Opinion Magazine
Number of visits: 9665932
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વસંત

ભરત ગોસ્વામી "ભાવુક"|Opinion - Opinion|16 February 2024

પ્રકૃતિમાં તું કમાલ કરે છે વસંત,

કેશુડાને માલામાલ કરે છે વસંત,

મળવાની ગુલાબી કેડી ખીલાવી

પ્રેમની ઋતુ ગુલાલ કરે છે વસંત,

મોસમ ફરી નશામાં ચકચૂર બની

યુવાની જેમ ધમાલ કરે છે વસંત,

ડાળીઓમાં વીંટળાઈને વેલાઓની

લચકતી અદા ન્યાલ કરે છે વસંત,

તારી એક બુંદ ઝાકળના સિંચનમાં

‘ભાવુક’ કલમના ફાલ કરે છે વસંત.

અંજાર કચ્છ
e.mail : bharatgpswami00@gmail.com

Loading

બ્રિટિશ ‘વુથરિંગ હાઈટ્સ’ સાથે દિલીપ કુમારનો હિન્દી રોમાન્સ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 February 2024

રાજ ગોસ્વામી

બહુ વર્ષો પહેલાં એવું વાંચ્યાનું યાદ છે કે અમિતાભ બચ્ચને ઇંગ્લિશ નવલકથાકાર અને કવિયત્રી, એમિલી બ્રોન્તેની યાદગાર નવલકથા ‘વુથરિંગ હાઈટ્સ’ (ઊંચાઈ પર આવેલું હવાદાર ઘર) પરથી ફિલ્મ બંને તો તેમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ નવલકથા બ્રિટિશ યુવા પેઢીમાં એટલી લોકપ્રિય હતી કે એક સમયે વેલેન્ટાઇન ડે પ્રસંગે તેના નામમાં કાર્ડ્સ બજારમાં વેચાતાં હતાં, જેના પર તેની એક યાદગાર રોમેન્ટિક લાઈન લખાતી હતી; હોન્ટ મી, ધેન! ( તો પછી મને પરેશાન કર). ત્યાંનાં ઘણાં પત્ર-પત્રિકાઓ તરફથી વર્ષો વરસ જાહેર થતી વેલેન્ટાઇન ડે નિમિત્તે વાંચવા જેવી રોમેન્ટિક નવલકથાઓની સૂચિમાં ‘વુથરિંગ હાઈટ્સ’નું નામ અચૂક હોય છે.

શ્રી અર્નશો દ્વારા વુથરિંગ હાઇટ્સ ખાતે રહેવા માટે લાવવામાં આવેલ એક અનાથ, હીથક્લિફ શ્રી અર્નશોની પુત્રી કેથરિનના પ્રેમમાં પડે છે. મિસ્ટર અર્નશોના મૃત્યુ પછી, તેમનો નારાજ પુત્ર હિન્ડલી હીથક્લિફ સાથે દુર્વ્યવહાર કરે છે અને તેમની સાથે નોકરની જેમ વર્તે છે. સામાજિક પ્રસિદ્ધિ માટેની તેણીની ઇચ્છાને કારણે, કેથરિન હીથક્લિફને બદલે એડગર લિન્ટન સાથે લગ્ન કરે છે. હીથક્લિફનું અપમાન અને દુઃખ તેને હિંડલી, તેની પ્રિય કેથરિન અને તેમના સંબંધિત બાળકો પર બદલો લેવા માટે તેના મોટાભાગનું જીવન પસાર કરવા તરફ દોરી જાય છે.

‘વુથરિંગ હાઈટ્સ’ ઇંગ્લિશ સાહિત્યની ક્લાસિક નવલકથા છે. તે 170 વર્ષ પહેલાં, 1847માં, લંડનમાં પ્રકાશિત થઇ હતી. ઇંગ્લેન્ડના બ્રેડફોર્ડ શહેરની નજીક થોર્ટન નામના ગામડામાં જન્મેલી એમિલી બ્રોન્તેએ, 21 વર્ષની વયે આ નવલકથા લખી હતી. આ તેની એક માત્ર નવલકથા છે. નવલકથા પ્રગટ થઇ તેના એક જ વર્ષમાં, સ્થાનિક હવામાન અને ગંદકીના કારણે, બીમારીમાં તેનું અવસાન થઇ ગયું હતું.

એમિલી બ્રોન્તેને ચાર બહેનો અને એક ભાઈ હતાં. તેની બીજી બે બહેનો, શારલોત બ્રોન્તે અને એન બ્રોન્તે પણ સફળ લેખિકાઓ હતી.

તે વખતનો ઇંગ્લિશ સમાજ અને ખુદ બ્રોન્તેનો પરિવાર એટલો રૂઢિચુસ્ત હતો કે એમિલી બ્રોન્તેએ ‘એલિસ એન્ડ એક્ટન બેલ’ એવા બે લેખકોના નામથી આ નવલકથા પ્રકાશિત કરી હતી. શારલોત બ્રોન્તેની ‘જેન આઈરે’ નવલકથાએ પદ્ય લેખનના ક્રાંતિકારી શૈલી વિકસાવી હતી. એન બ્રોન્તેની નવલકથા ‘ધ ટેનેન્ટ ઓફ વાઈલ્ડફેલ હોલ’ શરૂઆતી નારીવાદી રચનાઓમાંથી એક ગણાય છે. ‘વુથરિંગ હાઈટ્સ’ અને ‘જેન આઈરે’ આજે પણ દુનિયાભરમાં અંગ્રેજી સાહિત્યના અભ્યાસક્રમમાં ભણાવામાં આવે છે.

‘વુથરિંગ હાઈટ્સ’માં જે પ્રકારની હિંસા અને ઝનૂન હતું, તે જોઈને ઘણા લોકોને એવું લાગ્યું હતું કે આ નવલકથા કોઈ પુરુષ લેખકે લખી હોવી જોઈએ. તેમાં ત્રણ મુખ્ય પાત્રો હતાં; હીથક્લિફ લિન્ટન, કેથરિન અર્નશો અને એડગર લિન્ટન. ઘરમાં ગરીબી અને બીમારીઓ વચ્ચે મોટી થયેલી એમિલી બ્રોન્તેને 29 વર્ષના તેના જીવનમાં પ્રેમની તલાશ રહી હતી અને તેનું જ નિરૂપણ ‘વુથરિંગ હાઈટ્સ’માં હતું. જો કે, એમાં તેણે હીથક્લિફ નામના જીપ્સી જેવા એક એવા નાયકનું પાત્ર સર્જ્યું હતું કે એ નવલકથા વેરની વસૂલાત તરીકે જાણીતી થઇ ગઈ. એ વાર્તા અર્નશો અને લિન્ટન એમ બે પરિવારો વચ્ચે વહેંચાયેલી હતી અને બંને પક્ષે મળીને તેમાં 19 પાત્રો હતાં.

વાસ્તવમાં, અમિતાભને આવેલો વિચાર તદ્દન નવો નહોતો. અગાઉ, આ વાર્તા પરથી ત્રણ હિન્દી ફિલ્મો બની ચૂકી છે. 1950માં, નિર્દેશક શહીદ લતીફની ‘આરઝૂ,’ 1951માં એસ.કે. ઓઝાની ‘હલચલ’ અને 1966માં અબ્દુલ રશીદ કારદાર (એ.આર. કારદાર) નિર્દેશિત ‘દિલ દિયા દર્દ લિયા’ ‘વુથરિંગ હાઈટ્સ’ પરથી પ્રેરિત હતી. 

મજાની વાત એ છે કે એ ત્રણેમાં દિલીપ કુમારની મુખ્ય ભૂમિકા હતી. ’આરઝૂ’માં તેમની સાથે કામિની કૌશલ, ‘હલચલ’માં નરગીસ અને ‘દિલ દિયા દર્દ લિયા’માં વહીદા રહેમાન હતી.

અમિતાભને પણ હીથક્લિફનીએ ભૂમિકા કરવાનું કેમ મન થયું હશે તે સમજી શકાય છે. અમિતાભે હંમેશાં દિલીપ કુમારને તેમના આદર્શ માન્યા છે. દિલીપ કુમારે એક જ પ્રકારની વાર્તા પરથી ત્રણ ફિલ્મો કેમ કરી તે પણ સમજી શકાય તેવું છે. એનું કારણ વાર્તાનો નાયક હીથક્લિફ છે. એ પ્રેમમાં ખુદને અને બીજા લોકોને તબાહ કરી દેનારો નાયક છે. દિલીપ કુમારને આવી ભૂમિકાઓ બહુ ગમતી હતી. એટલા માટે જ તેમનું હુલામણું નામ ‘ટ્રેજેડી કિંગ’ પડ્યું હતું.  

આ ત્રણેમાંથી ‘દિલ દિયા દર્દ લિયા’ લોકપ્રિય થઇ કારણ કે 1950માં ‘આરઝૂ’ આવી તે પછીના 15 વર્ષમાં એક એક્ટર તરીકે દિલીપ કુમારમાં ઘણી પરિપક્વતા આવી ગઈ હતી (1955માં તેમણે બિમલ રોયની ક્લાસિક ફિલ્મ ‘દેવદાસ’માં આવા જ ટ્રેજિક હીરોની ભૂમિકા કરી હતી) અને બીજું, તેમાં નૌશાદનું સંગીત અત્યંત સુંદર હતું. 

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે હિન્દી સિનેમામાં દર્દ ભર્યાં ગીતોમાં મૂકેશનું ‘રાજ’ ચાલે છે, જેમાં તે માનવીય દર્દ અને વેદનાને તેમના અવાજ દ્વારા રૂપેરી પડદે જીવંત કરે છે, જ્યારે મોહમ્મદ રફી તેમની વૈવિધ્યતા માટે જાણીતા છે. રફી ઓલરાઉન્ડર છે અને લાખો સિને રસિકો તેમને રોમાન્સના ‘બાદશાહ’ તરીકે ગણે છે, પરંતુ તમે જો ધ્યાન જુવો તો ખબર પડશે કે રફીનાં ઘણાં ગીતો ખરેખર હૃદયસ્પર્શી અને કરુણાથી ભરેલાં છે. 

‘દિલ દિયા દર્દ લિયા’ તેની સાબિતી છે. શકીલ બદાયુનીના શબ્દો અને લતા મંગેશકર, મહોમ્મદ રફી, આશા ભોંસલેના અવાજમાં તેમાં 8 ગીતો હતાં, પણ તેનું ‘દિલ દિયા દર્દ લિયા, ‘કોઈ સાગર દિલ કો બહેલતા નહીં,’ ‘ગુઝરે હૈ આજ ઈશ્ક મેં,’ દિલરુબા મૈંને તેરે પ્યાર મેં ક્યા ક્યા ન કિયા’ અને ‘ફિર તેરી કહાની યાદ આયી’ આજે પણ એટલાં જ લોકપ્રિય છે.

મોહમ્મદ રફીના કણસતા અવાજમાં દિલીપ કુમાર અને વહીદા રહેમાન પર ચિત્રિત થયેલું ટાઈટલ ગીત આજે પણ તમે સાંભળો તો, ભીડમાં હોય કે એકલા, તમે પણ ગીતની સાથે યાત્રા કરવા લાગો છો.

દિલરુબા મૈંને તેરે પ્યાર મેં ક્યા-ક્યા ના કિયા

દિલ દિયા દર્દ લિયા, દિલ દિયા દર્દ લિયા

કભી ફૂલોં મેં ગુજારી, કભી કાટોં મેં જિયા

દિલ દિયા દર્દ લિયા, દિલ દિયા દર્દ લિયા

જિંદગી આજ ભી હૈ, બેખુદી આજ ભી હૈ

પ્યાર કહેતે હૈ જિસે, બો ખુશી આજ ભી હૈ

મૈંને દિન-રાત મોહબ્બત કા તેરી જામ પિયા

દિલ દિયા દર્દ લિયા, દિલ દિયા દર્દ લિયા

એવું જ બીજું ગીત છે, જેમાં મોહમ્મદ રફીના અવાજમાંથી ઉદાસી ઘૂંટાઈ-ઘૂંટાઈને આવે છે;

કોઈ સાગર દિલ કો બહલાત નહીં

બેખુદી મેં ભી કરાર આતા નહીં

મૈં કોઈ પથ્થર નહીં ઈંન્સાન હૂં

કૈસે કહ દું ગમ સે ધબરાતા નહીં

એમાં રફી ‘સાગર’ શબ્દને એવી રીતે ઉચ્ચારે છે, જાણે શબ્દમાં જ સાગરની ગહેરાઈ બતાવવા માંગતાં હોય, તે ગીતને એક અલગ જ સ્તરે લઇ જાય છે. શાશ્વત ગીતકાર શકીલ બદાયુની પણ રફી સાહેબને ખુલ્લું મેદાન આપે છે. આ પંકિતિ જુવો –

જિંદગી કે આઈને કો તોડ દો

ઇસમેં અબ કુછ ભી નજર આતા નહીં 

(ફિલ્મની વાર્તા અંગે આવતા અંકે વધુ વાત)

(પ્રગટ : ‘સુપરહિટ, નામક લેખકની સાપ્તાહિક કોલમ; “સંદેશ”; 14 ફેબ્રુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વને વધુ સમાવેશી બનાવવાની જરૂર

ચંદુ મહેરિયા|Opinion - Opinion|15 February 2024

ચંદુ મહેરિયા

દેશની પહેલી લોકસભામાં મહિલા પ્રતિનિધિત્વ પાંચ ટકા હતું. આશરે સિત્તેર વરસો પછી વર્તમાન સત્તરમી લોકસભામાં તે વધીને પંદર ટકા થયું છે. અર્ધી આબાદીનું રાજકીય પ્રતિનિધિત્વ કેટલું ઓછું છે અને તેમાં વૃદ્ધિ કેટલી ધીમી છે તેનું આ પ્રમાણ છે. આખા દેશની વિધાનસભાઓમાં મહિલા ધારાસભ્યો સરેરાશ ૮ ટકા જ છે. ગુજરાત સહિત ૧૯ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલા ધારાસભ્યો ૧૦ ટકાથી ઓછાં છે. ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ ૨૦૨૨માં મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વના મુદ્દે ૧૪૬ દેશોમાં ભારતનું સ્થાન ૪૮મું હતું.

મહિલાઓ માટે પંચાયતથી પાર્લામેન્ટ સુધીના દ્વાર આપણી પિતૃસત્તાત્મક સમાજ વ્યવસ્થાએ ભીડી રાખ્યા છે. રાજનેતાઓની માનસિકતા અને રાજકીય પક્ષોની વિકટરી ફેકટરની સમજે પણ તેમાં મોટો ભાગ ભજવ્યો છે. મહિલાઓના અલ્પ રાજકીય પ્રતિનિધિત્વ માટે લૈંગિક અસમાનતા પણ કારણભૂત છે. રાજકારણ ગંદુ, ભ્રષ્ટ અને બેહદ કઠોર ક્ષેત્ર છે એટલે નરમ, કોમળ, સંવેદનશીલ, મમતામયી અને ચારિત્ર્યશીલ મનાતી મહિલાઓનું તેમાં કામ નહીં તેવી પણ છાપ ઊભી કરવામાં આવી છે. આ કારણોથી મહિલાઓનો રાજનીતિમાં પ્રવેશ ઓછો છે અને પુરુષો તેમાં બાધક છે. એટલે મહિલા અનામત દ્વારા મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વમાં વૃદ્ધિના પ્રયાસો કરવામાં આવ્યા છે.

પંચાયત અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામત ઘણાં વરસો પૂર્વે દાખલ કરી શકાઈ હતી, પરંતુ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલા અનામતનો પ્રયત્ન લાંબા સમયથી સફળ થઈ રહ્યો નહોતો. પ્યૂ રિસર્ચ સેન્ટરના સર્વેક્ષણ પ્રમાણે દર બે પૈકીનો એક ભારતીય માને છે કે મહિલા અને પુરુષ સમાન રીતે સારા રાજનેતા બની શકે છે. દર દસે એક ભારતીય માને છે કે સામાન્ય રીતે મહિલા પુરુષની તુલનામાં  સારા રાજનેતા બની શકે છે. એકંદર ભારતીય લોકમાનસ મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વની તરફેણમાં હોવા છતાં સત્તાવીસ વરસોના દીર્ઘ વિલંબે લોકસભા અને વિધાનસભાઓમાં ૩૩ ટકા મહિલા અનામતનું બિલ પસાર થઈ શક્યું છે. 

સંસદના બંને ગૃહોએ લગભગ સર્વાનુમતે પસાર કરેલા નારી શક્તિ વંદન અધિનિયમ ૨૦૨૩માં લોકસભા અને  તમામ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિની મંજૂરી પછી હવે તે કાયદાનું સ્વરૂપ લેવાની પ્રતીક્ષામાં છે. હાલનું મહિલા અનામત બિલ ૧૨૮મો બંધારણ સુધારો છે. બંધારણના અનુચ્છેદ ૩૩૦ (લોકસભામાં મહિલા અનામત), ૩૩૨ (વિધાનસભાઓમાં મહિલા અનામત) અને ૨૩૯ એ એ(દિલ્હી વિધાનસભામાં મહિલા અનામત)માં સુધારા કરવામાં આવ્યા છે. મહિલા અનામત માટે ૧૫ વરસોની સમય મર્યાદા ઠરાવવામાં આવી છે. નવી વસ્તી ગણતરી અને પરિસીમન પછી મહિલા અનામતનો અમલ કરવામાં આવશે. અનુસૂચિત જાતિ અને જનજાતિની હાલની જે અનામત બેઠકો છે તેમાં ૧/૩ બેઠકો મહિલાઓ માટે ફાળવવામાં આવી છે. એટલે અનામતમાં પેટાઅનામત કે કોટા વિધિન કોટાની જોગવાઈ છે.

સત્તાવીસ વરસોથી આઠ વખતના પ્રયત્નો છતાં મહિલા અનામત બિલ પસાર થઈ શકતું નહોતું તેનું એક કારણ ઓ.બી.સી. મહિલાઓ માટે અનામતની જોગવાઈની માંગણી હતી. લોકસભામાં જે બે મુસ્લિમ સાંસદોએ આ બિલના વિરોધમાં મતદાન કર્યું તેમની માંગણી મુસ્લિમ મહિલાઓ માટે અનામતની માંગણી હતી. આ બંને માંગણીઓને આંકડાકીય હકીકતો સાથે ચકાસતાં તેમાં તથ્ય જણાય છે અને વિરોધ વાજબી લાગે છે.

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૮૪ મહિલા સાંસદો ચૂંટાયાં હતાં. તેમાં સામાન્ય વર્ગના ૫૫, દલિત અને આદિવાસી ૧૨-૧૨, મુસ્લિમ ૪ જ્યારે ઓ.બી.સી. ૧ હતા. ૮૨ મહિલા સાંસદોમાં એક જ અન્ય પછાતવર્ગના હોઈ તેમનું પ્રતિનિધિત્વ માત્ર ૧.૨૧ ટકા જ છે. જો કે ઓ.બી.સી.ના પુરુષ સાંસદો ૧૧૯ છે. મંડલ રાજનીતિના ઉભાર પછી કથિત ઉચ્ચ જ્ઞાતિઓનું વર્ચસ ખતમ કરીને પછાત વર્ગો લોકસભામાં પ્રવેશ્યા છે. હવે જો તેમની બેઠકો સામાન્યવર્ગની મહિલા અનામતમાં ફેરવાય તો પછાત વર્ગોનું વર્ચસ ઘટી જાય. લોકસભામાં દલિતો માટેની ૮૪ અનામત બેઠકોમાં ૨૮ મહિલાઓ માટે, આદિવાસીઓની ૪૭માંથી ૧૬ મહિલાઓ માટે અનામત રાખવાની છે, પરંતુ ઓ.બી.સી. મહિલાઓ માટે અનામતની જોગવાઈ ન હોવાથી સામાન્ય વર્ગની મહિલાઓને જે ૧૩૭ અનામત બેઠકો ફાળવી છે તે ઓ.બી.સી. પુરુષોની બેઠકોને અસર કરી શકે છે. સરકાર પક્ષે એવી દલીલ છે કે અન્ય પછાત વર્ગોને શિક્ષણ અને નોકરીઓમાં રિઝર્વેશન આપવામાં આવ્યું છે, પરંતુ તેમને પોલિટિકલ રિઝર્વેશન આપવામાં આવ્યું નથી. તેથી ઓ.બી.સી. મહિલાઓ માટે અનામતનો સવાલ જ નથી. આ દલીલ પણ બંધારણીય રીતે સાચી છે.

મુસ્લિમ મહિલાઓ દેશની કુલ વસ્તીમાં ૬.૯ ટકા છે પરંતુ લોકસભામાં તેમનું પ્રતિનિધિત્વ ૦.૭ ટકા જ છે. કેમ કે ૨૦૧૯માં ૫૪૩ સભ્યોની લોકસભામાં ૪ જ મુસ્લિમ મહિલા ચૂંટાયા હતાં. સત્તરમાંથી પાંચ લોકસભા ચૂંટણીમાં એક પણ મુસ્લિમ મહિલા ચૂંટાયા નહોતાં. અને તમામ લોકસભામાં તેમની મહત્તમ સંખ્યા ચાર જ હતી. લોકસભામાં દેશના ૨૪ રાજ્યોનું  મુસ્લિમ મહિલા પ્રતિનિધિત્વ શૂન્ય છે. એટલે ઓ.બી.સી. અને મુસ્લિમ મહિલાઓનું રાજકીય  પ્રતિનિધિત્વ નહિવત હોવાથી મહિલા અનામતમાં તેઓ અલગ ભાગ માંગે છે.

મહિલા અનામતનો મુખ્ય ઉદ્દેશ રાજનીતિમાં મહિલા ભાગીદારી વધારવાનો છે. ભારતમાં વર્ણ, વર્ગ અને ધર્મની રીતે તમામ મહિલાઓ સમાન નથી. તેથી તમામ મહિલાઓના પ્રતિનિધિત્વ વિનાની મહિલા અનામત અંગે ફેર વિચારની આવશ્યકતા છે. સમાજના તમામ વર્ગોની મહિલાઓનો મહિલા સંબંધી કાયદા અને નીતિઓ ઘડતી વખતે અવાજ હોય તે માટે મહિલા અનામતને વધુ સમાવેશી બનાવવાની જરૂર જણાય છે. જો તમામ મહિલાઓને પ્રતિનિધિત્વ ના મળે તો કદાચ જે તે સમુદાયની વાત રજૂ ના થઈ શકે. એટલે કાયદામાં અને યોજનામાં ઊણપ રહી શકે છે. જો કાયદાનો આશય મહિલા પ્રતિનિધિત્વમાં વૃદ્ધિનો હોય તો કથિત ઉચ્ચ વર્ણનાં મહિલાઓની સાથે તમામ જ્ઞાતિ – ધર્મના મહિલાઓને સ્થાન મળવું જોઈએ.

મહિલા અનામતથી પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ ઘટશે તો તે આ કાયદાની સૌથી મોટી ખામી હશે. અનુસૂચિત જાતિ, જનજાતિને પણ તેમની હાલની બેઠકોમાં જ મહિલા અનામત ફાળવી છે એટલે તે વર્ગોના પુરુષોની રાજકીય કારકિર્દીનો સવાલ પણ ઊભો થશે. કદાચ ૨૦૨૯ કે તે પછી મહિલા અનામતનો અમલ શરૂ થશે. અત્યારે તો વિપક્ષોએ મહિલાવિરોધી ના ગણાઈ જવાય તેની બીક્માં સરકારનું સમર્થન કર્યું છે. પરંતુ કાઁગ્રેસ સહિતના તમામ વિરોધપક્ષોએ અને ભારતીય જનતા પક્ષના ઓ.બી.સી. નેતાઓએ ઓ.બી.સી. મહિલાઓ માટે અનામતની માંગ કરી છે. આ માંગ બુલંદ બને તે પૂર્વે તમામ રાજકીય પક્ષોએ એક મતે મહિલા અનામતને વધુ સમાવેશી બનાવવા વિચારવું જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...795796797798...810820830...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved