Opinion Magazine
Number of visits: 9665806
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—234

દીપક મહેતા|Opinion - Opinion|10 February 2024

મુંબઈના કોઈ રસ્તાની ધારે 

સમી સાંજના શમિયાણામાં ધીમો ધીમો ધૂપ જલે છે                    

ઉમાશંકર જોશીએ ક્યાંક એક કિસ્સો નોંધ્યો છે. એક દિવસ યુનિવર્સિટીથી ઘરે જવા નીકળ્યા અને રસ્તામાં ચંપલ તૂટી. સારે નસીબે થોડે દૂર ઝાડ નીચે એક ઘરડો મોચી બેઠો હતો. તેમની પાસે જઈને ચંપલ રિપેર કરવા આપી. રિપેર થઈ ગઈ એટલે મોચી કહે : ‘લો સાહેબ! તમારી ચંપલ.’ ઉમાશંકર ઉવાચ : ‘ભાઈ! મને ‘સાહેબ’ કહેવાની જરૂર નથી. તમે તો ઉંમરમાં મારાથી મોટા છો.’ મોચીએ તરત જવાબ આપ્યો: ‘તમને કોણ કહે છે? હું તો તમારી અંદર જે ‘સાહેબ’ બેઠો છે તેને કહું છું.’ આ સાંભળીને ઉમાશંકર અવાચક. પણ આજે આ વાત યાદ આવવાનું કારણ? કારણ આજે મિસિસ પોસ્ટાન્સ સાથે બજારમાં ફરતાં સૌથી પહેલી વાત કરવી છે બૂટ-ચંપલની દુકાનની. 

૧૯મી સદીમાં બનેલો હાથી દાંતના નકશીકામવાળો પટારો 

એ જમાનાના મુંબઈમાં બૂટ-ચંપલ વેચતી દુકાનો બહુ ઓછી. અને તૂટેલાં પગરખાં સમાં કરી આપનાર મોચી તો એનાથી ય ઓછા. કારણ? મિસિસ પોસ્ટાન્સના કહેવા પ્રમાણે ચમાર, મોચી, વગેરે ‘અસ્પૃશ્ય’ વર્ગના ગણાય અને એટલે ‘ઉજળિયાત’ વર્ગના લોકો ન તેમની પાસેથી કશું ખરીદે કે ન કશું સમુંનમું કરાવે. બલકે ઘણા લોકો તો કાં પગમાં લાકડાની કે શણ જેવા જાડા કપડાની સપાટ પહેરે, કે પછી ઉઘાડે પગે જ બહાર પણ ચાલે. મંદિરોમાં તો ઉઘાડે પગે જ દાખલ થવું પડે. હા, વિદેશીઓ માટે બજારમાં બે-ચાર દુકાનો ખરી. મોટે ભાગે બંગાળી કારીગરોની. બારેક શિલિંગમાં ત્યાંથી એક જોડ મળી જાય ખરી, પણ કામ ઘણું કાચું. એ લોકો પરદેશી પગરખાંનું અનુકરણ કરવાની મહેનત કરે, પણ તેમાં ખાસ સફળ થાય નહિ. અને એમાં ય પરદેશી સ્ત્રીઓ માટે તો પગરખાંની મુશ્કેલી સૌથી વધુ. ‘જેક્સન’ જેવું અંગ્રેજી નામ ધરાવતી એક દુકાન બજારમાં છે ખરી. એ તમને એકાદ પરદેશી જૂનું કેટલોગ બતાવીને તેમાંથી ડિઝાઈન પસંદ કરવા કહે. તમે પસંદ કરો. બે ચાર દિવસ પછી લેવા જાવ અને જુઓ તો પેલા કેટલોગમાંની ડિઝાઈન અને તમારી સામે જે જોડી મૂકાય તેની વચ્ચે આસમાન-જમીનનો ફરક હોય! અને અહીંના ચમારો ચામડાને પૂરતું કમાવતા જ નથી. એટલે બે-પાંચ મહિનામાં તો તમારાં પગરખાં ચીંથરા જેવાં થઈ જાય. 

તો બીજી બાજુ પરદેશીઓને અચરજ થાય એવી વસ્તુઓ પણ મુંબઈની બજારમાં વેચાય છે. આવી એક તે હાથી દાંતની કોતરણી કામ કરેલી વસ્તુઓ. સફેદ બાસ્તા જેવા હાથી દાંતની પટ્ટીઓ પર જે રીતે રંગબેરંગી કપચી કામ કરવામાં આવે છે તે ખરેખર ખૂબ સુંદર હોય છે. ગ્રેટ બ્રિટનથી અહીં આવતા ઘણાખરા લોકો આ જાતની એક-બે વસ્તુ તો પોતાની સાથે લઈ જ જાય છે. એટલે હવે યરપમાં પણ આ સુંદર નકશીકામ ઘણું જાણીતું થયું છે. આવું કામ કરેલા નાના ડબ્બાથી માંડીને ટેબલ-ખુરસી સુધીની વસ્તુઓ અહીં મળે છે. કેટલીક વસ્તુઓની તો આખેઆખી સપાટી જ આ રીતે બનાવેલી હોય છે. તો કેટલીકમાં માત્ર બોર્ડર તરીકે જ તે જોવા મળે છે. વળી કેટલીક વાર તેમાં ચાંદીનો પણ ઉપયોગ થાય છે. આ કળા મૂળ તો સિંધ પ્રદેશની છે, પણ હવે મુંબઈમાં તેના કારીગરો ઘણા જોવા મળે છે. અને કારીગરો દુકાનમાં બેસીને જ કામ કરતાં હોય છે. એટલે તમારી જરૂરિયાત કે રુચિ પ્રમાણેની વસ્તુ પણ બનાવી આપે છે. અને મહેનત મજૂરીની સરખામણીમાં આ વસ્તુઓ પ્રમાણમાં સસ્તામાં મળી રહે છે. હા, ભાવ-તાલ કરવાની આવડત તમારામાં હોવી જોઈએ. અને જો તમારે આવી ઘણી બધી વસ્તુ ખરીદવી હોય તો કારીગર તમારે ઘરે આવીને તમારી જરૂરિયાત પ્રમાણે બનાવી આપે એવી સગવડ પણ થઈ શકે છે. 

પણ મુંબઈની બજારમાં સૌથી વધુ નફાકારક ધંધો કયો? તાડી વેચવાનો. બજારમાં દરેક છઠ્ઠી દુકાન તાડીની જોવા મળે છે. આવી દુકાનોની સંખ્યા એટલી તો વધી ગઈ છે કે તે અંગે હવે સરકારે કાયદો કરવો પડ્યો છે. તે પ્રમાણે તાડીની બે દુકાનો વચ્ચે અમુક અંતર રાખવાનું ફરજિયાત છે. જેમની ફરજ કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે તેમનું કહેવું છે કે તાડીના વધતા જતા વેચાણને કારણે નાના ગુનાઓનું પ્રમાણ સતત વધતું રહ્યું છે. 

તાડ પર ચડતો ભંડારી

અલબત્ત, સૂર્યોદય પહેલાં આ રસ – જેને અહીંના લોકો ‘નીરો’ કહે છે – ઠંડો અને સ્ફૂર્તિદાયક હોય છે. પણ સૂર્યોદય પછી તેમાં આથો આવતો જાય છે અને બને છે તાડી. અને આ તાડી પીધા પછી માણસ છકી જાય છે. અને અહીંના લોકો સોજ્જો મજાનો નીરો પીવાને બદલે નુકશાનકારક તાડી જ પીવાનું પસંદ કરે છે! તાડી બનાવવાનું કામ મુંબઈમાં જોરશોરથી ચાલે છે કારણ અહીં ઠેર ઠેર તાડનાં ઝુંડનાં ઝુંડ જોવા મળે છે. અરે! અહીં તો એક ગલ્લીનું નામ જ છે તાડવાડી! મુંબઈની સમથળ જમીન પર ડાંગરની ખેતી થાય છે, જ્યારે જરા ઉબડખાબડ જમીન પર તાડ અને નાળિયેરીની વાડીઓ જોવા મળે છે. આવી વાડીવાળાઓએ ઝાડ દીઠ સરકારને વરસે એક રૂપિયાનો વેરો ભરવો પડે છે. પણ આ ઝાડની પછીથી ઝાઝી સારસંભાળ રાખવી પડતી નથી, અને ઝાડ લાંબા વખત સુધી આવકનું સાધન બની રહે છે. એટલે અહીંના લોકો આવી વાડીઓ પસંદ કરે છે. આમ તો તાડના હર કોઈ ઝાડમાંથી તાડી મળી રહે, પણ પંખા આકારનાં ઝાડની તાડી સૌથી વધુ સારી – એટલે કે સૌથી વધુ માદક – હોવાનું મનાય છે. 

તાડીની દુકાન 

તાડીના ધંધામાં મોટે ભાગે ભંડારીઓની બોલબાલા છે. માછીમારોની જેમ આ ભંડારીઓ પણ મુંબઈના મૂળ વતનીઓ હોવાનું મનાય છે. તો કેટલાક કહે છે કે ના. તેઓ મુંબઈ નજીકના દરિયા કિનારેથી અહીં આવીને વસ્યા. વંશપરંપરાગત રીતે તેમનામાં તાડનાં ઊંચાં ઊંચાં ઝાડ પર ઝડપભેર ચડી જવાની કૂનેહ હોય છે. આ ઝાડના થડ પર કુદરતી રીતે જ જે ખાંચા ખાંચા હોય છે તેનો ઉપયોગ કરીને અને સલામતી માટે કમ્મરે દોરડું બાંધીને તે ઝાડની ટોચ સુધી પહોંચે છે. મોટા ભાગના ભંડારીઓ માથે કિરમજી રંગની ટોપી પહેરે છે કે એ જ રંગનું કપડું વીંટાળે છે. ગળામાં કપડાનો કટકો બાંધેલો હોય છે, જે સૂરજનાં આકરાં કિરણોથી તેને બચાવે છે. શરીરનો નીચેનો ભાગ ચામડાના હાફ પેન્ટ જેવા કપડાથી ઢંકાયેલો હોય છે. તેના પર વીંટાળેલા દોરડામાં જરૂરી સાધનો ખોસેલાં હોય છે. ચામડાના પટ્ટા સાથે જોડેલા દોરડાને બીજે છેડે હુક હોય છે જેને તે કુશળતાથી ઝાડના થડમાં ભરાવી દે છે, જેથી તેને નીચે પડવાની બીક ન રહે. તાડનાં ઝાડની ટોચ પરથી જે તાડી મળે તે સૌથી સારી મનાય છે. એટલે તે છેક ટોચ સુધી જઈને થડમાં કાપા પાડે છે અને તાડી નીકળવા લાગે કે તરત માટીની માટલી બાંધી દે છે. રોજ સવાર-સાંજ બે વખત તે આ રીતે ઝાડ પર ચડે છે. તાડીથી ભરાઈ ગયેલી માટલી ઉતારી લે છે અને બીજી ખાલી માટલી તેની જગ્યાએ બાંધી દે છે.  

ચારસો- પાંચસો ઝાડવાળી તાડની વાડીનું દૃષ્ય મનોરમ હોય છે. દરેક ઝાડને મથાળે લાલ માટીની માટલી બાંધી હોય છે જે સૂરજના તડકામાં ચમકતી દેખાય છે. ભંડારીઓ આંખના પલકારામાં એક ઝાડ પરથી બીજા ઝાડ પર વાંદરાની જેમ કૂદી કૂદીને પહોંચી જાય છે. તો બીજા કેટલાક ઝાડ નીચે બેસીને પોતાના છરા વગેરેને ધાર કાઢતા હોય છે કે દોરડાની મજબૂતી તપાસતા હોય છે. નહિ નહિ તો ય પચાસ ફૂટ ઊંચા ઝાડ પર સડસડાટ ચડી જવું એ કાંઈ ખાવાના ખેલ નથી. એમાં જીવનું જોખમ પણ ખરું. પણ અનુભવી ભંડારીઓ તો કશી પરવા કર્યા વગર સડસડાટ ઉપર ચડી જાય છે. અને આ કાંઈ એક ઝાડ પર ચડવાની વાત નથી. એક પછી એક કેટલાંયે ઝાડ પર રોજ સવાર-સાંજ ચડે છે ને ઊતરે છે. ઝાડની ટોચ પર પહોંચ્યા પછી આસપાસનું જે દૃષ્ય દેખાય તે તો ઘણું મનોરમ હોય જ. પણ ઝાડ પર ચડેલા ભંડારીની તેજ નજર નીચે ભોંય પર જે બનતું હોય છે તે પણ નોંધતી રહે છે. એમની તીક્ષ્ણ નજર કશુંક પણ અસાધારણ દેખાય તો આપોઆપ તેની નોંધ લઈ લે છે. અંધારાના ઓળા ઊતરે પછી તાડની વાડીમાંથી પસાર થતા રાહદારીઓને ચોર-લૂંટારાનો ભો રહે છે. સોના-ચાંદીનાં ઘરેણાં કે રોકડ રકમ, જે હાથ આવે તે પડાવી લેવા માટે વટેમારગુને ઢોર માર મારતાં આ લૂંટારા અચકાતા નથી. પણ એમને ખબર હોતી નથી કે તેમનો આ કાળો કામો કોઈક ઝાડની ટોચ પરથી એકાદ ભંડારી જોઈ ગયો છે. આવા કિસ્સામાં ઘણી વાર માત્ર એકાદ ભંડારીની જુબાનીને પ્રતાપે ગુનેગાર જેલના સળિયા ગણતો થઈ જાય છે. 

સંધ્યા સમયે તાડની વાડી 

તાડ, નાળિયેરી, ખજૂરી, વગેરેને આપણે તો ‘પામ ટ્રી’ જેવા એક જ નામે ઓળખીએ છીએ. પણ એ દરેકને પોતાનો આગવો દેખાવ, આગવો પ્રભાવ હોય છે. આવી કેટલીક વાડીઓમાં સ્થાનિક ધનિકોના નાના બંગલા પણ આવેલા હોય છે. જો કે અહીં તેઓ કાયમ માટે રહેતા નથી. પણ શનિ-રવિમાં કે વાર તહેવારે આરામ ફરમાવવા અહીં આવે છે. તો વળી કેટલાક લોકો લગ્નેતર સંબંધો માટે આવા બંગલાનો ઉપયોગ કરતા હોય છે. જો કે તેમણે ભંડારીની બાજ નજરથી સતત બચતા રહેવું પડે છે. 

સાંજ ઢળવા લાગે ત્યારે લોકો ઝડપભેર પોતપોતાના ઘર તરફ જવા નીકળી પડે છે અને શહેરના રસ્તા પર ભીડ થઈ જાય છે. બજારમાંના લોકો હવે રસ્તા પર ઠલવાતા જાય છે, અને બજાર ખાલી થતી જાય છે. માલ-સામાન લઈને જતાં બળદ ગાડાંનાં કિચુડ કિચુડ કરતાં પૈડાં ધૂળની નાની નાની ડમરી ઉડાડતા જાય છે. એ ડમરી પર પડતાં આથમતા સૂરજનાં કિરણો કોઈક જૂદું જ મનોરમ દૃષ્ય ખડું કરી દે છે. અને એ જ વખતે રસ્તાની ધારે આવેલી કોઈ દરગાહ પાસેથી લોબાનના ધૂપની સુવાસ વાતાવરણમાં ફેલાતી રહે છે. 

અંગ્રેજ બાનુની આ વાત વાંચતાં આપણને તો કવિ વેણીભાઈ પુરોહિતની પંક્તિઓ યાદ આવે :

સમી સાંજના શમિયાણામાં ધીમો ધીમો ધૂપ જલે છે.

વહાલાં જેને જાય વછોડી, એ હૈયું ગુપચૂપ જલે છે.

આવતે અઠવાડિયે આ અંગ્રેજ બાનુની સાથે જશું માટુંગા.

e.mail : deepakbmehta@gmail.com 

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 10 ફેબ્રુઆરી 2024)

Loading

રિઝાવા, ખિજાવા, ભસવા અને કરડવાની અથશ્રી શ્વાન કથા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|10 February 2024

ચંદુ મહેરિયા

પત્રકારત્વના વિદ્યાર્થીઓને સમાચાર કોને કહેવાય તે શિખવતાં કહેવામાં આવે છે કે કૂતરું માણસને કરડે તે સમાચાર નથી, પણ માણસ કૂતરાને કરડે તે સમાચાર છે. કૂતરું માણસને કરડે તે સાવ નાની અમથી કે સમાચાર મૂલ્ય વગરની ઘટના  હશે ત્યારે સમાચાર વિશેની આ સમજ કદાચ સાચી હશે. પરંતુ આજે તો કૂતરાં કરડવાથી, ખાસ તો શહેરી વિસ્તારોમાં , લોકો એટલા ત્રાહિમામ્‌ છે કે કોઈ અખબાર તેના રિપોર્ટરને કૂતરાં અને ગાયના ત્રાસ અંગેના સમાચારની બીટ ફાળવે તો હવે નવાઈ નહીં. 

કૂતરું માનવીનું વફાદાર અને રક્ષક સાથી છે. તેનો માલિક અને તેના પરિવાર સાથે ભાવનાત્મક સંબંધ રચાય છે. તાલીમથી તે વધુ સજ્જ બને છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં ૬.૨ કરોડ રખડતાં શેરી કૂતરાં છે તો ૩.૧૦ કરોડ પાળેલાં કૂતરાં છે. એકલા અમદાવાદ શહેરમાં આશરે પોણા ચાર લાખ આવારા કૂતરાં છે. એટલે કે પચાસ અમદાવાદીએ એક કૂતરું છે. આમ તો માનવી અને કૂતરાંનું સહઅસ્તિત્વ વરસો પૂરાણુ છે, પરંતુ હમણાં હમણાંથી તેમની વચ્ચે અંતર વધ્યું છે. 

શ્વાનની સોબત તે રીઝે તો ય અને ખીજે તો ય માનવી માટે દુ:ખદાયી છે. તેના ઘણા અજીબ કિસ્સા બને છે. ૨૦૧૫માં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેનો પાલતુ શ્વાન તેમના પત્ની શર્મિલા ઠાકરેને કરડ્યો હતો. કહે છે કે તેમનો પગ થોડો ડોગીના શરીર પર આવી ગયો એટલે તે ખિજાયો અને શર્મિલામેડમના ચહેરા પર બચકા ભર્યાં. કૂતરાંના દાંતે ચહેરાના હાંડકાંને એવું તો કરડી ખાધું હતું કે પાંસઠ ટાંકા લેવા પડ્યા અને પછી પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડી હતી.

અમેરિકી પ્રેસિડન્ટ જો બાઈડનના જર્મન શેફર્ડ પ્રજાતિના બે પેટ ડોગ્સ મેજર અને કમાન્ડરે વ્હાઈટ હાઉસના સ્ટાફ અને સિક્રેટ સર્વિસના લોકો પર ડઝનબંધ હુમલા કર્યા પછી તેમને વ્હાઈટ હાઉસમાંથી તગેડી મૂકવા પડ્યા છે. હમણાં ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપ્રમુખ માલ્દોવનાની સત્તાવાર મુલાકાતે હતા તે દરમિયાન પ્રેસિડેન્ટ ભવનમાં ફરી રહ્યા હતા ત્યારે માલ્દોવનાના રાષ્ટ્રપ્રમુખના પાંચેક પેટ ડોગ્સ બાંધેલા જોઈને ઓસ્ટ્રિયન પ્રમુખ તેમને વહાલ કરવા લાગ્યા તો એક ડોગીએ તેમને બચકુ ભર્યું. આ ઘટનાથી યજમાન દેશના પ્રમુખ બહુ મુંઝાઈ ગયા તેમણે વારંવાર માફી માંગી અને વધુ ભીડ જોઈને કૂતરું કરડ્યાનો ખુલાસો કર્યો. અમેરિકન બુલી પ્રજાતિના ડોગ્સના હુમલાથી બ્રિટનનમાં ચૌદ લોકોના મોત થયા પછી વડા પ્રધાન ઋષિ સુનકે આ નસ્સલનાં કૂતરાં પર એક વરસ માટે પ્રતિબંધ મૂક્યો છે. કાઁગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમના માતા સોનિયા ગાંધીએ એક પેપ ગિફ્ટ કર્યું .રાહુલે તેનું નામ નૂરી રાખ્યું એટલે મુસ્લિમ નેતાઓને તે મુસ્લિમ દીકરીઓનું અપમાન લાગ્યું. ૨૦૨૩ના અંતિમ મહિને ૫૭ ટકા જેટલી ભારે બહુમતીથી પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા ઓસ્ટ્રિયાના વર્તમાન પ્રમુખે તેમનો વિજ્ય તેમના પાળેલા કૂતરાઓને અર્પણ કર્યો હતો. કટ્ટર જમણેરી અને અરાજક મૂડીવાદી તરીકે જાણીતા આ રાષ્ટ્રપ્રમુખે સોંગદવિધિથી પરત ફરતાં રસ્તામાં તેમનો કાફલો એક ડોગીને જોઈને થોભાવી દીધો હતો અને તેને રમાડવા લાગ્યા હતા.  

પાળેલાંની જેમ રખડતાં કૂતરાં કરડવાના અને હુમલાના પણ અજાયબ બનાવો બને છે. ગયા વરસના નવેમ્બરમાં કચ્છના એક ગામે હડકાયું કૂતરું ભેંસની પાડીને કરડ્યું. પાડીને હડકવાની અસર થઈ તે દરમિયાન તેણે ભેંસ માતાનું દૂધ પીધું . ભેંસના માલિકે ભેંસનું દૂધ ગામમાં સવાસો ઉપરાંત લોકોને વેચ્યું હતું. એટલે તે સૌને પણ હડકવાની અસર થવાની ભીતિ ઊભી થતાં સૌને રસી મૂકાવવી પડી હતી. બાળકો, વૃદ્ધો, શારીરિક રીતે કમજોર વ્યક્તિઓ અને મહિલાઓ શેરીશ્વાનના હુમલાઓનો સવિશેષ ભોગ બને છે .ઘણાના મૃત્યુ પણ થયા છે. પરંતુ રાજ્યના પાટનગર ગાંધીનગરના શેરી ડાઘિયાઓએ તો એક વાનરને ફાડી ખાધો હતો.

ભારતમાં વરસે કૂતરા કરડવાના લગભગ પોણા બે કરોડ બનાવો બને છે. આ આંકડામાં નોંધાયેલા અને વણનોંધાયેલા બનાવોનો સમાવેશ થાય છે. લોકસભા  પ્રશ્નના જવાબમાં ૨૦૨૦થી ૨૦૨૨ના ત્રણ વરસોમાં દેશમાં કુલ ૮૫.૧૪ લાખ કૂતરા કરડવાના બનાવો સરકારી ચોપડે નોંધાયા હોવાનું જણાવાયું છે. આ ગાળામાં ગુજરાતમાં ૭.૯૩ લાખ કેસો બન્યા હતા. એ હિસાબે દેશમાં રોજના પોણા આઠ હજાર અને ગુજરાતમાં સવા સાતસો લોકોને કૂતરાં કરડે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ પ્રમાણે ભારતમાં હડકવાને કારણે દરા વરસે ૨૦,૦૦૦ લોકોના મોત થાય છે. હડકવાને લીધે સમગ્ર વિશ્વમાં થતાં મોતમાં ભારતનો હિસ્સો એક તૃતીયાંશ છે. વળી ભારતમાં હડકવાથી થતાં મોતના કુલ કિસ્સામાં અડધા કરતાં વધુ મોત પંદર વરસથી નીચેની ઉંમરના બાળકોનાં હોય છે. 

અનુભવીઓ અને નિષ્ણાતોના મતે કૂતરાંઓના  આક્રમક  બનવાના, લોકો પર હુમલા કરવાના અને કરડવાના કારણોમાં – મોસમમાં બદલાવ, હોર્મોન્સમાં ફેરફાર, ગલુડિયાના જન્મ સમયે માદા શ્વાન તેના રક્ષણ માટે વધુ સજાગ, લોકો દ્વારા કૂતરાંની પજવણી, ઉશ્કેરણી કે માર મારવો, કૂતરાંના ખોરાકમાં થયેલો ફેરફાર, મેટિંગ સિઝન હોવી, ટીનેજરો દ્વારા તેને છંછેડવા-નો સમાવેશ થાય છે. આ કારણો ઘટી શકે કે દૂર થઈ શકે તો કૂતરાનો ત્રાસ ઘટાડી કે દૂર કરી શકાય અને માનવી સાથેનું તેનું સહઅસ્તિત્વ બની રહે. 

 ભારતની પેટ ડોગ ઈકોનોમીનું કદ આ દાયકાના અંતે ૨૨,૦૦૦ કરોડનું થવાની સંભાવના હોય, મહાનગર મુંબઈમાં પેટ ડોગના ટ્રેનરનો કલાકનો ચાર્જ મ્યુઝીક ટીચર કરતાં બે ગણો હોય ત્યારે શું પાળેલાં કે શું રખડતાં – તમામ કૂતરાં વિશે સરકાર અને સમાજે ગંભીર બનવું પડશે. કૂતરાંને પકડીને દૂર મૂકી આવવાથી તેની સંખ્યા ઘટતી નથી કે તેને મારી નંખાતા નથી. તેથી તેની વસ્તી નિયંત્રિત કરવા માટે  ખસીકરણ એક ઉપાય છે. તેનાથી કૂતરાંની વસ્તી ઘટી છે પણ તે  કરડવાના બનાવો ઘટ્યા નથી. એન્ટી રેબિક્સ વેક્સિન અને ખસીકરણ માટે અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લાં ત્રણ વરસોમાં ૯.૧૯ કરોડનો ખર્ચ કર્યો હતો. પરંતુ ધાર્યું પરિણામ મળ્યું નથી. 

હવે તો કૂતરાંનો ત્રાસ ન્યાયની દેવડીએ પહોંચ્યો છે અને દેશની સર્વોચ્ચ અદાલત સુધી ગયો છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રખડતાં કૂતરાના હુમલાનું નાણાંકીય વળતર માન્ય રાખ્યું છે. અદાલતે પીડિતના શરીર પરના કૂતરાના એક દાંત દીઠ રૂ.૧૦,૦૦૦ અને જો માંસ બહાર આવ્યું હોય તો ૨ ઈંચના ઘા માટે રૂ.૨૦,૦૦૦ ઠેરવ્યા છે. આ ચુકાદામાં માનવીના પશુથી રક્ષણની રાજ્ય સરકારોની જવાબદારી નક્કી કરી છે. પહેલાં બોમ્બે હાઈકોર્ટે અને પછી સુપ્રીમ કોર્ટે રખડતાં કૂતરાંને ખાવાનો અને નાગરિકોને તેમને ખવડાવવાનો અધિકાર માન્ય રાખ્યો છે. રાષ્ટ્રીય હડકવા નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ભારત સરકાર ૨૦૩૦ સુધીમાં દેશમાંથી હડકવા નાબૂદ કરવા સંકલ્પબધ્ધ છે અને ૯૭ ટકા હડકવાના કેસો કૂતરાં કરડવાથી થાય છે ત્યારે આ કૂતરાંનું શું કરીશું ?

e.mail : maheriyachandu@gmail.com   

Loading

કોમન સિવિલ કોડ કોમન નથી…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|10 February 2024

રવીન્દ્ર પારેખ

ઉત્તરાખંડ, યુનિફોર્મ સિવિલ કોડ / કોમન સિવિલ કોડ (U.C.C./C.C.C) લાગુ કરનારું દેશનું પહેલું રાજ્ય બન્યું છે. ધ્વનિ મતથી યુનિફોર્મ સિવિલ કોડ બિલ વિધાનસભામાં પસાર થયું છે ને તેને રાજ્યપાલની મંજૂરી મળશે તો કોમન સિવિલ કોડ કાયદા તરીકે રાજ્યમાં લાગુ થશે. ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કર ધામીએ બંધારણના ઘડવૈયાઓએ જે સપનું સેવ્યું હતું તે કોમન સિવિલ કોડ તરીકે ધરતી પર ઇતિહાસ રચી રહ્યું છે – તેના સાક્ષી બનવા બદલ ગૌરવની લાગણી અનુભવી હતી ને અપેક્ષા રાખી હતી કે U.C.C./C.C.C. અન્ય રાજ્યો પણ લાગુ કરશે. ધામીએ એમ પણ કહ્યું કે આ કાયદાનો ઉદ્દેશ તુષ્ટિકરણનો નહીં, પણ સમાજમાં સમાનતા લાવવાનો છે. રાજ્યપાલની મંજૂરી મળશે તો લિવ ઇન રિલેશનશિપ પર કાનૂની સકંજો કસાશે. લિવ ઇન હવે રજિસ્ટર કરાવવાનું થશે ને તેમ નહીં થાય તો 6 મહિનાની સજા અને 25,000ના દંડની જોગવાઈ આ નવા કાયદામાં છે. આ સિવાય પતિ કે પત્ની જીવિત હોય એ સ્થિતિમાં બીજા લગ્ન ગેરકાનૂની ગણાશે. સિવિલ કોડ લગ્ન અને સંપત્તિ સંબંધી કેસમાં લાગુ થઈ શકે છે. અત્યાર સુધી ધર્મ, જાતિ રીતરિવાજ, પરંપરા આધારિત અલગ અલગ કાયદાઓ હતા. એ સંદર્ભે મુસ્લિમો માટે મુસ્લિમ પર્સનલ લૉ હતો, તો હિન્દુઓ માટે હિન્દુ મેરેજ એક્ટ લાગુ થતો હતો. એવી જ રીતે શીખ, ઈસાઈ માટે પણ પર્સનલ લૉ હતા.

ભવિષ્યે દેશમાં કોમન સિવિલ કોડ લાગુ થાય તો જાતિ, ધર્મના અલગ અલગ કાયદા નાબૂદ થશે ને બધાને જ સમાન કાયદો લાગુ થશે. તે લાગુ કરતી વખતે જાતિ/ધર્મને અલગ રીતે ન જોતાં, દરેકને સામાન્ય નાગરિક તરીકે જ જોવાશે. સાધારણ રીતે મુસ્લિમ પુરુષ ચાર લગ્ન કરી શકે છે, પણ કોમન સિવિલ કોડ લાગુ થાય તો તે ચાર લગ્ન નહીં કરી શકે. એ જ રીતે કોઈ હિન્દુ, પત્ની હયાત હોય તો બીજી પત્ની કરી શકતો નથી. એટલું છે કે કોમન સિવિલ કોડ આખા દેશમાં લાગુ થાય તો સ્ત્રીઓને તથા સંતાનોને ઠીક ઠીક રક્ષણ મળી શકે એમ છે.

અત્યારે તો ઉત્તરાખંડમાં U.C.C. લાગુ થયો છે, તો ત્યાં શું ફેર પડશે? કોઈ પણ જાતિ, ધર્મની વ્યક્તિને મિલકતમાં જે તે વ્યક્તિનાં મૃત્યુ પછી પણ, સમાન અધિકાર મળશે. તે પુત્ર હોય કે પુત્રી, બંનેનો મિલકત પર સમાન અધિકાર રહેશે. મરણોત્તર સંદર્ભે, પત્ની અને બાળકો વચ્ચે સમાન વહેંચણી મિલકતની થશે. એ ઉપરાંત વ્યક્તિનાં માતાપિતાને પણ મિલકતમાં સમાન અધિકાર મળશે. અગાઉ આ હક માત્ર મૃતકની માતા પૂરતો જ સીમિત હતો, તે હવે વધુ વ્યાપક થશે.

U.C.C. મુજબ લગ્નના એક વર્ષ પહેલાં કોઈ પણ યુગલ છૂટાછેડા માટે કોર્ટમાં જઇ શકશે નહીં. લગ્ન કોઈ પણ ધાર્મિક વિધિથી થયા હોય તો પણ, છૂટાછેડા કાનૂની પ્રક્રિયાથી જ શક્ય બનશે. છૂટાછેડાની બાબતમાં એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે પતિ-પત્ની પાસે અલગ થવાનાં સરખાં કારણો કે આધાર હોય તે જરૂરી છે. કારણો કોઈ એકને જ હોય તો છૂટાછેડા મળી શકશે નહીં. છોકરીઓ લગ્ન પહેલાં ગ્રેજ્યુએટ થઈ શકે એ માટે ઉંમર 21ની કરવાની વાત છે, તે સિવાય અન્ય જાતિ-ધર્મ માટે છોકરીઓની લગ્નની ઉંમર 18ની હશે. બીજી અનેક જોગવાઇઓ C.C.C.માં થઈ હશે, પણ લિવ ઇન રિલેશનશિપ અંગે આ કાયદો વધુ કડક થવા જઇ રહ્યો છે. ઉત્તરાખંડમાં જે કોઈ લિવ ઇન-માં રહેતાં હોય તેમણે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. હવે લિવ ઇનથી થતાં બાળકને પણ કાનૂની રક્ષણ મળી શકે એમ છે. બાળકને પિતા અને માતાનું નામ મળશે. એક તબક્કે લિવ ઇન રિલેશનશિપની નોંધણીના વિચારને સુપ્રીમકોર્ટે મૂર્ખામીભર્યો ગણાવ્યો હતો તે સંદર્ભે કોઈ લિવ ઇન સંદર્ભે કોર્ટમાં જાય તો કાયદો કેટલું રક્ષણ કરશે તે પ્રશ્ન જ છે. તે એટલે પણ કે લિવ ઇનમાં સૂચવાયેલા આ ફેરફારો તેને લગ્નથી ખાસ અલગ રાખે એમ નથી. લગ્ન અને લિવ ઇન વચ્ચે ખાસ ભેદ જ ન રહેવાનો હોય તો તે અલગ અલગ રાખવાનો કોઈ અર્થ ખરો? ગમ્મત તો એ પણ છે કે લિવ ઇનમાં થયેલા ફેરફારો અનુસૂચિત જનજાતિના લોકોને લાગુ પડશે નહીં. અત્યારે તો સમાન નાગરિક ધારો માત્ર ઉત્તરાખંડના આદિવાસીઓને લાગુ પડશે નહીં. રાજ્યમાં થારુ, બોક્સા, રાજી, ભોટિયા અને જૌનસારી સમુદાયોમાંથી તમામને આ કાયદાથી દૂર રાખવામાં આવ્યા છે. આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ તેમના રાજ્યના આદિવાસીઓને કોમન સિવિલ કોડ-C.C.C.થી દૂર રાખવાની જાહેરાત કરી છે.

કેન્દ્રની ભા.જ.પ. સરકારે સત્તામાં આવવા પહેલાં અયોધ્યામાં રામમંદિર, 370ની નાબૂદી જેવી વાતો ચૂંટણી ઢંઢેરામાં કરી હતી, તેમાં યુનિફોર્મ સિવિલ કોડની વાત પણ હતી. સારી વાત એ છે કે ભા.જ.પે. આપેલા વાયદાઓ પાળ્યા છે. 2024ની ચૂંટણી ટાણે જ ઉત્તરાખંડે કોમન સિવિલ કોડ લાગુ કર્યો છે, તો દેખીતું છે કે અન્ય ભા.જ.પ. શાસિત રાજ્યો પણ તેને અનુસરે. એકાદ રાજ્યમાં કોમન સિવિલ કોડ લાગુ પડે તેટલા પરથી આખા દેશ પરની તેની અસરોનું અનુમાન થઈ શકે નહીં. બીજી મહત્ત્વની વાત એ કે બંધારણમાં આનુષાંગિક સુધારા કર્યા વગર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનું વાજબી નથી. કોમન સિવિલ કોડથી પર્સનલ લોઝ નાબૂદ થાય ને જે તે ધર્મ કે જાતિના લોકોને મળતા બંધારણીય અધિકારો ચાલુ રહે ને બંધારણની કલમ 25માં ધાર્મિક સ્વાતંત્ર્યનો સ્પષ્ટ ઉલ્લેખ હોય, તો ગૂંચ વધે એમ બને. આખા દેશમાં કોમન સિવિલ કોડ લાગુ થાય એ ઇચ્છનીય છે, પણ આગળ ઉપર તે લાગુ કરવા જતાં મુશ્કેલીઓ વધવાની શક્યતાઓ છે. આજે તો ભા.જ.પ. કેન્દ્રમાં પૂરતું વર્ચસ્વ ધરાવે છે ને 2024ની ચૂંટણીમાં વાતાવરણ પૂરેપૂરું ભા.જ.પ.ની તરફેણનું છે, પણ કોમન સિવિલ કોડ લાંબો સમય પ્રભાવી રહે એવું લાગતું નથી, તેનું કારણ એ છે કે આ દેશ અનેક ધર્મ, સંપ્રદાય, જાતિમાં વહેંચાયેલો છે અને દરેકને જે તે ધર્મ પાળવાનો બંધારણે અધિકાર આપ્યો છે. દેશમાં એક જ જાતિ કે ધર્મ હોય તો કોમન સિવિલ કોડ લાગુ કરવાનું સરળ થઈ પડે, પણ બંધારણીય અધિકારની રુએ દરેક જાતિ-ધર્મને તેનાં અલગ આચાર વિચાર ને કર્મકાંડો છે, રીતરિવાજો છે, સંસ્કારો છે. એ પ્રકારે આઝાદી પછીનાં 77 વર્ષથી વધુના સમયગાળામાં દરેકની માન્યતાઓ બંધાઈ છે, દૃઢ થઈ છે. આવી દૃઢતા પછી, કોમન સિવિલ કોડ જડબેસલાક રીતે લાગુ કરવાથી, વૈયક્તિક અધિકારો પર તરાપ મારવા જેવું થશે ને એ બધા ધર્મ-જાતિના લોકોને મંજૂર ન હોય એમ બને.

ઉત્તરાખંડમાં હજુ તો કાયદો લાગુ થયો નથી, પણ વિરોધ શરૂ થઈ ચૂક્યો છે. U.C.C.ની ગમે એટલી અનિવાર્યતા હોય તો પણ, તે એવે ટાણે લાગુ કરાય છે કે ઘણાંને તે પ્રોપેગેન્ડા જ લાગે. આ એટલે પણ શંકાસ્પદ છે કે એમાં કેટલુંક સગવડિયું પણ છે ને એટલે જ પારદર્શિતા ઓછી છે, જેમ કે, બધા માટે આ કોડ સમાન રીતે લાગુ કરવાની વાત હોય તો આદિવાસીઓને એમાંથી બાકાત રાખવાનું શું કારણ છે? કારણ એટલું અજાણ્યું નથી જ કે અટકળ થઈ ન શકે. વાત એ નથી, પણ કોમન સિવિલ કોડ બધાને જ સરખી રીતે લાગુ કરવાનો મુખ્ય હેતુ હોય તો તેમાં સરકાર જ અપવાદ કરે તો બીજા અપવાદ વધારે એમાં નવાઈ નથી.

કોમન સિવિલ કોડનો વાંધો મુસ્લિમોને વધારે છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડનું માનવું છે કે યુનિફોર્મ સિવિલ કોડ મુસ્લિમો પર અત્યાચાર સમાન છે. તે એટલે કે બહુપત્નીત્વ પર પ્રતિબંધ મુકાતા કાયદેસરના છૂટાછેડા વગર એકથી વધુ લગ્નનો અધિકાર કે મિલકતની શરિયત મુજબની વહેંચણીનો અધિકાર જેવા કેટલાક અધિકારો મુસ્લિમોએ જતા કરવા પડે એમ છે. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ તો કોમન સિવિલ કોડને મુસ્લિમોને તેમના ધર્મથી દૂર કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. TMC સાંસદ સૌગત રોયે પણ રોકડું કરી દીધું છે કે U.C.C. પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં થાય. આ કાયદાથી પોતાને અલગ રાખવાની આદિવાસીઓએ એવી કોઈ માંગ કરી હોવાનું ધ્યાનમાં નથી. જો માંગ ન કરી હોય ને સરકારે મત બેંકને આધારે આ નિર્ણય લીધો હોય તો અન્ય જાતિ-ધર્મના લોકો પોતાને આ કાયદાથી અલગ રાખવાની માંગ કરે તો તેની છૂટ સરકાર આપશે? જો U.C.C. મહિલા સશક્તિકરણની દિશામાં મહત્ત્વનું પગલું હોય, તો આદિવાસી મહિલાઓ તેમાંથી બાકાત રહે એ ઈચ્છવા જેવું ખરું? અરે, રામલલાના 56 ભોગમાં આદિવાસી ભોજનનો સમાવેશ કરવાની વાત હોય તો કોમન સિવિલ કોડમાંથી આદિવાસીઓને બાકાત રાખવાનું વાજબી છે? એમ લાગે છે કે પારદર્શિતાને મામલે કોમન સિવિલ કોડમાં ક્યાંક કશુંક ખૂટે છે …  

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 ફેબ્રુઆરી 2024

Loading

...102030...801802803804...810820830...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved