Opinion Magazine
Number of visits: 9665884
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકશાહી વ્યવસ્થામાં Fairનું મહત્ત્વ Freeથી વધુ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|7 March 2024

રમેશ ઓઝા

‘શું ભારત સરમુખત્યારશાહી ધરાવતો દેશ બની રહ્યો છે?” જાણીતા યુ ટ્યુબર ધ્રુવ રાઠીએ આવો સવાલ કરીને તેનાં પ્રમાણ આપતો અડધો કલાકનો વીડિયો યુ ટ્યુબ પર વાયરલ કર્યો, અને એની એટલી અસર થઈ કે શાસકોએ તેની નોંધ લેવી પડી. એક જ અઠવાડિયામાં એક કરોડ ૬૦ લાખ લોકોએ તેને જોયો અને આજે જોનારાઓની સંખ્યા લગભગ બે કરોડ લોકો સુધી પહોંચી ગઈ છે. પોતાને નરેન્દ્ર મોદીના ફેન ગણાવતા એક ભાઈ સર્વોચ્ચ અદાલતમાં પહોંચી ગયા. નરેન્દ્ર મોદીને તાનાશાહ તરીકે સિદ્ધ કરવામાં આવ્યા એ જોઇને તેમનું દિલ દુભાયું હતું. ગાંધીજી અને નેહરુની બાબતે સાવ જૂઠો, નીચતાપૂર્વકનો અને પાછો મર્દાનગી વિનાનો નનામો પ્રચાર કરવામાં જેમને શરમ નથી આવતી એ લોકો વળી દિલ ધરાવે છે! તેમને જાણ છે કે આ દેશમાં હજુ મોટી સંખ્યામાં હિંદુ છે જેમને વિચારવામાં ડર નથી લાગતો અને ટોળે વળીને (હા, ટોળે વળીને) મુસલમાનોને ડરાવવા જેટલી નીચતા નથી આચરતા. તેઓ ભારતનાં નાગરિક છે, મતદાર છે અને સમયાન્તરે ચૂંટણીઓ લડવી પડતી હોવાથી તેમના મતનો ખપ છે.

વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે લોકતંત્ર આદર્શ શાસન વ્યવસ્થા તો નથી, પરંતુ જેટલી શાસનવ્યવસ્થા ઉપલબ્ધ છે તેમાં તે શ્રેષ્ઠ છે. આ કથનને સમજવા જેવું છે. શ્રેષ્ઠ મુખ્યત્વે એ અર્થમાં કે તેમાં નાગરિકને અધિકાર મળે છે અને અધિકાર માત્ર બહુમૂલ્ય હોય છે. કોઈ મૂર્ખ હોય એ જ પોતાના અધિકારનું જતન ન કરે અને આ જગતમાં મૂર્ખાઓની સંખ્યા પણ ઘણી મોટી છે અને એ અર્થમાં તે આદર્શ વ્યવસ્થા નથી. લોકતંત્રમાં પ્રજાને મૂર્ખ બનાવી શકાય છે, પ્રજાને મૂર્ખ બનાવવા માટેની પ્રચારયંત્રણા વિકસાવી શકાય છે, સમૂહ માધ્યમોને ખરીદી શકાય છે, પત્રકારો અને વિચારનારાઓને કે વિચારતા કરનારાઓને ડરાવી શકાય છે, જે તે અસ્મિતાના કેફ ચડાવી શકાય છે, પ્રજાને ડરાવી, રડાવી અને પોરસાવી શકાય છે.

ધ્રુવ રાઠી

આવું એ લોકો કરે છે જે પ્રચંડ માત્રામાં સત્તા ભૂખ ધરાવતા હોય અથવા તેમની કોઈ વિચારધારા હોય. તેમની કલ્પનાના દેશની રચના કરવા માટે તેઓ આ બધું કરતા હોય છે, કારણ કે તેમને ડર હોય છે કે મુક્ત તેમ જ ન્યાયી લોકતંત્રમાં એ લોકો પણ પાછા સત્તામાં આવી શકે જેમની સમાજ તેમ જ દેશની કલ્પના તેમની કલ્પનાથી અલગ છે. જો પ્રતિસ્પર્ધીને નેસ્તનાબૂદ કરી દેવામાં આવે તો સત્તાભૂખ પણ સંતોષાય અને ખાસ વિચારધારા આધારિત રાષ્ટ્ર કે સમાજનો એજન્ડા પણ દાયકાઓ સુધી ટકાવી શકાય. માટે ચૂંટણી મુક્ત (free) હોવી જોઈએ કે જેથી લોકોને અને દુનિયાને એમ લાગે કે ભારત લોકતાંત્રિક દેશ છે, પરંતુ તે દરેકને એક સમાન તક આપનારી ન્યાયી (fair) ન હોવી જોઈએ. ધ્રુવ રાઠીએ તેમના વીડિયોમાં આ વાત ઊઠાવી છે અને કઈ રીતે અન્યાયી વર્તણુક (unfair practices) દ્વારા પ્રતિસ્પર્ધીઓને નેસ્તનાબૂદ કરવામાં આવી રહ્યા છે તેની વિગતો આપી છે. કોઈ મતાંધ મૂર્ખ પણ ધ્યાનપૂર્વક સાંભળે તો હકીકત સમજી શકે એ રીતે સરળ ભાષામાં અને જડબાતોડ વિગતો તેમાં આપવામાં આવી છે. માટે શાસકોને તેની નોંધ લેવી પડી છે.

સમસ્યા એ છે કે બીજા વિશ્વયુદ્ધ પછી સો કરતાં વધુ દેશો સ્વતંત્ર થયા એમાંથી જે દેશોમાં સરમુખત્યારશાહી આવી એ સરમુખત્યારશાહીનું સ્વરૂપ સ્થૂળ હતું. લશ્કર બળવો કરે, ચૂંટાયેલી સરકારને બરતરફ કરે, શાસકોને કેદ કરે કે મારી નાખે, રસ્તાઓ ઉપર રણગાડીઓ ફરે, રેડિયો અને ટી.વી.નો કબજો લઈ લેવામાં આવે, પ્રતિનિધિગૃહને બરખાસ્ત કરવામાં આવે, બંધારણ સ્થગિત કરવામાં આવે, અખબારો પર સેન્સોર્શિપ લાદવામાં આવે, વગેરે. પાકિસ્તાન સહિત આપણા પાડોશી દેશોમાં આવું અનેકવાર બન્યું છે. આને કારણે લોકશાહી જગતમાં લોકો એવું માનતા થયા છે કે જ્યાં સુધી લોકતંત્ર પર આવો સ્થૂળ હુમલો ન થાય ત્યાં સુધી લોકતંત્ર સલામત છે. ચૂંટણીઓ યોજાય છે, આપણને મતદાન કરવાનો અબાધિત અધિકાર છે, કોઈ રોકટોક નથી, જે લોકો રાજ કરી રહ્યા છે એ પ્રજાએ ચૂંટેલા છે એટલે લોકતંત્ર સલામત છે. તેમને free અને fair વચ્ચેનો ફરક જ ખબર નથી. free અલગ છે અને fair અલગ છે. લોકશાહી વ્યવસ્થામાં fair હકીકતમાં free કરતાં પણ વધુ મહત્ત્વ ધરાવે છે.

સમર્થકોને નશામાં રાખો, તેમની અંદર રહેલા વેરભાવને સંતોષો અને વિરોધીઓને લંગડા કરો. ધનથી કરો, ઈ.ડી. અને સી.બી.આઈ. જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરીને કરો, સરકારો તોડીને કરો, પક્ષોને તોડીને કરો, પેગાસસ જેવા પ્રોગ્રામ દ્વારા જાસૂસી કરીને કરો, લોકતાંત્રિક સંસ્થાઓ પર કબજો કરીને કરો. ખરીદીને કરો, ડરાવીને કરો. બરોબર સમય આવ્યે ચૂંટણી યોજીને ખુલ્લી લોકતાંત્રિક સ્પર્ધા યોજવાની, જેમાં પ્રતિસ્પર્ધી હોય પણ એ લંગડો હોય. આ સિવાય ચૂંટણીઓને મોંઘી કરતી જવાની. એટલી મોંઘી કે લંગડો ટકી જ ન શકે. એક બાજુ કેફ ચડાવેલા મતદાતાઓ, વિવેકનો કોઈ શબ્દ કાને ન પડે એવો જાણીબૂજીને મચાવવામાં આવતો ઘોંઘાટ અને બીજી બાજુ અપંગ પ્રતિસ્પર્ધી. હા, ચૂંટણી સમયસર યોજવાની.

લોકતંત્રનું કલેવર જાળવી રાખવાનું અને પ્રાણ હરી લેવાના. ધ્રુવ રાઠીએ એક એક રમતની ક્લીપ બતાવીને આખો ખેલ ઊઘાડો કરી આપ્યો એટલે તેઓ ડરી ગયા છે. તેમને જાગેલાઓનો ડર છે એનાં કરતાં વધુ સૂતેલા જાગી જાય એનો ડર છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 07 માર્ચ 2024

સૂચિત વીડિયોની આ રહી આ કડી : 

Loading

તમારે અહીં ફક્ત એક ચીજનું જોખમ છે : કવિતા

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|6 March 2024

સ્પેનના આંતરવિગ્રહમાં લોર્કાની શહાદત સાથે નેરૂદાની કવિતા એક નવી જ પ્રતિબદ્ધ પ્રતીતિમાં ઠરી કે આ કોઈ ‘ધીમંત ક્રીડા‘ નથી, પ્રેમનું અફીણડોડું નથી; પણ માનવીય બિરાદરીમાં ન્યાય અને સમતા માટેનું બુલંદ જાહેરનામું છે

તાજેતરમાં બે વાત, લગરીક આગળપાછળ પણ લગભગ એક સાથે બની. સિતાંશુ યશશ્ચંદ્રે આજના જગતની કવિતામાં સહુની સહિયારી તોયે એકેએકની પોતાની સફર લઈને આવતો કાવ્યસંચય ‘संगच्छध्वम्’ હાથમાં મૂક્યો. એમ જ પાનાં ફેરવતાં હું પ્યોર્તોરિકન કવિ માર્તિન એસ્પાદાની રચના ‘બગીચામાં બંદૂકધારીઓ’ આગળ અટકી પડ્યો. ચીલે(ચીલી)ના વિશ્વવિશ્રુત ને નોબેલ પુરસ્કૃત કવિ-રાજપુરુષ પાબ્લો નેરૂદાના અંતિમ પર્વને સ્પર્શતી એ કૃતિના થોડા અંશો :

તખ્તાપલટ પછી

નેરૂદાના બગીચામાં, એક રાતે

સોલ્જરો તૈનાત કરવામાં આવ્યા

* * *

કવિ મરતા જતા હતા

કેન્સરે એમના બદનમાં આગ લગાડી દીધી હતી

* * *

તો પણ જ્યારે લેફ્ટેનન્ટ ઉપલે માળે ધસી આવ્યા 

ત્યારે નેરૂદાએ એમની બરાબર સામે જોઈને કહ્યું :

તમારે અહીં ફક્ત એક ચીજનું જોખમ છે : કવિતા

લેફ્ટેનન્ટે અદબથી પોતાને માથેથી ટોપો ઉતાર્યો

સેનોર નેરૂદાની માફી માગી

ને દાદરા ઊતરી ગયો.

* * *

આજકાલ કરતાં ત્રીસ વરસથી

અમે ગોત કરીએ છીએ

એવા બીજા એક મંત્રની

જેને બોલતાં

બગીચામાંથી બંદૂકધારીઓ છૂ થઈ જાય.

પાબ્લો નેરૂદા

કવિ પાબ્લો નેરૂદા મૂડીવાદ ને સરમુખત્યારી શાસનના ઘોર વિરોધી હતા. ચીલેમાં ક્યારેક સેનેટર રહ્યા હતા, તો પરદેશમાં વખતોવખત રાજનયિક (ડિપ્લોમેટિક) કામગીરી પણ બજાવી હતી. વચ્ચે કેટલાંક વરસ દેશનિકાલ પણ વેઠ્યો હતો. 1970માં જ્યારે સમાજવાદી-માર્ક્સવાદી ઝુકાવ સાથે ઉદાર લોકશાહી વલણોવાળી સાલ્વાદોર આયંદેની સરકાર બની ત્યારે નેરૂદા પેરિસ ખાતે ચીલેના રાજદૂત પણ હતા. 

1971માં એમને નોબેલ પારિતોષિક મળ્યું. એ સ્વીકારીને તે જ્યારે પરત ફર્યા ત્યારે એમના અભિવાદન સારુ સ્ટેડિયમ સિત્તેર હજાર લોકોથી ઉભરાઈ ઊઠ્યું હતું. 1973માં મિલિટરી કૂ(પ)થી આયંદે સરકાર ગઈ ને જમણેરી સરમુખત્યારી શાસન સ્થપાયું ત્યારે નેરૂદા કેન્સરની સારવાર હેઠળ હતા. સરમુખત્યાર પિનોશેના ઈશારે ભળતા ઈન્જેક્શન થકી એમનું મોત નીપજ્યાની ત્યારે લાગણી હતી. 

હમણાં, એસ્પાદાની ઉપર ઉતારી તે પંક્તિઓ વાંચતો હોઈશ એવામાં એક સમાચાર તરફ ધ્યાન ગયું કે ચીલેની અદાલતમાં નેરૂદાના મૃત્યુને લગતો કેસ ખૂલ્યો છે અને એના શંકાસ્પદ સંજોગોનો ભેદ ખૂલે એવી શક્યતા છે.

કિશોરાવસ્થા અને તારુણ્યના સંક્રાન્તિકાળે ઉત્કટ પ્રણયકાવ્યોથી ઊંચકાયેલા કવિની દલિત-દમિત માનવતા માટેની લાગણી 1936ના સ્પેનિશ આંતરવિગ્રહ સાથે જાણે કે એક નવું જ બેપ્ટિઝમ પામી એમ અભ્યાસીઓ કહે છે.

પોતે ત્યારે સ્પેનમાં ચીલેના કોન્સલ હતા, અને ફેડરિક ગાર્સિયા લોર્કા સાથે એમના મૈત્રીબંધનને નવો પુટ ચડ્યો હતો. આ લોર્કા સ્પેનની લોકશાહી રુઝાનવાળી સરકાર સામે જમણેરી લશ્કરી બળોની સામે અવાજ ઉઠાવવામાં સક્રિય હતા. આ બળોનું નેતૃત્વ ફાસીવાદી જનરલ ફ્રાન્કો કરતા હતા. લોર્કાને આ લશ્કરી બળોએ ઝબ્બે કર્યો ત્યારે જવાબદાર અધિકારીએ કહ્યું હતું કે એણે પોતાની પેનથી એવો દેકારો બોલાવ્યો હતો જે પિસ્તોલથીયે ન મચ્યો હોત.

સ્પેનિશ આંતરવિગ્રહના અનુભવ અને લોર્કાની શહાદત સાથે નેરૂદાની કવિતા એક નવી જ પ્રતિબદ્ધ પ્રતીતિમાં ઠરી કે આ કોઈ ‘ધીમંત ક્રીડા’ નથી પણ માનવીય બિરાદરીમાં ન્યાય ને સમતા માટેનું બુલંદ જાહેરનામું છે. એ કંઈ પ્રેમનું અફીણડોડું નથી. સાંભરે છે, લોર્કા વિશે પેલા સ્પેનિશ લશ્કરખોરની ટિપ્પણી કે કલમ ને કવિતા, પિસ્તોલથી ક્યાં ય ચડિયાતી હાણ પહોંચાડે છે!

કદાચ, કોઈ એક રચનાંશ વાસ્તે નેરૂદા સતત સંભારાશે તો તે ‘હાઈટ્સ ઓફ મચ્છુપિચ્છુ’ હશે. પેરુમાં મચ્છુપિચ્છુ ખાતે 7,970 ફૂટની ઊંચાઈએ તેરમી-ચૌદમી સદીમાં રચાયેલી વસાહત બે’ક સૈકામાં લુપ્ત પામ્યા પછી પણ લાંબા સમય લગી વિદેશી આક્રાન્તાઓથી અસ્પૃષ્ટ, એ રીતે અજેય જેવી રહી, એમાંથી અનુભવાતા એક અવિનાશી જીવનની આ દાસ્તાં છે. દેવહુમાની પેઠે, ‘રાઈઝ અપ ઍન્ડ બી બોર્ન’ એ જાણે કે સ્થાનિક જન જનને, લેટિન અમેરિકા માત્રને જગવતો યુગમંત્ર છે.

લેખિકા સુવર્ણાએ 2005માં પ્રકાશિત વાર્તાસંગ્રહ ‘પોતાનું નામ’ની પ્રસ્તાવનામાં નેરૂદા અને લોર્કાને અનાયાસ જ એક સાથે સરસ સંભાર્યા છે. ‘લલિત’ પણ લખતાં પોતે દલિતોને સમર્પિત છે એમ કહેતાં એમણે આ મથામણ ક્યાં સુધી એવા પ્રશ્નનો ઉત્તર નેરૂદાના સપનામાં જોયો છે : ‘ચાલો, આપણે ચાંદા જેવડી મોટી પોળી બનાવીએ, જેમાંથી જાતિ-ધર્મ-દેશ-વેશના ભેદથી પર થઈ, એકબીજામાં ભળી જઈ, બધાં એક જ થાળીમાં જમીએ.’ અને પછી જાણે આ પ્રક્રિયાનું વાર્તિક કરતાં હોય તેમ લોર્કાને સંભાર્યો છે : ‘જ્યારે શોષિત મુક્ત થશે ત્યારે ખરેખર તો શોષક મુક્ત થયો હશે. શોષણે શોષિતને જ નહીં શોષકને પણ અમાનવીય બનાવી દીધો છે. અત્યારે ગુલામ અને ગુલામધારક બંને બેડીમાં છે. ગુલામની બેડી તૂટે તો જ માલિકનીયે તૂટે.’

નેરૂદા સામ્યવાદી પક્ષને આજીવન વફાદાર રહ્યા પણ પ્રસંગે ઢાંચાઢાળ વફાદારીથી ઊંચે પણ ઊઠી શકતા. કોઈક સંદર્ભે એમને સોવિયેત યુનિયન માટે પ્રીતિવશ પક્ષપાત કઠ્યો ને ખૂંચ્યો પણ હશે. ક્રાંતિકારી ચે ગુવેરાના અતોનાત ચાહક છતાં શાંતિમય પરિવર્તનની શક્યતાઓ માટે કંઈક કૂણા પણ હશે.

ચીનની મુલાકાત પછી ભરીબંદૂક કહ્યું હતું એમણે કે મને માઓ ગમે તેથી માઓવાદ પણ ગમે એવું ચોક્કસ નહીં. એમના મિત્ર મેક્સિકન કવિ ઓક્ટેવિયો પાઝે (જેઓ ભારતમાં મેક્સિકી રાજદૂત હતા, એમણે) ક્યારેક સ્તાલિન ભણી અઢળક ઢળિયા નેરૂદાને ટપાર્યા પણ હશે. નેરૂદાની અપીલ હમણેના દાયકાઓમાં એવી જ બરકરાર છે.

એકાદ દાયકા પર ‘અરબ વસંત’ના દિવસોમાં કેરોની સડકો ને દીવાલો પર નેરૂદાની એ પંક્તિ ચીતરાયેલી હતી કે તમે સઘળાં પુષ્પોને સંહાર્યા પછી પણ વસંતને ખાળી શકતા નથી.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 06 માર્ચ 2024

Loading

મતદારોને પણ રાજકારણીઓનાં જૂઠ પસંદ હોય છે!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 March 2024

રાજ ગોસ્વામી

ગયા વર્ષે, અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં ઓહાયો રાજ્યનો એક કેસ આવ્યો હતો. તેમાં, ઓહાયોના ડેમોક્રેટ પ્રતિનિધિ (સંસદ સભ્ય) સ્ટીવ ડ્રાઈહોસે, તેની સામે સુસાન બી. એન્થની લિસ્ટ નામના બિન સરકારી, ગર્ભપાત વિરોધી સંગઠને એક જૂઠું વિજ્ઞાપન જારી કર્યું હોવાની ફરિયાદ કરીને કેસ કર્યો હતો. એ કેસ સુપ્રીમ કોર્ટમાં આવ્યો, ત્યારે ઓહાયો રાજ્યના સરકારી વકીલે રાજ્યના બચાવમાં કહ્યું હતું કે ઓહાયોએ ચૂંટણી પ્રચાર દરમિયાન ખોટાં નિવેદન કરવા પર પ્રતિબંધ મુકતો કાયદો બનાવ્યો છે અને આવો કાયદો પૂરા અમેરિકામાં લાગુ કરવો જોઈએ. તે વખતે, કોર્ટના ન્યાયમૂર્તિઓએ હસતાં-હસતાં એવી ટિપ્પણી કરી હતી કે એવું થાય તો દરેક ચૂંટણી પહેલાં ત્રણ-ચાર મહિના સુધી સંપૂર્ણ ચુપ્પી છવાઈ જશે!

રાજકારણીઓ બિન્દાસ્ત જૂઠ બોલે છે તે ભારત જેવા ‘ત્રીજા વિશ્વ’ની જ બીમારી નથી, તેનું ચલણ અમેરિકા જેવા ભણેલા-ગણેલા, વિકસિત દેશોમાં એટલું જ છે. ચૂંટણી પ્રચારમાં પૈસા પછી જેનો સૌથી છૂટથી ઉપયોગ થતો હોય તો, તે જૂઠ છે. નેતાઓ પોતાના વિશે જૂઠ બોલે છે, વિરોધીઓ વિશે જૂઠ બોલે છે, તેઓ નીતિઓ અંગે જૂઠ બોલે છે, તેનાં પરિણામો અંગે જૂઠ બોલે છે, તેઓ ભાષણોમાં, લખાણોમાં, રેલીઓમાં, પોસ્ટરોમાં, ચૂંટણી ઢંઢેરામાં, ટી.વી. પર, સોશિયલ મીડિયા પર જૂઠ બોલે છે.

રાજકારણીઓ જૂઠ બોલે છે તે વાત બધાને ખબર છે, પણ કોઈ એ નથી પૂછતું કે મતદારો એ જૂઠને ચલાવી કેમ લે છે? ઇન ફેક્ટ, રાજકારણીઓ જૂઠ બોલે છે તેમાં તેમના ચારિત્ર્યની ત્રૂટિ નથી, વાસ્તવમાં તેમના જૂઠ માટે લોકો જવાબદાર છે! લોકો તેમનું જૂઠ ચલાવી લેશે તેવો રાજકારણીઓને ભરપૂર વિશ્વાસ હોય છે. કેમ? કારણ કે રાજકારણીઓને ખબર છે કે તેમણે એ નથી બોલવાનું જે સાચું છે, પણ એ બોલવાનું છે જે મતદારોને સાંભળવું છે.

કોઈ નેતા લોકપ્રિય છે એટલે તેની વાતો સાચો નથી થઈ જતી. સંભાવના તો એવી હોય છે કે એ જૂઠ પણ હોઈ શકે, કારણ કે નેતા લોકોમાં અળખામણા થઈ જવાય એવું બોલવાનું ટાળે છે, અને લોકપ્રિય થવાય તેવું વધારે બોલે છે.

મજાની વાત એ છે કે એવો કોઈ મતદાર નથી જે એવું માનતો હોય કે નેતાઓ સાચું બોલે છે! તેને ખબર છે કે ચૂંટણી પ્રચાર જૂઠની પીઠ પર ચડીને કરવામાં આવે છે, છતાં તે હોંશે હોંશે તેને સાંભળે છે. કેમ? સોશિયલ સાઈકોલોજીમાં તેને ક્રાઉડ વિઝડમ (ટોળાનો વિવેક) કહે છે. તેમાં મોટી સંખ્યામાં લોકો કોઈ વાત માનતા હોય તો, બાકીના લોકો પણ તેને માનવા પ્રેરાય છે. 

ક્રાઉડ વિઝડમમાં, કોઈ વાત કેટલી લોકપ્રિય છે તેના પર લોકો પોતાનો મત કેળવતા હોય છે, નહીં કે તે સાચી છે એટલે. આ કારણથી જ રાજકારણીઓના જૂઠમાં માનનારાઓ ઘણા હોય છે. લોકશાહીમાં એટલા માટે જ બહુમતી લોકોનું અજ્ઞાન, વિશેષ જ્ઞાન ધરાવતા લઘુમતી પર ભારે પડે છે, જેના પરિણામ સ્વરૂપ, ખોટો જવાબ સૌથી અધિક સ્વીકૃત થાય છે.

બહુમતિ લોકોની સહજ વૃત્તિ તેમના અભિપ્રાયોને સાચા માનવાની હોય છે, કારણ કે લોકો નેતાની લોકપ્રિયતાને તેની હોંશિયારી સાથે જોડે છે. બાબાઓ-ગુરુઓ, ફિલ્મ સ્ટારો, રાજકારણીઓને સાંભળવા લોકો એટલે જ ભેગા થતા હોય છે. તેમાં એકલ-દોકલ વ્યક્તિ પોતાની સ્વતંત્ર વિચારશક્તિને બાજુએ મૂકીને ટોળા સાથે જવાનું પસંદ કરે છે.

20મી સદીમાં, રાજનૈતિક દર્શનની દુનિયામાં હન્ના અરેંડટ (1906-1975) નામની એક જર્મન-અમેરિકન વિચારકનું નામ મોટું છે. સત્તા અને અનિષ્ટ વચ્ચેના સંબંધ પર તેમણે ખૂબ લખ્યું છે. રાજકારણમાં જૂઠું બોલવાના ચલણ પર 1971માં લખેલા એક લોકપ્રિય લેખમાં હન્નાએ કહ્યું હતું, “સચ્ચાઈની ગણતરી ક્યારે ય રાજનૈતિક ગુણોમાં થઇ નથી, અને જૂઠને હંમેશાં રાજનૈતિક લેવડ-દેવડમાં ન્યાયોચિત સાધન ગણવામાં આવ્યું છે.”

ઘણીવાર રાજકારણીઓનાં જૂઠને લોકો “ઊંચા પ્રકાર”નું સત્ય માની લેતા હોય છે. અર્થાત, લોકો (ખાસ કરીને જે લોકો અંધભક્ત છે) એવું માનતા હોય છે તેમના નેતા એટલા મહાન અને પોતે એટલા પામર છે કે તેમનામાં નેતાના ઉચ્ચ વિચારોને સમજવાની તાકાત નથી એટલે તેને આંખ મીચીને માની લેવા જોઈએ. લોકો એટલા માટે પણ જૂઠને ચલાવી લે છે કારણ કે તેમને એવું લાગે છે કે નેતાઓ તેમના રાજકીય વ્યવહારોમાં બીજા હિંસક વિકલ્પ પસંદ કરે તેના બદલે થોડાં-ઘણાં નિર્દોષ જૂઠ બોલીને કામ ચલાવી દે તે વધુ હિતાવહ છે. “ના મામા કરતાં કાણો મામો સારો” કહેવત જેવો આ ઘાટ છે.

ટૂંકમાં કહીએ તો, રાજકારણીઓ એમના કરિશ્મા પર અને એમના ભક્તોના સમર્પણ ઉપર મુસ્તાક હોય છે. બીજું કારણ કોસ્ટ-બેનિફિટનો અનુપાત છે. મોટાભાગના રાજકારણીઓને ખબર છે કે સાચું બોલવાથી જે નુકસાન થાય તેના કરતાં, જૂઠ બોલવાથી વધુ ફાયદો થતો હોય તો જૂઠ જ બોલવું જોઇએ. આપણે આપણાં બાળકો પાસેથી સાચું બોલવાની અને ખોટાનો એકરાર કરવાની અપેક્ષા રાખીએ છીએ, પણ રાજકારણીઓના જૂઠને કેમ ચલાવી લઈએ છીએ કારણ કે એમાં “આપણા ફાધરનું કશું જતું નથી.” આપણે ક્યારે ય આપણા બાળકોને એવું કહીએ છીએ કે, “જો બેટા, મોટો થઇને જૂઠ બોલજે અને ખોટું કરજે?”

આપણા જેવા સાધારણ લોકોની દાલ-રોટી ચાલતી રહેતી હોય, ત્યાં સુધી આપણને ય રાજકારણીઓની અનૈતિકતા સામે કોઈ વાંધો નથી હોતો. આ વાલિયા લૂંટારા જેવું છે; અમે તો ઘર ચાલે એમાં ભાગીદાર છીએ છે, તેના પાપમાં નહીં. એટલા માટે આપણે આપણા બાળકોને રામના પાઠ ભણાવીએ છીએ, પણ રાજકારણના રાવણને ચલાવી લઈએ છીએ.

ભારતમાં તકવાદી નેતાઓ, બનાવટી બાવાઓ, સાંઠગાંઠથી કામ કરતા ધનપતિઓ, બોલિવૂડના બદમાશ નાયકો અને કૌભાંડી રમતવીરો આપણા રોલ મોડેલ બની રહ્યા છે તે, ગાંધીજીએ કહ્યું તેમ, અસત્યની પૂજામાંથી આવે છે. 1951માં નહેરુએ આવી શરૂઆતની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું, “ચૂંટણી જીતવાની લાયમાં આપણે જૂઠ અને ગલતનો આશરો લઇ રહ્યા છીએ, અને એવી રીતે જીત્યા પછી પણ અંતે તો આપણી એ હાર જ છે.”

એક ગરીબ માણસની ભક્તિથી પીગળીને ભગવાન હાજર થયા અને તેને એક જાદુઈ “સંતોષ શંખ” ભેટમાં આપ્યો અને કહ્યું કે આ શંખ તેની બધી ઈચ્છા સંતોષશે.

ગરીબ ઘરે ગયો અને શંખમાં મોઢું નાખીને કહ્યું, “મને દસ હજાર રૂપિયા આપ.” શંખમાંથી તરત જવાબ આવ્યો, “દસ શું કામ? તને ખાલી એક હજાર રૂપિયાની જરૂર છે, લે આ એક હજાર!”

ગરીબ ખુશ થઇ ગયો. તેની બધી સમસ્યાઓ હલ થઇ ગઈ, પણ શંખ પ્રતિપ્રશ્નો બહુ કરતો હતો એ તેને પસંદ નહોતું. ગરીબે તેના સ્થાનિક મંદિરના પૂજારીને વાત કરી. પૂજારીએ કહ્યું હું તને આના કરતાં વધુ ઉત્તમ “લપોડ શંખ” આપું છું, એ તને તું માંગીશ તેના કરતાં વધુ આપશે.

ગરીબે એમાં મોઢું નાખીને કહ્યું, “મને દસ હજાર આપ.” લપોડ શંખે જવાબ આપ્યો, “દસ શું કામ? એક લાખ લઇ જા ને!” ગરીબ ખુશ થઇ ગયો. તે સંતોષ શંખ આપીને લપોડ શંખ લઇ આવ્યો.

એ જે માંગે તેમાં લપોડ શંખ વધારો કરે.

“મને દસ હજાર આપ.” શંખ કહે, “દસ શું કામ? એક લાખ લઇ જા.”

ગરીબે થોડા દિવસ રાહ જોઈ અને પછી કહ્યું, “મને એક લાખ આપ.” લપોડ શંખે કહ્યું, “એક લાખ શું કામ? એક કરોડ લઇ જા.”

ગરીબ તો ખુશીનો માર્યો નાચવા લાગ્યો. હવે તેનાં બધાં દુઃખ દૂર થઇ જવામાં હતાં. એ હવે કરોડપતિ બની જવાનો હતો. દિવસો પસાર થયા, પણ કશું આવ્યું નહીં.

તેણે લપોડ શંખને ફરી કહ્યું, “મને એક કરોડ આપ.” શંખે તરત કહ્યું, “એક કરોડ શું કામ? એક અબજ લઇ જા.”

ગરીબ હવે અકળાયો હતો. તેણે કહ્યું, “તું મને નચાવે છે કેમ? પૈસા ક્યારે આપીશ તેની વાત કર ને!”

લપોડ શંખે કહ્યું, “હું પૈસા નથી આપતો, વચન આપું છું.”

મોટાભાગમાં લોકોની સ્થિતિ આવી જ છે : તેઓ એવા લપોડ શંખોને જ વોટ આપે છે જે તેમને વચનો આપે છે, અને એ ‘શંખો’ દર વખતે એકના ડબલ કરતા રહે છે. 

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર”; 03 માર્ચ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...774775776777...780790800...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved