણ અંબર ચરખા જેવું છે. એક સાથે ઘણી ત્રાક ફરતી જાય. ઘણી પૂણીઓ કંતાતી જાય. ઘણા તાર નીકળતા જાય. પણ એ બધાંને ચલાવનાર મુખ્ય ચક્ર તો એક જ છે, નરેન. પરિણામે આટલી બધી ઘટનાઓ હોવા છતાં તે વેરવિખેર થઈ જતી નથી.

આ નવલકથા વાંચતાં તેની લખાવટમાં એક પ્રકારની બળૂકાઈ વર્તાઈ આવે છે. આપણી ઘણી નવલકથાનાં પાત્રોની બોલી જાણે ડેટોલથી ધોયેલી હોય તેવી, વધારે પડતી સ્વચ્છ, પણ અંદરથી માંદલી હોય તેવી લાગે છે. આ નવલકથાનાં પાત્રો શહેરી છે, તેમાંનાં કેટલાંક તો સુશિક્ષિત પણ છે, સુધરેલાં પણ છે, છતાં એમની બોલીમાં પેલી માંદલી સ્વચ્છતા નથી, પણ તંદુરસ્ત માણસની શક્તિ અને સ્ફૂર્તિ છે. આ કૃતિની ભાષા આખી નવલકથાને કોઈ અદકેરું બળ પૂરું પાડે છે.

આ નવલકથા વાંચનારને એક વાતની ખાતરી તો થઈ જ જાય, કે આ લેખક જબરો ફરંદો માણસ હતો. મુંબઈના જુદા જુદા લત્તાઓમાં લેખક જુદે જુદે વખતે ફર્યા છે. ના, રખડ્યા છે. એટલે મુંબઈનાં દિવસ-રાતનાં અનેક ભાતીગળ ચિત્રો અહીં કલાઈડોસ્કોપની જેમ આવતાં જતાં રહે છે. અને તેમાંનાં ઘણાં માણવા ગમે તેવાં છે. જેમ કે ફ્લોરા ફાઉન્ટન નજીક આવેલી રાત દિવસ ધમધમતી સેન્ટ્રલ ટેલિગ્રાફ ઓફિસ – જે હવે અવાવરુ ખંડેર જેવી બની ગઈ છે – પાસેનું રાતના બાર-સાડા બાર વાગ્યાના વાતાવરણનું ચિત્રણ.

નિર્જન જણાતા માર્ગો પર ક્યાંક ક્યાંક જીવનનો સંચાર થઈ રહ્યો હતો. બસ સ્ટેન્ડ પર હજી સાડા બારે ઉપડનારી બસના રેડિયેટરમાં પાણી રેડાતું હતું. સિનેમાના છેલ્લા શોમાંથી છૂટેલા અને એક રાતપાળીમાંથી ફારગ થનારા જીવોને લઈને દૂર દૂરનાં પરાંઓમાં પહોંચાડનારી એ બસ હજી પૂરેપૂરી ભરાઈ નહોતી. એમાં સ્થાન લેવા ઇચ્છનારાઓ પણ હજી નીચે ઊભા ખાણીપીણીમાં મશગુલ હતા. રાત્રીની નિવૃત્તિમાં આ એક જ સ્થળે પ્રવૃત્તિ ગુંજતી હતી. ગરમાગરમ છોલે ને રગડાથી માંડીને બરફની પાટ ઉપર ઠંડુ થયેલ ફ્રૂટ સલાડ પણ અહીં સુલભ હતું. શહેરની બધી જ ખાણાવળો ગુમાસ્તા ધારા તળે વધાવાઈ ગયા પછીની આ જંગમ હોટેલ પર ભૂખ્યાં જનો તૂટી પડ્યાં હતાં. સમોસાં, રોલ, કે સેન્ડવિચીઝ, જે હાથ આવે તે આરોગી જતાં હતાં. એક ખૂણે દિવસભર વેચતાં વધેલી કુલફીવાળો ડોસો મોટુંમસ માટલું લઈને બેઠેલો. એની બાજુમાં જ એક સગડી પર અંગારા ઝબૂકતા હતા, અને એની વચ્ચે તપીતપીને લાલચોળ થઈ ગયેલા સળિયાઓમાં મણકાની જેમ પરોવાયેલા શીશકબાબ શેકાતા હતા એ ક્રિયા જોવામાં નરેનને બહુ મજા પડી.

ચુનીલાલ મડિયાના પહેલા બે વાર્તા સંગ્રહો ૧૯૪૫માં પ્રગટ થયા, ‘ઘૂઘવતાં પૂર’, અને ‘ગામડું બોલે છે’. એક લેખક તરીકે મડિયા સામે જે ચેલેન્જ હતી તેનો અણસારો આપતાં હોય તેવાં આ બંને નામ છે. લેખક તરીકેની કારકિર્દીનાં ઘણાં વરસ મડિયાએ વડોદરાની વિશ્વામિત્રીનાં ઘૂઘવતાં પૂરની સાથે રહીને નહિ, પણ સામે રહીને લખવાનું થયું. પ્રયોગપરાયણતા, ભાષાકર્મ, ઘટનાનું તિરોધાન, વગેરેનાં વાગતાં ડાકલાં વચ્ચે રહીને તેમણે એક સજાગ સર્જક તરીકે તરવાનું હતું. તો બીજી બાજુ ગુજરાતના ગામડાને બોલતું, ગાતું, નાચતું, હસતું, રડતું કરનાર બે સમર્થ સર્જકો ઝવેરચંદ મેઘાણી અને પન્નાલાલ પટેલ કરતાં નોખી-અનોખી રીતે તેમણે પોતાના ગામડાને બોલતું કરવાનું હતું. અને આ બંને કામ મડિયા કરી શક્યા, સફળતાથી કરી શક્યા. કારણ મડિયા બીજા કોઈને પૂછીને નહિ, પણ પોતાની જાતને પૂછીને લખનારા આપણા થોડા લેખકોમાંના એક હતા.

લેખનમાં મગ્ન મડિયા

મડિયાનો જન્મ સૌરાષ્ટ્રના નાના ગામ જેવા ધોરાજીમાં, ૧૯૨૨ના ઓગસ્ટની ૧૨મી તારીખે. ધોરાજીમાંથી મેટ્રિકની પરીક્ષા આપ્યા પછી કોલેજનું ભણવા માટે પહેલાં અમદાવાદ અને પછી મુંબઈ. ૧૯૫૦થી ૧૯૬૨ સુધી મુંબઈની અમેરિકન કોન્સ્યુલેટ અંતર્ગત USISના ગુજરાતી પત્રકારત્વ વિભાગમાં કામ કર્યું. ૧૯૫૫માં યરપ અને અમેરિકાનો પ્રવાસ કર્યો. ૧૯૬૩માં ‘રુચિ’ માસિક બાવડાના બળે શરૂ કર્યું. ૧૯૬૮ના ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં ઇન્ડિયન પી.ઈ.એન. નામની લેખકોની સંસ્થાના વાર્ષિક સંમેલનમાં ભાગ લેવા અમદાવાદ ગયા. ત્યાંથી ડિસેમ્બરની ૨૯મી તારીખે મુંબઈ પાછા ફરતાં રાતે ટ્રેનમાં જ અવસાન. આ મહિનાની ૨૯મી તારીખે એ વાતને ૫૫ વરસ થશે. જિંદગી મળી માત્ર ૪૬ વરસની. એમાં તેમણે આપણને આપ્યાં ૪૫ પુસ્તક! કોઈ પણ વાદ કે વાડામાં બંધાયા વગર મડિયાએ ઉચ્ચ્તમથી માંડીને છેક તળિયાના આદમી સુધીના વિવિધ સ્તરનાં સ્ત્રી-પુરુષોને પોતાની કૃતિઓમાં ધબકતા કર્યાં છે.

‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ વાંચ્યા પછી મનમાં એક સવાલ ઊઠે છે : મડિયાને જો થોડાં વધારે વરસ મળ્યાં હોત તો? તો કદાચ નગર જીવનનું બળુકું નિરૂપણ કરતી ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ જેવી વધુ નવલકથાઓ તેમની પાસેથી મળી હોત? ગામડું અને શહેર, બંનેની તલવાર એક જ મ્યાનમા રાખી શકવાની કુશળતા તો તેમનામાં હતી જ. સર્જક મડિયા ગામડાથી બહુ દૂર તો ગયા ન હોત, કારણ એ તો એમને ગળથૂથીમાં મળ્યું હતું. પણ કર્મભૂમિ મુંબઈનાં વધુ પ્રતિબિંબ તેમની કૃતિઓમાં ઝીલાયેલાં જોવા મળતાં હોત, કદાચ. પણ શું જીવનમાં કે શું સાહિત્યમાં જો-તોને અવકાશ જ ક્યાં હોય છે? ‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ના છેલ્લા વાક્યમાં નજીવો ફેરફાર કરીને આપણે કહી શકીએ : “લેખકે જરા પીઠ ફેરવીને ફળિયામાંથી આકાશ તરફ જોયું. ઇન્દ્રધનુનો બહુ જ નાનો ટુકડો અહીંથી દેખાતો હતો. પણ એની રંગપૂરણીમાં એક અદકા રંગની મિલાવટ થઈ ચૂકી હતી.”

‘ઇન્દ્રધનુનો આઠમો રંગ’ નવલકથા એટલે મુંબઈની, તેના લોકોની, તેમના જીવનની, તેમનાં દુઃખસુખોની છબી ઝીલતી એક બળૂકી નવલકથા. મડિયાની નવલકથાનો પણ એક અદકો રંગ, આઠમો રંગ.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 02 ડિસેમ્બર 2023)

Loading

સ્વ. મધુસૂદનની બાગબાની

રજની પી. શાહ ( આર.પી.-ન્યુ યોર્ક)|Diaspora - Literature|2 December 2023

રજની પી. શાહ

આમ તો ડાયાસ્પોરા લેખકોનું કંઈ યુનિયન નથી, છતાં સ્વ. મધુસૂદન કાપડિયા (મધુકા) માટે ‘બાગબાની’ શબ્દ વપરાયો તો થયું, મારા બે બોલ લખું. 

હું શાળામાં હતો ત્યારે પ્રશ્નપત્રમાં એક પંક્તિ આપે અને પછી પૂછે,

‘પૂર્વાપર સંબંધ આપીને સમજાવો’.

તો જે ગુજરાતીઓ અહીં અમેરિકામાં પંચાવનેક વર્ષો પહેલાં આવ્યાં, તેમની દશાનો દસ્તાવેજ છે કોઇની પાસે? ના. નથી. તો સાંભળો, નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર ઉપર પ્રથમ પગ મુક્યો તેનાથી પણ એ કપરો પીરિયડ હતો, અમારો. સાચે જ અમે હતા પત્થર યુગના આદિ ફેમિલીઝ. પહેલો ફાલ આવ્યો તે અમારો : ડોકટરો, એન્જિનિયરો કે બાયોકેમિસ્ટોનો. અન્ય વર્ગના માણસોને અને ત્યાર પછીનાં બધાં કવિઓ, શાયરો, સંગીતકારોને સૌને વિસા આપવાને હજુ વાર હતી. ત્યાં સુધી આ બંજર ભૂમિમાં અમારે માત્ર અમારું અસ્તિત્વ ટકાવી રાખવાનું હતું. મહામુશ્કેલ હતું. શ્વાસમાં ઓક્સિજન, હાથમાં ડોલર્સ ને ટેરવાં પર બૈરી-છોકરાં. એ જ એક મંત્ર હતો.

 ત્યાં આ સાહિત્ય વળી શું બલા? અને ધારો કે ભાષાને એવાં છંદ-બંધ હોય તો પણ એ બધા નાટારંગો કરવાની પડી’તી કોને? બહુ ટેંટે કરીએ તો લોકો કહી દે, ગો બૅક.

સાહિત્ય કે વિવેચન માટે તો રેનોંસા કાળ જોઇએ. અમને હજુ રેનોંસા મળ્યોજ નથી. અરે, આ ૨૦૨૩માં પણ એને માટે ડાવાં નાંખીએ છીએ, અમને ફુરસદ જ ક્યાં છે?

આમ જોવા જાવ તો તમારે ગુજરાતમાં પણ સારા વિવેચકો છે કેટલા ટકા? કેટલા ટોપીવાલાઝ ? કેટલાં હેમિંગ્વેઝ? કેટલાં ટેનેસી વિલિયમ્સ?

હવે તો ખેલ ખતમ થવાના ઘંટ વાગે છે.  યુ-ટ્યુબની વીડિયો ક્લિપની નીચેની લેજંડની લીટી વંચાય કે બહુ થયું, ભયો ભયો. ફેસબુકમાં વાર્તા, કવિતા ને ગઝલ તો આવે છે, એક નથી આવતું વિવેચન. થૅંક્યૂ. ભૈસા’બ, તોબા એનાથી.

દીપોત્સવી અંક તો આખેઆખો વંચાય છે, ટોયલેટ સીટ પર. ગદ્યવાર્તા તો અમે સ્પિડ રીડિંગમાં વાંચીએ. તેથી એને યાદ રાખવાની મગજમારી જ નહીં ! એટલે પછી કોઇ એની ચૂંથાચૂંથી (યાને કે વિવેચન) પણ ના કરે. સાહિત્યનું ડીપ ક્લીનિંગ કરવાની જરૂર જ શું?

એના કરતાં મી લોર્ડ, અમારા મધુકાની બાગબાની હજાર દરજ્જે સારી.

e.mail : rpshah37@hotmail.com

Loading

...102030...834835836837...840850860...

Search by

Opinion

  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319
  • સેલ્સમેનનો શરાબ
  • નફાખોર ઈજારાશાહી અને સરકારની જવાબદારી  
  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved