Opinion Magazine
Number of visits: 9457506
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફટ રે, ભૂંડા!

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|20 October 2023

પ્રીતમ લખલાણી

કડવીમાના ત્રીજા નંબરના દીકરાની દીકરી કંકુને દિનાનાથે ફુરસદની ઘડીએ ઘડી હશે!

ખરેખર! ગામ આખાની છોકરીઓને દેવાનું રૂપ ઈશ્વરે એકલું કંકુને આપી દીઘેલ!

હરણી જેવી તેની ચમકતી આંખો! કાળા ભમ્મર નાગણ જેવા ઘટાદાર વાળ! ગોળમટોળ ચંદ્ર જેવું મુખ જોઈ ગામના દરબારોના છોકરાઓને થતું કે જો આ કંકુ હરિજન વાસમાં ન જન્મી હોત તો!

સાત આઠ ચોપડી ભણેલ, સમજુ અને ચાલાક કંકુ, ગામના દરબારના છોકરાઓને કયાં ઓળખતી ન હતી! સવાર સાંજ જ્યારે બે ચાર સહિયર જોડે ગામની નવી વાવે પાણી ભરવા નીકળતી ત્યારે આસપાસના ખેતરની વાડમાંથી સીસોટીનો ધોધ વરસતો!

આદપર ગામના દરબારોમાં, દસ સાથીની બળુકી ખેતીવાડી વાળા દરબાર મોહનસિંહના એકના એક દીકરા ભરતસિંહની છાપ માથા ફરેલ માણસમાં થતી હતી! બિચારા! નીચલા વર્ણના લોકો તેને દૂરથી આવતો જુએ તો, શેરીની એક કોર ઊભા રહી જાય! ભરતસિંહને જો શેરીમાં કયાં ય કૂતરું કે કોઈ ઢોર નજરે ન ચડે તો તે હાથમાં રહેલા પરોણાને હરિજન બરડામાં વીંઝતો, ઘોળી સિગારેટના ઘુમાડા ઉડાડતોને બબે ફાંટ ગાળો વરસાવતો આગળ જાય!

ભરતસિંહ નામના આ વરુએ પોતાના હવસને પોષવા હરિજનવાસની કંઈક કુમળી કળીને ચીમળી નાખી હતી! પણ આ કંકુ તો કંકુ હતી! નાક પર માખીને બેસવા ન દે તે કંકુ ભરતસિંહના પંજામાં કયાંથી આવે!

ગામની નાની મોટી શેરીમાં નવરાત્રીના આગમનમાં શરણાઈના સૂરમાં ઢોલ ઢબૂકતા હતા! ગામ આખું માતાજીના નોરતાના આગમનમાં થનગનતું હોય ત્યારે આદપરનો હરિજનવાસ કેમ એકલો રહી જાય!

હર વખતની જેમ આ વખતે પણ હરિજનવાસના મુખિયા ગણપત પરમારે તેમ જ બીજા બે ચાર કાર્યકરોએ એક સાંજે નક્કી કર્યું કે માતાજીની ગરબી દશેરા લગી, રામાપીરની ડેરી સામેની પડતર જગ્યામાં પધરાવી! આ વાતની હરિજનવાસમાં જાણ થતા જ બીજા દિવસની સવારથી દસ બાર છોકરીઓ હાથમાં સૂંડલા ને સાવરણાં લઈ સાફ સફાઈ કરવા માટે લાગી ગઈ હતી!

એ વખતે ભરતસિંહ ગાડું લઈ ખેતર જવા ત્યાંથી નીકળ્યો. દરબારના ગાડાને દૂરથી જોતાં જ  બઘી છોકરીઓ હાથના સાવરણાંને સંકેલી એક કોર ભેગી થઈને ઊભી રહી ગઈ, પણ ઝાંઝરના તાલે સાવરણો લઈને ચોક વાળતી કંકુને ખ્યાલ ન રહ્યો કે દરબાર ભરતસિંહનું ગાડું રામાપીરની ડેરી તરફ આવી રહ્યું છે. બસ, એ તો એની અલ્લડ મસ્તીમાં, મનમાં માતાજીના ગરબા ગણગણતી ચારેકોર સાવરણો વીંઝતી હતી. ઉડતી ઘૂળના ગોટામાં કંકુને દેખાણું નહીં કે દરબારનું ગાડું છેક તેના સાવરણાની નજદીક આવી રહ્યું છે. પુરવાટ દોડ્યે આવતા બળદના ડોકની ઘંટડીઓ એના કાને રણકી.

બળદની અડફેટમાં આવતાં તે માંડ બચી ગઈ, ઈશ્વર કૃપાથી એ બે ડગલાં પાછળ ખસી ગઈ, પણ હાથનો સાવરણો દરબારના બળદને અડી ગયો!

દરબારનો પીતો સાતમાં આસમાને ગયો! બેફામ ગાળોનો ધોધ વરસાવતો, ‘સાલી, તેં મારા બળદને અભડાવી દીધો! તેને બળદની રાસ ખેંચી! ગાડાને એક કોર ઊભું રાખી. ગાડેથી હેઠે ઉતરી તેણે હાથના બડીકા વડે કંકુના વાંસા પર ધડધડ ઝીંકવા માંડયા. ‘તમારી માના હલકીના! સાલી, તારા મનમાં સમજે છે શું! તને આંખ છે કે પછી કોડા! દેખાતું નથી કે ગાડું લઈને ખેતર જઈ રહ્યો છું.’ આમ કહીં તેને ફરી હાથના બડીકા વડે આઘુંપાછું જોયા વગર કંકુના વાંસામાં વીંઝવા માંડ્યો!

બડીકા વાંસામાં પડતાં જ માની ચીસો પાડતી કંકુ ચોક વચ્ચે ઢળી પડી! ભરતસિંહ તો જાણે કશું કંઈ બન્યું જ નથી, એમ સમજી ગાડું લઈ પોતાના ખેતર તરફ જવા બીડી ફૂંકતો નીકળી પડ્યા.

કંકુને ભરતસિંહ દીઠો નહોતો ગમતો પણ પેટ કરાવે વેઠ! રોજ સવારે કડવી માની પાછળ પાછળ ભરતસિંહના ખેતરે મૂલે જતી. ભરતસિંહ મૂવો ખેતરમાં ગૂડાણો હોય પણ કંકુ ઊંધું ઘાલીને કામ કરતી, હશે, ‘મુઓ એના પાપે મરશે.’

એક ખરે બપોરે ચંપા અને કંકુ માંડવીના ડોડા વીણતી, એકમેકની મશ્કરી કરતી, કપાળનો પસીનો લૂછતી, ઘરેથી ભાત આવવાની રાહ જોતી હતી, ત્યાં કાને ચિસો પડી.

‘દોડો…..દોડો! ભરતસિંહને એરુ આભડી ગયો!’ લાલજી પટેલના ખેતરમાંથી બે ચાર છોકરા ચારે બાજુ રાડો નાખતા હતા! આસપાસના ખેતરમાં કયાંક બપોરનું ભાત ખાવા બેઠેલા ખેડૂતો, તો ક્યાંક હજી ભાત ન આવ્યું હોવાથી કામ કરતા મૂલીઓ, હડી કાઢતા લાલજી પટેલના ખેતર તરફ દોડ્યા! કંકુ અને ચંપા, પણ ખભા પરની પછેડીનો એક કોર ખેતરમાં ઘ્રા કરી દોડતા લોકોની પછવાડે દોડ્યાં!

લાલજી પટેલના ખેતરના, ઘેઘૂર પીપળા તળે ખાટલામાં ભરતસિંહ ચત્તાપાટ પડ્યા હતા. બે ચાર માણસો પંખો નાખતા, ફાળિયાથી કપાળનો પસીનો લુછતા ભગવાનને સ્મરણ કરતા બેઠા હતા. ભરતસિંહના ડાબા પગના અંગૂઠેથી લોહી વહેતું હતું!

આંખના પલકારામાં ભરતસિંહને એરુ આભડ્યાની વાત આસપાસના ખેતર શેઢે તેમ જ ગામમાં પહોંચી ગઈ. ઘરેથી ઉઘાડા પગે હડી કાઢતાં આવી પહોંચેલ ભરતસિંહની મા, કાશીમા ખાટલા પાસે બેસી હૈયાફાટ રુદન કરતા દીકરાને જીવતદાન બક્ષવા ઈશ્વરને આજીજી કરતાં હતાં. દરબાર મોહનસિંહ દીકરાના કપાળેથી પસીનો લૂછતાં, ટોળે વળેલામાંથી કોઈ બાજુના ગામમાંથી વૈઘ કે સાપ ઉતારવા વાળાને બોલાવવા ઘોડું દોડાવવા કાલાવાલા કરતા હતા.

આસપાસના ગામમાંથી ડૉકટર કે પછી સાપ ઉતારવાવાળા આવે તે પહેલાં કદાચ ભરતસિંહ હતા ન હતા થઈ જાય તો! દરબારનો દીકરો હોવાને નાતે, ભરતસિંહનું ઠંડું પડતું શરીર જોઈ, ગામના બે ચાર નાના મોટા વૈઘો પોતાની રીતે, તો વળી કોઈ પોતાને સાપ ઉતારતા આવડે છે એવા ઢોંગ ધતીંગ કરવા, લીમડાની ડાળીઓ લઈને દરબારના પગ પાસે ધૂણતા આસન જમાવીને બેસી ગયા હતા.

ભરતસિંહનું કાળું પડતું શરીર જોતાં તો એમ જ લાગતું હતું કે હમણાં ઘડીક બે ઘડીકમાં નાના દરબારના રામ રમી જશે! આ જોઈ, દરબારના ખાટલાની થોડેક છેટે ઊભેલ ટોળામાંથી મોંઘી મા બોલ્યાં, ‘મોહન દરબાર, અમારા વાસમાંથી જો કોઈને એરૂ આભડી જાય તો અમારી કડવી માના દીકરા બાબુની દીકરી કંકુ લોહી ચૂસીને ઝેર ઊતારી નાખે છે! પણ … બાપુ! તમે દરબાર અને અમે હરિજન! જો, અમારામાંથી કોઈને સાપ ડસ્યો હોત તો આટલીવાર અમે વાટ ન જોઈ હોત, અમારી આ કંકુએ ક્યારનું લોહી ચૂસીને ઝેર ઉતારી નાખ્યું હોત!’

‘અરે! મોંઘી મા, તમે આ શું વાત કરો છો! માણસ જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતો હોય ત્યારે તમે આભડછેટની કયાં વાટ કરો છો? ક્યાં છે કડવી માના દીકરા બાબુની દીકરી કંકુ! બોલાવો એને જલદી!’

ચંપાની પાછળ ઉભેલ કંકુ જરા સળવળી. કાશીમાએ ઊભા થઈ કંકુનો હાથ પકડી તેને ભરતસિંહના ખાટલા પાસે ખેંચી લાવ્યા! ‘દીકરી, મારો દીકરો મરવા પડ્યો છે અને તું સાવ અજાણી થઈને આમ એક ખૂણામાં ઊભી છો! અરે! દીકરી, તું કોની રાહ જુવે છે! જો તું મારા ભરતનું ઝેર ઉતારીને તેને ઊભો કરી દઈશ તો હું તને દીકરી, સોને મઢી દઈશ!’

ખાટલા પાસે પડેલ દાતરડાને કંકુએ પોતાની ચુંદડીના એક છેડે લૂછી મનમાં બે ત્રણ વાર રામાપીરનું રટણ કરી, હળવેકથી ભરતસિંહના ડાબા પગના અંગૂઠાને પકડી, સાપ જ્યાં કરડ્યો હતો તેની થોડેક ઉપરની જગ્યાએ એક ધારદાર કાપો મૂક્યો.

‘કાશીમાના મુખમાંથી ચીસ નીકળી ગઈ, અરે! દીકરી કંકુ, જરા ઘીરે!’ કંકુ જરા હસી! અને આંખેથી કાશીમાને ચિંતા ન કરવાનો સંકેત કરી, ભરતસિંહના અંગૂઠા ઉપર જયાં કાપો મૂક્યો હતો ત્યાંથી લોહી ચૂસવા માંડ્યું!

આ જોઈ દરબાર મોહનસિંહ બોલ્યા, ‘દીકરા, જરા ધ્યાન રાખીને ઘીરે ઘીરે લોહી ચૂસજે! મારા દીકરાને જીવતદાન દેવા જતાં તું તારી જાતને જોખમમાં ન મૂકી દેતી, ભલા જો તને કંઈ થઈ જશે તો હું ગામને મ્હોં દેખાડવા જેવો નહીં રહું!’

‘દરબાર તમે બિલકુલ બે ફિકર રહો! મારી કંકુ તો હમણાં આંખના પલકારામાં દરબાનું ઝેર ચૂસીને ખાટલેથી ઊભા કરી દેશે!’ કડવીમાએ આશ્વાસન આપતાં કહ્યું.

કંકુએ ઝેર ચુસેલ લોહીનો એક કોગળો કર્યો! લોહીનો રંગ જોઈ આસપાસનાં ઊભેલાંના મોઢામાંથી અરેરાટી નીકળી ગઈ! આમ લગાતાર  દસબાર વાર લોહી ચૂસીને તેણે કોગળા કરી નાખ્યા! જ્યારે કોગળામાં લાલચટક ચોખ્ખું લોહી નજરે પડ્યું એટલે કંકુએ લોહી ચૂસવાનું બધ કર્યું.

બે પાંચ મિનિટમાં ભરતસિંહ આળસ મરડી, આંખ ખુલતાં જ ખાટલાની આસપાસ લોકોને ટોળે વળીને ઊભેલા જોઈ તેણે રાડ પાડી,’શું અહીંયા ઊભા છો? કંઈ નાટક તમાશો છે?’

કાશીમાએ ભરતસિંહની રાડને ગણકારી નહીં. ભરતસિંહના માથે હાથ ફેરવી, ખાટલેથી હરખભેર ઊભા થઈ, દૂર ઊભેલા કડવીમાને જઈને ભેટી પડ્યાં! અને તરત જ તેમનું ધ્યાન, પીપળા તળે બેઠી શ્વાસ લેતી કંકુ પર ગયું. કાશીમાએ હરખઘેલાં બની ગળામાંથી દસ તોલાનો હાર કાઢી કંકુ પાસે જઈ તેના ગળામાં નાખી દીધો!

આ જોઈ ખાટલે પડેલ ભરતસિંહ બરાડી ઊઠ્યા, ‘અરે! એ કંકુડી જલદીથી હાર કાઢી મારે ખાટલે મૂકી દે!

આ ડોસી ડોસાને તો ક્યાં અક્કલ જ બળી છે! આમ કહી, એક કતરાતી નજરે ભરતસિંહે ઉમેર્યું, ‘બાપુ, તમે જ આ .. આ લોકોને બગાડ્યા છે! કહો બઘાને કે જલદી પાછાં, માંડવી વીણવા લાગી જાય. અને સાંજે ચોરાની ઝાલર ખેતરે ન સંભળાય ત્યાં લગી કોઈ ઘરે જવાની ઉતાવળ ન કરે નહિતર બધાનો અરધો દહાડો આજ કાપી લઈશ!’

મોહનસિંહને મોઢે તો આવી ગયું, ‘દીકરા, આ છોરીના પ્રતાપે તો તું આજ આમ રાડો પાડી રહ્યો છે.’ પણ સ્વછંદી દીકરો એમનો ઊઘડો લેશે એ બીકે કંઈ બોલ્યા નહીં.

સામેથી કંકુ હાંફળી ફાંફળી હડી કાઢતી આવી. જોઈ લ્યો જાણે મહાચંડીનું રૂપ! ભરતસિંહની સામે આવી તેણે તેની સામે તેનો હાર ફેંકી બોલી, ‘ફટ રે ભૂંડા! તને તો મરવા દેવો જોઈતો હતો. નફ્ફટ તારો હાર તું રાખજે, કો’ક દિ તારે ગળે ફાંસો ખાવા કામમાં આવશે. તને અડીને તો મારું જીવતર અભડાઈ ગયું. તે દિ’ તો તારા બળદને અડી ગઈ હતી ને તે મને ઢોર માર માર્યો હતો. આજ તારા અંગૂઠાને ચૂસીને તારું આખું શરીર અભડાવ્યું છે. ચીડ ચડી હોય તો લે આ દાતરડાથી તારો અંગૂઠો વાઢી તારા ખેતરના પેલા કૂવામાં ફેંકી દે.’

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

ચાલો, હરારી પાસે – લેખશ્રેણીનો સમાપન-લેખ : 35 : આશા કે એક નવ્ય નર્મદ અવતરે

સુમન શાહ|Opinion - Literature, Opinion - Opinion|20 October 2023

સુમન શાહ

‘એ.આઈ.’-ને ગ્રાન્ડ નૅરેટિવ ગણો કે ન ગણો, એથી જે ભાવિ વિશ્વ સરજાશે, એના ચાલકો અને નિયામકો ત્રણ વર્ગમાંથી હશે, ‘એ.આઈ.’-રીસર્ચર્સનો વર્ગ, ટૅક્નોક્રેટ્સનો વર્ગ અને બ્યુરોક્રેટ્સનો વર્ગ.

એ ત્રણ વર્ગના માંધાતાઓનાં લટિયાં એકબીજામાં ગૂંચવાયેલાં રહેશે અને એમાં જે વ્યક્તિમત્તાઓ પ્રભાવક હશે તે લાંબા ગાળા લગી ટકી રહેશે. વળી, એમને દુનિયાના ધનપતિઓ ધન આપતા રહેશે. પરિણામે, અન્લાઇક ઇમ્પિરિયાલિઝમ – ભિન્નસ્વરૂપ સામ્રાજ્યવાદ – અને તેને સુદૃઢ કરનારું એક વૈશ્વિક રાજકારણ આપોઆપ ઊભું થશે; જેનો ઉદય, આમ તો થઈ જ ગયો છે. એની આગળ કુટીલતમ રાષ્ટ્રોનું કે ખૂંખાર મીડિયાનું કંઈ નીપજશે નહીં. રાષ્ટ્રીયતાનું અને રાષ્ટ્રપ્રેમ કે દેશ-પ્રદેશનાં તળ મૂલ્યોનું મહત્ત્વ પણ નામશેષ થઈ જશે. અલબત્ત, પૃથ્વી પરના સરેરાશ મનુષ્ય પાસે માહિતી રૂપી જ્ઞાનરાશિ જરૂર હશે, અને એ તેનાં સુખ-દુ:ખ ભોગવતો હશે.

એક નકરું સુખ મને ગઈ કાલે જ સાંપડ્યું. મને ‘ભગવાન’ રામનાં દર્શન થયાં, બોલો ! મહાવૃત્તાન્ત ‘એ.આઈ.’-એ મહાકાવ્ય “રામાયણ”-ના નાયક રામને સંસૃજિત કરીને વિશ્વ માટે સુલભ કરી આપ્યા છે. રામાયણની ટેક્સ્ટ, વિવિધ દૃશ્ય-શ્રાવ્ય ડેટા, મશીન-લર્નિન્ગ વગેરે સામગ્રીથી સરજાયેલી, અને, ફરતી ફરતી મારા લગી આવેલી રામની છબી મનભાવન છે. જરૂર જોશો.

‘એઆઈ‘-સંસૃજિત રામ.

આ સંદર્ભમાં, ‘એ.આઈ.’-નાં બે પરોક્ષ પરિણામોનો નિર્દેશ કરવો મને જરૂરી લાગે છે, એક છે, લિબરાલિઝમ – ઉદારમતવાદ – (જુઓ લેખ 17 ) અને બીજું છે, ગ્લોબલિઝેશન – વૈશ્વિકીકરણ.

લિબરાલિઝમ, સરકારોની દખલગીરી અને નિયમન વિનાનાં ફ્રી માર્કેટ્સનો આગ્રહ આગળ કરે છે. લિબરાલિઝમ માણસને પણ એના હક્કો બાબતે મુક્ત ગણે છે. એટલે, ફ્રી માર્કેટને ફ્રી કસ્ટમર આરામથી મળી રહે છે. યુ.ઍસ. જેવાં કૅપિટાલિસ્ટ માર્કેટ્સ બધી પ્રોડક્ટ્સ કસ્ટમરની માનસિકતાને કેન્દ્રમાં રાખીને બનાવે છે અને કશીપણ રોકટોક વગર એને એની મરજી મુજબની ખરીદી કરવા દે છે. એવું લાગે, પોતાના ગ્રાહક માટે કેટલું સરસ કરે છે ! પણ એ દેખાતું નથી કે કેટલું સરસ પોતા માટે કર્યા પછી કરે છે !

લિબરાલિઝમના પ્રસારને કારણે એક વર્ચસ્વી ગ્લોબલ ઇકોનૉમિકલ સિસ્ટમ ઊભી થઈ છે. સાથોસાથ, ‘એ.આઈ.’-ને કારણે કૉમ્યુનિકેશન-ટૅક્નોલૉજિ અને ટ્રાન્સ્પોર્ટેશન ઘણાં વિકસ્યાં છે, જેથી ગ્લોબલિઝેશનની પ્રક્રિયાને ખાસ્સો વેગ મળ્યો છે. પરિણામ એ આવ્યું છે કે જુદા જુદા દેશો વચ્ચે અંદર અંદરનાં જોડાણો વિક્સ્યાં છે અને તેથી તે દેશોની ઇકોનૉમીઝ પણ એકબીજાં સાથે બરાબર સંકળાઈ છે. વેપાર વૈશ્વિક બન્યો છે કેમ કે આખું વિશ્વ હવે બજાર છે.

પણ આજે ગુજરાતી સાહિત્યની દશા અને દિશા ભ્રાન્ત છે. વિવિધ પ્રકારનાં આવશ્યક પોષણને અભાવે એ તનુતુચ્છ થઈ ગયું છે. એ અનેક દિશાએથી કપાઇ ગયું છે —

વેદોપનિષદો, બ્રાહ્મણગ્રન્થો, અદ્વૈત-સિદ્ધાન્ત કે ષડ્ દર્શનો – સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા, અને વેદાન્ત, એ વૈદિક જ્ઞાનનાં છ દર્શનો, વગેરે પ્રાચીન ભારતીય દર્શનપરમ્પરાનો આપણને પ્રગાઢ પરિચય હતો. આપણને બૌદ્ધ, જૈન, શિખ કે ખ્રિસ્તી ધર્મની પરમ્પરાઓનો પણ એટલો જ સારો પરિચય હતો. આપણે સૉક્રેટિસ પ્લેટો ઍરિસ્ટોટલથી માંડીને સાર્ત્રના અસ્તિત્વવાદ સુધીની પાશ્ચાત્ય ફિલસૂફીથી ઠીક ઠીક વાકેફ હતા. આ બધાંને વિશેના પૂર્વસૂરીઓના શ્રમસાધિત પ્રયાસોનાં ફળ ગ્રન્થો રૂપે આપણાં ગ્રન્થગારોમાં છે, પણ કૅદ છે.

શૅલિ, કીટ્સ, બાયરન, વર્ડ્ઝવર્થ કે શેક્સપીયરના અંગ્રેજી સાહિત્યવિશ્વ સાથે કશો નાતો રહ્યો નથી. તેમાંના કેટલાયની કૃતિઓનું ગુજરાતીમાં થયેલું અનુવાદસાહિત્ય વીસરાઈ ગયું છે, કેમ કે એ કોઈની વાત કરવાની ગરજ નથી રહી. ગુજરાતી સાહિત્યના આધુનિક યુગમાં, પશ્ચિમના અને વિશ્વના સાહિત્ય લગી સંભવેલો ગુણસમૃદ્ધ ક્ષિતિજવિસ્તાર નામશેષ રહી ગયો છે. એ દાયકાઓમાં આપણે ચિત્ર સંગીત વગેરે લલિતકલાઓ અને ફિલ્મ સાથે સન્ધાન સાધી શકેલા; એની વાતો પણ છૂટી પડીને દૂર ચાલી ગઈ છે.

અને, આપણો સાહિત્યવિચાર તો જુઓ, એકલો છે ! સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને પ્લૅટો ઍરિસ્ટોટલથી માંડીને ‘નવ્યવિવેચન’ યુનિવર્સિટીઓમાં શીખવાય છે, પણ વિદ્યાર્થીની તેમ જ અમુક કક્ષાના અધ્યાપકોની દયા ખાઈને, નાના નાના મુદ્દાઓમાં. વિદેશોમાં વિવેચન તો સંરચનાવાદ, અનુ-આધુનિકતાવાદ, દેરિદા, ફૂકો કે બાદિયુ લગી પ્હૉંચીને કેટલું તો બદલાઇ ગયું છે. આજે આપણે ત્યાં સમ્યક વિવેચનવિચાર કે સૌના ચિત્તમાં રણકે એવો ‘ક્રિટિકલ બઝવર્ડ’ પણ શોધ્યો નથી જડતો. અવલોકનો છીછરાં પુસ્તકોનાં થાય છે, અનુત્તમને કોઈ અડી શકતું પણ નથી, કેમ કે આપણી પાસે હિમ્મતવાન અને બળવાન વિવેચનાને વરેલા સાહસિકો નથી.

ઉન્નતભ્રૂ દુરારાધ્ય વિવેચક એક જમાનામાં આપણે ત્યાં ગૌરવશાળી ચીજ હતી, હવે દયાળુ સુસાધ્યની બોલબાલા છે. એક સમય હતો જ્યારે સુજ્ઞ વિવેચકની સાત્ત્વિક ધાક હતી અને તેના તરફથી થનારાં વિધાનોની રાહ જોવાતી’તી. આજે કલાસૌન્દર્યની ઓળખ જ નથી પડતી, સસ્તી કારીગરી વખણાય છે. રસાનન્દનું સ્થાન વાહવાહીએ લીધું છે. એ નથી વિચારાતું કે કૃતિને કયા સહૃદયી ભાવકો મળ્યા, ‘લાઇક્સ’-ની સંખ્યાથી ખુશ રહેવાય છે.

કવિતાવિચાર અછાન્દસમાં કે એની સ્પર્ધામાં ગઝલમાં અને બહુ બહુ તો કલ્પન પ્રતીકની સમજણ આસપાસ ચકરાયા કરે છે. મોટાભાગનાં કાવ્યો લાગણીઓ અને ઊર્મિલતાના ઝીણાં ઝીણાં કુંડાળામાં ફર્યા કરે છે. સર્જકકલ્પના અને તરંગતુક્કા વચ્ચેનો ભેદ ભુંસાઈ ગયો છે.

નવલકથા જ્યારે પણ લખાય છે, લઢણને લીધે લખાય છે. ટૂંકીવાર્તાઓ, ચોપાસ જે દેખાય છે તેના ભાષામાં કરેલા અનુવાદો છે ! આજના કથાસાહિત્યને નથી ઝાઝી લેવાદેવા મનોવિજ્ઞાન સાથે કે નથી કશી નિસબત સમાજવિજ્ઞાન સાથે.

રાજનીતિ અને રાજકારણ જોડે તો આપણા સાહિત્યવિચારને સ્નાનસૂતકનો ય સમ્બન્ધ નથી.

આપણી માતૃભાષાની માતા કહેવાતી સંસ્કૃત ભાષાના સાહિત્યની આજે ઝાઝી વાત નથી થતી. કાલિદાસ ભવભૂતિ માઘ બાણ કે શ્રીહર્ષની શબ્દસૃષ્ટિઓનાં રસપાન વિના મને તો સર્જનાત્મક શબ્દનો વિચાર પણ નથી આવતો !

હું તો પાણિનીના વ્યાકરણને તેમ જ ભરતથી માંડીને વિશ્વનાથ સુધી પાંગરેલા રસાદિ સમ્પ્રદાયોથી સિદ્ધ સંસ્કૃત કાવ્યશાસ્ત્રને ગ્રાન્ડ નૅરેટિવ્ઝનો દરજ્જો આપું છું. બેશક, એ બન્ને મહા વૃત્તાન્તો છે. એને એમ ન ગણો તો પણ એ મહાન વિચારધારાઓ છે, જેમાં મહાવૃતાન્તનાં અનેક લક્ષણો છે; ખાસ એ કે એ બન્ને સર્વગ્રાહી છે, સમ્પૂર્ણ છે. એ બન્ને વિચારધારાઓએ વ્યાકરણક્ષેત્રની અને કાવ્યકલાના સિદ્ધાન્તક્ષેત્રની સર્વાંગ વાસ્તવિકતાને પૂરેપૂરી જ્ઞાનગોચર કરી આપી છે.

આ દૃષ્ટિદોર અનુસાર, દલપત-નર્મદથી પ્રારમ્ભાયેલા સમગ્ર ગુજરાતી સાહિત્યને પણ સાગમટે હું એક ગ્રાન્ડ નૅરેટિવ ગણું છું. સુધારક યુગ, પણ્ડિત યુગ, ગાંધી યુગ અને આધુનિક યુગ મારી નજરમાં એમાંથી પ્રગટેલાં સ્મૉલ નૅરેટિવ્ઝ છે.

દલપત-નર્મદથી પ્રારમ્ભાયેલા આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યની શબ્દશ્રીની આ સ્થિતિ છે.

જેમનું દેશભરમાં નામ છે, એવી જે વાયકા છે, તેઓ ઘણા શિકાર કરીને બરાબર આરોગીને સંતુષ્ટ બૂઢા વનરાજની જેમ પોતાની બૉડમાં ઊંઘી ગયા છે, મને તેઓ પ્રેમપૂર્વક યાદ છે.

સાહિત્યનાં આપણાં અધ્યયન-અધ્યાપનને હું ભૂલ્યો નથી, પણ આ બાબતમાંથી હું એમને બાદ રાખું છું કેમ કે એમની શક્તિઓનો સૅમિસ્ટરોમાં અને ‘પરીક્ષા’ કહેવાતી પ્રવૃત્તિઓમાં, પ્રજા અને સરકારના હિતમાં ખરચ થઇ રહ્યો છે.

શતાબ્દીઓ દશાબ્દીઓ કે દિવન્ગતોની જન્મજયન્તીઓ ઉજવાય છે એ કાર્યક્રમોમાં મને ઇતિહાસને યાદ કરવાની આપણી ઇચ્છા જરૂર દેખાય છે, તેમછતાં, એને હું પિતૃતર્પણ માટેનાં સામયિક ઉજવણાં ગણું છું, કેમ કે તે દિવસ પૂરતી આછાપાતળી વાતો કરી લેવાથી પૂર્વકાલીન સિદ્ધ-પ્રસિદ્ધોનાં સત સાથે સમકાલીનોનો પાકો અનુબન્ધ ઊભો થઈ જશે, એવો મને વિશ્વાસ નથી પડતો.

અલબત્ત, મને સાહિત્યકલાના ખરા સર્જકોમાં અને એનું શિક્ષણ આપતા કેટલાક દાઝીલા અધ્યાપકોની નિષ્ઠામાં પૂરો વિશ્વાસ છે, પણ એમની કુલ સંખ્યા નાની છે, અને તેઓ સામેવ્હૅણ તરી રહ્યા છે …

મારી આ વાત સ્મૃતિલોપની છે; વ્યક્તિઓના કે વ્યક્તિજૂથોના નહીં, પણ સાહિત્યશબ્દને વરેલા સારસ્વતોની કારકિર્દીમાં થયેલા સ્મૃતિલોપની છે. આપણે જેને ‘સાહિત્યિક સંસ્કૃતિ’ એવું બિરુદ આપ્યું છે એને લૂણો લાગ્યો છે, એની છે મારી આ વાત.

અને એ તો વિચારો કે આ ધસમસતી અને પ્રગતિભૂખી દુનિયામાં આપણા ગુજરાતી સાહિત્યનું સ્થાન શું છે. આપણા ગુજરાતી ચન્દ્રકોની, આપણા નેશનલ ઍવૉર્ડ્સની ‘ધાતુ’ શી છે? એનાં તેજ અને પ્રભાવની તો વાત જ અસ્થાને છે. એકબીજાને પૂછી લો કે – એ કોણ આપે છે? – કોને આપે છે?

સંસારના અન્ય સંવિભાગોથી સાવ છેટી પડી ગયેલી અને પ્રજાના વાચનરસના સાથ વિનાની આ મન્દપ્રાણ લેખનપ્રવૃત્તિને આધુનિક સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન મનોરુગણ્તા કહે છે, અને ક્રમશ: પ્રાણઘાતક લેખે છે.

સાહિત્યજ્ઞાન અને તેથી જીવનબોધ વિનાનું આપણું આજનું સાહિત્ય, માત્ર નામનું છે. એક તરફ છે, ‘એ.આઈ.’-થી રચાઇ રહેલું વિશ્વ અને બીજી તરફ છે, આપણી આ સ્થિતિ. બન્ને વિકસી રહ્યાં છે ! એટલે બન્ને વચ્ચે મને જ્ઞાનપરક મોટી ખાઈ – કૉગ્નિશનલ રિફ્ટ – વિસ્તરતી દેખાઇ રહી છે. ઇતિહાસ કહે છે કે જ્ઞાન વિશે જે પ્રજાઓની જીવન જીવવાની રીતરસમો ઉદાસીનતા અને પ્રમાદમાં ગ્રસ્ત રહે છે એમનો કાળક્રમે વિલય થાય છે.

સાહિત્ય જો લીલા છે, ક્રીડા છે, ખેલ કે રમત છે, તો સ્વીકારો કે આપણે એ જ જૂની રમતો રમી રહ્યા છીએ, અને આજકાલ તો એના નિયમોને ય અભરાઇએ ચડાવી બેઠા છીએ. આ નરી ટેવવશ રમાતી રમતોથી ક્યારે છૂટીશું? સ્વીકારો કે આપણી વચ્ચે હાલ નર્મદ જેવો કોઈ યુગપ્રવર્તક સાહિત્યકાર નથી, જેને આજની પરિભાષામાં ‘ગ્રેટ ગેમચેન્જર’ કહી શકીએ.

નર્મદ.

એટલે, આ લેખશ્રેણીના સર્વસારથી મારામાં એક આશા જનમી છે, એ કે એક નવ્ય નર્મદ અવતરે. જુઓ, નર્મદ પહેલો અર્વાચીન જન હતો જે મધ્યકાલીન વાતાવરણમાંથી છૂટીને સાહિત્યને છાજે એવા શબ્દની શોધમાં લાગી ગયેલો. એ નર્મદની માનસિકતાના પુનર્જન્મની આજે મને સખત જરૂરત વરતાય છે. હૅઝલિટ વગેરે પર-ભાષાના લેખકો લગી વિસ્તરી ગયેલી એની તીવ્ર જિજ્ઞાસાના પુનર્જાગરણની મને ‘એ.આઈ.’-આવિષ્કારો માટે જરૂરત વરતાય છે. ગુજરાતી સાહિત્યના વિકાસ માટે વ્યાકરણ અને નર્મકોશ રચનારી એની ખાંખત અને સ્વભાષાને માટેની એની પ્રીતિની મને ‘એ.આઈ.’-ડેટાસૅટ્સ અને ઑલ્ગોરીધમ્સ માટે જરૂરત વરતાય છે.

હું એક એવા ભાવિ ગુજરાતી સાહિત્યકારની કલ્પના કરું છું જેની પાસે નર્મદનું ‘ચલો જીતવા જંગ’-ની ધગશ તેમ જ ‘વીર સત્ય ને રસિક ટેકીપણા’-થી અધિકૃત, ખુદ્દાર, વ્યક્તિત્વ હોય. એક એવો જાગ્રત માણસ જે ‘એ.આઈ.’ સમેતનાં સર્વ આધુનિક ગ્રાન્ડ નૅરેટિવ્ઝથી વાકેફ હોય અને એથી પ્રગટેલા યુગસ્પન્દનનો જેના હૃદયમાં નિત્ય ધબકાર હોય, અને જેનું વિશ્વદર્શન જરાજીર્ણ પરમ્પરાના ધાવણથી છૂટીને વિશ્વમાં સરજાયેલી નૂતન વાસ્તવિકતાને ઉઘાડી આંખે નીરખતું હોય, અને એ જન, બસ, એ દુનિયાના ચૉકમાં નીસરી પડ્યો હોય …

(લેખશ્રેણી સમ્પૂર્ણ)

= = =

(10/19/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હવે તો નકલી જ અસલી થઈ ગયું છે…

રવીન્દ્ર પારેખ|Samantar Gujarat - Samantar|20 October 2023

રવીન્દ્ર પારેખ

નવરાત્રિ ચાલે છે ને માતાજીને નામે ગરબા પણ ગવાય છે. એટલું સારું છે કે ગરબા કરનારા નકલી નથી, પણ તેઓ હોજરીમાં જે નાખીને આવે છે તે નકલી હોઈ શકે છે. એનું આશ્ચર્ય જ છે કે કળિયુગમાં માતાજી પણ નકલી પ્રસાદ ગ્રહણ કરી લે છે. તે વગર અંબાજીમાં હજારો કિલો નકલી મોહનથાળ ખપી જાય ને ભક્તો તે ખુશી ખુશી ઝાપટી પણ જાય એવું બને ખરું? આ પ્રસાદ પાછો મફત નથી મળતો. એ અસલી નોટોથી મળે છે. નોટો અસલી, પણ મોહનથાળ નકલી. આ લોકો માતાજીને નકલી ઘી ખવડાવીને છેતરી શકતા હોય, તો ભક્તોને તો ભેળસેળિયું ઘી ખવડાવીને ખપાવી નથી દેતા એ માટે તેમનો ઉપકાર જ માનવો જોઈએ. કમાલ તો એ છે કે મોહનથાળ માટે આવેલું ઘી અમૂલને નામે ખપાવાયું. ટૂંકમાં, નામીને બદનામ કરવાની ય કોઈને નાનમ ન લાગી. જો કે, પ્રસાદના મોહનથાળમાં હજારો કિલો ભેળસેળિયું ઘી ખપી ગયાં પછી ગુજરાત સરકાર એક્શનમાં આવી. તેણે ફટાફટ મોહિની કેટેરર્સનો કોન્ટ્રાક્ટ રદ્દ કરી દીધો ને કર્ણાટકનાં વિશ્વ વિખ્યાત અક્ષયપાત્ર ફાઉન્ડેશન(ટચ સ્ટોન ફાઉન્ડેશન)ને કોન્ટ્રાક્ટ આપી પણ દીધો. એ પણ ઠીક ન લાગે તો વળી કોન્ટ્રાકટર બદલાય એમ બને ! આમ પણ આપણે ત્યાં કોન્ટ્રાક્ટરોની કમી નથી એટલે ખરોખોટો પ્રસાદ તો ભક્તોને મળશે જ એવી ખાતરી છે.

આમ તો વર્ષોથી બધાંમાં ભેળસેળ કે ગોલમાલ ચાલતી જ આવી છે, પણ એક વાર કોઈ ઝડપાય છે કે તંત્રો એકદમ જ ઊંઘમાંથી બેઠાં થઈ જાય છે અને ઠેર ઠેર રોડા-દરોડા પાડવા લાગે છે, તો અસલી ઘી કેમ પારખવું એનું પ્રશિક્ષણ પણ મીડિયા આપવા લાગે છે. આમ તો અગાઉ પણ દૂધ-ઘી નકલી વેચાયું જ છે, પણ મોહનથાળે ઘણાંનાં થાળાં ઊંધાં મરાવ્યાં છે તે પણ ખરું. બેચાર  દિવસ પર જ જામનગરથી 35 કિલો નકલી ઘી ઝડપાયું. એ અગાઉ પણ 10મી ઓક્ટોબરે ત્યાંથી જ 528 કિલો નકલી ઘી પકડાયેલું. ગયા ઓગસ્ટમાં ગીર સોમનાથમાંથી નકલી ઘી બનાવવાની બે ફેક્ટરીઓ ઝડપાઇ હતી, તો જુલાઈમાં ઉનામાંથી નકલી ઘીના 50 ડબ્બા પકડાયા હતા. જુલાઈમાં જ કચ્છમાંથી અસલી ઘીને નામે નકલી ઘી 300ની આસપાસ વેચાયું. આમાં પછી સુરતનું વરાછા બાકી શું કામ રહે? તેણે પણ નકલી ઘી ખપાવ્યું જ ! જુલાઈમાં જ ઓલપાડમાં નકલી ઘીનું કારખાનું ઝડપાયું, તો કામરેજ પણ કૈં જાય એવું નથી. એણે પણ નકલી ઘીનું કારખાનું જાન્યુઆરીમાં જ નાખેલું, પણ નસીબ વાંકું તે ભોપાળું બહાર આવી ગયું. સૌરાષ્ટ્ર ચોખ્ખા ઘી-દૂધ માટે જાણીતું ગણાય, ત્યાં પણ હવે નકલી ઘીનો ધીકતો ધંધો ચાલે છે. આમાં ગુજરાતનાં શહેરો એકબીજાની નકલ કરવાની સ્પર્ધામાં હોય તેમ વધુ મોટા આંકડા સાથે પ્રગટ થતાં રહે છે.

મંગળવારના જ સમાચાર છે કે અમદાવાદમાંથી 6 લાખ કિલોગ્રામ નકલી ચીઝ અને બટરનો જથ્થો મ્યુનિસિપલ ફૂડ વિભાગે જપ્ત કર્યો. આ ઉપરાંત પીરાણામાં 1,300 કિલો જેટલો ગાયના ઘીનો એક્સપાયરી ડેટવાળો જથ્થો પકડાયો. ફૂડ વિભાગે જથ્થો નાશ કરાવીને 25 હજારનો દંડ પણ કર્યો. લાખો રૂપિયાની નકલી ચીજ વસ્તુઓ પકડાય ને દંડ 25 હજારનો થાય તો એ તો દરિયામાં ખસખસ જેવું છે. અઢારમી ઓક્ટોબરે વાડીલાલ અને પદ્માવતી સ્ટોરેજમાંથી માવા-બટરનો પોણા બે કરોડનો, સિત્તેર હજાર કિલોનો જથ્થો અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશને સ્થગિત કર્યો. ગાંધીનગરમાંથી 17મીએ ફાસ્ટફૂડની દુકાનમાંથી 10 કિલો અખાદ્ય મન્ચૂરિયન, નૂડલ્સ, બટરનો જથ્થો પકડાયો. આ તો પકડાયું તેની માહિતી છે, ન પકડાયું હોય એવું તો કેટલું ય હશે ! અમદાવાદમાં જ પાણી અને અખાદ્ય પદાર્થોને કારણે ઝાડા-ઊલટી- ટાઇફોઇડ- કમળાનો ફેલાવો વધ્યો છે તે ખાતર પર દિવેલ તો ખરું જ !

આ બધું તો દૂધની બનાવટમાં ઝડપાયું, પણ વાત એટલી જ નથી. નવરાત્રિ દરમિયાન વડોદરાનાં અલકાપુરીમાં પાન-મસાલાનાં ગલ્લામાંથી ઈ-સિગારેટનાં 202 પેકેટ સાથે સંચાલકની ધરપકડ થઈ. ત્રણેક દિવસ પર જ રાજકોટમાં નશીલી ચોકલેટોનું વેચાણ પાનનાં ગલ્લાઓ પર થયાના સમાચાર છે. આમ તો ડ્રગ્સનું હબ હવે ગુજરાત ગણાય છે, ત્યાં સ્કૂલો નજીક નશીલી ચોકલેટો વેચાવા લાગી છે, એટલે કુમળી વયથી જ બાળકો નશીલી વસ્તુઓથી ટેવાઇ જાય તેવો મનસૂબો સરકારે રાખ્યો હોય તો નવાઈ નહીં ! બધાં જ વંઠેલ છે તો બાળકો પણ બાકાત શું કામ રહે? આપણે કેવું રાજ્ય બનવા જઇ રહ્યાં છીએ, તેનો આ નમૂનો માત્ર છે. આપણી ફૂડ હેબિટ્સ અનેક રીતે જોખમી છે. પેટ જાણે ડસ્ટબિન હોય તેમ ચીઝબટરવાળો ઓઈલી ખોરાક તહેવારોમાં મોડી રાત્રે પધરાવીએ છીએ ને તેથી તો હાર્ટ એટેકને જ આમંત્રણ આપવા જેવું થાય છે. ડોક્ટરોએ અડધી રાત્રે હેવી ડાયટ હાર્ટ એટેકનું કારણ બની શકે છે એવી ચેતવણી આપી છે, પણ યુવાનોને રાત્રે હેવી ડાયટ સિવાય બીજું ખાસ કૈં ખપતું નથી.

અત્યારની સ્થિતિ એવી છે કે કુટેવ, ટેવમાં અને નકલી, અસલીમાં ખપે છે. વિદ્યાર્થીઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધતાં રાજકોટમાં DEOએ કસરત, દોડનું પ્રમાણ ઘટાડવા આચાર્યોને સૂચના આપવી પડી છે. એક સમય હતો જ્યારે કસરતને પ્રોત્સાહન અપાતું, હવે કસરત ઘટાડવાની સૂચનાઓ અપાય છે. આમ તો સંગીત ધીમું કે મધુર પણ સારું હોઈ શકે છે, પણ એવું હવે ખાસ મનાતું નથી. બધું ભવ્ય, મોટું ને કાન ફાડી નાખે એવું જ ખપે છે ને ઉપરથી મીડિયા તેને ચગાવે છે. સરસાણામાં G9નાં પ્રચંડ સાઉન્ડે સુરત ધ્રુજાવ્યું, તેમાં તો મોટી ધાડ મારી હોય તેમ સૌથી મોટી અને ગજબ સિસ્ટમ ગણાવીને મીડિયાએ આરતી ઉતારી. મીડિયા જ કંટ્રોલ કરવાને બદલે લોકોને ચગાવે તો એ ફાટીને ધુમાડે જાય તો નવાઈ નથી. અમદાવાદમાં ‘ખાઉધરા’ ગરબા પણ થાય છે, જેમાં ખેલૈયાઓ ખાય છે ને ગાય છે. આને રમઝટ કહેવાય કે જમઘટ તે તો નથી ખબર, પણ આ તકલાદી ખાનારાઓનું તકવાદી સાહસ હોય એમ વધારે લાગે છે.

એક તરફ વિકાસ વિકાસની જાહેરાતો થતી રહે છે, પણ જે ચિત્ર સામે આવે છે તે તો રકાસ રકાસનું વધુ છે. લાગે છે તો એવું કે આખું રાજ્ય દંભી અને નકલી જિંદગીનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. ગુજરાતમાં ઘી દૂધની નદીઓ વહેતી હોય તેમ નકલી ઘી ઉત્તરથી દક્ષિણ ગુજરાતમાં ખૂણે ખૂણે વહી રહ્યું છે. એક જૂઠાણું સો વખત બોલવામાં આવે તો એ જ પછી સાચું લાગવા માંડે છે, બિલકુલ એ જ રીતે ચારે તરફથી નકલી જ માથે મરાયા કરે તો એ જ પછી અસલી લાગવા માંડે છે. ખાદ્ય સામગ્રીની બાબતે અત્યારે સ્થિતિ તો બદથી બદતર છે. એક તરફ ભવ્ય જિંદગીનો એવો દેખાડો થતો રહે છે, જેમાં અનેક ક્ષેત્રે રાજ્યે હરણફાળ ભરી હોય તેવું ઠસાવાય છે ને બીજી તરફ કેવળ અશુદ્ધિ, છેતરપિંડી અને નકલ રોજિંદી જિંદગીમાં લોહીની જગ્યાએ વહેતી દેખાય છે. આનાં પરિણામો તરત તો ન દેખાય, પણ આશંકા, અસલામતી અને અનારોગ્યનો શિકાર અનેક પેઢીઓ થઈ રહી હોવાનું સ્પષ્ટ દેખાય છે. તંત્રો કામ તો કરે છે, પણ પરિણામો થોડા દરોડાથી આગળ જતાં નથી. એ કમનસીબી છે કે એક દુર્ઘટના પછી બીજી ઘટના બને જ નહીં એવી ખાતરી રાજ્યનાં વહીવટમાંથી મળતી નથી. ક્યાંક થોડીક નોટો ઘટનાઓને રફેદફે કરી નાખે છે તો ક્યાંક કૈં જ ન બન્યું હોય એવું નિસ્પૃહી વલણ પણ તંત્રો દાખવી શકે છે.

સરવાળે જે ચિત્ર દેશનું કે રાજ્યનું ઉપસે છે એમાં વિશ્વસનીયતા સતત દાવ પર લાગતી દેખાય છે. તંત્રોની ભ્રષ્ટતા તો છે જ, પણ પ્રજાની નિષ્ઠુરતા પણ ઓછી જવાબદાર નથી. નકલી ચીજ વસ્તુઓ સરકાર બનાવતી નથી. નકલી ઘી કે નશીલી ચોકલેટો એક છેડેથી બીજે છેડે જાય છે તે આમ તો પ્રજાની ખોટી કમાણીની જ ચાડી ખાય છે. લોકોની જિંદગી જોડે રમીને બધાંએ જ રાતોરાત કમાઈ લેવું છે ને તે પણ હકનું નહીં, હરામનું. કોઈના સર્વનાશને ભોગે, પોતાનું કલ્યાણ થાય એ સિવાય કોઈનો કોઈ સ્વાર્થ નથી. આ નિસ્વાર્થીપણું પૂર્ણપણે ઘાતક છે. દહેશત જેવો એક પ્રશ્ન સતત થાય છે કે સંવેદના, માણસાઈ, માનવતા જેવું પ્રગટ થાય એવું ક્યાં ય કૈં બચ્યું છે કે કેમ?

000 

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 ઑક્ટોબર 2023

Loading

...102030...798799800801...810820830...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved