Opinion Magazine
Number of visits: 9665798
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા અને વડોદરામાં પ્રાણહરણ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 January 2024

રવીન્દ્ર પારેખ

આજે 500 વર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે ને આખો દેશ ઉત્સવમાં રમમાણ છે, ત્યારે વડોદરાનાં હરણી તળાવમાં ચૌદ બાળકો (આ સંખ્યા વધી શકે છે) ને બે શિક્ષિકાઓ તંત્રોની ઘોર બેદરકારીને કારણે જળ સમાધિ લઈ ચૂક્યાં છે. અયોધ્યા પ્રસન્ન છે ને વડોદરા ખિન્ન છે. ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરી સોળે શણગાર સજીને ઉજવણું કરી રહી છે ને ગુજરાતની વડોદરા નગરી ઉઠમણું કરી રહી છે. અયોધ્યાએ બાળ રામની સૈકાઓથી રાહ જોઈ છે. આ ભારતીય જ નહીં, વૈશ્વિક તહેવાર છે. અહીં હરખનાં આંસુ છે ને વડોદરામાં લોહીનાં આંસુ છે. અયોધ્યામાં રામલલ્લાની સ્થાપના અણુએ અણુને અભિભૂત કરનારી ઘટના છે, તો વડોદરાના ચૌદ ચૌદ લલ્લાઓની જળમાં ઉત્થાપના કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિને રૂંવે રૂંવેથી તોડી શકે એમ છે. એક તરફ રામલલ્લાની મનમોહક બાળ પ્રતિમામાં વિષ્ણુના, રામ પછી આવનારા (દશ) અવતારોનું નિરૂપણ છે, તો બીજી તરફ હરણી તળાવમાં ચૌદેક બાળ અવતાર પાણીમાં જતાં ભવિષ્ય ભેંકાર થઈ ગયું છે. અયોધ્યાની કૌશલ્યા પ્રસન્ન છે, પણ વડોદરાની માતાઓ પોતાનાં લલ્લાઓને અગ્નિ કે ભૂમિને સોંપતાં કાળજું કોતરી ચૂકી છે. કાળજું એક જ છે. તે આનંદથી ઊછળે છે ને તે જ તેજહીન પણ થઈ ગયું છે.

દશરથની અયોધ્યા નગરીનો આ નવો અવતાર છે. અયોધ્યાના અર્થમાં જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. સરયૂનું જળ બદલાયું છે, પણ નામ બદલાયું નથી, તેની પવિત્રતા વધુ ફેલાઈ છે ને તે અધ્યાત્મરંગી, કેસરી રાજનીતિનું પરિણામ છે. ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય ભાવ મુદ્રા આસ્થાથી વિપરીત નથી. તેમને 2024નાં ચૂંટણી વિજયની પ્રાણપ્રતિષ્ઠા એમાં દેખાતી હોય તો પણ, આ કેવળ રાજકીય ઉત્સવ એટલે નથી, કારણ તે કોઈ એકાદ રાજ્યનું ધાર્મિક છમકલું નથી. હોય તો તે આટલું વિશ્વ વ્યાપી ન બને. દેશ આખામાં પ્રાણપ્રતિષ્ઠાની જે આબોહવા ઊભી થઈ છે, એ પૂર્ણ પણે રાજકીય હોય તો પણ, પ્રજાનું તેને જે રીતે રાષ્ટ્રીય સમર્થન છે, એમાં રામનામનો મહિમા જરા પણ ઓછો નથી. આખું આયોજન ચૂંટણીલક્ષી હોય તો પણ, આખા દેશને રામસૂત્રે બાંધવાનું પ્રજાની ભાગીદારી વગર શક્ય નથી. રામને નામે ઘણા પથરા તરી જવાના હોય તો પણ, બધા જ પથરા છે એવું નથી. પથરાને તરવા જેટલું જળ ન હોય તો એ તરે નહીં. એ સંદર્ભે પણ રામ મંદિરને કેવળ રાજકીય ઉપજ તરીકે જોવામાં અન્યાય રામને થશે.

એ પણ વિચારવાની જરૂર છે કે પ્રજા તરીકે આપણે વિપક્ષની પતાવટ કે પટાવટમાં હવે નથી આવતાં, આપણે વિપક્ષની ધર્મનિરપેક્ષતામાં દાયકાઓ સુધી આવતા જ ગયાં ને હવે નથી આવતા. કેમ? શાસક પક્ષ આપણને પટાવતો હોય તો પણ, એની વાતોમાં દેશનો ઘણો મોટો જનસમૂહ આવતો જ જાય છે. કેમ? કૈંક તો છે જે એની તરફ પ્રજાને ખેંચે છે. 28 વિપક્ષોમાં હવે એ કૌવત રહ્યું નથી જે શાસક પક્ષમાં પ્રજાને દેખાય છે. પ્રજા બહુ પામી ગઈ છે એવું નથી, પણ તેને દાયકાઓના અનુભવ પરથી એટલું સમજાયું છે કે વિપક્ષ તરફથી તો સાંત્વન પણ મળે એમ નથી. આ સ્થિતિ હોય ને પ્રજાએ છેતરાવાનું જ હોય, તો તે વિપક્ષથી છેતરાવા રાજી નથી, તે 2014 અને 2019ની ચૂંટણીએ સાબિત કરેલું જ છે. એમ પણ છે કે પ્રજા વળી એક વખત શાસકોથી છેતરાવા તૈયાર છે. કારણ તે કહેવાતી ધર્મનિરપેક્ષતાથી પર થઈ ચૂકી છે ને પ્રજા અબૂધ લાગતી હોય તો પણ, તે મૂરખ નથી. તેની રામમાં પહેલેથી આસ્થા હતી જ, તે કૈં શાસકોએ ઊભી કરી નથી. શાસકે તો માત્ર કજળી જવા આવેલી વાટને સંકોરી છે. ધર્મ પણ રાખ નીચે ધરબાયેલો હતો, તેને રાજકીય હેતુસર, શાસકોએ માત્ર ફૂંક જ મારી છે, પરિણામે રામજ્યોતિ પ્રજ્વલિત થઈ ઊઠી છે. રામનામને રાજકીય હૂંફ મળી હશે, પણ રામનામ હતું જ નહીં એવું ન હતું. શાસક પક્ષે તો વાયદો જ પૂરો કરવો હતો કે રામમંદિર બનાવીશું ને બન્યું. કમ સે કમ કહ્યું તે કર્યું તો ખરું !

બાબરી 1992માં ધ્વસ્ત થઈ તે સાથે દેશ કોમી રમખાણોમાં પણ સપડાયો, એમાં પહેલી વખત બહુમતીનો અવાજ લઘુમતીથી દબાયો નહીં. એ લોકમિજાજ પરખાયો હોત ને તે વખતના શાસકોને આ બદલાવ સમજાયો હોત, તો રામ મંદિરની અનિવાર્યતા પણ પ્રતીત થઈ હોત, પણ તેવું ન થયું ને રામ મંદિર 2014/2019ના શાસકોનો એજન્ડા બન્યો ને વાત આજે પ્રાણપ્રતિષ્ઠા સુધી આવી છે. આ રાજકીય નાટક હોય અને શાસકો પ્રજાની ધર્માંધતાનો લાભ લેતા હોય તો પણ, આખું કોળું દાળમાં ગયું નથી. ધારો કે પ્રજાને ધર્મને નામે મૂરખ બનાવાઈ હોય તો પણ, રામ તો કોઈની ચાલમાં આવે એમ નથી. એ ખરું કે મંદિરની પ્રક્રિયા પૂરી થઈ નથી, પણ શરૂ જ નથી થઈ એવું પણ નથી.

એ ખરું કે વડા પ્રધાન કે મુખ્ય મંત્રી દેશ કે રાજ્યમાં બધે પહોંચી શકે નહીં. જ્યાં ન પહોંચાય ત્યાં તંત્રો તેમના વતી કામ કરતાં હોય છે, કેટલાંક તંત્રો વફાદારીથી વર્તે છે, તો કેટલાંક નફાદારીથી પણ વર્તે છે. મોટેભાગનાં તંત્રો નિર્લજ્જ, નિષ્ઠુર ને નિકંદન કાઢી નાખનારાં હોય છે, એનું વરવું ઉદાહરણ હરણી બાળ હત્યાઓ છે. સાવ નિર્દોષ બાળકો, જે આનંદ માણવા સ્કૂલના પ્રવાસમાં નૌકાવિહારના હેતુએ જોડાયાં હતાં, પણ એક કમનસીબ પળે હોડી ઊંધી વળી ગઈ. એ પછી ‘હાહાકાર’ જ બચ્યો. આવે વખતે જેમની ફરજ નથી તેવા લોકો આગળ આવે છે ને જેમની જવાબદારી છે તેવા પાછળ રહેતા હોય છે. અહીં પણ એમ જ થયું.

બાળકોને બચાવવાની કામગીરી થાય કે ન થાય, સરકાર એક્ટિવ મોડ પર આવી જતી હોય છે. પહેલું કામ તે મૃતકોનાં કુટુંબીજનો તરફ આર્થિક સહાય ફેંકવાનું કરે છે, તે એવી રીતે કે કૂતરું ઘવાયા પછી રોટલાના ટુકડા માટે વલખતું હોય ! મદદ જરૂરી છે એની ના નથી, પણ જે રીતે આ વ્યવહાર થાય છે તે યાંત્રિક અને બીભત્સ છે. કોઈ શત્રુ પણ મૃતકનું વળતર આ રીતે ન ઈચ્છે. જેનું બાળક ગયું હોય ને જેનાં પર આખું ભવિષ્ય અનેક સપનાઓથી માબાપે સજાવેલું હોય, તેનું હૈયું વલોવી નાખતું રૂદન સાંત્વના ઇચ્છતું હોય ને એવે વખતે એને માથે હાથ મૂકી આશ્વસ્ત કરવાને બદલે, આર્થિક ભીખ ફેંકવાનું અપમાનિત કરનારું છે. એ પછી સરકાર ગોખેલું બોલવા લાગે છે કે જવાબદારોને બક્ષવામાં નહીં આવે. એ જેટલા જુસ્સાથી બોલાય છે એટલા જ જુસ્સાથી લોકો જાણી જાય છે કે આવી જાહેરાત થતાંની સાથે જ, ડૂબતાંને તો ઠીક, જવાબદારોને બચાવવાની કોશિશ શરૂ થઈ જાય છે.

એ પછી કાવતરું એ ઘડાય છે કે એક – બીજાને, બીજો – ત્રીજાને, ત્રીજો – ચોથાને જવાબદાર ઠેરવવા લાગે છે. આક્ષેપોનો ખો અપાવા લાગે છે ને એમાં જવાબદારો સંતાવામાં સફળ થાય છે. હરણી કાંડમાં પણ એમ જ થયું. કોઈને આ કાંડમાં શાળાની ભૂલ જણાઈ છે, તો કોઈને એજન્સીઓ જવાબદાર લાગી છે ને તેણે મેન્ટેનન્સમાં લોથ વાળી છે. કોઈને બોટ ખરાબ લાગી છે, તો કોઈને ફાયર સેફટીનાં સાધનો એક્સપાયરી વીતી ચૂકેલાં લાગ્યાં છે. બોટની ક્ષમતા કરતાં બેસનારાઓની સંખ્યા ઘણી વધુ થઈ ગઈ … જેવી વાતો થોડા દિવસ ચાલશે ને નવી કોઈ ઘટના બનશે કે આના પર રાખ વળી જશે. સીટની રચના આમાં પણ થઈ છે, કોર્ટ પણ કોઈને જવાબદાર ઠેરવશે અને આપણે વળી નવી કોઈ ઘટના માટે કાળજું કઠણ કરવું પડશે. આ આઘાતો એવા છે કે તંત્રોને વધુ રીઢા અને સંવેદનહીન બનવાની તાલીમ આપે છે ને જે વેઠે છે તે તો આઘાતોથી જ બેવડ વળી જાય છે. આમાં જેનું જાય છે, તેનું જાય છે ને બાકીનાને તો ‘દિવાળી’ જ થતી રહે છે. તંત્રો જાગતાં નથી એવું નથી. રાબેતા મુજબ જાગે છે ને રાબેતા મુજબ ઘોરી પણ જાય છે. આ દેશની કમનસીબી એ છે કે જે થાય છે તે નિર્દોષોને ને જવાબદારોને ભાગ્યે જ કૈં થાય છે. જવાબદારો, કૈં થવાનું નથી એવા વિશ્વાસે વધુ રીઢા અને બેફિકર થઈ જાય છે ને કઇ થવાનું નથી એવો વિશ્વાસ પીડિતોને વધુ નિ:સહાય અને નિષ્ક્રિય કરે છે. સૌથી મોટી દારૂણ હોનારત જ આ છે કે પીડિતને બધું જ થાય છે ને જવાબદારને કૈં થતું જ નથી.

પાઠ ભણાવવા મોરબી પુલ ઘટના થઈ જને ! હરણીમાં મેન્ટેનન્સનો મુદ્દો આવે, પણ મોરબીનો તો પુલ નવો હતો. વડોદરામાં જ 1993માં સૂરસાગરમાં હોડી ડૂબી હતી ને 22 જીવ ગયા હતા, સુરતમાં ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થીઓ ચોથે માળેથી ભડકો થઈને કૂદ્યા ને કોલસો થઈ ગયા. શું થયું? સવાલ એ થાય કે આવાં કેટલાં મોત પછી આપણે બોધપાઠ લેવાના છીએ? એ ખરું કે તંત્રો બધું રાખ થઈ જાય પછી પગલાં ઝડપથી ભરવા લાગે છે. હોડી ડૂબે છે તો બીજે બોટિંગ ઠીક ચાલતું હોય, તેની પથારી પહેલાં ફેરવે છે. દ્વારકા, રાજકોટમાં બોટિંગ બંધ કરી દેવાયું. સુરતમાં ત્રણેક લેકમાં તો બોટિંગ વખતે લાઈફ જેકેટ આપવાનાં પણ હોય એવું જ્ઞાન જ હરણી ઘટનાએ આપ્યું. તંત્રો સાવ જ નિષ્ક્રિય છે એવું નથી, હરણી કાંડમાં બોટનું મેન્ટેનન્સ 6 વર્ષે, એક પણ વાર થાય નહીં, એની ભારે કાળજી તંત્રે રાખી જ છે. સુરતમાં એક ટ્યૂશન ક્લાસમાં આગ લાગી તો ઘણા ક્લાસિસ પર તવાઈ આવેલી. પુલ તૂટે છે, તો બાકીના પુલ ધંધે લાગી જાય છે, એમાં વિવેક તો નથી જ, પણ યોગ્ય પાસેથી તોડ પાડવાની બેશરમી પણ છે. આ બધું જરા ય નવું નથી, પણ હરામની કમાણીની આપણને એવી ભૂખ ફૂટી છે કે આખી પૃથ્વી ગળી જઈએ તો બ્રહ્માંડ ગળવાની નવી ભૂખ ઊઘડે છે. સાચું તો એ છે કે આપણું રૂંવાડું ફરકે એમ જ નથી, કારણ એ ફરક્વા પણ ચામડી જોઈએ …

એ કેવો સંયોગ છે કે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવા પહેલાં, પ્રાણહરણનો ઉપક્રમ, માનવસર્જિત હોવા છતાં કુદરતી લાગે એમ યોજાયો. આયોજન બંનેમાં છે. એકમાં ખબર છે, એકમાં નથી. એ પણ યોગાનુયોગ જ છે કે પહેલાં રામ બોલો … થયું છે ને પછી જયશ્રી રામ થવા જઇ રહ્યું છે …   

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 જાન્યુઆરી 2024

Loading

એવિયેશનના ઈકારસ નરેશ ગોયેલ : જેટલા ઊંચા ગયા, એટલા જ નીચે પછડાયા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 January 2024

રાજ ગોસ્વામી

એક સમયે દેશની સૌથી મોટી અને સૌથી કાર્યક્ષમ એવિયેશન કંપની જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલે ગયા અઠવાડિયે, મુંબઈની કોર્ટમાં બે હાથ જોડીને તેમને મરવા દેવાની ‘વિનંતી’ કરી, તે આ દેશની એવી અનેક સફળ કહાનીઓ પૈકીની એક કહાની છે, જે અધવચ્ચે અટવાઈ ગઈ હતી.

કેનેરા બેંક સાથે 538 કરોડની છેતરપિંડીના આરોપી જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ શનિવારે મુંબઈની એક વિશેષ અદાલતમાં હાજર થયા હતા. તેમણે અદાલતને કહ્યું, “મેં મારા જીવનની આશા ગુમાવી દીધી છે. મારી તબિયત ઘણી બગડી ગઈ છે. જેલમાં મરી જવું વધુ સારું છે.” એવું કહીને નરેશ ગોયલે વિશેષ જજ સામે હાથ જોડ્યા હતા.

તેમણે કહ્યું હતું, “હું મારી પત્ની અનિતાને ખૂબ યાદ કરું છું. તે કેન્સરના છેલ્લા તબક્કામાં છે.” જજે તેમને સધિયારો આપતાં કહ્યું હતું તમે અસહાય નથી, તમને પૂરતી મદદ મળી રહેશે. નરેશે વિશેષ ન્યાયાધીશ એમ.જી. દેશપાંડે સમક્ષ જામીન અરજી દાખલ કરી હતી. તેમણે તેમની શારીરિક-માનસિક તકલીફોનું વર્ણન કરીને જજને વિનતી કરી હતી કે તેમને રાજ્ય નિર્ધારિત જે.જે. હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં ના આવે કારણ કે તે આર્થર રોડ જેલથી હોસ્પિટલ જઈ શકે તેવી સ્થિતિમાં નથી. “તેના બદલે મને જેલમાં જ મરવા દેવામાં આવે.” એમ તેમણે કહ્યું હતું.

ગોયલ પર કેનરા બેંક સાથે 538 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇ.ડી.)એ ગયા વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ કથિત બેંક છેતરપિંડીના સંબંધમાં નરેશ ગોયલની ધરપકડ કરી હતી.

ઉડ્ડયનની ગતિશીલ દુનિયામાં, જ્યાં વિમાનની જેમ, આંખના પલકારા સાથે નસીબ બદલાઈ શકે છે, ત્યાં નરેશ ગોયલની વાર્તા અર્શ સે ફર્શ સુધીની અનેક કથાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે જેટલી ઝડપે તેજસ્વી શરૂઆત કરી હતી, તેમનો અંત એટલો જ ઝડપી પણ અંધકારભર્યો હતો.

ઉડ્ડયન ઉદ્યોગમાં 40 વર્ષથી વધુના અનુભવ સાથે, ભારતના ઉડ્ડયન ઉદ્યોગમાં પોતાનું નામ સ્થાપિત ગોયલ પંજાબના સંગરૂરમાં જન્મ્યા હતા. ગોયલના શરૂઆતનાં વર્ષો આર્થિક સંઘર્ષોથી ઘેરાયેલા હતાં. 18 વર્ષની ઉંમરે તેમણે તેમના એક કાકાની ટ્રાવેલ એજન્સીમાં કેશિયર તરીકે કામ શરૂ કર્યું હતું. ત્યાંથી જે તેમને ટ્રાવેલ બિઝનેસની જટિલતાઓ શીખવા મળી હતી. 1974માં, તેમની માતા પાસેથી 52,000 રૂપિયા ઉધાર લઈને સ્વતંત્ર ધંધો શરૂ કરનારા ગોયલે 1993માં જેટ એરવેઝની સ્થાપના કરીને સત્તાવાર રીતે ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.

વ્યકિતત્વનાં અનેક પાસાં ધરાવતા ગોયલે દેશની અમલદારશાહી તેમ જ રાજકીયણને બહુ હોંશિયારીથી સંભાળ્યું-પંપાળ્યું હતું. તેમને પૂરા પ્રોફેશનાલિઝમ સાથે ચાલતી એક એરલાઈન ઊભી કરવાનું સપનું હતું અને તેમણે જેટએરના નામે દેશના સ્થાનિક પ્રવાસીઓઓને કોઈ વિકસિત દેશની એરલાઈન જેવો અનુભવ કરાવ્યો હતો.

જેટ એરવેઝ ઝડપથી ઉડ્ડયન ઉદ્યોગમાં એક ખમતીધર ખેલાડી બની ગઈ હતી. તેની પાસે આધુનિક વિમાનોનો કાફલો હતો. 1990 અને 2000ના દાયકાની શરૂઆતમાં પાસે એક સમયે 100થી વધુ વિમાનો હતાં, અને કંપની હવાઈ મુસાફરીમાં વૈભવી અને કાર્યક્ષમતાનો પર્યાય બની ગઈ હતી.

બીજી બાજુ ગોયલે ફોર્બ્સની સૌથી શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં અગ્રણી સ્થાન મેળવ્યું હતું. ગોયલના નેતૃત્વમાં એરલાઇન અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચી હતી અને તેણે તીવ્ર સ્પર્ધાત્મક ભારતીય ઉડ્ડયન બજારમાં સરકારી માલિકીની એર ઇન્ડિયાને પણ પડકાર ફેંક્યો હતો. જેટ એરવેઝની વાર્તાને ગોયલનાં સપનાંને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાની ક્ષમતાના પુરાવા તરીકે જોવામાં આવી હતી.

ગ્રીક દંતકથાઓમાં ઈકારસની વાર્તા છે. તેના કારીગર પિતાએ તેના માટે મીણની પાંખો બનાવી હતી, પણ ચેતવણી આપી હતી કે બહુ ઊંચે ના ઉડતો. ઈકારસને ઉડવાની મજા આવી અને આત્મવિશ્વાસ પણ વધી ગયો. એ આકાશમાં બહુ ઊંચે ગયો. ત્યાં સૂરજની ગરમીથી તેની પાંખો ઓગળી ગઈ અને તે સમુદ્રમાં પડીને મરી ગયો.

આના પરથી બિઝનેસની દુનિયામાં “ઈકારસ પેરાડૉક્સ”ની ધારણા આવી છે. તેમાં જે ઝડપે સફળતા મળી હોય, એટલી જ ઝડપથી નિષ્ફળતા પણ મળે છે. સ્વભાવની જે ખાસિયત ઊંચાઈ પર લઈ ગઈ હતી, તે જ ખાસિયત પતન તરફ પણ લઈ જાય છે (જેમ કે ઈકારસને જે પાંખો આકાશમાં લઈ ગઈ હતી, તે જ સમુદ્રમાં પણ લઈ ગઈ). 

જીવનના કોઇપણ ક્ષેત્રમાં, સફળતા રેસકોર્સ પર દોડતા ઘોડાના ડાબલા જેવી હોય છે. તે આજુબાજુમાં દેખાતું બંધ કરી દે છે. જેમ જેમ સફળતા મળતી જાય, તેમ તેમ એવો વિશ્વાસ વધતો જાય કે હું જે કરું છું તે બરાબર છે. હું જે કરું છે તે બરાબર છે તેવો વિશ્વાસ જેટલો વધુ, આપણામાં બદલાવની સંભાવના ઓછી. બદલાવની સંભાવના જેટલી ઓછી, બદલાતી દુનિયામાં પાછળ રહી જવાની શકયતા વધુ.

અંગ્રેજીમાં તેના પરથી એક કહેવત આવી હતી – ધ હાયર યુ ફ્લાય, ધ હાર્ડર યુ ફોલ (જેટલા ઊંચે ઊડો, એટલા ઊંચેથી પછડાવ). તમે એક સ્ટૂલ પરથી પડો તો ઓછું વાગે, પણ ધાબા પરથી પડો તો હાડકાં તૂટી જાય. એટલા માટે સ્ટૂલ પર ચઢ્યા પછી બહુ સાવધાની રાખવાની જરૂર નથી પડતી, પરંતુ ધાબા પર ચઢીને ત્યાં સલામત રહેવાની ચિંતા વધી જાય છે. જે લોકો ધાબા પરથી પડે છે તેમની ભૂલ એટલી જ હોય છે કે તે ધાબાને પણ સ્ટૂલ સમજી લે છે.

નરેશ ગોયલના કિસ્સામાં પણ એવું જ થયું હતું. તેઓ જે મહેનત કરીને સફળ થયા હતા તેમાંથી જ તેમનો આત્મવિશ્વાસ બંધાયો હતો કે મારી મહેનત ફાયદો કરાવે છે. એટલે તેઓ જેમ જેમ ઉપર ગયા તેમ તેમ રિસ્ક લેતા ગયા. 2019 સુધીમાં તો જેટ એરવેઝમાં દેવાં એટલા વધી ગયાં હતાં કે બધી ફ્લાઈટોને જમીન પર ઉતારી દેવામાં આવી હતી. એ તેના અંતની શરૂઆત હતી. કર્મચારીઓ બીજી કંપનીઓમાં અને મુસાફરો બીજા વિમાનોમાં ચાલ્યા ગયા.

જેટ એરવેઝનું પતન અહીંથી અટક્યું નહોતું. તે જ વર્ષે સપ્ટેમ્બરમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇ.ડી.)એ અન્ય એરલાઇન કિંગફિશર એરલાઇન્સના પતન સાથે સંકળાયેલી ₹ 538 કરોડની છેતરપિંડીના આરોપમાં ગોયલની ધરપકડ કરી. ત્યાર પછીની કાનૂની લડાઈ એ સમયથી તદ્દન વિપરીત હતી જેમાં જ્યારે જેટ એરવેઝને સફળતા તરફ દોરી રહ્યા હતા. હવે તેઓ ખુદનું જીવન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.

નરેશ ગોયલની વ્યાવસાયિક યાત્રા વ્યાપાર જગતની અસ્થિરતા અને અનિશ્ચતાની યાદ આપાવે છે. એક સાધારણ ટ્રાવેલ એજન્સીના કેશિયરથી શરૂ કરીને જેટ એરવેઝના માલિક બનવા સુધીની અસાધારણ ઊંચાઈને સર કરવાની તેમની સિદ્ધિ અને પછી ત્યાંથી તેમનું નાટકીય પતન, કાનૂની આંટીઘૂંટીઓ અને હવે 70 વર્ષે શારીરિક-માનસિક પડકારો સફળતા અને સમૃદ્ધિની ચંચળતાને સાબિત કરે છે.

ગોયલનું જીવન એવા હજારો ઉદ્યોગસાહસિકો માટે એવા સાવચેતીભર્યા સૂરનું કામ કરે છે કે સતત પરિવર્તનશીલ આર્થિક વાતાવરણમાં નાણાંકીય ડહાપણ અને અનુકૂલનશીલતા શીખવી બહુ જરૂરી છે.

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 જાન્યુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કેટલું જોઈએ ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 January 2024

રવીન્દ્ર પારેખ

જગતમાં કેટલુંક સારું છે, હજી પણ છે, પણ તે ક્યાં સુધી ને કેટલું રહેશે તેની ચિંતા છે. બધું જાણે અંતિમો પર છે ! સારું પણ ને નબળું પણ ! એક તરફ અનેક સગવડો અને ટેક્નોલોજીથી ભરપૂર જીવન છે ને બીજી તરફ માનવીય સંવેદનાનો દુકાળ વર્તાઇ રહ્યો છે. બધું જ જાણે વધુ ને વધુ કમાણી માટે છે. કમાણી કમ્ફર્ટ માટે છે, પણ જે ઉત્તમ ને મહત્તમ થાય છે તે તો પૈસો મેળવવા ! સગવડો પૈસા માટે, ટેકનોલોજી પૈસા માટે, માણસો પૈસા માટે. પૈસા માણસ માટે, પૈસા ટેકનોલોજી માટે, પૈસા સગવડો માટે. એમાં લાગણી પૈસા માટે ને પૈસા લાગણી માટે થયા છે, ત્યારથી સંબંધો સ્પષ્ટ અને નિર્દોષ નથી. ઘણાં એકબીજાનો મદદને બહાને ઉપયોગ પણ કરી રહ્યાં છે. આખા ય વિશ્વમાં ઘણું બધું થાય છે, કેટલીક સિદ્ધિઓ પણ છે, પણ કોઈ પણ ઉપકરણ કે ટેકનોલોજીનો ઉપયોગ વધુને વધુ પૈસા કેમ ભેગા થાય તે માટે જ થાય છે. પૈસા જરૂરી છે તેની ના નથી, પણ માત્ર આંકડાઓ મોટા દેખાડવા જે થઈ રહ્યું છે તેનાથી આનંદ થતો નથી. આપણને દેખાડાની ટેવ પડી છે. નાનાંથી, ઓછાથી પણ જીવી શકાય છે, તે તરફ આપણે કદાચ જોવા જ નથી માંગતા. કેટલાક વિરાટ પ્રોજેક્ટ્સ જરૂરી છે, પણ બધા જ જરૂરી છે કે તેનું લક્ષ્ય અમર્યાદ કમાણીનું નથી એમ માનવાનું મુશ્કેલ છે. કૈં પણ, કેવળ મોટું જ નહીં, વિશ્વ વિક્રમી પણ હોય ને એ દ્વારા કેવી રીતે પૈસા બનાવી શકાય તે જ હેતુ બચ્યો છે.

મૂર્તિ થોડી નાની ને કલાત્મક હોઈ શકે, પણ વિશ્વવિક્રમી હોય તો ટિકિટ રાખીને વર્ષો સુધી કમાણી કરવાનો હેતુ શુદ્ધ નથી. તેમાં ભવ્યતા હશે, પણ કલાત્મકતા વિષે શંકા રહેવાની. કોઈ પણ સ્ટેડિયમ, હેતુ જળવાઈ રહે એટલું હોય તો ચાલે, પણ સૌથી મોટું જ કરવાની ગણતરી હોય તો નફો ને કાળાબજાર વધારવાનો હેતુ અપ્રગટ રહેતો નથી. મોટું, વિરાટ, ભવ્ય કૈં હોય તો તેનો વાંધો શો હોય, પણ હેતુ દેખાડાનો, કમાણીનો, ધંધાનો જ હોય તો તે ચિંત્ય છે. રસ્તા બને તે સારી વાત છે, પણ ટોલ ટેક્સને નામે પછી લૂંટ અટકે જ નહીં, તો ત્યાં મદદ ઓછી ને નફો વધારે છે. આ બધું જ મનુષ્યના ઉત્કર્ષ માટે હોય તો ક્ષમ્ય છે, પણ ઇરાદો કમાણી અને શોષણનો જ હોય તો ફરિયાદનો પણ શો અર્થ રહે?

એ સાચું કે સુખ સગવડો માટે યંત્રો જરૂરી હતાં, તેથી વિકાસ ઝડપી બન્યો, પણ યંત્રો માણસને જ યંત્ર બનાવે તો એવા વિકાસનો અર્થ ખરો? બિગ બેન થિયરી મુજબ આ બ્રહ્માંડ 1,380 કરોડ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું ને આપણી પૃથ્વી બન્યાને 450 કરોડ વર્ષ થયાં. પૃથ્વી પર માનવ હતો ત્યાં વિકાસ થયો. અગ્નિ, ધાતુ, યંત્ર વગેરેએ માનવ માટે એવી એવી સુવિધાઓ ઊભી કરી કે તે આજે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સુધી આવી પહોંચ્યો છે ને અહીં પણ અલ્પ વિરામ તો નથી જ ! બીજું ઘણું અવતરવા માટે તત્પર છે ને એ રોક્યું રોકાય એમ નથી.

રોબોટ્સ માણસનાં કામ કરવા લાગ્યા છે, પણ AIને તો માણસ વગર પણ ચાલે એમ છે. માણસે AIનું સર્જન કર્યું, પણ તે એવું અદ્ભુત થયું કે માણસનું જ વિસર્જન થાય એવી સ્થિતિ આવી ઊભી છે. આજે તો AI, OI (ઓરિજિનલ ઇન્ટેલિજન્સ) પર હાવી છે. AI માણસને રિપ્લેસ કરવા તત્પર છે, એવું જે નફાખોર માનસને લાગ્યું છે, તે માણસને બદલે AIનું શરણું સ્વીકારવા તૈયાર છે. માણસને તો પગાર પેન્શન આપવાં પડે ને AI એના કરતાં તો કિફાયતી જ છે. AI દ્વારા મશીનોને બૌદ્ધિક બનાવવાની વાત છે, જેથી તે માનવ જેવું જ કાર્ય વધુ ક્ષમતાથી કરી શકે ને ભવિષ્યમાં એવી ક્ષમતાથી કરે કે માણસની જરૂર જ ન રહે. અત્યારના AI કેટલાં સક્ષમ છે, તે તો નથી ખબર, પણ તે જો સેલ્ફ પ્રોડક્ટિવ થઈ શકે, તો નવાં AI પણ એની મેળે જ ઉત્પન્ન થઈ શકે. AI માણસને વિકલ્પે સક્રિય થાય તો માણસો ફાજલ પડે. એ સંદર્ભે એવું જોખમ વર્તાય છે કે 2030 સુધીમાં દુનિયામાં 300 મિલિયન લોકો નોકરી ગુમાવે. તાજી વાત એવી છે કે દુનિયાની 40 ટકા નોકરીઓ AI ખાઈ જશે. આ કારણે AIને ઘણાં નકારે છે. જો કે AI હેલ્થકેર સેક્ટરમાં ઉપયોગી છે. AI સ્કેન શરીરની નાનામાં નાની સમસ્યાઓને ઓળખી શકે એમ છે. એ રીતે AI સ્વાસ્થ્ય વિષયક તકલીફોમાં પણ ઉપયોગી થઈ શકે. AI આધારિત રોબોટિક સર્જરી વધુ ઉપયોગી થાય એમ બને, પણ ઉપયોગમાં વિવેક ક્યારે જળવાયો છે કે આમાં જળવાય?

ભારતની વાત કરીએ તો લાખો માણસો શિક્ષિત હોવા છતાં બેકાર છે, ત્યારે AI દ્વારા નોકરીની તકો છીનવવાનો કોઈ અર્થ ખરો? માણસની બુદ્ધિ એટલી સતેજ થઈ કે તેણે કૃત્રિમ બુદ્ધિ-AI વિકસાવી અને હવે પરિસ્થિતિ એવી થઈ છે કે મશીનો બુદ્ધિશાળી થઈ રહ્યાં છે ને માણસની બુદ્ધિને લૂણો લાગ્યો છે. મશીનો ઉત્પાદનનો અને માણસો નિરુત્પાદનનો ભાગ ને ભોગ બનવા લાગ્યા છે. જેમ મશીનો વધુ પૈસા કમાવી આપે એમ જ, માણસો પણ વધુને વધુ પૈસા કમાવી આપે એટલો જ અર્થ તેનો બચ્યો છે. તેને માટે તેણે માનવ સંબંધો, સંવેદનો, જીવંતતા વગેરેને દાવ પર લગાવ્યા છે. એક સવાલ દરેકે પોતાને પૂછવા જેવો છે કે કોઈ વાતે દુ:ખ થતું નથી એવું ખરું? સંપત્તિ, સત્તા ને સંચય સિવાય બીજું કૈં સૂઝતું જ નથી એવું થાય છે? બીજાનો આનંદ જોઈને આંખોમાં ઝેર વ્યાપે છે? જો આનો જવાબ ‘હા’માં આવે તો સમજવું કે આપણામાં અને રોબોટમાં એક જ ફરક રહ્યો છે ને તે એ કે રોબોટને શ્વાસ નથી ને આપણને છે. ટૂંકમાં, આપણે જીવંત રોબોટ જ છીએ.

તાજેતરમાં જ સૂચના શેઠ નામક 39 વર્ષની એક AI સંબંધિત CEOએ ચાર વર્ષનાં સગા દીકરાની હત્યા કરી. આવી જ ઘટના ઇંદ્રાણી મુકરજી નામની બીજી એક CEOએ પણ કરેલી. આવી ઘટનાઓ ભવિષ્યમાં અપવાદરૂપ ન રહે એમ બને. ‘ઘર’ ઘટી રહ્યાં છે ને ઓફિસો વધી રહી છે. ‘ઘર’ કરતાં ઓફિસોમાં રહેવાનું અને તે દ્વારા કમાણી કરવાનું વધ્યું છે. કુટુંબ પણ જાણે આવક-જાવકની ગણતરીઓ માટે જ ખપનું છે. ગમ્મત એ છે કે લગ્ન કરતાં છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે. લગ્નના વિકલ્પો અંગત લાભ સિવાયના દાખલા ઓછા જ ગણે છે. લગ્નેતર સંબંધોનું વધતું પ્રમાણ, ઘરેલુ હિંસા, હત્યા ને આપઘાતના આંકડાઓ મોટા ને મોટા કરતું રહ્યું છે. બાળકો ઘોડિયાંઘરમાં અને વડીલો ઘરડાંઘરમાં ઊછરે છે, પરિણામે કૌટુંબિક સંબંધોની હૂંફ નામશેષ થઈ રહી છે. હૂંફ ઘટતાં વ્યક્તિ સંવેદનહીન બની છે. માતાને સંતાન વહાલું જ હોય ને તેને માટે તે જીવ પણ આપી દે એ સ્થિતિ બહુ રહી નથી. તે પણ જીવ લેતી થઈ છે, ભલે પછી તે સગા દીકરાનો જ કેમ ન હોય ! આવનારા સમયમાં રોબોટ્સ સંવેદનશીલ હોય ને વ્યક્તિ સંવેદનહીન હોય, એ AI શક્ય બનાવે તો આઘાત ન લાગે. વ્યક્તિ જેમ ઉચ્ચ સ્થાન પર તેમ તે સૌથી નિમ્ન સ્થાન પર બેસી શકે એ શક્ય છે. વ્યક્તિનું લક્ષ્ય કેવળ કમાણીનું જ રહી ગયું હોય એમ લાગે છે.

આખું જગત જાણે છે કે જીવવા માટે પૈસા જરૂરી છે, પણ પેટ નોટોથી ભરાતું નથી, તે અનાજથી ભરાય છે. ગરીબને પેટ ભરવા પૈસા મળતા નથી ને અમીર પાસે પૈસા છે, પણ પેટ ભરવા જેટલી ય ફુરસદ નથી. વગર પૈસે ગરીબ ટાઢમાં ઊંઘી શકતો નથી ને અમીર વધુ કમાવાની લ્હાયમાં ઉજાગરા કરે છે. એટલું છે કે પૈસા નથી તો પણ ઊંઘ નથી ને છે તો પણ નથી. પૈસા જરૂરી ખરા, પણ કેટલા જરૂરી?

જરૂરી હોય તેનાથી દસ ઘણા પૈસા સુધી સંપત્તિ લોભ કૈંકે ક્ષમ્ય, પણ તેથી ય વધુ ભેગું કરીને ક્યાં જવાનું? આખી પૃથ્વી નામે થઈ જાય તો પણ ધરવ ન થાય એટલો લોભ આજે સંપત્તિનો, મિલકતનો છે. કેટલી ય રકમ બેન્કોમાં ન ધણિયાતી હાલતમાં સડ્યા કરે છે. કેટલી ય તિજોરીઓ માત્ર નોટો ભેગી કરવા ને કદી બહાર ન આવવા જ હોય છે. કેટલી ય સંપત્તિઓનાં વાલીવારસ નથી. મિલકતો માટે એટલા ઝઘડા થાય છે કે નફો ડોકટરો અને વકીલોને પહોંચે છે. એ બધાંને અંતે પ્રાપ્તિ શું, તો હતાશા સિવાય કૈં હાથમાં આવે એમ નથી. દુનિયા એ રીતે નોટો ભેગી કરવામાં પડી છે કે કાલ ઊઠીને મૃત્યુ વખતે નોટો લઈ જવાની છૂટ કોઈ આપે તો સ્વર્ગ કે નરકમાં નોટો લઈ જવાનું ભાગ્યે જ કોઈ ચૂકે.

જો કે, આજની વ્યવસ્થા એવી છે કે મર્યાં પછી, શ્વાસ સાથે લઈ જવાતા નથી, તો રૂપિયાનો સિક્કો પણ સાથે લઈ જવાનો તો સવાલ જ પેદા નથી થતો …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 21 જાન્યુઆરી 2024

Loading

...102030...819820821822...830840850...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved