Opinion Magazine
Number of visits: 9665885
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અટકવાનું નહોતું

આશિષ મકવાણા|Opinion - Opinion|31 March 2024

ન જાણે જશું ક્યાં ? અટકવાનું નહોતું,

ઉતરવાનું, ચઢવાનું, વળવાનું નહોતું,

કે જીવવાનું નહોતું ને મરવાનું નહોતું,

જીવનમાં વધુ કૈં જ કરવાનું નહોતું.

હતો ફક્ત આગળ જવાનો જ રસ્તો,

અને મારે આગળ નીકળવાનું નહોતું.

હૃદયની સ્વત: ભીંત ફાડીને ઊગશે,

કવિતામાં દિમાગ કસવાનું નહોતું.

કરો સુપરત કે સ્વીકારો, હૃદય છે,

ગમે તેમ નીચે પટકવાનું નહોતું.

જરા આંખમાં જોઈ, નીકળી ગયો છું,

કણાં જેમ મારે ખટકવાનું નહોતું.

e.mail : ashishmakwana@live.com

Loading

મર્દાનગી અને માણસાઈ પરસ્પર વિરોધી નથી પરંતુ પરસ્પર પૂરક છે

રમેશ ઓઝા|Opinion - Opinion|31 March 2024

રમેશ ઓઝા

કોઈ માણસને ભડવીર, કૃતનિશ્ચયી, અડગ, લોખંડી મનોબળ ધરાવનારો બતાવવા માટે તેની અંદર રહેલી માણસાઈને પાતળી પાડવી જરૂરી છે? શું વીરતા અને માણસાઈ એ પરસ્પર વિરોધી ગુણ છે? ભારોભાર માણસાઈ ધરાવનારો માણસ શૂરવીર ન હોઈ શકે? પણ આજકાલ આવું કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને છત્રપતિ શિવાજી મહારાજ અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે આવું કરવામાં આવી રહ્યું છે. તેમને મુસલમાનોની ઐસીતૈસી કરનારા ભડવીર તરીકે ચિતરવામાં આવી રહ્યા છે. આવું કરનારાઓ આ બન્ને મહાપુરુષોને અન્યાય કરી રહ્યા છે. તેઓ બન્ને ભડવીર જરૂર હતા, માથાભારે નહોતા. માણસાઈ, વિવેક અને મર્યાદા જાણતા હતા અને પાળતા પણ હતા.

શિવાજી મહારાજની માણસાઈનું પ્રમાણ તો હિન્દુત્વવાદીઓના મહાગુરુ વિનાયક દામોદર સાવરકરે પોતે જ આપ્યું છે અને માણસાઈ ધરાવવા માટે (હા, માણસાઈ ધરાવવા માટે તેમ જ માણસાઈ બતાવવા માટે) ધોખો કર્યો છે. શિવાજી મહારાજના સૈનિકોએ કલ્યાણના મુસ્લિમ સૂબાની પુત્રવધૂ અને અન્ય સૈનિકોની પત્નીઓને પકડીને શિવાજી મહારાજ સમક્ષ પ્રસ્તુત કરી. શિવાજી મહારાજને મરાઠા સૈનિકોનું આ પગલું ઉચિત લાગ્યું નહીં અને આદેશ આપ્યો કે હમણાં ને હમણાં આ સ્ત્રીઓને માનભેર તેમના ઘરે પાછી પહોંચડવામાં આવે અને તેમનો વાળ પણ વાંકો ન થવો જોઈએ. સાવરકરે આ પ્રસંગને ટાંકીને લખ્યું છે કે શિવાજી મહારાજે હાથ લાગેલી મુસ્લિમ સ્ત્રીઓને તેમના સૈનિકોને ભોગવવા માટે આપી દેવી જોઈતી હતી. હિંદુ સૈનિકો તેમના પર બળાત્કાર કરત અને મુસલમાનોને પાઠ ભણાવત. સાવરકર માનતા હતા કે માણસાઈ એક નબળાઈ છે, દુર્ગુણ છે. તેમણે તેમનાં મરાઠી પુસ્તકમાં એક પ્રકરણ લખ્યું છે જેનું શીર્ષક જ છે : સદ્દગુણ વિકૃતિ. સદ્દગુણ એ વિકૃતિ છે.

મુસ્લિમ સ્ત્રીઓની આબરૂનું રક્ષણ કરનારા શિવાજી મહારાજ નબળા હતા? જો નબળા હોત તો તેમણે આગ્રાની જેલમાંથી છૂટવા માટે ઔરંગઝેબની માફી માગી હોત, જે રીતે સાવરકરે આંદામાનની જેલમાંથી છૂટવા માટે અંગ્રેજોની એક વાર નહીં, ઉપરાઉપર અનેકવાર માફી માગી હતી. શિવાજી મહારાજની બહાદુરી, સંકલ્પસિદ્ધિ, કૃતનિશ્ચયતા વિષે કોણ નથી જાણતું? એ માણસે ઔરંગઝેબને હંફાવી દીધો હતો અને દક્ષિણ છોડીને દિલ્હી પાછો જવા નહોતો દીધો. લાંબો સમય સુધી દિલ્હીની બહાર રહેવાને કારણે મુઘલ સામ્રાજ્ય નબળું પડ્યું અને છેવટે તેનું પતન થયું હતું. અને હજુ એક વાત. આગળ જતાં આ જ શિવાજી મહારાજના મરાઠા સામ્રાજ્યનું પતન મરાઠાઓની મર્દાનગીના અભાવને કારણે નહોતું થયું, પણ પેશ્વાઓની ઐયાશીના કારણે, તેમની જીવન મૂલ્યો સાથેની શિથિલતાને કારણે, મર્યાદાલોપને કારણે થયું હતું. ટૂંકમાં મર્દાનગી અને માણસાઈ પરસ્પર વિરોધી નથી, પરસ્પર પૂરક છે. બન્ને એકબીજાને વધારે સમૃદ્ધ કરે છે. દીપાવે છે. મર્યાદા પુરુષોત્તમ રામ કાયર હતા?

શિવાજી મહારાજની જેમ સરદાર વલ્લભભાઇ પટેલ પણ ખાસ એજન્ડાના શિકાર છે. આ બન્નેને મોટા બનાવવામાં નથી આવી રહ્યા, નાના બનાવવામાં આવી રહ્યા છે. તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. આપણને માફક આવે એવા અને આપણી જેવા બનાવો. આમાં આપણી જેવા એ વધારે મહત્ત્વનું છે. આપણી જેવા એટલે માનમર્યાદામાં નહીં માનનારા અને મુસલમાનોની ઐસીતૈસી કરનારા. શિવાજી મહારાજે આવું ક્યારેનય કર્યું નથી અને સરદારે પણ આવું કર્યું નથી. ૧૯૩૭-૩૯ની સાલમાં મુંબઈ રાજ્યની સરકારમાં કનૈયાલાલ મુનશી ગૃહ પ્રધાન હતા. એ સમયે સુરતમાં, મુંબઈમાં અને સોલાપુરમાં કોમી રમખાણો થયાં હતાં. સરદાર પટેલે કનૈયાલાલ મુનશીને રમખાણોનાં કારણો જાણવા પત્ર લખ્યો હતો અને તેને રોકવા માટે સૂચનો આપ્યાં હતાં. તેમણે મુનશીને ખાનગીમાં નહોતું કહ્યું કે બે દિવસ તમને આપું છું, મુસલમાનોને ધીબેડી નાખો. ૧૯૪૭માં ભારતનું વિભાજન થયું ત્યારે તેઓ પોતે દેશનાં ગૃહ પ્રધાન હતા અને ત્યારે તેઓ એમ કહી શક્યા હોત કે મહાત્માજી તો બોલ્યા કરે, સેક્યુલરિસ્ટો અને માનવતાવાદીઓ તો ભસ્યા કરે, હું તમને અઠવાડિયું આપું છું કરી દો મુસલમાનોને પાકિસ્તાન ભેળા. તેઓ ભડવીર હતા, કૃતનિશ્ચયી હતા, આખાબોલા હતા, કોઈની આડોડાઈને સહન નહોતા કરતા પણ એની સાથે માણસાઈ ધરાવનારા માણસ હતા.

એક પ્રસંગ ટાંકુ છું. બોરસદના સત્યાગ્રહમાં વિજય મળ્યો એ પછી ૧૨મી જાન્યુઆરી ૧૯૨૪ના દિવસે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. એ સભામાં વલ્લભભાઇ પટેલે કહ્યું હતું: “એક મહિનાની ટૂંકી લડત દરમિયાન તમે કેટલો આકરો ભોગ આપ્યો છે, કેટલી હિંમત બતાવી છે, કેવો સંપ રાખ્યો છે, કેટલો ઉત્સાહ બતાવ્યો છે, એ બધું કર્યું ત્યારે જ તમે માગતા હતા તે બધું મેળવી શક્યા. તેમાં દરબારસાહેબની (દરબાર ગોપાળદાસ) પંડ્યાજીની (મોહનલાલ પંડ્યા) કે મારી, કોઈની બુદ્ધિચાતુરીથી આ બધું તમે મેળવ્યું નથી; પણ આજે જેલમાં બેઠેલા આપણા ગુરુ, જગતના મહાન તપસ્વીએ ચીંધી દીધેલા માર્ગે ચાલવાથી આ ફતેહ મળેલી છે. એમણે આપેલી દીક્ષાની ગુરુદક્ષિણા તો હજી આપણે આપવી બાકી જ છે, આ તો એમના ઋણનું વ્યાજ માત્ર આપણે પાછું વાળ્યું છે.” આગળ કહે છે : “ … મેં જાણ્યું કે તમે ફતેહની ઉજાણી કરવાના છો. તે ભલે ઉજવો, પણ મારી સલાહ છે કે તમારી ઉજાણીમાં જપ્તિ કરવા આવનારાઓને પણ ભાગ લેવા બોલાવો. આપણી લડત આસૂરી નથી, એટલે દુ:શ્મને જ્યારે હથિયાર હેઠાં મૂકયાં ત્યારે તમારે તેમની સાથે મહોબત કરવી અને પોલીસને પણ તમારી ઉજાણીમાં ભાગ લેવા બોલાવવા.”

સરદાર કહે છે કે ગાંધીના માર્ગે વિજય મળ્યો અને એ માર્ગ માણસાઈયુક્ત શૌર્યનો હતો અને માણસાઈયુક્ત શૌર્યથી વધારે મોટું કોઈ શૌર્ય હોતું નથી. માણસાઈ વિનાનું શૌર્ય એ શૌર્ય ન કહેવાય એને માથાભારેપણું કહેવાય. અને વિજય? સરદાર કહે છે કે ઉદારતાયુક્ત વિજય એ સાચો વિજય કહેવાય અને જો વિજયમાં ઉદારતા ન હોય તો એમાં વિરોધી માટે દ્વેષ, તિરસ્કાર અને પ્રસંગે સતામણી પેદા થાય.

આવા હતા શિવાજી મહારાજ અને સરદાર વલ્લભભાઇ પટેલ. તેમની મર્દાનગી માણસાઈયુક્ત હતી. તેમના વિજયમાં ઉદારતા હતી. પણ આજના યુગમાં શાસકોની ખાસ જરૂરિયાતના ભાગરૂપે આ બન્નેની માણસાઈને પાતળી પાડવામાં આવી રહી છે. તેઓ શિવાજી મહારાજ અને સરદાર પટેલને તેમના જેવા બનાવવા માગે છે. આવું કરનારાઓ તેમને અન્યાય કરે છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 માર્ચ 2024

Loading

પર્યાવરણમિત્ર વિકાસ માટે લદ્દાખ બંધારણના છઠ્ઠા શિડ્યુલનો લાભ માગે છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 March 2024

સોનમ વાંગચુકનાં અનશન

વાંગચુકને પગલે અનશન શૃંખલા અવિરત જારી છેઃ સરેરાશ લદ્દાખી વિમાસે છે, દિલ્હી લગણ ક્યારે પુગશે ‘મન કી બાત…’ને ચેનલ ચોવીસા ચૂપ કેમ? 

પ્રકાશ ન. શાહ

સુદૂર લદ્દાખમાં સોનમ વાંગચુકે એકવીસ દિવસના ઉપવાસ છોડ્યા છે, પણ હવે દસ દિવસના ઉપવાસનો દોર મહિલાઓએ સંભાર્યો છે અને તે પછી યુવજનો તો ખરા જ, પણ બૌદ્ધ ભિખ્ખુઓ સુધ્ધાં તે દોર જારી રાખશે. કોણ છે આ સોનમ વાંગચુક મહાશય, તમે પૂછશો. ભાઈ, આપણે એને ”થ્રી ઇડિયટ્સ”માં આમીરખાન વાટે તો મળ્યા જ હતા. આયુષ્યના અડસઠમે લદ્દાખના જનજીવનમાં લગારે ગાજોવાજો નહીં એવું નરવુંનક્કર પ્રદાન એમનું છે. કામમાં ગંભીર હશે, પણ કશાયે બોજ વગરની હસ્તી છે, આ અસલી ‘રેન્ચો”.

એમણે શેને સારુ આકરી લાંઘણ ખેંચવાનો દોર શરૂ કર્યો છે એની વાત લગીર રહીને કરું. આરંભે મારે, આ મિકેનિકલ એન્જિનિયરના એ જીવનકાર્યનો ખયાલ આપવો જોઈએ જે ચીલેચાલુ ઇજનેરી માળખાની સાહેબશાહી રીતરસમથી ઉફરાટે સામાન્ય સમજ સાથે વૈજ્ઞાનિક અભિગમથી જીવનને કંઈક સુખકર બનાવવા પ્રયોગો કરે છે. એમનું લોકવિજ્ઞાન મજેનું છે. એમણે કથિત નબળા વિદ્યાર્થીઓ માટે જે કેમ્પસ ઊભું કર્યું છે, એ ગારમાટીનાં ઘરનું ને સૌર શક્તિ સંચાલિત છે. બાકી લદ્દાખ જ્યારે -15 સેન્ટીગ્રેડ અનુભવતું હોય ત્યારે એમનાં આ ગાર – માટીનાં ઘરનું તાપમાન +15 સેન્ટિગ્રેડ હોય છે અને ઠુંઠવાતા મલક વચ્ચે ફૂંફાતાં બાળ રમેભણે ઉછરે છે. વસ્તુતઃ 1988થી એમણે છાત્રો વચ્ચે શૈક્ષણિક ને સાંસ્કૃતિક એવી જે બિનરાજકીય ચળવળ શરૂ કરી, ‘સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ’ – એ હવે ખાસી આગળ વધી ગઈ છે. સરકારી શાળાઓમાં સુધારણા કરી પરિણામો સુધાર્યાં પછી પણ જે છોકરાં પાછળ છૂટી જાય છે, દસમું વટાવી શકતાં નથી એમને ભણાવવા એમણે નવ્ય આશા અભિયાન (ઓપરેશન ન્યૂ હોપ) શરૂ કર્યું – સરકાર, સ્થાનિક સમુદાયો અને નાગરિક સમાજ ત્રણેને સાંકળીને. આજે દસમું માંડ પાસ કરતો પાંચ ટકાનો આંકડો પૂરા પંચોતેર ટકે પહોંચી ગયો છે.

જેમ એમના ગારમાટીનાં ઘરની હમણાં જિકર કરી તેમ બીજો યે એક લોકોપયોગી પ્રયોગ અહીં સંભારી લઈએ. આ પ્રયોગ આઈસ સ્તૂપ(હિમસ્તૂપ)નો છે. શિયાળામાં એવા આર્ટિફિશિયલ ગ્લેશિયર સરજવાનાં જે ઉનાળામાં પાણીખેંચ વખતે વૈકલ્પિક જળસ્રોતની ગરજ સારી શકે.

હવે એમણે શરૂ કરેલી ઉપવાસ શૃંખલા વિશે. 370મી નાબૂદ થઈ અને લદ્દાખને યુનિયન ટેરિટરીનો દરજ્જો તો મળ્યો. પણ પ્રજાકીય હિસ્સેદારી વગરના શાસનનો શો મતલબ ? એ કહે છે, અમને બંધારણના છઠ્ઠા શિડ્યુલમાં મૂકો. એને અન્વયે અમે ઓટોનોમસ કાઉન્સિલ મેળવી શકીએ – અને એક સ્વાયત્ત માહોલમાં પ્રજાકીય પહેલ અને ભાગીદારી સાથે વિકાસનાં કામો હાથ ધરી શકીએ. હા, વાંગચુક કહે છે, વિકાસની વ્યાખ્યા અમારી હશે. હાલ જે રીતે કોર્પોરેટ રાહે હિમાલયી શોષણ ને દોહન શક્ય છે તે નહીં ચાલે. પ્રજાની હિસ્સેદારી સાથે પર્યાવરણમિત્ર વિકાસનો એ રાહ હશે. અમે જેટલે લાંબે ઢોરાં ચારવા જતા હતા એટલે લાંબે હવે જઇ શકતા નથી, કેમ કે ચીનની હરકત ઇંચ-બઇંચ આગળ વધતી રહી છે. ચીન-પાકિસ્તાન સાથેના સીમામુલક તરીકે અહીં લોકભાગીદારી સાથેનો પર્યાવરણમિત્ર વિકાસ એક સંરક્ષણ હરોળ નીચે ગરજ સારી શકે. અહીં આપણા દેશના જવાનો તૈનાત હોય ત્યારે સ્થાનિક લોકો એમનાં સુખદુઃખની જે સંભાળ લે છે એ તો જુઓ! આ સરેરાશ લદ્દાખી જ્યારે પર્યાવરણમિત્ર વિકાસે સહભાગી, સજ્જ ને સમૃદ્ધ હશે ત્યારે પેલી સંરક્ષણ હરોળ કેટલી દૃઢ થઈ હશે એ તો વિચારો જરી!

તમે આ દિવસોમાં સોનમ વાંગચુકને સાંભળ્યા છે ? સહજ સરળ સ્વસ્થ સ્વચ્છ અંગ્રેજી /હિંદીમાં લગારે આક્રોશ વિના એ પોતાની વાત મૂકે છે. એકવીસ ઉપવાસ કેમ, તો કહે છે ગાંધીજીએ બાંધેલી મર્યાદામાં ચાલુ અનશન અભિયાને પહેલો પડાવ પત્યો ને એમણે લોકજોગ જે સંબોધન કર્યું એને અંતે ‘જયહિંદ” પણ સહજ ક્રમે દડી આવ્યું હતું. ન દિલ્હીના દેવતાઓને, ન તો મેઇન સ્ટ્રીમ મીડિયાને આ અવાજ પહોંચે છે. આપણે કારુણિકા, બીજું શું.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 28 માર્ચ 2024

Loading

...102030...746747748749...760770780...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved