Opinion Magazine
Number of visits: 9457538
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બંધારણ દિવસ ભૂલીએ નહીં, બંધારણ નવા સમાજનો ખરિતો છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|25 November 2023

 સવાલ શાસનનાં શીલ અને શૈલીનો

આપણું આમુખ સ્વતંત્રતા, સમાનતા ને બંધુતાની વાત બહુજ સંક્ષેપમાં અને એટલી જ સચોટ રીત મૂકી આપે છે. નવા ને ન્યાયી સમાજ સારુ આપણી પ્રજાકીય મથામણના શિવસંકલ્પ રૂપે 26મી નવેમ્બર ઉજવાય એથી રૂડું શું.

પ્રકાશ ન. શાહ

હમણાં જ ધ્યાનમાં આવ્યું કે, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને શિક્ષણ સંસ્થાઓને સૂચના આપી છે કે, ભારત સરકારે 2015ના વરસમાં 125મી આંબેડકર જયંતીથી વિધિવત્‌ નક્કી કર્યું છે તે પ્રમાણે 26મી નવેમ્બરે ‘બંધારણ દિવસ’ ઉજવાય છે. એને અનુલક્ષીને કોઈ ને કોઈ કાર્યક્રમ, ખાસ તો બંધારણના અમુખનો સંદેશ સૌને પહોંચે એ રીતે યોજાય તે જોશો. યુ.જી.સી.ના આ પરિપત્ર વિશે જાણ્યું ત્યારે સ્વાભાવિક જ થઈ આવેલું સ્મરણ પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીની એક માર્મિક ટિપ્પણીનું હતું. થોડાં વરસ પર 26મી જૂનના કટોકટી દિવસે બોલતાં એમણે કહ્યું હતું કે, 1975ના જૂનમાં લદાયેલી કટોકટી ફરી વાર ન લાદી શકાય તે માટે આપણે 1977-1979ના જનતા કાળમાં જરૂરી બંધારણીય ને કાનૂની જોગવાઈ કરી છે એ સાચું, પણ તેમ છતાં એવા કાળા દિવસો વળી કોઈ રીતે પાછા નહીં જ આવે એમ હું કહી શકતો નથી.

અડવાણી ત્યારે જે દોરમાંથી ગુજરી રહ્યા હતા (અને આજે ‘વન્સ અપોન અ ટાઈમ’ જેવા થઈ ગયા છે) તે અનુભવધક્કાનાં એમના આ ઉદ્દગારો પાછળ ફાળો હોય તો પણ તટસ્થપણે જોતાં આપણે અઘોષિત કટોકટી જેવો અનુભવ કરીએ છીએ એ વાત નકારી શકાય એમ નથી. હજુ થોડા દિવસ પર જ દેશના વડા ન્યાયમૂર્તિ ચંદ્રચુડે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, કાયદાના અર્થઘટનમાં મતભેદોને અવકાશ હોય, કાળાન્તરે અમુક બાબતોમાં વિશેષ મહત્ત્વ આપવાપણું લાગે છે કે ઓછું મહત્ત્વ અપાય, એ બની શકે છે. પણ, છેવટે તો, બંધારણીય નૈતિકતા એ કાયમી મદ્દો છે તે ભૂલવા જેવું નથી.

બંધારણ વિશે નાગરિક માત્રમાં સભાનતા રહે અને એક પા આણ ને ધોરણે સરકારની જવાબદેહી નક્કી થતી રહે એ જરૂરી છે. હવે બેત્રણ દિવસ પછી બંધારણ દિવસ ઉજવાતો હશે ત્યારે એના ઘડતરમાં અગ્રભૂમિકા અદા કરનાર આંબેડકરના બંધારણ સભામાંના એ શબ્દો બેલાશક યાદ અપાવા જોઈશે કે બંધારણ ગમે એટલું સારું હોય તો પણ એના સારાપણાનો વાસ્તવિક આધાર એનો અમલ કરનારાઓ પર રહે છે.

આંબેડકરે, 26મી નવેમ્બર 1949ના દિવસે બંધારણ પસાર થયું અને 26મી જાન્યુઆરી 1950ના દિવસથી તે અમલમાં આવવાનું હતું એ ગાળામાં આપણી સામેના વાસ્તવિક એજન્ડામાં એકદમ ઉજાસમાં મૂકી આવ્યો હતો : કાયદાથી, નાગરિકને નાતે આપણે સૌ રાજકીય સમાનતાના યુગમાં પ્રવેશી રહ્યા છીએ. પણ આ દેશનું જે દુર્દૈવ વાસ્તવ છે તે તો એ છે કે આર્થિક-સામાજિક વિષમતા જોતાં રાજકીય સમાનતા ઓછી અને પાછી પડે છે. જે-તે પક્ષની રાજ્ય સરકારો, ગૃહમાં વિધિવત કોઈ ખરડો પસાર કરે તે પછી રાજ્યપાલની સહી સાથે એ કાયદાનું રૂપ લે. પણ કેન્દ્ર સરકારના કાચા રાજ્યપાલો વિપક્ષી સરકાર હસ્તક વિધાનગૃહમાં પસાર થયેલ ખરડા પર સહી ન કરતાં બબ્બે – ત્રણ ત્રણ વરસ ચપ્પટ બેસી રહે છે, અને હવે સર્વોચ્ચ અદાલતે તે વિશે તાકીદ કરવાની નોબત આવી છે.

ખરું જોતાં આ તો લોકશાહી ધારાધોરણમાં અપેક્ષિત સામાન્ય વાત છે, અને ધારાગૃહ – કારોબારી – ન્યાયતંત્ર અંગે સત્તાવિશ્લેષનો અનુભવાડાવ્યો સાદો સિદ્ધાંત સૌ જાણે છે. આ સહજ સંવૈધાનિક શીલ વાસ્તે આપણે ઊહાપોહ કરવો પડે, એ ક્યાંનો ન્યાય? ખરેખર તો બંધારણ દિવસે આવી કાયદાકાનૂની જોગવાઈની ખટપટમાં ખોવાયા વગર, વધુ પાયાની વાત કરવી જોઈએ પણ રાજ્યસંસ્થાને પક્ષે જવાબદેહી ન હોય ત્યારે આવી વાતો ઉઠાવવી પડે છે. બાકી, એક ગુલામ દેશમાંથી આપણે સ્વાધીન મુલક તરીકે બહાર આવ્યા ત્યારે બંધારણનો ખરિતો આપણે સારુ નવો ને ન્યાયી સમાજ શક્ય બને તો માટેની રાજ્યરચના વાસ્તે હતો અને છે.

આપણું આમુખ સ્વતંત્રતા, સમાનતા ને બંધુતાની વાત બહુ જ સંક્ષેપમાં અને એટલી જ સચોટ રીત મૂકી આપે છે. નવા ને ન્યાયી સમાજ સારુ આપણી પ્રજાકીય મથામણના શિવસંકલ્પ રૂપે 26મી નવેમ્બર ઉજવાય એથી રૂડું શું.

—————

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 22 નવેમ્બર 2023

Loading

 સ્વ. મધુસૂદન કાપડિયાને અપાયેલી સ્મરણાંજલિ 

રજની પી. શાહ|Diaspora - Literature|24 November 2023

મિત્રો,

રજની પી. શાહ

આ મારી કેફિયત છે. હું અને મધુસૂદન કાપડિયા. એમને હું કહું છું, મારા ‘સાહેબ’. હું સન ૧૯૬૭માં ન્યૂ યોર્ક આવ્યો. ઇન્ડિયામાં મેડિકલ ડોક્ટર થઈને ત્યાંથી એમ.ડી. કરીને આવેલો માત્ર બ્રોડવેના નાટકો જોવા જ. પંચાવન વર્ષ પહેલાં અહીં ન્યુ યોર્કમાં ભાગ્યે જ કોઈ એકાદુ ઇન્ડિયન જોવા મળે. તેવી સ્થિતિ હતી. કહેવાય ન્યૂયોર્ક પણ કશું કોઈ મનોરંજન નહીં. તેથી કૅસેટો સાંભળું. એકાદ બે દુહા અને અવિનાશ વ્યાસના ગરબા. ઘર બહુ યાદ આવે તો પાઠ્ય પુસ્તકની કોઈ કવિતા ગાઉં, જેમ કે ‘મીઠા મધુ ને મીઠા મેહુલા … જનનીની જોડ સખી ! નહીં જડે રે લોલ’.

આ ‘રે લોલ, રે લોલ’ ગણગણું કે મા યાદ આવે.

પછી સંસાર માંડ્યો. બાળકો થયા. પણ  એ બેમાંથી એકેય ગુજરાતી બોલ્યાં જ નહીં. ખરેખર તો મારી પોતાની ભાષા પણ મરવા પડી હતી.

એક દિવસ વાવડ મળ્યા કે અહીં કોઈ ગુજરાતી સાહિત્યનું મંડળ રચાયું છે. અરે કોઈ કિશોર દેસાઈ કરીને માણસે ‘ગુર્જરી’ મૅગેઝીન પણ શરૂ કરી દીધું છે. તેમાં મેં એન.આર.આઈ. તરીકે બારાખડી જેવા આ ભૂમિના લેખો લખવા માંડ્યા. તો વળી એવા સમાચાર પણ મળ્યા કે કોઈ મુંબઈનો મધુસૂદન કાપડિયા તો પોતાના ઘરે પુરુષોત્તમ ઉપાધ્યાયને ગાવા બોલાવે છે. સાથે હંસાબહેન પણ હોય છે. હવે પ્રશ્ન એ હતો કે ત્યાં મારાથી જવાય કેવી રીતે? એક અફવા તો એવી હતી કે એમાં મધુસૂદનની એન્ટ્રી પરમિટ જોઈએ. એકેએકને એ ચકાસી ચકાસીને વિસા આપે છે! માસ્તર પોતે જ દરવાન હોય છે અને પોતે જ બૉડીગાર્ડ.

મધુસૂદન કાપડિયા

ચલો. છેલ્લે લાગવગથી મને એ વિસા મળ્યો. પણ મારા તો પહેલા જ ઇન્વિટેશનમાં મોકાણ મંડાઈ. ન્યુ જર્સીના એમના ઘરે સાંજે ૭:00 વાગ્યા પહેલાં પહોંચી ના શક્યો. કારણ મને એમનું ઘર જ ના મળ્યું અને પ્રોગ્રામ શરૂ થઇ ગયેલો. છેવટે મેં ડરતાં ડરતાં એમને ફોન કર્યો. કોઈએ મધુસૂદનને મેસેજ આપ્યો, કે ‘આર.પી. ઇઝ લોસ્ટ’. તો સાહેબે દુર્વાસાની જબાનમાં મોટેથી મને એ સભામાં શાપ આપ્યો, ‘ટેલ હિમ ટુ ગો બેક’. એ પ્રસંગ પછી આર.પી. નામનો શખ્સ વગોવાઈ ગયો.

પણ દુ:ખનું ઓસડ દા’ડા. એકાદ બે વર્ષમાં મને પૂર્ણ એન્ટ્રી વિસા મળી ગયો. જયજયકાર થઈ ગયો મારી લાઇફમાં ! અમે બીઝી બીઝી થઇ ગયા. પુરુષોત્તમ ને હંસા. આસિત અને હેમા. અરે! સવારના ૪:00 વાગ્યા સુધી મનહર ઉધાસ પણ ગાતા રહે. બસ. જલસા – જલસી. જલસા – જલસી.

સાહેબના મહેલમાં તો પછી મહા સાહિત્યકારો અને મહા કવિઓને પાંચ પાંચ ફૂટના અંતરે સાંભળ્યા અને માણ્યા. હરીન્દ્ર દવે, પ્રદ્યુમ્ન તન્ના, નિરંજન ભગત, સિતાંશુ, વિનોદ જોશી. કંઈ કેટકેટલાંને?

મધુસૂદન સાહેબ તો અમને કિંડરગાર્ટનના બટુકોને, પોતાના આશ્રમમાં સાંદિપની ઋષિની જેમ ટ્રેઇનિંગ આપે. અમે પૂછતા ‘આ છંદ વળી શું બલા છે? નકામા લલગા લગાના જીભના લોચા!’ તો  આ ગઝ્ઝલ બઝ્ઝલ શું છે?’ તો સાહેબ અમને મત્લા ફતલા ને શેર વિગેરે બધું એક જ બેઠકમાં સમજાવી દે.

એક વાર સાહેબ જમીનથી અધ્ધર ચાલ્યા. કારણ? કારણ ‘ઝેર તો પીધાં જાણી જાણી’ના લેખક દર્શક એમને ઘરે મહેમાન થયા હતા. વર્ષો વીત્યાં અને દર્શક હજૂ એ નવલકથાનો ભાગ-૨ લખતા નહોતા. તો સાહેબે  એમના પર દબાણ મૂકીને એ લખાવડાવ્યો. બ્રાવો.

પછી તો સાહેબ એકેડેમીના પ્રેસિડન્ટ થયા. એક વાર એમણે ઘોષણા કરી. કે  ધી ગ્રેટ … ‘ધી ગ્રેટ ઉમાશંકર હેઝ એક્સેપ્ટેડ અવર ઇન્વિટેશન ટૂ વિઝિટ યુ.એસ.એ. અહોહો..! આ ઉમાશંકર, ભોમિયા વિના ભમનારો કવિ. મારા પાઠ્ય પુસ્તકના આ કવિની પંક્તિઓ તો મેં કંઠસ્થ કરેલી. અજીત શેઠે એની તો કેસેટ પણ કરેલી. ઓ માય ગૉડ આ મહાકવિ સાથે તો પછી તો હું જમવા પણ બેઠેલો.

 મધુસૂદને કેટલા ય સાહિત્યકારોને અમારે આંગણે લાવી દીધા.

મધુસૂદન કાપડિયા

ન્યૂયોર્કમાં તે સમયે અમે પાંચ છ કપલ્સે એક ગૃપ બનાવેલું. એમાં સાહેબે બહુ રસ લીધેલો. એમાં ખાણી પીણી સાથે અમે ૨૦ કલાકની બેઠક કરતા. એમાં મધુસૂદન ઉત્કૃષ્ટ રચનાઓ લાવે. અને અમે બધાં સમૂહમાં એ ઉકેલીએ. એક વાર સાહેબ એમાં રાવજી પટેલનું ગીત લઈને આવ્યા. એ ગીત હતું, ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’. એમાં એક પંક્તિ આવે છે. ‘લીલા ઘોડા ડૂબ્યા’. અહાહા … ટી.બી.થી મૃત્યુશય્યા પર પડેલા કવિના .. ડીલ્યૂઝન્સમાં એ પોતાના પ્રણયનું દૃશ્ય જુએ છે. એના પર ઓ માય ગોડ, સાહેબે એવું સરસ રસદર્શન અમને કરાવ્યું કે હું અતિ આનંદથી બોલી ઊઠ્યો, ‘સાહેબ, તમે મને આજે દિવ્યચક્ષુ આપ્યા!. એક પૉઝ પડી ગયો. મધુસૂદન આ સાંભળીને અવાક થઈ ગયા. કોઈ મહા અકાદમીનો બડો ઈનામ એમને મળ્યો હોય તેમ એ રાજીના રેડ થઇ ગયા. સાઇબરમાં તારામંડળ ફૂટ્યા.

બીજી એક વાર એ જ બેઠકમાં સાહેબ એક કરુણ રચના લઇ ને આવ્યા. તે પ્રસંગને સહજ ટૂંકમાં લઈ લઉં. એ હતી બાલમુકુન્દ દવેની કવિતા, ‘જૂનું ઘર ખાલી કરતાં’. કાવ્યમાં નાયક પોતાનું ઘર ખાલી કરે છે. દંપતીના લગ્નજીવનના પહેલા દસકામાં જ પોતાનો એકનો એક દીકરો ખોઈ બેઠેલા. નાયકે પોતે જ પોતાના પુત્રને અગ્નિદાહ દીધેલો. બેરે બેરે હૃદય કઠણ કરી રાખ્યું છે. બસ હવે આ ઘર છોડવાની છેલ્લી ઘડી છે, ને અંદરથી મૃત પુત્ર બોલે છે, ‘બા! બાપુ! ના કશું ય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ..’ બસ. અહીં મધુસૂદન ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડે છે. એમનાથી આગળ કાવ્ય વાંચન થતું નથી. બધું અટકી ગયું. મારા જ ઘરમાં આ સીન ભજવાયો ને હું રહ્યો નાટકનો માણસ. જુઓ આ દૃશ્ય મારી રીતે. ન્યૂયોર્કના મેટ્રોપોલિટન ઓપેરા હાઉસનું આ દૃશ્ય હતું. મધુસૂદન સ્ટેજ પર આડા પડ્યા છે. ત્યાં મસમોટા સ્ટેજના રોમન સામ્રાજ્યના સેટના થાંભલાની જાંઘો ક્રશ થવા માંડી છે .. મારી આ ફિનાલી.

જેમના કોષે કોષમાં કવિતા સિંચાઈ છે અને જેમને ટીચિંગનું વરદાન મળ્યું છે, તે મધુસૂદન માટે મારે આટલું જ કહેવાનું છે, કે સાહેબ, મોર્નિંગ-વોકમાં નીકળો ત્યારે તમે સામે બાંકડા પર બેઠેલા ચેહરાઓ જોજો. એ આપણા સૌના પુરોગામીઓ છે. એમને ઓળખી પાડજો. તમારો ફેવરિટ અખો, નરસિંહ મહેતા, બ.ક. ઠાકોર, સુંદરમ્‌, ઉમાશંકર, રાજેન્દ્ર, નિરંજન ભગત. નામાવલી બહુ લાંબી છે. પાછા કામે લાગી જાવ. તમે મને વચન આપ્યું છે કે તમારે સાહિત્યનાં ઇરોટિક ગીતોનો બૃહદ્દ સંચય બહાર પાડવો છે. થેંક યૂ.

*****

‘ગુજરાતી લિટરરી ઍકૅડેમી ઑફ નોર્થ અમેરિકા’ તરફથી સ્વ. મધુસૂદન કાપડિયાને અપાયેલી સ્મરણાંજલિ. ઝૂમ મીટિંગ. તારીખ  ૧૮/૧૧/૨૦૨૩ 
Email: rpshah37@hotmail.com

Loading

મધુસૂદન કાપડિયા — મારા એક કાવ્યમર્મી મિત્ર 

પન્ના નાયક|Diaspora - Literature|24 November 2023

પન્ના નાયક

મધુસૂદન અને મારો સંબંધ  કદાચ આ ઝૂમ મિટિંગમાં ભાગ લેનારા બધા કરતાં કદાચ વિશિષ્ટ હશે. વિશિષ્ટ એટલા માટે કે અમે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં સાથે ભણતા હતા. 1950, 1960 અને 1970ના ગાળામાં ગુજરાતી સાહિત્યના ત્રણ મુખ્ય કેન્દ્રો હતા — મુંબઈ, અમદાવાદ અને વડોદરા. મુંબઈમાં એ સમયે કવિશ્રી મનસુખલાલ ઝવેરી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર હતા. મુંબઈના સાહિત્યજગતમાં એમનું વર્ચસ્વ મોટું. મુંબઈમાં એમનો ડંકો વાગે. એમના ઘણા શિષ્યો જતે દહાડે ગુજરાતીના પ્રોફેસર થઈને જુદી જુદી કોલેજોમાં ગોઠવાઈ ગયા. એ બધા શિષ્યો ઉપર મનસુખભાઈનો પ્રભાવ મોટો. એ શિષ્યોમાં હતાં સર્વશ્રી સુરેશ દલાલ, મધુસૂદન અને સુશીલા કાપડિયા, ચંદ્રકાન્ત ટોપીવાલા, રમેશ જાની, હરીન્દ્ર દવે, જગદીશ જોશી. એમાંથી ઘણાયે ગુજરાતી સાહિત્યમાં અગત્યનું પ્રદાન પણ કર્યું. પરંતુ આ બધાં હવે એક પછી એક વિદાય લેવા માંડ્યાં છે. આજે હવે એ નોંધપાત્ર ગ્રુપમાંથી સદ્ભાગ્યે માત્ર સુશીલા કાપડિયા અને ચંદ્રકાન્ત ટોપીવાલા હજી પણ હયાત છે.

મનસુખલાલ ઝવેરીના આ શિષ્યોમાં ખાસ કરીને મધુસૂદને એમનો સાહિત્યિક વારસો બરાબર જાળવી રાખ્યો. મનસુખભાઈનો સાહિત્ય પ્રત્યેનો અભિગમ, એમનો સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ, એમના કવિ અને કવિકર્મ વિશેના સ્પષ્ટ ખ્યાલો, એમનો વાણીવૈભવ, એમની ઉચ્ચાર સ્પષ્ટતા — આ બધું જ મધુસૂદન પાસેથી મળ્યું. હું જ્યારે જ્યારે મધુસૂદનને સાંભળતી ત્યારે જાણે કે મનસુખભાઈને સાંભળતી હોઉં એમ લાગતું.

મદુસૂદન કાપડિયા

1981માં જ્યારે અમેરિકાની ગુજરાતી લિટરરી અકાદમી સ્થપાઈ ત્યારે મારા કાવ્યસંગ્રહ ‘ફિલાડેલ્ફિયા’નું વિમોચન થયું. મધુસૂદને મારી કવિતાની વાત કરી. એનો ગુજરાતી સાહિત્યનો ઊંડો અભ્યાસ, ગુજરાતી ભાષા ઉપર એનું પ્રભુત્ત્વ, કલાકો સુધી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી રાખે એવો એનો વાગ્વૈભવ — આ બધાએ એની એક સિદ્ધહસ્ત વિવેચક તરીકેની છાપ મારા મનમાં પાડી. ત્યારે થયું, કે જો આવો નીવડેલો વિવેચક મારું લખેલું વાંચે અને વખાણે તો મને ગુજરાતી સાહિત્યનું ગૂડ હાઉસકીપિન્ગ સીલ મળે. અને મળ્યું પણ ખરું. એના પુસ્તક “અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો”માં. જ્યાં જ્યાં વખાણ કરવા જેવું લાગ્યું છે ત્યાં ચોક્કસ એણે વખાણ કર્યાં છે અને નથી ગમ્યું ત્યાં સખત ટીકા પણ કરી છે. મધુસૂદન એટલે તટસ્થ અને કડક વિવેચક. આ પુસ્તકમાં એણે અમેરિકાના 25 ડાયસ્પોરા કવિ લેખકોના વિપુલ સાહિત્યનો અભ્યાસ કરીને એ સર્જકોનું બહુમાન કર્યું છે. એના સિવાય આ કવિ લેખકોને કોણ યાદ કરવાનું છે? કે કોણ એમને વિષે આવું અભ્યાસપૂર્ણ અને તટસ્થ વિવેચન કરવાનું છે?  ગુજરાતી ડાયસ્પોરાના સંશોધકો માટે આ પુસ્તક એક અમૂલ્ય આધારગ્રંથ — સોર્સ મટીરિયલ — છે.

અમારો નિત્યક્રમ – એટલે કે નટવર ગાંધી અને મારો – અમે રોજ સવારે ચા પીતાં પીતાં ગુજરાતી ગેય કવિતાઓ અને ખાસ તો ભૈરવી રાગમાં સ્વરાંકન થઈ હોય એવી કવિતા સાંભળીએ છીએ. એ ક્યાં મળે? મધુસૂદને સંપાદિત કરેલા પુસ્તક ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા’માં. અહીં નર્મદથી સિતાંશુ અને અનુગામી કવિઓ છે. આ સંપાદન એની બે વિશેષતાઓથી અ-પૂર્વ અને અ-દ્વિતીય છે. સંપાદનમાં કાવ્યાસ્વાદોનો પણ સમાવેશ છે અને ગુજરાતી સુગમ સંગીતમાં આજે જેનું નામ મોખરે છે તેવા અમર ભટ્ટ દ્વારા સંપાદિત કાવ્યસંગીતના ઓડિયો અને તેમની ભૂમિકા પણ મૂકાયા છે. ‘અર્વાચીન કાવ્યસંપદા’ એ મધુસૂદનનું મહત્ત્વનું પ્રદાન છે.

અમેરિકા આવીને મધુસૂદન ભાષાવિજ્ઞાન અને લાઈબ્રેરી સાયન્સ ભણ્યા. રમણ સોની કહે છે તેમ નબળા સ્વાસ્થ્ય અને સબળી મેધાશક્તિ સાથે સતત વિદ્યાવ્યાસંગ કર્યો. અને વિવેચનને ધર્મ સમજીને ઉત્તમ લેખો, સમીક્ષાઓ અને કાવ્યાસ્વાદો કરાવતા રહ્યા. સૌથી વિશેષ તો ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારો વિષેનાં વિદ્વત્તાપૂર્ણ પ્રવચનો માટે મધુસૂદન જરૂર યાદ રહેશે.

અમે અવારનવાર મળતા અને ફોન પર તો નિયમિત વાત કરતા હતા. ઘણી વાર મારી કવિતાની વાત કરતા કરતા એમ પણ કહેતા કે એણે પોતે વિવેચનમાં તો કાઠું કાઢ્યું છે પણ કવિતામાં આટલો ઊંડો રસ હોવા છતાં ભગવાને એને સર્જકતા નથી આપી. આ વિષે એને ખૂબ રંજ હતો. હું એને કહેતી કે ગુજરાતી કવિતા એના જેટલી કોણે માણી અને પ્રમાણી હશે?

હવે મારી કવિતા સારી છે કે નહીં અને જે લખું છું તે કવિતા થાય છે કે નહીં એ હું કોને પૂછીશ? મધુસૂદનના જવાથી ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યમાં મોટી ખોટ તો પડી જ છે, પરંતુ એના જવાથી મેં એક અંગત મિત્ર ગુમાવ્યો છે. એ ખોટ સહેવી મુશ્કેલ છે. એની મૈત્રી મારા સાહિત્યસર્જન માટે ખૂબ ઉપરકારક નીવડી છે. છતાં, “આપણો ઘડીક સંગ” એમ કહીને મન મનાવ્યા સિવાય હવે બીજો કોઈ છૂટકો નથી.

પ્રભુ એના આત્માને શાંતિ આપે અને એના નામ જેવા જ ગુણ ધરાવતાં સુશીલાબહેનને એની ખોટ સહન કરવાની શક્તિ આપે.

————

[શબ્દ સંખ્યા 627]
‘ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા’ યોજિત નવેમ્બર 18, 2023ના રોજ સ્મરણાંજલિ કાર્યક્રમ વખતે અપાયેલું પ્રવચન.
e.mail : naik19104@yahoo.com

Loading

...102030...755756757758...770780790...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved