Opinion Magazine
Number of visits: 9552634
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…

Samantar Gujarat - Samantar|1 December 2025

રવીન્દ્ર પારેખ

નવી શિક્ષણ નીતિ-2020થી લાગુ થઈ, પણ પાંચ વર્ષે ય તે હજી પ્રારંભિક તબક્કામાં જ છે. થયું છે એવું કે નીતિ તો લાગુ કરી દેવાઈ છે, પણ તેને વિષે સ્પષ્ટતા નથી અને જે તે યુનિવર્સિટી ઠીક લાગે તેમ લાગુ કરી રહી છે. તબીબી ક્ષેત્રે ઇન્ટર્નશિપ સંભળાતી હતી, તે ગુજરાત યુનિવર્સિટીએ આર્ટસના 10,800, કોમર્સના 27,000 અને સાયન્સના 2,500 મળીને અંદાજે ચાળીસેક હજાર વિદ્યાર્થીઓને લાગુ કરવાની જાહેરાત કરી છે. સાધારણ રીતે તબીબી ક્ષેત્રનો વિદ્યાર્થી પ્રાયોગિક રીતે પણ સંબંધિત વ્યવસાયના પરિચયમાં આવે એ સમજ ઇન્ટર્નશિપ સંબંધે ફેલાયેલી છે, પણ આર્ટસ, સાયન્સ અને કોમર્સના વિદ્યાર્થીઓને પોતાનાં શિક્ષણક્ષેત્રનું કયું જ્ઞાન ઇન્ટર્નશિપ સંબંધે અપેક્ષિત કે અભિપ્રેત છે, તે અંગે સમજ કરતાં ગેરસમજ વધુ છે.

ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ માટે સેમેસ્ટર 6માં ઇન્ટર્નશિપ ફરજિયાત છે. ઇન્ટર્નશિપ સંદર્ભે ગુજરાત યુનિવર્સિટીને ઉપક્રમે આચાર્યો અને કુલપતિની સંયુક્ત બેઠક મળી હતી. આ બેઠકમાં ઇન્ટર્નશિપ સંદર્ભે ચર્ચા-વિચારણા તો થઈ, પણ ખાટલે મોટી ખોડ એ હતી કે ઇન્ટર્નશિપને લઈને કોઈ આગોતરું આયોજન ન હતું. શિક્ષણ નીતિ 2020માં નક્કી થઈ હોય, ઇન્ટર્નશિપ ફરજિયાત છે એ પણ નક્કી હોય ને આટલા સમય પછી પણ, તેને લગતી ખાસ સ્પષ્ટતા જ ન હોય, તો તે લાગુ કરવાનો અર્થ ખરો? જે નથી તે લાગુ કરવામાં તો જેના તેના તુક્કાઓ જ કામે લાગે ને યુનિવર્સિટીની બેઠકમાં એ જ થયું. વિદ્યાર્થીઓની જુદી જુદી પ્રવૃત્તિઓને ઇન્ટર્નશિપ તરીકે ઠઠાડવાનું નક્કી થયું. કંઇ પણ કરો, તો એને ઇન્ટર્નશિપ ગણી લેવાની વાત ઠીક નથી. ઉપરથી આવી પ્રવૃત્તિઓને માન્યતા આપવાનું યુનિવર્સિટીઓ પોતે જ ઠરાવે તે કોઈ રીતે યોગ્ય નથી.

આર્ટસ, સાયન્સ, કોમર્સના 6 સેમેસ્ટરમાં 120 કલાકની ઇન્ટર્નશિપ ફરજિયાત કરાય તેનો વાંધો નથી, પણ કઈ બાબતને ઇન્ટર્નશિપ ગણવી તે અંગે ઝાઝી સ્પષ્ટતા શિક્ષણ નીતિમાં નથી. વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે તે ઇન્ટર્નશિપનો હેતુ અલબત્ત ! ઉમદા છે, પણ તે અંગે આગોતરું આયોજન યુનિવર્સિટીઓએ કરવું જોઈએ, તેને બદલે વિદ્યાર્થીઓ સેમેસ્ટર 6માં આવે તેની રાહ જોઇને છેક હવે ઇન્ટર્નશિપમાં શું કરવું તેની ચર્ચા-વિચારણા કરવા કોલેજના આચાર્યોને તેડવામાં આવે તે બરાબર નથી. ઇન્ટર્નશિપની નવી વ્યવસ્થાનું આ પહેલું વર્ષ છે, એટલે દ્વિધા હોય તે સમજી શકાય, પણ ઇન્ટર્નશિપ લાગુ કરવાને ટાણે જ તેનો વિચાર કરવામાં આવે તે કઈ રીતે યોગ્ય છે? ઇન્ટર્નશિપ લાગુ કરવાની નીતિ તો પાંચ વર્ષ પહેલાંથી નક્કી હતી, તો તે પહેલાં તેનો વિચાર થઇ જ શક્યો હોત, પણ તેવું ન થયું ને છબરડાઓને આમંત્રણ આપવા જેવું થયું. ઇન્ટર્નશિપની જાહેરાત પછી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, જી.આઇ.ડી.સી., કોર્પોરેશન, હોટેલો જેવા ઉદ્યોગધંધા સાથે હજી તો વાટાઘાટો શરૂ થઈ છે, એ જોતાં લાગતું નથી કે સેમેસ્ટર પતે તે પહેલાં ગાડી પાટે ચડે.

આમ તો આની બ્લુ પ્રિન્ટ યુનિવર્સિટી તરફથી તૈયાર થવી જોઈએ, પણ કોઈ કોલેજ પોતાની રીતે આયોજન  કરે તો તેને પણ માન્ય કરવાની તૈયારી યુનિવર્સિટીની છે. યાદ રહે, આ આર્ટસ, સાયન્સ ને કોમર્સના વિદ્યાર્થીઓની ઇન્ટર્નશિપની વાત છે. કોઈ વિદ્યાર્થી પિતાનાં સલૂનમાં 120 કલાક કામ કરે કે કોઈ વિદ્યાર્થિની કોઈ સંબંધીનાં બ્યૂટીપાર્લરમાં 120 કલાક કામ કર્યાનું દર્શાવે તો તેને ઇન્ટર્નશિપ તરીકે ટ્રીટ કરવામાં આવશે તેવું નક્કી થયું છે. તેમાં મહત્ત્વનું એ છે કે જે તે સંસ્થા કે દુકાન ઇન્ટર્નશિપ કરી હોવાનું પ્રમાણપત્ર આપે. દેખીતું છે કે પિતા કે સંબંધી, વિદ્યાર્થી કામ કરે કે ન કરે, પ્રમાણપત્ર આપી દે, તો વિદ્યાર્થીનું તો કામ થઇ જશે, પણ તે શીખશે શું ને કેટલું તે વિચારવાનું રહે. વારુ, આવાં પ્રમાણપત્રો પૈસા વેરીને ન જ મેળવાય તેની કોઈ ખાતરી નથી. બીજું, ઇન્ટર્નશિપનો હેતુ ઇન્ડસ્ટ્રી અને એકેડેમિક સંસ્થાઓ વચ્ચે સંકલન સાધવાનો હોય તો, પિતા કે સંબંધીની પાસે કામ કરવાથી તે હેતુ કેટલો સચવાય તે પ્રશ્ન જ છે. ઇન્ટર્નશિપનો હેતુ પ્રેક્ટિકલ નોલેજનો હોય ને હેરકટિંગ સલૂનમાં કોઈ વિદ્યાર્થી 120 કલાક કામ કરે તો તે, આર્ટસ માટે કઈ રીતે પ્રેક્ટિકલ નોલેજ ગણાય કે સાયન્સની વિદ્યાર્થિની બ્યૂટી પાર્લરમાં કામ કરે તો તે, સાયન્સનું પ્રેક્ટિકલ નોલેજ કઈ રીતે ગણાય તેની સ્પષ્ટતા થવી ઘટે.

મેડિકલનો કોઈ વિદ્યાર્થી હેરકટિંગ સલૂનમાં કામ કરે તો તે ઇન્ટર્નશિપ ગણાશે? જો નહીં, તો આર્ટસની વિદ્યાર્થિની બ્યૂટીપાર્લરમાં કામ કરે તો તે કઈ રીતે ઇન્ટર્નશિપ ગણાય તેની ચોખવટ થવી ઘટે. કોમર્સનો વિદ્યાર્થી બેંકમાં જઈને કોઈ ગ્રાહકને ફોર્મ ભરી આપવામાં મદદ કરે તો તે કોમર્સની ઇન્ટર્નશિપ ભલે ગણાય, પણ તે કોઈ દુકાને કોઈની દાઢી કરે, તો તે કોમર્સની ઇન્ટર્નશિપમાં કઈ રીતે ખપાવી શકાય? પ્રવૃત્તિ, કોઈ શોખ ખાતર કે જાણવા માટે કરે તેનો તો શો વાંધો હોય, પણ તે જે તે વિદ્યાશાખાના પ્રેક્ટિકલ જ્ઞાનમાં ખપાવાય તો જે તે વિદ્યાશાખાનું અલગ કોઈ મૂલ્ય ખરું કે કેમ? કે બધી વિદ્યાશાખાઓ સરખી જ ગણવાની છે? કોઈ વેચાણ કેન્દ્ર કે એન્ટરપ્રાઈઝ કે સેવાકેન્દ્ર પર અપાયેલી સેવાને ઇન્ટર્નશિપ ગણવાની ઉદારતા એ ઉદારતા નથી, પણ યોજનાના સમુચિત અભાવનું પરિણામ છે, તે સમજી લેવાનું રહે.

ઇન્ટર્નશિપને મામલે યુનિવર્સિટી બેઠકમાં સાયન્સ કોલેજના કેટલાક આચાર્યોએ સમગ્ર પદ્ધતિનો સખત વિરોધ કર્યો, પણ તેમની ચિંતા જે તે પદ્ધતિને ઇન્ટર્નશિપ ગણવા કરતાં, વિદ્યાર્થીઓને કંઇ થાય, તો તેની જવાબદારી કોની એ મામલે વધારે હતી. બીજો વાંધો ગર્લ્સ કોલેજની વિદ્યાર્થિનીઓ એકલી ઇન્ટર્નશિપ માટે બહાર જવા તૈયાર ન થાય કે તેના વાલીઓ એમ અજાણી જગ્યાએ મોકલવા તૈયાર ન થાય તો શું, એનો હતો. એનો તોડ એવો લાવવામાં આવ્યો કે કોઈ એજન્સી કે ઇન્ડસ્ટ્રીને કોલેજમાં મહિના માટે બોલાવીને 120 કલાકની કામગીરી કરાવી શકાય, તો ઇન્ટર્નશિપનો પ્રશ્ન ઉકેલી શકાય, બીજા શબ્દોમાં રવિવાર સહિત બધા દિવસ કામગીરી ચાલે તો પણ ઇન્ટર્નશિપ માટે રોજના 4 કલાક અલગ ફાળવવા પડે. વિદ્યાર્થીઓ એટલો સમય કોલેજ સમય સિવાય આપવા રાજી હોય કે કેમ તે પ્રશ્ન જ છે કે એને જ કોલેજ સમય ગણી લેવાનો છે? એ સાથે જ ઇન્ટર્નશિપ માટે વિદ્યાર્થીઓ બહાર જાય ને કંઇ થાય તો તેની જવાબદારી કોની એ સવાલ તો ઊભો જ છે.

ગુજરાત યુનિવર્સિટીનો તો અહીં દાખલો માત્ર છે, પણ ઘણી યુનિવર્સિટીઓમાં ઇન્ટર્નશિપ નવી શિક્ષણ નીતિમાં ફરજિયાત હોવા છતાં લાગુ થઇ ન હોય અથવા તરતમાં જ લાગુ થઇ હોય એમ બને. વારુ, જ્યાં લાગુ થઇ હોય ત્યાં ગુજરાત યુનિવર્સિટી જેવી હાલત હોય, એ પણ સમજી શકાય એવું છે. એમ.એસ. યુનિવતગસિટી, બરોડામાં પણ એવી જ હાલત છે. ત્યાં, આર્ટ્સમાં ટી.વાય.માં ભણતા 900 વિદ્યાર્થીઓ પહેલી વખત હવે ઇન્ટર્નશિપ કરશે. ત્યાં પણ હજી કંપનીઓ કે એન.જી.ઓ. સાથે વાટાઘાટો ચાલે છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગરે તો મોટા ઉપાડે ઇન્ટર્નશિપ નીતિ જાહેર કરી, પણ યુનિવર્સિટીને યુથ કાઁગ્રેસ અને NSUIએ આવેદન આપ્યું છે. NSUIનું કહેવું છે કે ઇન્ટર્નશિપ અંગેની ગાઈડલાઈન જાહેર કરવામાં અતિશય વિલંબ થયો છે. નવું સત્ર 4 ડિસેમ્બરે શરૂ થતું હોય ત્યારે, 1 ડિસેમ્બરે આચાર્યોની બેઠક કરાય એ કેવું? વળી ભાવનગરમાં મોટા ઔદ્યોગિક એકમો ને કંપનીઓનો અભાવ હોય ત્યારે ઇન્ટર્નશિપ લાગુ કરવામાં પણ મુશ્કેલીઓ છે. એ સ્થિતિમાં તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે અન્ય વિકલ્પ વિચારવો જોઈએ એવી NSUIની માંગ છે.

આ જ હાલત રહી તો ઘણાં વિદ્યાર્થીઓ સેમેસ્ટર પતે પછી ઇન્ટર્નશિપ કરે એમ બને. નવી શિક્ષણ નીતિમાં ઇન્ટર્નશિપ ફરજિયાત લાગુ કરવામાં છે, એટલી એકવાક્યતા તેનાં અર્થઘટનમાં નથી, નહિતર, અભ્યાસ જોડે સ્નાન સૂતકનો ય સંબંધ ન હોય એવી પ્રવૃત્તિઓ ઇન્ટર્નશિપ તરીકે ઠઠાડી દેવાનું બને કઈ રીતે? યુનિવર્સિટીઓનું આ મનસ્વી અર્થઘટન ચિંતા ઉપજાવનારું છે. કંઇ પણ શીખવાનો તો વાંધો જ ન હોય, પણ જ્યારે વિદ્યાશાખાઓ ચોક્કસ હેતુસર અસ્તિત્વમાં આવી હોય, તો તેની વિશેષતા ને વિશિષ્ટતા જળવાય તે રીતે સંબંધિત પ્રવૃત્તિઓ થાય તે અપેક્ષિત છે. તેને બદલે મોંમાથા વગરની પ્રવૃત્તિઓ કોઈ પણ જાતના વિઝન વગર ઠઠાડી દેવાય તે બધી રીતે નિંદનીય છે.

અને છેલ્લે –

આટલી બેદરકારી વિદ્યાર્થીઓ કોઈ બાબતે દર્શાવે તો તેને યુનિવરસિટીઓ ક્ષમ્ય ગણશે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 ડિસેમ્બર 2025

Loading

ગુજરાતના યુવકોને કેનેડા કેમ રહેવું છે? 

રમેશ સવાણી|Opinion - Opinion|30 November 2025

કેનેડાના Ontario રાજ્યના Guelph-ગ્વેલ્ફ સિટીથી 28 કિલોમીટર દૂર Kitchener સિટી છે. ત્યાંથી સ્મિત ખૂંટે મેસેન્જર મારફતે મેસેજ કર્યો કે સમય હોય તો મળવું છે. 29 નવેમ્બર 2025ના રોજ બપોરે દોઢ કલાક માટે તેમને મળવાનું થયું.

સ્મિત ખૂંટનું મૂળ ગામ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું માલપરા ગામ. તેની સાથે હેત કાકડિયા રહે છે, તેનું મૂળ ગામ વલ્લભીપુર તાલુકાનું મેવાસા ગામ. બન્ને યુવાનો B Com કરી આગળ અભ્યાસાર્થે કેનેડા આવ્યા છે. બન્ને ફેસબૂક પર મને વાંચે છે. 

બન્ને યુવાનો પાસે 2 વર્ષની વર્ક પરમિટ છે. બન્નેની ઇચ્છા PR-permanent residencyની છે. 

મેં પૂછયું : “અહીં કેમ રહેવું છે? ગુજરાતમાં કેમ નહીં?”

બન્ને યુવાનો સહમત હતા કે “અહીં સંઘર્ષ ઘણો છે, છતાં અહીં રહેવું છે. જેટલું કામ અહીં કરીએ છીએ, એટલું કામ ગુજરાતમાં કરીએ તો વળતર ઓછું મળે. ગુજરાત કરતાં અહીં સલામતી વધુ છે. ગુજરાતનાં ગામડાઓમાં રહી શકાય તેવી સ્થિતિ નથી. શિક્ષણની સવલત માટે સૌરાષ્ટ્રના લોકો સુરત / અમદાવાદ સ્થાયી થાય છે. શહેરમાં ખાનગી શાળા-કોલેજની ફી મોંઘી છે. ગરીબ, મધ્યમ વર્ગ ગળે આવી ગયો છે. લોકો પણ અવાજ ઉઠાવતા નથી, કેમ કે સરકાર તેમને ધર્મના નશામાં ગળાડૂબ રાખે છે.”

રમેશભાઈ સવાણી જોડે સ્મિત ખૂંટ અને હેત કાકડિયા

બન્ને યુવાનો વૈચારિક સ્તરે સ્પષ્ટ હતા. મોટા ભાગે ગુજરાતી યુવાનો અમેરિકા / કેનેડા આવે છે તેમની પર ધાર્મિક સંપ્રદાયોનો પ્રભાવ હોય છે. અને આ ધાર્મિક સંપ્રદાયો તેમને મોદીજીના ભગત બનાવે છે ! અહીં ઘણા ગુજરાતી યુવકો કપાળમાં તિલક-ચાંદલાવાળા જોવા મળે છે. તેઓ માને છે કે ‘ભક્તિથી જ ક્રાંતિ થશે, અને ભક્તિથી જ બધી સમસ્યાઓનો હલ આવશે ! બધી સમસ્યાઓ પ્રગટ બ્રહ્મસ્વરૂપ દૂર કરશે !’

આપણા સંપ્રદાયો તેમના ગુરુઓને પ્રગટ બ્રહ્મસ્વરૂપ માને છે, અને તેઓ બ્રહ્માંડનું સંચાલન કરે છે તેમ માને છે. પરંતુ તેમના ધર્મગ્રંથોમાં બેવકૂફી ભરેલી વાતો લખેલી હોય છે કે ‘શૂદ્રોએ ઉપલા ત્રણ વર્ણની સેવા કરવી. વિધવાએ પુનર્લગ્ન ન કરવા. મહિલાઓએ માસિકધર્મ સમયે અસ્પૃશ્યતા પાળવી’. આવી બાબતો લોકશાહી વ્યવસ્થા વિરુદ્ધની છે. ‘શૂદ્રોએ ઉપલા ત્રણ વર્ણની સેવા કરવી’ આવો આદેશ કરનાર સંપ્રદાય-પુસ્તક ‘શિક્ષાપત્રી’નું રોજ સવારે પૂજા કરનાર સમાજ માટે ખતરનાક હોય છે. તેઓ ધર્મ-ઢોંગીઓને મત આપી નબળા અને ક્રિમિનલ શાસકો પસંદ કરે છે. પછી એ શાસકો લોકોની સલામતી / શિક્ષણ / આરોગ્યની ચિંતા કરવાને બદલે માલેતુજારોના ચોકીદાર બની જાય છે. પ્રગટ બ્રહ્મસ્વરૂપમાં માનનારાઓ દલિતો પ્રત્યે પૂર્વગ્રહ રાખે છે. માણસને અસ્પૃશ્ય માને છે અને ગાયને પવિત્ર માને છે ! આપણી શાળા-કોલેજો પણ આ પૂર્વગ્રહો દૂર કરી શકતી નથી; પરંતુ અમેરિકા / કેનેડામાં શાળા-કોલેજમાં ભણનાર વિદ્યાર્થી; પોતાના માતાપિતા જો ‘બ્લેક-કાળિયા’ વિશે અજુગતી કોમેન્ટ કરે તો તરત જ તેમને ટોકે છે. આ છે સાચું શિક્ષણ. માણસાઈનું શિક્ષણ. 

30 નવેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

કિરણ કાપુરે|Gandhiana|30 November 2025

સંપાદકીય

સરદાર-નેહરુને આમનેસામને મૂકવાનો વાયરો એટલો ચાલ્યો છે કે આ બંનેની જોડીએ લાંબા સમય સુધી ખભેખભા મિલાવીને કરેલાં કાર્યોને અવગણી દેવાય છે. આઝાદ ભારતના પ્રથમ વડા પ્રધાન અને નાયબ વડા પ્રધાન રહેનારા આ બંને આગેવાનો વચ્ચે મતભેદ હતા; પરંતુ તેમના માટે સર્વોપરીતા દેશની હતી. સરદાર-નેહરુના સંબંધો વિશે લખાયેલા ઇતિહાસમાં થોડા ઊંડા જઈએ તો તેમની વહીવટી જુગલબંદીના અજોડ દાખલા મળે છે. એકસાથે આ પ્રકારના દાખલા જોવા હોય તો તેમના વચ્ચેનો પત્રવ્યવહાર સહજ-સરળ માર્ગ છે. સરદાર-નેહરુના સંબંધોમાં સૌથી કટોકટીનો સમય દેશની આઝાદી કાળનો હતો; જેમાં દેશનું વિભાજન થયું, ઠેરઠેર રમખાણો થયાં, દેશ-નિર્માણની જવાબદારી આવી અને તે દરમિયાન ગાંધીજીની હત્યાથી વાત ઓર વણસી હતી. આ બંને આગેવાનોનો રાજકીય કાળ સાથે-સાથે આરંભાયો અને ચાલ્યો. એક પાક્કા કર્મવીર બન્યા અને બીજા સ્વપ્નદૃષ્ટા. બંને અલગ-અલગ પૃષ્ઠભૂમિ ધરાવતા હતા. બંનેની વિચારવાની ઢબ જુદી હતી. વિવિધ મુદ્દા વિશે તેમનો દૃષ્ટિકોણ વેગળો હતો. આ કારણે તેમના ભેદ વિશે ખૂબ ચર્ચાઓ તે વખતે પણ થઈ અને આજે પણ તે દોર અટક્યો નથી.

સરદાર-નેહરુના વ્યક્તિત્વને સામસામે જોઈએ તેમ છતાં આ બંને તે સમયના દેશવ્યાપી જનસમર્થન ધરાવનારા કૉંગ્રેસ પક્ષના અગ્રહરોળના આગેવાન હતા. અનેક ચૂંટણીઓમાં તેમણે સાથે રહીને રણનીતિ ઘડી હતી. અંગ્રેજોને જાકારો દેવા એકસાથે લડત ચલાવી હતી. ગાંધીજીના નિષ્ઠાવંત શિષ્યો બનીને રહ્યા. આવી અસંખ્ય ઘટનાઓ તેમનાં જીવનની આસપાસ ઘટી હતી. પરંતુ તેમના મતભેદોની વાત આવે છે ત્યારે તેમનાં સઘળાં કાર્યોને સમેટીને જોવાય છે. જો કે સ્વતંત્ર રીતે સરદાર-નેહરુના દેશ પ્રત્યેના યોગદાનનો ક્યાસ કાઢીએ તો તેમાં તેમના વચ્ચેના મતભેદો સાવ નગણ્ય ઘટના છે. આ મતભેદોનું અસ્તિત્વ તેમના જીવનમાં કેટલું હતું તે જોવું હોય તો ય તેમના પત્રવ્યવહારમાં જોઈ શકાય.

સરદાર-નેહરુ વિશેના મતભેદ અંગે આટલું ઠોસ રીતે કહી શકાય તેનું એક કારણ વી. શંકર દ્વારા સંપાદિત ‘સરદાર પટેલ : પસંદ કરેલો પત્રવ્યવહાર, ૧૯૪૫-૧૯૫૦’ના બે ગ્રંથ છે. આ બે ગ્રંથ ખરેખર તો દુર્ગાદાસ સંપાદિત ‘Sardar Patel Correspondence’ના દસ ભાગમાંથી પસંદ કરેલા પત્રોનો અનુવાદ છે. આ પત્રવ્યવહારમાં દેશ અંગેના અગત્યના મુદ્દાની ચર્ચા સરદાર-નેહરુ વચ્ચે કેવી રીતે થઈ હતી તે વાંચી શકાય છે. આ પત્રવ્યવહારમાંથી પસાર થઈએ તો ખ્યાલ આવે કે સરદાર-નેહરુ પાસે કેટકેટલી બાબતોનું સમાધાન કરવાનું આવ્યું હતું. પ્રધાનમંડળના મતભેદ હોય, જમ્મુ-કાશ્મીર, હૈદરાબાદ, જૂનાગઢ જેવાં દેશી રાજ્યોના વિલીનીકરણની પ્રક્રિયા હોય, કેન્દ્રીય સરકારની સમસ્યાઓ, આઝાદ હિંદ ફોજ અને કોમી હુલ્લડો … આવા અગણિત વિષયો હતા જે અંગે આ બંને આગેવાનો વચ્ચે પત્રવ્યવહાર થયો હતો. આ પત્રવ્યવહારમાં સરદાર-નેહરુએ પોતાના મુદ્દા મક્કમ રીતે મૂક્યા છે. એકબીજા સાથેના મતભેદ દર્શાવવાનું ખુલ્લાપણું પણ તે પત્રોમાં દેખાય છે. આ મતભેદમાં પરસ્પર એકબીજા પ્રત્યેનું વલણ ગાંધીજીની હત્યા બાદ સાવ બદલાયું હતું.

સરદાર-નેહરુનો સ્નેહ તેમના પત્રોમાં સતત ઝળકે છે. ૩ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ જવાહરલાલ નેહરુ સરદારને લખેલા પત્રમાં એક ઠેકાણે લખે છે કે, ‘… આપણે પચીસ વર્ષ કરતાંયે વધુ સમયથી એકબીજા સાથે સંકળાયેલા છીએ અને ઘણાંયે તોફાનો અને જોખમોનો આપણે સાથે મળીને સામનો કર્યો છે. મારે પૂરેપૂરી પ્રામાણિકતાપૂર્વક કહેવું જોઈએ કે આ સમય દરમિયાન તમારે માટેનાં મારાં સ્નેહ અને માનમાં વધારો થયો છે, અને એને ઘટાડે એવું કંઈ પણ બની શકે એમ હું માનતો નથી …’ 

આ પત્રનો ઉત્તર સરદાર પટેલે એટલા જ ઉમળકાથી આપતાં લખ્યું હતું  : ‘ …આપણે બંને એક સહિયારા ધ્યેય માટે જીવનભરના સાથીદારો રહ્યા છીએ. આપણા દેશનાં સર્વોપરી હિતો અને પરસ્પરનાં પ્રેમ અને માન જે કોઈ વિચારભેદ અને સ્વભાવભેદ હતા તેનાથી પર જઈ આપણને ભેગા રાખી શક્યા છે. આપણે બંને પોતપોતાનાં દૃષ્ટિબિંદુઓને અને કામ કરવાની પદ્ધતિઓને ચુસ્તપણે વળગી રહ્યા છીએ; છતાં આપણે હંમેશાં હૃદયની એકતા જાળવી શક્યા છીએ, અને એ એકતા ઘણા બોજાઓ અને પ્રહારો સામે ટકી રહી છે અને કૉંગ્રેસ તથા સરકારની અંદર સંયુક્ત રીતે કામ કરવા આપણને શક્તિમાન બનાવ્યા છે. …’

સરદાર-નેહરુએ અરસપરસ એકબીજા પ્રત્યેનો પ્રેમ વરસાવે રાખ્યો છે. મતભેદ-સ્નેહ સિવાય પણ તેમના પત્રોમાં દેશના આઝાદી કાળ, તે વખતની કટોકટી અને તેમાંથી દેશને ઉગારવાની પ્રક્રિયા દરમિયાન થયેલો પત્રવ્યવહાર આજે આપણો અમૂલ્ય દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાંથી જૂજ પત્રો આ અંકમાં સમાવ્યા છે. આ દિગ્ગજ આગેવાનો વચ્ચેના સંબંધોનો બોધપાઠ આજે ય લેવા જેવો છે. તેમને સામસામે દર્શાવવાની જે રમત થઈ રહી છે તેના પર પૂર્ણવિરામ મુકાવવું જોઈએ. સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતીના પ્રસંગે કમસે કમ આટલું થાય તો ય તેમના પ્રત્યેની આપણી સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે.

સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”; ઑક્ટોબર – નવેમ્બર 2025
 e.mail : kirankapure@gmail.com 

Loading

...78910...203040...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved