Opinion Magazine
Number of visits: 9456089
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|14 September 2025

નેપાળ આપણી બાજુમાં છે અને એટલે જ કેન્દ્ર સરકાર મૂક સાક્ષી બનીને બધો ખેલ જોયા કરે એવું શક્ય નથી. ત્રણ જ દિવસ સહરદ બંધ કરાઇ તો પણ તણાવ વધી ગયો, મુસાફરો ફસાઇ ગયા અને પેટ્રોલિયમના શિપમેન્ટ મોડા પડ્યા 

ચિરંતના ભટ્ટ

નેપાળમાં જેન-ઝીનો બળવો અને કે.પી. શર્મા ઓલીનું રાજીનામું ફક્ત સ્થાનિક ઘટના નથી. હિમાલયમાં ચીન-અમેરિકા વચ્ચેની ટક્કરની વચ્ચે આંદોલન દક્ષિણ એશિયાની જીઓ-પોલિટિક્સને હચમચાવી રહ્યું છે અને ભારત માટે પણ સીધી અસર કરે છે. અસમાનતા, ભ્રષ્ટાચાર અને સોશ્યલ મીડિયા પર પ્રતિબંધ—આ ત્રણ કારણોએ લાંબા સમયથી ભડકેલી અગ્નિને ભભૂકી બનાવી. નેપાળનું ભૌગોલિક સ્થાન હિમાલયમાં ચીન-યુ.એસ.એ. વચ્ચેની આકરી સ્પર્ધાની ફોલ્ટ લાઇન પર છે. નેપાળમાં જે થઇ રહ્યુ છે તેનો પડઘો આખા દક્ષિણ એશિયામાં પડે છે અને ભારતના હિતો પર પણ તેનો સીધો પ્રભાવ પડે છે. કોઇપણ આંદોલન પાછળ ઘણાં કારણો હોય પણ એક કારણ એવું હોય જે તત્કાલ કારણ બને અને લાંબા સમયથી સળગી રહેલો ભારેલો અગ્નિ દાવાનળની માફક ફેલાઇ જાય. 

2006ના રાજાશાહી પછી નેપાળનો રાજકીય લેન્ડસ્કેપ સતત અસ્થિર રહ્યો છે. 16 વર્ષમાં દેશમાં અલગ અલગ 10થી વધુ સરકારો રહી છે. ઓલીને માટે પોતાનું પદ ટકાવી રાખવું સાવ અશક્ય થઇ ગયું તેના સંદર્ભો સમજવા અનિવાર્ય છે. નેપાળ 2015માં સ્થાપિત ફેડરલ સંસદીય પ્રજાસત્તાક હેઠળ કાર્ય કરે છે, જ્યાં વડા પ્રધાનને 275 સભ્યોના પ્રતિનિધિ ગૃહમાં બહુમતી સમર્થનની જરૂર હોય છે. ઓલી પહેલેથી જ નબળા ગઠબંધન પર ટકેલા હતા. સોશ્યલ મીડિયા પ્રતિબંધ બાદ સાથી પક્ષોએ પણ વલણ બદલ્યું. ઓલી એકલા પડી ગયા અને રાજીનામું અનિવાર્ય બન્યું.

ઓલીનો ચીન તરફી ઝુકાવ સ્પષ્ટ હતો—‘વન-ચાઇના’ નીતિને ટેકો, તાઇવાનની સ્વતંત્રતાનો વિરોધ અને BRI પ્રોજેક્ટ્સ માટે ખુલ્લું આમંત્રણ. કાઠમંડુ પોસ્ટે લખ્યું કે નોન-અલાઇનમેન્ટનો દાવો હોવા છતાં ઓલીએ નેપાળને ચીનના ખોળે ધકેલ્યું. આ કોઈ તટસ્થ રાજદ્વારી અભિગમ નહોતો પણ એવી ભાષા હતી જેમાં બેઇજિંગની પ્રાથમિકતાનો પડઘો પડતો હતો. નાના આયાત આધારિત અર્થતંત્રમાં આવા ઝુકાવની ધારણા સુદ્ધાં બહુ જલદી આર્થિક અને રાજકીય વાસ્તવિકતામાં ફેરવાઇ જાય છે.

નેપાળમાં અમેરિકાના હિત હોવાની બાબત નવી નથી અને નાનીસૂની પણ નથી. 500-700 મિલિયન ડૉલર્સ મેલિનિયમ ચેલેન્જ કોર્પોરેશન (MMC) – કોમ્પેક્ટ – પ્રોજેક્ટ જેના કેન્દ્ર સ્થાને રસ્તા અને પાવર લાઇન્સ છે તે નેપાળમાં યુ.એસ.એ.ની સૌથી મોટી દેખીતી પહેલ છે અને તે ધ્રુવીકરણ માટે પણ એટલી જ જવાબદાર છે. નેપાળ-યુ.એસ.એ.ના સંબંધોની અસ્થિરતા પણ આ કોમ્પેક્ટ પ્રોજેક્ટ છતી કરે છે, પછી ભલેને તે બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધો માટે પાયાનો પથ્થર બની હોય. 2022માં વિરોધો અને વિવાદો પછી તેને મંજૂરી મળી. જો કે જ્યારે 2025માં ડોનાલ્ડ ટ્રમ્પ યુ.એસ.એ.માં સત્તા પર પાછા ફર્યા ત્યારે અન્ય દેશોને અપાતી આર્થિક સહાય સસ્પેન્ડ કરાઇ, તેમાં આ પ્રોજેક્ટ પણ અટકાવ્યો. આ સસ્પેન્શનને કારણે હજારો નેપાળી કામદારો બેરોજગાર થયા અને અધૂરો પ્રોજેક્ટ રખડી પડ્યો. આ ઊલટફેરની કાઠમંડુમાં આકરી ટીકા થઇ જેમાં એમેરિકાની તરફેણ કરનારાઓએ પણ એમ કહ્યું કે અમેરિકા પર વિશ્વાસ રખાય એવું નથી રહ્યું એટલે નેપાળે ચીન તરફ ઝુકવું પડે છે. જુલાઇ 2025માં ટ્રમ્પે આ પ્રોજેક્ટ પર રિસ્ટાર્ટનું બટન દબાવ્યું જેને ડેમેજ કન્ટ્રોલ તરીકે જોવામાં આવ્યું પણ ચાર મહિના થોભાવાયેલા પ્રોજેક્ટને કારણે અમેરિકા તરફ નેપાળનું વલણ ડગુમગુ તો થઇ જ ગયું હતું. MCCનું ભવિષ્ય યુ.એસ.એ.ના નીતિ પરિવર્તન પર આધારિત છે તેવું નેપાળને સમજાઇ ગયું છે. વાત માત્ર રસ્તા અને પાવર લાઇન્સની નથી. આ સાબિત કરે છે કે નેપાળમાં માળખાકીય સુવિધા ખડી કરવાને મામલે વોશિંગ્ટન બેઇજિંગના હાથમાં નેપાળના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ન જાય તેની પર ચાંપતી નજર રાખે છે. જો કે આમાં નેપાળની હાલત બે ઘરના પરોણા જેવી છે – બેઇજિંગને કંઇ મળતું નથી અને જેની પાસે પ્રોજેક્ટ પાર પાડવાની સત્તા છે તે અમેરિકા તેના અમલીકરણમાં અનિયમિત છે. 

નેપાળના સોશિયલ મીડિયા પર દાવો થયો કે અમેરિકન સંગઠનો આંદોલનને ગુપ્ત ટેકો આપે છે, પરંતુ આ દાવાની કોઈ ખરાઈ નથી. રોઇટર્સ, એ.પી. અને ટાઇમના મેઇન સ્ટ્રીમ અહેવાલો બાહ્ય ભંડોળ નહીં પણ ભ્રષ્ટાચાર, અસમાનતા, સગાંવાદને મળતા વિશેષાધિકાર અને સોશ્યલ મીડિયા પરના અચાનક પ્રતિબંધને જ આ આંદલોન માટે કારણભૂત ઠેરવે છે. 

20થી વધુ પ્લેટફોર્મ પર પ્રતિબંધે યુવાનોને ભડકાવ્યા. જે યુવાનો પહેલેથી જ ધનિકોને મળતા વિશેષાધિકાર અને બેરોજગારીને કારણે ગુસ્સામાં હતા તે આ પ્રતિબંધથી વિફર્યા. તેમનો અવાજ બંધ કરાયો અને ‘નેપો કિડ્ઝ’ને પૈસાનું પ્રદર્શન કરતા જોયા એટલે આંદોલનને જાણે નૈતિક વેગ મળ્યો. ઓલીની સ્થિતિ હચમચી ગઈ અને નાનકડો નેપાળ દેશ અરાજકતામાં લપેટાઇ ગયો. 

બેઇજિંગ માટે ‘વન-ચાઇના’ નીતિને ટેકો આપનારું નેપાળ તિબેટ સાથે જોડાયેલી સરહદો પરની સંવેદનશીલતા ઘટાડે છે, BRI કોરિડોર્સને સુરક્ષિત કરે છે અને કાઠમંડુમાં ભારતના વર્ચસ્વને પણ લડત આપે છે. ઓલીના વલણથી ચીનને જે જોઇતું હતું તે મળ્યું, નવી વચગાળાની સરકાર બેઇજિંગ વિરુદ્ધ ન થઇ શકે પણ જો નાણાંની તંગી હોય તો ચીન સાથેના સોદાઓની સમીક્ષા કરે, પારદર્શિતા પર સવાલ કરે અને તેનો પ્રભાવ મર્યાદિત કરે તેવી શક્યતા છે.

વોશિંગ્ટન માટે નેપાળ દક્ષિણ એશિયામાં પ્રભાવની કડીનો એક ભાગ છે—શ્રીલંકાના બંદરો, માલદીવ્સના બેઝિંગ મુદ્દા, બાંગ્લાદેશના કોરિડોર અને હિમાલયની વીજળી જોડાણ સાથે. અમેરિકા સમજી ગયું છે કે ફક્ત નાણાં પૂરાં પાડવાથી કામ ચાલતું નથી; લોકોની નજરમાં વિશ્વાસ જીતવો વધુ અગત્યનું છે. જો કાઠમંડુ ભ્રષ્ટાચારને ગુપ્ત વિદેશી નાણાં સાથે જોડે છે, તો પારદર્શક ટેન્ડર અને દેવાની જવાબદારી માટેની માંગણીઓ ચીનના મોડલને મર્યાદિત કરે છે અને MCC જેવા અનુદાનને પ્રોત્સાહન આપે છે. એટલા માટે અમેરિકા ભ્રષ્ટાચાર વિરોધી સુધારાઓ, ઇન્ટરનેટની સ્વતંત્રતા અને ચૂંટણીની સ્થિરતા—જેવી બાબતોને પણ પ્રોત્સાહન આપશે જેથી પોતે એક આદર્શ સાથી રાષ્ટ્ર હોવાના પોતાના પ્રભાવને તે મજબૂત કરી શકે.

નેપાળ આપણી બાજુમાં છે અને એટલે જ કેન્દ્ર સરકાર મૂક સાક્ષી બનીને બધો ખેલ જોયા કરે એવું શક્ય નથી. ત્રણ જ દિવસ સહરદ બંધ કરાઇ તો પણ તણાવ વધી ગયો, મુસાફરો ફસાઇ ગયા અને પેટ્રોલિયમના શિપમેન્ટ મોડા પડ્યા. ભારત માટે નેપાળ ફક્ત પડોશી નહીં પણ જીવનરેખા છે—વેપાર, ઇંધણ અને સુરક્ષા બધું ત્યાંથી જોડાયેલું છે. ત્યાં અસ્થિરતા એટલે તરાઈમાં ભાવ વધારો અને સરહદે જોખમ પણ. ભારતની માગ સીધી છે : કાયદેસર અને સ્થિર સરકાર, ખુલ્લો વેપાર અને વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સમાં પારદર્શિતા.

સુરક્ષા દૃષ્ટિએ પણ જોખમ મોટું છે. આ સંજોગોમાં જેલ તૂટવી અને સરહદ પાસે પોલીસિંગમાં ખામી એ વાતનો પુરાવો છે કે કાઠમંડુમાં થયેલો આંદોલન ઝડપથી સરહદ પાર ગુનાખોરી અને શરણાર્થીઓના પ્રવાહમાં ફેરવાઈ શકે છે. આ સાથે હાઇડ્રોપાવરને મામલે આપણે પરસ્પર એકબીજા પર નિર્ભર છીએ, ગોરખા ભરતીની સંવેદનશીલતાની વાત પણ છે તો સાથે નેપાળ-ભારતના લોકો એકબીજા સાથે ઘનિષ્ટતા ધરાવે છે – આ બધી બાબતો જોતા નેપાળમાં જે થાય તેની અસર ભારતની રોજિંદગી સ્થિરતા પર પણ પડે. 

રાજકીય રીતે તો ભારતની માગ સરળ છેઃ કાઠમંડુમાં એવી સરકાર હોવી જોઇએ જે કાયદાથી રચાઇ હોય, ભારતીય હિતોને સમજતી હોય અને વેપારને મામલે મુક્ત હોય, માહિતીના આદાન-પ્રદાનમાં નિષ્પક્ષ હોય અને કોઇ થર્ડ પાર્ટી સિક્યોરીટીનો ઉપયોગ ન થતો હોય. આ કરવા માટે નેપાળે ચીન વિરોધી થવાની જરૂર નથી પણ વ્યૂહાત્કમ પ્રોજેક્ટ્સ જેવા કે ડ્યુઅલ-યુઝેજ રોડ્ઝ, ટેલિકોમ, હાઇ-આલ્ટિટ્યુડ લોજિસ્ટિક્સમાં પારદર્શિતા રખાય એટલી અપેક્ષા તો પડોશી દેશ તરીકે ભારત રાખી જ શકે. તાત્કાલિક રીતે, ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કી જેવા નેતૃત્વ હેઠળની આંતરિક સરકાર મોટા દેશો પ્રત્યે દુશ્મનાવટ બતાવ્યા વગર શાસન સુધારવા માટે એક તક બની શકે છે.

ઓલીના રાજીનામાથી બાહ્ય શક્તિને નેપાળ પર કાબૂ કરવા નથી મળવાનો. નેપાળનું સાર્વભૌમત્વ જળવાઈ રહેશે પણ એ ત્યારે જ શક્ય છે જ્યારે નવી વ્યવસ્થા કાયદેસર કામગીરી પૂરી કરે. ભારતે ઇંધણ, વેપાર અને ચૂંટણીને ટેકો આપી નેપાળને સ્થિરતા લવવામાં મદદ કરવી જોઇએ. ચીન અને અમેરિકાએ સમજી લેવું પડશે કે આંદોલને સાબિત કર્યું કે નેપાળ પર પ્રભાવ પાડવો હશે તો ઠાલી વાતો નહીં નક્કર પરિણામો જોઇએ.

બાય ધી વેઃ 

એક વર્ગનું માનવું છે કે વોશિંગ્ટન પાકિસ્તાન, બાંગ્લાદેશ અને હવે નેપાળમાં અશાંતિને પ્રોત્સાહન આપે છે જેથી એશિયા અસ્થિર રહે, ડોલર મજબૂત રહે અને ચીન કાબૂમાં રહે. ખરેખર તો રાજકીય અર્થતંત્ર વધુ જટિલ છે. ડોલરની મજબૂતીનો આધાર વૈશ્વિક રિસ્ક સર્કલ અને રોકાણકારોની પસંદગી પર આધારિત છે. નાના એશિયન દેશોની અશાંતિનો તેની પર બહુ પ્રભાવ નથી પડતો પણ એક વાસ્તવિકતા એ પણ છે કે નાના મજબૂત થાય તો તેની નજીક રહેલા મોટા દેશને તાકાત મળે. જો નાના દેશો અસ્થિર હોય ત્યારે પડોશના મોટા દેશને બાજુવાળાની ઝાળ પોતાને ત્યાં ન લાગે તેની માથાકૂટમાં પડવું પડે. મોટાં સપનાં સિદ્ધ કરવાનું બાજુમાં મુકી તેમણે સુરક્ષાની લડાઇઓ કે વહારે ધાવાની કામગીરીમાં પડવું પડે. હા વોશિંગ્ટનની સ્પર્ધા છે માહિતી, સંસ્થાકીય ઘડતર, ભ્રષ્ટાચારનો વિરોધ, ઓપન ઇન્ટરનેટ, માળાખીય ધારા-ધોરણને મામલે કારણ કે આ બાબતો નક્કી કરે છે કે સત્તાની સોટી કોના હાથમાં રહેશે. ખા.નોં: યુએસ સંગઠનોએ તાજેતરના આંદોલનને ભંડોળ પૂરું પાડ્યું હતું” તેવા દાવાઓ વ્યાપકપણે ઓનલાઈન કરવામાં આવી રહ્યા છે પરંતુ 12 સપ્ટેમ્બર, 2025ના રોજ મુખ્ય પ્રવાહના અહેવાલો દ્વારા આ દાવને કોઈ સમર્થન અપાયેલું નથી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 સપ્ટેમ્બર 2025

Loading

શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?

રમેશ ઓઝા|Opinion - Opinion|14 September 2025

રમેશ ઓઝા

પહેલાં શ્રીલંકા, એ પછી બાંગ્લાદેશ અને હવે નેપાળ. ભારતના ત્રીજા પાડોશી દેશમાં લોકવિદ્રોહ થયો છે અને સત્તાધીશોએ માત્ર ખુરસી નથી ખાલી કરવી પડી, જીવ બચાવવા નાસવું પડ્યું છે. આ ઉપરાંત ઇન્ડોનેશિયામાં પ્રજા આંદોલિત છે અને ગોદી મીડિયાનું સેવન કરનારા વાચકોને જાણકારી નહીં હોય, ઇઝરાયેલમાં પણ લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે.

પણ શ્રીલંકા અને બાંગ્લાદેશની તુલનામાં નેપાળનો લોકવિદ્રોહ અલગ પ્રકારનો છે અને ભારતે ચેતવા જેવું છે. શ્રીલંકાનો વિદ્રોહ મુખ્યત્વે મોંઘવારી સામે હતો. અલગતાવાદી તમિળોનો ભય બતાવીને મહિંદા રાજપક્ષ અને તેનો ભાઈ ગોટાબાયા જોહુકમી કરતા હતા. બાંગ્લાદેશનો વિદ્રોહ બાંગ્લા વફાદાર અને બાંગ્લા ગદ્દાર વચ્ચે તિરાડ પાડીને શેખ હસીના વાજેદના એકહથ્થુ શાસન સામે હતો. હસીનાને સાથ આપનારા બાંગ્લા વફાદાર અને તેમને દરેક પ્રકારના લાભ આપવામાં આવતા હતા. એક દિવસ લોકોની ધીરજ ખૂટી અને શેખ હસીનાએ દેશ છોડીને નાસવું પડ્યું.

નેપાળી પ્રજાના વિદ્રોહમાં પ્રચંડ, વ્યાપક અને સર્વાંગી હતાશા છે. કશી જ આશા બચી નથી, લોકતાંત્રિક નેપાળનો પ્રયોગ નિષ્ફળ નીવડ્યો છે અને તેને માટે દરેક રાજકીય પક્ષ જવાબદાર છે. ન્યાયતંત્ર પર ભરોસો નથી, સંસદ પર ભરોસો નથી અને મીડિયા પર પણ ભરોસો નથી. લોકોએ આ ત્રણેય સંસ્થાઓને ટાર્ગેટ કર્યા છે. આગ લગાડવામાં આવી છે. સોશ્યલ મીડિયા પર અંકુશ મૂકનારો આદેશ જે મીડિયા ન સ્વીકારે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે એમાં કશું ખોટું નથી એવો ચુકાદો નેપાળની સર્વોચ્ચ અદાલતે આપ્યો હતો. અર્નબ ગોસ્વામીઓ નેપાળમાં પણ છે અને તેઓ ઘાટા પાડીને સરકારનું સમર્થન કરતા હતા. લોકોએ નેપાળના ગોદી મીડિયાના સંસ્થાનોને આગ લાગાડી. સંસદભવનને આગ લગાડી, કારણ કે તેમાં પણ નપાવટ રાજકારણીઓ બેસે છે. તેમનાં દરેકનાં સંતાનો લહેર કરે છે, કિંગ સાઈઝ જિંદગી જીવે છે, કેટલાક વિદેશમાં ઠરીઠામ થયા છે અને પ્રજાને નેપાળ મહાન, નેપાળી પ્રજા મહાનનો અમલ પિવડાવવામાં આવે છે.

મને જાણીતા અને ભરોસેમંદ યુ ટ્યુબર ધ્રુવ રાઠીનો વીડિયો સાંભળીને આશ્ચર્યજનક હકીકત જાણવા મળી કે ૧૫ હજાર નેપાળી યુવકો યુક્રેન સામે લડવા રશિયાના લશ્કરમાં ભરતી થયા હતા. તેમાંના કેટલાક ગોળીએ મર્યા અને કેટલાક ઠંડી સહન નહી થવાથી માર્યા ગયા. જે પાછા આવ્યા એની હાલત ખરાબ હતી. નકલી રાષ્ટ્રવાદ અને એટલા જ નકલી દેશપ્રેમની આ કિંમત હતી. કિંમત ચૂકવે છે કોણ? સામાન્ય પ્રજા. નેતાઓનાં સંતાનો (નેપો કિડ્ઝ) મસ્તી કરે છે. તેઓ ક્યારે ય ઝંડા લઈને રસ્તા પર ઉતરતા નથી.

શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી? કારણ કે બહુ વ્યવસ્થિતપણે શૂન્યાવકાશ પેદા કરવામાં આવ્યો છે. દરેકને અનુકૂળ બનાવો અને લોકતાંત્રિક સંતુલન ખોરવી નાખો. પ્રશ્ન કરનારો જશે ક્યાં? મીડિયા સાંભળશે નહીં, જજ ન્યાય નહીં આપે અથવા વિરોધમાં આપશે, વિરોધ પક્ષો વિરોધ પક્ષની ફરજ નથી નિભાવતા અને સંસદમાં ચર્ચા નથી થતી. ઊભા રહેવા માટે કોઈ જગ્યા જ નથી રહેવા દીધી. પ્રજા પાસે વાચા હતી, કાન નહોતા. કહેવા માટે એમ કહી શકાય કે નેપાળમાં લોકતંત્ર સાબૂત છે, કારણ કે પ્રજા વાણીસ્વાતંત્ર્ય ધરાવે, પણ કાન વ્યવસ્થિતપણે ફોડી નાખવામાં આવ્યા કાં બહેરા કરી નાખવામાં આવ્યા.

એક કાન બચ્યા હતા જેને સોશ્યલ મીડિયા કહેવામાં આવે છે. લોકો (ખાસ કરીને યુવકો) ગુસ્સો કરીને અથવા ઠઠ્ઠા મશ્કરી કરીને પોતાની ભડાશ કાઢતા હતા. ઘરમાં હવાદાની (વેન્ટીલેટર) બહુ જરૂરી હોય છે, નહીં તો ગુંગળામણ થાય. ૧૮૫૭માં ભારતમાં વિરોહ થયો એ પછી અંગ્રેજોએ પોતાની પહેલથી ભારતના નેતાઓને એકઠા કરીને ૧૮૮૫માં ઇન્ડિયન નેશનલ કાંગ્રેસની સ્થાપના કરાવી હતી. લોકોના મનમાં શું ચાલે છે એ સાંભળવા કાન જોઈએ અને કાઁગ્રેસ અંગ્રેજો માટે સામેથી ઉપલબ્ધ કરાવેલો કાન હતો. આવો અમે સાંભળવા તૈયાર છીએ. સાંભળવાનો અર્થ એવો નથી કે અમે તમારી વાત માની લેશું, પણ સાંભળશું ઈમાનદારીથી. ક્યારેક વાત સ્વીકારે પણ ખરા. શાસન કેમ કરાય એ અંગ્રેજોને આવડતું હતું. એટલે તો અડધું જગત કબજે કર્યું હતું અને ભારત પર બસો વરસ (૧૭૫૭-૧૯૪૭) રાજ કર્યું હતું.

નેપાળમાં ૩૨ સોશ્યલ મીડિયાને નોટિસ આપવામાં આવી કે તેઓ સરકાર પાસે રજીસ્ટ્રેશન કરાવે અને સરકારની ગાઈડલાઈન્સ સ્વીકારે. શા માટે? ફેક ન્યુઝ, દેશવિરોધી પ્રચાર, મહાન નેતાઓનાં ચારિત્ર્યહનનથી પ્રજાને બચાવે. પ્રજાનાં હિતમાં. ૩૨માંથી ૨૬ મીડિયાએ સરકારનો આદેશ સ્વીકાર્યો નહીં અને એમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટ્વીટર (એક્સ) વગેરેનો સમાવેશ થતો હતો. ચીનના ટીકટોકે આદેશ સ્વીકાર્યો હતો, પણ લોકો બાકીના મીડિયામાં વધુ સક્રિય હતા. બાંગ્લાદેશમાં જેમ શેખ હસીનાએ પોતાનાં પક્ષના વફાદારોને અનામતનો ફાયદો કરાવવા ત્યાંની સુપ્રીમ કોર્ટનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો એમ નેપાળની સરકારે ત્યાંની સુપ્રીમ કોર્ટનો સોશ્યલ મીડિયા પર અંકુશ લાદવા ઉપયોગ કર્યો. બસ, છેલ્લો અને ભરોસેમંદ કાન છીનવાયો અને લોકો રસ્તા પર ઉતરી પડ્યા. લોકોને લાગ્યું કે બધું જ મેનેજ કરવામાં આવી રહ્યું છે. ન્યાયતંત્ર, વહીવટીતંત્ર, મીડિયા અને એકંદરે લોકતંત્ર. આ સિવાય શાસકો સામે નિવૃત્તિ પછી કાનૂની કારવાઈ ન થઈ શકે એવો કાયદો પણ ઘડવામાં આવ્યો છે. કામ ધંધો છે નહીં, ત્યાં યુવાનો હસીમજાક, ઠઠ્ઠા મશ્કરી અને ક્વચિત ગુસ્સો કરીને પોતાને અભિવ્યક્ત કરતા હતા એ પણ છીનવી લેવામાં આવ્યું.

વિકલ્પનો શૂન્યાવકાશ કોઈ પણ સમાજ કે દેશ માટે ખતરનાક નીવડે છે. ડાહ્યા શાસકો સામેથી વિકલ્પ આપે છે જે રીતે અંગ્રેજોએ કાઁગ્રેસની સ્થાપના કરાવીને ભારતની પ્રજાને તેનાં પોતાનાં પ્લેટફોર્મનો વિકલ્પ આપ્યો હતો. જે રીતે ઇન્દિરા ગાંધીએ જમ્મુ અને કાશ્મીરના નેતા શેખ અબ્દુલ્લાને જેલમાંથી છોડીને તેમની સાથે સમજૂતી કરીને કાશ્મીરની પ્રજાને લોકતાંત્રિક વિકલ્પ આપ્યો હતો. પણ આ ડાહ્યા અને દુરન્દેશી ધરાવનારા શાસકોનાં લક્ષણો છે. રાજીવ ગાંધીમાં આટલી દુરન્દેશી નહોતી અને તેમણે ૧૯૮૭માં જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીમાં વિકલ્પ સાથે ચેડાં કર્યાં અને દેશ તેમ જ મુખ્યત્વે કાશ્મીરની પ્રજા આજ પણ તેની કિંમત ચૂકવી રહી છે.

છેલ્લે હિન્દી કવિ રાજેશ જોશીની પ્રસિદ્ધ કવિતા યાદ આવે છે, જેનું શીર્ષક છે ‘ઈત્યાદિ’.

કુછ લોગોં કે નામોં કા ઉલ્લેખ કિયા ગયા થા જિનકે ઓહદે થે બાકી સબ ઈત્યાદિ થે.
ઈત્યાદિ તાદાદ મે હંમેશાં હી જ્યાદા હોતે થે
ઈત્યાદિ ભાવતાલ કર કે સબ્જી ખરીદતે થે ઔર ખાના વાન ખા કર ખાસ લોગોં કે ભાષણ સુનને જાતે થે
ઈત્યાદિ હર ગોષ્ટિયોં મેં ઉપસ્થિતિ બઢાતે થે
ઈત્યાદિ જુલૂસ મેં તખ્તિયાં ઉઠાતે થે નારે લગાતે થે
ઈત્યાદિ લંબી લાઈનોં મેં લગ કર મતદાન કરતે થે
ઉન્હેં લગાતાર ઐસા ભ્રમ દિયા ગયા થા કિ વો હી
ઇસ લોકતંત્ર મેં સરકાર બનાતે થે
ઈત્યાદિ હંમેશાં હી આન્દોલનોં મેં શામિલ હોતે થે
ઇસલિએ કભી કભી પોલીસ કી ગોળી સે માર દિએ જાતે થે
જવ વે પુલિસ કી ગોલી સે માર દિએ જાતે થે
તબ ઉનકે વહ નામ ભી હમેં બતલાયે જાતે થે
જો સ્કૂલ મેં ભરતી કરવાતે સમય રખે ગએ થે
કુછ તો ઐસી દુર્ઘટના મેં ભી ઈત્યાદિ રહ જાતે હૈ.
ઈત્યાદિ યૂં તો હર જોખિમ સે ડરતે થે
લેકિન કભી કભી જબ વો ડરના છોડ દેતે થે
તો બાકી સબ ઉનસે ડરને લગતે થે.
ઈત્યાદિ હી કરને કો વો સારે કામ કરતે
જિનસે દેશ ઔર દુનિયા ચલતી થી
હાલાંકી ઉન્હેં ઐસા લગતા થા કિ વો એ સારે કામ
સિર્ફ અપના પરિવાર ચલાને કો કરતે હૈં
ઈત્યાદિ હર જઘ શામિલ થે પર ઉનકે નામ કહીં ભી
શામિલ નહીં હો પાતે થે
ઈત્યાદિ બસ કુછ સિરફિરે કવિયોં કી કવિતા મેં અક્સર દિખ જાતે થે.

                                                                                         − રાજેશ જોશી

ઇત્યાદિને વિકલ્પહીન કરશો તો તે એક દિવસ નહીં ડરવાનો વિકલ્પ અપનાવી લેશે અને કવિ કહે છે કે ઈત્યાદિ જબ ડરના છોડ દેતે થે તો બાકી સબ ઉનસે ડરને લગતે થે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 સપ્ટેમ્બર 2025

Loading

ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|14 September 2025

ગુરુવારે જૂનાગઢ ખાતેના ગુજરાત કાઁગ્રેસના ૪૫ જેટલા જિલ્લા અને શહેર પ્રમુખો સમક્ષ તેમની પ્રશિક્ષણ શિબિરમાં ગુજરાત મોડેલની વાત કરતાં જણાવેલા મુખ્ય મુદ્દા : 

નરેન્દ્ર મોદીએ ૨૦૦૧ પછી ગુજરાતમાં પાંચ પ્રકારના વર્ગો ઊભા કર્યા કે જેને ગુજરાત મોડલ તરીકે દેશમાં અને દુનિયામાં રજૂ કરવામાં આવ્યું :

(૧) એક છે લાભાર્થી વર્ગ : કહેવાતા વિકાસનો લાભ જેમને થયો તે આ વર્ગ. તેમાં છે બીલ્ડરો, ઉદ્યોગપતિઓ, હોટલપતિઓ, ઇવેન્ટ મેનેજરો, કાર્યક્રમના ઉદ્ઘોષકો, કેટરર્સ, દેશીવિદેશી ટેકનિકલ નિષ્ણાતો અને ચમચા અધ્યાપકો, સાહિત્યકારો, કથાકારો, મોટીવેશનલ સ્પીકરો વગેરે. તેમને સીધી કે આડકતરી રીતે જોરદાર આર્થિક લાભ થયો એટલે તેઓ મોદીની કથા કરે એ સ્વાભાવિક છે. 

(૨) બીજો છે અભિભૂત વર્ગ : આ વર્ગ કહેવાતા વિકાસથી અંજાઈ જાય છે. રિવર ફ્રન્ટ, અટલ બ્રિજ, સરદારનું પૂતળું, ફ્લાય ઓવર, સ્ટેટ હાઈવે, કાંકરિયા લેકફ્રન્ટ, કાયમી અને હંગામી રોશની વગેરે. આ બધું જોઈને બધાને એમ થાય છે કે વાહ શું વિકાસ થયો છે. બધા જ લોકો આ વિકાસથી અભિભૂત થઈ જાય છે. આખા દેશના ખેડૂતોને બોલાવીને ગુજરાત સરકાર મહાત્મા મંદિરમાં હજારો રૂપિયાનું ઇનામ આપે, સોમનાથ અને દ્વારકા ફરવા લઈ જાય અને ફાઇવ સ્ટાર હોટેલમાં રાખે એટલે એના રાજ્યમાં જઈને એ મોદીનો પ્રચાર જ કરે ને! 

(૩) ત્રીજો છે ડરી ગયેલો વર્ગ : જેઓ આ વિકાસ સાથે સંમત ન થાય, સરકારની નીતિઓની ટીકા કરે એ બધાને ડરાવી દેવામાં આવ્યા. એમની સામે પોલિસમાં કે અદાલતમાં કેસ થયા, એમને જેલમાં નાખવામાં આવ્યા, જુદી જુદી રીતે ધમકીઓ આપવામાં આવી. આવા થોડા વિરોધીઓની સામે આ તાનાશાહી રીત અપનાવો એટલે બાકીના બધા ડરી જાય એ સ્વાભાવિક છે. વિરોધીઓને અવગણવામાં પણ આવે. સરકારની કોઈ સમિતિઓમાં રાખવામાં આવે નહીં, કે કોઈ કોલેજ કે યુનિવર્સિટી તમને બોલાવે નહીં; ભલે તમે નિષ્ણાત કે વિદ્વાન હોવ. 

(૪) ચોથો વર્ગ છે ભક્ત વર્ગ : મોદીની આરતી ઉતારનારો આ વર્ગ છે. તેને માટે મોદી ભગવાન છે, અવતાર છે. એ જે કંઈ કરે તે સારું જ કરે છે એમ તે માને છે. મોદીની ટીકા કરનારા બધા દેશદ્રોહીઓ, હિન્દુદ્રોહીઓ, અર્બન નક્સલ, પાકિસ્તાનીઓ છે એમ તે કહે છે. આ ભક્ત વર્ગને બરાબરનું સિંદૂર કાળજીપૂર્વક પિવડાવવામાં આવ્યું છે. એટલે આ વર્ગે પોતાની બુદ્ધિ સાવ કચરાટોપલીમાં નાખી દીધી છે. તે કશું જ બુદ્ધિપૂર્વક વિચારવા માટે તૈયાર છે જ નહીં.

(૫) પાંચમો વર્ગ છે ધર્મને આધારે ધિક્કાર કરનારો અને ધિક્કાર ફેલાવનારો વર્ગ. એ હિંદુમુસલમાન કરવામાંથી ઊંચો આવતો જ નથી. દેશની જે કોઈ સમસ્યાઓ છે તે બધી જ મુસ્લિમોને કારણે છે એમ તે સમજે છે અને તેમને તેઓ દેશદ્રોહી સમજે છે. આ ધિક્કાર એટલો બધો જામ થઈ ગયો છે એમના દિમાગમાં કે કોઈ પણ જાતનું ઓપરેશન એ દિમાગને સુધારી શકે તેમ નથી. આ ધિક્કાર ગાંધી અને નેહરુ સુધી વિસ્તર્યો છે. 

આ પાંચ વર્ગ આ હકીકતો જોવા તૈયાર નથી : 

(૧) ગુજરાતનો સરેરાશ વિકાસ દર ૧૯૮૦-૯૫ના ગાળા દરમ્યાન ૧૪.૫૦ ટકાની આસપાસ રહ્યો. પણ ૨૦૦૧-૨૫ના ગાળામાં તે ૯.૫ ટકાની આસપાસ રહ્યો. 

(૨) ગુજરાત ભારતના વિકાસનું એન્જિન હતું, ૧૯૯૫ પહેલાં, પછી નહીં. ભારતનો વિકાસ દર હવે ગુજરાત પર આધાર રાખતો જ નથી.

(૩) ગુજરાતમાં આજે ખાનગી શિક્ષણની બોલબાલા છે. ૪૪ લાખ બાળકો ખાનગી શાળાઓમાં ભણે છે. વાલીઓ પર એનો ભયંકર આર્થિક બોજો પડે છે. પૂરતા શિક્ષકો અને અધ્યાપકો વિનાની શિક્ષણ પ્રથા વિકસાવાઈ છે. ગુજરાત સરકાર જી.ડી.પી.ના દોઢ ટકા કરતાં પણ ઓછું ખર્ચ શિક્ષણ માટે કરે છે.

(૪) આરોગ્ય ક્ષેત્રે સારવાર ખર્ચ અત્યંત વધી ગયું છે. સરકારી આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલમાં સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ નથી. ગુજરાત સરકાર જી.ડી.પી.ના અર્ધા ટકા કરતાં પણ ઓછું ખર્ચ આરોગ્ય માટે કરે છે! 

(૫) ઉદ્યોગોને બહુ બધી સબસિડી આપવામાં આવે છે પણ તેના દસમા ભાગનું પણ જો ગરીબોને આપવામાં આવે તો તેને રેવડી કહીને બદનામ કરવામાં આવે છે.

(૬) ગરીબી ભયંકર છે ગુજરાતમાં. ૧૯૯૮-૯૯માં ૨૬.૧૯ લાખ પરિવારો ગરીબ હતા. આજે ૭૦.૪૦ લાખ પરિવારો ગરીબ છે કે જેમને દર મહિને પાંચ કિલો અનાજ મફત આપવામાં આવે છે. 

આ ગુજરાતનું debateless development model છે. ચર્ચા કરવાની જ નહીં, ચર્ચા કરો તો સરકારની અને મારી પ્રશંસા કરો એવી જાતનો સમાજ બનાવી દેવાનો ઉદ્દેશ ગુજરાત મોડલમાં રખાયો છે. 

તા.૧૩-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...78910...203040...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved