વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે ખાસ
“અદુલી, ટું આંય સું કરે ચ!” આ શબ્દો સાંભળ્યા છે, દાયકાઓ પહેલાં, તે વખતના ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ કેન્દ્ર પરથી. ત્યારે ગુજરાતમાં એક પણ રેડિયો સ્ટેશન નહોતું, એટલે મુંબઈ સ્ટેશનના કાર્યક્રમો ગુજરાતમાં, અરે, ઠેઠ કરાચી સુધી લોકો રોજ સાંભળતા. તેમાં આ શબ્દો જેમાં અચૂક બોલાતા તે કાર્યક્રમ એટલે ‘બુદ્ધિ ધાનશાક મંડળ.’ અદુલી એટલે અદી મર્ઝબાન. અને આ શબ્દો બોલતાં તે કાર્યક્રમમાં તેમનાં પત્ની જરબાનુ જે હતાં વાસ્તવિક જીવનમાં અદીનાં પત્ની સિલ્લા મર્ઝબાન. અદી મર્ઝબાન એટલે નખશિખ પરફોર્મન્સનો માણસ. ૧૯૧૪ના એપ્રિલની ૧૭મી તારીખે તેમનો જન્મ. એટલે કે આ સત્તરમીએ તેમના જન્મને એક સો દસ વર્ષ પૂરાં થશે.
અદીનો પહેલો પ્રેમ સ્ટેજ. અનેક અંગ્રેજી અને પારસી ગુજરાતી નાટકો પોતે લખ્યાં, તેનું દિગ્દર્શન કર્યું, તેમાં અભિનય કર્યો. પારસી સમાજના પ્રશ્નો તેમાં ચર્ચાતા, પણ ચર્ચા લાગે તેવી રીતે નહિ. અંગ્રેજી મિશ્રિત પારસી બોલીનો ભરપટ્ટે ઉપયોગ, અને એવું જ ભરપટ્ટે હોય હાસ્ય. એક જમાનામાં અદીનાં આ નાટકો જોવા બિન-પારસીઓ પણ મોટી સંખ્યામાં જતા અને નાટકોને ભરપૂર માણતા. ગુજરાતી રંગભૂમિનો પાયો જ પારસીઓએ નાખ્યો અને કેટલાક દાયકા સુધી એ ક્ષેત્રે અગ્રણી રહ્યા. પણ અદીએ આવીને પારસી નાટકની કાયાપલટ કરી નાખી. અદી પહેલાંનાં પારસી નાટકો પાંચ-સાત કલાક ચાલે, અનેક દૃશ્યો હોય, ઘણાંબધાં ગીતો ગવાય, ચીતરેલા પડદા પડે ને ઉપડે. અદીનો ખેલ અઢી-ત્રણ કલાકનો. ગીતો નહિ. દૃશ્યોની સંખ્યા મર્યાદિત. મોટે ભાગે એક જ સેટ પર ભજવાય. ટૂંકમાં અદીએ પારસી નાટકને મોડર્ન બનાવ્યું. બોલચાલની ભાષા પર ગજબનું પ્રભુત્ત્વ. જન્મ, લગ્ન અને મૃત્યુની વાત કહેતા નાટકનું નામ ‘ધસિયો, ફસિયો, ખસિયો’ રાખવાનું એ વગર એમને સૂઝ્યું હશે?
પણ અદી એટલે માત્ર પારસી નાટકો જ નહિ. કનૈયાલાલ મુનશીમાં માણસને પારખવાની અને તેને યોગ્ય સ્થાને બેસાડવાની ગજબની સૂઝ હતી. એટલે તેમણે અદીને ભારતીય વિદ્યા ભવનના કલા કેન્દ્ર સાથે જોડ્યા. તેના બેનર નીચે અદીએ ‘શુદ્ધ ગુજરાતી’માં પણ અનેક નાટકો સફળતાપૂર્વક રજૂ કર્યાં. અદીનું પહેલું નોંધપાત્ર પારસી નાટક ‘પિરોજા ભવન’ પણ ૧૯૫૪મા કલાકેન્દ્રના બેનર નીચે ભજવાયેલું, એટલું જ નહિ, પચ્ચીસ શો સુધી થિયેટર પર ‘હાઉસ ફૂલ’નું પાટિયું લટકતું હતું. આજે આ વાત મોટી ન લાગે, પણ એ વખતે અવેતન રંગભૂમિ પર કોઈ નાટકના દસ શો થાય તો ‘ભયો ભયો’ થઈ જતું. તેવી જ રીતે પછીથી અંગ્રેજી રંગભૂમિ પર કાઠું કાઢનારા ઘણા એકટર-ડિરેક્ટર અદીનાં અંગ્રેજી નાટકોમાં કામ કરતાં કરતાં ઘડાયા.
૧૯૪૦ના દાયકાની શરૂઆતમાં રેડિયોની જે પહોંચ હતી અને જે ગ્લેમર હતી તે આજના ટી.વી.ને પણ ટપી જાય એવી હતી. ચંદ્રવદન મહેતા ‘રેડિયો ગઠરિયા’માં અદીએ રેડિયો પરથી છ હજાર કરતાં વધુ કાર્યક્રમો રજૂ કર્યા હોવાનું કહે છે. શરૂઆતનાં વર્ષોમાં રેકોર્ડીંગ તો હતું નહિ એટલે એ કાર્યક્રમો ક્યાંથી સચવાયા હોય? પણ ચંદ્રવદનભાઈ લખે છે કે આમાંના એકેએક કાર્યક્રમની સ્ક્રિપ્ટ પ્રેસમાં કમ્પોઝ કરાવી, છપાવીને અદીએ ફાઈલ બંધ સાચવી રાખેલી. અદીને ઘરના છાપાની અને તેના પ્રેસની સગવડ હતી એટલે તેઓ સહેલાઈથી આમ કરી શક્યા હોય. અદીના અવસાન પછી એ ફાઈલોનો ઢગલો અને બીજું પણ ઘણું બધું મુંબઈના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટસને સોપાયું અને ત્યાં સચવાયું છે. પણ છ હજાર કાર્યક્રમોમાંથી સો કાર્યક્રમની સ્ક્રિપ્ટ પણ છપાવવાનું કોઈને ક્યાંથી સૂઝે?
પછી ૧૯૭૨ના ઓક્ટોબરની બીજી તારીખથી દેશમાં આવ્યું ટી.વી.. અને પહેલા જ દિવસથી અદી ટી.વી.ના કાર્યક્રમો સાથે સંકળાયા. ત્યારે આજ જેવી ચેનલોની ભરમાર નહિ. સરકારી દૂરદર્શનની પહેલાં તો એક જ ચેનલ. એ પણ રોજના છ-આઠ કલાક જ ચાલે. મુંબઈ કેન્દ્ર પરથી ગુજરાતીમાં નિયમિત રીતે કાર્યક્રમો થાય. તેમાં સૌથી વધુ લોકો સુધી કોઈ કાર્યક્રમ પહોંચી શક્યો હોય તો તે અદીનો ‘આવો મારી સાથે.’ રેડિયોના સ્પોકન વર્ડનો માણસ ટી.વી. પર પણ છવાઈ ગયો.
લોકોની નાડ અદી બરાબર પારખી શકતા. હસતાં-હસાવતાં સારી અને સાચી વાત તેઓ સિફતથી કહી શકતા. બુદ્ધિ ધાનશાક મંડળ કાર્યક્રમની લોકપ્રિયતા તેનો પુરાવો. અદી, સિલ્લા, અને ગોવિંદજીના પાત્રમાં ચંદ્રવદન મહેતા જે ધમાલ કરતા! આજે કેટલીક વાર ટી.વી.ની સિરિયલમાં એકાદ પાત્રને મારી નાખ્યા પછી થોડા એપિસોડ પછી પાછું જીવતું કરવું પડે છે. એવું જ આ ગોવિંદજીના પાત્ર અંગે પણ થયેલું. ચન્દ્રવનદનભાઈ તો રેડિયો પર નોકરી કરે. એમની બદલી અમદાવાદ સ્ટેશને થઈ. એટલે ગોવિંદજીના પાત્રને મારી નાખવું પડ્યું. પણ એ પછી શ્રોતાઓએ હજારો પત્રો લખી જે કકળાટ મચાવ્યો છે! સરકારી તંત્ર ઝૂક્યું. દર મહિને આ કાર્યક્રમમાં ગોવિંદજીનું પાત્ર ભજવવા સી.સી. અમદાવાદથી મુંબઈ આવશે એમ ઠરાવાયું. અને એટલે ગોવિંદજીના પાત્રને અદીએ ફરી સજીવન કર્યું.
પણ, બુદ્ધિ ધાનશાક મંડળ એ તે વળી કેવું નામ? એ જમાનામાં બી.બી.સી. રેડિયો પરથી ‘બ્રેઈન ટ્રસ્ટ’ના નામે થતા પ્રોગ્રામો ભારે લોકપ્રિય. ગુજરાતી અને મરાઠી વિભાગના પ્રોડ્યુસરોને પોતપોતાની ભાષામાં એવો કાર્યક્રમ કરવાની સૂચના ‘ઉપરથી’ આવી. સી.સી.એ નામ સૂચવ્યું ‘બુદ્ધિવર્ધક મંડળ’ અને એ કામ સોપ્યું અદીને. ત્યારે તો હા ભણીને અદી ચાલ્યા ગયા, પણ કલાક પછી પાછા આવી કહે કે ‘બોસ, તમારા ટાઈટલની પેરેડી કરીએ તો? સી.સી. કહે, તો ‘બુદ્ધિધ્વંસક મંડળ’ રાખો. પણ અદી કહે કે અમારા પારસી પોરિયાઓને એવું બોલતા જ નહિ આવડે. પછી કહે કે આવતી કાલે હું સ્ક્રિપ્ટ લખીને લઈ આવું, પછી એ વાંચી-વિચારી ટાઈટલ નક્કી કરશું. બીજે દિવસે સ્ક્રિપ્ટની સાથે ટાઈટલ પણ લઇ આવ્યા – ‘બુદ્ધિ ધાનશાક મંડળ.’ કહે, આ ધાનશાક પારસીઓની એક બહુ જ પોપ્યુલર ડિશ છે. બસ, તે દિવસથી બાર વર્ષ સુધી અદીના આ ધાનશાકનો સ્વાદ રેડિયોના શ્રોતાઓને કાને વળગી ગયો.
અદી પરફોર્મન્સના માણસ એ વાત સો ટકા સાચી, પણ વ્યવસાયે તો એ હતા પત્રકાર. બાવીસ વરસની ઉંમરે મુંબઈના ‘જામે જમશેદ’ અખબારના અને ‘ગપસપ’નામના હાસ્યના સામયિકના તંત્રી બન્યા અને પૂરાં પચાસ વર્ષ તંત્રીની ખુરસી પર બેઠા. પણ માનશો? એ ખુરસી પર બેસીને નવરાશની પળોમાં અદી હાથમાં સોયા અને દોરા લઈ ભરત-ગૂંથણ કરતા. કોઈ પૂછે તો જવાબ આપતા : ‘બધ્ધું સિખવાનું.’
પણ ગુજરાતી પત્રકારત્વના આદિપુરુષ ફરદુનજી મર્ઝબાનના તેઓ છેલ્લા વારસ હતા એ વાત બહુ ઓછી ધ્યાન પર આવી છે. પહેલ વહેલા ગુજરાતી અખબાર ‘મુંબઈ સમાચાર’ના સ્થાપક ફરદુનજીસાહેબનો જન્મ ૧૭૮૭માં, સુરતમાં. તેમની પાંચમી પેઢીએ થયેલા અદી મર્ઝબાનનું અવસાન થયું ૧૯૮૭ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે. આ પૂરાં ૨૦૦ વર્ષ સુધી મર્ઝબાન કુટુંબનો કોઈ ને કોઈ નબીરો ગુજરાતી પત્રકારત્વ સાથે જોડાયેલો રહ્યો. ૧૮૫૧ના નવેમ્બરની ૧૫મી તારીખથી દાદાભાઈ નવરોજીએ ‘રાસ્તગોફતાર’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું. ફરદુનજીના બે પુત્રો બહેરામજી અને મહેરવાનજી આ રાસ્ત-ગોફ્તારના જોડિયા માલિકો હતા. ૧૮૨૨માં શરૂ થયેલા ‘મુંબઈ સમાચાર’ પછી દસ વર્ષે, ૧૮૩૨માં શરૂ થયેલું ‘જામે જમશેદ’ વર્ષો સુધી ‘સમાચાર’નું કટ્ટર વિરોધી રહ્યું હતું. પણ ૧૮૮૭માં જહાંગીર એન્ડ સરાફ નામની કંપનીએ ‘જામે’ ખરીદી લીધું. આ કંપનીના બે માલિકોમાંના એક હતા જહાંગીરજી, ફરદુનજીના પૌત્ર. થોડા વખત પછી કાવસજી સરાફ ધંધા માટે ચીન જઈ વસ્યા એટલે જહાંગીરજી ‘જામે’ના એકમાત્ર માલિક બન્યા. ૧૯૦૨માં તેમના દીકરા ફિરોઝશાહ ઉર્ફે ‘પીજામ’ ‘જામે’ના તંત્રી બન્યા. કુલ ૩૫ વર્ષ સુધી તેઓ ‘જામે’ સાથે સંકળાયેલા રહ્યા. તેઓ મોટા ગજાના પત્રકાર ઉપરાંત અચ્છા નાટકકાર પણ હતા. ફરદુનજીના પાંચમી પેઢીના વારસ અદી તે આ કુટુંબના છેલ્લા તંત્રી. એક જ કુટુંબની પાંચ પેઢીના સભ્યો પત્રકારત્વ સાથે સતત સંકળાયેલા રહ્યા હોય તેવા દાખલા આખી દુનિયામાં પણ ઓછા જ જોવા મળશે.
અદીનું એક ખૂબ લોકપ્રિય થયેલું નાટક હતું ‘મોટા દિલનાં મોટા બાવા’. નાટકોનાં રિહર્લ્સર દરમ્યાન નટ-નટીઓને એક વાક્ય પોતે મોટા દિલના મોટા બાવા એવા અદીને મોંએથી ઘણી વાર સાંભળવા મળતું : “શું ભૂલી જવાનું, તે યાદ રાખવાનું.” પણ અદી બાવા, તમને ભૂલી જવાનું અમે ક્યારે ય યાદ નહિ રાખી શકીએ, કારણ તમને ભૂલી જવા એટલે ગુજરાતી રંગભૂમિના એક સોનેરી પ્રકરણને ભૂલી જવું.
XXX XXX XXX
e.mail : deepakbmehta@gmail.com