Opinion Magazine
Number of visits: 9561653
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આધુનિક લોકશાહી : કેટલીક માળખાકીય મર્યાદાઓ

પ્રવીણ જ. પટેલ|Opinion - Opinion|13 December 2023

[I]t has been said that democracy is the worst form of Government except all those other forms that have been tried from time to time; but there is the broad feeling in our country that the people should rule, and that public opinion expressed by all constitutional means, should shape, guide, and control the actions of Ministers who are their servants and not their masters.

(House of Commons, 1947)

— Winston Churchill

માનવ સમાજના ઇતિહાસમાં વિવિધ શાસન વ્યવસ્થાઓના પ્રયોગથી માનવજાતે એક બોધ મેળવ્યો છે કે શાસન અનિવાર્ય છે, પણ સત્તા ક્યારેક અનિષ્ટકારક બની શકે છે. તેનાં મુખ્ય બે કારણ છે : એક, જેના પણ હાથમાં સત્તા આવે છે તેને, અમુક અપવાદો સિવાય, સત્તા ગુમાવવાની કે છોડવાની ખાસ ઇચ્છા નથી હોતી; ઊલટાનું, તે સત્તાનું વધુ ને વધુ કેન્દ્રીકરણ કરવા માગે છે. આ એક માનવસહજ વૃત્તિ છે. આવી વૃત્તિમાંથી બીજી સમસ્યા ઊભી થાય છે, જે બ્રિટિશ ઇતિહાસકાર અને રાજકારણી, લોર્ડ એક્ટન(John Dalbeng-Acton : ઈ.સ. ૧૮૩૪ -૧૯૦૨)ના શબ્દોમાં : “સત્તા ભ્રષ્ટ કરે છે, અને સંપૂર્ણ સત્તા સંપૂર્ણપણે ભ્રષ્ટ કરે છે. આ ઇતિહાસબોધને ધ્યાને લઈને છેલ્લાં બસો-અઢીસો વર્ષોમાં આધુનિક પ્રતિનિધિ લોકશાહીનો વિકાસ થયો છે. ન્યાયી સમાજના ઘડતર માટે આધુનિક પ્રતિનિધિ લોકશાહીને (democracy) કે પ્રજાસત્તાક(republic)ને શ્રેષ્ઠ શાસન પદ્ધતિ ગણીને આજે વિશ્વનાં લગભગ ૬૦ ટકા રાષ્ટ્રોએ તેનો સ્વીકાર કર્યો છે.

પરંતુ, કોઈપણ સિસ્ટમની માફક આધુનિક પ્રતિનિધિ લોકશાહી પણ મર્યાદાઓ વિનાની નથી. આ મર્યાદાઓને લીધે લોકશાહી ઘણી વખત ઉત્તમ પરિણામો આપવામાં નિષ્ફળ જાય છે. માટે લોકશાહી શાસન પદ્ધતિને વધુ અસરકારક બનાવવા વાસ્તે તેની મર્યાદાઓની ઓળખ પણ આવશ્યક છે. આપણે અહીં લોકશાહીની કેટલીક માળખાકીય મર્યાદાઓની ચર્ચા કરીશું. પરંતુ તે પહેલાં લોકશાહી અને પ્રજાસત્તાક વચ્ચેનો તફાવત સમજી લેવો જરૂરી છે.

લોકશાહી અને પ્રજાસત્તાક 

લોકશાહી  અને પ્રજાસત્તાક બંનેમાં નાગરિકોને શાસનમાં ભાગ લેવાની સત્તા હોય છે. તેથી લોકશાહી અને પ્રજાસત્તાક બંને શબ્દો મહદંશે એકબીજાના પર્યાય તરીકે વપરાય છે. જ્યારે ઈ.સ. ૧૭૮૭માં યુનાઇટેડ સ્ટેટ્સના  બંધારણની ચર્ચા થઈ રહી હતી ત્યારે પણ લોકશાહી અને પ્રજાસત્તાક શબ્દોના ચોક્કસ અર્થો વણઊકલ્યા રહ્યા હતા. પરંતુ જેમ્સ મેડિસન (James Madison : ઈ.સ. ૧૭૫૧ – ૧૮૩૬) અને એલેક્ઝાન્ડર હેમિલ્ટન (Alexander Hamilton : ઈ.સ. ૧૭૫૫-૧૮૦૪) જેવા યુનાઇટેડ સ્ટેટ્સના સ્થાપકો લોકશાહી અને પ્રજાસત્તાક વચ્ચેના તફાવત અંગે સ્પષ્ટ હતા. તેમના મત પ્રમાણે લોકશાહીમાં લોકો સ્વયં સરકારમાં ભાગ લે છે. જ્યારે પ્રજાસત્તાકમાં, લોકો તેમના પ્રતિનિધિઓને ચૂંટીને સરકારમાં મોકલતા હોય છે જે તેમના વતી સરકારનું સંચાલન કરે છે. લોકશાહી કોઈ એક નાના રાજ્ય માટે યોગ્ય હોઈ શકે, જ્યારે કોઈ એક વિશાળ પ્રદેશમાં પ્રજાસત્તાક વધુ ઉપયોગી થઈ શકે છે. ઈ.પૂ. છઠ્ઠી સદીની,  એક શહેર પૂરતી મર્યાદિત, ગ્રીસની એથેનિયન લોકશાહીને સીધી (direct) લોકશાહીનું ઉદાહરણ માનવામાં આવે છે, જેમાં તમામ નાગરિકો કાયદા બનાવવાની પ્રક્રિયામાં ભાગ લેતા. જ્યારે તે જ સમયની પ્રાચીન રોમન સામ્રાજ્યની શાસન વ્યવસ્થાને પ્રજાસત્તાકનું ઉદાહરણ ગણવામાં આવે છે, જેમાં લોકોના પ્રતિનિધિઓ શાસન કરતા હતા. આવી પ્રતિનિધિ લોકશાહીને કેટલીક વાર પરોક્ષ લોકશાહી પણ કહેવામાં આવે છે.

ભારતના બંધારણમાં જણાવ્યા  પ્રમાણે ભારત એક લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે, જેમાં લોકો નિયમિત યોજાતી ચૂંટણીઓમાં ગુપ્ત મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટે છે.

પ્રતિનિધિ લોક્શાહીની ઉપયોગિતા

પ્રતિનિધિ લોકશાહીનો મૂળભૂત આધાર છે લોકોના સાર્વભૌમત્વ(soverignity)નો સિદ્ધાંત. અર્થાત્, પ્રતિનિધિ લોકશાહીમાં નાગરિકોને તેમના જીવનને અસર કરતા નિર્ણયોમાં ભાગ લેવાનો અધિકાર છે. પરંતુ તે અધિકાર તેઓ તેમના પ્રતિનિધિઓને સોંપે છે. પ્રતિનિધિ લોકશાહીનો મુખ્ય ફાયદો એ છે કે સામાન્ય રીતે એક વિશાળ દેશમાં વસતા બધા લોકો પાસે નિયમિત નિર્ણયો લેવા માટે સમય, ક્ષમતા,  કે રસ હોતો નથી. જ્યારે તેમના પ્રતિનિધિઓ તેમની વિવિધ માંગણીઓને વધુ સુસંગત રીતે રજૂ કરવા માટે સક્ષમ હોય છે એવી અપેક્ષા રાખવામાં આવે છે. જો કે, પ્રતિનિધિ લોકશાહીમાં નાગરિકો મતદાન કરીને, ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સંપર્ક કરીને, રાજકીય ઝુંબેશ માટે સ્વયંસેવક બનીને, અથવા વિરોધ પ્રદર્શનોમાં ભાગ લઈને રાજકીય પ્રવૃત્તિઓમાં સામેલ થાય છે. જેથી તેમના અભિપ્રાયો અથવા સમસ્યાઓ ઉપર ધ્યાન આપવા તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને બાધ્ય કરી શકે છે, તેમની જરૂરિયાતો પ્રત્યે જવાબદાર બનાવી શકે છે. એટલું જ નહીં, પણ સમાજમાં વિવિધતા હોવાથી પ્રતિનિધિ લોકશાહીમાં સમાજના વિવિધ વર્ગો કે સમૂહોનું પ્રતિનિધિત્વ થાય અને તેમના અભિપ્રાયો સાંભળવામાં આવે તેની કાળજી રાખવામાં આવે છે. તેથી, વધુ સમાવેશી નીતિ-નિર્માણ માટે ધારા મંડળોમાં મહિલાઓ અને અન્ય લઘુમતી જૂથોના પ્રતિનિધિત્વની વ્યવસ્થા કરવામાં આવે છે.

પ્રતિનિધિ લોકશાહી શાસન વ્યવસ્થાની માળખાકીય મર્યાદાઓ

આધુનિક પ્રતિનિધિ લોકશાહીની માળખાકીય ખામીઓ, સિસ્ટમની જ એવી ખામીઓ છે જે શાસનની અસરકારકતાને ઘટાડે છે. તેની મુખ્ય માળખાકીય મર્યાદાઓમાં જનતાની મર્યાદિત ભાગીદારી, ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં જવાબદારી અને પારદર્શિતાનો અભાવ, બહુમતીની જોહુકમી,  નાણાંનો પ્રભાવ,  સત્તાના વિભાજનથી ઊભો થતો તણાવ, અને નિર્ણય લેવાની ધીમી પ્રક્રિયાઓ ગણાવી શકાય.  આપણે આ બધી મર્યાદાઓની ટૂંકમાં ચર્ચા કરીશું.

જનતાની મર્યાદિત સહભાગિતા :

પ્રતિનિધિ લોકશાહીની એક મુખ્ય મર્યાદા એ છે કે ઘણા નાગરિકો તેમના હિતમાં શાસન કરે એવા પ્રતિનિધિઓ ચૂંટવા સક્ષમ નથી હોતા. આપણે ભારતમાં જોઈએ છીએ તેમ કેટલાક નાગરિકો તેમના અસલ મુદ્દાઓને બદલે જ્ઞાતિ, ભાષા, ધર્મ જેવી સામાજિક પહેચાન અથવા ટૂંકા ગાળાના વ્યક્તિગત સ્વાર્થના આધારે તેમના પ્રતિનિધિઓને ચૂંટતા હોય છે. તદુપરાંત, ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારો મહત્ત્વના સામાજિક-આર્થિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વિશિષ્ટ ધાર્મિક, જાતિ, અથવા પ્રાદેશિક જૂથોની મત બેંકને અપીલ કરીને ઓળખ આધારિત રાજનીતિ કરે છે. અથવા નાણાં કે બાહુ બળનો પ્રયોગ કરીને ચૂંટણી જીતી જતા હોય છે.

 વધુમાં, ચૂંટણી લડનાર ઉમેદવારની પસંદગી કરવા મતદારો સ્વતંત્ર નથી હોતા. ભારત જેવા દેશોમાં ઉમેદવારોની પસંદગી રાજકીય પક્ષો કરતા હોવાથી લોકોની તેમાં કોઈ ભૂમિકા હોતી નથી. તેમણે તો રાજકીય પક્ષોએ નક્કી કરેલા ઉમેદવારમાંથી જ કોઈ એકની પસંદગી કરવાની હોય છે. અને રાજકીય પક્ષો પણ ઉમેદવારોની આવડત કે લાયકાતને બદલે મહદંશે તેમની ‘યેન કેન પ્રકારેણ’ ચૂંટણી જીતવાની ક્ષમતાને ધ્યાને લઈને તેમને પસંદ કરતા હોય છે.

તેથી સંસદમાં કે રાજ્યોની વિધાન સભાઓમાં કેટલાક ઉમેદવારો તેમના ગુનાહિત રેકોર્ડ હોવા છતાં ચૂંટાઈ જતા હોય છે. ઉદાહરણ તરીકે, ઈ.સ. ૨૦૨૩ના ભારતના એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના અહેવાલ મુજબ વર્તમાન સંસદના ૬૫ ટકા સાંસદો કોઈ ને કોઈ નાના-મોટા અપરાધિક મામલામાં સંડોવાયેલા છે. વિડંબના એ છે કે કાનૂનનો ભંગ કરનારાઓ કાનૂન બનાવવાનો અધિકાર મેળવે છે.

ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં જવાબદારી અને પારદર્શિતાનો અભાવ :

ઘણી વખત લોકશાહીમાં શિક્ષિત, નીતિમાન, અનુભવી, હોંશિયાર કે સક્ષમ ઉમેદવારોની ખોટ વર્તાય છે. જર્મન ફિલસૂફ નિત્ઝે (Friedrich Nietzsche : ઈ.સ. ૧૮૪૪-૧૯૦૦) માનતા હતા કે લોકશાહીમાં સમાનતા અને જનતાની ઇચ્છાનું મહત્ત્વ વધુ હોવાથી સમાજની શ્રેષ્ઠ અને સૂઝ ધરાવતી અસાધારણ વ્યક્તિઓની અવગણના થવાનો ભય રહે છે. વળી, ચૂંટણીની મોસમ દરમિયાન જનતાના સીધા સંપર્કમાં રહેતા ઉમેદવારો ચૂંટણી બાદ હંમેશાં તેમના બધા જ મતદાતાઓના સતત સંપર્કમાં રહેતા નથી. ચૂંટણી પછી નાગરિકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેનો સંવાદ ઘણી વાર પ્રતિનિધિઓના મતવિસ્તારની કચેરીઓ કે સ્ટાફ દ્વારા થાય છે.

વધુમાં, પ્રતિનિધિ-લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમના મતદાતાઓની ઇચ્છાને જ વ્યક્ત કરવા કાયદા દ્વારા બંધાયેલા નથી હોતા. તેઓ અમુક ચોક્કસ મુદ્દત માટે ચૂંટાતા હોવાથી એક વાર ચૂંટાયા પછી તેમનું સ્થાન પ્રમાણમાં સુરક્ષિત હોય છે. તેથી તેમના મતદારોના પ્રશ્નો ઉપર પૂરેપૂરું ધ્યાન આપવા માટે ઓછું દબાણ અનુભવે છે, ખાસ કરીને જો આગામી ચૂંટણી દૂર હોય તો. તદુપરાંત, ચૂંટાયેલા પ્રતિનિધિઓનો કાર્યકાળ ચોક્કસ સમય સુધી મર્યાદિત હોવાથી તેમના ટૂંકા શાસન કાળ દરમ્યાન તેઓ બીજી વાર ચૂંટણી જીતવા માટે તાત્કાલિક રાજકીય લાભ આપે તેવાં અને નજરે દેખાય એવાં પરિણામો લાવી શકે તેવાં ટૂંકા ગાળાનાં લોકરંજક લક્ષ્યોને પ્રાથમિકતા આપવા લલચાય છે. તેથી જેને સતત અને વ્યૂહાત્મક આયોજનની જરૂર હોય અને લાંબા ગાળે પરિણામ આપતા હોય તેવા શિક્ષણ, સ્વાસ્થ્ય સેવાઓ, માળખાકીય વિકાસ, અથવા આબોહવા પરિવર્તન જેવા જટિલ મુદ્દાઓને ઉકેલવામાં તેમનો ઉત્સાહ ઓછો હોય છે.

વળી, ઘણા ઉમેદવારો મહદંશે ચૂંટણી પછી તેમના મતદાતાઓ કે મત વિસ્તારના હિતોની ચિંતા કરવાને બદલે પોતાના પક્ષને વધુ વફાદાર રહે છે. ક્યારેક પક્ષ કરતાં પણ તેમના અંગત એજન્ડા વધુ મહત્ત્વના બની જતા હોય છે. ઘણી વાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ પક્ષની વિચારધારા કે જનતાની મૂળભૂત જરૂરિયાતો માટે નહીં પણ સત્તા અથવા અન્ય પ્રલોભનોથી પ્રેરાઈને પક્ષપલટો કરીને તેમના મતદાતાઓના વિશ્વાસનો ભંગ કરે છે. ઈ.સ. ૨૦૧૬માં ઉત્તરાખંડમાં, ઈ.સ. ૨૦૧૯માં કર્ણાટકમાં, અને ઈ.સ. ૨૦૨૩માં મહારાષ્ટ્રમાં થયેલ આવા પક્ષપલટા તેનાં તાજાં ઉદાહરણો છે. કેટલાક  પ્રતિનિધિઓ સીધી કે આડકતરી રીતે ભ્રષ્ટાચાર કરે છે. ભારતમાં આઝાદી પછી તરત જ થયેલ જીપ કાંડ(ઈ.સ. ૧૯૪૮)થી આજ સુધી બહાર પડેલ અનેક ગોટાળાઓ આ હકીકતનું સમર્થન કરે છે.

આમ સરકારનું આ સ્વરૂપ છેતરપિંડી માટે અનુકૂળતા ઊભી કરે છે. આવા સંજોગોમાં જો મતદારોને લાગે કે તેમનો પ્રતિનિધિ યોગ્ય નથી તો તેમની સમક્ષ તેને બદલવા માટે એકમાત્ર વિકલ્પ આગામી ચૂંટણીની રાહ જોવાનો હોય છે.

બહુમતીની જોહુકમી :

પ્રતિનિધિ લોકશાહીમાં ઉમેદવારો ચૂંટણી જીતવા માટે જે સમુદાયો બહુમતિમાં હોય તેમની ઉપર વધુ ધ્યાન આપે છે. તેથી ધાર્મિક કે વંશીય લઘુમતી જૂથો, ઓછી આવક ધરાવતા સમુદાયો, મહિલાઓ, સમલૈંગિક અને વિકલાંગ વ્યક્તિઓ જેવાં લઘુમતી જૂથોની અવગણના થતી હોય છે. લઘુમતીઓને સતાવતી બીજી સમસ્યા એ છે કે ધારા મંડળોમાં નિર્ણયો બહુમતીના આધારે લેવાતા હોય છે. જો લઘુમતીનો કોઈ ઉમેદવાર ધારા મંડળમાં ચૂંટાઈ આવે તો પણ તેની પાસે બહુમતીના પ્રતિનિધિઓને હરાવવા માટે જરૂરી મત નથી હોતા. આથી આવાં લઘુમતી જૂથોની જરૂરિયાતો અને સમસ્યાઓ ઉપર પર્યાપ્ત ધ્યાન અપાતું નથી. એટલું જ નહીં, પણ આવી પરિસ્થિતિમાં બહુમતી સમુદાયોની અસાધારણ તરફેણ કરતાં સંસાધનો અને તકોની અસમાનતા ઊભી કરે એવા નિર્ણયો લઈ શકાય છે.

પ્રતિનિધિ લોકશાહીમાં નાણાંનો પ્રભાવ :

ચૂંટણીમાં ઉમેદવારોને પ્રચાર માટે જાહેરાતો, સભા-સરઘસો અને અન્ય ઝુંબેશ-સંબંધિત ઈવેન્ટ્સનું આયોજન કરવા માટે મહદંશે ભરપૂર નાણાંકીય સંસાધનોની જરૂર પડે છે. ભારત સહિત અનેક દેશોમાં ચૂંટણી પાછળ લખલૂટ ખર્ચ થાય છે. ઉદાહરણ તરીકે, અમેરિકાની વિશ્વ વિખ્યાત પ્યુ રીસર્ચ સેન્ટર નામની સંસ્થાના ઈ.સ. ૨૦૨૩ના સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સમાં ૮૫ ટકા ઉત્તરદાતાઓ માને છે કે રાજકીય ઝુંબેશ એટલી ખર્ચાળ થઈ ગઈ છે કે સારા લોકો માટે ચૂંટણી લડવાનું મુશ્કેલ છે. ભારતમાં પણ ચૂંટણીઓ અત્યંત ખર્ચાળ બની ગઈ છે. ભારતના ચૂંટણી પંચે ચૂંટણી ખર્ચ પેટે સંસદના ઉમેદવારો માટે રૂ. ૭૦થી ૯૫ લાખ અને રાજયોના વિધાન સભાના ઉમેદવારો માટે રૂ. ૨૮થી ૪૦ લાખની મર્યાદા બાંધી છે. પણ વાસ્તવમાં આ મર્યાદાથી અનેકગણો વધુ ખર્ચ થતો હોય છે. ભારતના સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના અહેવાલ મુજબ ઈ.સ. ૨૦૧૯ની સંસદની ચૂંટણીમાં લગભગ રૂ. ૫,૫૦૦ કરોડ જેટલો ખર્ચ થયો હતો, જે વિશ્વમાં સૌથી વધુ હતો. સ્વાભાવિક રીતે જ વધુ નાણાંકીય સંસાધનો ધરાવતા ઉમેદવારો પોતાની વ્યાપક જાહેરાત કરીને જાહેર જનમતને પ્રભાવિત કરી શકે છે. તેથી કાં તો ઉમેદવારો ધનવાન હોવા જોઈએ અથવા તેમણે શ્રીમંત દાતાઓ, કોર્પોરેશનો, અથવા વિશેષ હિત જૂથો પર નિર્ભર થવું પડતું હોય છે. નાણાંકીય ફાળો આપનારાઓ પોતાને અનુકૂળ થઈ શકે તેવા ઉમેદવારને મદદ કરીને બદલામાં તેમના રોકાણ પર વળતરની પણ અપેક્ષા રાખતા હોય છે. આથી, જાહેર જનતાની ભલાઈને બદલે ધનપતિઓનાં હિતોને પ્રાથમિકતા આપતા નિર્ણયો લેવાય તેમ બનતું હોય છે. પ્યુ રિસર્ચ સેન્ટરના ઉપર્યુક્ત સર્વેમાં જાણવા મળ્યું હતું કે ૮૦ ટકા અમેરિકનોને લાગે છે કે તેમની સરકારના નીતિગત નિર્ણયો પર મોટા દાતાઓનો પ્રભાવ ઘણો વધારે છે. જ્યારે નીતિઓ શ્રીમંતોની તરફેણમાં ઘડાતી હોય છે, ત્યારે સંપત્તિ અને સત્તાનું કેન્દ્રીકરણ વધતું હોય છે. પરિણામે, હાંસિયામાં ધકેલાઈ ગયેલાં જૂથોને વધુ નુકસાન થાય છે, સામાજિક અસમાનતા વધે છે.

સત્તાનું વિભાજન અને સંવૈધાનિક સંસ્થાઓનો આપસી સંઘર્ષ :

પ્રતિનિધિ લોકશાહીમાં ચેક અને બેલેન્સની સિસ્ટમ દ્વારા કારોબારી, ધારાકીય, અને ન્યાયિક શાખાઓ વચ્ચે સત્તા વહેંચવામાં આવે છે. પરંતુ, જ્યારે સરકારની કોઈ એક શાખા વધુ પડતી સક્રિય બનીને વધુ શક્તિશાળી બનવાનો પ્રયત્ન કરે છે ત્યારે સિસ્ટમમાં અસંતુલન પેદા થાય છે અને ક્યારેક સંઘર્ષ થતો હોય છે.

જો કારોબારી શાખા અતિશય શક્તિશાળી બનીને અનિયંત્રિત નિર્ણયો લેવા માંડે તો ધારા મંડળ હાંસિયામાં ધકેલાઈ શકે અને ન્યાયતંત્રની સ્વતંત્રતા ઉપર કાપ મુકાઈ શકે. જેને કારણે તે બંનેની કારોબારી ઉપર નિયંત્રણ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય. ભારતમાં ઈ.સ. ૧૯૭૫-૧૯૭૭ની કટોકટી દરમિયાન કારોબારીએ લગભગ અમર્યાદ સત્તાઓ મેળવીને સંસદ તથા ન્યાયતંત્રની સ્વતંત્રતાને નબળી પાડી હતી.

તે જ રીતે, ઈ.સ. ૨૦૦૬માં પ્રકાશસિંહ વી. ભારત સરકારના કેસમાં ભારતની સર્વોચ્ચ અદાલતે સક્રિય ભૂમિકા ભજવીને પોલીસ અધિકારીઓને રાજકીય હસ્તક્ષેપથી બચાવવા માટે રાજ્યોમાં પોલીસ મહાનિર્દેશક અને અન્ય અધિકારીઓ માટે બે વર્ષનો નિશ્ચિત કાર્યકાળ ફરજિયાત કર્યો હતો. તથા દરેક રાજ્યમાં પોલીસ અધિકારીઓની નિમણૂકો, બદલીઓ, અને બઢતી માટે ભલામણો કરવા માટે પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ બોર્ડની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો. આવા ચુકાદાઓથી ધારામંડળ અને કારોબારી સત્તાઓ ઉપર અતિક્રમણ થાય છે તેવી ટીકાઓ થતી હોય છે.

જો કે અહીં એ નોંધવું જરૂરી છે કે ન્યાયતંત્રે  તેની સીમાઓ વટાવી છે કે નહીં તે અંગે મતભેદ હોઈ શકે છે. કારણ કે, ન્યાયતંત્રની સક્રિયતા અને ન્યાયિક અતિક્રમણ વચ્ચે એક પાતળી રેખા છે. ન્યાયિક સક્રિયતા દ્વારા બંધારણના મૂળભૂત સિદ્ધાંતોની રક્ષા માટે ન્યાયાધીશો તેમની શક્તિનો ઉપયોગ કરે છે. પરંતુ, જ્યારે ન્યાયતંત્ર તેની સત્તાની બહાર જઈને ધારા મંડળ કે કારોબારીના ક્ષેત્રમાં દાખલ દઈને કાયદો અથવા નીતિ બનાવવાની બાબતો અંગે આદેશો જારી કરે છે ત્યારે ન્યાયિક દખલ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે.

કારોબારી અને ન્યાયતંત્રની સક્રિયતાની માફક ધારા મંડળોની સક્રિયતાથી પણ સમસ્યાઓ ઊભી થતી હોય છે, ન્યાયતંત્ર કે એક્ઝિક્યુટિવની ક્ષમતા નબળી થતી હોય છે. ઉદાહરણ તરીકે, ઈ.સ ૨૦૧૪માં સંસદે નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ કમિશન એક્ટ પસાર કર્યો હતો. જેમાં ન્યાયાધીશોની નિમણૂકમાં સરકારી હસ્તક્ષેપની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ, સુપ્રીમ કોર્ટે ઈ.સ. ૨૦૧૫માં આવું પ્રાવધાન ન્યાયતંત્રની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે તેમ કહીને આ કાનૂનને ફગાવી દીધો હતો. તે જ રીતે ભારતીય સંસદ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરીને કે તેની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જેવી જુદી જુદી તપાસ કમિટીઓ દ્વારા કારોબારીની સત્તા ઉપર કાપ મૂકી શકે છે. તદુપરાંત, સંઘીય ઢાંચાને કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે ક્યારેક સત્તાનો ટકરાવ અને સંઘર્ષ થતો હોય છે. દિલ્હીની  રાજ્ય સરકાર અને કેન્દ્રિય સરકાર વચ્ચે વારંવાર થતો ટકરાવ આવા સંઘર્ષનું એક ઉદાહરણ છે.

પ્રતિનિધિ લોકશાહીમાં નિર્ણયો લેવામાં મુશ્કેલી અને બિનકાર્યક્ષમતા :

લોકશાહીમાં વિવિધ હિત જૂથો સામેલ હોય છે અને સૌને સાથે લઈને તથા નિયમોનું પાલન કરીને ચાલવાનું હોય છે. તદુપરાંત, લોકસભા અને રાજ્યસભા જેવી સંસદની દ્વિગૃહ વ્યવસ્થા હોવાથી પ્રસ્તાવિત કાયદાઓ અથવા બિલોને ઘણી વાર બંને ચેમ્બરમાંથી પસાર થવાની આવશ્યકતા હોય છે. વધુમાં, કેટલાક સૂચિત કાયદાના મુસદ્દાની વિગતવાર ચકાસણી માટે કેટલીક સમિતિઓના કે સમાજના વિવિધ હિસ્સેદારો અને નિષ્ણાતોના અભિપ્રાયો મેળવવાનું પ્રાવધાન હોય છે. આમ અનેક કારણોસર નિર્ણય લેવાની પ્રક્રિયા લંબાઈ જતી હોય છે. ઉદાહરણ તરીકે, ઈ.સ. ૨૦૧૯ના પ્યુ રિસર્ચ સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ૨૭ લોકશાહી દેશોના સરેરાશ ૫૧ ટકા લોકો માનતા હતા કે તેઓ તેમના દેશમાં નિર્ણય લેવામાં થતા વિલંબને કારણે સંતુષ્ટ નથી.

સમાપન

આવી માળખાકીય મર્યાદાઓને લીધે ઘણા દેશોમાં લોકોનો પ્રતિનિધિ – લોકશાહી સરકારમાં વિશ્વાસ ઘટે છે. ઉદાહરણ તરીકે, ઈ.સ. ૨૦૨૩ના પ્યુ રીસર્ચ સેન્ટરના સર્વેક્ષણમાં ૬૫ ટકા અમેરિકન ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે તેમને ફેડરલ સરકારમાં ઘણો ઓછો વિશ્વાસ છે અને તેઓ તેમના દેશના રાજકારણથી કંટાળી ગયા છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટનો ઈ.સ. ૨૦૨૨નો ગ્લોબલ ડેમોક્રસી ઇન્ડેક્સ પણ વૈશ્વિક લોકશાહીમાં સતત ઘટાડો દર્શાવે છે. આવાં બીજાં અનેક સર્વેક્ષણો આ હકીકતનું સમર્થન કરે છે.

તેથી પ્રતિનિધિ લોકશાહીની મર્યાદાઓ ઉપર ધ્યાન આપીને તેને વધુ જવાબદાર, પારદર્શક, સર્વસમાવેશક, અને સક્ષમ બનાવવા માટે ભારત સહિત સમગ્ર વિશ્વમાં તાત્કાલિક પ્રયત્નો કરવા જરૂરી છે.

૧૦૦૧, પવનવીર, પ્રતાપગંજ, વડોદરા – ૩૯૦ ૦૦૨
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 નવેમ્બર 2023; પૃ. 06 – 08

Loading

આરબ-ઇઝરાએલ યુદ્ધ : પશ્ચિમી મૂડીવાદની અનિવાર્યતા

રોહિત શુક્લ|Opinion - Opinion|12 December 2023

રોહિત શુક્લ

હમાસ એક આતંકવાદી સંગઠન છે. તેણે ઇઝરાએલ ઉપર ૫,૦૦૦ રોકેટ ઝીંકી દીધાં. મોસાદ ઇઝરાએલની જાસૂસી સંસ્થા છે. તેને ગંધ પણ ન આવી અને આ ભયાનક હુમલાએ તબાહી મચાવી દીધી. હવે ઇઝરાએલ બદલો લેશે અને હમાસનો ખુરદો બોલાવશે. આ પ્રકારના સમાચારોમાં આપણે શું ?

ઇઝરાએલ – બિચારું શાંતિથી જીવી શકતું નથી તેનો અફસોસ પણ જાહેર કરી શકીએ. હવે અમેરિકા અને સઘળા પશ્ચિમી દેશો આ હુમલો કરનારાઓની ખબર લઈ નાંખશે તેવો ઉત્સાહ પણ અભિવ્યક્ત કરી જ શકીએ. આમ તો સંસ્કૃતમાં કહેવાયું છે : युद्धेस्य वार्ता, रम्या । લડાઈ પડોશીના ઘરની હોય કે યુક્રેન-રશિયાની હોય યુ-ટ્યુબ ઉપર જોવાની ગમ્મત પડે છે !

યુદ્ધ માનવજીવન સાથે સુસંગત બનીને વણાઈ ગયેલું છે. પ્રાચીન કાળનાં યુદ્ધો ગાયોનાં ધણ માટે થતાં. તે પછી તે સ્ત્રીઓને ઉપાડી જવા માટેનાં બન્યાં, તે પછી ધન-દોલત માટે અને પછી જમીન માટેનાં યુદ્ધો બન્યાં. દેશના યુવાનો આગળ આવીને ‘આર્ય’ અર્જુનને પડકાર ન ફેંકે તે વાસ્તે ગુરુ દ્રોણે એકલવ્યનો અંગૂઠો કપાવી લીધો હતો. યુદ્ધોનો ઇતિહાસ જમીનની માલિકી વિસ્તારવાના તબક્કાને વટી જઈને હવે કુદરતી સંસાધનો ઉપરના કાબૂ અને આર્થિક લાભની દિશા તરફ વધી રહ્યો છે. ઇઝરાએલ – આરબ યુદ્ધને ખ્રિસ્તી / યહૂદી અને મુસલમાન વચ્ચેના યુદ્ધરૂપે જોવું તે એક ઉપરછલ્લો ઉપક્રમ છે. બીજા વિશ્વયુદ્ધ પછીનાં યુદ્ધો મોટા ભાગે આર્થિક લાભ આપતા એક વિકૃત મૂડીવાદનું પરિણામ છે.

૧૯૪૫માં અમેરિકાએ જાપાનનાં બે શહેરો (હિરોશિમા – નાગાસાકી) ઉપર અણુબોંબ નાંખ્યા. આ અત્યંત જઘન્ય કૃત્ય માટે જે દેશ, સરકારો અને (અ)નીતિ ઘડનારાઓનો વિશ્વસ્તરે બહિષ્કાર થવો જોઈતો હતો તેને જગત ફૂલડે વધાવે છે. અમેરિકા અને પશ્ચિમના દેશોએ ધન, સત્તા અને વર્ચસ્વ સ્થાપવા માટે ગુલામોના વેપારથી માંડી રેડ ઇંડિયનોના નિકંદન સુધીનાં પગલાં ભર્યાં છે. ૧૯૪૫ના અણુ-સંહારથી પૂરતો સંતોષ ન પામનાર અમેરિકાએ ૧૯૫૦માં કોરિયાના યુદ્ધમાં ઝંપલાવ્યું. તે પૂરું થતાં ૧૯૫૪માં તે વિયેટનામના યુદ્ધમાં ખાબક્યું.

વિયેટનામ એક ફ્રેંચ વસાહત હતી અને તેની સ્વતંત્રતા માટેની લડતથી થાકી હારીને ફ્રાંસ તે છોડી રહ્યું હતું. સાવ બિનજરૂરી રીતે અમેરિકા આ યુદ્ધમાં ઊતર્યું. હો-ચી-મિન્હના નેતૃત્વ હેઠળ વિયેટનામે જબરદસ્ત સામનો કર્યો. પણ અમેરિકાએ એટલા બોંબ ઝીંક્યા કે તેનું નામ ‘કાર્પેટ બોમ્બિંગ’ થઈ ગયું. ભયંકર આગ લાગે તેવા – વિશ્વ સ્તરે પ્રતિબંધિત નેપામ બોંબ પણ ઝીંક્યા. અમેરિકાની આ ક્રૂરતા એવી ભયાનક હતી કે ખુદ અમેરિકાનાં જ ઘણાં શહેરોમાં આ યુદ્ધ બંધ કરાવવા આંદોલનો થયાં.

પણ આ યુદ્ધખોર માનસિકતા એમ અટકનારી ન હતી. ૧૯૪૮માં યહૂદીઓ માટે ‘માદરે વતન’ ઇઝરાએલ સ્થપાયું. હિટલરે યહૂદીઓ ઉપર ભયાનક અત્યાચાર ગુજાર્યો હતો. લગભગ સાઠ લાખ યહૂદીઓને મારી નાંખ્યા હતા અને સમગ્ર વિશ્વની સહાનુભૂતિ યહૂદીઓ તરફ હોય તે સ્વાભાવિક જ હતું. પણ સવાલ એ છે કે આ અત્યાચારો થયા તે પહેલાં યહૂદીઓ અનેક દેશોમાં નાગરિકો તરીકે રહેતા જ હતા. તેમને પેલેસ્ટાઈનની ભૂમિ ઉપર લાવીને શા માટે વસાવાયા ? આજે ઇઝરાએલ યહૂદીઓનો દેશ હોવા છતાં, લાખો યહૂદીઓ વિશ્વભરના દેશોમાં નાગરિક તરીકે વસેલા છે જ. જો યહૂદીઓને ક્યાંક પણ એકસાથે વસાવવા હતા તો ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા (અલાસ્કા), કેનેડા વગેરે દેશો પાસે પુષ્કળ ખાલી જમીનો આજે પણ ઉપલબ્ધ છે જ. ઇઝરાએલને પેલેસ્ટાઈનમાં જ શા માટે – તે સવાલ છે. અલબત્ત બાપ્ટિસ્ટ ખ્રિસ્તીઓના ધાર્મિક આગ્રહ અનુસાર યહૂદીઓ પોતાની મૂળ ભૂમિમાં પાછા આવે તો સારું એવી માન્યતા છે.

પણ હવે શું બન્યું ? અમેરિકા વિયેટનામમાંથી લગભગ ૧૯૬૫-૬૬ સુધીમાં નવરું પડી ગયું હતું. હવે યુદ્ધ ક્યાં કરવું ? આ અંગે બે બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે.

  1. અમેરિકા વિશ્વના પ્રથમ નંબરી દેશ તરીકે ટકી રહે તે માટે તેમની પાસે અસીમ આર્થિક અને લશ્કરી તાકાત હોય તે જરૂરી છે.
  2. અમેરિકાની આર્થિક તાકાત શસ્ત્રોના અને દવાઓના વેચાણ ઉપર નિર્ભર છે. અમેરિકાની ટેકનોલોજી, ઘણી બધી શોધખોળ પણ આ બે ઉદ્યોગોને પોષક હોય છે.

વાસ્તવમાં અમેરિકન મૂડીવાદ આ યુદ્ધખોર અને ભયાનક હિંસક માનસિકતા અને તે માટેના કાવાદાવા ઉપર રહે છે. ૧૯૭૮થી અમેરિકાની શિકાગો યુનિવર્સિટીએ વિશ્વભરમાં વિશ્વીકરણ અને નૂતન મૂડીવાદની હવા ફેલાવી છે. તે ગાંધીવિચારને મૂળમાંથી જ કાપી નાંખે છે. સત્ય, અહિંસા, સાદાઈ, માનવલક્ષિતા, કરુણા, મૈત્રી, પ્રેમભાવ – આ બધાને નૂતન મૂડીવાદમાં કોઈ જ સ્થાન નથી. એક મદોન્મત્ત રાક્ષસની જેમ આ મૂડીવાદ હિંસા, અસમાનતા, પર્યાવરણનો વિનાશ, યુદ્ધ, કાવાદાવાને પોષતી (પીગસસ જેવી) ટેકનોલોજી વગેરે ઉપર નિર્ભર છે.

૧૯૬૬-૬૭માં વિયેટનામમાંથી હટેલા અમેરિકાએ આરબ-ઇઝરાએલ યુદ્ધ કરાવ્યું, તે પછી પણ ઇરાન-ઇરાક-કુવૈત વગેરેનાં યુદ્ધો થયાં. આ યુદ્ધોમાંથી અમેરિકા અને પશ્ચિમી દેશોને વળી એક નવી અને વિશિષ્ટ ઉપલબ્ધિ સાંપડી.

લગભગ ૧૯૭૨થી આરબ દેશોને સમજ પડી કે પોતે જે ખનિજ તેલ વેચે છે તે તો તકોનો એક વિશાળ ખજાનો છે. પશ્ચિમી દેશો તેને મફતના ભાવે લૂંટી જઈ રહ્યા હતા. તેલ ઉત્પાદક દેશો – ઓપેકનું સંગઠન બન્યું અને તેલની સમૃદ્ધિ છલકાવા માંડી. આ સાથે આ પશ્ચિમી રાષ્ટ્રોએ નૂતન બનતાં જતાં શસ્ત્રોનું પણ વેચાણ વધે તેવા નુસખા કર્યા. આંતર-રાષ્ટ્રીય વેપાર, ઉદ્યોગીકરણ, શહેરીકરણ વગેરે માટે ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ મૂડી અને ટેકનોલોજી આવનજાવન, દૂધ અને ખાદ્ય સામગ્રીની પણ સસ્તા ભાવે લૂંટ વગેરે કાર્યક્રમ વિશ્વમાં અન્ય દેશોમાં ચલાવાયા અને તેને ‘વિકાસ’નું નામ અપાયું.

૧૯૪૫થી અમેરિકા અને પશ્ચિમ યુરોપે હિંસાત્મક આક્રમકતાને મૂડીવાદનું લેબલ ચીપકાવ્યું. અલબત્ત યુદ્ધ માત્ર ઉપર નિષેધ હોવો જોઈએ, પણ અમેરિકાએ તાલિબાન ઊભા કર્યા, ઇરાકના સદ્દામ હુસેનને મારીને તેને ન્યાયોચિત ગણાવ્યું. હમાસનો સફાયો કરશે, ગાઝા પટ્ટીમાં વિનાશ વેરશે અને આરબને જગતભરમાં નિંદાપાત્ર ગણાવશે અને પોતાની ઊંડી ચાલબાજીઓની કોઈને ભનક પણ આવવા નહીં દે. હમાસના સફાયાથી ખુશ થનારને ખ્યાલ પણ નહીં રહે કે ઇરાનનું તેલ હવે મોંઘું થશે. ભારત જેવા દેશની વેપાર ખાધ વધશે, દેશી-વિદેશી દેવું વધશે, રૂપિયો હજુ વધુ તૂટશે અને રેવડીઓ વહેંચવા કે વિકાસ કરવા માટે પણ ખાસ આર્થિક સાધનો હાથવગાં રહેશે નહીં. ઇઝરાએલની રચના અને સ્થાપન આરબ દેશોના તેલને લૂંટી જવા માટે છે. આ માટે શસ્ત્રો વેચવાં જ પડે, તે માટે યુદ્ધો કરાવવાં જ પડે યુરોપ કે અમેરિકાની તળ ભૂમિ પર એક પણ યુદ્ધ ખેલ્યા વગર સમગ્ર દુનિયાને લોહિયાળ મૂડીવાદ અને ઝાંઝવાનાં જળ જેવા વિકાસનાં સ્વપ્નાં – હથેળીમાં ચાંદની જેમ દેખાડાય છે.

ગાંધીની સાત્ત્વિકતા, સાર્વત્રિકતા, અહિંસા, પ્રેમ અને ઉદાત્ત જીવન – પેલા ગોડસેની ત્રણ ગોળી વડે ખતમ નથી થયાં. વિકાસનું આ પ્રગટ વિષ સમગ્ર વિશ્વનો સંહાર કરી રહ્યું છે.

  • યુદ્ધની આક્રમકતા : કેટલાક અંશો

આ યુદ્ધની ભયાનકતા અતિ ગંભીર સંકેતો આપે છે.

(૧) ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચેની તંગ સ્થિતિ જાણીતી છે. દક્ષિણ કોરિયા અને પશ્ચિમી રાષ્ટ્રો પોતાની ઉપર હુમલો કરે તો તેનાથી બચવા વાસ્તે ઉત્તર કોરિયાએ ભૂગર્ભમાં પૂરેપૂરા વસવાટ નગરો વસાવ્યાં છે. આની ઉપરથી બોધ લઈને હમાસે ગાઝા અને પેલેસ્ટાઈનમાં ભૂગર્ભ ટનલો બનાવી છે. આ ટનલો પૈકી કેટલીક લેબેનોન અને સીરિયા સુધી પહોંચે છે. આ ટનલો મારફત હમાસે પુષ્કળ લશ્કરી સામાન એકઠો કર્યો છે.

(૨) મોસાદ અવ્વલ નંબરની જાસૂસી સંસ્થા છે. મોસાદને હમાસના હુમલાના આયોજનની કોઈ ભનક પણ ન આવે તે માટે પોતાના આયોજનનો એક શબ્દ પણ ડિજીટલ પદ્ધતિમાં ઉચ્ચાર્યો નથી. બધું જ આયોજન પ્રત્યક્ષ મુલાકાત ઉપર જ ગોઠવાયું હતું.

(૩) હમાસે ગણી લીધું હતું કે ઇઝરાએલ હવાઈ રોકેટ હુમલાનાં લગભગ ૨,૫૦૦ રોકેટને (૯૦ ટકા) હવામાં જ તોડી નાંખે તેવો આયર્ન ડોમ ધરાવે છે. હમાસે તેની ક્ષમતાથી બમણાં રોકેટ છોડ્યાં અને ભારે વિનાશ કર્યો.

(૪) શસ્ત્રોના સોદાગર એવા અમેરિકાએ યુક્રેનને પણ શસ્ત્રોની સહાય કરી છે. આ યુદ્ધ હજુ ચાલુ જ છે. એક અંદાજ મુજબ યુક્રેન અને રશિયાએ અત્યાર સુધીમાં કુલ સિત્તેર લાખ ગોળા ફેંક્યા છે. આમાંથી લગભગ અડધા અમેરિકાએ પૂરા પાડ્યા છે. હવે ઇઝરાએલના વપરાશ માટે રોજના પાંચથી છ હજાર ગોળાની જરૂર છે (બાય ધ વે શસ્ત્રોના આ ઉત્પાદનને પણ જી.ડી.પી.માં ગણવામાં આવે જ ને ! ખાંપણ અને શબપેટીનું ઉત્પાદન / વપરાશ વધે તો પણ જી.ડી.પી. વધે અને ‘વિકાસ’ થયો કહેવાય.) પણ હવે આ શસ્ત્રભંડાર ખૂટવા માંડ્યો છે.

(૫) સવાલ એ છે કે હમાસ પાસે આટલાં શસ્ત્રો આવ્યા કયાંથી ? હમાસે પાણીની પાઈપોના બે બે ફૂટના ટુકડા કરી તેમાંથી બોંબ બનાવ્યા હતા. ઇઝરાએલના અતિ મોંઘા અને વિશાળ શસ્ત્રભંડારની સામે આ સસ્તા બોંબ કામયાબ સાબિત થયા.

(૬) ઇઝરાએલે ગાઝામાં વીજળી, પાણી, પેટ્રોલ, ડીઝલ, દવા ખાદ્ય સામગ્રી વગેરે તમામનો પુરવઠો બંધ કરી દીધો છે. આથી ત્યાં એક ભયાનક અમાનવીય કટોકટી ઊભી થઈ રહી છે. હમાસે ૧૩૦ ઇઝરાએલીઓને બંદી બનાવ્યા છે. અને તેને છોડે નહીં ત્યાં સુધી આ ચાલુ રહેશે પણ પશ્ચિમી રાષ્ટ્રો અને ઇઝરાએલ આ બધું ચાલુ રાખશે તો તેનાં પરિણામો હજુ ભયંકર આવશે. હમાસ જેવું જ બીજું એક આતંકવાદી સંગઠન લેબેનોનમાં છે જે હીઝબુલ્લાહ તરીકે ઓળખાય છે. સીરિયામાં આવાં જ અન્ય જૂથો છે. ઇઝરાએલના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં આ જૂથો સક્રિય થઈ શકે છે.

(૭) મોટો સવાલ ઇઝરાએલ પાસેના શસ્ત્ર સરંજામનો છે. શસ્ત્રોના વેપારમાંથી ઊભી થયેલી આ ભયાનકતા શસ્ત્રો વગર સાવ નોંધારી થઈ જશે. અમેરિકા અને પશ્ચિમના દેશો યુક્રેનમાં શસ્ત્રો ઠાલવી ઠાલવીને લગભગ ખાલી થઈ ગયા છે. અમેરિકા પાસે પણ હવે શસ્ત્ર સરંજામ ખૂટવામાં છે. આવી અનેક નિર્બળતાઓ ઇઝરાએલ સામે સતત લડતાં આવેલ જૂથો અને તેના નેતાઓ જાણે જ છે. બીજી તરફ યુ.એન. તો શોભાના ગાંઠિયા સમાન જ રહ્યું છે. આવી ભયાનકતા જ ન થાય તે જોવામાં તે સદંતર નાકામ નીવડ્યું છે. યુદ્ધ શરૂ થયાના એક અઠવાડિયામાં આ ચિત્ર ઊભું થઈ ગયું છે. સમય વીતતો જશે તેમ તેમ તેની ભયાનકતા ઓસરવાની નથી.

દુનિયાભરનાં યુદ્ધોમાં રેડાતું લોહી કોઈ મુસલમાન, યહૂદી કે ખ્રિસ્તી કે હિંદુનું નથી. એ લોહી માણસનું છે. અત્યાચારો અને વિકૃતિઓનો ભોગ બનનાર પણ ‘માણસ’ જ છે. વિકાસના નામ હેઠળ ભોગવાદને પોષનારા અને તે માટે લાંબા ટૂંકા ગાળાનાં કાવતરાં કરનારાઓએ એક ઊંચી પર્વત-શ્રૃંખલા રચી દીધી છે. આ પર્વત-શ્રૃંખલામાંથી ઝરણાં અને નદી સ્વરૂપે નવ્ય મૂડીવાદ અને પશ્ચિમી આધિપત્યના નામે જે માનવસત્તાના પ્રવાહો વહે છે તેને કોઈ ધર્મવિશેષનું નામ આપી શકાય તેમ નથી.

ગમે કે ના ગમે કબરમાં સૂતેલા ગાંધીનો દુર્બલ અને ક્ષીણ અવાજ સાંભળવા મથવું રહ્યું.

તા. ૧૩-૧૦-૨૦૨૩
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 નવેમ્બર 2023; પૃ. 04 – 05

Loading

માખણ જેવા મૃદુ, વજ્ર જેવા મજબૂત : વિનોબા

અમૃત મોદી|Opinion - Opinion|12 December 2023

પ્રભુદાસ ગાંધી

સાબરમતી આશ્રમના આરંભનાં વર્ષોમાં રાષ્ટ્રીય શાળા શરૂ કરવામાં આવી હતી. જેમાં આચાર્ય કાકાસાહેબ કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, વિનોબા, નરહરિભાઈ પરીખ, જુગતરામભાઈ દવે જેવા પ્રતિભાશાળી શિક્ષક હતા. બાપુજીના આદેશ અનુસાર વિદ્યાર્થીઓને પૂર્ણ સ્વતંત્રતાનો નિયમ હતો. કોઈ પ્રકારની સજા કે માર નહીં મારવાનો આદર્શ હતો, જે એ જમાના માટે નવો પ્રયોગ હતો. પરિણામે અમે વિદ્યાર્થીઓ સાવ બેપરવા થઈ ગયા હતા. કિશોરલાલભાઈ રેખાગણિતનો વર્ગ લેવાનો શરૂ કરે, અને મારા જેવા અલ્લડ લંગોટ બાંધીને સાબરમતી નદીમાં તરવા પહોંચી જાય.

મને અભ્યાસમાં જોતરી દીધો

હું ઉદ્દંડ તો હતો જ; એક દિવસ આ શિક્ષકો વિશે કંઈ ને કંઈ ફરિયાદો લખીને એ કાગળ બાપુને આપ્યો. બાપુએ વાંચ્યો, બોલ્યા : ‘ઠીક છે.’ પછી એમણે એ પત્ર શિક્ષકોની સભામાં મૂક્યો. મેં મારી વાત રજૂ કરી. મારે વ્યાકરણ શીખવાની કંઈ જરૂર નથી. મારી માએ ભાષા શીખવતી વખતે વ્યાકરણ શીખવ્યું હતું. અને સંસ્કૃતનાં રૂપ-વિભક્તિ વગેરે યાદ કરવાની ઝંઝટ મારાથી થશે નહીં. સભામાં ચર્ચા ચાલી. વિનોબાએ કહ્યું, ‘પ્રભુદાસને મને સોંપી દો, હું પ્રયોગ કરી જોઉં. હું શીખવું એ પાઠના બધા શબ્દો શબ્દકોશમાં જોઈને તેના અર્થ એણે સમજી લેવાના.’

મેં હા ભણી. પરંતુ થયું શું ? એ તો ૧૫-૨૦ મિનિટ ભણાવતા, પરંતુ એની તૈયારીમાં મારે ત્રણ-ચાર કલાક શબ્દોના અર્થ શોધવામાં લાગી જતા. વળી એ ભણાવતા પણ હતા ખાતાં ખાતાં ! થોડું શીખવતા હતા, પણ ગહન શીખવતા હતા. ‘રઘુવંશ’નો બીજો અધ્યાય, વાલ્મીકિ રામાયણમાં પ્રવેશ, નીતિશતક, બ્રહ્મસૂત્રની પ્રસ્તાવના વગેરે. પછી તો ઘણી વાર કહેતો પણ ખરો કે વ્યાકરણ શીખવોને. તો જવાબ મળતો, ‘તારે તો વ્યાકરણ શીખવાનું નથી ને ? તને તો આવડે છે ને !’ આમ, હું એમનો વિદ્યાર્થી બની ગયો. તેમ છતાં બાપુ પાસે મારી ફરિયાદો પહોંચતી કે વિનોબા તો સૂતાં સૂતાં ભણાવે છે, સામાવાળાને તો કાંઈ ગણતા જ નથી, પોતાને જ ‘સબકુછ’ સમજે છે …. વગેરે વગેરે.

કઠોર, પણ કેવા મૃદુ – માખણ જેવા !

વિનોબાજી

એ વાતને બે વર્ષ થઈ ગયાં. હવે પૂરો સમય હું એમના સાંનિધ્યમાં રહેતો હતો. સવારે ચાર વાગે મને ઉઠાડે. બ્રહ્મમુહૂર્તમાં મને સાબરમતી નદીમાં સ્નાન કરવા લઈ જતા. સ્નાન-પ્રાર્થના પછી નિયમસર વ્યાયામનો કાર્યક્રમ રહેતો. પછી પોતાની કુટિર પાછળ નદીના કાંઠે પૂર્વ બાજુ બેસીને, આસન લગાવીને પોતાના ભજન-ચિંતનમાં તલ્લીન થઈ જતા – જાણે આ જગતને ભૂલી ગયા હોય ! તુકારામ – જ્ઞાનેશ્વરનાં ભજન ગાતાં ગાતાં એ આનંદ-સમાધિમાં ડૂબી જતા. એમની આંખોમાંથી એકધારી આંસુની ધારા વહેતી. આ બધું હું જોતો અને વિચારવા લાગતો કે જીવનમાં સાવ રૂખા-સૂખા, કોઈની સાથે માયા-મમતા ના રાખનારા, રાત-દિવસ કઠોર જીવન જીવનારા વિનોબા હૃદયથી કેટલા મૃદુ, માખણ જેવા છે !

એક વાર હું વિનોબા પાસે ભણવા જઈ રહ્યો હતો, રસ્તામાં બાપુ મળ્યા. પૂછવા લાગ્યા, ‘કોઈ રાવ-ફરિયાદ ?’

‘ના, ના, બિલકુલ નહીં. મારા તો એ ગુરુ છે.’

‘તો એમ કરો, આજે પ્રાર્થનામાં એમની માફી માંગો.’

…. અને સાંજની પ્રાર્થનામાં બધાં વચ્ચે આંખમાં આંસુ સાથે મેં માફી માગી અને કહ્યું, ‘ગુરુ હોય તો આવા જ હજો.’

અમે કાંઈ બોલી જ ન શક્યાં

એ વખતે એમનું બપોરનું ભોજન લઈ આવવાનું કામ મને સોંપ્યું હતું. મહિનાઓ સુધી આ કામ ચાલ્યું. વીસ મિનિટમાં એ ભોજન કરી લેતા. સાથે સાથે મને ભણાવતા પણ હતા. ચાવી-ચાવીને ખાતા હતા. વીસ મિનિટમાં બરાબર ચાવીને ખાઈ શકાય એટલો જ ખોરાક લેતા હતા. ત્રણ નાની રોટલી, થોડુંક શાક, થોડીક દાળ, બસ ! કસ્તૂરબા થાળી પીરસીને મને આપતાં. પછી કોણ જાણે કેમ એમણે આ આહાર પણ બંધ કરી દીધો. દૂધ અને ખારેક પર રહેવા લાગ્યા. અમારા ઘેર કોક દિવસ ભોજન કરે એવો મારી બાનો બહુ આગ્રહ હતો. એક વાર ઘેર આવ્યા. એમનું ભોજન હતું ૩૫૦ ગ્રામ દૂધ અને ગણેલી પાંચ ખારેકો ! બસ, દિવસમાં બે વાર આ જ ખોરાક લેતા હતા. આટલું ખાવામાં એમણે અર્ધો કલાક કર્યો. થોડુંક વધારે લે એવી બાને ઉત્કટ ઇચ્છા થતી હતી. પણ મા અને હું કાંઈ બોલી જ ન શક્યાં. એટલું ઉગ્ર એમનું તેજ હતું.

રસ્તા વચ્ચે ત્યાં વાઘ ઊભો હતો

એક વાર સહ્યાદ્રિ પર્વતના જંગલમાં વિનોબા અને બે સહપાઠી સાથે પ્રતાપગઢનો પગપાળા પ્રવાસ કરતા અમે જતા હતા. નિશ્ચિત રસ્તો છોડીને પહાડ પર સીધા ચડવા લાગ્યા. પછી ભૂલા પડ્યા. આગળ જઈ શકાય એમ જ નહોતું. અમને ત્રણને એક ખુલ્લી જગ્યામાં મૂકીને વિનોબા રસ્તો શોધવા ગયા; પણ મળ્યો નહીં. એટલે પાછા આવીને ગંભીર અવાજે બોલ્યા, ‘જે રસ્તેથી આવ્યા, ત્યાંથી જ પાછા ચાલો. આખરે કિલ્લાના ચોગાન પાસે પહોંચી ગયા, ત્યાં ખાધું.

પછી જોયું તો વિનોબાને તાવ આવી ગયો હતો. અમને કોઈને તાવ આવે તો એ કહેતા કે તાવ આવ્યો નથી, તમે એને લાવ્યા છો. હવે એમના શબ્દો એમને સંભળાવતાં મેં કહ્યું, “તમને તાવ આવ્યો નથી, તમે લાવ્યા છો.”

જવાબમાં એમણે કહ્યું, “હું તાવ લાવ્યો નથી, પણ તારા કારણે મને તાવ ચડ્યો છે. રસ્તો મળતો નહોતો, આવેલા રસ્તે પાછા ફરવાનું મેં કહ્યું ત્યારે ત્યાં એક વાઘ ઊભો હતો. વીજળીની પેઠે એની આંખો ચમકી રહી હતી. એ વખતે તમને કહ્યું હોત તો તમે લોકો ભાગવા લાગત અને મોટી મુસીબત થઈ જાત. મનમાં ભારે ચિંતા પેદા થઈ કે જો તમને કશુંક થયું હોત તો કાશીબહેન સામે કયું મોઢું લઈને ઊભો રહી શકીશ ?”

वज्रादपि कठोराणि मृदुनि कुसुमादपि − એવું એમનું હૃદય હતું !

(પ્રભુદાસ ગાંધીના હિંદી લેખનો અનુવાદ)
સ્ત્રી અધ્યાપન મંદિર સામે, ગાંધી આશ્રમ, અમદાવાદ – ૩૮૦ ૦૨૭
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 નવેમ્બર 2023; પૃ. 09 તેમ જ 17

Loading

...102030...824825826827...830840850...

Search by

Opinion

  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved