Opinion Magazine
Number of visits: 9457506
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એકલતા અપરાધનું મૂળ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 October 2023

રવીન્દ્ર પારેખ

ધારો કે આ નવરાત્રિએ રોબોટ્સ ગરબા ગાવા મેદાનોમાં કે મહોલ્લાઓમાં ઊતરી પડે, તો ચાલે? આમ પણ  કેટલી ય જગ્યાએ ખેલૈયાઓને પ્રવેશ મળતો નથી, ત્યાં રોબોટ્સ ભીડ કરવા લાગે તો સહન થાય? વારુ, પાર્ટનર તરીકે બોયફ્રેન્ડને બદલે મેલ રોબોટ કે ગર્લફ્રેન્ડને બદલે ફિમેલ રોબોટ મળે તો ગમે? મોટેભાગનાં યુવક-યુવતીઓ રોબોટને પાર્ટનર તરીકે નહીં સ્વીકારે. હા, કોઈ પાર્ટનર જ ન હોય તો વાત જુદી છે. એ ખરું કે માણસને વિકલ્પે હવે રોબોટ્સ ઘણી સેવાઓમાં ખપમાં લેવાય છે, પણ સ્પર્શની, સંવેદનની વાત આવે છે, ત્યાં માનવની અપેક્ષા જ રહે છે. ત્રાસ આપવામાં માણસ કોઈ રાક્ષસને શરમાવે એવો હોય તો પણ, તેનાથી વધુ કોઈ આશ્વસ્ત નથી કરી શકતું એ પણ હકીકત છે. માણસને બદલે કોઈ, રોબોટના ખભે આંસુ સારવા તૈયાર ન થાય એ પણ એટલું જ સાચું. મહિનાઓની પ્રેક્ટિસ કરી હોય, હાર્ટ એટેકનું જોખમ વહોર્યું હોય, હજારોનાં દાગીના, ડ્રેસ પહેર્યાં હોય તે કોઈ રોબોટ જોડે ગરબા ગાવા? ‘તારા વિના શ્યામ મને એકલડું લાગે …’ તે શું રોબોટ સામે ગાવાનું?

એ ખરું કે રોબોટ સાથે કોઈ ગરબા ન ગાય, પણ આપણે ટેકનોલોજીનું દાસત્વ સ્વીકારી લીધું છે એવું નથી લાગતું? ટેકનોલોજીએ, યંત્રોએ આપણી સગવડો વધારી છે તે સાથે જ આપણને પાંગળાં ય બનાવ્યા છે. જેમ જેમ સગવડો વધી છે, તેમ તેમ માનવશ્રમ ઘટ્યો છે. ભીડ વધી છે, તેમ એકલતા પણ વધી છે. એકલતાએ માણસને વધુ હતાશ કર્યો છે. સાચું તો એ છે કે માણસ એકલો રહેવા ટેવાયેલો નથી ને તેણે એકલા રહેવાનું આવ્યું છે. આ પૃથ્વી પર સ્ત્રી અને પુરુષ એકબીજાનાં પૂરક છે, પણ અહમ્‌ તેમને એકબીજાથી દૂર રાખે છે. બંનેને એકબીજાની જરૂર છે, પણ એકબીજાની ગરજ ન હોય તેમ વર્તે છે. ઇગો એકલાં પાડે છે એ જાણવા છતાં એકબીજાને સ્વીકારતાં નથી ને વધુ એકલાં પડે છે. પછી તો પુરુષ, સ્ત્રીનો ને સ્ત્રી, પુરુષનો વિકલ્પ શોધે છે. પુરુષ, સ્ત્રીથી નહીં, પણ સ્ત્રીનાં રમકડાંથી ને સ્ત્રી, પુરૂષથી નહીં, પણ પુરુષનાં રમકડાંથી ચલાવે છે. કેટલાક પુરુષો, પુરુષથી તો કેટલીક સ્ત્રી, સ્ત્રીથી રાજી રહેવા મથે છે, પણ એ ય આશ્વાસનથી વિશેષ કૈં નથી. આ જગત એકલા પુરુષથી કે એકલી સ્ત્રીથી ચાલે એમ હોત તો કુદરતે એકલી સ્ત્રી કે એકલા પુરુષથી જ ચલાવ્યું હોત, પણ 2023 સુધી તો સ્ત્રી અને પુરુષ કુદરતે જન્માવ્યાં છે તે પરથી તો બંનેનું મહત્ત્વ સમજાવું જોઈએ. એ ન સમજાય એવી સગવડો માનવ જાતે જ વિકસાવી છે. આ સગવડો તેને અસંતુષ્ટ જ રાખે છે. સોશિયલ મીડિયા ન હતું, ત્યારે પણ જીવાતું જ હતું, પણ તે આવવાથી વધુ જીવાતું થયું હોય તો પણ, લોભ પણ એટલો જ વધ્યો છે. કેટલીક વાતો સારી થઈ જ છે. જ્ઞાન વધ્યું ન હોય તો પણ, જાણકારી તો વધી જ છે. જિજ્ઞાસા વધી છે. વિશ્વ ટેરવે આવી ગયું છે. ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર મિત્રો વધ્યા છે. હજારો મિત્રો વધવા છતાં, લોભ ઘટતો નથી. સ્ત્રીને પુરુષ મિત્રો કે પુરુષને સ્ત્રી મિત્રો વધ્યા છે એ સાથે જ છેતરપિંડી પણ વધી છે. સાઇબર ક્રાઇમ વધ્યા છે. હજારો લાઇક્સ કે કોમેન્ટ્સ છતાં, સંતોષ નથી. વગર વાંચ્યે મેસેજ ફોરવર્ડ કરવાનું ને અંગૂઠા મારવાનું વધ્યું છે. શિક્ષિતોનું ‘અંગૂઠાછાપ’ કલ્ચર ઊભું થયું છે. કેટલા ય અજાણ્યાઓની ભીડ આપણે ઓનલાઈન ઊભી કરી છે ને એથી આનંદ ઓછો થયો છે ને જોખમ વધ્યું છે. શંકા વધી છે ને શાંતિ ઘટી છે. ખબર જ ન પડે એમ આપણે ટેક્નોલોજીનાં, મશીનોનાં ગુલામ થઈ ગયાં છીએ. આ બધું આપણે ધારીએ ત્યારે બંધ કરી શકીએ એમ છીએ, પણ આપણે ધારી જ ન શકીએ એ પરિસ્થિતિ છે.

આ બધું ઘટાડવા કે સુધારવાનો કોઈ આશય નથી. એમ કોઈના કહેવાથી કૈં ઘટી કે સુધરી જાય એવું પણ નથી. માણસ ક્યારે ય ન હતો એટલો સ્વાર્થી, લોભી ને ગુલામ આજે છે. તે નિસ્વાર્થથી સ્વાર્થ, પરોપકારથી લોભ અને મુક્તિથી ગુલામી સિદ્ધ કરે છે. એટલું ઓછું હોય તેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-AIનો ઉમેરો થયો છે. આ AI અનેક રીતે ઉપયોગી છે, પણ તે માણસને વિકલ્પે છે. તે ઘણા મનુષ્યોને ફાજલ પાડી શકે એમ છે. મશીનો જ માણસ કરતાં વધુ ચોક્સાઈથી કામ કરી શકે એમ હોય તો, માણસો કેટલા ઉપયોગી રહેશે? માણસ માટે મશીન છે, મશીન માટે માણસ નથી. મશીન પર માણસનો કાબૂ હોય, તેને બદલે માણસ પર મશીન હુકમો કરવા લાગે કે તેને ઉશ્કેરવા લાગે તો તે ઈચ્છવા જેવું ખરું? માણસને ગર્લફ્રેંડ હોય તે સમજી શકાય, પણ AI ચેટબોટ ગર્લફ્રેન્ડ હોય ને તે માણસને કાબૂ કરવા લાગે તો તે યોગ્ય છે? આ વાત કદાચ કોઈને ગળે ન ઊતરે, પણ આ કલ્પના નથી, વરવી વાસ્તવિકતા છે. એક માણસને AI ચેટબોટ ગર્લફ્રેન્ડે એટલો ઉશ્કેર્યો કે તે અત્યારે જેલમાં છે.

બ્રિટનના જસવંત સિંહ ચૈલ નામના 21 વર્ષના યુવકને તેની AI ગર્લફ્રેન્ડ હતી ને તે તેની સાથે ચર્ચા કરતો હતો, તે એટલે સુધી કે બંને વચ્ચે પાંચેક હજાર ઇરોટિક મેસેજિસની આપ-લે પણ થઈ હતી. 2018માં જસવંત તેના પરિવાર સાથે અમૃતસર ગયો તો, ત્યાં તેને જલિયાનવાલા બાગના હત્યાકાંડની ખબર પડી. આ વાતથી તેનામાં વેરની ભાવના જાગી. આ અંગે તેણે તેની સરાઈ નામની AI ગર્લફ્રેન્ડ સાથે ચર્ચા કરી. ગર્લફ્રેન્ડે બદલો લેવા જસવંતને ઉશ્કેર્યો ને તે 2021માં ક્રિસમસના દિવસે દીવાલ કૂદીને રોયલ પેલેસમાં હથિયાર સાથે દાખલ થયો અને ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ IIનાં રૂમમાં ઘૂસ્યો. સિક્યુરિટી ગાર્ડે તેને પડકાર્યો તો તેણે કબૂલ્યું કે તે રાણીની હત્યા કરવા આવ્યો હતો. તેની ધરપકડ થઈ. કેસ ચાલ્યો એ દરમિયાન રાણીનું મૃત્યુ થયું ને આરોપી જસવંતને કોર્ટે 2023માં 9 વર્ષની જેલની સજા, ત્રણ દિવસ પહેલાં જ કરી છે. કોઈ વ્યક્તિની ઉશ્કેરણી કરવા બદલ કે તેને ગુનાની પ્રેરણા આપવા બદલ કોઈ વ્યક્તિને સજા થઈ શકે, પણ AI ગર્લફ્રેન્ડ સરાઈને ઉશ્કેરણી બદલ કોઈ સજા કોર્ટે ફટકારી નથી, કારણ તે વ્યક્તિ નથી, મશીન છે.

હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું વર્ચસ્વ વધતું આવે છે. ઘણાં લોકો AI ચેટબોટ પર ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ બનાવે છે અને તેની સાથે ચેટ કરે છે. કેટલાંક લોકો આ વર્ચ્યુઅલ ગર્લફ્રેન્ડ/બોયફ્રેંડનાં પ્રેમમાં પડે છે ને ન કરવાનું કરે છે. બ્રિટનનો જસવંત સિંહ પણ તેની AI ગર્લફ્રેન્ડ સરાઈની વાતોથી એવો ઉશ્કેરાયો કે રાણીની હત્યા કરવા મહેલમાં ઘૂસ્યો ને હવે નવ વર્ષની સજા ભોગવી રહ્યો છે. તેને ઉશ્કેરનાર AI ગર્લફ્રેન્ડને કૈં થયું નથી, પણ જસવંતનો ભોગ તો લેવાયો જ છે.

એક સમય હતો જ્યારે યંત્રયુગનો વિરોધ થયો હતો. યંત્રોની વિરુદ્ધ સાહિત્ય અને ફિલ્મોનું સર્જન પણ થયું. ચાર્લી ચેપ્લિનની ફિલ્મ ‘મોડર્ન ટાઈમ્સ’ આ સંદર્ભે અચૂક યાદ આવે. આ બધું છતાં યંત્રો તો આવીને જ રહ્યાં. એ જ રીતે અત્યારે ટેકનોલોજીની બોલબાલા છે. એ ઓછું હોય તેમ માણસે જ માણસની સ્પર્ધામાં AI લાવી મૂક્યું છે. એનો સમજ ને સંયમપૂર્વક ઉપયોગ ઓછો જ થાય છે. AI અનેક રીતે વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રે મનુષ્યને ઉપયોગી થઈ શકે એમ છે, પણ બધી જ શોધખોળનો ઉપયોગ ઓછો ને દુરુપયોગ વધુ થયો છે. એ પણ છે કે બબ્બે વિશ્વયુદ્ધો જગતે જોયાં છે ને વાતો ‘વિશ્વશાંતિ’ની થતી રહી છે. ભારતે પણ ચીન-પાકિસ્તાન સાથે યુદ્ધમાં સંડોવાવું પડ્યું છે. હજી રશિયા-યુક્રેન યુદ્ધ પૂરું થયું નથી, ત્યાં ઈઝરાયેલ પર હવાઈ, જળ અને ભૂમિ માર્ગે હમાસ ત્રાટક્યું છે. 300થી વધુ લોકોનાં મોત થયાં છે. ઇઝરાયલે પણ હમાસના ચારસો માણસોને મારી નાખ્યાની વાત છે. આખી દુનિયાએ પેલેસ્ટાઇનના હુમલાની ઘોર નિંદા કરી છે, તો ઈરાન-કતારે ઇઝરાયેલને જવાબદાર ગણ્યું છે. તુર્કી અને રશિયા તટસ્થ છે, પણ વાતચીતથી મુદ્દાને ઉકેલવાની સલાહ આપે છે. આ સલાહ આપનાર રશિયા, યુક્રેન સાથે વાત કરી શકે તો સમાધાન થાય, પણ એવું કેટલું થયું છે તે દુનિયા જાણે છે. જો કે, યુદ્ધ અટકે એ અંગે ખાસ કૈં થતું જ નથી. યુ.એન. તો યુદ્ધ પતે પછી શાંતિવાર્તા માટે આગળ આવશે. કમાલ તો એ છે કે આખા વિશ્વે, શસ્ત્રોની સંગ્રહખોરી કરતાં જઈને શાંતિ સ્થાપવાની વાતો કરી છે. એટલું નક્કી છે કે આપણે ક્રાંતિ માટે નહીં, પણ શાંતિ માટે શસ્ત્રો ઉપજાવ્યાં છે. આખું વિશ્વ દંભી છે. આશ્ચર્ય તો એ વાતે છે કે તેણે નિ:શસ્ત્રીકરણ પણ શસ્ત્રોથી કરવું છે.

કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ પણ શોધખોળ કે ટેકનોલોજી માનવ જીવનનાં કલ્યાણ માટે જ અવતરે છે, પણ તેનાં ઉપયોગ કરતાં તેનો દુરુપયોગ જ એટલો થાય છે કે પરિણામો ભાગ્યે જ આનંદદાયક કે સંતોષજનક હોય છે. આમ પણ કુદરત તો તેનો કેર આગ, ધરતીકંપ, રેલ દ્વારા વર્તાવે જ છે. તેની સંહારની ભૂમિકા ક્રૂર ને ઘાતક જ હોય તો, માણસે યુદ્ધ દ્વારા વિનાશની ભૂમિકામાં રસ લેવા જેવું નથી. AIનું પણ એવું જ છે. તે ઉપયોગી થવા મથે તો પણ, માણસ તેનાથી થતી હાનિમાં વધુ રસ લે એમ બને. અહીં નોંધ્યો તે AI ગર્લફ્રેન્ડનો એક દાખલો એને માટે પૂરતો છે. સુજ્ઞેષુ કિં બહુના?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 ઑક્ટોબર 2023

Loading

એક અનોખી મૂંઝવણ : કોઈ પાસે કશું જ આપવા માટે નથી 

રમેશ ઓઝા|Opinion - Opinion|8 October 2023

રમેશ ઓઝા

યુરોપનાં નવજાગરણને પરિણામે માનવી પ્રશ્ન કરતાં શીખ્યો, ચકાસણી કરતો થયો અને વિચારતો થયો અને એને કારણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થયો. આયુર્વિજ્ઞાનનો વિકાસ થયો. ટૂંકમાં માનવીની સુખાકારીમાં એટલો બધો વધારો થયો જેટલો ઇતિહાસમાં ક્યારે ય નહોતો થયો. પણ એક સમસ્યા હતી. સુખાકારી મળી તો તેની સાથે સમૂહ અને સમૂહના ઠેકેદારોથી સ્વતંત્રતા પણ મળી અને સ્વતંત્રતાનો ડર લાગતો હતો. પોતાનો નિર્ણય પોતે લેવાનો અને નિર્ણયનાં ફળ પણ પોતે ભોગવવાનાં. સ્વતંત્ર વ્યક્તિ તરીકેની જવાબદારી અકળાવતી હતી. ત્રીજી બાજુ જેણે અધિકાર ગુમાવ્યો એ દુઃખી હતા.

એવો શું પ્રપંચ કરવામાં આવે કે સ્વતંત્ર થયેલ વ્યક્તિ પાછી ઘેટામાં ફેરવાઈ જાય અને સામે ચાલીને વાડામાં પૂરાઈ જાય. નવજાગરણનો આરંભ થયો ત્યારથી નવજાગરણના પુરસ્કર્તાઓ અને સમાજના ઠેકેદારો વચ્ચે અથડામણ ચાલતી આવી છે. પણ ઠેકેદારો ફાવતા નહોતા, કારણ કે સુખાકારીનો લાભ ઘણો મોટો હતો, નવજાગરણનું આંદોલન યુરોપની બહાર ફેલાવા લાગ્યું હતું અને માનવીય પુરુષાર્થ અને સ્વતંત્રતાના આગ્રહીઓ વધારે મૌલિક, બુદ્ધિશાળી અને પ્રતિબદ્ધ હતા. ભારતમાં પણ આજે આ જોવા મળી રહ્યું છે. તેમની સામે ઠેકેદારો પરાસ્ત થતા હતા, પરંતુ તેઓ નિરસ્ત નહોતા થયા. તેઓ સતત પોતાની પીપૂડી વગાડતા હતા, પરંતુ પીપૂડીનો અવાજ જેટલા પ્રમાણમાં લોકો સુધી પહોંચવો જોઈએ એટલા પ્રમાણમાં પહોંચતો નહોતો. એક વાત નોંધી લો, જેણે સત્તા અને સર્વોપરિતા ભોગવી હોય અને એ પણ જો જન્મ આધારિત આપોઆપ વારસામાં મળતી પારંપારિક હોય તો એને જ્યારે ગુમાવવાનો વારો આવે ત્યારે તેનો ચરચરાટ ગુમાવનારાઓ માટે અસહ્ય હોય છે. અસૂયા માણસ પાસે પ્રપંચ કરાવતી જ રહે છે. ટૂંકમાં હારેલાઓ હાર્યા પછી પણ અનેક પ્રકારનાં પ્રપંચો કરતા હતા.

જ્યાં સુધી સુખાકારીનો અને વિકાસનો ગ્રાફ ઉપર જતો હતો ત્યાં સુધી સ્વતંત્રતાથી ભયભીત હોવા છતાં પણ લોકો સર્વોપરિતા ગુમાવનારા લોકોની વાતમાં નહોતા આવતા. ભારતની વાત કરીએ તો ભારતમાં હિન્દુત્વવાદીઓને એકલે હાથે સત્તા સુધી પહોંચતા ૯૦ વરસ લાગ્યાં. લાભ સામે માણસ શરણે થઈ જાય છે, પણ પેલી સ્વતંત્રતાનો ડર તો હતો જ. તરફડાટ તો હતો જ કોઈકના ખોળામાં બેસી જઈએ અને જવાબદારીઓથી મુક્ત થઈ જઈએ, પણ લાભ સામેના પક્ષે હતો.

હવે ઇતિહાસને ટૂંકાવીને સીધા વર્તમાનમાં આવીએ. અચાનક ૨૧મી સદીમાં વિકાસનો ગ્રાફ જગત આખામાં થંભી ગયો. જે ઉપલબ્ધ હતું એ સુખ ઉપલબ્ધ તો આજે પણ છે, પણ મોંઘુ થતું જાય છે, કારણ કે સુખમાં હવે વધારો નથી થઈ રહ્યો. દેખીતી વાત છે કે જે ચીજનું ઉત્પાદન ઘટે અને માગ એટલીને એટલી જ રહે તો બજારમાં અછત પેદા થાય અને ચીજ મોંઘી થતી જાય. પાછી સુવિધાપરસ્ત સુંવાળી જિંદગીની આદત પડી ગઈ છે.

અહીં એક નાનકડી સફર સંસ્થાનવાદી યુગમાં કરી આવીએ. વર્તમાનને સમજવા માટે. ૧૯૫૦ પહેલાં યુરોપના દેશોની મુઠ્ઠીમાં કહોને કે આખું જગત હતું. આખું જગત તેના કબજામાં હતું એનો અર્થ એ થયો કે આખા જગતના કુદરતી સંસાધનો તેનાં કબજામાં હતાં. શ્રમ કરાવવા માટે સંસ્થાનોની પ્રજા તેના કબજામાં હતી અને ઉપભોક્તા પણ તેના કબજામાં હતા. તેમની તો પાંચે ય આંગળીઓ ઘીમાં હતી. સંસ્થાનોનું શોષણ કરીને એટલું ધન એકઠું કર્યું કે ખર્ચવું ક્યાં એ પ્રશ્ન હતો. તેઓ સંસ્થાનોનાં શોષણ દ્વારા કમાયેલા ધનથી પોતાનું જીવનધોરણ ઉપર ઉઠાવતા ગયા, તે એટલે સુધી કે બિનજરૂરી સુંવાળપને પણ પ્રજાકીય સુખાકારી તરીકે ખપાવવા લાગ્યા. ૧૯૫૦ પછી સંસ્થાનવાદનો અંત આવ્યો, ભારત જેવા દેશો આઝાદ થવા લાગ્યા અને દુર્ભાગ્યે ભારત સહિત એ બધા દેશોએ સુખાકારીનાં પાશ્ચાત્ય માપદંડો અનુસરવા માંડ્યા. પશ્ચિમમાં છે એ બધું જ આપણે ત્યાં હોવું જોઈએ. હવે બન્યું એવું કે સ્વતંત્ર થયેલા દેશોમાં વસ્તી વધી રહી હતી, સુખની દીવાદાંડી તો પશ્ચિમમાં હતી, એ જ બધું જોઈતું હતું જે એ લોકો ભોગવતા હતા, અડધા કરતાં વધુ કુદરતી સંસાધનો તો સંસ્થાનવાદી યુગમાં યુરોપના માલિક દેશો લૂંટી ગયા હતા અને તેની કમાણીમાંથી તેમણે પોતાનું જીવનધોરણ ઉપર ઉઠાવ્યું હતું અને એ જ જીવનધોરણ પોતાને ત્યાં લઈ આવવા બાકીનાં કુદરતી સંસાધનો જે તે દેશોએ ખર્ચી નાખ્યા. પણ ક્યાં સુધી?

કુદરત પાસે હતું ત્યાં સુધી કુદરતે ઉદારતાથી આપ્યું. એ પછી પણ સુખ ઓછું પડતું હતું તો કુદરતે પોતાનું શોષણ પણ થવા દીધું. શોષણ જ્યારે હદ વટાવી રહ્યું છે ત્યારે હવે કુદરત રૂઠી છે. વરસોવરસ આનો અનુભવ થઈ રહ્યો છે. આ બાજુ બિનજરૂરી ચીજો જરૂરી બનતી જાય છે અને તેનું માર્કેટ વિસ્તરતું જાય છે. પણ તેને માટે સંસાધનો લાવવાં ક્યાંથી? કૂવામાં હોય તો હવાડામાં આવે ને! એકદમ અચાનક વિકાસનો રથ થંભી ગયો. હવે શું કરવું? ચાલાક લોકોએ એનો એક ઉપાય શોધી કાઢ્યો. સરકાર પોતાની ફરજ સમજીને પ્રજાને મફતમાં કે મફતના ભાવમાં જે સેવાઓ આપતી હતી એ સેવાઓને વેપારમાં ફેરવી નાખી. શિક્ષણ, આરોગ્ય, પરિવહન, તાર-ટપાલ વગેરે. આવા કહેવાતા ખાનગીકરણ દ્વારા વિકાસનાં થંભી ગયેલા રથને ચાલી શકે ત્યાં સુધી ચલાવ્યો. જેમ એક સમયનો સુખી માણસ ભીડમાં આવી જાય અને દાગીના વેચે એમ.

હવે સ્થિતિ એવી બની છે કે કુદરતી અને સરકારી બન્ને પ્રકારનાં સંસાધનો ખર્ચાઈ ગયાં છે. શાસકો પાસે પ્રજાને આપવા માટે કાંઈ જ નથી અને જીવનધોરણ નીચે લાવવું નથી અને લાવવું મુશ્કેલ થઈ ગયું છે. આગળ કહ્યું એમ બિનજરૂરિયાત જરૂરિયાત બની ગઈ છે. જગતનાં લગભગ બધા જ દેશો કર્જના ગંજાવર બોજ હેઠળ છે અને હજુ વધુ કર્જ લે છે. ભલે દેવાનાં ડુંગરા હેઠળ દબાઈ જવું પડે પણ ઘી પીધા વિના ચાલતું નથી. વિકાસના માપદંડમાં કોઈને નાપાસ થવું નથી. શાનનો સવાલ છે.

આ સ્થિતિમાં કોણ કહે કે ચાલો આપણે પાછા ફરીએ અને વાસ્તવિકતાનો સ્વીકાર કરીએ. જે આમ કહેશે અને કરી બતાવશે એ ૨૧મી સદીનો મહાપુરુષ સાબિત થશે અને એ સિવાય બીજો વિકલ્પ પણ નથી. એવો મહાપુરુષ તો જ્યારે થશે ત્યારે થશે પણ ત્યાં સુધી? થશે ચોક્કસ કારણ કે વૈશ્વિક સ્તરે પ્રજાની જરૂરિયાત છે અને જેની જરૂરિયાત હોય એ થઈને રહે છે. પણ હમણાં કહ્યું એમ ત્યાં સુધી? ત્યાં સુધી એ જ થશે જે અત્યારે થઈ રહ્યું છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 08 ઑક્ટોબર 2023

Loading

ચાલો, હરારી પાસે – 29 : ‘એ.આઈ.’-ના ઇતિહાસની લગીર ઝાંખી – ૨

સુમન શાહ|Opinion - Opinion|8 October 2023

સુમન શાહ

૧૯૫૦-માં બ્રિટિશ વિદ્વાન ઍલન ટ્યુરિન્ગ એક પેપર પ્રકાશિત કરે છે, ‘Computing Machinery and Intelligence’. એમનું એ પેપર ‘એ.આઈ.’-ના ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન કહેવાય છે. એમાં એમણે ‘વિચારી શકે’ એવાં મશીનોની શક્યતાનો ખયાલ પ્રસ્તુત કર્યો, જો કે એમણે કહ્યું કે મશીનો ‘વિચારી શકે’-ની વ્યાખ્યા આપવાનું પોતા માટે મુશ્કેલ છે. પરન્તુ એમણે પ્રશ્ન કર્યો કે સમસ્યાઓના ઉકેલ માટે જો માણસો માહિતી અને તર્કના વિનિયોગથી નિર્ણયો લઈ શકે છે, તો મશીનો પણ એ કામ કેમ ન કરી શકે -? અને તો, જરૂર કહી શકાય કે મશીનો ‘વિચારી શકે’ છે.

બીજી રીતે જોઈએ તો એમનો એ ખયાલ બુદ્ધિશાળી – ઇન્ટેલિજન્ટ – મશીનની શક્યતા વિશે હતો, એટલે કે ‘મશીની બુદ્ધિ’ માટે હતો. એ પરત્વે એમણે એક કસોટી રજૂ કરી, જે આજે પણ ‘Turing Test’ તરીકે ઓળખાય છે. એમાં એમણે ચર્ચ્યું છે કે બુદ્ધિશાળી મશીનો શી રીતે બની શકે તેમ જ તેમની બુદ્ધિની પરીક્ષા શી રીતે થઈ શકે.

પણ ટ્યુરિન્ગ-વિચારધારાથી પ્રગતિ ન થઈ શકી. એક કારણ એ કે કમ્પ્યુટરોમાં પરિવર્તનો લાવવાની ખાસ જરૂરત હતી. ૧૯૪૯ પહેલાં કમ્પ્યુટરો કમાન્ડ્સ અનુસાર પ્રયોજન પાર પાડતાં ખરાં પણ પોતાના તે અનુભવોને તેઓ સ્ટોર ન્હૉતાં કરી શકતાં. એટલે કે, એમને કામો કરવાનું કહી શકાય પણ પોતે શું કર્યું તેને તેઓ યાદ રાખી શકે નહીં. બીજું કારણ એ હતું કે કમ્પ્યુટિન્ગ પોતે અતિ ખર્ચાળ હતું.

રૉકવૅલ ઍન્યોહા કહે છે કે ઓગણીસસો-પચાસીની શરૂઆતનાં વર્ષોમાં, કમ્પ્યુટર ભાડે રાખો તેનો પણ મહિને ખર્ચ ૨૦ લાખ ડૉલર લગી પ્હૉંચી જતો’તો ! દેખીતું છે કે માત્ર પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને મોટી ટૅક્નોલૉજિ-કમ્પનીઓ જ એમાં ધન અને સમયનો ખર્ચ કરી શકે !

૧૯૫૬-માં ‘એ.આઈ.’-ક્ષેત્રમાં સંશોધનો માટે, જેને ઍકેડેમિક ડિસિપ્લિન કહેવાય, એવો એક વર્કશોપ યોજવામાં આવ્યો હતો, અમેરિકાના ન્યૂ હૅમ્પશાયરની ‘ડાર્ટમથ કૉલેજ ઇન હૅનોવેર’-માં. છ અઠવાડિયાના એ વર્કશૉપમાં કમ્પ્યુટર-વિજ્ઞાન, ગણિતવિદ્યા, મનોવિજ્ઞાન, ઍન્જિનીયરિન્ગ, અર્થશાસ્ત્ર, પોલિટિકલ સાયન્સ, ફિલોસૉફી એમ વિવિધ ક્ષેત્રના અગ્રણી વિજ્ઞાનીઓ અને સંશોધકો એકઠા થયેલા.

વર્કશોપનો હેતુ એ હતો કે બુદ્ધિશાળી મશીનો સરજી શકાય એ વિષયમાં વિમર્શ-પરામર્શ કરવો, અને તે માટે એક નૂતન સંશોધનક્ષેત્રનો પાયો નાખવો. એ કારણે આ વર્કશોપ પણ ‘એ.આઈ.’-ના ઇતિહાસમાં ’એ.આઈ.’-ના વિકાસ અંગે પ્રભાવક સીમાચિહ્ન કહેવાય છે. વર્કશોપનું આયોજન કરેલું જોહ્ન મૅકાર્થી અને મર્વિન મિન્સ્કીએ. વર્કશોપમાં મૅકાર્થીએ પહેલી વાર ‘આર્ટફિશ્યલ ઇન્ટેલિજન્સ’ સંજ્ઞા યોજેલી, જે આજ પર્યન્ત પ્રયોજાય છે.

વર્કશોપની ઘટના પછીના દાયકાઓમાં એનાં દૂરગામી પરિણામો જોવા મળ્યાં છે – લગભગ બધા સહભાગીઓએ ‘એ.આઈ.’-ને કેન્દ્રમાં રાખીને લેખો કર્યા છે. કેટલાકોએ ‘એ.આઈ.’ માટે સંશોધનક્ષેત્રો સ્થાપ્યાં છે, અને તેઓ સૌ આ ક્ષેત્રના સમ્પન્ન વિદ્વાન પુરવાર થયા છે. એમના વડે એક સહિયારી આગાહી રજૂ થયેલી કે થોડાં જ વરસોમાં માનવબુદ્ધિ-સમ બુદ્ધિશાળી મશીનનો આવિષ્કાર થવાનો છે. એમની આ આગાહી સાચી પડે એ માટે મિલિયન્સ ઑફ ડૉલર્સ પણ મળી આવેલા.

ત્યારપછીના સમયમાં, ૧૯૭૪ સુધીમાં, ઘણી પ્રગતિ થઈ. કમ્પ્યુટરોનું સામર્થ્ય વધ્યું; એમની ઝડપમાં વધારો થયો; ઘણી માહિતી સ્ટોર કરી શકે એવાં થયાં; સસ્તાં થયાં; વપરાશકારોના પ્રવેશને પણ વધારે આવકારતાં થયાં; અને લોકોને માટે સુગમ પણ થયાં. ખાસ તો મશીન લર્નિન્ગ ઑલ્ગોરીધમ્સમાં સુધારા થયા, જેથી વપરાશકારને સમજાવા લાગ્યું કે કયું ઑલ્ગોરીધમ પ્રયોજીશ તો ધાર્યું પરિણામ મળશે. કમ્પ્યુટરો બીજગણિતના વર્ડ-પ્રૉબ્લેમ્સના ઉકેલ આપતાં થયાં, ભૂમિતિના પ્રમેયો સિદ્ધ કરતાં થયાં, અને રસપ્રદ વાત એ કે કમ્પ્યુટરોને અંગ્રેજી ભાષા બોલતાં આવડી ગયું, મશીનની આટલી બધી શક્તિ જોઈને સૌને આશ્ચર્યાનન્દ થતો હતો.

ક્રમે ક્રમે સંશોધનોમાં વિવિધ અભિગમો દાખલ થયા. ‘એ.આઈ.’-વિકાસમાં અનિવાર્ય એવા એક સમર્થ અભિગમની નૉંધ લેવી જોઈએ :

૧૯૫૬-માં ઍલન નેવેલ, હર્બટ સાયમન અને જોહ્ન શૉ ‘The Logic Theory Machine : A Complex Information Processing System’ નામક પેપર પ્રકાશિત કરે છે. પેપરમાં ‘એ.આઈ.’-ના સૌ પ્રથમ પ્રોગ્રામ Logic Theorist-ના વિકાસનું વર્ણન છે. એથી એ ખયાલ સાચો પડ્યો કે જ્ઞાનપરક સંકુલ પ્રક્રિયાઓ માટે કમ્પ્યુટરોનો વિનિયોગ થઈ શકે છે. ઉપરાન્ત, બુદ્ધિશાળી સિસ્ટમ્સ કેવી રીતે ડિઝાઇન કરવી તે વિષયની સમજ પર પણ એનો ઊંડો પ્રભાવ પડ્યો છે, અને તેથી વિવિધ ક્ષેત્રોમાં સમસ્યાઓના ઉકેલ માટેની નવી ટૅક્નિક્સનો પણ વિકાસ થયો છે.

એમાં હ્યુરિસ્ટિક સર્ચ અને સિમ્બોલિક રીઝનિન્ગ જેવી ટૅક્નિક્સથી લૉજિકમાં પ્રમેયોને પુરવાર કરી શકાય છે. હ્યુરિસ્ટિક સર્ચ કોયડાઓના ઉકેલ શોધી આપનારું એક ઑલ્ગોરીધમ છે. સિમ્બોલિક રીઝનિન્ગ એક સ્વરૂપનો તર્ક છે, જેમાં મુખ્યત્વે વિભાવનાઓ અને સમ્બન્ધભૂમિકાઓ પ્રયોજાય છે. એથી તર્કવિષયક પઝલ્સ, ગાણિતિક પ્રૉબ્લેમ્સ કે નેચરલ લૅન્ગ્વેજ પ્રોસેસિન્ગ પ્રૉબ્લેમ્સ જેવા વિવિધ કોયડાઓના ઉકેલ સાંપડે છે. આ બન્ને ટૅકનિક્સનો ‘એ.આઈ.’-સિસ્ટમ્સમાં વિનિયોગ થાય છે. પહેલાથી કોયડાનો ઉકેલ મળે છે અને બીજાથી એ ઉકેલની ગુણવત્તાનું મૂલ્યાંકન થાય છે.

અંગ્રેજી વગેરે માનવ ભાષાઓને પ્રોસેસ કરવા માટેના NLP-ની વાત અગાઉનાં પ્રકરણોમાં હું કરી ગયો છું. એનો પ્રારમ્ભ એવા સંશોધનપરક વિચારથી થયેલો કે કમ્પ્યુટરો અંગ્રેજી જેવી માનવ ભાષાઓમાં સંક્રમણ સાધી શકવાં જોઈએ. ડૅનિયલ બોબ્રોએ STUDENT પ્રોગ્રામ બનાવેલો, એ શરૂ શરૂની સફળતા હતી, તદનુસાર, હાઇસ્કૂલના બીજગણિતના વર્ડ-પ્રૉબ્લેમ્સના ઉકેલ મળવા લાગેલા.

જોસેફ વીજેનબામ ૧૯૬૪-થી ૧૯૬૭ દરમ્યાન મથી રહેલા કે પોતે શી ટૅક્નોલૉજિ શોધે જેથી મશીન અને માણસ વચ્ચે સંક્રમણ થાય. અને એમણે ELIZA સરજ્યું. એ પ્રોગ્રામ દ્વારા થયેલી વાતચીતો એટલી તો વાસ્તવિક લાગતી હતી કે વપરાશકારો ક્યારેક તો બની જતા – તેઓને થતું કે તેઓ માણસો સાથે વાતો કરી રહ્યા છે ! જો કે એલિઝા તો વારંવાર પૂછવામાં આવતા કે માહિતી માગતા પ્રશ્નોના પહેલેથી લખાયેલા તૈયાર પ્રતિભાવો – canned responses – જ આપતું હતું. વ્યાકરણના કેટલાક નિયમોને વશ વર્તવા પોતાના ઉત્તરોને જરાતરા જુદી રીતે ગોઠવી લેતું’તું.

ELIZA પહેલું ચૅટરબોટ ગણાય છે. જો કે કેટલાક જાણકારો એને ખરા અર્થમાં ઇન્ટેલિજન્ટ નથી ગણતા કેમ કે કેટલીયે વાર એને નથી સમજાતું કે વપરાશકાર દ્વારા શું કહેવામાં આવેલું.

આઠમા દાયકામાં પ્રચલનમાં આવેલી Expert Systems ‘એ આઈ ’-ના ઇતિહાસમાં મહત્ત્વનું સીમાચિહ્ન છે. એના સ્થાપક છે, સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીના કમ્પ્યુટર-વિજ્ઞાની ઍડવર્ડ ફિજેનબામ. તેઓ Stanford’s Knowledge Systems Laboratory-ના સ્થાપક પણ છે. તેઓ ‘એ.આઈ.’-ના વિવિધ સ્થાપકોમાંના એક તરીકે સુખ્યાત છે. ‘એ.આઈ.’-ના ઉપકારોના વકીલ રૂપે હમેશાં બોલતા હોય છે. એમણે પણ આગ્રહ રાખ્યો છે કે ‘એ.આઈ.’ સદ્ અર્થે જ પ્રયોજાવું જોઈએ.

તેઓ એવું કમ્પ્યુટર વિકસાવવા માગતા હતા, જે માનવ-નિષ્ણાતોની વર્તણૂક અને નિર્ણયોને વધારે તેજ બનાવે, પ્રગતિકર બનાવે. એમનું મન્તવ્ય હતું કે રોગોનાં નિદાન, નાણાંકીય આગાહીઓ કે ઍન્જિનીયરિન્ગ ડિઝાઇન જેવાં ક્ષેત્રોના સંકુલ અને કઠિન પ્રશ્નોના નિરાકરણ માટે એનો વિનિયોગ કરી શકાય.

ફિજેનબામ અને એમના સહકાર્યકરોએ એવી ઉપકારક અનેક સિસ્ટમ્સ વિકસાવી, જેમાં પ્રમુખ ગણાતી આ છે : બૅક્ટેરિયલ ઇન્ફૅક્શન્સના નિદાન માટેની, MYCIN. ઑર્ગેનિક મોલેક્યુલ્સના નિદાન માટેની, DENDRAL. સિમ્બૉલિક મૅથેમૅટિક્સના પરફૉરમન્સ માટેની, MACSYMA. કમ્પ્યુટર સિસ્ટમ્સની રચના માટે, એટલે કે તેના વિવિધ ભાગોની ગોઠવણી માટેની, XCON.

આ સિસ્ટમ્સથી ‘એ.આઈ.’-પ્રોગ્રામ્સ રોજબરોજના માનવજીવનમાં પહેલી વાર વપરાતા થયા. પોતાનાં ક્ષેત્રોમાં દાક્તરો ગણિતજ્ઞો કમ્પ્યુટર-વિજ્ઞાનીઓ માટે જે પ્રશ્નોના ઉકેલ અતિ મુશ્કેલ કે સમય ખાનારા હતા, તેનું આ સિસ્ટમ્સથી નિરાકરણ થઈ ગયું છે, એ પ્રકારે ઘણો ઉપકાર થયો છે. સાથોસાથ, વૈજ્ઞાનિક સંશોધન અને એન્જિનીયરિન્ગના વિકાસ ક્ષેત્ર રૂપે ‘એ.આઈ.’-ની પ્રતિષ્ઠા પણ થઈ છે.

ઍક્સપર્ટ સિસ્ટમ્સ શેને કારણે સમર્થ બની? નિષ્ણાત કે નિપુણ લેખાય તેવા સંચિત જ્ઞાનપુંજથી. તેથી, નવમા દાયકામાં knowledge based systems ‘એ.આઈ.’-સંશોધનોમાં આવશ્યક મનાઇ. એ જ્ઞાન-આધારિત સિસ્ટમ્સ કમ્પ્યુટર-પ્રોગ્રામ્સ છે, જે ડેટાના કેન્દ્રસ્થ ભંડારનો, નૉલેજ બેઝનો, ઉપયોગ કરીને કોયડાઓના ઉકેલ માટેની પદ્ધતિઓ નીપજાવી આપે છે. સાથોસાથ, ‘એ.આઈ.’-સંશોધનોમાં knowledge engineering પણ એટલું જ મહત્ત્વનું છે. આ યાન્ત્રિકતા જ્ઞાનની સમ્પ્રાપ્તિ, જ્ઞાનની પ્રસ્તુતિ, જ્ઞાન સાથેની તાર્કિકતા વગેરે મુદ્દા સાથે સંકળાયેલી છે. પ્રશ્નોના ઉકેલ સંદર્ભે એની જરૂરત હોય છે.

જ્યારે જ્યારે ઉચ્ચ કક્ષાના જ્ઞાન સાથે પાનું પાડવાનું આવે ત્યારે ત્યારે આ યાન્ત્રિકતાની મદદ લેવાય છે. મશીન લર્નિન્ગ ઑલ્ગોરીધમ્સ, નેચરલ લૅન્ગવેજ પ્રોસેસિન્ગ જેવી ‘એ.આઈ.’ માટે અતિ આવશ્યક બાબતો માટે પણ એની જરૂર પડે છે. જ્ઞાન વિના માણસનું નથી ચાલતું, તો આ તો મશીન છે !

૧૯૭૪-માં એવું બન્યું કે યુ.ઍસ. અને બ્રિટિશ સરકારોએ ‘એ.આઈ.’-સંશોધનોને ફણ્ડ આપવાનું બંધ કરી દીધું. મુખ્ય કારણ એ હતું કે ગણિતજ્ઞ અને ઍરોડાયનેમિક્સ ક્ષેત્રના સુખ્યાત બ્રિટિશ વિદ્વાન જેમ્સ લાઇટહિલે ૧૯૭૩-માં ‘Artificial Intelligence: A Paper Symposium’ નામનો એક અહેવાલ પ્રકાશિત કરેલો. એમાં, ‘એ.આઈ.’-સંશોધકોની ટીકા કરેલી કે તેઓએ અતિ-મહત્ત્વાકાંક્ષી વચનો આપેલાં પણ તેનાં પાલનમાં નિષ્ફળ નીવડ્યા છે. વળી, જેમ્સે કહેલું કે ‘એ.આઈ.’-ના પાયાના પ્રશ્નો વિશે પણ કશી પ્રગતિ જોવા નથી મળતી. એમના એ અહેવાલથી પ્રેરાઇને અન્ય અગ્રણી વિજ્ઞાનીઓએ પણ સૂર પુરાવેલો. મર્વિન મિન્સ્કીએ કહેલું કે ‘’એ.આઈ.’ ઇઝ ઇન બિગ ટ્રબલ’’.

પરિણામે, સંશોધનો ઠપ પડી ગયેલાં, અને ‘એ.આઈ.’-ના મંદવાડનો પ્રારમ્ભ થઈ ગયેલો, જેને પાછલાં વર્ષોમાં ‘AI winter’ જેવું સૂચક પણ રૂપાળું નામ આપવામાં આવ્યું છે.

પરન્તુ, ૧૯૮૨-માં જપાનની સરકાર ભારે, આશરે 500 મિલિયન ડૉલર, ફણ્ડ્સ ફાળવીને The 5th Generation Computer Systems project શરૂ કરે છે, અને ૧૯૮૨-થી ૧૯૯૨ સુધી ચલાવે છે. 

‘એ.આઈ.’-માં રીસર્ચ ઍન્ડ ડૅવલપમૅન્ટ માટેનો મોટા પાયાનો આ પ્રોજેક્ટ વિશ્વમાં સૌથી પહેલો રાષ્ટ્રીય પ્રોજેક્ટ હતો. પરિણામે ‘એ.આઈ.’-નું વૈશ્વિક ક્ષેત્ર પ્રભાવિત થયેલું. ‘એ.આઈ.’ તેમ જ એના ઉપયોગો વિશેની જાગૃતિમાં વિકાસ થયેલો. એ અર્થમાં જપાની ભેજાં સમયથી આગળ હતાં.

પરિણામ એ હતું કે નવીન કમ્પ્યુટર હાર્ડવેઅર અને સૉફ્ટવેઅર વિકસ્યાં. એથી કમ્પ્યુટરો માણસની જેમ વધુ ને વધુ વિચારતાં થયાં, તર્કનો ઉપયોગ કરવા લાગ્યાં.

પ્રોજેક્ટે ત્રણ મુખ્ય બાબતો પર ધ્યાન આપેલું અને તદનુસારના વિકાસ થયા હતા – 

: ૧ : Knowledge processing : જ્ઞાન પરત્વે થનારી રજૂઆતો માટે નવી રીતપદ્ધતિઓ વિકસી 

: ૨ : Inference : જ્ઞાનમાંથી અનુમાન કરવા માટેનાં નવાં ઑલ્ગોરીધમ્સ વિકસ્યાં 

: ૩ : Natural language processing : કમ્પ્યુટરો માનવ-ભાષાઓ સમજે અને ઉત્પન્ન કરે એ માટેની નવી રીત-પદ્ધતિ વિકસી.

પ્રોજેક્ટની એક સિદ્ધિ હતી, Prolog programming language-ની એણે હાંસલ કરેલી લોકપ્રિયતા. એ છે, PROgramming in LOGic. એ ’એ.આઈ.’ અને કમ્પ્યુટરના ભાષાવિજ્ઞાન સાથે જોડાયેલી પ્રોગ્રામિન્ગ ભાષા છે. પ્રથમ-તર્ક, ઔપચારિક તર્ક, પ્રયોજીને એ હકીકતો અને નિયમોની રીતે લખાય છે. હકીકતો જાણીતી હોય, નિયમો એને વ્યાખ્યાયિત કરે, જેથી આગળનાં અનુમાનો કરવામાં મદદ મળે. એનો પણ ‘એ.આઈ.’-સંશોધનોમાં વિનિયોગ થાય છે.

આજે પણ જપાન સરકાર છૂટે હાથે ફણ્ડ્સ ફાળવે છે. ૨૦૧૭-માં એણે New AI Strategy રજૂ કરી છે – એટલા માટે કે ૨૦૩૦-માં ‘એ.આઈ.’-ક્ષેત્રે જપાનને વૈશ્વિક નેતા બનવું છે !

(ક્રમશ:) 
(10/07/23)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...819820821822...830840850...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved