Opinion Magazine
Number of visits: 9457742
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અનાથ

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|12 October 2023

પ્રીતમ લખલાણી

ચાર વાગ્યાનું એલાર્મ વાગ્યું. ચિંતન આંખો ચોળતો મનોમન બબડ્યો, રમણકાકા પણ ખરા છે કયાં અત્યારે સવારે સાડા ચાર વાગ્યામાં આપણું ઘર ઊઘડી જવાનું છે! મને કહે, ‘દીકરા હું તને કારણ વગર આટલી વહેલી સવારે હેરાન ન કરું. તું તો મારો મિત્ર અમૃતનો શ્રવણ છો. અમૃતે કયા જન્મના પુણ્ય કર્યા હશે કે તેને ખોળે તું ઈશ્વર જેવો દીકરો પાક્યો. દીકરા, મને મારા પેટના જણ્યા કરતાં તારા પર વઘારે વિશ્વાસ છે. એટલે તને આટલી વહેલી સવારે સાડા ચાર વાગ્યે મને અને તારી કાકીને આપણા ઘરમાં મૂકી જવા માટે વિનંતી કરું છું.’

‘આમ તો રમણકાકા અને મુક્તાકાકી કારણ વિના કોઈને હેરાન કરે નહિ. બિચારાંની કોઈ મજબૂરી હશે. કદાચ મનમાં હશે કે શહેર જાગે અને કોઈ પડોશી પૂછે કે રમણલાલ આટલી વહેલી સવારે ઘરને તાળું મારી મુક્તાકાકી સાથે કયાં ચાલ્યાં?’ પડોશી પથારીમાં આળોટતા હોય એટલે કોઈ સવાર પૂછે નહીં અને આપણે કોઈને કશો જવાબ આપવાને બદલે મૂગાં મૂગાં આપણા ઘરની વાટ પકડી લેવી. કદાચ બિચારાને મનમાં એમ પણ હોય કે આજકાલ અમારા જેવાં કેટલાં ય ઘરડાં મા-બાપ સંતાનોથી તર છોડાયેલાં આપણા ઘરે રોજ આવતાં હશે. કદાચ ત્યાં પણ એવું તો નહીં હોય ને કે વહેલો તે પહેલો. એ બીકે પણ આટલી વહેલી સવારે આપણા ઘરે જવા નીકળી પડયાં હોય!’

‘ખેર, જે હોય તે પણ રમણકાકા મને કયાં રોજ આમ ચાર વાગ્યામાં ઉઠાડે છે? મારે તો ફકત એક દિવસ વહેલું ઉઠવાનું થયું, એમાં શું કામ આટલી બઘી ચિંતા કરવાની? વળી આવતી કાલે તો ગણેશ ચતુર્થી છે. મારે કયાં કામે જવાનું છે. બસ, કાકાકાકીને આપણા ઘરના દરવાજે ઊતારી પાછો ઘરે આવી સૂઈ જઈશ. કાકાકાકીને જો ગામમાં દીકરાદીકરી મોજૂદ હોત તો આમ થોડા મને કહેવાના હતા કે ચિંતન બેટા, તું અમને આપણા ઘરે મૂકી જા. આ તો મારું સદ્દભાગ્ય કે કાકાએ મને પોતાનો અંગત દીકરો ગણી આ એક સેવા કરવાની તક આપી!’

વિચારોના વમળમાંથી બહાર નીકળી, ચિંતન કાકાએ કહેલા સમય મુજબ સાડાચારના ટકોરે ગાડીનું હોર્ન કાકાના આંગણામાં આવીને વગાડ્યું. હોર્ન કાને પડતાં જ મુક્તાકાકીએ બહાર આવી, ચિંતનને કહ્યું, ‘દીકરા, તું ઘરમાં આવ. તારા કાકા પૂજા કરવા બેઠા છે.’

ચિંતને ઉંબરમાં પગ મૂકયો ન મૂક્યો અને રમણકાકાએ પૂજા ખંડમાંથી બહાર આવતાં કહ્યું, ‘ભાઈ, ચિંતન, તું તો સમયનો બહુ જ પાકો. આ ઘડીએ જ ઘડિયાળમાં સાડા ચારના ટકોરા પડ્યા અને તારી ગાડીનું હોર્ન વાગ્યું, મારી પૂજા પતી ગઈ છે, બસ શહેર અંઘકારની ચાદરમાંથી જાગે તે પહેલાં આપણે આપણા ઘરે નીકળી જઈએ.’

‘કાકા, તમારે જ કંઈ સામાન આપણા ઘરમાં સાથે લઈ જવાનો હોય તો મને દેખાડો. હું ગાડીમાં મૂકતો થાઉં. તમે અને કાકી આટલી વારમાં તૈયાર થઈ જાઓ.’

‘દીકરા, સામાનમાં ખાસ કંઈ સાથે લઈ જવાનું નથી. આ સામે પડેલ બે થેલીમાં, જેમાં અમારી કપડાંની બે ત્રણ જોડ મૂકેલ છે. તે બે થેલી અને મારી પૂજાની એક નાની રેશમી થેલી, તે અમે લઈને આવીએ છીએ. તું આ બે થેલી તારી ગાડીમાં મૂકતો થા.’

રમણકાકા અને મુક્તાકાકીએ આપણા ઘરે જવા ઘરમાંથી પગ ઊંબરા બહાર મૂકતાં પહેલાં છેલ્લીવાર તેમણે જિંદગીના સાડા પાંચ દાયકા જ્યાં વીતાવ્યા હતા, તે ઘરમાં એક નજર નાખી એટલે આંખમાં જળજળિયાં આવી ગયાં.

‘એકવાર અમારું આ નાનકડું ઘર દીકરા દીકરીના કિલકિલાટથી પંખીના માળાની જેમ ગુંજતું હતું. દીકરાદીકરીને પાળીપોષીને મોટાં કર્યાં, ભણાવીગણાવી ધંધે વળગાડ્યાં. પરણાવીને ઘર સુધ્ધા માંડી દીધાં. સંતાનોને કોણ જાણે કેમ આ શહેર નાનું પડ્યું. કોઈને કોઈ કારણ આપી, અમને રામને ભરોસે મૂકી, વિદેશના સીમાડા ખેડી નાખ્યા. અરે! ઈશ્વર એમાં બિચારાં સંતાનોને શું દોષ દેવો?  અમારા ઉછેરમાં કયાંક ખામી હશે. મનોમન જાતને કોસતા રમણકાકાએ ચિંતનને કહ્યું, ‘ચાલ બેટા, હવે આ આપણે નીકળીશું? આ ઘરને હવે છોડી આપણા ઘરે જવાનું જ છે તો પછી શું કામ કારણ વિના આ ઉંમરે હવે રહીને આ ઘરની કે પછી આ સંસારની મોહમાયા રાખવી! દીકરા, લે આ ચાવી અને ઘરને મારી દે તારા હાથે તાળું.’

રમણકાકાને આપણા ઘરમાં જવા ઉતાવળ કરતા જોઈ ઘરને તાળું મારતા ચિંતને રમણકાકાને કહ્યું, ‘કાકા, જરા ઊભા રહો. ખોટી ઉતાવળ ન કરો. હું તમને પગથિયાં ઉતરવા માટે મારો હાથ આપું છું. અંઘારામાં કયાંક પગથિયું ભૂલી ન જાતા. આપણને કંઈ ઉતાવળ નથી. ઘણો સમય છે. તમે જરા ઘ્યાન આપી મુક્તાકાકીનો હાથ પકડી નિરાંતે પગથિયાં ઊતરો.’

‘દીકરા, હવે અમારે અમારા પગના જોરે જ ડગ માંડવાના છે! આ લાકડી અને એકમેકના સહારે જિંદગીનાં બચેલાં બેચાર વરસો પૂરાં કરવાનાં છે. દીકરા, તારી લાગણી અમારા પ્રત્યે છે એની અમે જેટલી કદર કરીએ એટલી ઓછી પડશે! ઈશ્વર, તને સદા સુખી રાખે. હવે અમે તને, આ સમયે આશીર્વાદ સિવાય બીજું આપી પણ શું શકીએ?’

‘કાકાકાકી ગાડીમાં ગોઠવાયાં. ચિંતને ગાડી ચાલુ કરી, ગાડી અંઘકારને ચીરતી ઘીરે ઘીરે નાની મોટી શેરીઓ વટાવતી શહેરના મુખ્ય ગાંધી માર્ગ પર આવી પહોંચી. બારી બહાર શહેરને ઝીણી નજરે નિહાળતા રમણકાકાએ ચિંતનને પૂછયું, ‘ચિંતન બેટા, આ ગાંધી માર્ગ છે?’

‘હા, કાકા.’

‘તો બેટા, તું એમ કર ને. ગાડીને જરા આગળ જઈને શેઠ જાધવજી માર્ગ પર વાળી લે.’

‘કાકા, આપણું ઘર તો ગાંધી માર્ગના છેવાડે આવેલા ગોવિંદજી મહેતા માર્ગના ખૂણા પર આવેલું છે.’

‘હા દીકરા, મને ખબર છે. પણ હું તને કહું છું તે પ્રમાણે કર.’

ચિંતનને મનમાં થયું, જાધવજી માર્ગ પર આવેલી હવેલીમાં મંગળાના દર્શન કરીને પછી આપણા ઘરમાં જવાની કાકાની ઈચ્છા હશે! ઘર તો આમે ય સવારે દશ સાડા દશ પહેલાં કયાં ખૂલે છે?

મારે તો તેમને દરવાજે ઊતારીને પાછા ચાલ્યા આવવાનું છે. એ વિચાર સાથે એણે ગાડી જાધવજી શેઠ માર્ગ પર વાળી લીઘી.

‘ચિંતન, આ શું લક્ષ્મીનારાયણનું મંદિર ગયું?’

‘હા, કાકા.’

‘તો પછી, જરા ડાબી બાજું નજર નાખતો રહેજે. હમણાં જ બે પાંચ મિનિટમાં વલ્લભનાથ અનાથ આશ્રમ આવશે. બેટા, તું ગાડી થોડી વાર માટે અનાથ આશ્રમમાં ઊભી રાખજે.’

કાકાની આ વાત સાંભળી ચિંતન ફરી પાછો વિચારમાં ચડી ગયો.

‘અરે, કાકાને જવું છે આપણા ઘરે તો પછી મને કેમ કહે છે કે તું ગાડી અનાથ આશ્રમમાં ઘડીક માટે ઊભી રાખજે. ખરેખર શું આનું નામ જ બુઢાપો! માણસ અનાથ આશ્રમ અને આપણા ઘરની વ્યાખ્યા પણ ભૂલી જાય! માણસને સંતાનોની ખોટ કેટલી સાલતી હશે? કે એકલતામાં માણસ કશું વિચારી પણ શકતો નથી. કદાચ કાકાકાકીએ થોડીક મૂડી બચાવી રાખી હશે, સંતાનોના દીકરાદીકરીને વારસામાં આપી જવા. કદાચ કાકાકાકીને રહી રહીને સમજાયું હશે કે વિદેશમાં વસતા દીકરાઓને આપણા રુપિયાની કિંમત પણ શું? કદાચ મનોમન નક્કી કરી લીધું હશે કે આપણી પાસે જે કંઈ નાની એવી બચત છે આપણા ઘરમાં જતાં પહેલાં અનાથ આશ્રમમાં દાનમાં આપી દઈશું. અરે, ભગવાન! હું પણ કેવો મૂર્ખ છું. ખોટા કારણ વિના વિચારના વર્તુળમાં અટવાયો છું. કાકાએ પોતાની મૂડી તો શું આ નાનકડું ઘર પણ સંતાનોના સુખ માટે આજે છોડી દેવું પડ્યું છે. દીકરાને વિદેશ જવું હતું ત્યારે કાકાએ ઘરને બેન્ક પાસે ગિરવે મૂકીને લોન લીઘી હતી. આ ઉંમરે કાકા લોન ન ભરી શકતાં કાકાએ ઘર વેચી લોનની રકમ બેન્કને ભરપાઈ કરી. આજે આપણા ઘરે જવા નીકળ્યા છે.’

વિચારમાં ને વિચારમાં અનાથ આશ્રમ વહી જતા પણ બારીમાંથી અનાથ આશ્રમની રાહ જોતા રમણકાકાની નજર વલ્લભનાથ આશ્રમના પાટિયા પર પડી. તેમણે ચિંતનને સ્વપ્નમાંથી જગાડ્યો.

‘ચિંતન, મને લાગે છે કે વલ્લભનાથ અનાથ આશ્રમ આવી ગયો છે.’

‘કાકા, સારું થયું તમે મને યાદ કરાવ્યું. નહિતર અનાથ આશ્રમ નજર સામે પસાર થઈ જાત.’ એમ કહેતા ચિંતને ગાડીને અનાથ આશ્રમના દ્વાર પાસે ઊભી રાખી દીઘી.

રમણકાકાએ ગાડીમાંથી નીચે ઊતરતાં મુક્તાકાકીને કહ્યું, ‘મુકતાગૌરી, પેલી પૂજાની થેલી મને જરા આપો તો.’

કાકીએ કાકાના હાથમાં થેલી મૂકતાં જરા આકાશ સામું જોયું. અને પછી આંખે આવેલાં આંસુ સાડલાના છેડે લૂછી, થેલી સામે બે હાથ જોડી, થેલી કાકાના હાથમાં મૂકી.

કાકા ઘીમે ઘીમે ડગલાં ભરતાં, આશ્રમનાં બે ચાર પગથિયાં ચડી આશ્રમની ઓસરીમાં ખાલી પડેલા એક ઘોડિયા પાસે ગયા. ત્યાં રોજ કોઈ દુઃખિયારી સ્ત્રી પોતાના સંતાનને વહેલી સવારના અંઘકારમાં મૂકીને જતી રહેતી. રમણકાકાએ આજુબાજુ નજર કરી કે કોઈ તેમને જોતું તો નથી ને. પછી હાથમાં પકડેલ રેશમી થેલીમાંથી, રોજ વહેલી સવારે પૂજાપાઠ કરતા હતા તે બાલકૃષ્ણની મૂર્તિ બહાર કાઢી. તેની સામે બે હાથ જોડી બોલ્યા, ‘હે, બાલકૃષ્ણ, મેં અને મુકતાગૌરીએ છેલ્લા પાંચ દાયકાથી તનમનથી તમારી ભકિતભાવથી સેવા કરી છે. આજ સમય સંજોગોને આઘીન થઈ, ન છૂટકે અમારે તમને આજ અનાથ આશ્રમના દ્વારે મૂકી જવા પડે છે. હે, મારા વહાલા, તું અમને માફ કરી દેજે. અમે મજબૂર છીએ. જયાં અમારે આજ આપણા ઘરનું શરણું લેવું પડ્યું છે, ત્યાં અમે તને અમારી સાથે ક્યાંથી લઈ જઈએ?’

ક્ષમાયાચના કરતા કાકાની આંખ છલકાઈ ગઈ. કચવાતે મને હળવેકથી માથે વહાલભર્યો હાથ ફેરવતાં લાલાને ઘોડિયામાં મુકી એક લાચાર સ્ત્રીની જેમ બાળક પર મીઠી નજર નાખતી, જતાં જતાં બાળકના આગમનનો ઘંટ વગાડી, આશ્રમના ગૃહપતિને બાળકના પઘરામણીની જાણ કરતી જાય, એ રીતે કાકાએ આશ્રમનાં પગથિયાં ઊતરતાં, ગૃહપતિને જાણ કરવા બેત્રણ વાર ઘંટ વગાડી, થોડેક દૂર આશ્રમનાં દ્વાર પાસેના દરવાજાની તિરાડમાંથી ગૃહપતિ આવીને લાલજીને આશ્રમની અંદર ક્યારે લઈ જાય છે તે જોવા લાગ્યા.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

પ્રેમ જીત્યા વિના સહઅસ્તિત્વ શક્ય નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|12 October 2023

રમેશ ઓઝા

કોઈએ કલ્પના નહોતી કરી કે આવું બનશે. છઠ્ઠી ઓક્ટોબર ૧૯૭૩ના રોજ અનવર સાદતના નેતૃત્વમાં ઈજિપ્તે ઇઝરાયેલ પર હુમલો કર્યો એની બરાબર ૫૦મી વરસીના દિવસે, ગાઝા સ્ટ્રીપમાં સક્રિય હમાસ નામના ત્રાસવાદી જૂથે ઇઝરાયેલ પર હુમલો કર્યો અને જગત જોતું રહી ગયું. મોટી સંખ્યામાં યહૂદીઓને મારી નાખવામાં આવ્યા અને એટલી મોટી સંખ્યામાં યહૂદીઓને બાન પકડવામાં આવ્યા છે. જેને બાન પકડવામાં આવ્યા છે તેમાં અમેરિકન નાગરિકોનો પણ સમાવેશ થાય છે, એમ અમેરિકન પ્રમુખ જો બાયડને કહ્યું છે.

હમાસ અને એ સમયના ઈજીપ્ત વચ્ચે કોઈ તુલના ન થઈ શકે. હમાસ ઈજીપ્તની તુલનામાં દસમાં ભાગની પણ શક્તિ નથી ધરાવતું, પણ તેનો ઈરાદો ઇઝરાયેલના ઘમંડી વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુનું નાક કાપવાનો ઈરાદો હતો, અને તેમાં તેને સફળતા મળી ગઈ છે. નેતાન્યાહુ જેવો સ્વઘોષિત કૃતસંકલ્પ નેતા, મોસ્સાદ જેવું વિશ્વનું શ્રેષ્ઠ ગુપ્તચરતંત્ર અને પેગાસસ જેવાં જાસૂસી માટે ઉપયોગી સ્પાઈવેર કામમાં ન આવ્યાં. ભારત સરકારે વિરોધ પક્ષના નેતાઓ અને પત્રકારો પર જાસૂસી કરવા પેગાસસની ખરીદી કરી હતી. એમાં કોઈ શંકા નથી કે યુદ્ધમાં અંતિમ વિજય ઇઝરાયેલનો થવાનો છે. ઇઝરાયેલ પાસે હમાસ કરતાં અનેકગણી લશ્કરી શક્તિ છે. ઇઝરાયેલની પાછળ અમેરિકા અને બીજાં પાશ્ચાત્ય રાષ્ટ્રો છે. હમાસને કોઈ દેશનો સીધો ટેકો નથી. હમાસ આ જાણે છે, પણ હમાસનો હુમલો કરવા પાછળનો ઈરાદો ઇઝરાયેલને હરાવવાનો નહોતો, નાક કાપવાનો હતો. નેતાન્યાહુનું નાક કપાઈ ગયું અને હમાસનું કામ થઈ ગયું.

પણ એક પ્રશ્ન છે, બાન પકડવામાં આવેલા ઇઝરાયેલીઓ અને અમેરિકનોનો. અચાનક પેલેસ્ટાઇનના એક સિનિયર નેતા અને સંસદસભ્ય મુસ્તફા બારઘોટીએ હમાસ વતી આગળ આવીને ઓફર કરી છે કે જો ઇઝરાયેલની જેલમાં કેદ ભોગવતી પેલેસ્ટીની મહિલાઓને છોડવામાં આવે તો હમાસ બાન પકડવામાં આવેલા ઇઝરાયેલના નાગરિકોને સાટે આપવા તૈયાર છે. અને બીજા તબક્કામાં જો ઇઝરાયેલ તમામ પેલેસ્ટીની પુરુષોને છોડવા તૈયાર હોય તો સાટામાં હમાસ બાન પકડવામાં આવેલા ઇઝરાયેલી સૈનિકોને છોડવા તૈયાર છે. હમાસના કબજામાં કેટલા ઇઝરાયેલીઓ અને અમેરિકનો છે અને ઇઝરાયેલની જેલમાં કેટલા પેલેસ્ટીનીઓ છે એ આપણે જાણતા નથી. એક વાત નક્કી છે કે લગભગ હજારેક યહૂદીઓ હમાસના હુમલામાં માર્યા ગયા છે.

પોતે કે પોતાનાં લોકો મરે એનાથી ત્રાસવાદીઓને કોઈ ફરક પડતો નથી. ત્રાસવાદ આના ઉપર જ ટક્યો છે. જે મરે છે એ જન્નતના અધિકારી બને છે એમ તેઓ કહે છે. પણ જે દેશ પર હુમલો કરવામાં આવ્યો હોય ત્યાંના શાસકો પર તેની જરૂર અસર પડે છે અને જો કોઈ દેશ લોકશાહી ધરાવતો હોય તો ઘણી મોટી અસર થાય છે. નેતાન્યાહુ હબક ખાઈ ગયા છે, બાકી હમાસને તો ખબર જ છે કે હુમલાની તેણે કિંમત ચૂકવવી પડશે.

સમસ્યા એ છે કે ઇઝરાયેલમાં જડભરત યહૂદીઓની એક જમાત છે. એમાં અનિવાસી યહૂદીઓમાંથી તો કેટલાક હજુ વધુ જડભરત છે. અનિવાસી ભારતીયોની જેમ. તેમને એમ લાગે છે કે વતન ગુમાવ્યા પછી પણ જે પ્રજા યહૂદી ધર્મને ટકાવી રાખે, ઇઝરાયેલી અસ્મિતા ટકાવી શકે, સદીઓ પછી વતન પાછું મેળવી શકે, દુ:શ્મનો વચ્ચે ઘેરાયેલું હોવા છતાં અસ્તિત્વ ટકાવી રાખી શકે, વિકાસ સાધી શકે, જગતને શસ્ત્રો વેચી શકે એ પ્રજા કેવી પ્રતાપી હશે! વાત તો સાચી, પણ એ પ્રતાપનો શ્રેય તેઓ તેમનાં પુરુષાર્થને નથી આપતાં, યહૂદી હોવાપણાને આપે છે. આપણે જગતની શ્રેષ્ઠ પ્રજા છીએ એટલે અજેય છીએ. આપણે ત્યાં પણ કહેવામાં આવે છે ને કે આપણે (માત્ર હિંદુ) જગતની શ્રેષ્ઠ પ્રજા છીએ એટલે વિશ્વગુરુ છીએ.

આવા જડભરત યહૂદીઓ સાવ હાંસિયામાં નથી અને પહેલાં પણ નહોતા. એ લોકોએ ૧૯૯૫માં ઇઝરાયેલના વડા પ્રધાન યિત્ઝાક રેબીનની હત્યા કરી હતી, કારણ કે રેબીને પેલેસ્ટીની નેતા યાસર અરાફત સાથે ઓસ્લો સમજૂતી કરી હતી. ઓસ્લો સમજૂતી માટે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનારા રેબીનને જડભરત યહૂદીઓએ દેશદ્રોહી જાહેર કર્યા હતા અને દેશદ્રોહીની તો હત્યા જ કરવાની હોય. એમાં બન્યું છે એવું કે અત્યારે નેતાન્યાહુની સરકાર લઘુમતીમાં છે એટલે દરેક અર્થમાં ગામના ઉતાર જેવો, પણ પોતાને સવાયો દેશપ્રેમી તરીકે ઓળખાવનારો ઝનૂનીઓનો ઝનૂની ઇતમાર બેન-ગ્વીરનો ટેકો લેવો પડે છે અને પેલો નચાવે છે. આ બાજુ નેતાન્યાહુ પણ ઝેર ઓકવામાં અને બાવડાનું પ્રદર્શન કરવામાં ગ્વીરને પાછળ રાખી શકે એમ છે. ટૂંકમાં ઝનૂની લોબીને કારણે અને અનિવાસી ઝનૂની યહૂદીઓ તેમને ધન મોકલતા હોવાને કારણે આરબ-ઇઝરાયેલ સહ અસ્તિત્વ શક્ય બનતું નથી.

ધર્મઝનૂની ઇઝરાયેલીઓ કહે છે કે પેલેસ્ટાઇનમાં એક જ રાષ્ટ્રીયતા છે અને તે યહૂદીઓની, કારણ કે તે ઇસ્લામ પૂર્વેની પ્રાચીન છે. ઇઝરાયેલી યહૂદીઓ અને પેલેસ્ટીની મુસલમાનો એમ બે રાષ્ટ્રીયતા છે અને એ બે રાષ્ટ્રીયતાએ એકબીજાનો સ્વીકાર કરવો જોઈએ એમ દ્વીરાષ્ટ્ર થિયરીના પ્રવક્તાઓ કહે છે. તેઓ સમજૂતી ઈચ્છે છે. એડવર્ડ સિદ નામના વિશ્વ વિખ્યાત વિચારકે કહ્યું હતું કે પેલેસ્ટાઇનમાં એક માત્ર આરબ નામની વાંશિક (એથનિક) રાષ્ટ્રીયતા છે જે યહૂદીઓ અને ઇસ્લામ એમ બે ધર્મમાં વહેંચાયેલી છે, જેમ ભારતમાં ભારતીયતા એ રાષ્ટ્રીયતા છે જેમાં અનેક ધર્મોને માનનારા લોકો રહે છે. ગાંધીજીએ પણ આ જ સલાહ આપી હતી. પ્રેમ જીત્યા વિના સહઅસ્તીત્વ શક્ય નથી. દાદાગીરી કરીને કોઈ પ્રજા કાયમ માટે સુખેથી ન જીવી શકે પછી ભલે એ ગમે તેટલી બળુકી હોય. પણ ઝનૂનીઓ સ્થિતિ થાળે પાડવા દેતા નથી અને હવે તો ઝનૂનીઓ રાજ કરે છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 12 ઑક્ટોબર 2023

Loading

હિરોશિમા ડે – વિવેકહીન વિજ્ઞાનની વિનાશકતાનો પુરાવો 

સોનલ પરીખ|Opinion - Opinion|12 October 2023

ચિયોકાને લાગ્યું એની પીઠ પરથી માંસ ઊતરડાઈ ગયું છે. દીકરી સામે જોયું તો એના ચહેરાની જગ્યાએ લાલ ગરમ મીણ જેવો ગળેલો ગઠ્ઠો હતો. એ ચીસ પાડવા ગઈ, અવાજ નીકળ્યો નહીં. ચારે તરફ ગળતા શરીરો, અવયવો ઊડતાં હતાં. દઝાડતી રાખનું વિરાટ વાદળ આકાશ તરફ ગયું અને આકાશમાંથી કાળો વરસાદ વરસ્યો … અમેરિકા તરફ જતા વિમાનના ક્રુની આંખ ફાટી ગઈ હતી, ‘માય ગૉડ! વૉટ હેવ વી ડન!!’

સોનલ પરીખ

અમેરિકન વાયુસેનાનું બી-29 એનોલા ગે વિમાન ઊડ્યું ત્યારે રાત્રે પોણાત્રણ વાગ્યા હતા. કેલેન્ડરમાં તારીખ હતી 6 ઑગ્સ્ટ 1945. સાથે બીજા બે વિમાન હતાં. એનોલા ગે વિમાનના પેટમાં 3.5 મીટર લાંબો 4 ટન વજનનો બૉમ્બ પડ્યો હતો.

આઠ વાગીને તેર મિનિટે વિમાન જાપાનના હિરોશીમા શહેર પર પહોંચ્યું. સવા આઠે બૉમ્બ ફેંકાયો. 43 સેકન્ડમાં ધડાકો થયો. વૃક્ષો ધુણી ઊઠ્યાં, મકાનો ધ્રૂજી ગયાં, ધરતી ધણધણી. તત્ક્ષણ આગનો વિરાટ ગોળો દેખાયો. બીજા વિમાનના પાયલોટ ચાર્લ્સ સ્વીનીએ એનો ફોટો પાડ્યો.

શિટોયામા સ્કૂલ પાસે 29 વર્ષની ચિયોકા એની છ વર્ષની દીકરીનો હાથ પકડી ઊભી હતી. અચાનક કાન ફાડી નાખે એવા ધડાકા સાથે આંખો આંજી દેતા આગનો વિરાટ ગોળામાં બધું ઢંકાઈ ગયું. ચિયોકાને લાગ્યું એની પીઠ પરથી માંસ ઊતરડાઈ ગયું છે. દીકરી સામે જોયું તો એના વાળ ઊભા થઈ ગયા હતા, ચહેરાની જગ્યાએ લાલ ગરમ મીણ જેવો ગળેલો ગઠ્ઠો હતો. એ ચીસ પાડવા ગઈ, અવાજ નીકળ્યો નહીં. ચારે તરફ ગળતા શરીરો, અવયવો ઊડતાં હતાં. દઝાડતી રાખનું વિરાટ વાદળ આકાશ તરફ ગયું અને આકાશમાંથી કાળો વરસાદ વરસ્યો … અમેરિકા તરફ જતા વિમાનના ક્રુની આંખ ફાટી ગઈ હતી, ‘માય ગૉડ! વૉટ હેવ વી ડન!!’

ત્રણ દિવસ પછી 9 ઑગસ્ટના દિવસે ફરી અમેરિકન યુદ્ધવિમાનોએ દેખા દીધી. ટાર્ગેટ હતું ઔદ્યોગિક શહેર કોકુરા. વાદળોને લીધે નિશાન લઈ શકાતું નહોતું. કૅપ્ટનને સંદેશો મળ્યો, ‘નેક્સ્ટ ટાર્ગેટ. નાગાસાકી.’ અને નાગાસાકી શહેર પર 4050 કિલોનો બૉમ્બ ઝીંકાયો. એ જ વિસ્ફૉટ, એ જ ભીમકાય અગનગોળો, એ જ ગળતાં-ઊડતાં શરીરો, એ જ રાખનું મશરૂમ-વાદળ ને એ જ કાળો વરસાદ. નાગાસાકીના દરિયામાં તરતી ને કિનારે લાંગરેલી તમામ નૌકાઓ સળગતી હતી.

લડાયક, આક્રમક, અજેય જાપાન સ્તબ્ધ હતું. આ બૉમ્બ, અત્યાર સુધી વપરાયેલા બૉમ્બ કરતાં 2000 ગણા વધુ શક્તિશાળી હતા. 2 લાખ લોકો તાત્કાલિક માર્યા ગયા. એટલા જ ઘાયલ થયા. ઘા ન પડ્યો હોય તેવાની ચામડી પણ કિરણોત્સર્ગની દાહક અસરમાં ભુંજાઈ ગઈ. અનેક કિલોમીટર સુધીનો પ્રદેશ રાખ થઈ ગયો. ગરમ રાખનાં મશરૂમ વાદળની 18 કિલોમીટર ઊંચે ગયાં – માઉન્ટ એવરેસ્ટ કરતાં બમણી ઊંચાઈ હતી આ. જાપાનના વડા પ્રધાન બારોન કાંતારો સુઝુકીએ તાકીદની મિટિંગ બોલાવી અને 15 ઑગસ્ટે ‘ઈટ ઈઝ ટાઈમ ટુ બેર ધ અનબેરેબલ’ શબ્દો સાથે હાર સ્વીકારી. બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો. જાપાન શરણે ન થયું હોત તો ત્રીજો બૉમ્બ તૈયાર જ હતો.

0

જરા પાછળ જઈએ. વિશ્વ પર બીજું વિશ્વયુદ્ધ તોળાઈ રહ્યું હતું. જર્મનીની પરમાણુ-બૉમ્બ બનાવવાની તૈયારી જોઈ લિયો ઝિલાર્ડ, યુજેન વિગ્નર અને ઍડવર્ડ ટેલર નામના હંગેરિયન ભૌતિકશાસ્ત્રીઓએ આલ્બર્ટ આઇનસ્ટાઇનને, આ અંગે પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ ઉપર પત્ર લખવા માટે પ્રેર્યા. 1939માં આઈન્સ્ટાઈને પત્ર લખ્યો. થોડા જ મહિનામાં તત્કાલીન પ્રમુખ રૂઝવેલ્ટે આદેશ આપ્યો કે જર્મની પહેલાં પરમાણુ-બૉમ્બ જેવું શસ્ત્ર પ્રાપ્ત કરવા માટે અમેરિકાએ પ્રયાસ કરવો. વિશ્વયુદ્ધ શરૂ થઈ ચૂક્યું હતું. 1942ના મધ્યભાગમાં અમેરિકાના ઉદ્યોગપતિઓ, વિજ્ઞાનીઓ અને લશ્કરે આ આખો કાર્યક્રમ હાથમાં લીધો. તેને મેનહેટ્ટન પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું. સાડત્રીસ વર્ષના, યુરોપમાં ભણેલા, સંસ્કૃત શીખેલા યહૂદી અમેરિકન વિજ્ઞાની જુલિયસ રોબર્ટ ઓપનહેમરની અધ્યક્ષતામાં ન્યૂ મેક્સિકોની લૉસ આલ્મોસની પ્રયોગશાળામાં ગુપ્તપણે પણ ધમધોકાર કામ ચાલ્યું. કહે છે કે આ પ્રોજેક્ટ પર લગભગ 6 લાખ લોકોએ કામ કર્યું હતું.

16 જુલાઈ 1945ના દિવસે ટ્રિનીટી ટેસ્ટ થઈ. ભયાનક અગનવિસ્ફૉટ જોઈ ઓપનહેમર બોલી ઊઠ્યો, ‘કાલોસ્મિ લોકક્ષયકૃત્પ્રવૃદ્ધો, લોકાન્સમાહર્તુમિહ પ્રવૃત્ત …’ (હું લોકોનો નાશ કરવા આગળ વધેલો, લોકોને હણવા પ્રવૃત્ત થયેલો કાળ છું) આ શબ્દો એણે પોતાના માટે વાપર્યા હતા કે પોતે શોધેલા શસ્ત્રનું રૌદ્ર રૂપ જોઈ તેને વિભૂતિયોગમાં વર્ણવેલું કૃષ્ણનું વિરાટ સ્વરૂપ યાદ આવ્યું હતું? બીજા વિશ્વયુદ્ધનો અંત આણવામાં નિમિત્ત બનેલા અણુબૉમ્બના સર્જક ઓપનહેમરનું ગીતા સાથેનું કનેક્શન આજકાલ ખૂબ ચર્ચામાં છે. ટ્રિનીટી ટેસ્ટની 78મી જયંતીના દિવસે 6 જુલાઈ 2023માં રિલિઝ થયેલી ફિલ્મ ‘ઓપનહેમર’ની આ અસર છે.

0

પણ જાપાન જ કેમ? દરેક ઘટનાને એના સંદર્ભ સાથે જોવી જોઈએ. 12મી સદીના સમુરાઈ-સંસ્કૃતિ આવી ત્યારથી જાપાન આક્રમક, યુદ્ધખોર અને રાજ્યવિસ્તારપિપાસુ રહ્યું હતું. પહેલા વિશ્વયુદ્ધમાં તે જર્મની સામે મિત્રરાજ્યો સાથે લડ્યું હતું. યુદ્ધ પૂરું થયા પછી તેનાં આક્રમણો ચાલુ રહ્યાં. ચીનના પ્રદેશો જીતવા તેણે આઠ વર્ષ યુદ્ધો કર્યાં. દરમિયાન બીજું વિશ્વયુદ્ધ ચાલુ થયું. જાપાને ફ્રેંચ ઈંડોચાઈના જીત્યું અને ચીન, મલાયા, સિંગાપોર, હોંગકોંગ પર હુમલા ચાલુ રાખ્યા. જ્યાં જાય ત્યાં લોકો પર ક્રૂર અત્યાચાર કરે. 20મી સદીમાં તેનું સામ્રાજ્ય ખૂબ વિસ્તર્યું હતું. કોરિયા અને ચીનમાં લશ્કરી અત્યાચારની સાથે જ કમ્ફર્ટ વીમેનને નામે અમાનવીય ઐયાશીની કોઈ સીમા જાપાને છોડી નહોતી. જાપાને કરેલા અત્યાચારો એશિયન હોલોકાસ્ટ તરીકે ઓળખાય છે.

આ જાપાને ડિસેમ્બર 1941માં બીજા વિશ્વયુદ્ધમાં પર્લ હાર્બર પર હુમલો કરી અમેરિકાને છંછેડ્યું અને અમેરિકા વિશ્વયુદ્ધમાં જોડાયું. અમેરિકા યુદ્ધમાં પ્રવેશતાંની સાથે મિત્રરાજ્યો(ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, સોવિયેત સંઘ વગેરે)ને અમેરિકાની શસ્ત્રસામગ્રી, વિમાનો, ટૅન્કો, સૈન્ય વગેરેની વિપુલ સહાય પ્રાપ્ત થતાં યુદ્ધની સ્થિતિ પલટાઈ ગઈ. 1945ના એપ્રિલ મહિનામાં જર્મની ઘેરાયું અને હિટલરે આત્મહત્યા કરી. ઈટલીના મુસોલિનીનું ખૂન થયું.

જાપાન શરણે આવતું નહોતું. મિત્રરાષ્ટ્રોએ જાપાનનાં 67 શહેરો પર સતત છ મહિનાઓ સુધી અગન-ગોળા વરસાવ્યા અને પોટ્સડેમ ઘોષણાપત્ર દ્વારા આખરી ચેતવણી આપી, ‘જો જાપાન શરણાગતિ નહીં સ્વીકારે તો, જાપાન પર એવો હુમલો થશે, કે જાપાનનાં લશ્કરી દળોનો સંપૂર્ણ વિનાશ થશે અને જાપાનની ભૂમિ સદંતર ઉજ્જડ બનશે’ જુલાઈ 26ના આ સરકારી પત્રમાં અણુબૉમ્બનો ઉલ્લેખ નહોતો. જુલાઈ 28ના, જાપાની અખબારોમાં જાપાન સરકારે આ ઘોષણાપત્ર નકારી દીધાના અહેવાલો છપાયા.

બૉમ્બ ફેંકવા માટે હંમેશાં અમેરિકા જાપાનને જ જવાબદાર ગણાવે છે પણ જાણકારોનું માનવું છે કે આવા વિધ્વંસક હુમલાની કોઈ જરૂર નહોતી. આ હુમલો થયો એના ત્રણ મહિના પહેલાં જ યુરોપમાં તો યુદ્ધ પૂરું પણ થઈ ગયું હતું. એક મહિનાથી જાપાની સેના પીછેહઠ કરવા લાગી હતી, એશિયામાં યુદ્ધ પૂર્ણ થયું હોવાની માત્ર ઔપચારિકતા જ બાકી હતી. પણ જાપાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ઘણો વધી ગયો હતો. જાપાન ઈન્ડોચાઇના વિસ્તારમાં પોતાનો કબજો મજબૂત કરવા માગતું હતું, જે અમેરિકાને પસંદ ન હતું.

એથી અમેરિકાના ત્યારના પ્રમુખ હેરી ટ્રુમેને જાપાનને પાઠ ભણાવવા અને પોતાનો અહમ સંતોષવા હિરોશિમા-નાગાસાકી પર બૉમ્બ ફેંકી જ દીધા. ઇતિહાસકાર એલપરોરિત્ઝના મતે અમેરિકા સોવિયત સંઘથી શક્તિના મામલે આગળ વધવા માગતું હતું અને આ બે બોમ્બ ફેંકીને તેણે પોતાનું શક્તિ-પ્રદર્શન કર્યું હતું. હિરોશિમા અને નાગાસાકી પર બોમ્બ ફેંકનાર વિમાનના એકપણ ક્રુ-મેમ્બર હયાત નથી, પણ હુમલા બાદ જ્યારે તેમના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા ત્યારે તેમણે કહેલું કે આ બોમ્બ ફેંકીને અમે કોઈ જ ભૂલ કરી નથી કેમ કે બૉમ્બ ફેંક્યો એને કારણે જ બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયું.

જ્ઞાન-વિજ્ઞાન સાથે વિવેક ન હોય ત્યારે મહાબુદ્ધિશાળીઓ પણ સાચાખોટાનો ભેદ પારખવામાં થાપ ખાય છે. ઓપનહેમર જેનાથી પ્રભાવિત છે એ ગીતા કહે છે કે આસુરી બુદ્ધિને યોગ્યાયોગ્યભેદ હોતો નથી અને જેને શોચ્ય (જેને માટે શોક કરવો પડે) કે સત્યનો અર્થ ખબર નથી, એ બુદ્ધિને આસુરી બનતા વાર લાગતી નથી – પછી વાત ડાયનેમાઈટની હોય, એટમબૉમ્બની હોય કે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની હોય.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 06 ઑગસ્ટ  2023

Loading

...102030...814815816817...820830840...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved