Opinion Magazine
Number of visits: 9457766
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, હરારી પાસે -28 : ‘એ.આઈ.’-ના ઇતિહાસની લગીર ઝાંખી 

સુમન શાહ|Opinion - Opinion|6 October 2023

સુમન શાહ

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ઇતિહાસની લગીર ઝાંખી થઈ શકે એવી થોડીક વીગતો આપું :

‘એ.આઈ.’-નાં બીજ તો યન્ત્રમાં માનવીય શક્તિ દાખલ કરી શકનારી માણસની સર્જનાત્મક બુદ્ધિમાં પડેલાં છે. પ્રાચીનકાળમાં એનાં ઍંધાણ જોવા મળે છે. જેમ કે, માનવ-સરજિત કૃત્રિમ વસ્તુઓમાં બુદ્ધિ કે ચેતનાનું આરોપણ આપણને પુરાણગાથાઓમાં કે વાર્તાઓમાં જોવા મળે છે.

ગ્રીક સંસ્કૃતિમાં એક જાણીતું દૃષ્ટાન્ત છે, Talos-નું. કાંસાનો બનાવાયેલો એ રક્ષક ક્રીટ ટાપુની પૂરેપૂરી સંભાળ રાખતો. એનું સર્જન અગ્નિ અને ધાતુઓના હેફાયેટસ નામના ગ્રીક દેવે કરેલું. એ પ્રચણ્ડકાય યન્ત્રમાનવ ક્રીટ ટાપુ આસપાસ દિવસમાં ત્રણ આંટા લગાવતો ને દુશ્મનોનાં વહાણ પર ખડકો અને ભાલા ફૅંકતો, ને એ પ્રકારે ટાપુની રક્ષા કરતો. કહેવાય છે કે પોતાના મુખમાંથી એ અગ્નિના ઉચ્છ્વાસ કરી શકતો, ધાતુને પીગળાવી મૂકતો.

ભારતીય પુરાણગાથાઓમાં તો એનાં એકથી વધુ દૃષ્ટાન્તો મળે છે. સવિશેષે જાણીતું છે, પુષ્પક વિમાન. આપણે જાણીએ છીએ કે એનું સર્જન ભગવાન રામ માટે થયેલું અને વિશ્વકર્મા એના સર્જક હતા. ગાથા તો એટલે લગી કહે છે કે એ સુવર્ણનું હતું ને એની પાસે એવી બુદ્ધિ હતી કે એ વિશ્વના કોઈપણ ખૂણે ઊડવાને સમર્થ હતું.

એવું જ બીજું દૃષ્ટાન્ત છે, ગરુડનું. એનું સર્જન ભગવાન વિષ્ણુ માટે થયેલું અને એના સર્જક પણ વિશ્વકર્મા હતા. ગાથા કહે છે કે ગરુડ સુવર્ણ અને અમૃતનું બનાવાયેલું. એનું ધડ પક્ષીનું હતું પણ શિર મનુષ્યનું હતું. ગરુડ વિષ્ણુનું વાહન તો હતું જ પણ અત્યન્ત બુદ્ધિશાળી હતું. 

લગભગ કોઈ હિન્દુ દેવ એવો નથી જેનું વાહન કોઈ પ્રાણી ન હોય. વળી, યક્ષ ગન્ધર્વ અપ્સરા અને પંચતન્ત્રની પ્રાણીકથાઓ સૂચવે છે કે પ્રાચીન ભારતીય ગાથાઓના એ સર્જકો માનવેતર યાન્ત્રિક સર્જનો કલ્પી શકતા તેમ જ તે યન્ત્રોમાં મનુષ્યત્વને કે પશુત્વને જોડી શકતા હતા.

‘એ.આઈ.’નાં બીજ યન્ત્રમાં માનવીય શક્તિ દાખલ કરી શકનારી એની સર્જનાત્મક બુદ્ધિમાં પડેલાં છે. એ આ રીતે પણ સાચું છે. લગભગ દરેક સભ્યતામાં શિલ્પબુદ્ધિ ધરાવનારા કારીગરોએ વાસ્તવિક લાગે એવાં મનુષ્યદેહી ઑટોમેશન બનાવ્યાં છે. પ્રાચીન ઇજિપ્ત અને ગ્રીસનાં પવિત્ર મનાતાં પૂતળાંને એ ગૌરવ અપાયું છે.

અંગ્રેજ વિદ્વાન ઍલેક્ઝાન્ડર નેકહામે કહ્યું છે કે પ્રાચીન રોમન કવિ વર્જિલે તો ઑટોમેશન પૂતળાંનો મહેલ ઊભો કર્યો છે ! એ હકીકત મધ્યકાળની અનેક સાહિત્યકૃતિઓમાં પણ જોવા મળે છે. ૧૯-મી સદીના કથાસાહિત્યમાં પણ કૃત્રિમ માનવો અને વિચારવન્ત મશીનની વાતો થઈ છે.

એ હકીકતનાં અર્વાચીન દૃષ્ટાન્તો છે, સાયન્સ ફિકશન્સ. કહેવાય છે કે ૨૦મી સદીના પૂર્વાર્ધમાં સાયન્સ ફિક્શને કૃત્રિમ બુદ્ધિ ધરાવતા રોબોટ્સની વિભાવનાનો દુનિયાને પરિચય કરાવ્યો. પ્રારમ્ભ થયો, wizard of Oz -ના ‘હાર્ટલેસ’ ટિન મૅનથી; અને Maria in Metropolis-માં એની નકલ કરતા મનુષ્યદેહધારી – હ્યુમનોઇડ – રૉબોટથી. આમ એ પરિચય થયો કથાથી, સાહિત્યકલાથી, સર્જનાત્મક બુદ્ધિથી.

‘એ.આઈ.’-નું જેને ફૉર્મલ રીઝનિન્ગ કહી શકીએ તેને, એ રૂપપરક તાર્કિકતાને, સમજવી જોઈશે. મુખ્ય પૂર્વધારણા એ છે કે માનવીય વિચારપ્રક્રિયાનું યાન્ત્રિક રૂપાન્તરણ શક્ય છે, એનું યન્ત્ર બનાવી શકાય. આ તર્કનો દીર્ઘ ઇતિહાસ છે, અહીં એમાં જવાનું કારણ નથી. બાકી, કહેવાય છે કે ચીની, ભારતીય અને ગ્રીક ફિલસૂફોએ ઇ.સ.પૂ.-ના પહેલા સહસ્રાબ્ધમાં ફૉરમલ ડિડક્શનની, નિગમનાત્મક તર્કની, સંરચનાત્મક પદ્ધતિઓ વિકસાવી હતી.

એવું એક દૃષ્ટાન્ત મનાય છે, બૌદ્ધ દર્શનની ‘માધ્યમિકા’ વિચારપદ્ધતિ. એમાં, કેન્દ્રસ્થ વિભાવ એ છે કે બધા જ ફિનોમિના રિક્ત અથવા અસ્તિત્વહીન છે, અને વાસ્તવિકતાને નિષેધ વડે જ પામી શકાય છે. એ વિચારપદ્ધતિમાં તર્કશક્તિ અને તાર્કિકતાનું મહત્ત્વ છે. એમાં reductio ad absurdum અને the law of non-contradiction જેવી તર્કપરાયણ અનેક ટૅક્નિક્સ જોવા મળે છે. પહેલી ટૅક્નિક – વસ્તુને સાચી પુરવાર કરનારા હકારાત્મક વિધાનનું નકારાત્મક વિધાન વિરોધી અને અસંગત લાગે, તે. જાણીતો દાખલો કાયમ અપાય છે : બધાં યુનિકૉર્ન્સ શ્વેત છે : કેટલાંક યુનિકૉર્ન્સ શ્વેત નથી : બીજી ટૅક્નિક – તર્કશાસ્ત્ર એમ કહે છે કે એક જ સમયે કોઈપણ વિધાન ખરું અને ખોટું એમ બન્ને ન હોઈ શકે, તે.

૧૭-મી સદીમાં, લિબનિઝ, થૉમસ હોબ્બસ, અને રેને દે કાર્તે એવી શક્યતા ભાળી કે બધા જ તર્કસંગત વિચારોને બીજગણિત અને ભૂમિતિ જેટલા પદ્ધતિપુર:સરના કરી શકાય એમ છે.

૨૦-મી સદીમાં, ‘મૅથેમૅટિકલ લૉજિક’-નાં અધ્યયનો એવાં સફળ પુરવાર થયાં કે ‘એ.આઈ.’-ના આવિષ્કારની ભૂમિકા નિશ્ચિત થઈ ગઈ.

ગણકયન્ત્રો તો માનવ-ઇતિહાસમાં પરાપૂર્વથી બનતાં આવ્યાં છે. સૌ પહેલાં બન્યાં તે કમ્પ્યુટરો અતિ મોટાં કદનાં હતાં અને તેનો વિનિયોગ બીજા વિશ્વયુદ્ધમાં થયો હતો. એક હતું ENIAC જે ઍલન ટ્યુરિન્ગના સિધ્ધાન્તો અનુસારનું હતું, જેને જોહ્ન ન્યૂમાને વિકસાવેલું, જે ઘણું જ પ્રભાવક નીવડેલું.

ENIAC એટલે, Electronic Numerical Integrator and Computer. US army-ની બાલિસ્ટિક્સ ટ્રેઝેક્ટરીઝની ગણતરીઓ કરી આપતું લગભગ ૩૦ ટન વજનનું હતું અને ૧૮૦૦ ચૉરસ ફીટ જગ્યા રોકતું હતું ! સંદર્ભ છે, ENIAC: https://en.wikipedia.org/wiki/ENIAC on Wikipedia.

(ક્રમશ:)
(05/10/23)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

નગરો અને મહાનગરો : કોનાં પોતાનાં, કોના પારકાં ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|6 October 2023

ચંદુ મહેરિયા

૨૦૧૮માં જી – ૨૦ ના સભ્ય દેશોના શહેરી મુદ્દાઓની ચર્ચા માટે યુ- ૨૦(અર્બન-૨૦)ની રચના કરવામાં આવી હતી. તેની છઠ્ઠી મેયરલ સમિટ આ વરસના જુલાઈમાં અમદાવાદ– ગાંધીનગર ખાતે યોજાઈ હતી. આ સંમેલનની છ સૂત્રીય ભલામણોમાં જળ સુરક્ષા, જળવાયુ પરિવર્તન, પર્યાવરણ, શહેરી વહીવટ, સ્થાનિક સંસ્કૃતિ અને અર્થવ્યવસ્થા તથા ડિજિટલ શહેરી ભવિષ્ય જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. સમિટે સ્થાયી અને ટકાઉ શહેરી વિકાસ માટે તેમાં સમાનતા, ન્યાય અને સમાવેશનની અનિવાર્યતા દર્શાવી હતી. જો આ ભલામણો ભારત સહિતના સદસ્ય દેશો અપનાવે તો શહેરી વિકાસ તેના તમામ નાગરિકોની ભાગીદારીથી સમાનતા આણનારો બની શકે તેમ છે.

શહેરો અને કસ્બાઓમાં રહેતા લોકોની સંખ્યામાં વૃદ્ધિ એટલે શહેરીકરણ. શહેરીકરણ એ આજકાલની ઘટના નથી. વિશ્વમાં બે સદીથી શહેરીકરણ થઈ રહ્યું છે. મુખ્યત્વે ગામડાઓના બનેલા આપણા દેશમાં શહેરીકરણ મોડું શરૂ થયું. પણ હવે તેની ગતિ તેજ છે. અંદાજ તો એવો છે કે સ્વતંત્રતાની શતાબ્દીએ દેશની અડધી વસ્તી શહેરોમાં વસતી હશે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે શહેરીકરણનો દર ૩૧.૧ ટકા હતો.. ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગોવા અને કેરળની શહેરીકરણની ટકાવારી  રાષ્ટ્રીય સરેરાશથી વધારે હતી. જ્યારે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા અને અસમમાં ઓછી હતી. દિલ્હી, ચંદીગઢ, દમણ અને દીવ તથા લક્ષદીપમાં ૭૫ ટકા વસ્તી શહેરી હતી. આજે વિશ્વની કુલ શહેરી વસ્તીના ૧૧ ટકા વસ્તી ભારતમાં છે. ગુજરાતના અલગ રાજ્યની રચના વખતે, ૧૯૬૧માં, રાજ્યમાં શહેરી વસ્તી ૨૫.૮ ટકા હતી જે ૨૦૨૨માં ૪૮.૪ ટકા છે. સાઠ વરસોમાં ૨૨.૬ ટકાની શહેરી વસ્તી વૃદ્ધિ દર્શાવે છે કે ગુજરાતમાં શહેરીકરણની ગતિ ઘણી તેજ છે. ૨૦૧૧માં રાજ્યમાં ૨.૫૭ કરોડ લોકો શહેરોમાં વસતા હતા. દશ વરસ પછી ૨૦૨૨માં શહેરોમાં વસનારા લોકો ૩.૪૩ કરોડ છે.

શહેરો પાઘડીપને વિસ્તરે છે તેના મૂળમાં ગામડાંઓમાં રોજગારીનો અભાવ, ટૂંકી જમીન, વરસાદી ખેતી, ગરીબી, પૂર અને દુષ્કાળ છે. વખાના માર્યા શહેરોમાં આવી ગયેલા લોકોને શહેર સંઘરે તો છે પણ તેમનું જીવન ઘણું મુશ્કેલ હોય છે. ભારતના મોટા ભાગના શહેરોમાં દરેકને માટે યોગ્ય રહેઠાણ, પાણી, વીજળી, સ્વચ્છતા, શિક્ષણ, જાહેર પરિવહન, આરોગ્ય વગેરેની સગવડોનો અભાવ હોય છે કે અપર્યાપ્ત હોય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલ પ્રમાણે ૨૦૨૦માં ભારતની પચાસ ટકા શહેરી વસ્તી ઝૂંપડપટ્ટી કે કાચા અને ગંદા મકાનોમાં રહેતી હતી.

શહેરીકરણ અને શહેરી વિકાસ પરસ્પર સંકળાયેલી બાબત છે. શહેરી વિકાસ માટે નગર નિયોજન જરૂરી છે. અર્બન પ્લાનિંગ રાજકીય અને તકનિકી પ્રક્રિયા છે. નગર નિયોજન સમતોલ, રહિતો અને સહિતો એમ સર્વ માટે સમાવેશી અને ન્યાયી હોવું જોઈએ. પરંતુ આદર્શ અને વાસ્તવ વચ્ચે જોજનોનું અંતર છે. આજનું અર્બન પ્લાનિંગ મોલ, મલ્ટિપ્લેક્સ, એપાર્ટમેન્ટ, બહુમાળી મકાનો, જિમ, ફ્લાયઓવર, રિવરફ્રન્ટ, કો’ક હીરોઈનના ગાલ જેવા પોશ વિસ્તારોના રસ્તા, લિમિટેડ ગ્રીનરી, નેશનલ-ઈન્ટરનેશનલ એરપોર્ટ, ફુવારા સાથેના મોટા મોટા સર્કલ અને સી પ્લેન બની ગયું છે. પરંતુ શહેર કઈ રીતે વધુ રહેવા યોગ્ય બને તેનું આયોજન નથી હોતું. ધનવાનો અને મોટા બંગલાવાળાઓ માટે પાણીની રેલમછેલ હોય અને ગરીબોને ચોખ્ખું પીવાનું પાણી ના મળે, કેટલાક વિસ્તારો આખી રાત રોશનીથી ઝગમગે અને છેવાડાના લોકોની વસ્તીમાં કાળું ધબ્બ હોય તે સમતોલ વિકાસ નથી. એ જ પ્રમાણે તમામને ઘર, પાણી, ગટર, દવાખાનું, નિશાળ, રમતનું મેદાન અને બગીચા મળી રહે તે જ નગરનિયોજન સર્વસમાવેશી ગણાય.

સ્થિરતા, આરોગ્ય દેખભાળ, સંસ્કૃતિ અને પર્યાવરણ તથા શિક્ષણ અને મૂળભૂત  માળખુ એ પાંચ માપદંડો પરથી વિશ્વના ૧૭૩ શહેરોના જીવનની ગુણવતાનું આકલન કરવામાં આવ્યું હતું. તેના આધારે તૈયાર થયેલા ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ ૨૦૨૨માં ભારતના મહાનગરોનું રેન્કિંગ અત્યંત શરમજનક હતું.૧ ૭૩ દેશોમાં અમદાવાદ ૧૪૬, ચેન્નઈ ૧૪૨, મુંબઈ ૧૧૭ અને દિલ્હી ૧૧૨મા ક્રમે હતા. ધ ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજેસ યુનિટના ડિસેમ્બર ૨૦૨૧ના રેન્કિગમાં દુનિયાના સૌથી સસ્તા દશ શહેરો પૈકીનું એક વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ હતું. મધ્ય પ્રદેશનું ઈન્દોર વધુ એક વખત સૌથી સ્વચ્છ શહેર બન્યું હતું. રહેવા માટે સુગમ શહેરોમાં બેંગલૂરુ અને પૂણે હતા તો રહેવા માટે સૌથી ખરાબ શહેરો ધનબાદ અને શ્રીનગર હતા. ઘડીભર આવા સર્વે અને રેન્કિંગને બિઝનેસ ગણી તડકે મૂકીએ તો પણ આપણા નગરો-મહાનગરોની નરી આંખે જોવા મળતી સચ્ચાઈ અને તેના માટે કોણ પારકા છે અને કોણ પોતાના છે તે ઢાંકી શકાશે નહીં.

સાર્વજનિક પરિવહનની કફોડી હાલત અને ખાનગી વાહનો માટે પાર્કિંગનો અભાવ એ નગરો-મહાનગરોના અમીરો અને ગરીબો બેઉને સતાવતી સમસ્યા છે. તેમાં પણ બિસ્મારા રસ્તા અને ટ્રાફિક્ના કારણે સમયસર પહોંચવું મુશ્કેલ છે. એક દાયકા પૂર્વેના અને આજે પણ પ્રસ્તુત એવા રાજધાની દિલ્હીના એક સર્વેનું તારણ હતું કે દિલ્હીના ૬૦ ટકા લોકો બસોમાં આવજા કરતા હતા. (હવે આજે કદાચ મેટ્રોમાં કરતા હશે.) સાર્વજનિક બસો દિલ્હીના કુલ માર્ગોની ૭ ટકા જગ્યા રોકતી હતી તેની સામે ૨૦ ટકા ખાનગી કાર વાપરતા લોકો કુલ રસ્તાનો ૭૫ ટકા હિસ્સો વાપરતા હતા. શહેરોની ૨૦થી ૩૦ ટકા વસ્તી મહેનત – મજૂરીએ જવાઆવવા સાઈકલ વાપરે છે કાં પગપાળા જાય આવે છે. એટલે કારો કે બસોથી થતા પરિવહને સાઈકલોનું સ્થાન લીધું નથી ઊલટાનું તેણે વધુ રસ્તા રોકીને તેને પાછળ ધકેલી છે. આ બાબતોનો નગરનિયોજનમાં સમાવેશ થાય  તે આવશ્યક છે.

શહેરોનો વિકાસ અને તે માટેનું આયોજન જેમ ધનવાનો કેન્દ્રી છે તેમ પુરુષકેન્દ્રી પણ છે.  શહેરોની જાહેર જગ્યાઓના વપરાશની બાબતમાં મહિલાઓની ધરમૂળથી બાદબાકી કરતાં આયોજનો લગભગ દુનિયા આખીમાં છે. કિશોરીઓ, યુવતીઓ, નોકરિયાત મહિલાઓ અને વૃદ્ધાઓની પબ્લિક સ્પેસના યુઝની જરૂરિયાતોનો ખ્યાલ રાખવો જાણે કે આપણા મેલ અર્બન પ્લાનરો  ભૂલી જ ગયા છે. દેશની અર્ધી આબાદીને તે જે શહેરમાં વસે છે તેની મૂળભૂત સગવડોથી વંચિત રાખવામાં આવે છે. પછી તે રમતના મેદાન હોય કે બગીચા હોય. મહિલાઓને અનુકૂળ હોય તેવો શહેરી વિકાસ માંગતું અભિયાન સિટી ફોર વુમન વિશ્વના કેટલાક દેશોમાં આરંભાયું છે. તેની હવા ભારતના નગરનિયોજકોને પણ અડવી જોઈએ.

શહેરીકરણ એ વરવી અને નક્કર વાસ્તવિકતા છે. તેથી તેનો વિકાસ વધુ સુગમ, સગવડદાયી અને સર્વસમાવેશી બનાવવાની જરૂર છે. સિટી ફોર વુમન જેવી માંગણી ઊઠે તે પહેલાં સિટી ફોર ઓલ બનાવવા સંકલ્પબધ્ધ થઈશું તો જી-૨૦નું ભવ્ય આયોજન અને યુ-૨૦ની યજમાની સાર્થક ઠરશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

ગુજરાતનો શિક્ષણ વિભાગ બંધ થાય તો શિક્ષણની ગુણવત્તા કદાચ વધુ જળવાય એમ બને …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|6 October 2023

રવીન્દ્ર પારેખ

હા, ગુજરાત સરકાર શિક્ષણ ખાતું બંધ કરે તો શિક્ષણ ખાડે જતું અટકે, કારણ, શિક્ષણ વિભાગ અત્યારે જે રીતે વર્તી રહ્યો છે એમાં શિક્ષણની ગુણવત્તાનો તો દાટ જ વળી ગયો છે. શિક્ષણ વિભાગે પથારી ફેરવવી હતી તે બરાબરની ફેરવી છે, એટલે તેનો હેતુ તો બર આવ્યો જ છે ને આથી વધારે ધોરણ કથળે એમ નથી તો વિભાગે હવે બીજા કોઈ ક્ષેત્રની પથારી ફેરવવા કસરત કરવી જોઈએ. પ્રાથમિકથી લઈને યુનિવર્સિટી સુધીનું શિક્ષણ પૂરતું કથળી ચૂક્યું છે. શિક્ષણ, શિક્ષક વગર પણ આપી શકાય એ શોધ શિક્ષણ વિભાગની છે. તે કદાચ બધા જ વિદ્યાર્થીઓને એકલવ્ય માને છે, જેણે ગુરુ વગર શિક્ષા પ્રાપ્ત કરી હતી. જો એકલવ્યને ગુરુ વગર જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો આજનો વિદ્યાર્થી તો વધુ એડવાન્સ્ડ છે, તે ગુરુની આશા રાખ્યા વગર પણ આગળ વધી શકે, એવું શિક્ષણ વિભાગને લાગતાં તેણે મજૂરો કરતાં પણ કિફાયતભાવે શિક્ષકો રાખવાનું શરૂ કર્યું. જિંદગી જ કાયમી નથી, તો શિક્ષકો કાયમી શું કામ હોય? કૌરવો તો મૂર્ખ હતા, તે છેવટ સુધી ગુરુ દ્રોણને કુરુક્ષેત્રમાં રાખ્યા અને ‘નરો વા, કુંજરો વા’ સ્ટાઇલે તેમનો નિકાલ કર્યો. પેલું કુરુક્ષેત્ર હતું, આ ‘બુરુક્ષેત્ર’ છે. શિક્ષણમાંથી શિક્ષકનો જ એકડો કાઢી નખાયો છે. સરકાર કાયમી હોઈ શકે, પણ શિક્ષક કાયમી ન હોવો જોઈએ, એ જ્ઞાન શિક્ષણ વિભાગને લાધ્યું ને તેણે પ્રવાસી શિક્ષક, વિદ્યા સહાયક, શિક્ષા સહાયક, જ્ઞાન સહાયક જેવી કેટેગરીનું અજ્ઞાન જાહેર કર્યું. માસ્તરોને તો જીવ જેવું ખાસ હતું નહીં, એટલે જીવ વગર જ તે પણ શિક્ષણમાં પડી રહ્યા.

સરકારે જોયું કે મજૂરો કરતાં માસ્તરો વધુ મફત પડે છે, તો તેણે ઘા ભેગા ઘસરકાની જેમ કારકૂની પણ કરાવી લીધી. ડેટા જોઈએ છે, માસ્તરો આપશે. પરિપત્રોના જવાબો મેળવવા છે, માસ્તરો આપશે. વસ્તી ગણતરી કરાવવી છે, માસ્તરો હાજર છે. રસીકરણ કરાવવું છે, માસ્તરો હાજર છે. ચૂંટણીની ધૂંસરી મૂકવી છે, તો માસ્તરોનાં ડોકાં હાજર છે. માસ્તરોને એનો વાંધો ન હતો. માસ્તરોને સ્વમાન અને સ્વાધ્યાય સિવાય બધું જ હતું. ખુશામત હતી, રાજકારણ હતું, ટ્યૂશન હતાં, ડમી સ્કૂલો હતી. ટૂંકમાં, માસ્તરો દાઢીની દાઢી ને સાવરણીની સાવરણીમાં ખૂબ કામ લાગ્યા. માસ્તરો પણ સમજી ગયા કે શિક્ષણને બદલે શિક્ષણેતર પ્રવૃત્તિ પણ કૈં બહુ ખોટી નથી, એટલે કેટલાક ગુરુના પગારમાં ગુરુ ઘંટાલની ભૂમિકામાં પણ રહ્યા. વર્ગ, સ્વર્ગે ગયા ને શિક્ષકો જ્યાં હોવા જોઈએ ત્યાં જ રહ્યા. એમનો કોઈ અવાજ ન રહ્યો. હમણાં હમણાં શૈક્ષિક યુનિયનોએ જૂની પેન્શન યોજના ને જ્ઞાન સહાયકોને મુદ્દે માથું ઊંચક્યું છે ને સરકાર લાઠીચાર્જ કે ગોળીબાર વગર કોઈ વાત કાને ધરતી નથી, એટલે જોઈએ, એના કાન ક્યારે ખૂલે છે ને શિક્ષકો પણ ક્યાં સુધી પોકાર પાડતા રહે છે !

સરકારે જોયું કે વર્ગ, શિક્ષક વગર પણ ચાલે છે, એટલે તેણે પાર્ટટાઈમ શિક્ષકોથી કામ લેવા માંડ્યું. હમણાં જ્ઞાન સહાયકોની ભરતીનો વાવર છે. શૈક્ષિક યુનિયનો, ભરતી થાય તો પણ જ્ઞાન સહાયકોને પ્રવેશવા દેવા ઉત્સુક નથી, તો ટેટ-ટાટ પાસ 40 હજારથી વધુ ઉમેદવારોને જ્ઞાન સહાયકોની ભરતી સામે જ વાંધો છે, તો ય કમાલ એ છે કે તેમણે હજારોની સંખ્યામાં ફોર્મ ભર્યાં છે. ખરેખર તો એક પણ ઉમેદવારે ફોર્મ ભરવાની જરૂર ન હતી. કોઈ ઉમેદવારી જ ન નોંધાવે તો સરકાર નીમવાની કોને હતી? જ્ઞાન સહાયકની ભરતીનો સામૂહિક બહિષ્કાર થાય તો સરકારને વિચારવાની ફરજ પડે. આ મામલે યુનિયનો અને શૈક્ષિક મંડળોએ ટેટ-ટાટ ઉમેદવારોની પડખે રહેવું જોઈએ ને કાયમી નિમણૂકનો જ આગ્રહ રાખવો જોઈએ. સરકાર વર્ષોથી શિક્ષકોને કાયમી નિમણૂક બાબતે છેતરતી આવી છે. તે હજારો જ્ઞાન સહાયકોને નીમવા તૈયાર છે, તો કાયમી નિમણૂકમાં ચૂક કેમ થાય છે? ચૂક થાય છે કે ચૂંક ઊપડે છે તે સમજાતું નથી. 2017થી ત્રીસેક હજાર કાયમી શિક્ષકોની નિમણૂક થઈ નથી. જો કામચલાઉ નિમણૂકો હજારોની સંખ્યામાં 2017 પછી થઈ શકતી હોય તો કાયમી નિમણૂક કરવામાં શું નડે છે? એ નિમણૂક ન થઈ શકે એવું નથી, પણ સરકારની નિમણૂક કરવાની દાનત જ નથી. જ્ઞાન સહાયકો નીમવામાં સરકારને લાભ એ છે કે કોઈને પણ વર્ષનો પગાર આપવો ન પડે, કારણ, આ નિમણૂક 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર આપવાની છે. 11 મહિને ફરી નિમણૂક થાય ને એમ જ પછી ચાલ્યા કરે. એમ થાય તો કોઈને કાયમી કરવા ન પડે ને કાયમી નોકરીના ઇન્ક્રિમેન્ટ, પેન્શન જેવા લાભો આપવા ન પડે.

કોર્પોરેટરો, ધારાસભ્યો, સાંસદો ત્રણ ત્રણ કરમુક્ત પેન્શન લઈ શકે ને તે ય પાંચ પાંચ વર્ષની ટર્મને આધારે, જ્યારે શિક્ષક 30 વર્ષથી વધુ નોકરી કરે, તો ય તેને પેન્શન નહીં, એ કેવું? પેન્શનનો પ્રશ્ન જ ન રહે એટલે શિક્ષકોને કોન્ટ્રાક્ટ પર રાખવાનાં સરકારે કાવતરાં કર્યાં છે, જે કેવળ ને કેવળ શરમજનક છે. જો કે, શિક્ષણ વિભાગ એટલો ખંધો થઈ ચૂક્યો છે કે તે બધી શરમને ઘોળીને પી ગયો છે. ગમ્મત એ છે કે અભણ મંત્રી હોઈ શકે, પણ અભણ શિક્ષક ન હોય. શિક્ષક ગ્રેજ્યુએટ હોય, બી.એડ્., એમ.એડ્. કે પીએચ.ડી.પણ હોય. આટલું શિક્ષણ તે હજારો રૂપિયા ખર્ચીને મેળવે છે. એને માટે તેણે જિંદગીનાં કીમતી વર્ષો ખર્ચવા પડે છે. એ પછી ટેટ-ટાટની તૈયારીઓ કરીને એકથી વધુ વખત પરીક્ષાઓ આપવી પડે છે. આ પરીક્ષાઓનું પણ તૂત ચાલે છે. શિક્ષકની નોકરી માટે ઉમેદવાર બી.એડ્ હોય એટલું પૂરતું ગણાવું જોઈએ. તેને બદલે ટેટ-ટાટનાં નાટકો ચાલે છે. એમાં હેતુ તો પરીક્ષાઓની ફી ઉઘરાવીને કમાણી કરવાનો જ છે. પરીક્ષામાં સમય ને પૈસાથી ખર્ચાયા પછી શિક્ષકોએ એકથી વધુ વખત ઇન્ટરવ્યૂ ફેસ કરવા પડે છે. એ પછી નિમણૂક મળે કે ન પણ મળે. આટલી મહેનત પછી નોકરી 11 મહિનાના કોન્ટ્રાક્ટવાળી લેવાની? આટલો ખર્ચ, સમય ફાળવ્યા પછી પ્રાથમિકમાં 21,000ની કે માધ્યમિકમાં 24,000ની બાંધેલા પગારની નોકરી કરવાની? કાયમી નોકરીનું કોઈ આશ્વાસન જ નહીં? વિદ્યાર્થીઓનાં ભાવિ ઘડનારનું કોઈ ભાવિ જ નહીં? આ યોગ્ય છે?

આ જો આટલું જ યોગ્ય હોય તો 11 મહિના માટે મંત્રીઓ, કુલપતિઓ કેમ નથી રખાતા? ત્યાં કેમ કાયમી ધોરણે પેન્શન નક્કી થાય છે ને માસ્તરને જ કેમ એનાથી વંચિત રખાય છે? અન્ય ક્ષેત્રોમાં પણ કાયમી નોકરી છે, તો શિક્ષકને જ નોકરી કામચલાઉ કેમ? કોઈ કામચલાઉ ધોરણે ખાલી પડેલી જગ્યા ભરાય તે સમજી શકાય, પણ બધી જ જગ્યાઓ તો કામચલાઉ ન હોયને ! શિક્ષકોમાં ને ઉમેદવારોમાં થોડો પણ જીવ હોય તો તેમણે ને તેમનાં યુનિયનોએ સરકારને એ ફરજ પાડવી જોઈએ કે કોઈ પણ ભોગે ત્રીસેક હજાર કાયમી જગ્યાઓ માટે લાયક ઉમેદવારો મળી રહે.

આજે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ લેવા ઘણા વિદ્યાર્થીઓ તૈયાર નથી. જે સ્થિતિ સંપન્ન છે એ બધા વિદેશ ભાગી રહ્યા છે. એવી સ્થિતિ દૂર નથી કે કાયમી શિક્ષકોની જગ્યા ભરાતી નથી, એમ જ ઉચ્ચ શિક્ષણની પણ ઘણી જગ્યાઓ ખાલી રહે. નવી શિક્ષણ નીતિ જો કામચલાઉ શિક્ષકોથી જ લાગુ થવાની હોય તો સરકારે નોંધી લેવાનું રહે કે તે ગમે એટલી ઉત્તમ હોય તો પણ તેની કોઈ હકારાત્મક અસરો નહીં વર્તાય. શિક્ષક વગરની શિક્ષણનીતિ અનીતિનું જ પરિણામ હશે. કેટલીય શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષકો વગર નભે છે. એ થોડો સમય માટે તો ચાલી જાય, પણ 6-6 વર્ષથી ત્રીસેક હજાર શિક્ષકોની ઘટ પૂરવાનું સરકારને સૂઝે જ નહીં ને કામચલાઉ શિક્ષકોથી જ કામ લેવાના પેંતરા કરે એ કોઈ રીતે ક્ષમ્ય નથી. એવું નથી કે સરકારને આની ખબર નથી, સરકારે જ શિક્ષકોની ઘટની વાત વિધાનસભામાં જાહેરમાં કબૂલી છે. એ સાથે જ એવું પણ જાહેર થયું છે કે કેન્દ્રીય શિક્ષણ વિભાગના નેજા હેઠળ થયેલા પરફોર્મિંગ ગ્રેડિંગ ઇન્ડેક્સના રિપોર્ટમાં દક્ષિણ ગુજરાતનો દેખાવ નબળો છે ને તેમાં સુરતનો સૌથી નબળો છે. ધોરણ 10-12માં બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ સાથે મોખરે રહેલું સુરત શાળાકીય સ્તર બાબતે (600 માંથી) 444 પરથી 382 પર ઊતરી આવ્યું છે. વર્ષ 2021-’22 માટે દેશના વિવિધ રાજ્યોનાં 748 જિલ્લાઓનું મૂલ્યાંકન કરીને સ્કોર અપાયો તેમાં ગુજરાતના 32 જિલ્લાઓનું મૂલ્યાંકન કરાયું, જેમાં જૂનાગઢનો સ્કોર 425, વડોદરાનો 418 અને અમદાવાદનો 388 હતો. સુરત માટે એમ કહેવાય છે કે તેને કોરોના નડી ગયો. આ દલીલ ગળે ઊતરે એમ નથી, તે એટલે કે કોરોના ગુજરાત આખામાં હતો, તે માત્ર સુરતમાં જ ન હતો. કોરોનામાં પણ જૂનાગઢનો સ્કોર 425 થઈ શકતો હોય તો સુરત 444 પર તો રહી જ શકતું હતું, પણ તેવું થયું નથી. આખા ગુજરાતની આ સ્થિતિ છે ને તેને માટે સરકાર જવાબદાર છે.

સાચું તો એ છે કે વિદ્યાર્થીઓનું ભણતર કોઈને માટે મુદ્દો જ નથી. ભણવું-ભણાવવું એ જાણે કોઇની ફરજ રહી જ નથી. એક બાજુ શિક્ષણનું સૌથી વધુ બજેટ ફાળવાય છે ને બીજી બાજુ કામચલાઉ શિક્ષકો રાખીને સરકાર પૈસા બચાવે છે. બચત ભલે કરે સરકાર, પણ ખર્ચવા જરૂરી છે, ત્યાં તો ખર્ચેને ! સરકાર શિક્ષણ જ ન આપે તો આખું બજેટ જ બચી જાય. પછી તો શિક્ષણ વિભાગની કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જ જરૂર ન રહે. ચોતરફ બચત જ બચત ! એવું થવા દેવાનું છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 ઑક્ટોબર 2023

Loading

...102030...824825826827...830840850...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved