Opinion Magazine
Number of visits: 9457423
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ઝેરી સાપોને પાતાળમાંથી ગોતીને ઝબ્બે કરો !’

રમેશ સવાણી|Opinion - Opinion|30 November 2023

[ભાગ-7]

રમેશ સવાણી

‘ખેડે તેની જમીન’ની નીતિ લોકશાહી ઢબે અમલમાં લાવવાનું મુશ્કેલ કામ સૌરાષ્ટ્ર સરકારે કર્યું હતું. કેટલાંક રજવાડાઓને સૌરાષ્ટ્ર સરકારની આ પ્રગતિશીલ નીતિ ગમી નહીં, એટલે સરકારની સામે છૂપું બંડ પોકારવા ષડયંત્ર રચ્યું. ‘વાઘણિયા સ્ટેટ’ના રાજવી અમરા વાળાના ઓડર્લી / ડ્રાઈવર ભૂપતસિંહ મેરુજી રાજપૂતને હથિયાર-કાર્ટિઝ-આશરો પૂરો પાડી નિર્દોષ લોકોની હત્યાઓ કરાવી ખેડૂતોને ભયભીત કરવાનું રાજવીઓએ ષડયંત્ર રચ્યું હતું. ભૂપતનું મૂળ ગામ બરવાળા (બાવીશી) હતું. તેની અટક બૂબ હતી. રજવાડાના કેટલાંક ટેકેદારો ટીકા કરતા કે સૌરાષ્ટ્ર સરકાર કરતાં તો રજવાડાનું શાસન સારું હતું ! તેમની દલીલ હતી કે ‘ખેડે તેનું ખેતર તો કામ કરે તેનું કારખાનું અને રહે તેનું રહેઠાણ એવો કાયદો સૌરાષ્ટ્ર કેમ કરતી નથી?’ પરંતુ સામંતવાદીઓની આ દલીલ લોકશાહી સરકારની ઠેકડી ઉડાડવા માટે જ હતી ! તેઓ પોતાના રજવાડી શાસન વેળાએ આ કામ કરી શક્યા ન હતા. ભૂપતે હત્યા કરવાની પરંપરા 24 જુલાઈ 1949થી શરૂ કરી 87 જેટલા નિર્દોષ લોકોની હત્યા કરી, અનેકના નાક કાપ્યા, અનેકને રિબાવી રિબાવીને માર્યા અને સૌરાષ્ટ્ર રાજ્યના પોલીસ વડા કાનેટકર તથા ગૃહ મંત્રી રસિકલાલ પરીખની ભીંસ વધતા ભૂપત પકડાશે તો વટાણા વેરાઈ જશે એવો ડર આશરો આપનાર રાજવીઓને લાગ્યો ત્યારે તેમણે ભૂપતને કહ્યું કે ‘ફાંસીથી બચવા પાકિસ્તાન નાસી જા !’ ભૂપત પકડાય તો ફાંસી નક્કી હતી, તેથી 3 મે 1952ના રોજ ભૂપત તેના ત્રણ સાથીઓ સાથે પાકિસ્તાન નાસી છૂટ્યો.

છગનભાઈ પટેલ

ધારાસભ્ય છગનભાઈ પટેલ ચાર ચોપડી ભણેલા હતા, પરંતુ તેમણે વિધાનસભામાં જે પ્રવચનો / રજૂઆતો કરેલ તે ચોટદાર અને તાર્કિક હતાં. ઓછું ભણેલ માણસ જ્યારે દિલની વાત કરવા બેસે ત્યારે ભાષા પણ એમને મદદમાં આવતી હોય છે ! 21 માર્ચ 1951ના રોજ તેમણે ધારાસભામાં કહ્યું હતું : “આજે બે વર્ષથી બહારવટિયા ભૂપતની પ્રવૃત્તિ ચાલે છે. ખેડૂતોના ખૂન દિલ કંપાવી દે તેવા છે. તાલુકદારીનો પ્રશ્ન શુદ્ધ હ્રદયથી કોઈ પણ જાતનો રાજકીય રંગ આપ્યા વિના પોતાની તમામ શક્તિ સૌરાષ્ટ્રના 1,100 ગામડાંના કલ્યાણની દૃષ્ટિએ ખર્ચીને આ વાતનો અંત લાવવાના પ્રયત્નો કરવા તમામ પક્ષોને વિનંતિ કરું છું. આ પ્રશ્નને નકરો ખેડૂતોના હિતની દૃષ્ટિએ કે નકરો તાલુકદારોના હિતની દૃષ્ટિએ નહીં પણ આખા સૌરાષ્ટ્રની હિતદૃષ્ટિએ વિચારીને તેનો ઉકેલ લાવવો જોઈએ. એવી વાત કરવામાં આવે છે કે કાઁગ્રેસ તાલુકદારોની દુ:શ્મન છે. આ માત્ર ગપગોળો છે. સરકાર તાલુકદારોનો નહીં, તાલુકદારી પ્રથાનો નાશ કરવા ઈચ્છે છે. તાલુકદારી પ્રશ્ન જો ન પતે તો હું સૌરાષ્ટ્રની પ્રજા તેમ જ તાલુકદારોનું હિત બે રીતે નથી જોતો. એક તો એ કે આ પ્રથા ચાલુ રાખવી એ સૌરાષ્ટ્ર માથે એક મોટું જોખમ તેમ જ કલંક છે. તેમ અત્યારની દુનિયાનો પવન અને સામાજિક બળના વાતાવરણ ઉપરથી કોઈ પણ સમજદાર નાગરિકને દેખાશે. એટલું જ તાલુકદારો માટે પણ જોખમ છે. આ પ્રશ્નનો ઉકેલ નહીં થાય તો આ જ સૌરાષ્ટ્રની પ્રજા પણ શાંત બેસી શકે તેમ નથી. બીજી રીતે જોઈએ તો આપણને થશે કે જ્યારે રાજવી સંસ્થાઓ હતી અને નાનાં નાનાં રાજ્યો હતા ત્યારે તે અનુકૂળતા માટે સમાજે જ ગોઠવેલું, સમાજહિતની દૃષ્ટિએ તે બંધારણ હતું. સૌ તેને માન આપતા. તે દિવસે એ જરૂરી હતું. આજે સમય બદલાઈ ગયો છે. તે દિવસે રાજાઓ પ્રજાનું રક્ષણ કરતા હતા. આજે રાજાઓનું રક્ષણ પ્રજાના હાથમાં છે. આજે દિશા તદ્દન પલટાઈ ગઈ છે તે કેમ ભૂલી જવાય છે? એવું કહેવાય છે કે આ બધું કાઁગ્રેસે કર્યું છે, ગામડાંમાં છોરું માવતર જેવો ખેડૂત અને ગરાસદારોનો સંબંધ કાઁગ્રેસે બગાડ્યો છે. આ હોલમાં મહારાણી વિક્ટોરિયાનું બાવલું હતું તેને કાઁગ્રેસે દૂર કર્યું. આજે એની જરૂર ન હતી એટલે એને દૂર કર્યું છે, તેમ સૌનું દિલ કહે છે, જેથી સંજોગોએ તેને દૂર કર્યું. છોરું માવતરના સંબંધ અંગે દાખલો આપું. એક દિવસ ભાવનગર રાજ્યે એક કરજ કમિટી નીમી હતી. જ્યારે તે કમિટી કામે લાગી ત્યારે વેપારીઓ વાતો કરતા હતા કે હવે ખેડૂતોનો વ્યવહાર તૂટી જવાનો છે ! એક માણસ પાસેથી એક ખેડૂતે 40 રૂપિયા લીધા. ત્યાર પછી લગભગ 340 રૂપિયા બાકી રહ્યા. એક માણસે 16 મણ જુવાર લીધી તે પેટે ઘણું આપેલ છતાં તેને ખાતે બાકી 1,800 રૂપિયાનું કરજ કમિટીની તપાસ વખતે નીકળ્યું. છતાં ખેડૂત વેપારીનો ઉપકાર માનતો. શું આ પ્રથા બરોબર છે? 16 મણ જુવાર ખાતે આપે તે પેટે ઘણું વળતર લીધું છતાં 1,800 રૂપિયાનું કરજ બાકી ! છતાં પણ કહેવાય કે સારા પ્રતાપ શેઠના ! છોરું માવતરના સંબંધ માટે મારે કહેવું જોઈએ કે આજે પ્રજાનો શું ખ્યાલ છે? દુનિયાનો પવન ક્યાં જઈ રહ્યો છે? તેને વિચાર કરો. આજ દિવસ સુધી બન્યું ત્યાં સુધી ખેડૂતોએ સહન કર્યું અને સ્વીકાર્યું. તમે પ્રજાનું રક્ષણ કરતા હતા આજે તમારા ગરાસનું રક્ષણ પ્રજાકીય સરકાર કરી રહી છે. માટે આજે માવતર અને છોરું કોણ તેનો ખ્યાલ કરો …”

18 માર્ચ 1952ના રોજ તેમણે વિધાનસભામાં કહ્યું : “પોલીસ ખાતાની નબળાઈનાં કારણે સૌરાષ્ટ્રમાં અનિષ્ટ તત્ત્વો ઊભાં થયા છે. કેટલાં ય સમાજ વિરોધી તત્ત્વો અને માથાભારે માણસો ગામડાંની શાંત અને ધંધાર્થી પ્રજાને પજવી રહ્યા છે. તેની પોલીસ ખાતા તરફથી અટકાયત થતી નથી, એટલું જ નહીં પણ સૌરાષ્ટ્રમાં બહારવટિયાનો ત્રાસ ખૂબ ખૂબ છે. એક જ બારવટિયો ત્રણ ત્રણ વરસથી પ્રજાની માલમિલકત લૂંટી રહ્યો છે અને ખૂન કરી રહ્યો છે. તેને કબજે નહીં કરવામાં પોલીસ ખાતાએ નબળાઈ દેખાડી છે. તે બહારવટિયો બીકણ અને નમાલો માણસ છે અને તે ભાગતો ફરે છે, તેને પકડતાં મુશ્કેલી પડે પણ એને સંઘરનારા મળે છે. ગામડાંની અંદર બહારવટિયો રખડે છે તેને સંતાવાનું કારણ એ છે કે તેને આશરો દેનારા મળે છે. પણ એ આશરો દેનારાને પકડીને બહાર કેમ લાવવામાં નથી આવતા? સૌરાષ્ટ્રના 1,700 ગામડાઓ તાલુકાદારી પ્રથા નીચે કચડાયેલાં હતા અને 600 ગામડાં ભાગબટાઈ નીચે રહેંસાતા હતાં. 600 ગામડાની પ્રજાને વહેલી મુક્તિ આવી શકે તેમ હતી, પણ 1,700 ગામડાંની પ્રજાને બેઠી કરવી એ કામ જેવું તેવું ન હતું. એ કામ ઘણું મુશ્કેલ હતું. સૌરાષ્ટ્રની અંદર મોટી ઉંમરના વડવાઓ આપણી વચ્ચે છે, તેમને પૂછો તો ખ્યાલ આવશે કે આ 1,700 ગામડાંના ગરાસદારો, તાલુકદારો, કે જીવાઈદારો હતા તેમાંથી કોઈની એક વીઘો પણ જમીન કોઈ દબાવે તો તેના પરિણામે કેટલી ખૂનરેજી થઈ છે? સૌરાષ્ટ્રની અંદર ગામડે ગામડે જે પાળિયા મૂકેલ છે તે શું હોંસના મૂકેલ છે? આ બધા ગામડાંના પાળિયાઓ ગામને બચાવવા માટે, મરદાનગીથી ખપી ગયેલા માણસોના છે. લોકશાહી આવી રહી હોય તેને દૂર ઠેલવામાં, તેની સામે કંઈ કરવામાં બાકી નહીં રાખનારા લોકશાહી સામે ઝઝૂમનારા માણસો આપણે ત્યાં હતા. આપણે ભૂલવું ન જોઈએ કે એ માણસો લોકશાહીની પાછળ પડ્યા હતા, ત્યારે આ 1,700 ગામડાંની પ્રજા ગરાસધારી, તાલુદારી પદ્ધતિમાંથી મુક્ત થાય અને જે પલટાથી ગરાસદારો અને તાલુકદારોને મોટી અસર થતી હોય, ત્યારે સમય પ્રમાણે આ પલટો જરૂરનો છે એટલી બુદ્ધિ કે ડહાપણની આશા એમાંના બધા પાસે આપણે રાખી નહોતી. આપણને જરા શક ઉપરથી કંઈ કહેવામાં આવે તો આપણે ઉકળી ઊઠતા હોઈએ ત્યારે આ માણસોનું લેવાઈ જતું હતું તેને શું શું થયું હશે? પણ જે લોકશાહીમાં અનફિટ હતું અને લેવાઈ જવાને યોગ્ય હતું તેથી જ લેવાયું હતું. ગરાસદારી સમાજમાંથી ઘણા માણસો ભાન ભૂલેલા નીકળે, ધમંડી નીકળે, ઘણા માણસો દુનિયા શક્તિહીન છે એમ માની તેને બળ બતાવવા, તેની પાસે પોતાનું બળ અજમાવવા પણ નીકળે. જે કોઈ આ રાજ્યમાં અરાજકતા ઊભી કરે તેને દૂર કરવાની જવાબદારી ગૃહખાતા ઉપર આવે. 1,700 ગામોની તાલુકદારીની પ્રથા નાબૂદ કરવા માટે 50-100 માણસોના ખૂનો થયા તેમના જીવ કિંમતી હતા. તેથી મને દુઃખ થાય છે. મને તેમના પ્રત્યે લાગણી છે. આજે આપણે મોટા ફેરફાર કર્યા છે. આપણે તાલુકદારી, બારખલી પ્રથા નાબૂદ કરી છે. શોષણખોરી નાબૂદ કરી છે. આપણે એક કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનું છે. તે રાજ્યના પાયામાં તેમણે પોતાના જાન આપ્યાં છે. સૌરાષ્ટ્ર તેમને કોઈ દિવસ નહીં ભૂલે. આવો મોટો પ્રયોગ થઈ રહ્યો હોય, આવા ક્રાંતિકારી પગલાં લેવાઈ રહ્યાં હોય તેવે વખતે એ સ્વાભાવિક છે કે સમાજમાં ભયનું વાતાવરણ ફેલાય. ચીનનો દાખલો આપનારને હું કહું છું કે ચીનની રીતે આપણે તંત્ર ચલાવવું છે? ત્યાં કોરડો અને પિસ્તોલ છે. ત્યાં વિનંતિ નથી. વાતો કરવી ઘણી સહેલી છે, પણ કામ કરવું ઘણું કઠણ છે.”

“અરાજક તત્ત્વો માંહેના માણસો પકડવાના બાકી છે, શા માટે? આ બાબતે વિચાર કરું છું ત્યારે બીજી તરફ મારી નજર જાય છે. ચૂંટણીની અંદર, જાહેર સભાઓની અંદર, ચોખ્ખે ચોખ્ખો ભૂપતનો પ્રચાર કરવામાં આવતો હતો. જે લોકોના ખૂન થયા છે, ત્યાં ખૂન પાછળ ભાવના કેવી હતી? ખારચિયામાં 11 લોકોના હત્યાકાંડે તો ભલભલાનાં દિલ ધ્રુજાવી નાખ્યાં. ખારચિયાનો બનાવ બન્યો ત્યારે આનંદ માનનારા માણસોને તે સાથે સંબંધ ન હતો એમ કોણ કહી શકે તેમ છે? જે માણસોએ દિલની ક્રૂરતા ભરેલા આવા પક્ષો સાથે હાથ મિલાવ્યા છે, તે તો ઉઘાડું પ્રૂફ છે. એ પક્ષોના ઉતારા પણ ક્યાં ક્યાં હતા, તે ઉઘાડી વાત છે. એ લોકો એક બાજુથી આવા તત્ત્વો સાથે ભળીને, બીજી કોરથી ગૃહખાતાને વગોવતા હતા. તેઓની સામે સખત હાથે કામ લ્યો. ઝેરી સાપો હજી બહાર છે. જો એ ઝેરી સાપોને એમને એમ મૂકી દેવામાં આવશે તો બે ત્રણ વર્ષે ઝેર કાઢવા માટે બહાર પડશે. લોકશાહીના આવા દુ:શ્મનો જ્યાં જ્યાં હોય ત્યાં તેમની સામે સખત હાથે કામ લઇ, સતત જાગૃતિ રાખીને, કોઈ વ્યક્તિના મોભાની પણ દરકાર કર્યા સિવાય, જે માણસોનો આમાં હાથ હોય તેને વહેલી તકે ઝબ્બે કરો. તેવા માણસોને – ઝેરી સાપોને ગૃહખાતાએ કુશળતાપૂર્વક, હિંમતપૂર્વક ગોતીને, જ્યાં હોય ત્યાંથી, પાતાળમાંથી હોય તો પાતાળમાંથી પણ ગોતીને ઝબ્બે કરવા જોઈએ !”

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

યુવાનો અને રાજનીતિ વિરોધી નહીં પણ સહયોગી છે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|30 November 2023

ચંદુ મહેરિયા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલ જયંતીએ ભારતની વિકાસ યાત્રામાં યુવાનોની મુખ્ય ભૂમિકા નક્કી કરતા ‘મેરા યુવા ભારત’ (MY Bharat) પ્લેટફોર્મનો આરંભ કર્યો છે. તકનીક આધારિત આ પ્લેટફોર્મ  યુવાનોના વિકાસ અને યુવા નેતૃત્વમાં વિકાસ માટે આરંભાયું છે. યુવા વસ્તીમાં ભારત વિશ્વમાં પાંચમા ક્રમનો દેશ છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે દેશમાં પચાસ ટકાથી વધુ વસ્તી પચીસ વરસની ઉંમરની છે. જ્યારે પાંચઠ ટકા વસ્તી પાંત્રીસ વરસથી નીચેની છે.

ઝવેરચંદ મેઘાણી અણદીઠી ભોમ પર આંખ માંડનારને યુવા ગણે છે. પરંતુ જો યુવાનીનો સંબંધ માનવીની ઉંમર સાથે ગણીએ તો ૨૦૧૪ની રાષ્ટ્રીય યુવા નીતિએ  ૧૫થી ૨૯ વરસની વ્યક્તિને યુવાન ગણી છે. યુનેસ્કો, યુનિસેફ, હુ અને આઈ.એલ.ઓ. ૧૫થી ૨૪ વરસની વય યુવાનીની ગણે છે. યુ.એન.ઓ. યુથ ફંડ ૧૫થી ૩૨ અને  ધ આફ્રિકન યુથ ચાર્ટર ૧૫થી ૩૫ વરસની વયને યુવા વય ગણે છે.

રાજનીતિ અને યુવાનોને એકબીજાના વિરોધી માનવામાં આવે છે. યુવાનોએ રાજકારણમાં ભાગ લેવો જોઈએ કે નહીં ?  તે અંગેની ચર્ચા વરસોથી થયા કરે છે. ખરેખર તો યુવાનો અને રાજનીતિ વિરોધી નહીં પણ સહયોગી છે. યુવાનોનું રાજનીતિમાં હોવું દેશ અને યુવાનો બેઉના લાભમાં છે. તેનાથી યુવાવર્ગની ચિંતાઓ, પડકારો અને આકાંક્ષાઓને વિધાનગૃહોમાં વાચા મળશે. નીતિ નિર્માણમાં યુવા અભિવ્યક્તિ આવશ્યક જ નહીં અનિવાર્ય છે. જો કે આપણા દેશમાં દિન પ્રતિ દિન રાજનીતિમાં યુવાનોનું પ્રતિનિધિત્વ ઘટી રહ્યું છે.

ભારતની પહેલી લોકસભામાં સાંસદોની સરેરાશ વય ૪૭ વરસ હતી. વર્તમાનમાં તે વધીને ૫૯ વરસ થઈ છે. વડીલોનું ગૃહ રાજ્યસભાના સભ્યોની સરેરાશ વય ૬૩ વરસ છે. ૧૯૯૯માં લોકસભાના સભ્યોની સરેરાશ ઉમર ૫૨ વરસ, ૨૦૦૯માં ૫૪, ૨૦૧૪માં ૫૭ અને ૨૦૧૯માં ૫૯ વરસની હતી. જરા વિચિત્ર લાગે પણ યુવા દેશની સંસદ બુઢિયાઓની બનેલી છે. ઈટલીમાં ૫૯ ટકા, ડેન્માર્કમાં ૪૯ ટકા અને ફ્રાન્સમાં ૩૭ ટકા સાંસદો યુવા છે જ્યારે ભારતમાં માત્ર ૨૦ ટકા સાંસદો જ  ૨૫થી ૪૫ વરસના છે. પાર્લામેન્ટમાં યુવાનોનું પ્રતિનિધિત્વ ઘટવું અને સાંસદોની સરેરાશ વય વધવી તે સ્વસ્થ લોકતંત્રની નિશાની નથી.

૧૯૮૯માં રાજીવ ગાંધીના પ્રધાન મંત્રી કાળમાં મતદાન માટેની લઘુતમ વય ૨૧થી ઘટાડીને ૧૮ વરસ કરવામાં આવી હતી. તેનાથી યુવા મતદારોમાં કદાચ વધારો થયો છે પરંતુ રાજનીતિમાં યુવાનો મોટી સંખ્યામાં જોડાયાનું બન્યું નથી. આપણી સંસદીય ચૂંટણીમાં મતદારની લઘુતમ વય ૧૮ વરસ ઠરાવી છે પણ ઉમેદવારની તો ૨૫ વરસની યથાવત છે. તાજેતરમાં સુશીલ કુમાર મોદીના અધ્યક્ષપદ હેઠળની સંસદની કાર્મિક, લોકફરિયાદ, કાયદો અને ન્યાયની સ્થાયી સમિતિએ ઉમેદવારની વય ઘટાડીને ૧૮ વરસની કરવા સૂચન કર્યું છે. તેને કારણે ઉંમર મર્યાદા ઘટવાથી યુવાનોનું રાજકારણમાં પ્રતિનિધિત્વ વધશે તેવી ચર્ચા ઊભી થઈ છે.

૨૦૧૪ અને ૨૦૧૯ની છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં યુવાનોની ઉમેદવારી અને વિજ્યની વિગતો આ ચર્ચા માટે ખપ લાગે તેવી છે. ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં અનુક્રમે ૯,૫૦૦ અને ૧૦,૦૦૦ ઉમેદવારો હતા. પરંતુ ૨૫ થી ૩૦ વરસના યુવા ઉમેદવારો તો માંડ ૫ ટકા જ હતા. આ ઉંમરના ૧૧ ઉમેદવારો ૨૦૧૪માં અને ૮ ઉમેદવારો ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી જીતી શક્યા હતા. અર્થાત યુવાનોનું ચૂંટણીમાં ઉમેદવારીનું પ્રમાણ તો ઓછું છે જ. જીતનું પ્રમાણ તો સાવ જ  અલ્પ છે.

રાજનીતિના આંગણામાં યુવાનોનું અલ્પ પ્રમાણ કેમ છે? શું યુવાનો રાજનીતિથી વેગળા રહે છે કે તેમને વેગળા રાખવામાં આવે છે ? સંસદીય ચૂંટણીમાં યુવાનોનું પ્રમાણ અલ્પ છે કે એકંદર રાજનીતિમાં જ યુવાનો ઓછા છે? આ સવાલોના જવાબો રાજકીય પક્ષો જ આપી શકે તેમ છે. બધા જ રાજકીય પક્ષોની વિદ્યાર્થી પાંખો છે અને યુવા મોરચા છે. એટલે યુવાનોને અળગા તો રખાતા નથી કે તેઓ પણ અળગા રહેતા નથી. પરંતુ ચૂંટણીકારણના અન્ય કામોમાં યુવાનોનો જેટલો ઉપયોગ થાય છે તેટલી ચૂંટણીની ટિકિટો તેમને અપાતી નથી. જે અલ્પ યુવાનો લોકસભામાં ચૂંટાયા છે તે પણ રાજકીય પરિવારનાં સંતાનો છે. એટલે સામાન્ય યુવા કાર્યકરનું ટિકિટ મેળવવાનું જ અઘરું છે.

રાજકીય પક્ષો યુવાનોનો ઉપયોગ સોશ્યલ મીડિયાના જમાનામાં ટ્રોલિંગ સેના તરીકે, ધાર્મિક ઉન્માદ જગવવાથી લઈને સ્થાનિક હિંસા ફેલાવવા, મોટા નેતાઓની સભાઓમાં ભીડ ભેગી કરવા, ચાપલૂસીની હદની સેવા કરવા માટે કરે છે. યુવાનોનું વલણ પણ તળિયેથી કામ કરી લોકોની ચાહના ઊભી કરવાને બદલે કોઈ ચકચારી મુદ્દો ઉપાડીને રાતોરાત લોકપ્રિય થઈ ચૂંટણીની વૈતરણી તરી જવાનું હોય છે. કેટલાક લાયક યુવાનો, ચૂંટણીમાં ખર્ચાતા મબલખ નાણાંની જરૂરિયાતનો વિચાર અને અગાઉથી રાજનીતિમાં જામી પડેલાઓની ઉપેક્ષાને લીધે, રાજનીતિથી છેટા રહે છે.

યુવાનોની રાજનીતિમાં સહભાગિતા માત્ર ચૂંટણી લડવાથી જ સિદ્ધ થતી  નથી. મતદાર તરીકેનું કર્તવ્ય નિભાવવાથી તે શરૂ થાય છે. કદાચ મતદાનનો રોમાંચ માણવા પહેલવારકું તો તે મતદાન કરે છે, પણ વ્યાપક છાપ તો યુવા મતદારો મતદાનની ઉપેક્ષા કરતા હોવાની છે. ૧૮થી ૨૫ વરસના યુવાનો મતદાન અંગે ઉદાસીન જોવા મળે છે. તેનું કારણ રાજકારણ અંગેનો તેમનો મોહભંગ અને બેરોજગારી હોઈ શકે છે પરંતુ તેનો પડઘો તેમણે મતદાન થકી પાડવો જોઈએ.

ભારત સરકાર અને ગુજરાતસહિતની ઘણી રાજ્ય સરકારો યુથ પાર્લામેન્ટના આયોજન દ્વારા યુવાનોને રાજકારણના પાઠ ભણાવે છે. બિહારમાં પ્રશાંત કિશોર યૂથ ઈન પોલિટિક્સ ઝૂંબેશ મારફતે યુવાનોને રાજનીતિમાં જોડવા પ્રયાસરત છે. યુવાનોને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય અને જાગ્રત ભાગીદાર બનાવવા ભારતના ચૂંટણી પંચે કોમિક્સ બુક પ્રગટ કરીને યુવાનોની રાજનીતિ બાબતે ગંભીરતા અને તેની ખુદની ગંભીરતા પ્રગટ કરી છે. લોકપ્રિય કોમિક્સ બુક ચાચા ચૌધરી પરથી ઈલેકશન કમિશને ચાચા ચૌધરી અને ચૂંટણી દંગલ કોમિક્સ બુક હમણાં જ લોકાર્પિત કરી છે. ભારતનો યુવા મતદાર કોમિક્સ બુક વાંચીને ચૂંટણી પ્રક્રિયા અંગે શિક્ષિત બનશે તેવો પંચનો આશાવાદ નિરાશ કરે તેવો છે. માત્ર માધ્યમો અને રાજકીય પક્ષો જ નહીં ચૂંટણી પંચ પણ ચૂંટણીને દંગલ ગણે છે તે બાબત પણ શોચનીય છે.

ભગત સિંહ

ભારતના સ્વતંત્રતા આંદોલન અને તે પછીની રાજનીતિમાં યુવાનોની ભૂમિકાનો સમૃદ્ધ ઇતિહાસ છે. જુલાઈ ૧૯૨૮માં ભગતસિંઘનો “યુવાનો અને રાજનીતિ” વિશે ‘કિરતી’માં પ્રગટ લેખ આજે પણ પ્રસ્તુત છે. ભગતસિંઘે કહ્યું હતું કે, “જે યુવાનોને આવતીકાલે દેશનું નેતૃત્વ કરવાનું છે તેમને અક્કલના અંધ બનાવાઈ રહ્યા છે”. એટલે ભગતસિંઘ યુવાનોને સંબોધી કહે છે કે “તમે ભણો, જરૂર ભણો. પણ સાથે રાજનીતિનું જ્ઞાન પણ મેળવો. જ્યારે જરૂર પડે ત્યારે રાજનીતિમાં કૂદી પડો.” ભગતસિંઘનો રાજનીતિનો અર્થ સત્તાની રાજનીતિ હરગીજ નથી. પણ લોકોની રાજનીતિ છે. અને લોકોની રાજનીતિથી અળગો રહે તે વળી યુવાન શેનો ? 

e.mail : maheriyachandu@gmail.com

Loading

સ્ત્રી શક્તિ જ નથી, સહનશક્તિ પણ છે

Opinion - Opinion|30 November 2023

રવીન્દ્ર પારેખ

સીતા એનું નામ. ગ્રેજ્યુએશનનું છેલ્લું વર્ષ. ઘરમાં માબાપ ખરાં, પણ ગરીબ. માંડ રોટલા ભેગાં થાય. ઘરમાં દાદી પણ ખરી. માંદી. કેન્સરનાં છેલ્લા સ્ટેજમાં. તેની ઈચ્છા એવી કે સીતાનાં લગ્ન જોઈને જાઉં. આજ્ઞાંકિત પુત્રે માની ઈચ્છા પૂરી કરવા સીતા માટે રામ શોધવા માંડ્યો, પણ એમ મળે થોડો ! મળે તો મોઢું મોટું. ઘર, સોનું, ફ્રિજ, ટી.વી. માંગે. કેમ જાણે એ બધાંની તેની ત્રેવડ જ ન હોય ! પણ ભણેલો તે ખર્ચો તો કાઢવાનોને ! એને માટે દીકરીના બાપનો ઉપયોગ થાય ને એમ મુરતિયાની વેચાણ કિંમત નક્કી થાય. છેવટે એક ઓછું ભણેલો મુરતિયો નક્કી થયો ને સીતાનો સોદો પાકો થઈ ગયો. સીતા હોંશિયાર ઘણી, પણ ભીરુ. સમજે બધું, પણ બોલે નહીં. એને કોલેજનો ક્લાસમેટ રાઘવ ગમે. બંને વચ્ચે મનમેળ પણ ખરો. બંનેને થાય કે મૈત્રી લાંબી ચાલે, પણ મધ્યમવર્ગમાં જેની સાથે મૈત્રી થાય તેની સાથે જીવવાનું બહુ બનતું નથી. સીતા પરણાવી દેવાઈ રંજન જોડે. રંજન માટે સીતા મનોરંજનથી વિશેષ ન હતી. એને તો કામવાળી કરતાં પણ પત્ની સસ્તામાં મળતી હતી. મેળવી. સીતાને નસીબે સાસુ પણ હતી. તેને તો બગાસું ખાતાં પતાસું મળે એમ સીતા મળી હતી. સીતાનાં બાપે કૈં આપ્યું નહીં – એમ કહી કહીને થાય એટલું વહુ પાસેથી વસૂલતી રહેતી હતી. સીતાનું તો કામ જ એક હતું વર, સાસુ, નણંદ, દિયરને રાજી રાખવાનું. એમાં એણે પણ રાજી રહેવાનું હતું એ વાત જ ભુલાઈ ગઈ હતી. સીતાને સંસાર અસાર લાગતો, પણ રાઘવની યાદ આવતી ને ચહેરો આંસુ થઈ જતો. કચકચાવીને જીવી કાઢતી, ત્યાં એક દીકરી જન્મી ને જીવવાનું બળ મળ્યું. નામ રાખ્યું શ્રી. શ્રી થોડી સમજણી થઈ, ભણતી થઈ. એક દિવસ રાઘવ સીતાને બજારમાં ભેટી ગયો. શ્રીને ઓળખ આપી, મામા તરીકે. શ્રીને મામા સાથે ફાવી ગયું ને મામા સાથે જવાની જીદ પકડી. મમ્મીએ કહ્યું – મોટી થાય ત્યારે મુંબઈ જજે. મામા તો ગયા ને સીતા રંજનનું મનોરંજન કરતી રહી. એમાં કૈં ઓછું પડતું તો રંજનનો હાથ પણ ફરી વળતો. રંજનનો ધાક હતો શ્રી પર. તે દીકરાને વિકલ્પે આવી હતી એટલે બહુ ગમતી ન હતી.

પછી તો શ્રી ભણી. હાઇસ્કૂલમાં શિક્ષિકા થઈ. એક કેમિસ્ટને પરણી. કેમિસ્ટ માણસ સારો, પણ ધંધાથી વધારે તેને કૈં સૂઝે નહીં. શ્રી અનુભવે ઘણું. લાગણીશીલ પણ ખરી. એક દિવસ રાઘવનો ફોન આવ્યો – તારી મામીને ફ્રેકચર થયું છે. અવાય તો આવ. કેમિસ્ટ પતિ સાથે ઊપડી મુંબઈ. મામાને મામી પણ છે એ તો યાદ જ રહ્યું ન હતું. પપ્પા વખતે મામા આવેલા. મમ્મી ગઈ ત્યારે મામા જ માંદા હતા, ન આવી શકેલા. મામી પથારીમાં સૂતેલાં. પગ પ્લાસ્ટરમાં હતો. પગ પર વજન લેવાનું ન હતું એટલે પથારી છોડવાની મનાઈ હતી. કેમિસ્ટ તો વળતી ગાડીમાં પાછા ફર્યા હતા. રાત્રે જમતી વખતે મામા-મામી સાથે ઘણી વાતો થઈ. કેવા સંજોગોમાં બંને પરણ્યાં ને દત્તક લીધેલું સંતાન કેનેડિયન કોન્સ્યુલેટમાં હતું તેની ચર્ચા ચાલી. પછી તો સ્ટડીરૂમમાં મામા મોડી રાત સુધી લખતા રહ્યા. દોઢેક વાગે શ્રીની આંખ ખૂલી તો તેને આશ્ચર્ય થયું કે મામા હજી જાગે છે ! તે રૂમમાં આવી. મામી ઘોરતાં હતાં. શ્રીને જોઈને મામાએ ડાયરી ટેબલમાં સંતાડી દીધી. શ્રીએ પૂછ્યું – શું લખો છો? ડાયરી? ઊંઘવું નથી? મામા બોલ્યા – સૂઈ જાઉં હવે, તું પણ સૂઈ જા – હવે ઊંઘ નહીં આવે-શ્રી ચેર ખેંચીને મામાની સામે બેઠી. મામા ઊભા થવા ગયા તો શ્રીએ કહ્યું-કાલે તો હું ચાલી જઈશ. થોડી વાતો કરોને ! મામા પણ ટેબલ પર બેઠા ને ગોખેલું બોલ્યા-સીતાની પાસે છેલ્લું કોણ હતું? એ કૈં બોલી હતી? શ્રી ગંભીર થઈ ગઈ-હું મોડી પહોંચી હતી, પણ મરવાના બે દિવસ અગાઉ પપ્પાએ મારી હતી. તેણે બહુ વેઠ્યું …

શ્રી રડી પડી. મામાએ ઊભા થઈને પાણી આપ્યું. શ્રીએ સાડીથી આંખો લૂંછી ને પાણી પીધું. થોભ તને તારી મમ્મી બતાવું – બોલતાં મામાએ ટેબલને તળિયેથી એક કવર કાઢ્યું ને શ્રીના હાથમાં મૂક્યું. શું છે? – બોલતાં શ્રીએ કાગળો કાઢ્યા. મમ્મીના અક્ષર જોઈ એ ચમકી. પ્રિય રાઘવ … ખાતરી કરવા નીચે જોયું તો નામ હતું – સીતા. શ્રીને તમ્મર આવવા જેવું થયું. રડી પડી. એક પછી એક કાગળો ઝડપથી વાંચતી ગઈ ને વાંચતાં વાંચતાં જ પૂછ્યું – મામી, જાણે છે? મામાએ હકારમાં ડોકું ધૂણાવ્યું.

***

મિત્રો, આ વાત કાલ્પનિક હોય તો પણ, ક્યાંકને ક્યાંક, કોઈકને કોઈક વ્યક્તિને આમાંનો કોઈ અંશ સ્પર્શે એમ બને. કોઈને આ વાત પોતાની લાગે એમ પણ બને. આજે તો સંવેદનો જ ખાસ સ્પર્શતાં નથી, ત્યાં આવી વાતો બહુ અપીલ કરતી હોતી નથી. મોટે ભાગે તો યુઝ એન્ડ થ્રો-નો જમાનો છે, છતાં આંસુ હજી આવે છે એ ય ખરું. આજે પણ છેતરાવા છતાં, કોઈને માટે જીવ ખેંચાય છે. પ્રેમ થાય છે. આ વાત એક જ સીતાની નથી. ઘણી સીતા આજે પણ ન ગમતી વ્યક્તિનો કારાવાસ વેઠે છે ને આખી જિંદગી નરકનો અનુભવ કરતી રહે છે. ઘણા રાઘવ આજે પણ સીતા વગર ન ગમતી સ્ત્રીનું પતિપણું જાળવી રાખે છે. આવું આજે ઓછું બનતું હશે, પણ નહીં જ બનતું હોય એવું નથી. એક તરફ રંજન જેવો પતિ છે જે કારણ વગર પતિપણું થોપતો રહે છે ને બીજી તરફ રાઘવ જેવો મિત્ર છે, પ્રેમી છે, જે સીતાથી દૂર રહી તેની ચિંતા કરે છે, તેની લાગણી સાચવી રાખે છે ને તેની જ દીકરીને એ પત્રો સોંપે છે જે શુદ્ધ લાગણીથી મન હળવું કરવા સીતાએ, પતિથી છાનાં છાનાં લખ્યા છે, એવી વ્યક્તિને જે ઈચ્છે તો પણ કૈં કરી શકે એમ નથી. તેણે એટલે લખ્યા છે, કારણ તેને લાગ્યું છે કે થોડું કૈં કહેવા માત્રથી શાતા વળશે. જે લાગણી પતિ માટે હતી, તે પ્રેમી માટે વહે છે, એવી આશાએ કે તેને સમજનારું કોઈ તો છે.

ઘણાં સ્ત્રી-પુરુષો પ્રેમ તો કરે છે, પણ પરણી શકતાં નથી. જે સમાજે લગ્નની વ્યવસ્થા ઊભી કરી છે, એ જ સોદાબાજીનું કારણ બને છે. દાદીનું કેન્સરથી મૃત્યુ નિશ્ચિત છે, પણ તેને સીતાનાં લગ્ન જોવાનાં અરમાન છે. એમાં ખોટું કૈં નથી. ખોટું છે તે દાદીનાં અરમાન પૂરા કરવા સીતાને લાંબું વિચાર્યા વગર દોજખમાં નાખી દેવાય છે એ. સીતા પણ જેને માટે લાગણી છે એ રાઘવ અંગે કોઈ કોશિશ કરતી નથી કે નથી તો રાઘવ એવું કૈં કરતો. કોઈ નથી કરતું કૈં. કેમ નથી કરતું? કારણ ન કરી શકે એવું દબાણ ઘરનું, સમાજનું સામે જ ઊભું હોય છે. સીતાનું ભણતર અધૂરું રહે છે. દાદીએ લગ્ન જોવાનાં અરમાનને બદલે, સીતાનાં અરમાનનો વિચાર કર્યો હોત તો તેને ગમે ત્યાં પરણાવવાની ઉતાવળ ન થઈ હોત. ઘણાં કુટુંબોમાં આજે પણ એવું બને છે કે કોઇની ઈચ્છા પૂરી કરવા સંતાનોનાં લગ્ન કરવાની ઉતાવળ થાય છે ને એમાં ઘણી જિંદગી દાવ પર લાગી જાય છે. વ્યક્તિ સ્વસ્થ ને સમજદાર હોય તો કમને પણ જિંદગી જીવી કાઢે છે ને કાચીપોચી હોય તો આપઘાત કરી લે છે. સીતાના કિસ્સામાં જોઈએ તો દાદીની ઈચ્છા ચાર જિંદગીઓને પ્રભાવિત કરે છે. સીતા અને રાઘવ પરણી શક્યાં હોત તો રંજન અને સીતાની મામી બચી ગયાં હોત ! પણ એમ ન થયું. આમ જોવા જઈએ તો રંજન કે મામીનો શો વાંક હતો? એ તો અજાણતાં જ સીતા અને રાઘવની વચ્ચે આવી જાય છેને ! કેવી રીતે ન ઇચ્છી હોય એવી વ્યક્તિઓ સાથે જિંદગી જોડાઈ જતી હોય છે, નહીં? સીતા – રાઘવની વાત જવા દઈએ તો પણ, એવું આજે પણ બને છે કે એક યા બીજા કારણોસર ઇચ્છિત વ્યક્તિ સાથે પરણવાનું ઓછું બને છે. એમાં વ્યક્તિ બદલાવાની ચિંતા નથી હોતી, ત્યાં તો બહુ વાંધો આવતો નથી, પણ વાત મનની હોય, સંવેદનોની હોય તો જીવવાનું અઘરું બની જતું હોય છે. જે સંવેદનશીલ છે તે જ વધારે વેઠે છે. કોઈને ચાહવાથી અગત્યનું બીજું કશું નથી, પણ આજકાલ એનું મહત્ત્વ ખાસ રહ્યું નથી. આજે તો પ્રેમલગ્ન થાય છે, તો પણ પ્રેમીઓ અન્ય વ્યક્તિનાં પ્રેમમાં પડે છે. ત્યારે પેલો પ્રેમ હવા થઈ જાય છે. જેના વગર જિંદગી જાય નહીં એમ લાગતું હતું, એની સાથે જ જીવવાનું મુશ્કેલ થઈ જાય છે ને અન્ય વ્યક્તિ વગર જીવવાનું મુશ્કેલ લાગવા માંડે છે. જેને માટે જીવ આપવાનું મન થતું હતું, તેનો જીવ લેવા સુધી વાત આવી જતી હોય છે.

આજે તો લગ્નનું જ બહુ મહત્ત્વ રહ્યું નથી ને લગ્નના જ વિકલ્પો શોધાયા છે, તો પણ લગ્નનથી ઉત્તમ વિકલ્પ બીજો દુનિયામાં નથી. સમાજ ઠીક ઠીક આગળ નીકળ્યો છે, છતાં ઘણી બાબતોમાં તે આડખીલીરૂપ પણ બને છે. જ્ઞાતિ, જાતિ, આર્થિક બાબતો, સામાજિક દરજ્જો જેવી ઘણી બાબતો લગ્નમાં આજે પણ બાધક બને છે. આજે પણ દીકરી કે દીકરાને ધારેલી જગ્યાએ ન પરણાવવા ને પોતાની ધારેલી જગ્યાએ જ પરણાવવા કુટુંબ જીવ પર આવી જાય છે ને જીવ લેવા સુધી જાય છે. આ આજે પણ અટકતું નથી. એમાં દીકરો તો ક્દાચને માથું ઊંચકે છે, પણ દીકરીનો ભોગ લેવાય છે. તે પોતે આત્મહત્યા કરે છે અથવા તો કુટુંબની ઈચ્છા પર બલિ ચડી જાય છે. એવી જગ્યાએ તે જિંદગી કાઢવા લાચાર બને છે જે મોતથી વધારે બદતર હોય છે. ન ગમતી વ્યક્તિ જોડે આપણે એક પળ પણ ઊભા રહેવા રાજી નથી હોતાં, પણ દીકરીને એવા કારાગારમાં ધકેલીએ છીએ, જેની દીવાલો રોકતી તો નથી, પણ તેની બહાર પડવાનું પણ બનતું નથી. એમાં જો વ્યક્તિ લાગણીશીલ હોય તો જીવવાનું મુશ્કેલ બની જતું હોય છે. લાગણીશીલ હોવાને કારણે જ સ્ત્રી ન ગમતી વ્યક્તિને જીવી-જીરવી લે છે. ઘણીવાર છૂટા થવાનું મન પણ થઈ આવે છે, પણ સંવેદનશીલ હોવાને કારણે તેને સંતાનોની ચિંતા રોકે છે. આ લાગણી જ તેને અન્ય વ્યક્તિ તરફ પણ વાળે છે. થોડી પણ હૂંફ મળતી લાગે છે તો એ, એટલા નાજુક ભરોસે આખી જિંદગી જીવી કાઢે છે.

સાચું તો એ છે કે લગ્ન જો પ્રેમ માટે હોય તો લગ્ન પછી પ્રેમ જ ન રહે એવાં લગ્નનનો કોઈ અર્થ ખરો?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 26 નવેમ્બર 2023

Loading

...102030...748749750751...760770780...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved