Opinion Magazine
Number of visits: 9457714
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સત્યવ્રત – 

ઉમાશંકર જોશી|Opinion - Opinion|23 October 2023

એક વખત એક જૈન સાધુ વહોરવા (ભિક્ષાન્ન લેવા) નીકળ્યા હતા. એમને એક માણસે વિનંતિ કરી કે, ‘મહારાજ, મારે ત્યાં વહોરવા પધારો.’

સાધુ કહે, ‘ના, હું નહીં આવું.’

‘કેમ, મહારાજ ?’

‘કેમ કે તેં કોઈ વ્રત લીધું નથી.’

‘તો હું વ્રત લઉં. મને કોઈ વ્રત આપો. પછી તો આપ પધારશો ને ?’

‘બોલ, શાનું વ્રત લઈશ ? દારૂ ન પીવાનું વ્રત લઈશ ?’

‘ના મહારાજ, એ તે કેમ બને ? બીજું કોઈ વ્રત આપો.’

‘તો આજથી જુગાર ન રમવાનું વ્રત લે.’

‘મહારાજ, જુગાર રમ્યા વગર કેમ ચાલે ?’

‘તો પછી વ્યભિચાર ન કરવાનું વ્રત રાખ.’

‘એ શું બોલ્યા મહારાજ ? એવું વ્રત કેમ લેવાય ?’

‘તો ચોરી નહીં કરું. એવું વ્રત લે.’

‘ખરા છો તમેય, મહારાજ, પછી હું ખાઉં શું ?’

‘તો સાચું બોલવું એટલું વ્રત લે.’

પેલા માણસને થયું કે આ એક વ્રત એવું છે કે એમાં કોઈ વસ્તુ જતી કરવી પડે તેમ નથી. તરત જ એ બોલ્યો, ‘મહારાજ, ભલે એ વ્રત આજથી હું લઉં છું.’

વ્રત લીધું ને બીજે દિવસે ભાઈને દારૂ પીવા જવાની ઇચ્છા થઈ. પણ વ્રત યાદ આવ્યું. દારૂ પીધા પછી કેફમાં જૂઠું બોલાઈ ગયું તો ? તો તો સાચું બોલવાનું વ્રત લીધું છે એ તૂટે. જુગારની ઇચ્છા થઈ. વ્યભિચારનો વિચાર આવ્યો. પણ મનને થયું કે આ બધામાં સાચું બોલીને આગળ ચાલવું મુશ્કેલ છે. પણ ચોરી કરવા ગયા વગર તો છૂટકો જ ન હતો. ચોરી વગર ખાવું શું ? એણે ખૂબ વિચાર કરી જોયો. અંતે નક્કી કર્યું કે ચોરી કરવી, પણ એવી કરવી કે પછી એમાંથી આખી જિંદગી ગુજારો થઈ શકે. એક વાર ચોરી કરી આવીને પછી ઘરમાં બેઠા બેઠા ખાવું. બહાર નીકળીએ તો જૂઠું બોલવું પડે ને ? ચોરી પણ એવાને ઘેર કરવી કે જેની પાસે સૌથી વધુ ધન હોય. એવો તો કોણ હોય ? લાવ, રાજાને ત્યાં જ ખાતર પાડું ! એમ કરી એ નીકળ્યો.

રસ્તામાં સિપાઈ મળ્યા. પૂછ્યું, ‘અલ્યા, ઊભો રહે, કોણ છે ?’

પેલો કહે, ‘ચોર છું !’ એને સાચું બોલવાનું વ્રત હતું ને ?

સિપાઈએ પૂછ્યું, ‘ક્યાં જાય છે ?’

પેલો કહે, ‘રાજમહેલમાં ચોરી કરવા.’

સિપાઈએ કહ્યું કે કોઈ ગાંડો લાગે છે. એમણે એને જવા દીધો. રાજદરબારની દોઢી આગળ પણ એ પ્રમાણે થયું. ચોર રાજમહેલ પાસે આવ્યો. એક બારી ખુલ્લી જોઈ ઉપર ચડ્યો. બધી ચીજો જોવા લાગ્યો : આ તો મારે શા કામની છે ? આને હું શું કરું ? આને સંતાડવી ક્યાં ? લઈ જાઉં તો જૂઠું બોલ્યા વગર છૂટકો જ નહીં. છેવટે એક દાબડી એના જોવામાં આવી. ઉઘાડીને જુએ તો બીજી દાબડી. એમાં જુએ તો સાત રત્નો. ચોરને થયું કે આટલાં બધાં મારે શું કરવાં છે ? ચાર બસ છે. અંદરથી ચાર રત્ન લઈને એણે છેડે ખોસ્યાં. ત્રણ દાબડીમાં રહેવાં દીધાં ને દાબડી હતી તેમ બંધ કરી ને પાછી એને ઠેકાણે મૂકી. બારીએ થઈને ઊતરીને ઘરને રસ્તે પડ્યો. રસ્તામાં એને એક માણસે રોક્યો. રાજા જ વેશપલટો કરીને નગરચર્યા જોવા નીકળેલો. એણે ચોરને ઊભો રાખ્યો ને પૂછ્યું, ‘અલ્યા કોણ છે ?’

‘ચોર છું.’

‘ક્યાંથી આવે છે ?’

‘ચોરી કરીને આવું છું.’

‘કોને ત્યાંથી ?’

‘રાજાના મહેલમાંથી.’

‘શું ચોરી લાવ્યો ?’

જવાબમાં ચોરે છેડે ખોસેલાં ચાર રત્ન હથેળીમાં ધરીને બતાવ્યાં. રાજાએ કહ્યું, ક્યાં રહે છે ? પેલાએ ઠેકાણું આપ્યું. બંને છૂટા પડ્યા. મહેલમાં જઈને રાજા સૂઈ ગયો. સવારે સૌ જુએ તો મહેલની બારી ઉઘાડી. તરત બૂમ પડી કે રાજમહેલમાં ખાતર પડ્યું છે. થોડી વારમાં પ્રધાનજી આવ્યા. તેમણે તપાસ કરી. જુએ છે તો બધું અકબંધ. કશું ગયેલું દેખાયું નહીં. એમ કરતાં પેલી દાબડી નજરે ચડી. ખોલી. અંદર ત્રણ રત્ન પડ્યાં હતાં. પ્રધાનને થયું કે કોઈ મૂર્ખો લાગે છે. ત્રણ રત્ન મૂકી ગયો છે. એ ત્રણ રત્ન એમણે ગજવામાં મૂકી દીધાં ને દાબડી એને ઠેકાણે મૂકી. રાજા પાસે જઈને પ્રધાનજીએ કહ્યું કે, ‘મહારાજ, બીજું બધું તો સલામત છે. માત્ર દાબડીમાંનાં પેલાં સાત રત્ન ચોર લઈ ગયો છે.’ રાજા કાંઈ બોલ્યા નહીં. એટલું જ કહ્યું કે જલદી ચોરને પકડી લાવો.

ચોરને પકડવા અધિકારીઓએ બહુ મહેનત કરી. પણ કેમે કર્યો એ હાથમાં ન આવ્યો. પેલો તો ચારમાંથી એક રત્ન વાણિયાને ત્યાં આપીને કહી આવ્યો હતો કે, ‘શેઠજી, આમાંથી ચાલે ત્યાં સુધી રોજ મારે ઘેર સીધું મોકલી આપજો. ખૂટે ત્યારે કહેજો.’ સીધું આવે એટલે પકાવી, ખાઈ કરી, ખાટલામાં ઘરખૂણે પડી રહેતો. બહાર નીકળે ને જૂઠું બોલવાનો પ્રસંગ આવે એવું રાખ્યું જ ન હતું. ચોર ન જ પકડાયો ત્યારે પછી એક દિવસ રાજાએ દરબાર ભર્યો. પ્રધાનને અને સૌ અધિકારીઓને પૂછ્યું કે, ‘ચોર તમારાથી પકડી શકાય એમ છે ?’ તેઓએ લાચાર બનીને ના પાડી. ત્યારે રાજાએ એક ચિઠ્ઠી લખીને એક માણસને આપી, ‘જા, આ માણસને બોલાવી આવ.’

માણસ બોલાવવા આવ્યો ત્યારે ચોર તો બારણું અધખોલું રાખીને અંદર ખાટલા પર મજાથી સૂતેલો. ચોરને થયું કે છેવટે પોતે પકડાયો ખરો. રાજા પાસે પહોંચ્યો એટલે પહેલું જ રાજાએ એને પૂછ્યું.

‘તું શું ધંધો કરે છે ?’

‘ચોરીનો ધંધો કરતો હતો, અન્નદાતા !’

‘કરતો હતો ? હવે નથી કરતો ?’

‘ના મહારાજ, પહેલાં કરતો હતો, હવે નથી કરતો.’

‘ક્યારથી નથી કરતો ?’

‘રાજમહેલમાં ચોરી કરી ત્યારથી નથી કરતો.’

‘રાજમહેલમાંથી શું ચોરી ગયો હતો ?’

‘રત્નો’.

‘કેટલાં ?’

‘ચાર.’

‘એ રત્નો ક્યાં છે ?’

‘ત્રણ મારી પાસે છે.’

‘અને ચોથું ?’

‘ચોથું પે…લા પાઘડીવાળા શેઠ બેઠા છે ને ? એમને ત્યાં છે.’

શેઠ તો ગભરાઈ ગયા. કહે, ‘રાજાજી, મને ખબર નહીં કે આપને ત્યાંનું હશે.’

રાજા કહે, ‘ઠીક, એનું તો.’ પછી ચોરની તરફ વળીને કહ્યું, ‘અલ્યા, દાબડીમાં રત્નો તો સાત હતાં. તેં સાતમાંથી ચાર જ ચોરેલાં ?’

‘જી મહારાજ, ચાર જ લીધેલાં.’

‘કેમ ચાર જ ?’

‘એટલાં મારે આયખાભર પેટગુજારો કરવા માટે પૂરતાં હતાં.’

‘તો બાકીનાં ત્રણ ક્યાં ગયાં ?’

ચોર કહે, ‘અમને ચોર લોકોને આવી વાતની ગમ પડે. ક્યાં ગયાં એ બતાવું ?’

રાજા કહે, ‘બતાવ.’

‘આ તમારા પ્રધાનજી છે ને ? એમણે લીધાં હશે.’ પ્રધાન તો વાઢ્યા હોય તો લોહી પણ ન નીકળે એવા થઈ ગયા.

રાજા કહે, ‘પ્રધાન, સાચું બોલો, બાકીનાં ત્રણ રત્નો તમારી પાસે છે?’

કરગરીને પ્રધાને કબૂલ કર્યું, ‘હા, મારી પાસે છે.’ આ બધું જોઈ રાજાના ને સભાના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. રાજાએ ચોરને પૂછ્યું, ‘આ બધુ શું છે ? પોતે ચોરી કરી ગયો એ વાત પણ સાચી અને બધું રજેરજ તું કબૂલ કરે છે એ પણ અમે જોઈએ છીએ !’

પછી ચોરે પોતે સાધુ પાસે સાચું બોલવાનું વ્રત લીધેલું તે બધી વાત કહી. આખી સભા ચકિત થઈ. રાજા પ્રસન્ન થયો. એટલે કહ્યું, ‘પ્રધાન, આ માણસે તો પેટનો ખાડો પૂરવા ચોરી કરી હતી અને છતાં સાચું બોલવાનું ક્યાં ય ચૂક્યો નથી. અને તમે તો ખાવાપીવાની કશી ખોટ ન હતી તોયે વધુ સંઘરો કરવા ત્રણ રત્નો ચોરી ગયા. તો જે જગ્યાએ એને જવાનું હતું તે જગાએ, કેદખાનામાં તમે જાઓ અને અહીં તમારી જગ્યાએ, પ્રધાનપદે હવેથી આ સત્યવ્રત બેસશે.’

(મિલાપની ‘વાચનયાત્રા’માંથી સાભાર)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઑક્ટોબર 2023; પૃ. 22 તેમ જ 21

Loading

‘ગાંધી સ્મૃતિ ભવન’ : નિર્વાણથી નિર્માણ તરફ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 October 2023

રવીન્દ્ર પારેખ

‘ગાંધી સ્મૃતિ ભવન’, નિર્વાણથી નિર્માણ તરફ ગતિશીલ થયું તેનો આનંદ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, નાટ્ય અને સાહિત્ય જગતનાં કલાકારો તથા મીડિયાએ નવાં ભવન માટે સક્રિયતા દાખવી ને છેવટે 55,07,46,620નું નાગપુરનું ટેન્ડર મંજૂર થયું. એમ લાગે છે કે બે વર્ષમાં ‘ગાંધી સ્મૃતિ ભવન’ નવાં રંગેરૂપે પ્રગટ થશે. સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ દ્વારા, ભા.જ.પ. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ સાથેનાં પરામર્શન પછી, ‘ગાંધી સ્મૃતિ ભવન’નાં નસીબ ઊઘડ્યાં ને છઠ્ઠી વખત આવેલું ટેન્ડર મંજૂર થયું. અગાઉ 46 કરોડનો અંદાજ મુકાયેલો, પણ તેથી વધુ લગભગ 10 કરોડનો ખર્ચ, આ વખતનાં 38.21 ટકા ઊંચા ટેન્ડરમાં, 20 ઓક્ટોબરની સ્થાયી સમિતિમાં મંજૂર થયો. એ વખતે ગ્રીન થિયેટરનાં થીમ પર બિલ્ડિંગની ડિઝાઇન મંજૂર કરવામાં આવી હતી, પણ એને અનુરૂપ એજન્સીની ઓફર નહીં મળતાં કોર્પોરેશને પાંચ વખત ટેન્ડર દફતરે કરી દીધાં હતાં. એક તબક્કે તો લાગતું હતું કે ગાંધી સ્મૃતિ હવે સ્મૃતિમાં જ રહેશે. સુરત મહાનગરપાલિકા જ નથી ઇચ્છતી કે ગાંધી સ્મૃતિ થાય – એવું હવામાન પણ એક સમયે હતું. અગાઉના મેયરે તો એક કાર્યક્રમમાં ગાંધી સ્મૃતિ થવાની જાહેરાત કરીને તાળીઓ પણ ઉઘરાવી લીધેલી, પણ પછી વાત ટલ્લે ચડેલી.

એ તો સરદાર સ્મૃતિ ભવનમાં છેલ્લી નાટ્ય સ્પર્ધા થાય નહીં ને ગાંધી સ્મૃતિમાં જીવ આવે નહીં ! શહેરનાં નાટ્યકર્મીઓએ, કલાકારોએ તારસ્વરે ગાંધી સ્મૃતિની વાત વહેતી મૂકી. 816 સભ્યોનું નાટ્ય રસિકોનું એક વોટ્સએપ ગ્રૂપ પણ અસ્તિત્વમાં આવ્યું ને અનેક વાદ-વિવાદ વચ્ચે ગાંધી સ્મૃતિની માંગ તીવ્ર બનતી આવી. થોડા મિત્રો ગાંધી સ્મૃતિનાં અવશેષો પર મળ્યા ને મીડિયાએ પણ મોકળે મને લોકલાગણીને માન-સ્થાન આપ્યું. ગઈ વખત કરતાં, આ વખતે ટેન્ડરમાં ગ્રીન બિલ્ડિંગની શરતોમાં પણ થોડી ઢીલ મૂકવામાં આવી અને ટેન્ડર પણ 4.29 ટકા નીચું આવ્યું, એટલે સુપર કન્સ્ટ્રક્શન કંપનીને વર્ક ઓર્ડર અપાશે એમ લાગે છે. જો કે, ગાંધી સ્મૃતિની માંગનો સ્વર બુલંદ થતો જતો હતો, એવામાં ટેન્ડર મંજૂર થઈ જતાં સૌને રાહત થઈ છે.

શહેરનાં ‘રંગ ઉપવન’માં 1955થી નાટકો અને સંગીત, નૃત્યનાં અવેતન, સવેતન સંસ્થાઓનાં ઘણાં કાર્યક્રમો થયા છે. આ ઉપરાંત સુરત ટેક્સટાઇલ માર્કેટનાં ચોથા-પાંચમા માળે પણ ઘણી નાટ્ય ઉપરાંત ઘણી કળાકીય પ્રવૃત્તિઓ થઈ, પણ નાનપુરા, ટીમલિયાવાડમાં 1980થી ‘ગાંધી સ્મૃતિ ભવન’ કાર્યરત થયું કે ટેક્સટાઇલ ઓડિટોરિયમ બંધ પડ્યું. ગાંધી સ્મૃતિ પછી વરાછામાં ‘સરદાર સ્મૃતિ ભવન’ અને તે પછી પાલમાં ‘સંજીવકુમાર ઓડિટોરિયમ’ પણ શરૂ થયું, પણ ગાંધી સ્મૃતિનો જે દબદબો હતો તેવો પ્રભાવ, આ નવાં થિયેટરોનો પડ્યો જ નહીં. ગાંધી સ્મૃતિ બંધ પડ્યું તે પછી પણ, અન્ય થિયેટરો વેગ પકડી શક્યાં નથી તે જ ગાંધી સ્મૃતિનું મહત્ત્વ સિદ્ધ કરવાં પૂરતું છે.

હવે જ્યારે નવું ‘ગાંધી સ્મૃતિ ભવન’ બનવાની વાત છે, તો તેમાં શું શું હશે તેની વિગતો પણ બહાર આવી છે. નવાં ભવનમાં, બેઝમેન્ટમાં અને પાંચમાં, છઠ્ઠા માળે પાર્કિંગની વ્યવસ્થા હશે. ગ્રાઉન્ડ ફ્લોર પર એન્ટ્રન્સ પ્લાઝા, ટોઇલેટ બ્લોક, રેસ્ટોરન્ટ અને કાફેટેરિયા હશે. પહેલે માળે ગ્રીન રૂમ, કોન્ફરન્સ હૉલ, વેઇટિંગ, એડમિન-મેનેજર ઓફિસ, વી.આઇ.પી. લાઉન્જ તથા સ્ટેજ સેકશન હશે. બીજા માળે ઓડિટોરિયમની સીટિંગ એરેન્જમેન્ટ તથા ગ્રીન રૂમ્સ હશે. ત્રીજા માળે બાલ્કની સીટિંગ, રીહર્સલ રૂમ હશે તો, ચોથા માળે ઓડિટોરિયમ ડબલ હાઇટ અને રીહર્સલ રૂમ હશે. બને કે આ ઓડિટોરિયમ વધુ ભવ્ય અને સરસ હશે ને જે પ્લાનિંગ છે તેમાં કોઈ ગણતરી ને કારણો પણ હશે. પણ કેટલીક બાબતો તરફ ધ્યાન ખેંચાય એટલે અહીં કેટલુંક કહેવાનું પ્રાપ્ત થાય છે.

એક વાત બહુ સ્પષ્ટપણે એ કહેવાની કે આખું ભવન ઓછામાં ઓછું, નાટ્યભવનની ગરજ તો સારે જ એવું હોવું જોઈએ. એ હેતુ પાર પડે પછી જ બીજી ગણતરીઓ માંડવાની રહે. એને કોઈ પણ સંજોગોમાં સિનેમા ગૃહ તો બનાવવાનું નથી જ ! શહેરમાં સિનેમા ગૃહોની કમી નથી. કમી હોય તો ટીમલિયાવાડ, નાનપરામાં નાટ્યગૃહની છે. નાટ્યગૃહ સિવાયનો બીજો કોઈ પણ હેતુ ‘ગાંધી સ્મૃતિ ભવન’નો મૂળ હેતુ નહીં જ સારે તે કોર્પોરેશને સમજી લેવાનું રહે. નાટ્યગૃહની શરતે ‘ગાંધી સ્મૃતિ ભવન’ બંધાયા પછી, બીજા કોઈ હેતુ માટે તે અપાય તેમાં પણ પ્રાયોરિટી તો નાટકની જ રહે એ કહેવાની જરૂર નથી.

આટલું કહેવાનું એટલે થયું છે, કારણ બાંધકામની વિગતોમાં બાલ્કનીનો ઉલ્લેખ છે. જો એ બાલ્કની નાટક માટે હોય તો પણ તે અનિવાર્ય નથી, કારણ તેની સાઉન્ડ અને સીટિંગની આખી એરેન્જમેન્ટ વિશેષ માવજત માંગે ને એ પળોજણમાં પડવાની જરૂર નથી. જો બાલ્કની ફિલ્મ માટે હોય તો તેને વહેલી તકે નકશામાંથી જ કાઢવાની રહે. નાટક લાઈવ આર્ટ છે એ ધ્યાનમાં રાખીને જ આખું નાટ્યગૃહ ઊભું કરવાનું રહે. રહી વાત રીહર્સલ રૂમ્સની, તો નાટ્યસંસ્થાઓને રીહર્સલ્સ માટે રૂમ ભાડે આપીને આવક ઊભી કરવાનો કોર્પોરેશનનો હેતુ હોય તો જુદી વાત છે, બાકી, સ્થાનિક સંસ્થાઓ તો કોઈ સ્કૂલ/કોલેજનાં રૂમમાં કે તેનાં સભાગૃહમાં રીહર્સલ્સ કરતી હોય છે ને તે પણ મફતના ભાવે. એ સૌને કોર્પોરેશનનું ભાડું માફક આવે તેવું હોય તો ઠીક છે, બાકી સવેતન રંગભૂમિની, સુરત બહારની સંસ્થાઓ રીહર્સલ રૂમનો ઉપયોગ કરે એવું ઓછું જ બનવાનું, કારણ એ સૌ તો તૈયાર થઈને શોને દિવસે જ સુરત આવતા હોય છે. એ વળી રીહર્સલ રૂમનો કેટલોક ઉપયોગ કરે એ પ્રશ્ન જ છે.

બીજી સૌથી મહત્ત્વની વાત તે સુરતની સંસ્થાઓ પાસેથી ભાડું વસૂલવાની. એક વાત સ્પષ્ટ છે કે સૂરતની રંગભૂમિ અવેતન કલાકારોની રંગભૂમિ છે. અહીં ટિકિટ શો થતા નથી. થાય છે તો મોટે ભાગે ફ્લોપ શો થાય છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ પાણી, રસ્તાનું, પણ તે કલાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે. પૂર્ણ કદનાં નાટકોની સ્પર્ધા કરવાને તેને પચાસ વર્ષ થવાનાં. જગતની કોઈ કોર્પોરેશન આવી સ્પર્ધા કરતી નથી. એમાં કેવળ સુરત જ મોખરે છે. આ સ્પર્ધાને કારણે અહીં કેટલા ય લેખકો, કલાકારો, દિગ્દર્શકો તૈયાર થયા. આમાંના મોટે ભાગે તો સ્પર્ધા વખતે ને સ્પર્ધા પૂરતાં જ જાગે છે. સ્પર્ધા પૂરી થાય કે વળી સન્નાટો છવાઈ જાય છે. એ પણ છે કે કોઈ કલાકારને નિયમિત કવર મળતું નથી. કવર મળતું હોય તો તે કોઈ ઇનામનું, એ સિવાય કોઈ પણ, નાટકમાંથી નિયમિત કમાણી કરતું નથી. કહી શકાય કે સૂરતની હાલની રંગભૂમિ તો કોર્પોરેશનની સ્પર્ધાને કારણે જ અસ્તિત્વમાં છે. હવે એ નાટક કરવા કોર્પોરેશનને ઊંચું ભાડું ચૂકવી શકે એ જરા પણ સરળ કે વ્યવહારુ નથી, એટલે જ અવેતન રંગભૂમિનુ ભાડું ઓછું હોય તે અપેક્ષિત છે ને અનિવાર્ય પણ ! સુરતના અવેતન કલાકારો પાસેથી કમાણી કરવાનો ખ્યાલ જ કોર્પોરેશને છોડવો પડે. એવું જો નહીં થાય તો પચાસેક વર્ષની મહેનતથી ઊભી કરેલી સુરતની અવેતન રંગભૂમિ ખતમ થઈ જાય એમ બને. નાટ્યસ્પર્ધામાં ઓછી થઈ રહેલી એન્ટ્રિઝ પરથી પણ એ ખ્યાલ આવવો જોઈએ કે અહીંના કલાકારો રસને કારણે જ ટકી રહ્યાં છે. એમના પર આર્થિક બોજ વધશે તો અવેતન રંગભૂમિ, ભંગભૂમિ થઈને રહે તો નવાઈ નહીં !

એવો સવાલ કોઈને થઈ શકે કે આવી અવેતન રંગભૂમિ જરૂરી ખરી? એનો જવાબ હજાર ટકા ‘હા’ છે. તે એટલે કે મુંબઈની રંગભૂમિ કલ્પના પણ ન કરી શકે એવી અદ્ભુત સ્ક્રિપ્ટ્સ અનેક નાટયસંસ્થાઓ દ્વારા સફળતાપૂર્વક કોર્પોરેશનની નાટયસ્પર્ધાઓમાં ભજવાઈ છે. ગુજરાતી અને સ્થાનિક લેખકો ઉપરાંત શેક્સપિયર, બાદલ સરકાર, રત્નાકર મતકરી, મહેશ એલકુંચવાર, ગિરીશ કર્નાડ, જ્યા પૉલ સાર્ત્ર, વિજય તેંડુલકર જેવા અનેક નાટ્યકારોની કૃતિઓએ અહીં તખ્તો ગજવ્યો છે. મૌલિક નાટકો ઉપરાંત વાર્તાઓ, નવલકથાઓ પરથી પણ અહીં નાટકો થયાં છે. આવું બીજે થયું નથી. આવું થતું રહે એટલે પણ સુરતની રંગભૂમિને કોર્પોરેશને શક્ય તે તમામ સહાય કરવાની રહે. જોઈએ તો બીજે કોઈ રસ્તે એ ખોટ કોર્પોરેશન સરભર કરી લે, પણ તેણે સુરતમાં નાટકને જીવતું રાખવાનું છે એ ભૂલવા જેવું નથી.

છેલ્લે એક વાત –

ગાંધી સ્મૃતિ ભવન 1980માં ખુલ્લું મુકાયું. એમાં 2011ની આસપાસ રીપેરિંગ નીકળ્યું. એ ઉપરાંત નાનાંમોટાં સમારકામ તો નીકળ્યાં જ છે. 2017માં વળી ચાર કરોડને ખર્ચે તે રીપેર થયું ને 10 મહિના બંધ રહ્યાં પછી ફરી શરૂ થયું. એ પછી 2019માં 12 જુલાઈને રોજ કોઈ શો ન હતો ત્યારે પ્રેક્ષક ગેલરીનો પી.ઓ.પી.નો પોપડો તૂટી પડ્યો ને ત્યારથી ગાંધી સ્મૃતિ રીપેરિંગ માટે બંધ કરાયું. એ રીપેર થયું કે કેમ તે તો નથી ખબર, પણ થિયેટર ઉતારી લેવાનું તો થયું જ ! ટૂંકમાં, 1980માં શરૂ થયેલું ‘ગાંધી સ્મૃતિ ભવન’ રીપેરિંગમાં કરોડો ખર્ચ્યા પછીયે, 40 વર્ષ પણ ના ટક્યું, તો, સવાલ થાય કે 55.07 કરોડ ખર્ચ્યા પછી કોર્પોરેશનને નવાં ‘ગાંધી સ્મૃતિ ભવન’ની આવરદાની કોઈ ગેરંટી મળી છે કે થોડાં વર્ષો પછી નવાં ‘ગાંધી સ્મૃતિ ભવન’ની આજની ઝુંબેશ ફરી શરૂ કરવાની થશે?

000 

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 ઑક્ટોબર 2023

Loading

ઇઝરાયેલના યહૂદી શાસકો તેમનો પોતાનો અતીત ભૂલી ગયા છે અને મુસલમાનો સાથે એ જ કરે છે જે ખ્રિસ્તી દેશોમાં તેમની સાથે થયું હતું

રમેશ ઓઝા|Opinion - Opinion|22 October 2023

રમેશ ઓઝા

ઇઝરાયેલ અત્યારે જે સંકટનો સામનો કરી રહ્યું છે એવું સંકટ તો તેણે ત્યારે પણ નહોતું અનુભવ્યું, જ્યારે ઇઝરાયેલની નવી નવી સ્થાપના થઈ હતી. તે પશ્ચિમ એશિયાના દુ:શ્મન મુસ્લિમ દેશોથી ઘેરાયેલું હતું અને હજુ પા પા પગલી ભરતું હતું. હજુ તો દુનિયાભરમાંથી યહૂદીઓ ઇઝરાયેલમાં સ્થાયી થઈ રહ્યા હતા અને ઇઝરાયેલ બની રહ્યું હતું. કારણ એ છે કે બીજા વિશ્વયુદ્ધ પછી જગત બે છાવણીમાં વહેંચાઇ ગયું હતું અને ઇઝરાયેલને લોકશાહી મૂડીવાદી દેશોનો અને તેમાં પણ મુખ્યત્વે અમેરિકાનો ટેકો હતો. આ ઉપરાંત વિશ્વદેશોમાં વસતા શ્રીમંત અને વગદાર યહૂદીઓની લોબી બહુ પાવરફુલ હતી. આ સિવાય પણ એક બે કારણ હતાં. આરબ દેશોના શેખો અમેરિકનો સાથે મળીને ખનીજ તેલનો ધંધો કરતા હતા અને વૈભવી, વૈભવી નહીં, ઐયાશી જીવન જીવતા હતા. ઇઝરાયેલનો સામનો કરવા માટે જે સંકલ્પશક્તિ જોઈએ એ તેમનામાં નહોતી. આ બાજુ ઇસ્લામિક દેશોમાં સમાજવાદ-સામ્યવાદના આધુનિક મૂલ્યોનાં અંકુર ફૂટે એવી કોઈ શક્યતા નહોતી એટલે સામ્યવાદી દેશોને, રશિયાને આરબ વિશ્વમાં જેટલો હોવો જોઈએ એટલો રસ નહોતો.

એટલે તો ૧૯૬૭માં માત્ર છ દિવસમાં ઇઝરાયેલે તેનાં પર આક્રમણ કરનારા મુસ્લિમ દેશોને પરાજિત કર્યા હતા અને તેની જમીન કબજે કરી હતી અને એમાંની ૯૦ ટકા જમીન આજે પણ ઇઝરાયેલના કબજામાં છે. વાત માત્ર એટલેથી પૂરી થતી નથી. ઇઝરાયેલ ધીરેધીરે આરબોની ભૂમિ છીનવી રહ્યું છે અને આરબોને એ ભૂમિમાંથી ખદેડી રહ્યું છે. આખી ગાઝા પટ્ટી ઇઝરાયેલની ઓપન જેલ તરીકે ઓળખાય છે, જ્યાં તેનાં મૂળ વતનીઓ પોતાની ભૂમિમાં કેદીનું જીવન જીવી રહ્યા છે. ઇઝરાયેલને એવો નશો છે કે કોઈ મુસ્લિમ દેશ તેનો વાળ પણ વાંકો કરી શકે એમ નથી. આમાં ઇઝરાયેલના શાસકોનું એ તરફ ધ્યાન ન ગયું કે જગત બદલાઈ રહ્યું છે. જગત દ્વિધ્રુવીય નથી રહ્યું, પણ અનેક છાવણીઓમાં વહેંચાઇ ગયું છે. આમાં સૌથી શેતાની છાવણી રશિયા અને ચીનની છે જેમાં હવે ગામના ઉતાર સમાન કીમ જોંગ ઉનનું ઉત્તર કોરિયા જોડાયું છે. આ બદલાયેલા વિશ્વનો બોલકો દાખલો રશિયા-યુક્રેન યુદ્ધ છે. નથી અમેરિકા અને નાટોના સભ્ય દેશો યુક્રેનને જીતાડી શકતા કે નથી રશિયા યુક્રેનને હરાવી શકતું. એમાં હવે ચીને ગયા એપ્રિલ મહિનામાં સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે સમજૂતી કરાવી છે જે દાયકા પહેલાં અસંભવ લાગતી હતી. અત્યારે ઈરાન પણ ઇઝરાયેલની સામે આરબ દેશો સાથે ઊભુ છે. આજે જગત બહુ ઝડપથી બદલાઈ રહ્યું છે.

આજે ઇઝરાયેલ સામે વરવી વાસ્તવિકતા એ છે કે ૧૯૬૭ના સિક્સ ડેઝ વૉરની જ્વલંત કીર્તિ ધરાવતું ઇઝરાયેલ માત્ર ગાઝા પટ્ટીમાં સક્રિય હમાસ નામના એક જૂથ સામે આજે આ લખી રહ્યો છું ત્યારે ૧૧ દિવસથી લડી રહ્યું છે અને હજુ વિજય નજરે પડતો નથી, જ્યારે કે ૧૯૬૭માં ઈજીપ્ત સહિત મુસ્લિમ દેશો સંગઠિત રીતે ઇઝરાયેલ સામે યુદ્ધમાં ઉતર્યા હતા. આ બાજુ સાઉદી અરેબિયાના શાસક પ્રિન્સે અમેરિકાના વિદેશ પ્રધાનને ૧૫ કલાક મુલાકાત આપી નહોતી અને હોટેલમાં બેસાડી રાખ્યા હતા. વાચકોને એ વાતની જાણ તો હશે જ કે હમણાં સુધી સાઉદી અરેબિયા અમેરિકાના પીઠ્ઠું તરીકેની ખ્યાતિ ધરાવતું હતું. અને હવે ખબર આવ્યા છે કે સાઉદી અરેબિયા સહિતના આરબ દેશોએ અમેરિકાના પ્રમુખ જો બાયડનને મળવાની પણ ના પાડી દીધી છે. પ્રચંડ હુમલાઓ છતાં હમાસ બાન પકડેલા ત્રણસો જેટલા ઇઝરાયેલીઓને છોડતું નથી. હમાસે જેમને બાનમાં રાખ્યા છે એમાં ત્રીસ અમેરિકન નાગરિકો પણ છે. આમ જગતમાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યાં છે, પણ ઇઝરાયેલ તેને સમજવાની જગ્યાએ હજુ તેની જૂની દાદાગીરી, જોહૂકમી અને સરકારી ત્રાસવાદની પ્રવૃત્તિ છોડતું નથી. એમાં ઇઝરાયેલના વર્તમાન વડા પ્રધાન એક જંગલી અને ઝનૂની શાસક છે.

જી હા, ત્રાસવાદ. ઇઝરાયેલ જે કરી રહ્યું છે એ એક રાજ્ય દ્વારા કરવામાં આવતી ત્રાસવાદી પ્રવૃત્તિ છે. હમાસનો ઇઝરાયેલ પરનો હુમલો ત્રાસવાદી જવાબ માત્ર છે. વાચકોને મારી સલાહ છે કે ઈન્ટરનેટ પર જઇને ૧૯૪૮માં જ્યારે ઇઝરાયેલની સ્થાપના થઈ ત્યારનો ઇઝરાયેલનો નકશો જુઓ અને અત્યારનો ઇઝરાયેલનો નકશો જુઓ. એમાં આરબોની કબજે કરવામાં આવેલી ભૂમિ સહિતનો ઇઝરાયેલનો નકશો જોવા મળશે. ઇઝરાયેલ આરબોની, મુખ્યત્વે પેલેસ્ટાઇનની ભૂમિ કબજે કરી રહ્યું છે, પોતાને વિસ્તારી રહ્યું છે અને ત્યાંની પ્રજાને ખદેડી રહ્યું છે. આગળ કહ્યું એમ આખેઆખી ગાઝા પટ્ટી ઇઝરાયેલની ઓપન જેલ છે. કયા અધિકારથી ઇઝરાયેલ આ કરી રહ્યું છે અને તેમાં કઈ નૈતિકતા છે? અને એ પણ દાયકાઓથી બેશરમપણે. એમાં કોઈ શંકા નથી કે ઇઝરાયેલ એક ત્રાસવાદી રાજ્ય છે.

હકીકત તો એ છે કે યહૂદીઓએ પોતાના વતનને છોડીને નાસવું પડ્યું અને જગતમાં જે તે દેશોમાં જઇને વસવું પડ્યું એને માટે મુસલમાનો જવાબદાર નહોતા. ઇસ્લામની સ્થાપના તો યહૂદીઓને સતાવવાની શ્રેણીબદ્ધ ઘટનાઓ બની એની સદીઓ પછી થઈ હતી. હકીકત તો એ પણ છે મધ્યકાલીન યુરોપમાં કેથલિક ચર્ચની સંમતિ સાથે, કહો કે આદેશ સાથે, યહૂદીઓને યુરોપના જે તે દેશોમાં સતાવવામાં આવતા હતા ત્યારે કેટલાક યહૂદીઓએ ભાગીને પશ્ચિમ એશિયાના મુસ્લિમ દેશોમાં આશરો લીધો હતો અને મુસ્લિમ દેશોએ તેમને ધીમ્મી તરીકે માન્યતા આપીને આશ્રય આપ્યો હતો. ધીમ્મી એ છે જે કિતાબી ધર્મને અનુસરે છે અર્થાત્ માત્ર એક ધર્મગ્રન્થને અનુસરે છે, પણ કુરાનને નથી અનુસરતા. આ જગતમાં ખ્રિસ્તીઓ, યહૂદીઓ અને મુસલમાનો કિતાબી પ્રજા છે. ટૂંકમાં ઇસ્લામ મુજબ ધીમ્મી ઈશ્વરે પસંદ કરેલી શ્રેષ્ઠ પ્રજા ભલે નથી, પણ સાવ કનિષ્ઠ પણ નથી. કુરાન મુજબ તેઓ આશ્રય અને સંરક્ષણના અધિકારી છે. એટલે તો બીજા વિશ્વયુદ્ધ પછી યહૂદીઓને પેલેસ્ટાઇનમાં વસાવવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે કેટલાક લોકોએ આરબોને ધીમ્મીની યાદ અપાવી હતી. બીજા વિશ્વયુદ્ધ વખતે યહૂદીઓનું જાતિનિકંદન કરનાર હિટલર ખ્રિસ્તી હતો, મુસલમાન નહોતો. ટૂંકમાં સદીઓ જૂનું વૈમનસ્ય ખ્રિસ્તીઓ અને યહૂદીઓ વચ્ચે હતું, મુસલમાનો અને યહૂદીઓ વચ્ચે નહોતું.

હકીકત તો એ પણ છે કે ખ્રિસ્તીઓ પોતાના દેશમાંથી યહૂદીઓને ખદેડવા માગતા હતા અને તેમાં બીજા વિશ્વયુદ્ધ પછી તેમને મોકો મળી ગયો. શા માટે ખ્રિસ્તી દેશો યહૂદીઓને ખદેડવા માંગતા હતા? કારણ કે યહૂદીઓ વેપારી પ્રજા હતી, લગભગ દરેક દેશમાં પ્રજાનું શોષણ કરતા હતા, યહૂદીઓ પોતાના વાડા (ડાયસ્પોરા) બનાવીને રહેતા હતા, અન્ય પ્રજા સાથે ભળતા નહોતા અને ચોવીસે કલાક જેરુસલેમ માટે ઝૂરતા હતા, તેનું રટણ કરતા હતા. તેઓ જે દેશમાં રહેતા હતા તેને વફાદાર નહોતા એવો તેમના ઉપર આરોપ કરવામાં આવતો હતો. વિનાયક દામોદર સાવરકરની થિયરી મુજબ જે પ્રજાની પવિત્ર ભૂમિ અન્યત્ર કોઈ બીજા દેશમાં હોય તેની વફાદારી શંકાસ્પદ હોય છે. યહૂદીઓની પવિત્ર ભૂમિ પેલેસ્ટાઇન હતી એટલે હિન્દુત્વવાદીઓ જેમ મુસલમાનોને ભરોસાપાત્ર નથી માનતા તેમ કેટલાક ખ્રિસ્તીઓ યહૂદીઓને ભરોસાપાત્ર નહોતા માનતા. બીજા વિશ્વયુદ્ધ પછી યહૂદીઓની ઇઝરાયેલની મંશા પૂરી કરીને ખ્રિસ્તીઓએ ટાઢે પાણીએ ખસ કાઢી હતી.

તો આનો અર્થ એ થયો કે પાડાને વાંકે પખાલીને ડામ આપવામાં આવે એમ પેલેસ્ટાઇનની પ્રજાને ડામ આપવામાં આવ્યો હતો. પાછો એટલાથી સંતોષ નથી. ૧૯૪૮થી ઇઝરાયેલ પાડોશી દેશોના મુસલમાનોને સતાવે છે. તેને હેરાન કરીને ખદેડે છે. તેમની જમીન આંચકે છે. વરસોવરસ વિસ્તાર વધારીને પહોળું થતું જાય છે. બેશરમપણે ત્રાસવાદી પ્રવૃત્તિ કરે છે. ઇઝરાયેલના યહૂદીઓ તેમનો પોતાનો અતીત ભૂલી ગયા છે અને મુસલમાનો સાથે એ જ કરે છે જે ખ્રિસ્તી દેશોમાં તેમની સાથે થયું હતું.

પણ દરેક ચીજનો અંત હોય છે. જો નાગાઈ ચિરંજીવ હોત તો ઋષિઓએ, પેગંબરોએ અને ફિલસૂફોએ નાગાઈનો મહિમા કર્યો હોત. તેમણે તો સત્ય, મર્યાદા અને નૈતિકતાનો મહિમા કર્યો છે. જો નાગાઈ અંતિમ સાધન હોત તો આ જગત જીવવા જેવું ન રહેત, માનવપ્રજા ક્યારની ખપી ગઈ હોત. માટે ગાંધીજીએ યહૂદીઓને સલાહ આપી હતી કે જ્યાં રહો છો ત્યાંથી જ ઈશ્વર સમીપે રહી શકાય છે, પણ જો તમારે તમારી પવિત્ર ભૂમિમાં જઇને રહેવું જ હોય તો પેલેસ્ટેનિયન બનીને રહો. કોણ આવીને રહેવાની ના પાડે છે? ઇઝરાયેલની સ્થાપના થઈ એનાં પહેલાં અનેક યહૂદીઓ પેલેસ્ટાઇનમાં જઇને વસ્યા હતા અને બીજા કેટલાક નિવૃત્તિ પછી જેરુસલેમ જઇને બાકીનું જીવન ગાળતા હતા. આમાં યહૂદીઓ માટે અલગ દેશની જરૂર ક્યાં પડી? અને અંતે પાડોશીનો પ્રેમ જીત્યા વિના માત્ર બાહુબળના જોરે તમે સુખેથી જીવી શકશો એમ જો તમે માનતા હો તો એ એક ભ્રાંતિ છે.

ઇઝરાયેલના અતિરેક દિનપ્રતિદિન વધી રહ્યા છે, મુસલમાનોની સહનશક્તિનો અંત આવી રહ્યો છે, પેલેસ્ટાઇનના આરબો કેસરિયા કરવાના મિજાજમાં છે અને જગતનાં સમીકરણો બદલાઈ રહ્યાં છે. સમય સતત બદલાતો રહેતો હોય છે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 22 ઑક્ટોબર 2023

Loading

...102030...795796797798...810820830...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved