Opinion Magazine
Number of visits: 9665938
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શાણા શાસકો માટે ધર્મ અને બીજી ઓળખો ગૌણ હોય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|11 January 2024

રમેશ ઓઝા

જે વાચકોએ અયોધ્યાની મુલાકાત લીધી હશે તેમને જાણ હશે કે અયોધ્યામાં બે પાંચ નહીં સેંકડોની સંખ્યામાં મંદિરો છે. જે નથી ગયા તે એક વાર જઈને ખાતરી કરી આવે. અહીંયા સીતામાતાએ રસોઈ કરી હતી, અહીંયા કૈકેયી કોપિત થયાં હતાં, અહીં રાજા દશરથનો મહેલ હતો, વગેરે વગેરે. ભગવાન રામ સાથે સંકળાયેલાં હોય એવાં સેંકડો મંદિરો અયોધ્યામાં છે. ૧૯૯૨ની સાલમાં હું મારાં બાને લઇને અયોધ્યા ગયો હતો અને દરેક મંદિરે દર્શન કરવાનાં મારાં બાના આગ્રહને પરિણામે કંટાળીને હું ગુસ્સે થઈ ગયો હતો એ ઘટના પણ મને યાદ છે. કાશીમાં તો અયોધ્યા કરતાં પણ વધુ મંદિરો છે. ઓછામાં ઓછાં ત્રણ ગણાં હશે. આદિકેશવ ઘાટથી લઇને અસ્સી ઘાટ સુધી ભ્રમણ કરશો તો લગભગ દર ત્રીજા મકાનમાં મંદિર જોવા મળશે. આવું જ મથુરામાં અને અન્યત્ર યાત્રાસ્થાનોએ. બ્રાહ્મણોએ પોતાનાં જીવનનિર્વાહ માટે જ્યાં ત્યાં નિમિત્ત શોધીને નાનાંમોટાં મંદિરો બંધાવ્યાં હતાં અને તેની સાથે આસ્થા જોડી હતી.

હવે સવાલ એ છે અને એનાં તરફ મારા એક મિત્રએ ઘ્યાન દોર્યું છે કે એમાંનાં કેટલાં મંદિરો પ્રાચીન છે? પ્રાચીન એટલે એટલાં પ્રાચીન કે જ્યારે ઇસ્લામનો ઉદય પણ નહોતો થયો અને કોઈ મુસલમાને ભારતમાં પગ પણ નહોતો મૂક્યો, એ પહેલાંનાં મંદિરો. અર્થાત્ ઇસ્વી સનની સાતમી શતાબ્દી પહેલાંનાં મંદિરો. માંડ એકાદ બે મળી શકે અને એ બાબતે પણ શંકા છે. જ્યાં જ્યાં પ્રાચીનતાનો દાવો કરવામાં આવે છે ત્યાં કારબન ડેટિંગ કરીને ખાતરી કરી લેવી જોઈએ. વધુમાં વધુ ૯૫ : ૫ની સરેરાશ મળે. સોમાંથી પાંચ પ્રાગ ઇસ્લામિક પ્રાચીન મંદિર અને ૯૫ ભારતમાં મુસલમાનો આવ્યાં એ પછીનાં.

હવે આનો અર્થ શું થયો? ભારતનાં ૯૫ ટકા મંદિરો ભારતમાં મુસલમાનો આવ્યાં એ પછી બંધાયાં છે. કાર્બન ડેટિંગ કરીને એની પણ ખાતરી કરી શકાય છે. જ્યારે વિજ્ઞાન ઉપલબ્ધ છે તો માન્યતાનો આશારો શા માટે લેવાનો ? હા, એમાં કોઇને બદનામ કરવાનો અને ઠોકાવાનો તેમ જ સત્તાકીય રાજકીય એજન્ડા હોય તો જુદી વાત છે. પ્રિય વાચક, જો તારા ગામમાં એક સમયે નવાબી રાજ હતું તો સ્વયં ખાતરી કરી લે કે કયા નવાબે તારાં ગામનું મંદિર તોડ્યું હતું. મારું ગામ નવાબી શાશન હેઠળ હતું અને દરેક મંદિરના પૂજારીઓને નવાબ તરફથી વર્ષાસન મળતું હતું. ગામની ગાયો માટે નવાબે ગૌચરણની જમીન આપી હતી જે હિન્દુ દેશપ્રેમીઓ ખાઈ ગયા છે. નવાબી હેઠળનાં દરેક ગામનો લગભગ આ જ ઇતિહાસ હશે અને એની મને સો ટકા ખાતરી છે. 

તો આનો અર્થ એ થયો કે ભારતમાં ૯૫ ટકા મંદિરો મુખ્યત્વે મધ્યકાલીન યુગમાં મુસલમાનોનું રાજ હોવા છતાં બંધાયાં છે, જ્યારે કે ઇસ્લામમાં મૂર્તિપૂજા વર્જ્ય છે. બૂતપરસ્તીની નિંદા કરતી આકરી આયાતો કુરાનમાં મળી રહેશે અને હદીસ પણ તેની સાક્ષી આપશે. ઇસ્લામના આદેશની વિરુદ્ધ જઈને મુસ્લિમ શાસકોએ મંદિરો બંધાવા દીધાં છે અને કેટલેક સ્થળે મદદ પણ કરી છે. આવું કેમ બન્યું હશે? અને આ પ્રશ્નનો ઉત્તર જો તમારે શોધવો હોય તો તે સંઘસાહિત્ય વાંચવાથી નહીં મળે. ભગવાને બુદ્ધિ આપી છે એનો ઉપયોગ કરવો પડશે. બુદ્ધિ બહુ અમૂલ્ય જણસ છે, એ વેડફવા માટે નથી અને કોઈનાં ચરણોમાં ધરી દેવા માટે તો બિલકુલ નથી. સમાજમાં વિભાજન પેદા કરીને સત્તા ભોગવવા માગનારા લોકો બે કામ કરે છે. એક અનુકૂળ આવે એવું ધર્મવચન શોધે છે અને પછી એ ધર્મવચનનો કોઈ શાસકે ઉપયોગ કર્યો હોય તો એવી કોઈ અપવાદરૂપ ઘટનાને પ્રચાર દ્વારા નિયમ તરીકે સ્થાપિત કરે છે. કુરાનમાં મૂર્તિપૂજા વર્જ્ય છે અને તેને અનુસરીને મુસલમાનોએ મંદિરો તોડ્યાં હતાં. એ પછી પ્રચારનો મારો શરૂ થાય. એમાં મુસ્લિમ વિરોધી તામસિક માનસ ધરાવનારાઓ હોંશે હોંશે જોડાય અને બુદ્ધિના બારાદાનો પ્રચારને સાચો માનીને જોડાય. 

પણ સવાલ તો બાકી રહે જ છે કે ઇસ્લામમાં મૂર્તિપૂજા વર્જ્ય હોવા છતાં અને દેશમાં અનેક ઠેકાણે તેમનું એક ચક્રી શાશન હોવા છતાં (એટ લીસ્ટ કાશી, મથુરા અને અયોધ્યામાં તો મુસલમાનોનું રાજ હતું જ) આટલાં બધાં મંદિરો કેમ બંધાયાં? અને બંધાયાં તો કેમ બચી શક્યા? આનું શું રહસ્ય છે? તેમને હિંદુઓ માટે કે હિંદુઓનાં મંદિરો માટે પ્રેમ હતો એવું નથી. અને જો હોય તો એકાદ કોઈ શાસકને હોય, બધાને ન હોય.

આનો ઉત્તર એ છે કે મુસ્લિમ શાસકો ભારતમાં બને એટલો લાંબો સમય રાજ કરવા માગતા હતા, ઇસ્લામનો પ્રચાર તેમનો ઉદ્દેશ નહોતો. તેમને એટલું ભાન હતું કે જો રાજ્યમાં શાંતિ અને પ્રજાકીય સૌહાર્દ જાળવી રાખવા હોય તો કોઈની શ્રદ્ધા સાથે ચેડાં નહીં કરવા જોઈએ. દરબારમાં રોજ સવારે ઇસ્લામ અને તુર્કીના મુસલમાનોના ખલીફા તરફ નિષ્ઠાનો કલમો પઢી લીધો અને વાત પૂરી. એ પછી વ્યવહાર જોવાનો. રાજકીય સ્વાર્થ જોવાનો. તમને ખબર છે? એ સમયે અનેક મૌલવીઓ ફરિયાદ કરતાં હતા કે મુસ્લિમ બાદશાહોનું મુસ્લીમ શાસન નામ પૂરતું છે. તેઓ ઈસ્લામ અને ખલિફા સાથે છેતરપીંડી કરે છે. આવા નકલી ઇસ્લામિક રાજ્ય કરતાં તો કાફિરોનું રાજ સારું. પાકિસ્તાનની સ્થાપના પછી મહમ્મદ અલી ઝીણા સામે પણ મૌલવીઓએ આ જ દલીલ કરી હતી.

કોઇને સતાવો, એક પ્રજાને બીજી પ્રજા સામે ઊભી કરો, બદનામ કરો, અંગત ભાવનાઓને દુભાવો તો રાજ કરવા તો મળે પણ લાંબો સમય રાજ કરવા ન મળે. ઔરંઝેબ આનું ઉદાહરણ છે. બાબરથી લઇને શાહજહાં સુધીના મુઘલ શાસકો એકંદરે વ્યવહારિક મધ્યમ માર્ગ અપનાવતા હતા એટલે બસો વરસ રાજ કરી શક્યા હતા. ઔરંગઝેબે મધ્યમ માર્ગ છોડ્યો અને ધીરે ધીરે મુઘલ સામ્રાજ્યનો અંત આવ્યો. પેશ્વાઓએ સવર્ણ અવર્ણ ભેદ કર્યો અને પેશવાઈ ડૂબી ગઇ. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને કાંગ્રેસે મધ્યમ માર્ગ અપનાવ્યો તો દેશને આઝાદી પણ મળી અને દેશે ગણનાપાત્ર વિકાસ પણ કર્યો. ટૂંકમાં શાસનની ચિરંજીવીતા અને યશ એને મળે છે જે મધ્યમ માર્ગે ચાલે છે. ઇતિહાસ આમ કહે છે.

મુસલમાનો અને પેશ્વાઓ છોડો અહીં અંગ્રેજોના શાસનને પણ યાદ કરી લઈએ. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સંચાલકોએ બ્રિટિશ સરકારને ચોખ્ખું કહી દીધું હતું કે ભારતમાં ધર્માંતર કરાવતા મિશનરીઓને છુટ્ટો દોર આપીને ભારતમાંથી વહેલી તકે ઉચાળા ભરવા છે કે પછી લાંબો સમય ભારતમાં પગ ભરાવીને પૈસા કમાવા છે? નક્કી કરી લો. જો પૈસા પ્યારા હોય તો મિશનરીઓને અંકુશમાં રાખો. બન્ને સાથે ન ચાલે. બ્રિટિશ સામ્રાજ્યે પૈસાને પ્યારો ગણ્યો હતો અને મિશનરીઓ પર અંકુશ મૂક્યો હતો. શાણા શાસકો માટે ધર્મ અને બીજી ઓળખો ગૌણ હોય છે. પણ આ વાત શાણા શાસકોને લાગુ પડે છે.

જો મુસ્લિમ અને અંગ્રેજ શાસકો માટે ધર્મ કેન્દ્રમાં હોત તો બે સંભાવના હતી. કદાચ ભારતમાં હિન્દુઓ લઘુમતીમાં હોત અથવા આતતાયી શાસકોની શાસનદોરી ટૂંકી નીવડી હોત. શું થયું હોત એ કહેવું મારા માટે મુશ્કેલ છે. પણ એવું બન્યું નહીં કારણ કે તેમના શાસનના કેંદ્રમાં દીર્ઘજીવી શાસન અને સમૃદ્ધિ હતાં અને તે પ્રજાકીય સૌહાર્દ દ્વારા જ શક્ય છે.

દરમિયાન એક વાર કાશી, મથુરા અને અયોધ્યા જઇને હિન્દુ મંદિરોની સંખ્યા ગણી આવો. ઓછામાં ઓછાં ત્રણેક હજાર મંદિરો મળશે. તેને મુસ્લિમ શાસકોએ બંધાવાં દીધાં હતાં અને જે બંધાયાં હતાં તેને તોડ્યાં નહોતાં. નહીંતર ત્રણ હજાર મંદિરો કેવી રીતે હોય! અને છેલ્લી વાત. અયોધ્યાનો ચૂકાદો આપતાં સર્વોચ્ચ અદાલતે સર્વસંમતિ સાથે ચૂકાદો આપ્યો હતો કે બાબરી મસ્જિદની જગ્યાએ મંદિર હોવાનાં અને તેને તોડ્યું હોવાના કોઈ પુરાવા નથી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 11 જાન્યુઆરી 2024

Loading

આદિવાસી અધિકારોનો સબળ અવાજ : જયપાલ સિંહ મુંડા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|10 January 2024

ચંદુ મહેરિયા

દલિતોને બંધારણીય રાહે અનામત અને વિશેષ સગવડો ડો. બાબાસાહેબ આંબેડકરની લડતને કારણે મળી શકી છે. પરંતુ આદિવાસીઓને શું આપમેળે જ અનામત અને અન્ય લાભો મળી ગયા છે ? કે તે માટે કોઈએ પ્રયત્નો કર્યા હતા ? આ પ્રશ્નનો જવાબ આદિવાસીઓની હાલની પેઢી પણ ઝટ દઈને આપી શકતી ન હોય એ હદે આદિવાસીઓના બંધારણીય અધિકારો માટે સંઘર્ષરત જયપાલ સિંહ મુંડા(૧૯૦૩-૧૯૭૦)ને વિસરી જવાયા છે. ભારતની બંધારણ સભાના અલ્પ આદિવાસી સભ્યો પૈકીના એક જયપાલ સિંહ મુંડાને જ લીધે આદિવાસીઓના અનામત સહિતના લાભોને બંધારણીય સંરક્ષણ પ્રાપ્ત થઈ શક્યું છે.

આજથી એકસો વીસ વરસ પૂર્વે ત્રીજી જાન્યુઆરી ૧૯૦૩ના રોજ, તત્કાલીન બંગાળ પ્રેસિડેન્સીના અને વર્તમાન ઝારખંડના ખૂંટી જિલ્લાના ટકરા ગામે મુંડા આદિવાસી પરિવારમાં જયપાલ સિંહનો જન્મ થયો હતો. બચપણનું નામ પ્રમોદ પાહન. પિતા અમરુ પાહન અને માતા રાધામુનિના આ સંતાનનું આરંભિક શિક્ષણ પૈતૃક ગામમાં થયું હતું. ગામથી માંડ પંદર કિલોમીટર દૂર રાંચીની ખ્રિસ્તી મિશનરીઓની અંગ્રેજી શાળા સેન્ટ પોલ સ્કૂલમાં એ દાખલ થયા અને જાણે કે જીવનની દિશા બદલાઈ ગઈ. આ આદિવાસી બાળકની કુશાગ્ર બુદ્ધિ અને પ્રતિભાને કારણે સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર કેનનની તેના પર વિશેષ નજર હતી. એટલે ધર્મ પલટો કરીને તેને ખ્રિસ્તી બનાવાયો. સાથે નામ અને અટકમાં પણ પલટો થયો. મુંડાએ તેમની આત્મકથા Lo Bir Sendraમાં નોંધ્યું છે તેમ પ્રમોદ પાહનમાંથી તેમનું નવું નામ અને અટક જયપાલ સિંહ મુંડા કદાચ તેમને ૧૯૧૧માં સ્કૂલમાં જ મળ્યું હતું.

જયપાલ સિંહ મુંડા

આદિવાસી બાળક જયપાલને અંગ્રેજોની શાળામાં ભણવાનો મોકો તો મળ્યો, ઈ.સ. ૧૯૧૮માં તેમની પંદર જ વરસની વય હતી ત્યારે ફાધર કેનન તેમને બ્રિટન લઈ ગયા. આ વિદેશગમન મુંડાની જિંદગીનું મહત્ત્વનું વળાંક બિંદુ હતું. બ્રિટનમાં રહીને તે ઓકસફર્ડમાં ભણ્યા. અહીં જ તેમણે મેટ્રિકથી અનુસ્નાતક સુધીનો અભ્યાસ ઊંચા મેરિટ સાથે કર્યો. અભ્યાસની સાથે તે હોકી રમતા. તેમાં એવી તો મહારત હાંસલ કરી કે પરતંત્ર ભારતની હોકી ટીમના તે કેપ્ટન બન્યા. ઈ. ૧૯૨૮માં ભારતની હોકી ટીમે ઓલમ્પિક્માં ગોલ્ડ મેળવ્યો તે ટીમના મુંડા કેપ્ટન હતા. ઓકસફર્ડ યુનિવર્સિટીનો આ વિધ્યાર્થી આદિવાસી, કલર્ડ અને એશિયનની ભેદભાવસૂચક ઓળખ અને ભેદભાવ છતાં આગળ વધતો રહ્યો. બ્રિટનમાં ભણતા આદિવાસી યુવાન મુંડાએ આ દિવસોમાં જ ઇન્ડિયન સિવિલ સર્વિસની અઘરી પરીક્ષા પાસ કરી. આવી મોભાદાર નોકરીની પરીક્ષા પાસ કરનારા તેઓ પ્રથમ આદિવાસી હતા. પરંતુ હોકીની ઓલિમ્પિક અને આઈ.સી.એસ.ની ટ્રેનિંગ વચ્ચે પસંદગી કરવાની આવી ત્યારે એમણે હોકીને પસંદ કરી હતી.,આઈ.સી.એસ. છોડ્યું હતું.

હોકીમાં કારકિર્દીની ટોચે હતા ત્યારે એમણે હોકીને અલવિદા કરી. ઓલિમ્પિક ગોલ્ડ હોકી ટીમના એમના સાથી મેજર ધ્યાન ચંદે આત્મકથા ‘ગોલ’માં મુંડા પ્રત્યે આચરાતો ભેદભાવ તેનું કારણ હોવાનો નિર્દેશ કર્યો છે. કોલકત્તામાં બર્મા ઓઈલ કંપનીમાં મુખ્ય અધિકારી તરીકે તેમની નિમણૂક થઈ હતી તે દરમિયાન પ્રતિષ્ઠિત બંગાળી રાજકીય ઘરાનાનાં તારા બેનરજી સાથે ૧૯૩૨માં તેમણે લગ્ન કર્યા. બહુમુખી પ્રતિભા ધરાવતા મુંડાએ દેશમાં અને વિદેશમાં અધ્યાપન પણ કર્યું હતું. બિકાનેર રજવાડાના મહેસૂલ અને વિદેશ સચિવ તથા કશ્મીરના રાજા હરિસિંહના દીકરા કર્ણ સિંહના ટ્યુટર પણ તેઓ હતા. વીસ વરસના વિદેશ વસવાટ પછી તેઓ ભારત પરત આવ્યા ત્યારે મિશનરીઓની અપેક્ષા પ્રમાણે આદિવાસીઓમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર-પ્રસારને બદલે તેમણે જાતભાઈઓનાં શોષણ અને બદતર હાલતમાં પરિવર્તન આણવાનો માર્ગ પસંદ કર્યો.

જયપાલ સિંહ મુંડાએ બિહાર અને અન્યત્ર આદિવાસીઓનાં રોજગાર અને શિક્ષણની સ્થિતિ નજરે નિહાળી. તત્કાલીન કાઁગ્રેસ નેતાઓ તે અંગે કંઈ કરે છે તેમ ના લાગતાં તેમણે આદિવાસીઓમાં રાજકીય જાગૃતિના પ્રયાસો આદર્યા, ૧૯૩૯માં તેમણે અખિલ ભારતીય આદિવાસી મહાસભાની સ્થાપના કરી. તેમના અધ્યક્ષસ્થાને ચાર જ મહિના પછીની જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં તેમણે ૩૮ બેઠકો મેળવી. એટલે કાઁગ્રેસને તેઓ પડકારરૂપ લાગ્યા. ઠક્કરબાપાના પ્રમુખપદે કાઁગ્રેસે પણ આદિવાસીઓનું સંગઠન ઊભું કર્યું. ૧૯૪૦માં કાઁગ્રેસનું વાર્ષિક અધિવેશન રામગઢમાં યોજાયું ત્યારે મુંડાએ લગભગ તેને સમાંતર એવી આદિવાસીઓની મહાસભા યોજી. તેમાં કાઁગ્રેસના નારાજ નેતા સુભાષચંન્દ્ર બોઝને નિમંત્રીને તો વળી નવી ચેલેન્જ ફેંકી. આદિવાસી બહુલ ૨૬ જિલ્લાનું અલગ ઝારખંડ રાજ્ય રચવાની તેમણે માંગ કરી. સુભાષબાબુએ પહેલાં સ્વરાજ પછી અલગ રાજ્યની સલાહ આપતાં આદિવાસી મહાસભા પૂર્ણ સ્વરાજ અને હિંદ છોડો ચળવળમાં જોડાઈ અને હજારો આદિવાસીઓએ જેલ ભોગવી જમશેદપુરના કારખાનાઓમાં કામ કરતા આદિવાસી કામદારોના અધિકારો માટે મુંડાએ આદિવાસી લેબર ફેડરેશન પણ બનાવ્યું હતું.

આઝાદી પહેલાં સ્વતંત્ર ભારતના બંધારણની રચનાની પ્રક્રિયા શરૂ થઈ હતી. મુંડા તેમાં સક્રિય હતા. એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે તેઓ બંધારણ સભામાં ચૂંટાયા હતા. બંધારણ સભામાં તેમણે આદિવાસીઓના અધિકારોની ધારદાર રજૂઆત કરી હતી. આદિવાસીઓ માટે શિક્ષણ, નોકરીઓ અને રાજકારણમાં અનામત બેઠકો મુંડાની રજૂઆતોનું પરિણામ છે. રાજકીય અનામતો માટેની ૧૦ વરસની મર્યાદા તેમને સ્વીકાર્ય નહોતી. બંધારણ સભામાં તેમણે કહ્યું હતું કે દસ વરસમાં ભારત કંઈ સ્વર્ગ નથી બની જવાનું. આટલાં વરસોમાં ના તો રાજકીય જાગૃતિ આવશે કે ના તો યોગ્ય પ્રતિનિધિત્વ ઊભું થશે. દર દાયકે લંબાવાતી રાજકીય અનામતોની મુદ્દતે મુંડાને સાચા ઠેરવ્યા છે.

બંધારણ સભામાં અને મહત્ત્વની સમિતિઓમાં આદિવાસીઓના અને ખાસ તો આદિવાસી મહિલાઓના અલ્પ પ્રતિનિધિત્વનો મુદ્દો તેમણે ઉઠાવ્યો હતો. તેઓ ઈચ્છતા હતા કે બંધારણમાં આદિવાસીઓ માટે અનુસૂચિત જાતિને બદલે આદિવાસી શબ્દ જ પ્રયોજાય. દારૂબંધીને બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સામેલ કરવાના પણ તેઓ વિરોધી હતા. તેઓ દારૂને આદિવાસીઓના જીવનનો ભાગ માનતા હતા. આદિવાસીઓને લગતી બંધારણની પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ પણ તેમની બંધારણ સભાના સભ્ય તરીકેની સબળ રજૂઆતોને કારણે જ શક્ય બની છે.

૧૯૫૦માં આદિવાસી મહાસભાનું ઝારખંડ પાર્ટીમાં તેમણે રૂપાંતર કરીને આદિવાસીઓનો રાજકીય અવાજ બુલંદ કર્યો. ૧૯૫૨ની ચૂંટણીમાં તેના ૩૨ ઉમેદવારો ધારાસભામાં અને ૪ લોકસભામાં ચૂંટાયા હતા. આ વિજયે મુંડાને આદિવાસી સમાજની રાજનીતિનો પ્રાણવાયુ સાબિત કર્યા. ૧૯૫૭માં તેના વધુ ઉમેદવારો વિજયી બન્યા. એટલે ૩૪ ધારાસભ્યો અને ૫ સંસદસભ્યો બન્યા. જો કે ૧૯૬૨માં તેના લોકસભામાં તો પાંચ ઉમેદવારો જીત્યા પણ ધારાસભ્યો ઘટીને ૨૨ જ થઈ ગયા. મુંડા લાગલગાટ ચાર વખત ખૂંટી મતવિસ્તારમાંથી જ સંસદમાં ચૂંટાતા રહ્યા હતા. ૧૯૬૨માં તેમના પક્ષના ૨૨માંથી ૧૨ ધારાસભ્યોને કાઁગ્રેસે પક્ષપલટો કરાવ્યો. તેથી લાચાર મુંડાએ ઝારખંડના અલગ રાજ્યની રચનાની શરતે પક્ષનો કાઁગ્રેસમાં વિલય કર્યો. કાઁગ્રેસે મુંડાને બિહારના નાયબ મુખ્ય મંત્રી તો બનાવ્યા પણ અલગ રાજ્ય ના બનાવ્યું. તેથી નારાજ મુંડાએ એક જ મહિનામાં રાજીનામુ આપ્યું. છેક ૨૦૦૦ના વરસમાં ઝારખંડનું નોખું રાજ્ય રચાયું ત્યારે મુંડાનું સ્વપ્ન સાકાર થયું.

૬૭ વરસની વયે ૨૦મી માર્ચ ૧૯૭૦ના દિવસે દિલ્હીમાં તેમનું અવસાન થયું હતું. હોકીના સર્વોચ્ચ ખેલાડી તરીકે તેમને ઓક્સફર્ડ બ્લૂનો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ ખિતાબ મેળવનારા તેઓ એક માત્ર ભારતીય છે. ઘર આંગણે આદિવાસીઓએ તેમને પ્રેમ અને આદર સાથે ‘મરાંગ ગોમકે‘(સર્વોચ્ચ કે મહાન નેતા)નું સન્માન આપ્યું હતું. આ સન્માન મેળવનારા પણ મુંડા એક માત્ર છે. જ્યારે દેશમાં સંઘર્ષશીલ રાજકીય આદિવાસી નેતૃત્વ દોહ્યલું બની રહ્યું છે, ત્યારે જયપાલ સિંહ મુંડાને વિસ્મૃતિની ગર્તામાં બહાર કાઢી અહર્નિશ યાદ કરવાની જરૂર છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

બે શબ્દ, નારાયણ દેસાઈના શતાબ્દી પ્રવેશ નિમિત્તે

પ્રકાશ ન. શાહ|Gandhiana, Opinion - Opinion|10 January 2024

કટોકટી વખતે ગૌહત્યા પર પ્રતિબંધ માટે વિનોબા ભાવેએ આમરણ ઉપવાસ શરૂ કર્યા ત્યારે નારાયણ દેસાઈ તેમના પત્ની સાથે વિનોબાને જોવા મહારાષ્ટ્રના પવનાર આશ્રમે ગયા હતા

ગાંધીજી નારાયણ દેસાઈને હંમેશાં ‘બાબલા’ તરીકે જ સંબોધન કરતા

ગાંધીના ‘બાબલા’થી માંડી, વિનોબાના બટુક અને જયપ્રકાશના સાથી સૈનિકથી માંડી છેલ્લા દસકામાં એક લોકાયની કથાકાર લગીના આ સમૃદ્ધ જીવનયાત્રા, સાહિત્ય–શિક્ષણ–સમાજને સંકોરતી, સંઘર્ષ અને રચનાના સાયુજ્યની નાગરિક મથામણ રૂપે વિલસી રહે છે

ગુજરાતી સાહિત્ય પરિષદના ભોપાલ અધિવેશનની એક રૂડી સાંભરણ એ બની રહેશે કે સભાખંડ સાથે નારાયણ દેસાઈનું નામ જોડાયું હતું. પરિષદના પૂર્વ પ્રમુખ નારાયણ મહાદેવ દેસાઈ (24-12-1924 : 15-3-2015)ના શતાબ્દી વર્ષની એ નાંદી ઘટના લેખાશે.

હમણાં મેં પરિષદના પૂર્વ પ્રમુખ તરીકે એમનો ઉલ્લેખ કર્યો, અને એ ઠીક જ છે. પણ નારાયણ દેસાઈની ઓળખ એટલા પૂરતી સમેટાઈ જાય તે ચોક્કસ જ સાવ સપાટબયાની બની રહેશે. એ લેખક જરૂર હતા. પરિષદ પ્રમુખ તો એ મોડેથી થયા, 2008-2009ના બે વરસ માટે, ચોરાસીમે વરસે, પણ એના ખાસા ચારેક દાયકા પર એ એમનાં ગાંધીસંભારણાંની નાનીશી કિતાબ ‘સંત સેવતાં સુકૃત વાધે’ લઈ આવ્યા ત્યારે જ પ્રકાશક ભાઈદાસ પરીખે મોકલેલા છપાતા ફરમા વાંચી આપણા એકના એક સ્વામી આનંદે લખેલું કે ‘મન કૂદકો મારીને ઝડપી લે એવી ચોપડી વર્ષો કે દાયકાઓ પછી મેં વાંચી હોય તો તે આ.’ પછી તો, ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ એ મહાદેવ દેસાઈ ચરિત્ર સાથે એમની હાજરી બરાબરની પુરાઈ ગઈ. મહાદેવભાઈની ડાયરી આમ તો વિશ્વવિશ્રુત – પણ એમાં ‘બાબલા’(નારાયણ)ની નોંધ જ ન મળે, કેમ કે એ તો ગાંધીચર્યા અંગે હતી. બાબલાએ મોટપણે એનું વેર બરોબર લીધું, અધિકૃત પિતૃચરિત્ર આપીને! અને આગળ ચાલતાં ત્રિખંડવ્યાપી એવું આકર ગાંધીચરિત્ર આપી ગાંધીજીની પોતાની ભાષામાં વિગતવિશદ, સ્વાધ્યાયસમૃદ્ધ ચરિત્ર નથી એ મહેણું પણ ભાંગ્યું.

નારાયણ દેસાઈને વિરલ વિભૂતિઓ સાથે જીવન વ્યતીત કરવાનો, યથાશક્તિમતિ પ્રવૃત્ત રહેવાનો મળતા મળે એવો પડકાર અવસર મળી રહ્યો. તારુણ્યને ઉંબરે પહોંચતા સુધીનાં વર્ષો બાપુ સાથે સાબરમતી આશ્રમ ને સેવાગ્રામમાં, પછી ભૂદાન આંદોલનમાં વિનોબા સાથે – અને આગળ ચાલતાં જયપ્રકાશ સાથે, શાંતિ સેનાથી માંડી બીજા સ્વરાજની લડાઈ સહિત. જે પરિવર્તનની રાજનીતિમાં એમણે લોકનીતિ ભણી સહજ ઝુકાવ સાથે શ્વસવું પસંદ કર્યું. એણે જ એમને સીધા સાહિત્યિક નહીં એવા લેખન તરફ પણ દોર્યા – ‘ચેક ઉઠાવ, ટેંક સામે લોક’ હોય કે પછી બાંગ્લા મુક્તિસંગ્રામ હોય. બાંગ્લાદેશે, પાછળથી જે કેટલાક સંગ્રામમિત્રોને માનભેર પોંખ્યા એમાંના એક નારાયણ દેસાઈ પણ હતા. સામાન્યપણે સરકારી માનઅકરામથી પરહેજ કરતા રહેલા નારાયણભાઈને અંતિમ યાત્રા વખતે સરકારી માન અપાયું – કાં તો સરકારના સ્વવિવેકથી હોય, કે પછી કોઈ અદક પાંસળી રજૂઆતથી – પણ પરિવારે બહુ જ વિવેકપૂર્વક બંદૂક ફોડી અંતિમ સલામ આપવાની વાત તો ખાળી જ. મરણોત્તર પદ્મસન્માન વાસ્તે સરકારી દરખાસ્ત આવી ત્યારે પણ પરિવારે એનો સાભાર અસ્વીકાર કરી ‘જ્યોં કી ત્યોં ધરી દીની ચદરિયા’નો નારાયણભાઈનો હૃદયભાવ પાળી જાણ્યો.

જીવનના છેલ્લા દસકામાં એમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની તેમ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ (ચાન્સેલર) તરીકેની જવાબદારી બખૂબી નભાવી જાણી. પરિષદની વ્યાસપીઠ પરથી એમણે 2002ના મહાપાતક વિશે અને અકાદમીની સ્વાયત્તતા સરી ગઈ એ ‘ઓશિયાળી’ પરિસ્થિતિ વિશે અસંદિગ્ધ શબ્દોમાં કહ્યું તો જિલ્લે જિલ્લે વાંચનયાત્રા યોજી એક જુદો જ લોકતાંતણો સાંધ્યો.

નારાયણ દેસાઈ

નારાયણ દેસાઈની કારકિર્દીનો આ આલેખ, એનું ઓઠું વ્યક્તિગત હોવા છતાં એક આખી તરુણાઈ અને એની પ્રૌઢિ ને પરિણત વર્ષોની જદ્દોજહતનો ચિતાર આપે છે. સ્વરાજ સૈનિક હોવું, સ્વરાજનો મેદ ને કાટ ન ચડે તે જોવું અને સ્વરાજ નિર્માણના રચનાકાર્યમાં નિજને પ્રોવું, સ્વરાજની બીજી લડતનો પડકાર ઝીલવો, સરવાળે સંઘર્ષ અને રચનાનું સાયુજ્ય.

ગાંધીથી શરૂ કરી વાયા વિનોબા, જયપ્રકાશ સુધી પહોંચવું એ સાધારણ યાત્રા અલબત્ત નથી. જો કે, નારાયણભાઈ કે એમના જેવા બીજા મિત્રો તો સરળતાથી કહેવાના કે આમાં અમારી કોઈ સિદ્ધિ નથી. સત્સંગતિથી જે થાય તે થયું. મને યાદ છે, જયપ્રકાશજીએ ભરબિહાર આંદોલને જે ચાર સાથીઓને પટણા નોંતર્યા ને જોતર્યા એમાંના એક ના.દે. પણ હતા. અમે જયપ્રકાશજીની રજાથી એમને ગુજરાત નોંતર્યા, બિહાર આંદોલનનું પ્રત્યક્ષ ને પ્રમાણભૂત ચિત્ર આપવા, ત્યારે અમે બધા સહજ જ તાનમાં આવી ગયા હતા અને ચંપારણના દિવસોમાં જેમ ગાંધી ને મહાદેવ સાથે હતા તેમ આજે જયપ્રકાશ ને નારાયણ સાથે છે એવો પેરેલલ પણ લગીર રોમેન્ટિક રુશનાઈથી પેશ કર્યો હતો. એ વખતે, ના.દે. જેનું નામ, એમણે અકબર ઈલાહાબાદીનું ઓઠું લઈને પોતાની પ્રશંસા વિશે અમને ઠમઠોર્યા ને ટપાર્યા હતા : ભાઈ, આ તો બુદ્ધુમિયાં જેવું છે, હૈ તો વો રાસ્તે કી ધૂલ લેકિન આંધી કે સાથ હૈ. પછી કહ્યું, આમાં આંધીને બદલે ગાંધી કરી નાખો એટલે હિસાબ બરોબર થઈ જશે!

પાછો છેલ્લા દાયકા પર આવું. વિદ્યાપીઠના કુલપતિ તરીકે સરકારથી સ્વતંત્ર ભૂમિકા લેવી – આજના કથિત ‘ગવર્નર રાજ’થી વિપરીત – એ એમની વિશેષતા રહી તેમ યુ.જી.સી.નાં ધોરણો ને આગ્રહો વચ્ચે ગાંધી પરંપરાના વિકસન સાથે બરકરાર રહેવું એ એમની કોશિશ રહી, જેનું સાતત્ય તમને ઈલાબહેન ભટ્ટના કાર્યકાળમાં પણ જોવા મળશે.

પણ છેલ્લે, જો કે અંગ્રેજીમાં કહે છે તેમ લાસ્ટ બટ નોટ લીસ્ટ, એમનું જે સ્વરૂપ નિખરી આવ્યું એ તો એક લોકાયની તરીકેનું. કથા સ્વરૂપે લોક સમક્ષ જવું ને જીવન દેવતા ગાંધીની કથા માંડવી અલબત્ત સાંપ્રત અનુબંધ સાથે, એમાં એમણે પોતાનો ધર્મ જોયો. વોટ્સએપ યુનિવર્સિટીમાં ત્યારે ઊઠવા લાગેલા ને અત્યારે ત્રણે પાળીમાં અંધાધૂંધ ફેંકાતા રહેલા ગચિયા સામે આ આર્ત ને આર્ષ એટલો જ અધ્યયનપુત અવાજ આપણી મોંઘેરી મિરાત છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 10 જાન્યુઆરી 2024

Loading

...102030...831832833834...840850860...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved