Opinion Magazine
Number of visits: 9457545
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માતૃભાષાનો મહિમા ગુજરાત સિવાય બધે છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion, Samantar Gujarat - Samantar|1 December 2023

રવીન્દ્ર પારેખ

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન-UGC દ્વારા દેશની ભાષાકીય વિવિધતાની ઉજવણી કરવા તથા એકતા અને વિવિધતાનો અનુભવ કરવા 25 સપ્ટેમ્બર, 2023થી 75 દિવસીય ભારતીય ભાષા ઉત્સવનો આરંભ કરવામાં આવ્યો. તેની યુનિવર્સિટીઓને તો કદાચ ખબર હોય, બાકી સામાન્ય પ્રજાને તેની જાણકારી હોય તો આઘાત લાગે, કારણ ભાષા બાબતે ગુજરાતી પ્રજા સૌથી વધુ ઉદાસીન છે. આ ઉદાસીનતા ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અપાવે તો નવાઈ નહીં. જો કે, આ ભાષા ઉત્સવ 11 ડિસેમ્બરે તો સંપન્ન થવા જઈ રહ્યો છે, એટલે પ્રજાકીય ઉદાસીનતાને ઊની આંચ આવે એમ નથી. એ જુદી વાત છે કે યુનિવર્સિટીઓ, કોલેજો એની રીતે માતૃભાષાને લગતા કે બહુભાષી કાર્યક્રમો ઇચ્છાથી કે પરાણે કરશે ને એમ 11મી તારીખ પૂરી કરશે.

જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાતીનો, ગુજરાતીઓ જ સંહાર કરશે. એ મામલે ગુજરાતીઓ પૂરતા સ્વાવલંબી છે. ગુજરાતીઓ જેટલી ઉદાર ને ઉડાવ પ્રજા બીજી નથી. તે નકલખોર છે અને મૌલિક નથી. તેનો ખોરાક, તેનો પોષાક, તેની ભાષા તેનાં નથી. તે બીજાનું જોઈને સીધું જ અપનાવે છે. તેનું પોતાનું યોગદાન નહિવત્ છે. તેને અંગ્રેજીની છે, એટલી ચિંતા ગુજરાતીની નથી. વધારે સાચું તો એ છે કે એવી ચિંતા ગુજરાત સરકારને મુદ્દલે નથી. સંતાનો અંગ્રેજી જોડણી ખોટી કરે તો તે સુધારવાની કાળજી લેવાય છે, પણ ગુજરાતી જોડણી સાચી ન થઈ જાય એની કાળજી રખાય છે. ગુજરાતમાં અંગ્રેજી, અંગ્રેજો આવ્યા પછી આવી. ગુજરાતી તો છસો વર્ષથી છે, પણ તેનાં તરફ પહેલેથી જ દુર્લક્ષ સેવાયું છે. એમાં અંગ્રેજો ઓછા જવાબદાર છે. એમણે તો ગુજરાતી સ્કૂલો પણ સ્થાપી છે ને જરૂર પડી ત્યારે ગુજરાતી શીખ્યા પણ છે. ગુજરાત સરકાર અસ્તિત્વમાં આવી ત્યારથી ગુજરાતીનો મહિમા ઘટ્યો છે. તેમાં પણ છેલ્લાં થોડાં વર્ષોમાં વિદ્યાર્થીઓ નથી મળતાં એ બહાને ગુજરાતી સ્કૂલો બંધ કરવામાં આવી ને અંગ્રેજી સ્કૂલોની સ્થાપનાઓ થવા માંડી. સવાલ એ થાય કે ગુજરાતમાં, ગુજરાતીના વિદ્યાર્થીઓ ન મળે તો તે કર્ણાટક કે બંગાળથી મળવાના હતા?

એક જમાનામાં સાક્ષરવર્ય ડો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ નર્મદ સાહિત્ય સભાને ઉપક્રમે દુકાનોનાં પાટિયાની જોડણી સુધારવાની ઝુંબેશ ચલાવેલી. ત્રિવેદી સાહેબ તો હવે રહ્યા નથી કે નથી તો નર્મદ સાહિત્ય સભાની કોઈ ભાળ મળતી. નર્મદ સાહિત્ય સભા, ગુજરાતી સાહિત્ય મંડળ તરીકે 1923માં સ્થપાયેલી. એ જોતાં તો નર્મદ સાહિત્ય સભાનું આ શતાબ્દી વર્ષ ગણાય. એની ઉજવણીની વાત તો બાજુ પર રહી, સંસ્થા જ આથમી ગઈ હોય તેમ ક્યાં ય કોઈ સંચાર નથી. કમ સે કમ સંબંધિતોએ સંજીવની મંત્ર ફૂંકી શતાબ્દીની રંગેચંગે ઉજવણી કરવી જોઈએ. આજે દુકાનોનાં પાટિયાં વંચાય છે ખરાં, પણ તે ખરાં છે કે ખોટાં તે જોનારું કે કહેનારું કોઈ નથી. સાહિત્ય, કલાને ક્ષેત્રે આ શહેરનો શતમુખી વિનિપાત અક્ષમ્ય છે. આ શહેરે સાહિત્યમાં પહેલું પહેલું ઘણું આપ્યું. પહેલો નિબંધકાર, પહેલો નવલકથાકાર, પહેલો વિવેચક, પહેલો આત્મકથાકાર એવા ઘણા પહેલા સર્જકો સાહિત્યમાં સૂરતે આપ્યા. એ શહેર હવે વૈધવ્ય ભોગવતું ખૂણે પડ્યું છે ને કોઈને એની ચિંતા નથી. સાંઠ લાખની વસ્તી ધરાવતાં આ શહેરમાં મહાનગરપાલિકા છે, અનેક ક્ષેત્રે તેની પ્રગતિ છે, પણ ગુજરાતી ભાષા, સાહિત્ય અને કલાને ક્ષેત્રે આ શહેરને પ્રોત્સાહન પૂરું પાડવાની તેની ઈચ્છા નથી એ દુ:ખદ છે. આ સ્થિતિ આખા ગુજરાતની છે.

એની સામે મહારાષ્ટ્રની સ્થિતિ ધ્યાનાકર્ષક છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મુંબઈની હદમાં આવેલી દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટનાં નામનાં બોર્ડ મરાઠી દેવનાગરી લિપિમાં લખવાનું ફરજિયાત છે. જે દુકાનોનાં નામ મરાઠીમાં ન હોય તેની સામે 28 નવેમ્બર, 2023થી પાલિકા આકરી કાર્યવાહી કરવાની હતી. પાલિકા કમિશનર અને પ્રશાસક ઇકબાલસિંહ ચહલે તે અંગે બેઠક બોલાવી સુપ્રીમના આદેશનું સખ્તાઈ પૂર્વક પાલન કરવાનો આદેશ આપ્યો ને જણાવ્યું કે જે દુકાનોનાં નામ મરાઠીમાં નહીં હોય તેને નોટિસ પણ નહીં, સીધો બે હજારથી 1 લાખ સુધીનો દંડ કરવો. 28મી નવેમ્બરે કાર્યવાહી શરૂ કરવામાં આવી અને પહેલે જ દિવસે 176 દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટ સામે મરાઠી દેવનાગરી લિપિમાં બોર્ડ નહીં રાખવા બદલ કાર્યવાહી કરવામાં આવી. પહેલે દિવસે 24 વોર્ડની 3,269 દુકાનો પાલિકાની ટીમ દ્વારા ચેક કરવામાં આવી અને તેમાં 3,093 દુકાનોનાં બોર્ડ મરાઠીમાં હતાં. મહારાષ્ટ્ર શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ નિયમ, 2018 અને સંશોધિત નિયમ 2022ની કલમ 35 અને 36-સી મુજબ દુકાનો અને એસ્ટાબ્લિશમેન્ટનાં નામનાં બોર્ડ મરાઠી દેવનાગરી લિપિમાં લખવા માટે 28 નવેમ્બર સુધીની મુદ્દત આપવામાં આવી હતી.

ભાષાની આટલી કાળજી પ્રશાસન લે એનો આનંદ થાય. એમાં પ્રજાની પણ ભાષા પ્રીતિ નોંધનીય છે. 3,269 દુકાનો તપાસવામાં આવી, એમાંથી 3,093ને મરાઠી ભાષામાં બોર્ડ હતાં ને 176ને જ નિયમ પ્રમાણેનાં બોર્ડ ન હતાં. આપણે ત્યાં આવી તપાસ થાય તો 176નાં જ નિયમ પ્રમાણેનાં બોર્ડ નીકળે એમ બને. જો કે, આપણે ત્યાં સુપ્રીમ કોર્ટનો આવો કોઈ નિયમ લાગુ પડે છે કે કેમ તે નથી ખબર. સુપ્રીમનો આદેશ મુંબઈ પૂરતો જ સીમિત હોય એનું આશ્ચર્ય છે. બને કે ગુજરાતમાં એવો કોઈ કાયદો જ ન હોય ને ગુજરાતને તો માતૃભાષાનો એવો ઉમળકો પહેલેથી નથી, ત્યાં ગુજરાતીમાં જ બોર્ડ હોવાં જોઈએ એવો આગ્રહ તો હોય જ ક્યાંથી?

રહી વાત માતૃભાષાની તો તેની ઘોર ઉપેક્ષા સરકાર અને પ્રજા જ કરે છે. આજે તો એ સ્થિતિ છે કે સરકારી સ્કૂલોમાં અંગ્રેજી કે ગુજરાતીમાં શિક્ષણ ચાલે જ નહીં. કોઈ પણ વિષય ભણાવનારા શિક્ષકોની જ કાયમી ખોટ છે. ગુજરાતના શિક્ષણ વિભાગને એ સમજાતું જ નથી કે નવી શિક્ષણ નીતિ ભણાવવા પણ જોઈએ તો શિક્ષકો જ ! પ્રાથમિક શિક્ષણ બાળકો જાતે જ મેળવી લેતાં હોત તો એમને સ્કૂલે આવવાની જ જરૂર ન હતી, પણ શિક્ષણ મંત્રીઓ એવા ભ્રમમાં છે કે શિક્ષકો વગર પણ પ્રાથમિક શિક્ષણ શક્ય છે, એટલે જ ત્રીસ હજાર કાયમી શિક્ષકોની ઘટ હોવા છતાં 2017થી કાયમી શિક્ષકોની જગ્યા ન ભરવાની પ્રતિજ્ઞા લઈને બેઠા છે. શિક્ષણ વિભાગને કામચલાઉ શિક્ષકો હજારોની સંખ્યામાં મળે છે, પણ એક કાયમી શિક્ષક મળતો નથી. ટેટ-ટાટ પાસ શિક્ષકો હજારોની સંખ્યામાં કાયમી જગ્યાએ આવવા તૈયાર બેઠાં છે, પણ એમને જ્ઞાન સહાયક તરીકે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર રાખવા સરકાર તૈયાર છે ને કાયમી જગ્યા કાયમી ધોરણે ખાલી રાખવા માંગે છે, જ્યારે હકીકત એ છે કે સરકારે ટેટ-ટાટની પરીક્ષાઓ લીધી છે જ કાયમી જગ્યા માટે –

રાજ્યમાં 30,000 શિક્ષકોની ઘટ છે તે છતાં શિક્ષણ વિભાગે ફરી એક વાર શાળા બહારની કામગીરી શિક્ષકોને સોંપવાનું નક્કી કર્યું છે. ગઈ 15 જૂને 352 આચાર્યો-શિક્ષકોને સ્કૂલ ઇન્સ્પેક્ટર્સની કામગીરીમાંથી મુક્ત કરી શિક્ષણ કાર્યમાં મૂકવામાં આવ્યા હતા. એ વાતને છ મહિના પણ નથી થયા ને 384 આચાર્ય-શિક્ષકોને ડિસેમ્બરમાં ફરી સ્કૂલ ઇન્સ્પેક્ટર્સની જવાબદારી સોંપવામાં આવી છે. સરકારી શાળાઓનું સ્તર સુધારવા ગુણોત્સવ 15 વર્ષથી ચાલે છે. એમાં આઇ.એ.એસ., આઇ.પી.એસ. જેવાઓને મૂલ્યાંકનની કામગીરી સોંપાતી હતી, પરંતુ લાખો શિક્ષકોનું તટસ્થ મૂલ્યાંકન શક્ય ન બનતાં 2019થી ગુણોત્સવ-2ની શરૂઆત કરવામાં આવી, જેમાં આચાર્યો અને શિક્ષકોને સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ તરીકે જોતરવામાં આવ્યા. આ કામગીરી લગભગ આખું વર્ષ ચાલતી ને એ દરમિયાન જે તે આચાર્ય કે શિક્ષક શિક્ષણકાર્યથી દૂર રહેતા. આ બધું શિક્ષણની ગુણવત્તા સુધારવા થતું ને ગુણવત્તા જ દાવ પર લાગતી. જૂનમાં 352 આચાર્યો-શિક્ષકોને સ્કૂલ ઇન્સ્પેક્ટર્સની કામગીરી છોડાવી શિક્ષણમાં જોડ્યા ને નવેમ્બરમાં ફરી ફતવો બહાર પાડી 384ને સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ તરીકે મૂક્યા એમાં થૂંકેલું ચાટવા જેવું જ થયું છે કે બીજું કૈં? એકતરફ શિક્ષણ અટકે ને મૂલ્યાંકન શિક્ષણનું જ થાય એનો કોઈ મતલબ ખરો? શિક્ષકોની ઘટનો પ્રશ્ન ઊભો જ હોય, નવું સત્ર 30મીથી હજી શરૂ થયું હોય, જ્ઞાનશક્તિ સ્કૂલ્સ જેવા પ્રોજેક્ટ્સ રદ્દ કરવા પડ્યાં હોય, ત્યારે પ્રાથમિક શિક્ષણ કેવા હાથોમાં જઇ પડ્યું છે તે સમજવાનું અઘરું નથી. આ પરિસ્થિતિમાં ભાષા શિક્ષણ કે ભાષા ઉત્સવો નબળાં નાટકથી વધારે કૈં નથી. આખું પ્રાથમિક શિક્ષણ સર્વનાશને માર્ગે છે, પણ આટલા શિક્ષકો, આટલા આચાર્યો, આટલા વાલીઓને કોઈ તકલીફ નથી એ વધારે આઘાતજનક છે. એમ લાગે છે કે શિક્ષકોને પગારથી અને વાલીઓને મફતથી કે ફીથી જ મતલબ છે. હા, ટેટ-ટાટ પાસ ઉમેદવારો વિરોધ કરે છે, પણ એને સાંભળનારું કોઈ નથી. ખબર નથી એમનો વિરોધ કેટલો ટકશે? ટૂંકમાં, પ્રાથમિક શિક્ષણ મરી ગયું છે ને આખું શિક્ષણ જગત શોકસભા ભરીને બેઠું હોય તેમ ચૂપ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 ડિસેમ્બર 2023

Loading

ઘરઘાટી, ગૃહયોગી, હાઉસ હેલ્પર : ન ઉજળું નામ, વધુ કામ, કમ દામ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|1 December 2023

ચંદુ મહેરિયા

દિવાળીના તહેવારો પૂર્વેની ઘરની સાફ-સફાઈ કામવાળા બહેન કે ભાઈ વિના શક્ય છે ? જે રોજેરોજ આપણાં ઘરોને ઉજળા રાખે છે અને વારે-તહેવારે ચમકાવે છે એવા ઘરના અનિવાર્ય સભ્ય જેવા આ વર્ગને સન્માનજનક નામથી આપણે સંબોધીએ છીએ ખરા ? પહેલા (અને કદાચ આજે  પણ) એ ઘરઘાટી, રામલો કે રામલી તરીકે ઓળખાતાં. પછી રામો કે રામુ થયું, નોકર-નોકરાણી બન્યાં, કામવાળાં બહેન અને ભાઈ કહેવાયાં, ક્યાંક દીદી તરીકે બોલાવાયાં, સાધન-સંપન્ન અને અંગ્રેજી જાણતો વર્ગ તેમને ડોમેસ્ટિક વર્કર, હોમ મેનેજર અને હવે હાઉસ હેલ્પર ગણાવે છે. વીસેક વરસથી ગુજરાત સરકારે સરકારી કર્મચારીનું નામકરણ કર્મયોગી અને તમામ પ્રકારના મજૂર કે કામદારનું શ્રમયોગી કર્યું છે. એ જ તર્જ પર ઘરઘાટી કે કામવાળા માટે ગૃહયોગી કર્યાનું જાણ્યું નથી. ગરિમાપૂર્ણ નામ જરૂર હોવું જોઈએ પણ સાથે તેમના પ્રત્યેનું વર્તન  અને મળતર  પણ વાજબી હોવું જોઈએ. પરંતુ હજુ જેને સન્માનસૂચક નામ જ નસીબ નથી થયું તેના માટે આ બહુ દૂરની વાત આજે તો લાગે છે.

શ્રમયોગી કે શ્રમયોગિની દેશનો બહુ મોટો અસંગઠિત શ્રમિક વર્ગ છે. ભારતના કામદાર વર્ગનો તે સૌથી વધુ ઉપેક્ષિત અને શોષિત હિસ્સો છે. તેના કામનું સ્થળ (વર્કપ્લેસ) કોઈક્નું ઘર (પ્રાઈવેટ સ્પેસ) છે. એ કહેવાય તો છે ઘરકામમાં સહાયક પણ તેનો જોબચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ઘરના લગભગ સઘળાં કામો તેણે કરવાનાં હોય છે. કચરા-પોતાં, ઠામ વાસણ, લુગડાં ધોવાં, જમવાનું બનાવવું, બાળકો, વૃદ્ધો, અસહાય અને બીમારની દેખભાળ, મેડમ અને સરના ઓફિસના અને ઘરના ટાઈમ સાચવવા, બાળકોને સ્કૂલે કે વાનમાં લેવા-મૂકવા જવાં, ઘરમાં નિયમિત ઝાપટ-ઝૂપટ કરવી, સંડાસ-બાથરૂમ ધોવા, બાબાભાઈ કે બેબીબહેનને ઊંઘાડવા-જગાડવા, તેમને દૂધ પાવું, ઘરની બીમાર વ્યક્તિને દવાખાને લઈ જવાય ત્યારે સંભાળ માટે સાથે જવું, કપડાંને ઈસ્ત્રી કરવી, ઘરની ચોકીદારી અને બાગકામ …. જેવાં કંઈક કામો તેણે કરવાના હોય છે. આ કામો જોતાં ભારતના ધનાઢ્યથી માંડીને મધ્યમવર્ગીય જીવનમાં ઘરનોકરની પાયાની ભૂમિકા છે. શહેરીકરણમાં વૃદ્ધિ, સંયુક્ત પરિવારોનું તૂટવું અને પતિ-પત્ની બંનેનું કમાવું – જેવાં કારણોથી પણ કામવાળાની અનિવાર્યતા વધી છે.

પહેલાના સમયમાં ઘરના કામો શ્રમદોહનના સામંતી ઢાંચામાં જુદા ગણાતા નહોતા. સામંતી શોષણ સામે સંઘર્ષ પછી તે જુદા પડ્યા. શાયદ એટલે જ ૧૯૩૧માં ૨૭ લાખ કામવાળા (મુખ્યત્વે પુરુષો), ૧૯૭૧માં ઘટીને ૬૭ હજાર થઈ ગયા હતા. જો કે ભારતે નવી અર્થનીતિ અપનાવી એટલે વૈશ્વિકીકરણના વાયરે ૧૯૯૧માં એ ૧૦ લાખ (૭૫ ટકા મહિલાઓ) થયાં હતા. આજે તેનો કોઈ ચોક્કસ આંકડો નથી પણ લાખો અને કરોડોનો હોવાનું કહેવાય છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થાના એક અનુમાન મુજબ ભારતમાં ૪૭ લાખ ઘરનોકરો છે. જેમાં ૩૦ લાખ મહિલા છે. ભારત સરકારના ઈ-શ્રમ પોર્ટલ પર ૮.૫૬ કરોડ નોંધાયેલા અસંગઠિત શ્રમિકો છે, જેના આઠથી દસ ટકા ઘરનોકરો છે. બેંગલૂરુમાં ૭૫ ટકા  કામવાળા દલિત અને માત્ર ૨ ટકા જ કથિત ઉચ્ચ વર્ણના છે. આખા દેશમાં પણ દલિત, આદિવાસી પછાત અને ગરીબ મહિલાઓ જ આ કામ કરે છે.

ભલે સામંતી શોષણ ઘટ્યાનું કહેવાતું હોય દલિતોના લલાટે તો હજુ ય તે લખાયેલું છે. ભારતનાં ગામડાંઓમાં દલિત મહિલાઓને ગામના કથિત ઉચ્ચ વર્ણના લોકોના છાણાંવાસીદાથી માંડીને ઘરનું આંગણું, ઢોરની ગમાણ ચોખ્ખા રાખવાના અને માલ-ઢોરને ચારો-પાણી આપવાનાં કામો છાશ-રોટલાના બદલામાં કરવા પડે છે.

ઘરનાં કામો કરનારાઓમાં મહિલાઓ, સગીરવયની બાળકીઓ તથા પરપ્રાંતિય સ્થળાંતરિત કામદારો હોય છે. ગૃહયોગીઓની દિનચર્યા થકવી નાંખનારી અને ઘણી લાં…બી હોય છે. તેમનાં કામના કલાકો નિશ્ચિત હોતા નથી. ઘરમાલિકોનો તેમના પ્રત્યેનો વર્તાવ નકારાત્મક, શંકાળુ અને અપમાનજનક હોય છે. કામાવાળાઓ પરના અત્યાચારોના સમાચારો ઘણીવાર છાપાંના પાને ચઢે છે. તેમાં શારીરિક હિંસા, માનસિક ત્રાસ અને ભેદભાવ પણ છે. જે સંડાસ-બાથરૂમ તે સાફ કરે છે તેનો ઉપયોગ તે કરી શકતાં નથી. લિફ્ટનો ઉપયોગ પણ પ્રતિબંધિત હોય છે. ખાવાનું વાસી અને વધેલું – ઘટેલું આપવામાં આવે છે. સાજે-માંદે કે તહેવારોમાં જ રજા મળતી નથી એટલે અઠવાડિક રજાનો તો સવાલ જ નથી. લગભગ બધાં જ કામો વાંકા વળીને કે લાંબો સમય ઊભાઊભા કરવાના હોય છે. ઘરમાં તેને ટી.વી. જોવાની કે સોફા-ખુરશી-પલંગ પર બેસવાની મંજૂરી નથી. તેણે હંમેશાં ભોંય પર જ  બેસવું પડે છે. તેના ખાવા-પીવાનાં વાસણો જુદાં રાખવામાં આવે છે.

ઘરકામ કરનારાઓમાં કેટલાક લિવ ઈન (પૂર્ણકાલીન) અને કેટલાકા લિવ આઉટ (અંશકાલીન) છે. ફુલટાઈમ કામાવાળાને દિવસરાત ઘરમાલિક્ના ત્યાં જ રોકાઈને બધાં કામો કરવાના હોય છે. તેને ઘરના ગેરેજ, સ્ટોર રૂમ કે બીજે રહેવાનું મળે છે. જ્યારે પાર્ટટાઈમ કામ કરનારને કામના ચોક્કસ સમયે આવીને કામ નિપટાવવાનું હોય છે. આ પ્રકારનાં કામો તેઓ એક કરતાં વધુ ઘરે કરતાં હોય છે.

કહેવાતી હાઉસ હેલ્પના બદલામાં આ શ્રમિકોને મળતું મહેનતાણું તેમનાં કામના બદલામાં ઘણું ઓછું હોય છે. પાટનગર ગાંધીનગરમાં શ્રમિકોના યુનિયને કોઈ એક કામ(દા.ત. કચરા-પોતું , વાસણ, કપડા)ના માસિક રૂ. ૯૦૦ ઠરાવ્યા છે. એટલે દિવસના રૂ.૩૦ થયા. સવાર-સાંજ વાસણ માંજવાના હોય તો એક ટાઈમના ૧૫ રૂ. જ કહેવાય. દિલ્હી અને જયપુરના કામવાળા બહેનો પરનું એક અધ્યયન જણાવે છે કે ૬૮ ટકા મહિલાઓ મહિને રૂ. ૧૦ હજાર કરતાં ઓછું કમાય છે. ઘરકામ કરીને રૂ. ૨૦,૦૦૦થી વધુ કમાતી મહિલાઓ માત્ર ૧.૯ ટકા જ છે. ૨૦ ટકાને મહિને રૂ. ૫,૦૦૦થી ઓછા, ૪૬ ટકાને ૫ થી ૧૦,૦૦૦ અને ૬.૯ ટકાને ૧૫ થી ૨૦,૦૦૦ મળે છે.

દેશના કાયદામાં ઘરકામને વ્યવસાય ગણવામાં આવ્યું નથી. એટલે કામવાળાને દેશમાં શ્રમિકનો દરજ્જો મળ્યો નથી. તેના અધિકારો, સલામતી અને કલ્યાણ માટે કોઈ કાયદો કે યોજના નથી. તેની ચોક્કસ સંખ્યા નક્કી થઈ નથી. હાલની સરકારે ૨૦૨૧માં દેશના ૭૪૨ જિલ્લામાં સર્વે હાથ ધર્યો હતો. પણ સર્વેના તારણો હજુ જાહેર થયા નથી. મહિલા, દલિત-આદિવાસી-પછાત અને ગરીબ હોવાનું ત્રણ પ્રકારનું શોષણ શ્રમયોગિની સહે છે. સરકાર અને સમાજની સંવેદનશીલતા કે પછી તેમના મજબૂત સંગઠનો અને આંદોલનો જ કદાચ તેમના દુ:ખો નિવારી શકે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

૧૯મી સદીમાં લખાયેલું હાસ્યપ્રધાન પ્રવાસ વર્ણન  

દીપક મહેતા|Opinion - Opinion|30 November 2023

જૂની મૂડી : ૨  

ખાસ નોંધ :- 

૧. જહાંગીરજીનો ફોટો આ પુસ્તકમાં નથી. બીજેથી મેળવીને અહીં મૂક્યો છે. બાકીનાં ચિત્રો લેખકે પોતે દોરેલાં છે અને આ પુસ્તકમાંથી જ લીધેલાં છે.

૨. ‘બુદ્ધિપ્રકાશ’માં લેખ સાથે આ ચિત્રો છપાયાં નથી. અહીં લેખ મૂકતી વખતે ઉમેર્યાં છે.

પારસી ગુજરાતી સાહિત્યના માર્ક ટ્વેન તરીકે ઓળખાતા જહાંગીર બેહરામજી મર્ઝબાન (૧૮૪૮-૧૯૨૮)ની કલમે લખાયેલા પ્રવાસ વર્ણનના પુસ્તક ‘મુંબઈથી કાશ્મીર’ને એક હાસ્યપ્રધાન પ્રવાસ વર્ણન તરીકે ઓળખાવી શકાય. આ હાસ્યપ્રધાનતાને કારણે આ પુસ્તક ૧૯મી સદીનાં જ નહિ, આજ સુધીનાં બધાં પ્રવાસ વર્ણનનાં પુસ્તકોમાં અલાયદી ભાત પાડે છે.

ઓગણીસમી સદીમાં મુંબઈ ઇલાકામાં અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ શરૂ થયું. તેને પરિણામે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અંગ્રેજી સાહિત્યના પરિચયમાં આવ્યા. તેમાંના કેટલાકે અંગ્રેજી સાહિત્યની કૃતિઓને મોડેલ તરીકે નજર સામે રાખીને ગુજરાતીમાં લખવાનું શરૂ કર્યું. ગદ્યમાં આવી પહેલ કરનાર મોટે ભાગે પારસીઓ હતા. અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘણાખરા ગદ્ય પ્રકારો અંગ્રેજી સાહિત્યમાંથી પ્રેરણા લઈને ૧૯મી સદીમાં લખાતા થયા. આવો એક પ્રકાર તે પ્રવાસ વર્ણન. આજે જે પ્રવાસમૂલક પુસ્તકો લખાય છે તેના કરતાં ૧૯મી સદીનાં પુસ્તકો થોડાં જૂદાં પડે છે. વીસમી સદીમાં પ્રવાસકથા અને પ્રવાસ નિબંધના પ્રકાર લલિત સાહિત્યના એક પ્રકાર તરીકે વિકસ્યા. પ્રવાસ વર્ણનના જહાજનો આ રીતે મોરો ફેરવવાનું કામ કર્યું કાકાસાહેબ કાલેલકરે.

ઓગણીસમી સદીનાં પ્રવાસ વર્ણનનાં પુસ્તકો વાંચતી વખતે આપણે કેટલીક વાત યાદ રાખવી જોઈએ. ઉજળિયાત હિંદુઓમાં સાગર-ઉલ્લંઘનનો જેવો નિષેધ હતો તેવો પારસીઓમાં નહોતો. એટલે પરદેશની મુસાફરી કરવામાં તેમણે પહેલ કરી, અને તે અંગે લખવામાં પણ તેઓ પહેલા હતા. બીજું, એ વખતે આપણા દેશમાંથી ઘણા ઓછાને પરદેશ જવાની તક મળતી. એટલે ૧૯મી સદીના ઘણાખરા લેખકોનો હેતુ પોતે વિદેશમાં જે જોયું, જાણ્યું, તે અહીંના લોકોને જણાવવાનો હતો. એટલે ઘણી વાર તેઓ અંગ્રેજી પુસ્તકોનો માહિતી માટે આધાર લેતા કે સીધે સીધા તેમાંથી ઉતારા પણ આપતા. લલિત ગદ્યનું લેખન એ તેમનો ઉદ્દેશ જ નહોતો. એટલે આજના ધોરણે તેમનાં પુસ્તકોને મૂલવવાં યોગ્ય ન ગણાય.

કાવસજી સોરાબજી પટેલનું ‘ચીનનો અહેવાલ’ એ આપણી ભાષાનું પ્રવાસ વર્ણનનું પહેલું પુસ્તક. લગભગ ૯૦૦ પાનાંનું આ પુસ્તક બે ભાગમાં પ્રગટ થયેલું. પહેલો ભાગ ૧૮૪૪માં અને બીજો ભાગ ૧૮૪૮માં. ધ્યાનપાત્ર વાત એ કે નર્મદ અને દલપતરામનાં ગદ્યનાં પુસ્તકો પ્રગટ થયાં તે પહેલાં આ પુસ્તક પ્રગટ થયેલું. આ ઉપરાંત ૧૯મી સદીમાં પ્રગટ થયેલાં પુસ્તકોમાંનાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકો : ગરેટ બરીટન ખાતેની મુસાફરી, ડોસાભાઈ ફરામજી કરાકા (૧૮૬૧), અમેરિકાની મુસાફરી, એક પારસી ઘરહસ્થ (૧૮૬૨), ઈંગ્લાન્ડની મુસાફરીનું વર્ણન, મહીપતરામ રૂપરામ નીલકંઠ (૧૮૬૪), ઇન્ગ્લન્ડમાં પ્રવાસ, કરસનદાસ મુલજી (૧૮૬૬), દક્ષિણ હિન્દુસ્તાનમાં મુસાફરી, દીનશાહ અરદેશર તાલેયારખાં (૧૮૭૦), ઈરાનમાં મુસાફરી, ફરામજી દીનશાજી પીટીટ (૧૮૮૨), કાશ્મીરનો પ્રવાસ અને સંવાદો, સુરસિંહજી ગોહિલ ‘કલાપી’ (૧૮૯૨), પૃથ્વીની પ્રદક્ષિણા ભાગ ૧, હાજી સુલેમાન શાહમહમ્મદ (૧૮૯૫) અને ભરતખંડનો પ્રવાસ, શેઠ શમ્ભુપ્રસાદ બેચરદાસ લશ્કરીની નોંધ પરથી રચનાર કવિ ગિરધરલાલ હરકિસનદાસ (૧૮૯૭).

જહાંગીર બહેરામજી મર્ઝબાન

આ પુસ્તકના લેખક જહાંગીરજી એટલે ગુજરાતી પત્રકારત્વનો પાયો નાખનાર ફરદુનજી બહેરામજી મર્ઝબાનના બેટાના બેટા. વ્યવસાયે પત્રકાર. વધુ જાણીતા હાસ્ય લેખક તરીકે. ૧૮૬૯માં મેટ્રિક થયા પછી થોડો વખત મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણ્યા. ૨૫ વરસની ઉંમરે ‘રાસ્તગોફતાર’ અઠવાડિકના સબએડિટર. ત્યાર બાદ આઠ વરસ ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના મદદનીશ મેનેજર. ૧૮૮૭થી ‘જામે જમશેદ’ અખબારના માલિક અને તંત્રી. તેમણે આ અખબાર ખરીદ્યું ત્યારે તેનો ફેલાવો ૨૦૦ નકલનો હતો. પોતાના અનુભવ અને કુશળતાથી થોડા જ વખતમાં તેમણે એ આંકડો ૧,૫૦૦ નકલ સુધી પહોંચાડ્યો. તેમનાં ૩૦ જેટલાં પ્રગટ થયેલાં પુસ્તકોમાં મુખ્યત્વે હાસ્ય-રમૂજનાં પુસ્તકોનો અને પારસી કુટુંબજીવનને લગતી હાસ્યપ્રધાન નવલકથાઓનો સમાવેશ થાય છે. 

આ પુસ્તકમાં પણ તેમનો ઈરાદો પ્રવાસ વર્ણનને બને તેટલી હળવી શૈલીમાં રજૂ કરવાનો છે. પ્રસ્તાવનામાં તેઓ લખે છે : (ભાષા-જોડણી મૂળ પ્રમાણે) “મારી મકસદ આ કીતાબ કાઈ મુસાફરીના અહેવાલ દાખલ લખવાની નથી. કેમ જે એવા અહેવાલના પુસ્તકો તો ઘણા મળે છે. પણ અડધું ખારું, અડધું મીઠું, અડધું ખાટું વગેરે પચરંગ મેળવણી કરી મારા મિત્ર વાચનારને હસાવતાં રમાડતાં કાશ્મીર લઈ જવાની મારી ઇચ્છા છે.” આ પુસ્તક આજે પણ હસતાં-રમતાં વાંચી શકાય એવું છે.

e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”; નવેમ્બર 2023 

Loading

...102030...746747748749...760770780...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved