Opinion Magazine
Number of visits: 9456254
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાધિકા યાદવની હત્યા : ઓનર કિલિંગનો જ એક પ્રકાર

નેહા શાહ|Opinion - Opinion|19 July 2025

નેહા શાહ

“ક્યાં સુધી પુરુષોના નાજુક અહંકારને કારણે છોકરીઓની હત્યા થતી રહેશે?” આ સવાલ રાધિકા યાદવની મિત્ર અને ટેનિસ ખેલાડી હિમનશીખા સિંહ રાજપૂત પૂછે છે. માત્ર હિમનશીખા જ નહીં, દેશની દરેક દીકરી આ પ્રશ્ન પૂછે છે. આ એ જ રાધિકા યાદવની વાત છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા ટેનિસમાં ભારતનું પ્રતિનિધત્વ કરી ચૂકી હતી, જેની ૧૦મી જુલાઈની સવારે ગુડગાંવ ખાતેના એના ઘરમાં તેના પિતાએ જ ગોળી મારી હત્યા કરી. ખભાની એક ઈજા પછી તે સ્પર્ધામાં ભાગ લઇ શક્તિ ન હતી તો એણે ટેનિસ એકેડમી શરૂ કરી. એકેડમીમાંથી આવતા પૈસા અને ખ્યાતિના એની આજુબાજુના સમાજને પસંદ ન આવી, ન એના પિતાને ! પોલીસ સામે કરેલી કબૂલાત પ્રમાણે તો સમાજના લોકો એને ટોણાં મારતાં હતા કે એ દીકરીની કમાણી પર જીવી રહ્યો છે, જેની એને ખૂબ શરમ આવતી હતી. એમણે રાધિકાને ટેનિસ એકેડમી છોડી દેવા દબાણ કર્યું, પણ રાધિકા માની નહિ, જે દીપક કુમારના અહમને માફક ન આવ્યું, એ ભલેને જન્મદાતા જ કેમ ન હોય! 

કહે છે કે રાધિકાના પિતા દીપક કુમાર પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરતા હતા, તેમ છતાં એની પર ગોળી ચલાવવાની હરકત કરી બેઠા ! જેનો એમના ચહેરા પર કોઈ રંજ દેખાતો ન હતો ! એક પિતા દીકરીને પ્રેમ કરતા જ હોય, પણ એ બિનશરતી હોય એ જરૂરી નથી. સામાજિક ધારા-ધોરણોનાં દબાણની પરવશતા આવતી જ હોય છે. લોકો શું કહેશે એ ડરનો ભાર એટલો મોટો હોય છે કે માણસ લોક અભિપ્રાયને જ યોગ્ય માની પોતાની રીતે સાચું ખોટું નક્કી કરતો જ નથી. પિતૃસત્તાક મૂલ્યો સ્ત્રી અને પુરુષ બંનેની ભૂમિકા નક્કી કરે છે. આ કિસ્સામાં રાધિકા અને દીપક કુમાર બંને એનો ભોગ બન્યાં. દીપક કુમાર પિતા તરીકે દીકરીની જિંદગી પર નિયંત્રણ રાખવાનું યોગ્ય સમજતા હોઈ, સમાજનાં ટોણાં પચાવી શક્યા નહિ. સમાજના નિયમોમાં બંધાઈને ચાલવાનું દબાણ એમણે માથે રાખ્યું. દીકરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવા સુધી પહોંચી છતાં એની વ્યક્તિગત સ્વતંત્રતા તેઓ સ્વીકારી શક્યા નહીં. જોવાનું એ છે કે સમાજમાં એવા પણ લોકો છે કે હોનહાર દીકરીની સફળતાને બિરદાવવાને બદલે એના પર નિયંત્રણ નહિ રાખી શકવા બદલ તેના પિતાને મહેણાં-ટોણાં મારે!

કોઈ પણ સ્ત્રી પોતાની પસંદગી પ્રમાણે જીવન વિતાવવાનું નક્કી કરે અને એ માટે સમાજ સામે ખુમારીથી ઊભી રહે તો પિતૃસત્તાક મૂલ્યોને પરવડતું નથી. છોકરીઓને સમાન શિક્ષણ આપો અને સમાન તક આપો – જેમ કે રાધિકાને ટેનિસ રમવાની તક મળી – એનાથી માનસિકતા બદલાતી નથી. પિતૃસત્તાક મૂલ્યો સતત નક્કી કરતા રહે છે કે છોકરી કોને મળી શકે, કોની સાથે વાત કરી શકે, કોને પ્રેમ કરી શકે, કામ કરી શકે કે નહિ, કપડાં કેવાં પહેરી શકે, સોશ્યલ મીડિયા વાપરી શકે કે નહિ … વગેરે … વગેરે …. આ નિયમોથી હટીને રહેનાર સામે આંગળી ચિંધાતી રહે, ધાક-ધમકી મળતાં રહે, ઘરેલું મારપીટ પણ થતી રહે. આ બધા પિતૃસત્તાક હિંસાના પ્રકાર છે. એ સંદર્ભે રાધિકાની હત્યા ‘ઓનર કિલિંગ’નો જ એક પ્રકાર છે. જો ઓનર કિલિંગની બહોળી વ્યાખ્યા કરવી હોય, તો સ્ત્રીની સ્વાયત્તતા સામે પિતૃસત્તાક વ્યવસ્થા પ્રેરિત થતી હત્યા એમ કહી શકાય. કુટુંબની આબરુને સ્ત્રીની પવિત્રતા સાથે સાંકળતી સંસ્કૃતિમાં ‘ઓનર કિલિંગ’ તરીકે થતી હત્યા જોવા મળતી હોય છે જેનો ભોગ સ્ત્રીઓ અને એમના જોડીદાર પુરુષ બંને બનતાં હોય છે. સામાન્ય રીતે એની પાછળનું મુખ્ય કારણ સામાજિક ધોરણોથી વિરુદ્ધ જઈને થતાં પ્રેમ અને લગ્ન સંબંધ હોય છે કારણ કે, સ્ત્રીની જાતીયતા અને જાતીય પસંદગી પર હંમેશાંથી સામાજિક નિયંત્રણ રહ્યા છે. પણ, ભણાવી ગણાવીને પગ પર ઊભા રહેવા તૈયાર થયેલી દીકરીના કામ કરવા અંગે વાંધો પડ્યો હોય એવો કદાચ આ પહેલો કિસ્સો હશે. સ્વતંત્ર રીતે જીવતી દીકરીને લડી ધમકાવી કાબૂમાં રાખવી કે પછી જબરદસ્તી પરણાવી દેવાના અનેક પ્રસંગો આપણે જોતા હોઈએ છીએ. પણ મામલો હત્યા સુધી પહોંચે એ ચોંકાવનારી બાબત છે. એવું તો ક્યાંક નથીને કે સંસ્કૃતિ બચાવવાના પ્રયત્નોના આ પ્રવાહમાં દીકરીઓની જિંદગીને વધુ નિયંત્રિત કરવી વાજબી લાગવા લાગ્યું છે? આમે ય આબરૂ, સંસ્કૃતિ, પરંપરાને સાચવવાનો ભાર સ્ત્રીઓના ખભે વધારે હોય છે! 

જો કે, સોશ્યલ મીડિયા પર લવ જિહાદના નામે એક ટ્રેન્ડ શરૂ થયો છે, જ્યાં આ હત્યાને યોગ્ય ઠેરવવાના પ્રયત્ન શરૂ થઇ રહ્યા છે. નથી દીપક કુમારે પોતાના બયાનમાં એવું કશું કહ્યું કે નથી પોલીસ ફરિયાદમાં એવી કોઈ વાત આવી. પણ પિતા દ્વારા દીકરીની થયેલી હત્યાને બીજી કઈ રીતે વાજબી ઠેરવાય? આજના સમયમાં લવ જિહાદના નામે સહાનુભૂતિની દિશા ફંટાઈ શકે છે અને સ્ત્રીઓની સ્વાયત્તતાની વાત વિસારે પાડી શકાય છે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જિજ્ઞાસાની ભાવના અમને પણ યલોસ્ટોન ખેંચી લાવી છે !

રમેશ સવાણી|Diaspora - Features|19 July 2025

સાઉથ ડાકોટાના ‘રેપિડ સિટી’માં રેન્ટલ હાઉસમાં ત્રણ રાત્રિ મુકામ કર્યો. રેન્ટલ હાઉસમાં રોકાવાનો ફાયદો એ છે કે ઘર જેવું વાતાવરણ મળે, હોટલથી સાવ અલગ. રેન્ટલ હાઉસમાં કીચનનો ફાયદો રહે છે. મનગમતી રસોઈ બનાવી શકાય છે. રેન્ટલ હાઉસનું પ્રિબૂકિંગ ઓનલાઈન થઈ શકે છે. Airbnb-Airbed and Breakfast / Vrbo-Vacation Rentals by Owner / B&B-bed and breakfast જેવી કંપનીઓ પ્રવાસ માટે હાઉસ, રેન્ટ પર મેળવી આપે છે.

16 જુલાઈ 2025ના રોજ, સવારે 6 વાગ્યે ‘રેપિડ સiટી’થી આગળનો પ્રવાસ શરૂ કર્યો. હવે પછી અમારો મુકામ Yellowstone નેશનલ પાર્ક છે. રેપિડ સિટીથી Yellowstoneનું અંતર 430 માઈલનું છે. વચ્ચે નેશનલ હાઈવેના બદલે સ્ટેટ હાઈવે પર મુસાફરી કરી. નાનાં ગામડાંઓ જોવા મળ્યા. રોડની બાજુએ વિશાળ પડતર જમીનો જોવા મળી. 

બપોરના 3.30 વાગ્યે, Yellowstone – યલોસ્ટોન પાસેના અમારા ઉતારે – રેન્ટ હાઉસ પહોંચ્યા. દૂરથી ઝૂંપડા જેવું લાગે પણ અંદર જઈને જોયું તો બધું વ્યવસ્થિત હતું. સાંજે દાળ, ભાત, શાક, રોટલીનું ભોજન કર્યું. આરામ કર્યો. હાઉસ બહાર ફર્યા અને થોડા ફોટાઓ પાડ્યા. અહીં હાઉસમાં એરકંડિશ્નર નથી કેમ કે ઉનાળામાં પણ અહીં ઠંડું વાતાવરણ હોય છે.

યલોસ્ટોન નેશનલ પાર્ક વિશે માહિતી એકત્ર કરી. આ પાર્ક વિશ્વનો પ્રથમ નેશનલ પાર્ક છે. જે 1 માર્ચ 1872ના રોજ બન્યો હતો. યલોસ્ટોન નેશનલ પાર્ક એ વ્યોમિંગ, ઇડાહો અને મોન્ટાનામાં 2.2 મિલિયન એકરમાં, એટલે કે 3,468 ચોરસ માઇલ વિસ્તારમાં ફેલાયેલો છે. જેમાં તળાવો, ખીણો, નદીઓ, પર્વતમાળાઓ, ધોધ, વન્યજીવન અને ઘણું બધું જોઈ શકાય છે. ‘ઓલ્ડ ફેથફુલ’ અને ‘ગ્રાન્ડ પ્રિઝમેટિક સ્પ્રિંગ’ સહિત વિશ્વના સૌથી વધુ ગીઝર-ગરમ પાણીનાં ઝરણાં માટે આ પાર્ક પ્રખ્યાત છે. સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ, માછલીઓ, સરિસૃપ અને ઉભયજીવી પ્રાણીઓની સેંકડો પ્રજાતિઓનું ઘર છે. વિશાળ જંગલો અને ઘાસનાં મેદાનોમાં છોડની અનોખી પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે. આ ઉદ્યાનમાં ગ્રીઝલી રીંછ, કુગર, વરુ અને બાઇસન અને એલ્કના મુક્ત-રેન્જિંગ ટોળાંઓ વસે છે. 

યલોસ્ટોન નેશનલ પાર્ક વ્યોમિંગના ઉત્તરપશ્ચિમ ખૂણામાં આવેલો છે. યલોસ્ટોન નેશનલ પાર્કનો 96% ભાગ વ્યોમિંગમાં છે, જ્યારે બાકીના ભાગો મોન્ટાના અને ઇડાહો વચ્ચે વહેંચાયેલા છે. જ્વાળામુખી ફાટવાથી થતા લાવાના પ્રવાહો અને ખડકો યલોસ્ટોનના મોટાભાગના ભૂમિ વિસ્તારને આવરી લે છે. 

આ પાર્કનાં મોટાભાગના લોકપ્રિય સ્થળો જોવા માટે 2થી 3 દિવસનું આયોજન કરવું પડે. ઊંડાણપૂર્વક મુલાકાત લેવી હોય તો એક અઠવાડિયાનું આયોજન કરવું પડે. અમે 5 દિવસ અહીં ફરવાના છીએ.

દર વર્ષે ઉદ્યાનના જંગલમાં આગ લાગે છે; 1988ની મોટી આગમાં, ગ્રેટર યલોસ્ટોન ઇકોસિસ્ટમમાં 1.4 મિલિયન એકર જમીન બળી ગઈ હતી, જેમાં પાર્કનો 7,97,880 એકર વિસ્તાર પણ સામેલ હતો. આ આગ પર્યાવરણીય અને માનવીય પરિબળોના મિશ્રણને કારણે લાગી હતી, જેમાં ઐતિહાસિક રીતે શુષ્ક ઉનાળો, ભારે પવન, વીજળીના કડાકા અને માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જૂનથી પાનખર બરફ અને વરસાદથી આગ ઓલવાઈ ગઈ ત્યાં સુધી આગ સળગતી રહી હતી. સરેરાશ વર્ષમાં, યલોસ્ટોનમાં આશરે 24 આગ લાગે છે, જેમાંથી 80% કુદરતી-વીજળીને કારણે થાય છે. યલોસ્ટોનમાં હાઇકિંગ, કેમ્પિંગ, બોટિંગ, માછીમારી અને જોવાલાયક સ્થળો સહિત અનેક મનોરંજનની તકો મળે છે. 

આ ઉદ્યાનનો માનવ ઇતિહાસ ઓછામાં ઓછા 11,000 વર્ષ પહેલાં શરૂ થયો હતો જ્યારે મૂળ અમેરિકનોએ આ પ્રદેશમાં શિકાર અને માછીમારી કરવાનું શરૂ કર્યું હતું. 1807-1808ની આસપાસ John Colter – જોન કોલ્ટર યલોસ્ટોન વિસ્તારમાં પ્રવેશનાર પ્રથમ યુરોપિયન હતો. તે વેપારની તકો શોધવા આવેલ. કોલ્ટર યલોસ્ટોન આવ્યો તેની પાછળ જિજ્ઞાસા અને સાહસની ભાવના પણ હતી. જિજ્ઞાસાની ભાવના અમને પણ યલોસ્ટોન ખેંચી લાવી છે !

18 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગૃહસ્થ સંન્યાસ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|18 July 2025

અરુણાના મનમાં ઉચાટ હતો અને હૃદય ધકધક થઈ રહ્યું હતું. હજી અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશનને આવવાને વાર હતી. પણ, અરુણાનું હૃદય સ્વ-ગૃહે પાછા ફરવાના હર્ષ સાથે દ્વિધાથી ભરાઈ ગયું હતું. અરુણાને ખબર હતી કે રેલવે સ્ટેશને તેની આવવાની રાહ જોઇને કોઈ ઊભું નહીં હોય. અરુણા મનમાં જ બોલી કે કોઈને ખબર હોય તો રેલવે સ્ટેશન પર તેડવા આવે ને, અને ટ્રેઈન આવવાની રાહ જોઇને ઊભું રહેને. અરુણા મનમાં જ આ વિચારથી હસી કે કોઈને પોતાના આવવાની ખબર નથી અને હું વિચારું છું કે રેલવે સ્ટેશન પર મારી રાહ જોતું કોઈ ઊભું હશે. અરુણાએ પોતાને સવાલ કર્યો, `અરુણા, તું જ વિચાર કે કોણ તારી રાહ જોઇને ઊભું હશે. તે, ઘર છોડ્યા પછી ક્યાં તારો કોઈ સાથે સંપર્ક રહ્યો છે.` અમદાવાદ આવવાને હજી વાર હતી. અરુણા વિચારોના ભવરમાં ખોવાઈ ગઈ, અતિતમાં આંટો મારવા ચાલી ગઈ.

અરુણાનો જન્મ સામાન્ય પણ ધાર્મિક વાતાવરણથી ભરેલા ઘરમાં થયો હતો. નાનપણથી તેને મંદિરે જવું, પૂજાપાઠ, વ્રતો કરવા એ બહુ ગમતું. ઘણી વખત દાદા, દાદી સાથે કથામાં જતી, સંતોની વાણીને સાંભળતી, તેને મજા આવતી. ઘરે આવીને કથામાં સાંભળેલી, સંતો પાસેથી સાંભળેલી વાતો, કથન વિશે દાદીમાને પ્રશ્નો પણ પૂછતી અને ન સમજાય ત્યા સુધી દાદીમાનો પીછો નહોતી છોડતી. એક દિવસ અરુણાએ દાદીમાને પૂછ્યું, “દાદીમા, પ્રભુભજન અને આત્મકલ્યાણ માટે ઘર છોડી સંન્યાસ લેવાની જરૂર ખરી?” દાદીમા આ પ્રશ્નથી વિચારમાં પડી ગયાં હતાં કે આ નાની બાળકી ગતજન્મના ધાર્મિક સંસ્કાર લઈને જન્મી લાગે છે. એ સિવાય તેને રમવાની ઉંમરે આવા પ્રશ્નો ન સૂઝે.

ત્યારે દાદીમાએ કહ્યું હતું કે “ના બેટા, આત્મકલ્યાણ અને પ્રભુભજન માટે સંન્યાસ લેવો જરૂરી નથી. ગૃહસ્થાશ્રમ, શ્રેષ્ઠ આશ્રમ છે. સાંસારિક જવાબદારી સાથે પણ પ્રભુભજન થઈ શકે. મીરાબાઈ, પાનબાઈ, નરસિંહ મહેતા, તુલસીદાસ આવા ઘણા બધાં સંતોએ ગૃહસ્થજીવન સાથે પ્રભુભજન કર્યું હતું. દાદીમા, માતા, પિતા સાથે ધાર્મિક ચર્ચા અને અભ્યાસ સાથે અરુણા વયસ્ક થઈ યુવાનીના ઉંબરે પહોચી ગઈ હતી. કોલેજમાં અભ્યાસ ચાલતો હોવા છતાં આધુનિક સમાજનો, સોશિયલ મીડિયાનો રંગ તેને લાગ્યો નહોતો. આ બાબતે એ ઘણી વખત સહિયરોમાં હાંસીને પાત્ર પણ થતી એટલે જ અરુણાનાં માતાપિતાને અરુણા માટે યોગ્ય વર શોધવાની ચિંતા હતી. પણ, કહેવાય છે ને જોડી તો પ્રભુ નિર્મિત હોય છે પૃથ્વી પર તો ખાલી મેળાપ થાય છે. અરુણા માટે પણ જોઈએ એવું સંસ્કારી અને ધાર્મિક કુટુમ્બ મળી ગયું અને રંગેચંગે અરુણાના લગ્ન પણ સંપન્ન થઈ ગયા.

અરુણાના પતિનું નામ મનોજ હતું. ગવર્નમેન્ટ ઓફિસમાં સર્વિસ હતી. લોકોની માન્યતા પ્રમાણે તેની પાસે મલાઈદાર ખાતું હતું. પણ, મનોજ ઘરના સંસ્કાર પ્રમાણે ઈમાનદારીથી સર્વિસ કરવામાં માનતો હતો. તેને ઉપરની આવકનો કોઈ મોહ નહોતો. અરુણા, મનોજ સાથે ઘરમાં સેટ થઈ ગઈ હતી. ક્યારેક ક્યારેક મનોજ સાથે મંદિરે જતી અને સાસુજી સાથે કથા, વાર્તા, ભજનમાં જતી.

પૂર્વજન્મના સંસ્કાર કહો કે ઘરનું ધાર્મિક વાતાવરણ કહો, એક વખત અરુણા સાસુજી સાથે એક હરિદ્વારથી આવેલા સંતની કથા સાંભળવા ગઈ હતી. સંતની કથામાં એવી તો ઓતપ્રોત થઈ ગઈ કે પછી સંતની બધા દિવસની કથા સાંભળવા ગઈ અને મનમાં સંન્યાસ લેવાની ઈચ્છા જાગૃત થઇ ગઈ. એક દિવસ સમય લઈને સંતને મળી.

સંતે કહ્યું, “બેટા, અત્યારે તારો ધર્મ સાસુ-સસરાની સેવા અને ગૃહસ્થધર્મ નિભાવવાનો છે. એ ધર્મ સાથે તું આત્મકલ્યાણ અને પ્રભુભક્તિ કરી શકે છો. આ માટે સંન્યાસ લેવો જરૂરી નથી. બેટા, સંન્યાસનો પથ બહુ વિકટ પથ છે. તેમાં ડગલે ને પગલે સમસ્યાઓ ઊભી થતી હોય છે. સંન્યાસીનું કોઈ નિયત ઠેકાણું હોતું નથી. વળી, તું, તો દીકરી છો એટલે બેટા, તું સંન્યાસ માટેનો વિચાર તજીને અત્યારનો તારો ગૃહધર્મ નિભાવ. ઘરે રહીને પ્રભુની આરાધના કર.” અરુણા, સંતના આ પ્રકારના કથનથી નારાજ થઈને ઘરે આવતી રહી. સંત મહાત્મા તો કથા પૂરી થતાં તેની આગળની યાત્રા પર ચાલ્યા ગયા.

મનોજે જોયું કે અરુણાનું મન હમણાં હમણાં વિચલિત દશામાં હોય એવું લાગે છે. તેણે એક દિવસ પૂછ્યું, “અરુણા, શું વાત છે? સંત મહાત્માની કથા સાંભળ્યા પછી તું કઈક દ્વિધામાં અને વિચલિત મનોદશામાં હોય એવું લાગે છે. કોઈ વાત કે મુશ્કેલી હોય તો મને કહે. તારા મનમાં જે કઈ મૂંઝવણ હોય એ મને કહે, તો તારી મૂંઝવણનો રસ્તો નીકળી શકે. આપણે પતિ-પત્ની છીએ આપણી વચ્ચે કોઈ વાતનો પડદો ન હોય.”

અરુણાએ કહ્યું, “ના,ના,એવું કંઈ નથી પણ મને સંન્યાસ લેવાની અને આત્મ કલ્યાણ માટે કંઈક કરવાની ઈચ્છા જાગી છે. મીરાબાઈની જેમ પ્રભુમાં એકાકાર થવાની ઈચ્છા જાગી છે. હું, સંત મહાત્માને મળી હતી એમણે કહ્યું કે `અરુણા, ગ્રહસ્થ આશ્રમ એ જ શ્રેષ્ઠ આશ્રમ છે. તારે સંન્યાસ લેવાની કોઈ જરૂર નથી. તું, અત્યારે જે કરે છો એ તારો આત્મકલ્યાણ માટેનો જ રસ્તો છે.”

“અરુણા, સંત મહાત્માએ જે કહ્યું એ સાચું જ કહ્યું છે. તું અત્યારે જે કરી રહી છો એ આત્મકલ્યાણનો જ માર્ગ છે. માતાપિતાની સેવા અને ગૃહસ્થાશ્રમની જવાબદારી સાથે પ્રભુભજન કરવું એ ખૂબ જ કઠિન અને અઘરું કાર્ય છે. તું અત્યારે તો એ બંને જવાબદારી નિભાવી રહી છો એટલે મનમાંથી એ વિચાર કાઢી નાખ. તું એ વિચાર કે તારા વગરનું આ ઘર કેવું થઈ જશે. આ ઘર મંદિર છે એ મૂર્તિ વગરનું મકાન થઈ જશે. તારા વગર અમે નોધારા અને પ્રાણ વગરના થઇ જઈશું. તું તો અમારા જીવનનો આધાર છો. મારું મન અને આ ઘર ખાલી ખાલી થઇ જશે. મને આવી આકરી સજા ન કરતી, હું, તારા ધર્મના કે આત્મકલ્યાણના માર્ગમાં ક્યાં ય આડો નહીં આવું.”

આખરે એક દિવસ કોઈને પણ જાણ કર્યા વગર અરુણા હરિદ્વાર સંત મહાત્માના આશ્રમે પહોંચી ગઈ. સંત મહાત્મા તો જ્ઞાની મહાત્મા હતા તેણે વિચાર્યું કે અત્યારે આ દીકરીને કંઈ કહેવાનો અર્થ નથી. સમય આવે સમજણ આપવી પડશે. અરુણા હજી આશ્રમના વાતાવરણને અનુકૂળ થવાનો પ્રયત્ન કરી રહી હતી. સંત મહાત્મા પાસે બેઠી હતી ત્યાં એક યુવક આવ્યો અને કહ્યું, “ગુરુજી, તમારી વાત આજે મને સમજાય છે. અત્યારે પ્રાથમિકતા સંન્યાસજીવન નહીં પણ સાંસારિક જવાબદારીની છે. મારા જન્મદાતાની પાછલી અવસ્થાને સંભાળવાની અને સરળ બનાવવાની છે એટલે ગુરુજી, મને આજ્ઞા આપો અને આશીર્વાદ આપો કે એ જવાબદારી પૂરી કરીને હું તમારી સેવામાં ફરી ઉપસ્થિત થઈ શકું.”

“બેટા, મેં તને પહેલાં પણ કહ્યું હતું કે આપણા ઋષિ મુનિઓએ જીવનને ચાર આશ્રમમાં વહેચ્યું છે તેનું કારણ આજ છે. આપણા ઋષિ મુનિઓ પણ ગૃહસ્થજીવન સાથે આત્મઉધ્ધાર અને આત્મકલ્યાણ માટે સાધનાઓ પણ કરતા હતા. એ સાધનામાંથી મેળવેલ જ્ઞાનને લોકોમાં વહેચતા હતા. ગ્રહસ્થજીવન દરમ્યાન જ તેમને વેદો, પુરાણોની અનેક ધાર્મિક ગ્રંથોની રચના કરી છે. મારા તને આશીર્વાદ છે કે તું તારી ઈચ્છા પૂરી કરી શકીશ. ફરી તું આ આશ્રમમાં આવીને રહી શકીશ.”

અરુણા આ વાર્તાલાપ સાંભળી રહી હતી. તેણે સંત મહાત્મા સામે જોયું. સંત મહાત્માએ કહ્યું “હું તારા મનોભાવ સમજી ગયો છું. મેં તને કથા પછી દર્શને આવી ત્યારે આ જ વાત કરી હતી. બેટા, તારી જવાબદારી નિભાવ અને ગૃહસ્થજીવન સાથે આત્મકલ્યાણ કર. આ જ તારી સાચી પ્રભુ ભક્તિ છે.”

અચાનક અરુણાની વિચાર તંદ્રા તૂટી કારણ કે ટ્રેન કાળુપુર રેલવે સ્ટેશનમાં દાખલ થઈ રહી હતી. અરુણા પાસે સામાન તો બહુ હતો નહીં. રિક્ષા કરી ઘરે પહોંચી, રિક્ષામાં એ વિચારી રહી હતી કે મેં જે કર્યું છે તેનાથી ઘરના બધાં નારાજ તો થયાં જ હશે. મને કેવો આવકાર મળશે? મનોજ મને સ્વીકારી તો લેશે ને? ઘરમાં પ્રવેશવા અને રહેવા તો દેશે ને? મેં, મનોજને વધુમાં વધુ પીડા આપી છે. જો મને મનોજ અને મારા સાસુ સસરા નહીં સ્વીકારે તો મારું શું થશે? વળી વિચાર આવ્યો, ના, એવું નહીં બને. મેં ક્યાં કોઈ ખરાબ કૃત્ય કર્યું છે કે કોઈ અપરાધ કર્યો છે. મારી સાથે સંત મહાત્માના આશીર્વાદ છે એટલે કોઈ વિરુદ્ધ બાબત નહીં બને. આ વિચારમાં રિક્ષા ક્યારે ઘરના બારણે પહોંચી ગઈ એ ખબર ન રહી.

અરુણાએ ધીરેથી બારણાની ડોરબેલ વગાડી. મનમાં તો ફડકો હતો કે શું થશે? શું થશે? મનોજે બારણું ઊઘડ્યું, સામે અરુણાને જોઈને તેનું હૃદય થડાકો ચૂકી ગયું, સ્વસ્થ થઈને કહ્યું, “આવ, આવ, લાવ તારો સામાન મને આપ, સ્વગૃહે તારું હાર્દિક સ્વાગત છે.” અને અવાજ કરી કહ્યું, “મમ્મી, અરુણા સ્વગૃહે પાછી આવી ગઈ છે.” અરુણાએ મનોજ સામે જોયું અને મનોજે કહ્યું કે અરુણા સ્વગૃહે પછી આવી ગઈ છે. આ શબ્દો સાંભળી અરુણાનો મનનો બધો ભય ભાગી ગયો. મનમાં ઊભી થયેલી દ્વિધા અને ઉચાટ દૂર થઇ ગયા.

અરુણાએ દોડીને સાસુસસરાને પગે લાગીને કહ્યું, “મમ્મી, મારી દાદીમા કહેતા કે ‘બેટા આત્મકલ્યાણ અને પ્રભુભજન માટે સંન્યાસ લેવો જરૂરી નથી. ગૃહસ્થાશ્રમ, શ્રેષ્ઠ આશ્રમ છે. સાંસારિક જવાબદારી સાથે પણ પ્રભુભજન થઈ શકે. મીરાબાઈ, પાનબાઈ, નરસિંહ મહેતા આ બધાંએ ગૃહસ્થજીવન સાથે જ પ્રભુભજન કર્યું હતું. મમ્મી, દાદીમાની વાત આજે મને સાચી લાગે છે. મારી બધી ગેરસમજણ દૂર થઇ ગઈ.”

“હા, બેટા. તું થાકી ગઈ હોઈશ,આરામ કરી લે, પછી નિરાંતે વાત કરશું.”

અરુણાને આજે ગૃહસ્થજીવન સાથે આત્મકલ્યાણ અને પ્રભુભજનનો સુમેળ થતો હોય એવું લાગ્યું. ગૃહસ્થ સંન્યાસના સૂર્યનો ઉદય થતો લાગ્યો.

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

...102030...74757677...8090100...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved