Opinion Magazine
Number of visits: 9457408
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નદીની રેતમાં રમતાં નગરની રેતી ઉલેચાઈ રહી છે 

ચંદુ મહેરિયા|Opinion - Opinion|7 December 2023

ચંદુ મહેરિયા

કવિ આદિલ મન્સૂરીએ અમદાવાદને નગરની રેતમાં રમતું નગર કહ્યું છે. પરંતુ આજે તો નદી કાંઠાના નગરો જ નહીં, ગામડાંઓ પણ નદીની રેતીના અસીમિત ખોદકામથી હેરાન પરેશાન છે. વળી રેતીના ગેરકાયદે ખનનને રોકવાના પ્રયાસમાં જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. હાલના દિવસોમાં જ મધ્ય પ્રદેશના શહડોલમાં ગેરકાયદે રેત કાઢી જતા રેત માફિયાને અટકાવવાનો પ્રયાસ કરતાં તલાટી પ્રસન્નસિંહ પર ટ્રેકટર ચઢાવી દઈ તેમને મારી નાંખ્યા છે. બિહારના જમુઈ જિલ્લાના ગરહી થાણા હેઠળના ચનરવાર પુલ પાસે ગેરકાયદે રેતી ભરેલા ટ્રેકટરને અટકાવવાની ફરજ બજાવતા સબ ઈન્સપેકટર પ્રભાત રંજન પર ટ્રેકટર ચઢાવી દઈને કચડી નાંખવામાં આવ્યા છે. કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં ખાણ અને ખનિજ વિભાગમાં કાર્યરત તેંતાળીસ વર્ષીય ભૂસ્તરશાસ્ત્રી મહિલા અધિકારી કે.એસ. પ્રતિમાની હત્યા કરવામાં આવી છે. આ મહિલા અધિકારીએ ગેરકાયદે રેત ખનન કરતા રેત માફિયાઓ સામે બાથ ભીડી હતી.

હવા અને પાણી પછીનું રેતી માનવજાતને સૌથી ઉપયોગી પ્રાકૃતિક સંસાધન છે. એટલે દુનિયા આખીમાં સૌથી વધુ ખોદકામ કરીને રેતી જ કાઢવામાં આવે છે. નદીઓના કિનારે કે તેના વહેણના પ્રવાહમાં જે ખડકો હોય છે તેનું ઘર્ષણ, કાટ અને હાઈડ્રોલિક ક્રિયાઓ થકી વહેણનાં પાણીથી ધોવાણ થાય છે. નદીઓ જમીનો કાપીને, તેનું ધોવાણ કરીને આગળ ધપે છે. જ્યારે નદીઓ ઊંચાઈ પરથી વહે છે ત્યારે તેનો વેગ વધુ હોય છે. એટલે ઊંચા ઢાળને લીધે નદીઓ ક્ષીણ થાય છે અને કાંપનું વહન કરે છે. મેદાની પ્રદેશોમાં નદીઓનો વેગ અને ઢાળ ઘટતાં કાંપ જમા થાય છે. આ સમગ્ર પ્રક્રિયાથી રેતી બને છે. રેતીનો વિવિધ ઉપયોગ થાય છે. ઘરથી માંડીને બંધ સુધીના તમામ નિર્માણકાર્યમાં, રસ્તાના ડામરકામમાં, કાચ બનાવવામાં, ફોનની સિલિકોન ચિપમાં, ભોજન, શરાબ, સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનમાં, કાગળ, કલર અને પ્લાસ્ટિક બનાવવામાં, કુદરતી ગેસ કાઢવામાં અને માઈક્રોપ્રોસેસરમાં રેતી વપરાય છે. સિંગાપુરે તો ૧૯૬૦માં પાણીમાં રેતી નાંખી તેની જમીનમાં વીસ ટકાનો વધારો કર્યો હતો !

વિશ્વમાં વરસે લગભગ પાંચ હજાર કરોડ ટન રેતી અને કાંકરી નદીઓમાંથી કાઢવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમનો ૨૦૧૯નો અહેવાલ વરસે પાંચ અબજ ટન રેતી કાઢવામાં આવી હોવાનો અંદાજ મૂકે છે. ગુજરાત સરકારના ભૂસ્તર વિભાગનો ઓર્ડિનરી સેન્ડ ગ્રેવલ માઈનિંગ રિપોર્ટ જણાવે છે તેમ રાજ્યના પાટનગરના ગાંધીનગર જિલ્લાની ચાર નદીઓ(ખારી, મેશ્વો, વાત્રક અને સાબરમતી)માં ૧૨.૧૮ કરોડ મેટ્રિક ટન રેતીનો સંગ્રહ છે. ૨૦૨૦-૨૧ અને ૨૧-૨૨માં આ ચાર નદીઓમાંથી ૪૭.૯૬ લાખ મેટ્રિક ટન રેતી કાઢવામાં આવી હતી. કુદરતી પ્રક્રિયાથી રેતી સતત બનતી રહે છે એ ખરું પણ તેને અસીમિત પ્રમાણમાં ઉલેચીને માનવજાત તેની બરબાદી નોતરી રહી છે. ના માત્ર ગુજરાત કે ભારતમાં વિશ્વના સિત્તેર દેશોમાં રેતીનું ગેરકાયદે ખનન મોટા પ્રમાણમાં થાય છે. એટલે જો માત્ર રેતીના કાયદેસર ખનનથી વિપરીત અસરો જન્મતી હોય તો ગેરકાયદેથી તો કેટલી વધુ અસરો થતી હશે.

નદીઓ અને સમુદ્રોના કિનારેથી જે અમર્યાદિત અને અંધાધૂધ રીતે રેતીનું ખોદકામ  થાય છે તેની સૌથી ખરાબ અસર પર્યાવરણ પર થાય છે. તેની લોકોના આરોગ્ય પર અસર થાય છે તથા ઘણી સામાજિક સમસ્યાઓ પણ જન્મે છે. વિશ્વના ૭૦ ટકા સમુદ્રોના કિનારા રેતીરહિત થઈ ગયા છે. રેતી કુદરતી રીતે પાણીને શુદ્ધ કરે છે પણ રેતી ઘટતાં નદીઓના પાણીની સ્વત: જળ શુદ્ધતા ક્ષમતા અને ગુણવત્તા ઘટી છે. રેતીના ખોદાણથી નદીની જીવ વિવિધતા જોખમાય છે. પાણીમાં અમ્લતા વધતાં માછલીઓ મરી જાય છે. નદીઓ ગંદી બની  છે. પ્રદૂષણ વધ્યું છે. લોકો અને કૃષિ પાકોને પાણી મળતું નથી. રેત ખનનથી ગંગા નદીમાં માછલીઓ ખાનારા મગર વિલુપ્ત થઈ રહ્યા છે. નદી અને દરિયાના કિનારા અસ્થિર થાય છે. કિનારામાં તિરાડો પડે છે અને સમુદ્ર તટ ગાયબ થઈ શકે છે. નદી અને સમુદ્રકિનારે વસતા લોકોના જીવન પર રેત ખનનની માઠી અસરો થઈ છે. તેની અર્થવ્યવસ્થા પર પણ અસર જોવા મળે છે.

છેલ્લાં કેટલાંક વરસોથી રેતીની માંગમાં તીવ્ર વધારો થયો છે. વીસ વરસોમાં સિમેન્ટની માંગમાં ૬૦ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. એટલે તે હિસાબે રેતીની માંગ પણ વધી છે. ૧૯૫૦ પછી શહેરીકરણમાં ચાર ગણી વૃદ્ધિ થઈ છે. શહેરીકરણ વધતાં મકાનનિર્માણ અને અન્ય માળખાકીય સુવિધાઓમાં વધારો કરવાનો થતાં રેતીની જરૂરિયાત અનેકગણી વધી ગઈ છે. આ બધાં કારણોને લીધે તથા સરકારી તંત્ર અને રાજકારણીઓની મિલીભગતથી રેતીની ચોરી, હેરાફેરી અને સંઘરાખોરી વધી છે અને તેનું ગેરકાયદે ખોદકામ અનેકગણું વધી ગયું છે.

ભારત સરકારના ધ માઈન્સ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એક્ટ, ૧૯૫૭ પ્રમાણે રેતી ગૌણ ખનિજ છે. તેથી તેના પર રાજ્યોનું નિયંત્રણ છે. તેના માટે રાજ્યોએ કાયદા ઘડીને તેનું નિયમન કરવાનું હોય છે. રાજ્યે રાજ્યે જુદા કાયદા અને વધતા ઓછા દંડથી પણ ગેરકાયદે ખનન વધ્યું છે. ગુજરાતમાં ઈ-ઓકસનથી રેતીની લીઝની હરાજી કરવામાં આવે છે. પરંતુ તેથી ગેરકાયદે રેતી ખોદકામ અટક્યું નથી. ઇન્ડિયન બ્યૂરો ઓફ માઈન્સના આંકડાઓ પરથી ભારત સરકારે રાજ્યસભા પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે ગુજરાતમાં દરરોજ ગેરકાયદે ખનિજ ખોદકામના ૨૧ કેસ થાય છે. તેમાં સૌથી વધુ ખનિજ ચોરી મકાન બાંધકામમાં વપરાતી રેતીની થાય છે. ૨૦૨૦-૨૧માં ૭,૧૬૪ અને ૨૧-૨૨માં ૮,૭૧૩ રેતી ચોરીના બનાવો ગુજરાતમાં બન્યા હતા. સમગ્ર દેશમાં આ વરસોમાં ૧,૭૬,૫૧૧ બનાવો નોંધાયા છે. રેતમાફિયા રેતીના ગેરકાયદે કાળા કારોબાર માટે અવનવા રસ્તા અજમાવે છે. નદીના મધ્યમાં હોડી લઈ જવાનું અને પાઈપલાઈનથી રેતી ખોદીને ભરી જવાનું તેમાંનું એક છે. સેન્ડ વેક્યુમ કે સેન્ડ પમ્પ્સનો ઉપયોગ પણ થાય છે.

વહીવટી તંત્રનું સતત મોનિટરીંગ અને ભ્રષ્ટાચારમુક્ત સુશાસન રેતીના ગેરકાયદે કારોબારને અટકાવી શકે છે. તે માટેના પ્રયાસો પણ થાય છે. અને પોલીસ કે ખનિજ વિભાગના કર્મચારીઓ હિંસાનો ભોગ પણ બન્યા છે. ગુજરાતમાં ત્રિનેત્ર ડ્રોન સિસ્ટમથી નદીના પટમાંથી અનઅધિકૃત રીતે રેતી કાઢી જવાની ઘટનાઓ પકડવાના પ્રયાસો થાય છે. ક્યાંક કંટાળેલા લોકોએ જનતારેડનો આશરો લીધો છે.

આ સમસ્યાના ઉકેલ માટે રેતીના વિકલ્પો પણ વિચારવાના રહે છે. તે દિશામાં રણની રેતીનો ઉપયોગ વિચારી શકાય. મોટા ખડકો તથા ખાણોના પથ્થરોને મશીનોથી બારીક તોડી-પીસીને ક્રશ્ડ સેન્ડનો ઉપયોગ કરી શકાય છે. ગુજરાત, આંધ્ર, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણામાં આવી નિર્મિત રેતીનો ઉપયોગ થઈ રહ્યો છે. રેતી કુદરતી સંસાધન છે. તેની માલિકી લોકોની છે. એ સમજી-વિચારીને લોકોએ તેનો વપરાશ અને સરકારે વહીવટ કરવો જોઈએ. 

e.mail : maheriyachandu@gmail.com

 

Loading

આપ કી કસમ : પત્ની ગુમાવ્યાની નહીં, વિશ્વાસ ગુમાવ્યાની પીડા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 December 2023

રાજ ગોસ્વામી

પતિ-પત્ની વચ્ચે પેદા થતા ખટરાગ પર ફિલ્મ બનાવવી સરળ અને અઘરું બંને છે. સરળ એટલા માટે કે એમાં એક વ્યક્તિને (મોટાભાગે પતિને) દોષિત અથવા દુષ્ટ ચીતરીને દર્શકોની સહાનુભૂતિ એકઠી કરી શકાય છે. અઘરું એટલા માટે કે અંતરંગ સંબંધો ઘણા જટિલ હોય છે અને તેને ક્યારે ય બ્લેક એન્ડ વ્હાઈટમાં વિભાજીત કરીને ન્યાય આપી ન શકાય. મહેશ ભટ્ટ, ગુલઝાર, ઋષિકેશ મુખર્જી, બાસુ ભટ્ટાચાર્ય જેવા નિર્દેશકોએ વૈવાહિક જીવનમાં લાગણીઓ અને વિચારોના ઘર્ષણને તટસ્થ રીતે બહાર લાવવા પ્રયાસ કર્યો છે, પરંતુ મોટા ભાગના ફિલ્મ સર્જકો એવી ગહેરાઈમાં જતા નથી કારણ કે તેમને માત્ર દર્શકોનું મનોરંજન કરીને બોક્સ ઓફિસ પર પૈસા બનાવવામાં રસ હોય છે.

જે. ઓમ પ્રકાશ આ બીજા વર્ગના સર્જક હતા. સ્વતંત્ર નિર્માતા તરીકે તેમની પહેલી જ ફિલ્મ, “આપ કી કસમ” (1974), વિષયને લાગેવળગે છે ત્યાં સુધી, એક સરેરાસ ફિલ્મ હતી, પરંતુ સંગીતકાર રાહુલ દેવ બર્મન અને ગીતકાર આનંદ બક્ષીએ તેમની શાનદાર સર્જનાત્મકતાની મદદથી ફિલ્મને સુપરહિટ બનાવી દીધી હતી.

આમ પણ, જે. ઓમ પ્રકાશની મોટાભાગની ફિલ્મોમાં એ પુરવાર થયું હતું કે તેઓ સાધારણ વાર્તાઓમાં મધુર સંગીત રચતા હતા. જેમ કે, આઈ મિલાન કી બેલા, આયે દિન બહાર કે, આયા સાવન ઝૂમકે, આંખો આંખો મે, આપ કી કસમ, આક્રમણ, અપનાપન, આશા, આશિક હું બહારો કા, આખિર ક્યોં? અને આસપાસનાં ગીતો બેહદ સુંદર હતાં.

લઘુતાગ્રંથિથી પીડાતા પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા હોય તેવા બહુ પાતળા વિષય પર બનેલી ‘આપ કી કસમ’માં, મોટા ભાગની ફિલ્મોમાં બનતું આવ્યું હતું તેમ, સુપરસ્ટાર રાજેશ ખન્ના તો સુપરસ્ટારના રોલમાં હતો, પણ મુમતાઝ પાસેથી જે. ઓમપ્રકાશે દમદાર અભિવ્યકિત કરાવીને સાચે જ ખન્નાને લઘુતાનો અનુભવ કરાવી દીધો હતો.

‘આપ કી કસમ’ તે વખતે ૨૭ વર્ષની મુમતાઝની શ્રેષ્ઠ ફિલ્મ છે અને તેણે ‘કાકા’નો બરાબર મુકાબલો કર્યો હતો. એ રોમેન્ટિક પ્રેયસી તરીકે જેટલી ચુલબુલી અને આકર્ષક હતી, તેટલી જ તે પતિની વાહિયાત શંકાનો ભોગ બનેલી જખ્મી પત્ની તરીકે પ્રેક્ષકોની સહાનુભૂતિ લઇ ગઈ હતી. એ જમાનામાં પત્ની તેના પતિના ગાલ પર તમાચો મારીને ઘરની બહાર નીકળી જાય એવું જે. ઓમપ્રકાશ જ વિચારી શકે.

એ તો દરેક વાર્તામાં છેલ્લે મરી જવાની ‘કાકા’ની જીદના કારણે ‘આપ કી કસમ’માં ય પલડું એના તરફ નમી ગયું. છેલ્લે, ભૂતપૂર્વ પત્નીની દીકરીને લગ્ન મંડપની આગમાંથી બચાવવા જતાં ખુદ સળગી ગયેલો પતિ, જાણે પત્નીની માફી માંગતો હોય તેમ, તેના પગમાં પોતાનો હાથ ફેલાવે છે અને પ્રાણ છોડી દે છે, એ દૃશ્ય કાકાના ચાહકો માટે યાદગાર હતું. બાકી, ફિલ્મનો જો બીજો કોઈ અંત હોય, તો કાકાએ ફરી મુમતાઝ સાથે કામ કરવાનું એ જ રીતે નામ ના લીધુ હોત, જે રીતે તેણે ‘આનંદ’માં પણ છેલ્લે મરી ગયા પછી અમિતાભ સાથે કામ કરવાની તોબા લઇ લીધી હતી.

ફિલ્મમાં ખરી કમાલ આનંદ બક્ષી, આર.ડી. બર્મન અને કિશોર કુમાર-લતાની હતી. ‘કરવટે બદલતે રહે…,’ ‘જય જય શિવ શંકર…’ અને ‘જિંદગી કે સફર મે ગુઝર જાતે હૈ…’ આજે ય પણ એટલાં જ મધુર અને તરોતાજાં લાગે તેવાં ગીત છે. ત્રણેનું શુટિંગ કાશ્મીરમાં થયું હતું. રાજેશ ખન્ના, કિશોર કુમાર અને રાહુલ દેવ બર્મન ક્રિયેટીવિટીની ત્રિમૂર્તિ જેવા હતા.

એમાં ‘જિંદગી કે સફર મે ગુઝર જાતે હૈ’ ગીત ફિલ્મમાં કલગી સમાન તો છે જ, પણ કિશોર કુમારની કારકિર્દીનું પણ શ્રેષ્ઠ ગીત છે. પંચમ આ ગીતને આનંદ બક્ષીનું સૌથી શ્રેષ્ઠ ગીત ગણાવે છે.

આ ગીત માટે આનંદ બક્ષીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, “મુશ્કિલ સિચ્યુએશન થી … રાજેશ કો શક હોતા હૈ અપની બીવી ઔર દોસ્ત પર … ઔર વો ઘર સે ચલા જાતા હૈ. ચાર-પાંચ મિનિટ કે સોંગ મેં વો જવાન સે બુઢા હો જાતા હૈ, સમય ગુજર જાતા હૈ. અબ, ઇસ પર ગાના લીખના થા. ઇસકી ટ્યુન ગાને કે બાદ બની થી … કઈ દફા લિખા ઔર ફાડ દિયા … લેકિન ફિર આ ગયા.”

અને એ કેવું આવ્યું! જે. ઓમપ્રકાશે આખો સીન કલ્ય્પો હતો. આનંદ બક્ષી અને રાહુલ દેવ બર્મને એનું ગીત તૈયાર કર્યું. કિશોર કુમારે એમાં મોણ નાખ્યું. આખું ગીત નિરાશાજનક અને ફિલોસોફીકલ છે. સાંભળો તો એવું લાગે જાણે બક્ષી, બર્મન અને કિશોર ત્રણે જણા નાયક કમલ ભટનાગરના દિલ-દિમાગની ગહેરાઈમાં ડૂબકી મારીને પાછા આવ્યા હોય. 

ફૂલ ખિલતે હૈ, લોગ મિલતે હૈ

પતઝડ મેં જો ફૂલ મૂરઝા જાતે હૈ

વો બહારો કે આને સે ખિલતે નહીં

કુછ લોગ એક રોજ જો બિછડ જાતે હૈ

વો હજારો કે આને સે મિલતે નહીં

ઉમ્ર ભર ચાહે કોઈ પુકારા કરે ઉનકા નામ

વો ફિર નહીં આતે, વો ફિર નહીં આતે

જિંદગી કે સફરે મેં ….

પંચમ મેજિક નામની વેબસાઈટ પર, સંગીત પ્રેમી હેમંત કુલકર્ણી આ ગીતના જાદુને આ રીતે સમજાવે છે :

આ ગીત માત્ર પત્ની અને મિત્ર ગુમાવ્યાની પીડાનું નથી. તે પત્ની અને મિત્રએ કમલમાંથી ગુમાવેલા વિશ્વાસનું અને તેના પશ્ચાતાપનું ગીત છે. વિશ્વાસ એ કોઈપણ સંબંધની બુનિયાદ છે. આ ગીત એ બુનિયાદ ધરાશાયી થયાની પીડાનું છે.

વિશ્વાસની એ બુનિયાદ કેવી રીતે ખરી પડે છે, તેને ગીતમાં કમલના જીવનના અલગ અલગ તબક્કાઓમાં બતાવાયું હતું. એમાં એ રોડ-રસ્તા-રેલ પર દિશાહીન ભટકે છે અને અલગ અલગ પડાવો પર થઈને વૃદ્ધ થઇ જાય છે. આખું ગીત બેકગ્રાઉન્ડમાં છે, કારણ કે કમલ ભિખારીની જેમ ભટકે છે, એની પાસે શબ્દો નથી, પશ્ચાતાપમાં એનો અવાજ જાણે છીનવાઈ ગયો છે, અને એનો અંતરાત્મા બોલવાનું કામ કરે છે!

કમલ એક ટ્રેનમાં ચઢે છે ત્યારે ગીત શરૂ થાય છે. ટ્રેન એક સ્ટેશનથી બીજા સ્ટેશન જાય છે પણ કમલનું કોઈ ડેસ્ટીનેશન આવતું જ નથી. આર.ડી. બર્મને એના સંગીત મારફતે આ દિશાહીનતા અને ઉદેશ્યહીનતાને લાજવાબ રીતે પકડી હતી.

ગીતમાં જે ત્રણ વિરામ છે, ત્યાં આર.ડી. કેવી રીતે સંગીત બદલે છે તે સાંભળજો. પહેલો વિરામ ટ્રેન જ્યારે પાટો બદલીને ટનેલમાં પ્રવેશે છે, ત્યારે આવે છે. એમાં સંગીત એવી રીતે આવે છે, જાણે કમલના જીવનનો પાટો બદલાય છે અને તે અંધારામાં પ્રવેશે છે! (ફૂલ ખિલતે હૈ, લોગ મિલતે હૈ …_)

બીજો વિરામ મંદિરનો ઘંટ વાગે ત્યારે આવે છે. તેમાં કમલની પત્ની સુનિતા (મુમતાઝ) પીળા સલવાર-કમીઝમાં પવનની લહેરખીની જેમ પસાર થાય છે. કમલ એના પસ્તાવામાં ડૂબીને વાસ્તવિકતાથી એટલો દૂર છે કે ઘંટનો અવાજ પણ એનામાં ખલેલ પાડે છે (આંખ ધોખા હૈ, ક્યા ભરોસા હૈ …).

ત્રીજા વિરામમાં ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો ફરક બતાવાયો છે. એમાં સંગીતમાં એક પ્રકારની સકારાત્મકતા અને આશા છે, કારણ કે ગમે તે હોય, જીવન ફરી પ્રગટે છે, સમય તો આગળ જ વધે છે, પણ કમલનું જીવન અને સમય સ્થિર છે. 

સુબહા આતી હૈ, શામ જાતી હૈ, 

વક્ત ચલતા હી રહેતા હૈ, રુકતા નહિ 

એક પલ મેં યે આગે નિકલ જાતા હૈ, 

આદમી ઠીક સે દેખ પાતા નહીં

ઔર પરદે પે મંજર બદલ જાતા હૈ

એક બાર ચલે જાતે હૈ જો સુબહ-ઓ-શામ 

વો…વો ફિર નહીં આતે, વો ફિર નહીં આતે

જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ

વો ફિર નહીં આતે, વો ફિર નહિ આતે

આમાં કિશોર કુમારે બે વખત ‘વો’નો ઉચ્ચાર કર્યો હતો. એમ કરીને તેણે કમલની નિરાશા અને બેબસીને એક પ્રકારની નિશ્ચિતતા આપી દીધી હતી; હવે સાચે જ કોઈ પાછું નહીં આવે. 

(પ્રગટ : ‘સુપર હિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 06 ડિસેમ્બર 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કૉઁગ્રેસે સત્તા-માનસિકતા છાંડવી જોઈશે ભા.જ.પે. વ્યાપક માનસિકતા કેળવવી રહેશે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|7 December 2023

ચૂંટણી પરિણામોના પ્રકાશમાં 

આજે જો મુસ્લિમ મતો વગર નભી જાય છે તો આવતીકાલે દક્ષિણના મતો વગર પણ નભી જવાશેઃ  આ ગણિતમાં પથ્યાપથ્ય વિવેક મુદ્દલ નથી

પ્રકાશ ન. શાહ

તાજેતરમાં ચૂંટણી પરિણામોને કેવી રીતે જોશું વારું ? જ્યાં સુધી ભા.જ.પ.નો સવાલ છે એને વિશે તો એટલું જ કહેવું બસ થશે કે 2024 માટે એનો પથ પ્રશસ્ત હોવાનું ચોખ્ખું દેખાય છે. કાઁગ્રેસની બેઠકો જેટલી ઓછી જણાય છે, એને મળેલા મત એટલા ઓછા નથી એ સાચું, પણ શું ભા.જ.પ. કે કાઁગ્રેસ, એને આપણી ફર્સ્ટ-પાસ્ટ-ધ-પોસ્ટ પ્રથામાં આ પ્રકારનો લાભ મળતો જ રહેવાનો.

જ્યાં સુધી કૉઁગ્રેસનો સવાલ છે, એણે તેલંગાણામાં ફતેહ હાંસલ કરી એથી થોડીક મનોવૈજ્ઞાનિક રાહત અનુભવાતી હોય તો પણ વ્યૂહરચના સહિતને મુદ્દે એણે ખાસા પુનર્વિચારની પ્રક્રિયામાં જવું અનિવાર્ય છે : ઇન્ડિયા એલાયન્સની છઠ્ઠી તારીખની બેઠક હવાઈ ગઈ અને કેવળ ગૃહમાં ફ્લોર મેનેજમેન્ટ જેવા મુદ્દામાં સમેટાઈ ગઇ તે કાઁગ્રેસને પક્ષે ગંભીર વિચાર માગી લે છે.

કાઁગ્રેસે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢમાં ઇન્ડિયા એલાયન્સના સાથીઓને બાજુએ રાખીને ચાલવાનો વ્યૂહ અજમાવ્યો હતો. આ રાજ્યોમાં મુખ્ય પક્ષ અલબત્ત કૉઁગ્રેસ અને ભા.જ.પ. બે જ છે એ દ્વિપક્ષી તરેહની વાસ્તવિકતા સ્વીકાર્યા પછી પણ કાઁગ્રેસ નાના સાથીઓને સહેજસાજ સમાવી શકી હોત. એક મનોવૈજ્ઞાનિક ઉપચાર તરીકે તે જરૂર ઉપયોગી થયો હોત.

દેખીતી રીતે જ કાઁગ્રેસનું ગણિત એવું હતું કે આપણે આ રાજ્યોમાં સત્તાપક્ષ તરીકે ઉભરીશું એને કારણે લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા-સાથીઓ સાથે બેઠક વહેંચણીમાં આપણો હાથ ઉપર રહેશે. પણ જો ધોરણસરના જોડાણની રાજનીતિ કરવી હોય તો આ પ્રકારના ગણિતને ટૂંક નજરી વ્યૂહના ખાનામાં નાખવું પડે. સત્તાપક્ષ તરીકેની જૂની માનસિક્તાની બહાર એ આવશે એવું ઇન્ડિયા એલાયન્સના શરૂઆતના તબક્કામાં લાગતું હતું, પણ –

હવે ત્રીજા અઠવાડિયામાં મળવાની વાત છે ત્યાં સુધીમાં કૉઁગ્રેસ નેતૃત્વ પોતાને પક્ષે અનુકૂલન સારુ બાંધછોડની તૈયારી રાખે એ સલાહભર્યું લેવાશે. બધા સાથીઓનો આગલી ચૂંટણીનો કુલ મતસરવાળો વધારે હોય તો પણ એણે એક એલાયન્સ તરીકે પોતાનું કથનવિધાન (નેરેટિવ) ઉપસાવવું રહેશે, કેમ કે આવી કોઈ પણ ક્વાયત અંકગણિત માત્રથી ચાલતી નથી. એમાં કશુંક રાસાયણિક થવું ઘટે છે એ સાદો નિયમ છે.

આ પરિણામોની ભાત પરથી, થોડા વખત પર જેમ કર્ણાટકમાં તેમ આ વખતે તેલંગાણામાં કૉઁગ્રેસની પ્રતિષ્ઠા થઈ એટલે ચર્ચા ચાલી છે કે, ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે ચોક્કસ અંતર છે. આ પહેલીવારનો મુદ્દો નથી. 1977માં હિંદીભાષી ઇલાકામાં કૉઁગ્રેસની સૂપડાંસાફ હાલત સામે દક્ષિણ દેશમાં એણે અસરકારકપણે ફતેહ મેળવી જ હતી.

વડા પ્રધાને આ તરેહની ચર્ચાને નકારી કાઢી છે. તેમ છતાં, આ ચર્ચામાં રહેલ માયનો કાળજે ધરવા જોગ છે. દક્ષિણનાં રાજ્યોમાં ઇંદિરા-અમ્માની કલ્યાણ યોજનાઓની તેમ પ્રાદેશિક પક્ષોની એક સ્વાભાવિક જગ્યા બનેલી હતી. વળી રાજન કેસ જેવા અપવાદો બાદ કરતાં ઉત્તર ભારતમાં નસબંધી તરેહનો જે આતંક પ્રસર્યો હતો તે નહોતો.

વાત માત્ર આટલી જ નથી. ભા.જ.પ.નું આખું વૃત્તાંત મુસ્લિમવિરોધની રાજનીતિ પર (અલબત્ત ‘વિકાસ’ અને ‘સુશાસન’ના વરખ સાથે) ચાલતું રહ્યું છે. દક્ષિણ ભારતમાં કલ્યાણયોજનાઓ ઘણા સમયથી સહજક્રમે સ્થાપિત છે અને અપવાદરૂપ કેન્દ્રો બાદ કરતાં મુસ્લિમવિરોધની તીવ્ર લાગણી નથી જે હિંદુ મતને દૃઢીભૂત કરી શકે.

ભા.જ.પ.ને પક્ષે ધડો લેવાનો મુદ્દો એ છે કે વ્યાપક વલણવિકાસ વગર સ્વીકૃતિનું અંતર કાપ્યું કપાતું નથી. આટલું કહ્યા પછી અને છતાં એક એવી કલ્પના છેક અવાસ્તવિક નથી કે દક્ષિણનાં થોડાં રાજ્યો કે દેશની મુસ્લિમ લઘુમતી વગર પણ બહુમતી મેળવીને રાજ કરી શકાય છે. રાજ મેળવી શકાય અને કેટલોક સમય કરી પણ શકાય, પણ આ રસ્તો મજબૂત રાજ્ય ને મજબૂત ભારત સારુ સરવાળે અપથ્ય હોઈ શકે છે.

કાઁગ્રેસ અને ભા.જ.પ. સહિત વિવિધ પક્ષોની નિયતિ અંગે નાગરિક છેડેથી વિચારવા જોગ મુદ્દાઓમાં અપેક્ષિત પરિપ્રેક્ષ્ય કદાચ એ છે કે બહુમતીરાજ અને લોકરાજ્ય એવાં જુવારાં કેવી રીતે ભાંગે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 06 ડિસેમ્બર 2023

Loading

...102030...738739740741...750760770...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved