Opinion Magazine
Number of visits: 9457573
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાત્માને મન સત્ય જ ઈશ્વર છે …

રવીન્દ્ર પારેખ|Gandhiana, Opinion - Opinion|2 October 2023

પ્રિયકાંત મણિયારનું એક કાવ્ય છે :-

એકદમ જ્યાં સાવ નાના ભાઈએ પૂછ્યું,

‘તમે ગાંધીજીને જોયા હતા?’

ત્યાં હું અચિંતો ને સહજ બોલી ગયો કે ‘હા’,

અને એ ઓશિયાળી આંખથી જોઈ રહ્યો મુજને

અને બબડી ગયો –

‘ત્યારે અમે તો હીંચતા’તા ઘોડિયામાં

પેન-પાટી લૈ હજુ તો એકડાને ઘૂંટતા’તા રે અમે !’

હું હવે કોને કહું કે ‘ના તમે,

એ તો અમે !’

0

કાવ્યમાં મોટાભાઈએ ગાંધીજીને જોયા હોવાનું કહ્યું, તો નાનો ભાઈ એમને જોવાનું ચૂકી ગયો એ વાતે ઓશિયાળાપણું અનુભવતા કહે છે કે અમે તો ત્યારે એકડો ઘૂંટતા હતા, તો મોટાભાઈ કહે છે કે તમે જ નહીં, અમે ય એકડો જ ઘૂંટતા હતા ! મતલબ કે ગાંધીજીને જોવાનું નસીબ તો ઘણાંને મળ્યું હતું, પણ એમને બધાં સમજ્યા જ હતાં એવું ન હતું. એ બધાં ઉંમરે મોટાં હતાં એટલું જ, બાકી ગાંધીજીને સમજવામાં તો એ પણ એકડો જ ઘૂંટતા હતા. આજે પણ ગાંધીજી બધાંને સમજાઈ જ ગયાં છે એવું નથી, તે એટલે પણ કે સત્યનો મહિમા ઘટતો આવે છે ને હિંસાની કોઈને હવે છોછ રહી નથી, જ્યારે ગાંધીજીને મન તો સત્ય જ ઈશ્વર છે ને નૈતિક કારણોસર પણ તેમણે હિંસાને સ્વીકારી નથી. એ સ્થિતિમાં ગાંધીજી સમજાઈ જવાનું સહેલું નથી, એટલે એકડો ઘૂંટનારા પણ હવે તો ગાંધીજીનો એકડો કાઢવાની પેરવીમાં છે. પોતાની લીટી મોટી થાય એમ નથી, એટલે ગાંધીની લીટી નાની કરીને ઘણાં વ્હેંતિયાઓ વિરાટ થવા મથે છે. ગોડસે કે સાવરકર તો જે હતા તે હતા જ, પણ તેમને મોટા કરીને ગાંધીજીને વામન બતાવવાનું ચાલે છે, પણ એ વામનની વિરાટતાને આંબવાનું સહેલું નથી. ગાંધીજીમાં એટલું તો હતું કે હત્યારાએ પણ, મારતા પહેલાં એમને વંદન કરવા પડ્યા. પાકિસ્તાનને 55 કરોડ આપવાની ગાંધીની વાતનો ગોડસેને વાંધો હતો એટલે હત્યા કરી, પણ એ વાત ગળે ઊતરે એમ નથી, કારણ એ અગાઉ પણ ગાંધીની હત્યાના જે પ્રયત્નો થયા એમાં પણ ગોડસેની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે ને ત્યારે 55 કરોડની કોઈ વાત ન હતી. ગાંધીજીએ તો ગોડસેને મળવા પણ બોલાવ્યો હતો, પણ એ ગયો ન હતો. ગયો હોત તો પરિણામ કદાચ જુદું હોત …

ગાંધીજી મુસ્લિમોની તરફેણ કરતા હતા એવી વાત પણ છે, પણ તે હિંદુ કે હિન્દુ ધર્મના વિરોધી હતા એવું નથી. હિન્દુ ધર્મની મર્યાદાઓ એમણે ચીંધી છે, પણ હિન્દુ ધર્મમાંની એમની આસ્થા આવી છે, ’દુનિયાના મહાન ધર્મોના ચાળીસથી વધુ વર્ષના અભ્યાસ પછી મને હિન્દુ ધર્મ નામે ઓળખાતા મહાન ધર્મના જેટલો સંપૂર્ણ, વૈજ્ઞાનિક, દાર્શનિક અને આધ્યાત્મિક કોઈ ધર્મ મળ્યો નથી … મારા અભિપ્રાય પ્રમાણે તો ખ્રિસ્તી ધર્મમાં અને તેથી ઓછા પ્રમાણમાં ઇસ્લામમાં જેમ પરધર્મીને વટલાવીને પોતાના ધર્મમાં લેવાનો વિધિ રહેલો છે તેવી વસ્તુ હિન્દુ ધર્મમાં છે જ નહિ.’ આજની પેઢી ગાંધી વિષે ન જાણે એની કોશિશો ચાલે છે,  પણ સત્યની જેને ગરજ હશે, તેમણે ગાંધીજી પાસે જવું પડશે એ નિર્વિવાદ છે. આમ તો ગાંધી ઘણાંને ખપતા નથી, પણ ગાંધીજીની ચલણી નોટો બધાંને ખપે છે.

ગાંધીજીને છે તેવા સ્વીકારવા જ જોઈએ કે તેમની ભક્તિ જ કરવી જોઈએ, એવું તો ખુદ ગાંધીને જ મંજૂર નથી. વિનોબા ભાવેએ નોંધ્યું છે, ‘ગાંધીજી જેટલે અંશે વ્યક્તિ હતા તેટલે અંશે, તેઓ જેમ ગુણોથી ભરેલા હતા તે જ રીતે દોષોથી પણ ભરેલા હતા, ત્યારે એમના ગુણ-દોષોની છણાવટ કરીને ગુણોનો સ્વીકાર અને દોષોનો પરિહાર કરવો એ અનિવાર્ય થઈ પડે છે.’ ગાંધીજીએ પોતાની વાત સ્વીકારી લેવાનો આગ્રહ ભાગ્યે જ રાખ્યો હશે. એમની વાતો જોઈ તપાસીને સ્વીકારવાનું જ એમણે કહ્યું છે, કારણ એમના ઘણા વિચારો કોઈ આઘાત કે પ્રતિક્રિયામાંથી આવ્યા છે. જેમ કે, હરિશ્ચંદ્ર નાટક જોયું ને તેમને થયું, ‘હરિશ્ચન્દ્રના જેવા સત્યવાદી બધા કાં ન થાય? એ ધૂન ચાલી.’ ક્યાંક વાંચવામાં આવ્યું, ‘એક પત્નીવ્રત પાળવું એ પતિનો ધર્મ’ ને એમ એક પત્નીવ્રત દૃઢ થયું. પિતાના મૃત્યુ વખતે પોતે સ્ત્રીસંગથી દૂર ન રહી શક્યા એ વાતે ‘બ્રહ્મચર્ય’નાં મૂળ નાખ્યાં. લગ્ન અને બ્રહ્મચર્ય અંગેના ગાંધીજીના વિચારો સ્વસ્થ ચિત્તનાં પરિણામો નથી. લગ્ન કે મૈથુન તેમને અનિવાર્ય જણાતાં નથી, જ્યારે આહાર, નિદ્રા, ભય અને મૈથુન સંસ્કૃત સુભાષિતોથી પ્રવાહમાં છે. એમને તો શરીર સંબંધ જ શરમજનક લાગે છે, પણ, એમાંથી એ પોતે તો પસાર થયા જ છે. સ્ત્રીને સ્પર્શે કે કાગળને સ્પર્શે ને વિકાર રહિત રહી શકે એ બ્રહ્મચારી એવી એમની વ્યાખ્યા છે. સ્ત્રી અને કાગળ બંનેને એ નિર્જીવની હદે મૂકે છે ને આ નિર્જીવતા સ્ત્રી પૂરતી જ છે, અન્ય સજીવો અંગે એમને વાંધો નથી. આ ભેદમાં જ તટસ્થતા ઓછી ને ભય વધારે છે. જેમ કોઈ કામુક હોય, એમ જ કોઈ બ્રહ્મચારી પણ હોય એવી સહજતાનો અહીં અભાવ છે. બ્રહ્મચર્યને ગાંધીજી વિશાળ અર્થમાં જુએ છે એવું કહેવાય છે, પણ એમની વિચારણા શરીરથી ઉપર ભાગ્યે જ ઊઠી છે.

વળી આ બ્રહ્મચર્ય એમણે પોતાનાં પૂરતું સીમિત રાખ્યું નથી. પોતાને કસોટીએ ચડાવવામાં એમણે ઉપયોગ તો સ્ત્રીનો જ કર્યો છે. 17 વર્ષની ઉંમરે 1946માં મનુબહેન મહાત્માની પર્સનલ આસિસ્ટન્ટ બને છે ને 40ની ઉંમરે મનની સમસ્યાથી અપરિણીત દશામાં મૃત્યુ પામે છે. બાપુમાં મનુબહેનને માતા અનુભવાય છે. બંને નિર્વસ્ત્ર સાથે સૂએ છે. બાપુમાં દુર્ભાવ નથી, પણ દીકરી ને માતા પણ નિર્વસ્ત્ર સાથે નથી સૂતાં, તો આ પ્રયોગ એટલે પણ જોખમી છે કે એમાં સ્ત્રી અને પુરુષ નિર્વિકારી જ રહેશે એમ માની લેવાયું છે. સરદાર પટેલ અને કિશોરલાલ મશરૂવાળાએ તો ગાંધીજીના બ્રહ્મચર્યના પ્રયોગોને વખોડ્યા પણ છે. 25 જાન્યુઆરી, 1947ના પત્રમાં સરદારે ગાંધીજીને આ બધું અટકાવવાનું કહીને, તેમની ભયંકર ભૂલ ગણાવી છે. આમ તો 37ની ઉંમરે બ્રહ્મચર્ય ગાંધીએ સ્વીકાર્યું છે, પણ મનુબહેન સાથેના પ્રયોગમાં ગાંધીજી 77 વર્ષના છે. 77 વર્ષે પણ જો ગાંધીજીને બ્રહ્મચર્ય કસોટીએ ચડાવવા યોગ્ય લાગતું હોય તો તે કેટલું અઘરું છે તે કહેવાની જરૂર ખરી?

એનું આશ્ચર્ય જ છે કે સ્ત્રીને કાગળ માનનાર ગાંધીજી સાથે આઠેક સ્ત્રીઓનાં નામ સંકળાયેલાં છે. તેમાં મોખરે સરલાદેવી છે. સરલાદેવી ટાગોરનાં ભાણેજ હતાં ને કુશળ વક્તા હતા. તેમના પતિ રામભજદત્ત સ્વાતંત્ર્ય ચળવળ નિમિત્તે જેલવાસ ભોગવતા હતા, ત્યારે 57ના ગાંધી 47નાં સરલાદેવીને મળે છે ને તેમની બૌદ્ધિકતાથી એવા અંજાય છે કે સરલાદેવીને ‘બૌદ્ધિક પત્ની’ ગણવા લાગે છે. અહીં પ્રશ્ન એ થાય કે પત્ની શારીરિક, માનસિક, બૌદ્ધિક, આર્થિક … એવી પણ હોય? 1920માં તેમણે કબૂલ્યું છે કે તેઓ સરલાદેવી સાથે સંબંધ વિકસે એવું ઇચ્છતા હતા. પછી તો પોતાનું લગ્નજીવન જ જોખમમાં મુકાશે એવું લાગતા તેમણે એ સંબંધ પર પૂર્ણવિરામ મૂક્યું.

સ્ત્રીઓ સંદર્ભે તેમના વિચારો સમયથી આગળ હતા, એટલે જ આઝાદીની ચળવળમાં સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ વધ્યું, પણ પત્ની સંદર્ભે તો જૂનવાણીપણું જ કામ કરી ગયું છે. કસ્તૂરબાને કાઢી મૂકવાને મામલે કે આંદોલનમાં જોડવાને મામલે એ ખાસા અનુદાર રહ્યા છે. બા પોતાનાં દબાણને કારણે જેલ જવા તૈયાર થાય એ તેમને મંજૂર નથી. બાને એ વાતની બીજેથી ખબર પડે છે તો એ સ્પષ્ટ કહે છે, ’હું હારીને (જેલમાંથી) છૂટી આવું તો મને ન સંઘરવી. મારાં છોકરાંયે સહન કરી શકે, તમે બધાં સહન કરી શકો, અને હું એકલી સહન ન કરી શકું, એવું તમારાથી કેમ ધારી શકાય?’ બાપુએ સંતાનો માટે, પત્ની માટે અગાઉથી ધારી લઈને લીધેલા નિર્ણયોમાં ન્યાય નથી થયો તે નોંધવું ઘટે.

મિત્રના કહેવાથી ગાંધીએ માંસાહાર કર્યો ને સૉલ્ટના પુસ્તકમાં માંસાહારની વિરુદ્ધ વાત આવી તો અન્નાહાર તરફ પણ વળ્યા. એ ખરું કે ગાંધીજીએ સ્ખલનો સ્વીકાર્યાં છે, પણ સત્યને તો એ પ્રાણપણે વળગી રહ્યા છે. વારુ, એમણે આગ્રહો, હઠાગ્રહોમાંથી ક્યારે ય કૈં મેળવ્યું નથી. કોઈ વાતનો એમણે અંગત રીતે લાભ લીધો હોય એવો અપવાદ પણ નથી, બલકે, પોતાને નામે સંતાનોને કોઈ લાભ અજાણતા પણ ન મળી જાય એની તકેદારી એમણે રાખી છે. હરિલાલ ગાંધી એનું જીવંત ઉદાહરણ છે. ગાંધીજીની માન્યતાઓથી એ વિપરીત ચાલ્યા છે. આ એ જ હરિલાલ છે જે દક્ષિણ આફ્રિકામાં બાપુને પગલે ચાલવામાં ‘છોટે ગાંધી’ તરીકે ઓળખાયેલા, પણ પછી રાષ્ટ્રપિતા, પિતા તરીકે ઊણા ઉતરતા હરિલાલ એમનાથી દૂર થયા. એ હરિલાલ કસ્તૂરબાને માને છે એટલે જ નાગપુર સ્ટેશને બાને સંતરું આપીને કહે છે કે એ બાપુ માટે નથી ને બાપુના જયકાર વચ્ચે ‘બાની જય’ બોલાવે છે. બાપુ પણ એ કાળજી રાખે છે કે ‘સત્યના પ્રયોગો’માં હરિલાલ પ્રવેશી ન જાય. પાત્રતા હોવા છતાં પિતાનાં નામનો લાભ લેવાઈ જવાના ખ્યાલે સંતાનોને ન્યાય ન થયો. ગાંધીજીએ એ ન્યાય થવા દીધો હોત તો પણ સત્યનો મહિમા થયો જ હોત, પણ એ ન બન્યું. સત્યને લીધે પોતાને હાનિ થતી હોય તો તેમણે તે થવા દીધી છે. ઇંગ્લેન્ડના દરબારમાં પોતાનાં વસ્ત્રો અંગે પુછાય છે તો ગાંધીજી, રાજાને સંભળાવે છે કે મારાં વસ્ત્રોની તો છોડો, મારા દેશનાં વસ્ત્રો આપ દબાવીને બેઠા છો, એમાં નિર્ભીક્તા તો છે જ, પણ સોંસરું સત્ય ઉચ્ચારનારું કાળજું પણ છે તે ભૂલવા જેવું નથી.

આજે સંપત્તિનો, ધર્મનો, સત્તાનો દેખાડો રાજરોગની ચરમસીમાએ છે, ત્યારે ઓછામાં ઓછી જરૂરિયાતથી સ્વમાનભેર કેમ જીવાય તે ગાંધીજીએ પોતાના દાખલા દ્વારા બતાવ્યું છે. ગાંધીવાદીઓ ગાંધીની પેદાશ નથી. પોતાનું વસ્ત્ર પોતે તૈયાર કરવું એ પદ્ધતિ રેંટિયાની મદદથી ગાંધીએ વિકસાવી. એમની ખાદી તો ગાદી મેળવી આપવાનું નિમિત્ત બની કે અમીરોની ફેશનમાં ખપી. ગરીબોને સ્વાવલંબી કરવાનું તેમણે વિચાર્યું ને આજે ગરીબો પરાવલંબી થયા છે એ વક્રતા છે. ગરીબો સ્વનિર્ભર નથી, સરકારનિર્ભર છે. ગાંધીજી આઝાદી પછી કોઈ પક્ષમાં રહ્યા નથી, બલકે, કાઁગ્રેસને વિખેરી નાખવાની વાત એમણે કરી છે. કોઈ પદ એમણે સરકારમાં લીધું નથી. દેશના ભાગલામાં એમની સંમતિ હતી એવું માનવામાં આવે છે, પણ એ સાચું નથી. ભાગલાથી એ નારાજ હતા, એટલે જ દેશ આઝાદી ઊજવી રહ્યો હતો ત્યારે એ પોતાની ઉદાસી સાથે નોઆખલીમાં ખૂણો પાળી રહ્યા હતા.

ગાંધીજીએ અહિંસાનો મહિમા કર્યો છે ને જેમણે હિંસાને માર્ગે આઝાદીની કોશિશો કરી એમની સાથે એ રહ્યા નથી. એટલે જ નેતાજી એમની રીતે આગળ વધ્યા, પણ ગાંધીજીને રાષ્ટ્રપિતા કહેવાનું સુભાષચંદ્ર ચૂક્યા નથી. ગાંધી તો ભગતસિંહના માર્ગમાં પણ નથી આવ્યા. તેનો અર્થ એવો નથી કે એ ભગતસિંહની ફાંસીની તરફેણમાં હતા. ગાંધીજી ભગતસિંહની ફાંસી રોકી શક્યા હોત, પણ તેમણે તે કર્યું નહીં, એવું ઘણાં માને છે, પણ એ સાચું નથી. લોર્ડ ઇરવિન સાથે 1931માં ચર્ચા શરૂ થઈ તે પહેલાં ભગતસિંહ અને તેના સાથીઓની ફાંસીની સજા જાહેર થઈ ચૂકી હતી, છતાં, લોર્ડ ઇરવિન સાથે એમણે છેવટ સુધી ફાંસીની સજા રોકવા કોશિશો કર્યે જ રાખી. ઇરવિન માન્યા નહીં ને ફાંસીની સજા થઈને રહી. દિલ્હીની એક જાહેરસભામાં ગાંધીજીએ કહ્યું છે, ‘મારો અહિંસાધર્મ તો ચોરો, ધાડપાડુઓ અને ખૂનીઓને સુદ્ધાં સજા કરવાની હિમાયત કરતો નથી, પછી ભગતસિંહ જેવા વીર પુરુષની તો વાત જ શી?’ યાદ રહે કે ભગતસિંહને તેમણે ‘વીર પુરુષ’ કહ્યા છે. આ પછી પણ ગાંધીજીએ ક્રાંતિકારીઓની ફાંસીની કે કાળાપાણીની સજા માફ કરાવી છે તે ભૂલવા જેવું નથી.

ગાંધીજીની સ્વદેશીની ચળવળનો વાંધો તો રવીન્દ્રનાથ ટાગોરને પણ હતો. વિદેશી કાપડની હોળી થતી જોઈને ટાગોર વ્યથિત હતા. કાપડ ભલે વિદેશી હોય, પણ તે બાળવાથી તો બનાવનારની મહેનત અને કિંમતનો વ્યય થતો હતો, છતાં ગાંધીજીને ‘મહાત્મા’ની ઓળખ ટાગોરે આપી તો બાપુ પણ ટાગોરને ‘ગુરુદેવ’ કહેવામાંથી ન જ ચૂક્યા. બંને વચ્ચે મતભેદ હતો, પણ મનભેદ ન હતો.

‘સત્યના પ્રયોગો’, ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’, ‘હિન્દ સ્વરાજ’ ‘આપણે સૌ એક પિતાનાં સંતાન’ જેવાં પુસ્તકો ગાંધીજીએ આપ્યાં છે, તો ‘નવજીવન’, ‘યંગ ઈન્ડિયા’, ‘હરિજન’, ‘ઇંડિયન ઓપિનિયન’ જેવાં વર્તમાનપત્રો દ્વારા ચાળીસેક વર્ષ પત્રકારત્વ પણ ખેડ્યું છે. બાળલગ્નો, લોકશિક્ષણ, સ્ત્રી કેળવણી, હરિજનો વર્ણવ્યવસ્થા જેવા મુદ્દે લોકજાગૃતિનું કામ કર્યું, જ્યારે આજે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો આગ્રહ રખાય છે. તો આશ્ચર્ય થાય છે. કરુણતા એ છે કે મુસ્લિમો જ નહીં, હિન્દુઓ પણ ગાંધીજીને પક્ષપાતી માનતા રહ્યા છે. જે પિતાએ પોતાના પુત્રોની તરફેણ કરી નથી, એ કોઈ કોમની તરફેણ કરે એવું લાગે છે? જે તે સંજોગોમાં જે સાચું લાગ્યું એ જ ગાંધીજીએ કર્યું છે. બને કે જે તે કોમને એ પોતાની તરફેણમાં આવતું ન લાગે, પણ સત્યને વળગી રહેનાર પક્ષપાતી ન હોય તે સમજી લેવાનું રહે.

ગાંધીજી એવી કક્ષાએ હતા કે કેટલી ય વાતો પોતે છુપાવી શકય હોત, પણ પોતાનાં સ્ખલનો એમણે ઢાંક્યાં નથી. સાચું કહેવું અને સાચું જીવવું એક નથી. ગાંધીજીએ એ એક કરી બતાવ્યું, એટલે જ 155મી વર્ષગાંઠે પણ ગાંધી તરોતાજા લાગે છે. મૃત્યુને પણ 75 વર્ષ થયાં છતાં આ માણસ મરતો નથી ! એને માનીએ કે ન માનીએ, એ છે અને જેમ જેમ એની હત્યાઓ થતી જશે, એ વધુને વધુ સજીવ થતો જશે. ખરેખર ! જે હત્યા પછી પણ જીવતો રહી જાય છે એ મહામાનવને મારવાનું અઘરું છે.

એ અનંત સજીવને કોટિ કોટિ વંદન !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 ઑક્ટોબર 2023

Loading

માણસ સ્વતંત્રતાથી ડરે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|1 October 2023

રમેશ ઓઝા

વીસમી સદીના મોટા ફિલસૂફ બર્ટ્રાન્ડ રસ્સેલનું ‘અનપોપ્યુલર એસ્સેઝ’ નામનું પોપ્યુલર પુસ્તક છે. એ પોપ્યુલર એટલા માટે છે કે એ સમજવામાં અઘરું પડે એવું શુદ્ધ તત્ત્વજ્ઞાનનું પુસ્તક નથી, પણ એમાં સામાજિક પ્રશ્નો વિશેની વાત છે અને અનપોપ્યુલર એટલા માટે છે એમાં રસ્સેલે જે અભિપ્રાયો વ્યક્ત કર્યા છે એ ચોક્કસ માન્યતાઓગ્રસ્ત લોકોને માફક ન આવે એવા છે. એમાંના એક નિબંધમાં રસ્સેલે કહ્યું છે કે ઈશુનાં ત્રણસો વર્ષ પહેલાં થયેલા ગ્રીક ફિલસૂફ એરીસ્ટૉટલ કહીને ગયો હતો કે પુરુષનાં મોઢામાં ૩૨ દાંત હોય છે અને સ્ત્રીનાં મોઢામાં ૨૮. એરીસ્ટૉટલની આ વાતને સદીઓ સુધી કોઈએ પડકારી નહોતી, કારણ કે એરીસ્ટૉટલે એમ કહ્યું હતું. અજ્ઞાનીએ જ્ઞાનીને પડકારવાની મૂર્ખતા ન કરવી જોઈએ અને એમાં જ તેની નમ્રતા છે. જો પાત્રતા હોય તો જ્ઞાનીની વાતને ગ્રહણ કરવી જોઈએ. સદીઓ સુધી નમ્રતાપૂર્વક ગ્રહણ કરવામાં આવ્યું કે પુરુષને ૩૨ દાંત હોય છે અને સ્ત્રીને ૨૮. સદીઓ સુધી કુતૂહલ ખાતર પણ કોઈને એમ ન થયું કે ચાલો એકવાર પોતાનાં અને પત્નીનાં દાંત ગણી જોઈએ. કોઈ સ્ત્રીને પણ વિચાર ન આવ્યો કે પોતાનાં દાંત ગણી જોઈએ.

અને એરીસ્ટૉટલ? એરીસ્ટૉટલે આમ કહેતા પહેલાં પોતાનાં, પોતાની પત્નીનાં અને બીજા કેટલાક લોકોનાં દાંત ગણી લેવા જોઈતા હતા. ખાતરી કર્યા વિના સાવ અદ્ધર આવી વાત કરી? પણ કરી શકે. જ્યારે તમે કોઈને અધિકારી ગણીને અધિકાર આપો, તેના અધિકારનો આદર કરો અને તેના અધિકારને તાબે થાવ ત્યારે અધિકારી પોતાનું અધિકારક્ષેત્ર વિસ્તારવા માંડે છે. આ માનવ સહજ દોષ છે અને એમાં જો કહેવાતો અધિકારી ધૂર્ત હોય તો તો પૂછવું જ શું? ધર્મગુરુ ધર્મ પર અધિકાર ધરાવે છે, સમાજના કહેવાતા શ્રેષ્ઠીઓ સમાજના હિત પર અધિકાર ધરાવે છે અને નેતાઓ દેશહિત પર અધિકાર ધરાવે છે. લોકોએ નમ્રતાપૂર્વક તેમની વાત ગ્રહણ કરવી જોઈએ અને તેમાં જ તેમનું હિત છે. શંકા અને પડકાર? અરે હોતું હશે! એ તો મહાપાતક કહેવાય.

જ્યારે અધિકારીનાં કથનને કોઈ પડકારે નહીં ત્યારે અધિકારી પોતાની સત્તા વિસ્તારવા માંડે છે લોકોને મૂર્ખ બનાવવાનું તેનું સાહસ વધવા માંડે છે તે માતેલા સાંઢ જેવો થવા લાગે છે. અતિરેકો કરવા લાગે છે. યુરોપમાં એવું જ બન્યું. ખાસ કરીને ખ્રિસ્તી ધર્મગુરુઓ સ્વર્ગની લાલચ આપીને, પ્રજાને ડરાવીને અને રડાવીને સમગ્ર સમાજ પર કબજો જમાવવા માંડ્યા તે ત્યાં સુધી કે રાજાઓને પણ ચર્ચને તાબે કરવામાં આવ્યા. આધુનિક રાષ્ટ્રવાદે પ્રજા માટે લાલચ, ડર, રુદનનું રસાયણ મધ્યકાલીન ચર્ચ પાસેથી ઉછીનું લીધું છે જેની વાત આગળ આવશે. તેઓ ધર્મગ્રન્થનો ઉપયોગ કરતા હતા અને રાષ્ટ્રવાદીઓ ઇતિહાસનો ઉપયોગ કરે છે. ધર્મવચન ઈશ્વરનું છે કે કોઈ બીજાનું એની તમે ખાતરી ન કરી શકો અને ઇતિહાસ રાષ્ટ્રવાદીઓ કહે છે એવો જ અને એ રીતનો જ હતો એની પણ તમે ખાતરી ન કરી શકો. ટૂંકમાં જેની ખરાઈની ખાતરી જ ન  કરી શકો એના નામે ડરાવો, રડાવો, લાલચ આપો અને પોરસાવો.

પણ એમાં સમયે યુરોપમાં કરવટ બદલી. અતિરેક પરિવર્તનને જન્મ આપે છે. કોઈકના કહેલા કથનને એમ ને એમ સ્વીકારવા કરતાં ખરાઈની પ્રત્યક્ષ ખાતરી કર્યા પછી સ્વીકારવામાં આવેલું કથન વધારે ટકોરાબંધ હોય છે. પેલું કોરું કથન છે અને આ તથ્ય આધારિત છે. કથન તથ્યની જગ્યા ન લઈ શકે. વિચાર સ્ફૂર્યો અને દાદા ધર્માધિકારી કહેતા એમ વિચાર અપૌરુષેય હોય છે. પ્રજા ઘૂંટણ અનુભવતી હોય ત્યારે પ્રજા માટે શ્રેયસ્કર વિચાર એ વિચાર કરનાર વ્યક્તિનો રહેતો નથી એ હવાની જેમ ફેલાય છે. આમાંથી એક આંદોલન પેદા થયું જે નવજાગરણ (renaissance) તરીકે ઓળખાય છે.

પાંચસો વર્ષ ચાલેલા નવજાગરણ આંદોલનનાં મુખ્યત્વે બે પાસા હતા. અથવા એમ કહો કે સાર હતો. એક દરેક કથનને ચકાસો, ખરાઈની પ્રત્યક્ષ ખાતરી કરો અને પછી જ સ્વીકારો. દેખીતી રીતે આને માટે શંકા કરવી રહી, પ્રશ્નો પૂછવા રહ્યા અને વિચારવું રહ્યું. બે. ઈશ્વરે કોઈને કોઈના વતી કોઈ અધિકાર આપ્યો નથી. તમારાં જીવનનાં અધિકારી તમે સ્વયં છો. તમે સ્વયં શંકા કરો, પ્રશ્ન કરો, વિચારો, પ્રત્યેક કથનને ચકાસો, ખરાઈની ખાતરી કરો અને પછી જ સ્વીકારો અને માત્ર સ્વીકારો નહીં, હિંમતપૂર્વક અસ્વીકાર પણ કરો. આનો શું અર્થ થયો? શ્રદ્ધાની જગ્યાએ બુદ્ધિ સ્થાપિત થઇ, સમૂહની જગ્યાએ વ્યક્તિ સ્થાપિત થઈ અને કહેવાતા અધિકારીઓએ અધિકાર ગુમાવ્યો.

આ પરિવર્તન થવું અને સ્વીકારવું આસાન નહોતું. બન્ને માટે નહોતું. જેમણે અધિકાર ગુમાવ્યો એ ધર્મના, સમાજના કે પરિવારના પુરુષ ઠેકેદારો માટે પણ નહીં અને જેમણે અધિકાર મેળવ્યો એ સમૂહમાંથી આકાર પામેલી વ્યક્તિ માટે પણ નહીં. બન્નેની પોપોતાની કઠણાઈ હતી. અધિકાર ગુમાવનારા ઠેકેદારો દેખીતી રીતે અસૂયા અનુભવતા હતા. જેને સદીઓ સુધી તાબે રાખ્યા એ પ્રશ્ન કરે? સ્વતંત્ર નિર્ણય લે? અને જેઓ સ્વતંત્ર થયા એ સ્વતંત્રતાથી ડરતા હતા. આખરે પરિણામની જવાબદારી એની હોય જે નિર્ણય લે. હું મારા જીવનની દરેક બાબતે ખુદ નિર્ણય લઉં અને તે ખોટો પડ્યો તો? કોઈ અધિકારી માણસ આપણા વિષે નિર્ણય લે અને તે જો ખોટો પડે તો તેનું પરિણામ ભોગવવું સહેલું છે કારણ કે બીજા પર દોષારોપણ કરી શકાય પણ જો પોતાનો નિર્ણય પોતે લીધો હોય તો આવું બહાનું પણ ન મળે.

ટૂંકમાં યુરોપનાં પુનર્જાગરણનાં આંદોલને જેને જગાડ્યો, બેડીમુક્ત કર્યો, સ્વતંત્ર કર્યો એ અવલંબન વિના ચાલતા ડરતો હતો અને જેમનાં અધિકારો છીનવાઈ ગયા અને દબદબો ગુમાવી દીધો એ દુઃખી હતા. ઉંદર બિલાડીની રમત હતી, પણ ઊલટી. ઊંદરને બિલાડીનાં મોંમાં જવાબદારીમુક્ત જીવનનું સુખ મળતું હતું અને બિલાડીને તો ઉંદર જોઈતો જ હતો. પણ પેલા નવજાગરણનો જયઘોષ એટલો પ્રચંડ હતો, સ્વતંત્રતાનો ઉમંગ અને ઉત્સાહ એટલા પ્રચંડ હતા, સમાજમાં અને રાષ્ટ્રોમાં પરિવર્તનો એટલાં ઝડપથી થઈ રહ્યાં હતાં, વિમર્શ એટલો વ્યાપક હતો કે જેણે અધિકાર ગુમાવ્યો એ શિકારી અને જે સ્વતંત્રતાથી ડરતો હતો એ શિકાર બન્ને ખોંખારો ખાઈને કહી નહોતા શકતા કે હા અમારો અધિકાર કાયમ રહેવો જોઈએ અને જેને અધિકાર મળ્યો એ કહી નહોતા શકતા કે અમને સ્વતંત્રતાનો ડર લાગે છે.

એક પ્રકારની વિચિત્ર સ્થિતિ હતી. લેનારો લેતા ડરતો હતો, ગુમાવનારો દુઃખી હતો અને  અપાવનારાઓ ઉમંગમાં હતા. પરિવર્તનનું આંદોલન તેની પૂર્ણ કળાએ ખીલ્યું હતું.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 01 ઑક્ટોબર 2023

Loading

ગાંધીજી પરની કવિતાઓનો તાજગીસભર સંચય

સંજય સ્વાતિ ભાવે|Gandhiana, Opinion - Opinion|1 October 2023

પુસ્તક પરિચય

સંજય ભાવે

‘સત્યનું કાવ્ય : બાપુ: 75 ગાંધી કાવ્ય’ સચિત્ર, સુરુચિપૂર્ણ અને તાજગીસભર સંચય છે. તે અમરેલી જિલ્લાના નાનકડા ગામ બાબાપુરની શ્રી સર્વોદય વિદ્યા મંદિર સંસ્થાએ, પોતાના અમૃતમહોત્સવી વર્ષના આરંભે, ફેબ્રુઆરીમાં પ્રસિદ્ધ કર્યો છે, પણ તેનું પ્રકાશન ‘યજ્ઞ’એ કર્યું છે.

સંગ્રહની રચનાઓમાં ગાંધીજીના પ્રભાવ અને અભાવ, તેમના વ્યક્તિત્વ અને મહત્ત્વને અનેકવિધ રીતે અભિવ્યક્ત કર્યા છે. તેમાં એકાદ સદીથી બિલકુલ અત્યાર સુધીના સમયગાળાના કવિઓનો સમાવેશ છે. એટલે તેમાંના સહુથી વરિષ્ઠ કવિ પિંગળશી ગઢવી અને અરદેશર ખબરદાર છે. સાહિત્યના ઇતિહાસના ગાંધીયુગ અને અનુગાંધી યુગના સાહિત્યકારો હોય એ સ્વાભાવિક છે.

સંગ્રહની વિશેષતા બિલકુલ અત્યારે કવિતાઓ લખતા-લખતા વાંચતા હોય તેવા ભાવેશ ભટ્ટ અને પારુલ ખખ્ખરની રચનાઓના સમાવેશમાં છે. સાથે તેમનાં પહેલાંની તાજેતરની પેઢીના ઉદયન ઠક્કર અને હરીશ મીનાશ્રુ પણ છે. આવી નોંધપાત્ર સમકાલીનતામાંથી આવતી નજરિયાની તેમ જ રચનારરીતિની નવીનતા સંગ્રહને તાજગી આપે છે. પદ્યરચનાની એકંદર વિવિધતા પણ નોંધપાત્ર છે.

સંગ્રહના સંપાદકો અમિત ચાવડા, અખિલ દવે અને મનીષા રીબડિયા બાબાપુરની નીવડેલી સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ અને અત્યારે અન્યત્ર શિક્ષકો છે. ગાંધી માટેની તેમની આસ્થા અને સાહિત્યિક સૂઝ સંગ્રહમાં દેખાય છે. જો કે ‘અગાઉના સંપાદનોની મોટા ભાગની કવિતાઓ લેવામાં આવી નથી’ એવું વિધાન વિચારણીય છે.

ગાંધીનું મહાત્મ્ય ઉજાગર કરવા માટેની કવિઓની એક દુ:ખદ પ્રેરણા ગાંધીહત્યા છે. તેનાથી અવિનાશ વ્યાસને ‘ઝૂકી પડ્યો હિમાલય’ અને સ્નેહરશ્મિને ‘મોટા ઘરનો મોભ તૂટ્યો આ’ એમ લાગે છે. કવિ ખબરદાર ગાંધીનાં ‘ફૂલવિસર્જન’ વેળાની જનતાની વેદનાની કવિતા લખે છે.

જો કે ઉપેન્દ્ર પંડ્યા માટે હત્યા ‘મહાત્માનું મહાપ્રસ્થાન’ છે. અમીન આઝાદ માટે ગાંધીના મૃત્યુએ અહિંસાને અમર બનાવી છે. મકરંદ દવે કહે છે કે ગાંધીનો અંત અમરોને પણ ઇર્ષાથી બાળે તેવો છે. બ.ક. ઠાકોર ‘ગાંધીજીની શહીદી (પંડિતજીની નભોવાણી)’ નામની રચના કરે છે. 

ગાંધીજીની સમાધિની મુલાકાત અનિરુદ્ધ બ્રહ્મભટ્ટની ત્રણ પંક્તિમાં મૂકાયેલા 16 શબ્દોની કવિતાનો વિષય છે. સંગ્રહની આ સહુથી ટૂંકી કવિતા, કવિઓના નામના કક્કાવારી મુજબ ગોઠવાયેલા સંગ્રહની પહેલી રચના છે. ઉશનસ્‌ રાજઘાટે મંદાક્રાન્તામાં પૂછે છે : ‘કેવી સહેલી સરલ ભૂલવા કેરી આ રીત,ગાંધી !’ યોસેફ મેકવાન પણ ‘રાજઘાટ જોતાં’ કવિતા લખે છે. 

ગોળમેજી પરિષદમાંથી ગાંધીજી ‘હતાશ હૈયે’ પાછાં વળ્યાં તે વિશે ઝવેરચંદ મેઘાણી ‘માતા ! તારો બેટડો આવે  રે..’ નામનું લાંબું ગીત ‘શિવાજીનું હાલરડું’ના તાલે લખે છે. અત્યારના ઉદયન ગોળમેજી વખતે બાપુને ઇંગ્લેંડના ગરીબો, મજૂરો અને બાળકોએ આપેલા પ્રેમની વાત કરે છે. કલ્પનો સાથેની ત્રણ નાની પંક્તિઓની અગિયાર કડીની કવિતાને અંતે તેઓ પૂછે છે : ‘… તમે કહો છો કે ગોળમેજીથી / ગાંધી આવેલા ખાલી હાથે ?’ 

નલીન રાવળની કવિતામાં રંભા દાઈએ આપેલા રામનામના મંત્રથી ડર ભગાડનાર ‘નાનો મોહન’ દક્ષિણ આફ્રિકાના અંધારાંમાં અને નોઆખલીની આગમાં અભયપદ જાળવી રાખે છે. પ્રવીણ ગઢવી ચોટદાર રીતે લખે છે કે રામથી હો ચિ મિન્હ સુધીના નાયકો પદો પર બિરાજ્યાં પણ ‘એકલો ગાંધી કેવળ તું, તાજ ઓ તખ્ત વિહીન’.

‘ગાંધીને પત્ર’માં હિતેન આનંદપરા ફોટા, તેમના નામના રસ્તા, ઇમારતો, ટ્રસ્ટો, પુસ્તકો, વેબસાઈટ ઇત્યાદિ થકી થતાં મહાત્માના મહિમામંડનની વચ્ચે ગાંધી ‘ક્યાં ય નથી’ તેવો કટાક્ષ વિકસાવે છે. સિંતાશુ યશશ્ચન્દ્રની ત્રણ પાનાંની, સાદ્યંત મધ્ય ગુજરાતની બોલીમાં લખાયેલી અઘરી વ્યંજનાત્મક ‘દૂધ’ કવિતા પૂછે છે : ‘ચઈ બચરીનું પીવે દૂધ, ગોંધીડો ?’ 

સંગ્રહની સહુથી લાંબી ચાર પાનાંની કવિતા ‘ગાંધીને માથે કાગડો’ હરીશ મીનાશ્રુની છે. તેમાં સાંપ્રત દેશકાળનું કંઈ કેટલું ય છે – વિદ્યાપીઠ, રિવરફ્રન્ટ, ન્યુ નૉર્મલ, ન્યૂઝ ચૅનલ, સાર્થ જોડણીકોશ, ડેમૉક્રસી, રાફેલ, રાષ્ટ્રવાદ, સુડા બહોતેરી, ફેન્ગ શુઇ, ક્રોમેટોલોજિ, પૉલિટિકલી કરેક્ટ – આવા સંદર્ભોની યાદી લાંબી થઈ શકે.

અંતે પ્રશ્ન છે કે આપણે જેને કાગડો કે બીજું કોઈ પક્ષી સમજી રહ્યા છીએ ‘એ હુમા તો નહીં હોય ને ?’ કેમ કે, ‘કિવાદંતી છે કે / જે વ્યક્તિ પર પડછાયો પડે હુમાનો / એ ચક્રવર્તી બને ભૂમાનો’. રમેશ પારેખની કવિતા ‘બાપુ બોલ્યા’માં કટાક્ષ સાથેનું હાસ્ય છે.

બાપુને કરસનદાસ માણેક ‘હરિનો ખેપિયો’ કહે છે, તો કિસ્મત કુરેશી ‘રાષ્ટ્રના બાગબાં’. એકવીસ શબ્દો અને છ લીટીમાં લાલજી કાનપરિયા લખે છે કે નજીકના ભવિષ્યમાં ‘સપ્તર્ષિ બની જશે અષ્ટર્ષી’. વિપિન પરીખ ગાંધી સાથે ઇસુને મૂકે છે, તો રાજેશ પંડ્યા કબીરને. ચશ્માં,ઘડિયાળ, ચપ્પલ, લાકડી  જેવી ગાંધીની વિવિધ વસ્તુઓમાં તેમના ગુણોના પ્રતીક જોતી એકાધિક રચનાઓ છે.

ગાંધીજનો તેમ જ ગાંધીયુગ કે વિચારની વત્તીઓછી અસર ઝીલનારાની ભાતીગળ રચનાઓ અહીં છે. પિંગળશીભાઈ અને ભૂદર લાલજી જોશી દુહા રચે છે, તો મુરલી ઠાકુર ભજન. 1913માં લખાયેલું ‘સહુથી પહેલું ગાંધીગીત’ એ ‘લલિતજી’ પાસેથી મળે છે.

કૃષ્ણલાલ શ્રીધરાણી અને જયમિત પંડ્યાએ ગુલબંકી છંદમાં લખેલી વીરરસની કવિતાઓ છે. ગાંધી માટેની લાગણી ‘કોલક’ પૃથ્વી છંદમાં તો મનસુખલાલ ઝવેરી અને જયંત પાઠક અનુષ્ટુપમાં, અને સુંદરમ શિખરિણીમાં વ્યક્ત કરે છે. અમૃત ઘાયલ, અશોક ચાવડા, શેખાદમ આબુવાલાની ગઝલો અહીં છે.

આવરણ હકુ શાહની કૃતિનું છે, અને દરેક કવિતાને અનુરૂપ, ગુલામ મોહમદ શેખનાં ચિત્રો સહિતના, ચિત્રો મળે છે. તેનો અને પાનાં પરની મોકળાશભરી માંડણીનો યશ ‘યજ્ઞ’ના પ્રકાશન વૃંદના હંમેશના કસબીઓ પારુલબહેન દાંડીકર, આઝરાબહેન અને જ્યોતિબહેનને આપી શકાય. ચાળીસ વર્ષની આસપાસની ઉંમરના શિક્ષક-સંપાદકો માટે, અત્યારના ગાંધીવિરોધી માહોલમાં, આવો દૃષ્ટિપૂર્ણ સંચય કરવા પાછળના  ચાલકબળ અંગે કુતૂહલ રહે.

સંપાદકોની માતૃસંસ્થા શ્રી સર્વોદય વિદ્યા મંદિરનાં નિયામક તેમ જ આરઝી હકૂમત અને આઝાદી જંગના લડવૈયા દંપતી દમયંતીબહેન અને ગુણવંતરાય પુરોહિતનાં પુત્રી મંદાકિનીબહેન પુસ્તકની આરંભિક નોંધમાં લખે છે : ‘અમૃતમહોત્સવની આથી રૂડી શરૂઆત સર્વોદય માટે બીજી કઈ હોઈ શકે ?આજે જ્યારે ચારે બાજુથી સંકુચિતતા, જડતા અને સ્વાર્થનો પવન  ફુંકાઈ રહ્યો છે ત્યારે પરસ્પર સહજીવન અને સૌહાર્દ ગાંધી જ શીખવી શકે, કેમ કે અસમાનતા અને કટ્ટરતાના વિષને જનમાનસની નસોમાંથી ઉતારવાની જાદુગરી ગાંધી નામના ગારૂડી  પાસે જ છે.’

નવી પેઢીના સંપાદકો અને  ગાંધી તેમ જ સર્વોદય વિશે ઉત્તમ પુસ્તકો પ્રસિદ્ધ કરતાં રહેનાર યજ્ઞ પ્રકાશનના સુમેળથી આવેલું આ ગાંધી કાવ્ય સંપાદન વસાવવા જેવું, પાઠ્યક્રમોમાં મૂકવા જેવું છે. 

‘સત્યનું કાવ્ય’, પ્રકાશક – યજ્ઞ પ્રકાશન, પાનાં 100, રૂ. 60/-

પ્રાપ્તિસ્થાન : યજ્ઞ પ્રકાશન સમિતિ, હિંગલાજ માતાની વાડીમાં, હુજરાપાગા, વડોદરા 390 001, સંપર્ક : 0265 –  2437957, 9016479982 

01 ઑક્ટોબર 2023
[આભાર : ચંદુ મહેરિયા, તોરલબહેન પટેલ, અજય રાવલ, સરલાબહેન ભટ્ટ, હંસાબહેન પટેલ]
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 01 ઑક્ટોબર 2023
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...102030...831832833834...840850860...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved