Opinion Magazine
Number of visits: 9665750
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘અદુલી’ એટલે નખશિખ પરફોર્મન્સનો માણસ 

દીપક મહેતા|Opinion - Literature|27 March 2024

વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે ખાસ

“અદુલી, ટું આંય સું કરે ચ!” આ શબ્દો સાંભળ્યા છે, દાયકાઓ પહેલાં, તે વખતના ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ કેન્દ્ર પરથી. ત્યારે ગુજરાતમાં એક પણ રેડિયો સ્ટેશન નહોતું, એટલે મુંબઈ સ્ટેશનના કાર્યક્રમો ગુજરાતમાં, અરે, ઠેઠ કરાચી સુધી લોકો રોજ સાંભળતા. તેમાં આ શબ્દો જેમાં અચૂક બોલાતા તે કાર્યક્રમ એટલે ‘બુદ્ધિ ધાનશાક મંડળ.’ અદુલી એટલે અદી મર્ઝબાન. અને આ શબ્દો બોલતાં તે કાર્યક્રમમાં તેમનાં પત્ની જરબાનુ જે હતાં વાસ્તવિક જીવનમાં અદીનાં પત્ની સિલ્લા મર્ઝબાન. અદી મર્ઝબાન એટલે નખશિખ પરફોર્મન્સનો માણસ. ૧૯૧૪ના એપ્રિલની ૧૭મી તારીખે તેમનો જન્મ. એટલે કે આ સત્તરમીએ તેમના જન્મને એક સો દસ વર્ષ પૂરાં થશે. 

અદીનો પહેલો પ્રેમ સ્ટેજ. અનેક અંગ્રેજી અને પારસી ગુજરાતી નાટકો પોતે લખ્યાં, તેનું દિગ્દર્શન કર્યું, તેમાં અભિનય કર્યો. પારસી સમાજના પ્રશ્નો તેમાં ચર્ચાતા, પણ ચર્ચા લાગે તેવી રીતે નહિ. અંગ્રેજી મિશ્રિત પારસી બોલીનો ભરપટ્ટે ઉપયોગ, અને એવું જ ભરપટ્ટે હોય હાસ્ય. એક જમાનામાં અદીનાં આ નાટકો જોવા બિન-પારસીઓ પણ મોટી સંખ્યામાં જતા અને નાટકોને ભરપૂર માણતા. ગુજરાતી રંગભૂમિનો પાયો જ પારસીઓએ નાખ્યો અને કેટલાક દાયકા સુધી એ ક્ષેત્રે અગ્રણી રહ્યા. પણ અદીએ આવીને પારસી નાટકની કાયાપલટ કરી નાખી. અદી પહેલાંનાં પારસી નાટકો પાંચ-સાત કલાક ચાલે, અનેક દૃશ્યો હોય, ઘણાંબધાં ગીતો ગવાય, ચીતરેલા પડદા પડે ને ઉપડે. અદીનો ખેલ અઢી-ત્રણ કલાકનો. ગીતો નહિ. દૃશ્યોની સંખ્યા મર્યાદિત. મોટે ભાગે એક જ સેટ પર ભજવાય. ટૂંકમાં અદીએ પારસી નાટકને મોડર્ન બનાવ્યું. બોલચાલની ભાષા પર ગજબનું પ્રભુત્ત્વ. જન્મ, લગ્ન અને મૃત્યુની વાત કહેતા નાટકનું નામ ‘ધસિયો, ફસિયો, ખસિયો’ રાખવાનું એ વગર એમને સૂઝ્યું હશે?

પણ અદી એટલે માત્ર પારસી નાટકો જ નહિ. કનૈયાલાલ મુનશીમાં માણસને પારખવાની અને તેને યોગ્ય સ્થાને બેસાડવાની ગજબની સૂઝ હતી. એટલે તેમણે અદીને ભારતીય વિદ્યા ભવનના કલા કેન્દ્ર સાથે જોડ્યા. તેના બેનર નીચે અદીએ ‘શુદ્ધ ગુજરાતી’માં પણ અનેક નાટકો સફળતાપૂર્વક રજૂ કર્યાં. અદીનું પહેલું નોંધપાત્ર પારસી નાટક ‘પિરોજા ભવન’ પણ ૧૯૫૪મા કલાકેન્દ્રના બેનર નીચે ભજવાયેલું, એટલું જ નહિ, પચ્ચીસ શો સુધી થિયેટર પર ‘હાઉસ ફૂલ’નું પાટિયું લટકતું હતું. આજે આ વાત મોટી ન લાગે, પણ એ વખતે અવેતન રંગભૂમિ પર કોઈ નાટકના દસ શો થાય તો ‘ભયો ભયો’ થઈ જતું.  તેવી જ રીતે પછીથી અંગ્રેજી રંગભૂમિ પર કાઠું કાઢનારા ઘણા એકટર-ડિરેક્ટર અદીનાં અંગ્રેજી નાટકોમાં કામ કરતાં કરતાં ઘડાયા.

૧૯૪૦ના દાયકાની શરૂઆતમાં રેડિયોની જે પહોંચ હતી અને જે ગ્લેમર હતી તે આજના ટી.વી.ને પણ ટપી જાય એવી હતી. ચંદ્રવદન મહેતા ‘રેડિયો ગઠરિયા’માં અદીએ રેડિયો પરથી છ હજાર કરતાં વધુ કાર્યક્રમો રજૂ કર્યા હોવાનું કહે છે. શરૂઆતનાં વર્ષોમાં રેકોર્ડીંગ તો હતું નહિ એટલે એ કાર્યક્રમો ક્યાંથી સચવાયા હોય? પણ ચંદ્રવદનભાઈ લખે છે કે આમાંના એકેએક કાર્યક્રમની સ્ક્રિપ્ટ પ્રેસમાં કમ્પોઝ કરાવી, છપાવીને અદીએ ફાઈલ બંધ સાચવી રાખેલી. અદીને ઘરના છાપાની અને તેના પ્રેસની સગવડ હતી એટલે તેઓ સહેલાઈથી આમ કરી શક્યા હોય. અદીના અવસાન પછી એ ફાઈલોનો ઢગલો અને બીજું પણ ઘણું બધું મુંબઈના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસને સોપાયું અને ત્યાં સચવાયું છે. પણ છ હજાર કાર્યક્રમોમાંથી સો કાર્યક્રમની સ્ક્રિપ્ટ પણ છપાવવાનું કોઈને ક્યાંથી સૂઝે?

પછી ૧૯૭૨ના ઓક્ટોબરની બીજી તારીખથી દેશમાં આવ્યું ટી.વી.. અને પહેલા જ દિવસથી અદી ટી.વી.ના કાર્યક્રમો સાથે સંકળાયા. ત્યારે આજ જેવી ચેનલોની ભરમાર નહિ. સરકારી દૂરદર્શનની પહેલાં તો એક જ ચેનલ. એ પણ રોજના છ-આઠ કલાક જ ચાલે. મુંબઈ કેન્દ્ર પરથી ગુજરાતીમાં નિયમિત રીતે કાર્યક્રમો થાય. તેમાં સૌથી વધુ લોકો સુધી કોઈ કાર્યક્રમ પહોંચી શક્યો હોય તો તે અદીનો ‘આવો મારી સાથે.’ રેડિયોના સ્પોકન વર્ડનો માણસ ટી.વી. પર પણ છવાઈ ગયો.

લોકોની નાડ અદી બરાબર પારખી શકતા. હસતાં-હસાવતાં સારી અને સાચી વાત તેઓ સિફતથી કહી શકતા. બુદ્ધિ ધાનશાક મંડળ કાર્યક્રમની લોકપ્રિયતા તેનો પુરાવો. અદી, સિલ્લા, અને ગોવિંદજીના પાત્રમાં ચંદ્રવદન મહેતા જે ધમાલ કરતા! આજે કેટલીક વાર ટી.વી.ની સિરિયલમાં એકાદ પાત્રને મારી નાખ્યા પછી થોડા એપિસોડ પછી પાછું જીવતું કરવું પડે છે. એવું જ આ ગોવિંદજીના પાત્ર અંગે પણ થયેલું. ચન્દ્રવનદનભાઈ તો રેડિયો પર નોકરી કરે. એમની બદલી અમદાવાદ સ્ટેશને થઈ. એટલે ગોવિંદજીના પાત્રને મારી નાખવું પડ્યું. પણ એ પછી શ્રોતાઓએ હજારો પત્રો લખી જે કકળાટ મચાવ્યો છે! સરકારી તંત્ર ઝૂક્યું. દર મહિને આ કાર્યક્રમમાં ગોવિંદજીનું પાત્ર ભજવવા સી.સી. અમદાવાદથી મુંબઈ આવશે એમ ઠરાવાયું. અને એટલે ગોવિંદજીના પાત્રને અદીએ ફરી સજીવન કર્યું. 

પણ, બુદ્ધિ ધાનશાક મંડળ એ તે વળી કેવું નામ? એ જમાનામાં બી.બી.સી. રેડિયો પરથી ‘બ્રેઈન ટ્રસ્ટ’ના નામે થતા પ્રોગ્રામો ભારે લોકપ્રિય. ગુજરાતી અને મરાઠી વિભાગના પ્રોડ્યુસરોને પોતપોતાની ભાષામાં એવો કાર્યક્રમ કરવાની સૂચના ‘ઉપરથી’ આવી. સી.સી.એ નામ સૂચવ્યું ‘બુદ્ધિવર્ધક મંડળ’ અને એ કામ સોપ્યું અદીને. ત્યારે તો હા ભણીને અદી ચાલ્યા ગયા, પણ કલાક પછી પાછા આવી કહે કે ‘બોસ, તમારા ટાઈટલની પેરેડી કરીએ તો? સી.સી. કહે, તો ‘બુદ્ધિધ્વંસક મંડળ’ રાખો. પણ અદી કહે કે અમારા પારસી પોરિયાઓને એવું બોલતા જ નહિ આવડે. પછી કહે કે આવતી કાલે હું સ્ક્રિપ્ટ લખીને લઈ આવું, પછી એ વાંચી-વિચારી ટાઈટલ નક્કી કરશું. બીજે દિવસે સ્ક્રિપ્ટની સાથે ટાઈટલ પણ લઇ આવ્યા – ‘બુદ્ધિ ધાનશાક મંડળ.’ કહે, આ ધાનશાક પારસીઓની એક બહુ જ પોપ્યુલર ડિશ છે. બસ, તે દિવસથી બાર વર્ષ સુધી અદીના આ ધાનશાકનો સ્વાદ રેડિયોના શ્રોતાઓને કાને વળગી ગયો. 

અદી પરફોર્મન્સના માણસ એ વાત સો ટકા સાચી, પણ વ્યવસાયે તો એ હતા પત્રકાર. બાવીસ વરસની ઉંમરે મુંબઈના ‘જામે જમશેદ’ અખબારના અને ‘ગપસપ’નામના હાસ્યના સામયિકના તંત્રી બન્યા અને પૂરાં પચાસ વર્ષ તંત્રીની ખુરસી પર બેઠા. પણ માનશો? એ ખુરસી પર બેસીને નવરાશની પળોમાં અદી હાથમાં સોયા અને દોરા લઈ ભરત-ગૂંથણ કરતા. કોઈ પૂછે તો જવાબ આપતા : ‘બધ્ધું સિખવાનું.’ 

પણ ગુજરાતી પત્રકારત્વના આદિપુરુષ ફરદુનજી મર્ઝબાનના તેઓ છેલ્લા વારસ હતા એ વાત બહુ ઓછી ધ્યાન પર આવી છે. પહેલ વહેલા ગુજરાતી અખબાર ‘મુંબઈ સમાચાર’ના સ્થાપક ફરદુનજીસાહેબનો જન્મ ૧૭૮૭માં, સુરતમાં. તેમની પાંચમી પેઢીએ થયેલા અદી મર્ઝબાનનું અવસાન થયું ૧૯૮૭ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે. આ પૂરાં ૨૦૦ વર્ષ સુધી મર્ઝબાન કુટુંબનો કોઈ ને કોઈ નબીરો ગુજરાતી પત્રકારત્વ સાથે જોડાયેલો રહ્યો. ૧૮૫૧ના નવેમ્બરની ૧૫મી તારીખથી દાદાભાઈ નવરોજીએ ‘રાસ્તગોફતાર’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું. ફરદુનજીના બે પુત્રો બહેરામજી અને મહેરવાનજી આ રાસ્ત-ગોફ્તારના જોડિયા માલિકો હતા. ૧૮૨૨માં શરૂ થયેલા ‘મુંબઈ સમાચાર’ પછી દસ વર્ષે, ૧૮૩૨માં શરૂ થયેલું ‘જામે જમશેદ’ વર્ષો સુધી ‘સમાચાર’નું કટ્ટર વિરોધી રહ્યું હતું. પણ ૧૮૮૭માં જહાંગીર એન્ડ સરાફ નામની કંપનીએ ‘જામે’ ખરીદી લીધું. આ કંપનીના બે માલિકોમાંના એક હતા જહાંગીરજી, ફરદુનજીના પૌત્ર. થોડા વખત પછી કાવસજી સરાફ ધંધા માટે ચીન જઈ વસ્યા એટલે જહાંગીરજી ‘જામે’ના એકમાત્ર માલિક બન્યા. ૧૯૦૨માં તેમના દીકરા ફિરોઝશાહ ઉર્ફે ‘પીજામ’ ‘જામે’ના તંત્રી બન્યા. કુલ ૩૫ વર્ષ સુધી તેઓ ‘જામે’ સાથે સંકળાયેલા રહ્યા. તેઓ મોટા ગજાના પત્રકાર ઉપરાંત અચ્છા નાટકકાર પણ હતા. ફરદુનજીના પાંચમી પેઢીના વારસ અદી તે આ કુટુંબના છેલ્લા તંત્રી. એક જ કુટુંબની પાંચ પેઢીના સભ્યો પત્રકારત્વ સાથે સતત સંકળાયેલા રહ્યા હોય તેવા દાખલા આખી દુનિયામાં પણ ઓછા જ જોવા મળશે. 

અદીનું એક ખૂબ લોકપ્રિય થયેલું નાટક હતું ‘મોટા દિલનાં મોટા બાવા’. નાટકોનાં રિહર્લ્સર દરમ્યાન નટ-નટીઓને એક વાક્ય પોતે મોટા દિલના મોટા બાવા એવા અદીને મોંએથી ઘણી વાર સાંભળવા મળતું : “શું ભૂલી જવાનું, તે યાદ રાખવાનું.” પણ અદી બાવા, તમને ભૂલી જવાનું અમે ક્યારે ય યાદ નહિ રાખી શકીએ, કારણ તમને ભૂલી જવા એટલે ગુજરાતી રંગભૂમિના એક સોનેરી પ્રકરણને ભૂલી જવું. 

XXX XXX XXX

e.mail : deepakbmehta@gmail.com

Loading

બારીમાંથી બે અવલોકન

સુરેશ જાની|Opinion - Literature|27 March 2024

અમારા ઘરના દિવાનખંડના સોફા ઉપર હું બાજુના ટેકાને અઢેલીને બેઠો છું; અને સોફાની પાછળ આવેલી બારીમાંથી બહારની દુનિયાનું અવલોકન કરું છું. બારીને અડીને એક નાનો છોડ છે. પાંચ છ ફૂટ દૂર એક ઠીક ઠીક મોટો છોડ છે. પછી રસ્તો છે અને રસ્તાની સામેની બાજુએ મકાનો છે. સામેના બે મકાનોની વચ્ચે એક મોટું વૃક્ષ છે. આ ત્રણેનાં પાન અને ડાળીઓ સતત હાલી રહ્યાં છે. રસ્તા ઉપર કો’ક રડ્યું ખડ્યું સૂકું સટ પાંદડું આમતેમ ભટકી રહ્યું છે.

આ બધી સતત ચાલતી રહેલી ગતિ, પવનની હયાતિની સાક્ષી પૂરે છે. આ સઘળાં ન હોત તો? મનને એમ જ થાત કે હવા પડેલી છે. પવન છે જ નહીં. બધું સ્થિર હોવાને કારણે હવાની જીવંતતા અનુભવાત નહીં.

સામેનાં બધાં ઘરોની બધી બારીઓ બંધ છે. માત્ર જડ મકાનો જ દેખાય છે. કોઈ ગતિ, કોઈ ધબકતું જીવન હું જોઈ શકતો નથી. પણ મકાનની અંદર? કેટકેટલાં જીવન ધબકતાં હશે?

અરે! આ સ્થિર હવા જ જુઓને? એ પોતે જ દેખાતી નથી તો તેમાં તરતાં, ઊડતાં બેક્ટેરિયા કે વાઈરસ તો ક્યાંથી જ દેખાય? પણ ક્યાંથી ઘડીના છઠ્ઠા ભાગમાં શરદી આપણા નાકમાં પેંસી જાય છે?

આપણે કોઈ વસ્તુને જોઈએ, સાંભળીએ, સ્પર્શીએ, ચાખીએ, ત્યારે એના હોવાપણાની આપણને અનુભૂતિ થતી હોય છે. પણ, કોક ચીજની કશી ય અનુભૂતિ ન થતી હોય, તેથી એમ થોડું જ કહેવાય કે, તેનુ હોવાપણું છે જ નહીં?

એવા કયા કાલ્પનિક અસ્તિત્વના હોવાપણા વિશે આમ વિચારતાં થઈ ગયાં ખરું ને ? !  

અને આમ જ બીજા એક દિવસે …..

સવારનો પહોર છે. બારીમાંથી સ્કૂલ બસ આવવાની રાહ હું જોઈ રહ્યો છું. દીકરીના દીકરાને ચઢાવવાનો છે. થોડીક વારમાં બસ આવી જશે; અને હું મારા કામે લાગીશ. આ નવરાશની પળે આદતવશ અવલોકન શરૂ થયું છે.

સામે એ જ બંધ મકાનો, એ જ ટપાલપેટીઓ, એ જ નિર્ધૂમ ચિમનીઓ છે. એમાં રહેનારાં એનાં એ જ માણસો છે. એ જ વૃક્ષો, એ જ ઘાસ, એ જ નિર્જન રસ્તો છે. કદીક રડી ખડી કો’ક કાર કે વાન આવીને જતી રહે છે. પણ એ ય રોજની જેમ જ. પવનમાં આમતેમ અફળાતાં પાંદડાં છે. કાલે પણ એમ જ થતું હતું. કશું જ બદલાયું નથી. બધું જેમનું તેમ છે. કે ખરેખર એમ છે?

મકાનો એક દિવસ જૂનાં થયાં છે. એમ જ એમાં રહેનાર પણ. ક્યાંક મને ખબર ન હોય છતાં કોઈક નવજાત બાળક મીઠી નિંદર માણી રહ્યું છે – જે થોડાક દિવસ પહેલાં, એની માના પેટમાં ઊંધા મસ્તકે અવતરવા માટે તૈયાર લટકી રહેલું હતું. મકાનોની ઉપર એક નજીવું, ન દેખાય તેવું આવરણ ઉમેરાયું છે; જે દસ પંદર વર્ષે મકાનો દસ વર્ષ જૂનાં થયાંની ચાડી પોકારવાનું છે.

એનાં એ જ લાગતાં ઝાડ પર અનેક નવાં પાંદડાં ઉમેરાયાં છે; કોઈક સૂકાયેલી ડાળી જમીન દોસ્ત થઈ નીચે પડી ગઈ છે. ઘાસનો વિસ્તાર અને ઊંચાઈ ચપટીક વધ્યાં છે. રસ્તો કાલ કરતાં સહેજ વધુ ઘસાઈને લીસ્સો થયો છે; અથવા સૂર્યના તાપે, એક ન દેખાય તેવી તરડ કોરાઈને થોડીક વધારે ઊંડી બની છે.

પસાર થઈ ગયેલી કાર કાલવાળી કાર ન હતી. બીજા કો’કની હતી! કાલે અફળાતાં હતાં, તે પાંદડાં અલબત્ત કચરાપેટીમાં કે દૂરની ઝાડીઓમાં ક્યાંના ક્યાં ય ફેંકાઈ ગયાં છે. આજે દેખાય છે; તે ગઈકાલે વૃક્ષો પર વિલસતાં હતાં.

અરે! આ અવલોકનકાર પણ ક્યાં એનો એ છે? એના શરીરના અનેક કોષો મરણ પામ્યાં છે, અને નવાં જન્મી ચૂક્યાં છે. એના વિચાર, અભિગમ, મિજાજ કાલનાં જેવાં નથી.

એણે અવલોકન, અનાવલોકન, હાલોકન, પ્રતિભાવ, અપ્રતિભાવના ભાવો વચ્ચે કેટકેટલાં ઝોલાં ખાધાં છે ; અને હજુ ન જાણે કેટલાં ખાશે?

પરિવર્તન … પરિવર્તન … પરિવર્તન … ન દેખાય તેવું પણ અચૂક પરિવર્તન … હર ઘડી, હર સ્થળ.

e.mail : surpad2017@gmail.com

Loading

માર્ચ 1974, 1975, 1977 – માર્ચ 2024માં ક્યાં છે ઉત્તરાધિકારી?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|27 March 2024

1971માં ઇંદિરાજીએ ‘નઈ રોશની’ અને ‘ગરીબી હટાવો’ના નારા સાથે લોકસભાની મધ્યસત્ર ચૂંટણીનો પાસો ફેંકી ફતેહ હાંસલ કરી હતી

પ્રકાશ ન. શાહ

1937માં નેહરુ ત્રીજી વાર કૉંગ્રેસ પ્રમુખ ચૂંટાયા, ત્યારે રામાનંદ ચેટર્જીના ‘મૉડર્ન રિવ્યૂ’માં ‘ચાણક્ય’ ઉપનામથી એક લેખ છપાયો હતો કે પરિસ્થિતિમાં જરી વળાંક આવ્યો કે નેહરુ એમની લોકપ્રિયતા, પ્રભાવ, જનવિરાટ સાથેનું તાદાત્મ્ય જોતાં સરમુખત્યાર બની પણ શકે. પછીથી ખબર પડી કે આ બેબાક પ્રસ્તુતિ લોકશાહીને વરેલા નેહરુની ખુદની મૂલ્યસભાનતામાંથી આવેલી હતી.

લોકસભાની ચૂંટણીના માહોલમાં આ લખી રહ્યો છું, ત્યારે જોઉં છું કે અક્ષરશ: એક અસમાન સ્પર્ધાનો દોર છે. રાજીવ ગાંધીએ 1984માં એક પ્રતિમાન સર્જ્યું હતું એનેય લાંઘી જઈ શકાય એવો મિજાજ મોદી-અમિતનો વરતાય છે. પણ રાજીવ ગાંધીની ફતેહ અને મોદીની આગામી ફતેહ વચ્ચે એક પાયાનો ફેર છે. 

રાજીવ ગાંધીને ઇંદિરાજીની નિર્ઘૃણ હત્યાને પગલે ગજબનાક સહાનુભૂતિ મત મળ્યો હતો. બાકી, હત્યાના થોડા વખત પહેલાં, ધીરેન અવાસિયાને યાદ હશે, ઈ.એમ.આર.સી.માં અમે કુલદીપ નાયર સાથે વાત કરતા બેઠા હતા અને કુલદીપે રાજ્યવાર બેઠકો ગણાવી ઇંદિરાજી બસોનો આંકડો નહીં લાંઘી શકે એવું પાકે પાયે કહ્યું હતું. પણ હાથી મરેલો સવા લાખનો એ કહેવત જે રીતે સદ્દગત ઇંદિરા ગાંધી રાજીવને અને કાઁગ્રેસને ફળ્યાં તે પછી સમજાવવાની રહેતી નથી.

સ્વરાજ લડતની વડી પાર્ટી તરીકે ઉત્તરોત્તર વિકસતી કાઁગ્રેસની ભૂમિકા યશસ્વી રહી છે અને પ્રજાએ પણ સ્વરાજના પહેલા દોઢ દાયકા એને ખાસી વધાવી છે. નેહરુ-શાસ્ત્રી કાળ પછી ઇંદિરા ગાંધીની શરૂઆત જેને હાંફતી કહી શકાય એ રીતની હતી. 1967ની ચૂંટણીએ તો બિનકાઁગ્રેસવાદનો એક નાનો શો દોર પણ જોયો. પણ 1971માં ઇંદિરાજીએ ‘નઈ રોશની’ અને ‘ગરીબી હટાવો’ના નારા સાથે લોકસભાની મધ્યસત્ર ચૂંટણીનો પાસો ફેંકી અચ્છી ફતેહ હાંસલ કરી અને બાંગ્લાદેશના સર્જન સાથે એમના શાસકીય નેતૃત્વ ફરતે અજબનું આભામંડળ પણ રચાઈ ગયું હતું.

જો કે, તે પછી તરતનાં વરસોમાં લોકો સામે એક વિલક્ષણ વિરોધાભાસ પણ આવ્યો : ઇંદિરાજીની વધતી કીર્તિ અને કાઁગ્રેસની પૂર્વવત્ વિસ્તરતી સત્તાની જોડાજોડ મૂલ્યધોવાણ પણ વધતું જતું હતું. આખરે તો, રાજાના કુંવરની શું કે ઉકરડાની શું, નિયતિ દિવસે નહીં એટલી રાતે ને રાતે નહીં એટલી દિવસે વધતા રહેવાની જ હોય છે ને. બીજું, નેહરુની લોકપ્રિયતા અને સત્તાવ્યાપ તેમ જ ઇંદિરાજીની લોકપ્રિયતા અને સત્તાવ્યાપ વચ્ચે એક મૂલ્યાત્મક ફરક હતો. ઇંદિરાજી મહદઅંશે રાજકારણી હતાં અને નેહરુ મહદઅંશે એક સ્વરાજકારણી હતા.

ઇંદિરાજીના ઉદયકાળે ઉમાશંકર જોશીએ શિવકુમાર જોશી સાથે વાત વાતમાં કહેલું કે આપણે ઝાંસીની રાણી તો ક્યાં જોઈ’તી, પણ … આગળ ચાલતાં ઉમાશંકરે એમની રીતે નેહરુ ને ઈંદિરાજી વચ્ચે વિવેક કર્યો કે પંડિતજીની આંતરડી ગરીબો ને ગરીબી માટે કકળતી. (મતલબ, ઇંદિરાઈ રાજકારણમાં ગરીબો ક્રયવસ્તુ હતા.) નવનિર્માણ આંદોલનના અરસામાં ઉમાશંકરે ઇંદિરા કાઁગ્રેસના સૌને અંગે મડાં, મીંડા ને મેઢાં એ યાદગાર પ્રયોગ કર્યો હતો.

લોકપ્રિયતાના શિખરે પણ નેહરુ સત્તાના કેન્દ્રીકરણ પરત્વે સભાન હતા. છેક 1937માં, નેહરુ જ્યારે કાઁગ્રેસના પ્રમુખ પદે ત્રીજી વાર ચૂંટાયા ત્યારે ‘મોડર્ન રિવ્યૂ’માં રામાનંદ ચેટર્જીએ પક્ષમાં ને રાષ્ટ્રીય રાજકારણમાં એમની વધતી વગ ને વર્ચસ્વ વિશે ટીકા અને શંકાની ભાષામાં વાત કરી હતી. એક રીતે એને અનુમોદન આપતો એવો લેખ ‘મોડર્ન રિવ્યૂ’માં જ ત્યારે ‘ચાણક્ય’ની કલમે પ્રગટ થયો હતો: પરિસ્થિતિમાં જરી જુદો વળાંક આવ્યો ન આવ્યો અને નેહરુ એમની લોકપ્રિયતા, પ્રભાવ, વિરાટ જનસમૂહ સાથેની તદાકારતાને જોરે સરમુખત્યાર થઈ શકે છે. એમનો ભાવનાત્મક ઉછેર જોતાં એ ફાસીવાદ ભણી જરૂર નહીં વળે પણ સરમુખત્યાર તો બની શકે. પછીથી ખબર પડી કે નેહરુનું આવું બેબાક વિશ્લેષણ કરનાર ચાણક્ય બીજું કોઈ નહીં પણ પંડિતજી પોતે હતા.

વાત ખાસી લંબાઈ ગઈ, પણ અત્યારે 2024ના ચૂંટણી મહિનાઓમાં આ બધું સાભિપ્રાય સંભાર્યું છે. ઇંદિરાજી સામે અખિલ હિંદ પડકારની સચોટ શરૂઆત ગુજરાતમાં નવનિર્માણ આંદોલનથી થઈ. માર્ચ 1974માં વિધાનસભાના વિસર્જન પછી એંશી દિવસનું આ આંદોલન દેખીતું શમી ગયું. પણ તે દરમ્યાન પરિવર્તનની રાજનીતિને બિહારની પ્રયોગશાળા અને જયપ્રકાશ સરખી વિરલ શખ્સિયત મળી ચૂકી હતી.

અમદાવાદમાં મનીષી જાની, ઉમાકાન્ત માંકડ, મુકેશ પટેલ, રાજકુમાર ગુપ્તા, સોનલ દેસાઈ આદિ ફરતે નવનિર્માણનો તખ્તો ચાલ્યો ત્યારે એની સાથે પણ અંતરિયાળ અમદાવાદમાં ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનમાં એક છાત્રયુવા જમાવડો સક્રિય હતો. જ્યારે જયપ્રકાશ નવનિર્માણના છાત્રોને મળવા આવ્યા એ જ દિવસોમાં ગુજરાતના સર્વોદય સાથીઓ સાથે મળીને શાંતિ પ્રતિષ્ઠાને લોકસ્વરાજ સંમેલનનું આયોજન કર્યું હતું. 

બિહાર આંદોલન સાથે સીધા સંપર્કમાં રહી લોકસ્વરાજ આંદોલને ગુજરાતમાં કામ જારી રાખ્યું એમાં જેપી આંદોલનની અખિલ હિંદ આબોહવામાં બીજાં પણ બળો જોડાતાં ચાલ્યાં જેણે આગળ ચાલતાં જનતા મોરચાનું રૂપ પકડ્યું. માર્ચ 1974 પછી દેખીતો ઠરી ગયેલો નવનિર્માણ તિખારો માર્ચ 1975માં જેપી રાહે લોકસંઘર્ષ સમિતિના નવરૂપે પ્રગટ્યો : એની બધી મર્યાદાઓ સાથે સંઘર્ષ સમિતિ ને જનતા મોરચો સ્વરાજની કાઁગ્રેસનો સ્વાતંત્ર્યોત્તર ઉન્મેષ હતો. માર્ચ 1977માં કટોકટીરાજ સામે જનતા રાજ્યારોહણ નવસંવતની શરૂઆત શું હતું.

આ બધું સંભારીએ કે તરત બ્રહ્માસ્ત્ર પેઠે એક ટીકાવચન ઝિંકાય છે કે જેપીના આંદોલને જનસંઘને સ્વીકૃતિ અપાવી અને ભા.જ.પ. રૂપે આજે એ સત્તારૂઢ છે, ભલા ભાઈ, કાઁગ્રેસે અસલનેરનું નૂર ગુમાવ્યું અને ઇંદિરાજીના એકાધિકાર સામે પ્રતિકારનો અવાજ ઉઠાવ્યો નહીં. એથી લોકઆંદોલન અને નવી દિલ્હી વચ્ચે સાર્થક સંવાદને બદલે સંઘર્ષ અનિવાર્ય બન્યો અને જે સંઘર્ષની સાથે રહ્યા તે તરી ગયા.

આજે નાગરિકની નિયતિ એવી વસમી ને કપરી છે કે ગલત રસ્તેથી પાછા ફરવામાં કાઁગ્રેસે ખાસો વિલંબ કર્યો છે અને મોડે મોડે રાહુલ ગાંધી કંઈક નવજીવન પ્રેરવા મથી રહ્યા છે, તો ભા.જ.પ.ને જનસંઘ રૂપે જનતા અવતારમાં જે નવદીક્ષા મળવી જોઈતી હતી તે મળી ન મળી અને એણે ભળતો રસ્તો પકડ્યો છે. એ 1975, 1977નો લાભાર્થી હશે, ઉત્તરાધિકારી નથી.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 27 માર્ચ 2024

Loading

...102030...748749750751...760770780...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved