Opinion Magazine
Number of visits: 9741952
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જે ભણાવે છે તે વધુ સારી રીતે ભણે છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|11 February 2024

રાજ ગોસ્વામી

2017માં, ગુજરાતીમાં એક ફિલ્મ આવી હતી, (હવે નેટફ્લીક્સ પર પણ ઉપલબ્ધ છે) “ઢ.” તેમાં પ્રાથમિક શાળામાં ભણતા ત્રણ લંગોટિયા દોસ્તારો ગુનગુન, બજરંગ અને વકીલ ભણવામાં ઠોઠ છે. ઠોઠ છે એટલું જ નહીં, રમતિયાળ પણ છે. તેમને એ ખબર જ નથી કે તેમના અબુધ મગજ પાસેથી વયસ્ક લોકોની નિર્મમ દુનિયા કેટલી મોટી અપેક્ષાઓ રાખે છે.

તેમને શાળામાંથી અને ઘરમાંથી નિયમિત ઠપકો મળતો રહે છે. તેઓ અર્ધ વાર્ષિક પરીક્ષામાં નાપાસ થાય છે. તેમને એવું ઠસી જાય છે કે તેઓ નકામા છે અને બીજા હોંશિયાર વિધાર્થીઓ સામે તેમની કોઈ હેસિયત નથી. તેમનો વર્ગ શિક્ષક પણ તેમના ભણવા પર આશા મૂકી દે છે અને હતાશ થઇને કહે છે કે “કોઈ જાદુ થાય તો જ તમે વાર્ષિક પરીક્ષામાં પાસ થશો.”

તેમની રમતિયાળ રખડપટ્ટી દરમિયાન અચાનક તેમને જાણ થાય છે કે નજીકના શહેરમાં તેમનો પ્રિય જાદુગર સૂર્ય સમ્રાટ જાદુના ખેલ કરવા આવ્યો છે. ત્રણે જણા ઘરે કે શાળામાં કહ્યા વગર શહેરમાં ઉપડી જાય છે. ત્યાં જાદુના અવનવા ખેલ જોઈને તેઓ દંગ રહી જાય છે.

તેઓ પાછા આવે છે એટલે શાળાને બંક કરવા માટે તેમને સજા થાય છે અને ઘરે પણ ફરિયાદ કરવામાં આવે છે. ઘરવાળા ત્રણેના હરવા-ફરવા પર પ્રતિબંધ મૂકે છે અને કડી મહેનત કરીને ભણવાની ફરજ પાડે છે. મુશ્કેલી એ છે કે તેમના ભેજામાં કશું ઉતરતું નથી.

એક દિવસ, પિતાઓએ નક્કી કરેલા ફ્રી ટાઈમમાં ત્રણે ભેગા થાય છે અને કેવી રીતે ભણવું અને કેવી રીતે પાસ થવું તેના પર તુક્કા લડાવે છે. એમાંથી એક દોસ્તને શિક્ષકે મારેલો ટોણો યાદ આવે છે કે, “કોઈ જાદુ થાય તો જ તમે વાર્ષિક પરીક્ષામાં પાસ થશો.” 

એ આ વાતને સાચી માની બેઠો હોય છે. તે પોતાના દોસ્તારોને આઈડિયા આપે છે કે, સાહેબે જ આપણને કહ્યું હતું કે જાદુથી પાસ થઇ જવાશે, તો આપણે જાદુગર સૂર્ય સમ્રાટને જ આપણી મુશ્કેલી કહીએ. ત્રણે જણા ખુશ થઈને જાદુગરને પત્ર લખીને તેમની પરિસ્થિતિ સમજાવે છે અને વિનંતી કરે છે કે તેમને એક એવો જાદુ શીખવાડે જેથી તેઓ પરીક્ષામાં પાસ થઇ જાય.

તેમના આશ્ચર્ય વચ્ચે, તેમને જવાબમાં એક ભેટ મળે છે. એ ભેટ જાદુગર તરફથી આવી હોય છે. ભેટમાં બિરબલ નામનું એક માથું હલાવતું રમકડું હોય છે. જાદુગર જવાબી પત્રમાં લખે છે કે આ જાદુ એવો છે કે તમારે જે ભણવાનું હોય, તે બધું આ બિરબલને સામે બેસાડીને તેને ભણાવી દેવાનું. એમાં જાદુ થશે અને તમે પરીક્ષામાં પાસ થઇ જશો.

ત્રણે દોસ્તારો ખુશ થઈને બિરબલ કોની પાસે કેટલો સમય રહેશે તેનું ટાઇમ ટેબલ બનાવે છે અને ટેબલ પર તેને સામે રાખીને પાઠ્યપુસ્તકોમાંથી મોટા અવાજે તેમને પાઠ ભણાવે છે. બિરબલનું ડોકું સતત હાલતું હોય છે એટલે તેઓ એવું માની લે છે કે તેઓ જે પણ લેશન કરાવી રહ્યા છે તે બરાબર રીતે બિરબલના ભેજામાં ઉતરી રહ્યું છે.

વાસ્તવમાં, એ લેશન તેમના ખુદના દિમાગમાં ઉતરી રહ્યું હોય છે અને તેઓ એ બધું જ યાદ રાખતા થઇ જાય છે જેના પર પરીક્ષા થવાની હોય છે. અંતે, ત્રણે જણા, શાળાના શિક્ષકો અને ઘરવાળાઓના આશ્ચર્ય વચ્ચે અવ્વલ નંબરે પાસ થાય છે. 

આ ફિલ્મમાં આમ તો બાળપણની નિર્દોષતા અને વયસ્કોની દુનિયાની અપેક્ષા વચ્ચેની કશ્મકશનો ચિતાર કરતી વાર્તા છે, પરંતુ એમાં એક ગહેરો મનોવૈજ્ઞાનિક બોધપાઠ છે, અને તે છે – શીખવાડવાથી શીખવા મળે. ત્રણે દોસ્તારો જ્યારે બિરબલ નામના રમકડાને પાઠ ભણાવે છે ત્યારે તેઓ વાસ્તવમાં ખુદને ભણાવે છે. 

હજારો વર્ષોથી, માણસો માનતા આવ્યા છે કે કોઈ બાબતની સમજવાનો શ્રેષ્ઠ રસ્તો એ બાબત કોઈને સમજાવાનો છે. આપણે કોઈકને કશુંક સમજાવીએ ત્યારે તે આપણા માટે પણ વધુને વધુ સ્પષ્ટ થતું જાય. કશુંક ભણવાનો શ્રેષ્ઠ રસ્તો કોઈને ભણાવાનો છે. રોમન ફિલોસોફર સેનેકાએ સદીઓ પહેલાં કહ્યું હતું કે, “આપણે જયારે ભણાવીએ છીએ, ત્યારે આપણે શીખીએ છે.”

હવે તો વિજ્ઞાનીઓએ પણ આ વાતને સાબિત કરી છે. 2007માં, સાયન્સ એન્ડ ઇન્ટેલિજન્સ જર્નલમાં પ્રકાશિત અભ્યાસોમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે પહેલું બાળક તેમના પછી જન્મેલાં ભાઈ-બહેનો કરતાં વધુ બુદ્ધિશાળી હોય છે. કેમ? કારણ કે મોટા હોવાના કારણે તેના પર નાનાં ભાઈ-બહેનોને માર્ગદર્શન આપવાની જવાબદારી આવી પડે છે, પરિણામે તેમનો આઈક્યુ વધે છે.

સ્ટેનફોર્ડ અને વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીઓના ઇજનેરો અને કમ્પ્યુટર વૈજ્ઞાનિકોએ, ‘ઢ’ ફિલ્મના બિરબલ જેવી જ, બેટીઝ બ્રેઇન નામનું એક એનિમેટેડ પાત્ર બનાવ્યું હતું, જેને માધ્યમિક શાળાના સેંકડો વિધાર્થીઓ પર્યાવરણીય વિજ્ઞાન શીખવાડતા હતા. આમ તો તે વર્ચુઅલ શિક્ષણ હતું, પરંતુ તે પ્રક્રિયામાં વિધાર્થીઓની સમજણ અને યાદશક્તિમાં ખૂબ સુધારો થયો હતો. બેટીઝ બ્રેઇન પર 2009માં જર્નલ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ ટેક્નોલોજીમાં પ્રકાશિત અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે બેટીઝને સૂચનાઓ આપવામાં રોકાયેલા વિદ્યાર્થીઓનું ખુદનું શિક્ષણ સુધર્યું હતું.

તેને પ્રોતેજ ઈફેક્ટ કહે છે – પ્રોતેજ એટલે વડીલ અથવા રક્ષક હોવાની અસર. તમને જ્યારે ખબર પડે કે તમારે કોઈક વિષય કોઈકને ભણવાનો છે ત્યારે, તમે જાત માટે ભણતાં હો તેની સરખામણીમાં, બીજાને ભણાવવા માટે એ વિષયમાં વધુ મહેનત કરો છો. એ પ્રક્રિયામાં તેમનું જ્ઞાન વધુ મજબૂત થાય છે. ટૂંકમાં, ક્લાસરૂમમાં માત્ર વિધાર્થી જ હોંશિયાર નથી થતો, શિક્ષકનું જ્ઞાન પણ વધે છે.

તમે જે જાણતા હો તે બીજાને શીખવાડવાનું હોય, ત્યારે તમારે તેના વિશે અલગ રીતે વિચારવું પડે છે. તે તમને તમે જે શીખ્યા છો તે વધુ સારી રીતે યાદ રાખવામાં અને તેને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. દાખલા તરીકે, એક પ્રોફેસરને બાળમંદિરમાં ભણાવાનું આવે તો, તેણે બાળ મનના સ્તરે આવીને સમજાવવું પડે. તેનાથી તેના જ્ઞાનની જટિલતા વધુ સરળ અને સુબોધ બને છે. 

જ્યારે તમે કોઈને કંઈક શીખવો છો, ત્યારે તમારે તેને તમારા પોતાના શબ્દોમાં મૂકવું પડે. તેનાથી તે વાત તમારા મગજમાં દૃઢ રીતે બેસી જાય છે અને પછીથી તેને યાદ રાખવાનું સરળ બને છે. જ્યારે તમે બીજાને કંઈક સમજાવો છો, ત્યારે તમને ઘણીવાર તમારી પોતાની સમજણમાં અંતર જોવા મળે છે. પછી તમે વધુ સંશોધન અથવા અભ્યાસ કરીને તે અંતરને ભરો છો.

માટીકામના એક શિક્ષકે તેના ક્લાસને બે ભાગમાં વહેંચી નાખ્યો. એક જૂથને તેણે કહ્યું કે, “તમારે આ સત્રમાં માટીકામ, આયોજન, ડિઝાઈન અને એક પરફેક્ટ વાસણ બનાવવાનું છે. સત્રના અંતે કોનું વાસણ શ્રેષ્ઠ છે તેની હરીફાઈ થશે.”

બીજા જૂથને શિક્ષકે કહ્યું, “તમે આ સત્ર બહુ બધાં વાસણો બનાવવાનું કામ કરશો. કોણ વધુ વાસણો બનાવે છે તેના પર સત્રના અંતે માર્ક્સ મળશે અને તમારા શ્રેષ્ઠ વાસણને હરીફાઈમાં મુકવાની તક મળશે.”

પહેલું જૂથ એક શ્રેષ્ઠ વાસણ કેવી રીતે બને તેનો અભ્યાસ કરવામાં અને અને ઉત્તમ ડિઝાઈન બનાવામાં વ્યસ્ત થઇ ગયું.

બીજું જૂથ ફટાફટ બહુ બધી માટી લઇ આવીને નાનાં-મોટાં, સાદાં-જટિલ વાસણો બનાવવા લાગી ગયું. અનેક અઠવાડિયા સુધી મહેનત કરીને તેમના હાથ પણ તાકાતવર થઇ ગયા. સત્રના અંતે, બંને જૂથો પોત પોતાનાં શ્રેષ્ઠ વાસણો લઈને હરીફાઈમાં આવ્યાં. છેલ્લે, પરિણામ જાહેર થયું ત્યારે જે છોકરાઓને બહુ બધાં વાસણો બનાવાની પ્રેક્ટિસ કરી હતી તેમનાં વાસણો વધુ સારાં સાબિત થયાં, જ્યારે જેમણે એક શ્રેષ્ઠ વાસણ બનાવવા માટે આયોજન કર્યું હતું તેમનું વાસણ ઉતરતું સાબિત થયું.

આનો સાર એટલો કે જીવનમાં કોઈ કુશળતા હાંસલ કરવી હોય તો બહુ બધાં વાસણો બનાવવાં. ‘ઢ’ ફિલ્મમાં ત્રણ દોસ્તારોએ બિરબલને બહુ બધું ભણાવીને જ કુશળતા હાંસલ કરી હતી.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 04 ફેબ્રુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

તડકો ખમે છે

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|11 February 2024

ભર બપોરે વસંત તડકો ખમે છે,

ખુશનુમા બપોર અડકો રમે છે.

ૠતુ સાથે ભૈ’ કોણ ચેડા કરે છે,

હર સ્થળે નર કજાત કટકો ભમે છે.

કેમ નરનો સિતમ સહે છે પ્રકૃતિ,

દૈત્ય માનવ નિશાંત મણકો જમે છે.

ધર્મ નામે ધતિંગ કરતો રહે છે,

રામ-ભગતો અછૂત કણકો ધમે છે.

ૠતુ-બે-ૠતુ માણસોએ કરી છે,

કેમિકલયુક્ત જાત છણકો દમે છે.

e.mail : addave68@gmail.com

Loading

પેટીએમ મત કરોઃ ફિનટૅકની ક્રાંતિને નામે નિયમોની ઐસીતૈસી કરનારા અર્થતંત્રની કાયા નહીં બદલી શકે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|11 February 2024

કશું બહુ ગાજતું હોય ત્યારે તેના મોહમાં ન આવી જવું, પણ સવાલ કરવો અને ન કરવો હોય તો સવાલ કરનારાઓને એક વાર સાંભળવા તો ખરાં જ. આપણે ત્યાં ફડચામાં ગયેલી બૅંકોના અને ફાઇનાન્શિયલ ફ્રોડ્ઝના બહુ કિસ્સા છે, આ માત્ર થોડો ટેક સેવી ફડચો હતો, એટલો જ ફરક છે.

ચિરંતના ભટ્ટ

એક સમયે સ્ટોક માર્કેટમાં ઇતિહાસ રચનાર પેટીએમની જાહેરાત આ વાંચતી વખતે પણ તમારા કાનમાં ગુંજી ઊઠે એમ બની જ શકે છે. તમને એ પણ યાદ આવી શકે છે તમે જેટલી વાર ક્યૂ આર કોડ સ્કેન કરીને પેટીએમ પર પૈસા ચૂકવ્યા હશે એટલીવાર નાનકડી દુકાન કે કોઇ મોટા સ્ટોરમાં પેટીએમ પર ઇતને રૂપિયે પ્રાપ્ત હુએનો સંદેશો પણ કાને પડ્યો હશે. આજકાલ આ પેટીએમ પ્રોબ્લેમની પેટી બનીને ગાજે છે. રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાએ (RBI) પે ટીએમના કાન અગાઉ પણ આમળ્યા હતા પણ છતાં ય જે નિયમોનું અનુસરણ કરવું જોઇએ એ ન કરીને પેટીએમના માલિકોએ પોતાની બેફિકરાઈ જાહેર કરી અને અંતે RBIએ પેટીએમ સર્વિસીઝને બરાબર સાણસામાં લીધી છે. આ આખો મામલો આખરે છે શું અને આટલા વખતથી બધું બરાબર ચાલતું હતું તો અંતે RBIને વાંકું શું પડ્યું એ સમજવાનો પ્રયાસ કરીએ. વળી એટલું જ નહીં, પણ ફિનટેક એટલે કે ફાઇનાન્શિયલ ટેક્નોલૉજીને મામલે આપણી તકેદારી અને સમજણ બન્નેનું સ્તર કળવાનો પણ પ્રયાસ કરીએ.

વિજય શેખર શર્મા એ પેટીએમના ડાયરેક્ટર છે જે હવે હતા ન હતા થઇ જવાની અણી પર છે. પેટીએમનો આઇ.પી.ઓ. 2021ના અંતમાં આવેલો અને એ પણ તગડી શૅર પ્રાઇઝ સાથે અને લોકોએ તો તેને ફિનટેકના ક્ષેત્રે ઇતિહાસ રચનાર તરીકે માથે મૂકીને દમ લગાડીને શૅર ખરીદ્યા પણ હતા. ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં 18,300 કરોડના શૅર વેચાણ સાથે પેટીએમના આઇ.પી.ઓ.એ એક નવી જ ઊંચાઇ પ્રાપ્ત કરી અને તેની વાહવાહી કરવામાં કોઇએ પણ પાછું વળીને ન જોયું. આજે પેટીએમના ભાવ ગગડ્યા તો એવા ગગડ્યા કે ઝીણી આંખો કરીને પાતાળમાં જોઇએ તો ય માંડ દેખાય. ફિટટેક અને સ્ટાર્ટઅપની વાત થાય અને વિજય શેખર શર્માની વાત ન થાય એવું તો બને જ નહીં. પેટીએમ પેમેન્ટ બેંકની તો RBIએ ફેંટ ઝાલી જ છે પણ પેટીએમ એક કંપની તરીકે પણ હવે લોકોનો વિશ્વાસ ખોઇ બેઠી છે.

હકીકત એમ છે કે 35 કરોડ પેટીએમ વૉલેટ્સ છે અને તેમાંથી 31 કરોડ પેટીએમ વૉલેટ્સ નિષ્ક્રિય છે. એક જ પાન નંબરથી એક-બે નહીં પણ હજારો એકાઉન્ટ્સ લિંક કરાયેલા હોવાના કિસ્સા છે. લાખો એકાઉન્ટમાં કોઈ કેવાયસી – નો યોર કસ્ટમર – ગ્રાહકની પ્રાથમિક વિગતો જ નથી. તમને તો ખબર હશે કે બૅંકમાં ખાતું ખોલાવીએ એટલે કેવાયસી કર્યા વિના એક પાંદડું ય ન હલે પણ પેટીએમ જેણે એક વર્ચ્યુઅલ બૅંક ખડી કરેલી એમને આવું બધું કરવાની પડી જ નહોતી. કેવાયસી કરવાનો કંટાળો આવતો હશે પણ જો કેવાયસી ન કરેલું હોય તો કોઈપણ ખાતાનો ઉપયોગ કરીને મની લોન્ડરિંગ, કાળાં નાણાંનો વહેવાર થઇ જ શકે છે. કેવાયસીના એન્ટી મની લોન્ડરિંગ નિયમો હોય છે તેને પણ પેટીએમે વખારે નાખ્યા. વળી RBI જ્યારે ભૂલ કરી હોવાનું સ્વીકારીને ભૂલ સુધારવા વાળો રિપોર્ટ માગ્યો – કમ્પ્લાયન્સ રિપોર્ટ ત્યારે પેટીએમે એમાં ય ગપગોળા ચલાવ્યા. વળી પરિસ્થિતિ સંગીન ત્યારે બની કે વિજય શેખર શર્માના જે બીજા બિઝનેસ હતા, જે બીજી કંપનીઓ હતી – ફાઇનાન્શિયલ અને બિન-ફાઇનાન્શિયલ તે બધી ય આ પેટીએમ બૅંક સાથે જોડાયેલી હતી અને આ તો બહુ મોટો નિયમ ભંગ છે. બૅંક ચલાવવા બેઠા હોઇએ અને લોકોનો વિશ્વાસ સાચવવાનો હોય ત્યારે પાનના ગલ્લે ચાલતા વહેવારોની માફક કામ ન થઇ શકે. RBIS 31 જાન્યુઆરી 2024ના રોજ પેટીએમ પેમેન્ટ બૅંકને ચેતવણી આપી કે હવે તમે બૅંક તરીકે કોઇપણ લેવડ-દેવડ નહીં કરી શકો, નવા ગ્રાહકો નહીં ઉમેરી શકો અને 29 ફેબ્રુઆરી પછી કોઇ નવી ડિપોઝિટ કે બૅંક ટ્રાન્ઝેક્શન્સ, વૉલેટ ટોપ અપ, બિલ ટ્રાન્ઝેકશન્સ પણ સદંતર બંધ કરી દેવા. RBIએ પેટીએમનું બૅંકિગ લાઇન્સ જ રદ્દ કરી દેશે, ઝૂંટવી દેશે એવું થવાની પણ પૂરેપૂરી શક્યતા છે. અત્યારે RBI ચાહે છે કે લોકો પોતાના પૈસા પેટીએમમાંથી કાઢી લે.

પેટીએમ બૅંક શરૂ તો બહુ જોરશોરથી થઇ પણ નિયમ ભંગ, ડેટા બ્રીચ, છેતરપીંડીની શક્યતા, પારદર્શિતાનો અભાવ આ બધા લખ્ખણ બહુ જલદી સપાટી પર આવી ગયા. પેટીએમ બૅંક અસ્તિત્વમાં આવી તેના એક વર્ષમાં 2018માં જે RBIએ પેટીએમનો લાયસન્સિંગની શરતો ન અનુસરવા અંગે કાન આમળી નવી કામગીરી પર પ્રતિબંધ મુકવા કહ્યું પણ પેટીએમ વાળાએ ત્યારે માફી માગીને, હવે પછી આવું નહીં થાય વાળી કરીને વાત વાળી લીધી પણ 2021ના ઑક્ટોબરમાં પેટીએમ બૅંકે આપેલી ખોટી માહિતીને પગલે RBIએ તેમની પર એક કરોડના દંડ ફટકાર્યો પણ છતાં ય અળવીતરા છોકરાંની જેમ પેટીએમ બૅંકનું રેઢિયાળ ખાતું ચાલુ રહ્યું. પેટીએમ બૅંકના સર્વર જ્યાં છે ત્યાં જ પેરન્ટ કંપનીના બીજા 197 એકમ પણ છે, આ સર્વર શેરિંગ એટલે છેતરપીંડીની પૂરેપૂરી શક્યતાઓ. માર્ચ 2022માં ફરી RBIએ પેટીએમને ચેતવણી આપી, ઑડિટ કરાવ્યું પણ તો ય કોઇ ગંભીર પગલાં ન લેવાયા અને ઑક્ટોબર 2023માં RBIએ ફરી પેટીએમ બેંક પર 5.39 કરોડનો દંડ ફટકાર્યો. પેટીએમ બૅંક માળું કંઇક કરતી જ નહોતી એમ કહીએ તો ચાલે, કોઇ પ્રકારનું મોનિટરીંગ થતું જ નહોતું. નિયમોથી પર જઇને કરોડોની લેવડદેવડ પણ પેટીએમ બૅંકમાં થતી હતી, તેના બેનિફિશ્યરી માલિકો કોણ હતા તેની પણ ચોખવટ નહોતી, પેઆઉટ ટ્રાન્ઝેક્શન્સ પર કોઈ નિયંત્રણો નહોતા. ફરી વાર દંડ ફટકારવામાં આવ્યો પણ પેટીએમ પેમેન્ટ બૅંકના લોકોને કોઈ ફેર પડ્યો નહીં. પેટીએમએ મની લોન્ડરિંગ કર્યું છે એવું કોઇ નથી કહેતું પણ એમ તો થઇ જ શકે કે પેટીએમના નિષ્ક્રિય એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને કોઈને કોઈનો આર્થિક છેતરપીંડી કરી જ શકે છે. RBI પણ ક્યાં સુધી માફ કરે? વિજય શેખર વર્માની આ દાદાગીરી હતી, આ તેમનો અહમ હતો કે આપણે તો ફિનટેકના ક્ષેત્રમાં ઇતિહાસ રચ્યો છે આપણને કોણ જ કંઇ કરી શકવાનું છે?

પેટીએમની બૅંક ચલાવવાનો મોહ હવે પૂરો થઇ ગયો. સામાન્ય માણસે એ સાચવવાનું કે પેટીએમ વૉલેટમાં જેટલા પૈસા છે એ 29મી ફેબ્રુઆરીમાં વાપરી લેવા કારણ કે પછી એ વૉલેટની કામગીરી બંધ થઇ જશે. પેટીએમની વહારે કોઈ બીજી બૅંક નહીં આવે તો આ વૉલેટ્સ ગયા ખાતે. વળી જે દુકાનદારો પેટીએમ મર્ચન્ટ્સ છે તેમણે બીજા પેમેન્ટ ગેટવેઝની મદદ લેવી પડશે અને RBI તો આ નાના-મોટા વેપારીઓને મદદ કરી જ રહી છે.

પેટીએમની વહારે કોઇ નહીં આવે એટલે પેટીએમ તો પતી ગયું કારણ કે જે રીતે યસ બૅંકને બચાવવા સહાર પૂરી પડાઇ હતી એવું આ મામલે થાય એવું લાગતું નથી. વિજય શેખર શર્માએ આ બધા ગોટાળા પછી જે ટ્વીટ કર્યું એમાં ખાલી સારી સારી વાતો કરી છે એમ જ લાગે છે.

આવું બાઇજુ રવીન્દ્રન અને અશ્નિર ગ્રોવરના કિસ્સામાં બન્યું છે. તેમને લોકોએ ખૂબ માથે ચઢાવ્યા અને પછી એ સાવ તળિયે જઇને બેઠા. આ બધાં જેટલી ઝડપથી ઉપર ગયાં એટલી જ ઝડપથી નીચે પણ આવી ગયા. પોતાની જાતને ભગવાન માનવા બેઠેલાઓને આપણે પણ માથે બેસાડ્યા અને પછી એ બધા ફાટી ફાટીને ધુમાડે ગયા. ભારતમાં પહેલાં પણ બૅંકો બેસી પડી છે, વિજય માલ્યા જેવા ઘણા નંગ પણ પાક્યા જેમણે આપણી બૅંકિંગ સિસ્ટમના ગોટાળા પણ જાહેર કર્યા. કશું બહુ ગાજતું હોય ત્યારે તેના મોહમાં ન આવી જવું પણ સવાલ કરવો અને ન કરવો હોય તો સવાલ કરનારાઓને એક વાર સાંભળવા તો ખરાં જ. આપણે ત્યાં ફડચામાં ગયેલી બૅંકોના અને ફાઇનાન્શિયલ ફ્રોડ્ઝના બહુ કિસ્સા છે, આ માત્ર થોડો ટેક સેવી ફડચો હતો, એટલો જ ફરક છે.

બાય ધી વેઃ

જીઓ ફાઇનાન્સિયલ સર્વિસીઝ અને એચ.ડી.એફ.સી. બૅંક સાથે મળીને પેટીએમ વૉલેટ બિઝનેસને હસ્તગત કરવાના નથી, એ પહેલી ચોખવટ કારણ કે આ અફવા માર્કેટમાં આવી અને શૅર માર્કેટમાં તેની અસર તરત જ દેખાઇ. ફિનટૅકને બબલ કહેનારાઓને માથે માછલાં ધોનારાઓને આજે સમજાયું હશે કે અંતે આ તો એક ક્યૂઆર કોડ જ છે, પેમેન્ટ સિસ્ટમને સરળ બનાવે છે, એમાં બીજું કંઇ છે જ નહીં. નોન બેંકિંગ ફાઇનાન્સ કોર્પોરેશન કંઇ નવી વાત નથી, ક્યૂઆર કોડથી પૈસા ચૂકવાતાં હોય એને અર્થતંત્રની ક્રાંતિ ગણાવીને ખુશ થવાની કોઇ જરૂર હતી જ નહીં. એક માહિતી અનુસાર ડિમોનેટાઇઝેશનના સાત વર્ષ પછી આજે 33 લાખ કરોડ રૂપિયા સર્ક્યુલેશનમાં છે, જે એ વખત કરતાં બમણાં છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ હોય, જેમ રોકડાથી વહેવાર થાય એમ જ યુ.પી.આઇ.થી વહેવાર થાય. આ એક સવલત છે આ કોઈ એવી ઘટના નથી જેનાથી અર્થતંત્રની કાયા કલ્પ થઇ જાય.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ફેબ્રુઆરી 2024

Loading

...102030...830831832833...840850860...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved