Opinion Magazine
Number of visits: 9741783
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાંચમી જૂનના સંપૂર્ણ ક્રાંતિ દિવસની સાખે નવ્ય કથાનક ઊભરી રહ્યું છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|5 June 2024

આજથી પાંચ દાયકા પર પાંચમી જૂને જયપ્રકાશના આવાહનથી પટણાના ઇતિહાસપ્રસિદ્ધ ગાંધી મેદાન પર સંપૂર્ણ ક્રાંતિ દિવસ મનાવાયો હતો

તમે જોયેલા છેલ્લામાં છેલ્લા દીનહીન જણનો ચહેરો યાદ કરી નિર્ણય લેશો એ ગાંધીદીધા તાવીજ સાથે સમાજવાદી આંદોલનનાં નેવું વરસ સ્વરાજસંધાન સાથે આગળ વધે છે : રાષ્ટ્રચિંતનની સાર્થકતા મૂર્ત માનવ્યમાં અને માનવ્યમાં જ હોઈ શકે 

પ્રકાશ ન. શાહ

ચોથી જૂનના ચુકાદા બાબતે અક્ષરશ: અનભિજ્ઞ છું, કેમ કે આ લખી રહ્યો છું ત્યારે હજુ તો મતદાનનો છેલ્લો (સાતમો) દોર સુધ્ધાં બાકી છે. છતાં આનંદ એ જોગાનુજોગનો છે કે પાંચમી જૂનના અંક માટે લખી રહ્યો છું : આજથી પાંચ દાયકા પર પાંચમી જૂને જયપ્રકાશના આવાહનથી પટણાના ઇતિહાસપ્રસિદ્ધ ગાંધી મેદાન પર સંપૂર્ણ ક્રાંતિ દિવસ મનાવાયો હતો. એક રીતે, એમાં નેવું વરસ પર જેનો સૂત્રપાત થયો હતો એ સમાજવાદી આંદોલનનું સ્વાતંત્ર્યોત્તર સંધાન હતું.

આ ક્ષણે, વાસ્તવિક પરિણામથી નિરપેક્ષપણે પાંચમી જૂનના જોગસંજોગનો અવસર ઝડપી હું એક મુદ્દો ખસૂસ કરવા ઈચ્છું છું – અને તે એ કે વાજપેયીનાં છ વરસ (1998-2004) દરમ્યાના જેના કંઈક દબાતા, કંઈક સંવારેલા ઉદ્દગારો સંભળાતા હતા અને જે કથાનક ઉભરતું આવતું હતું, યથાપ્રસંગ કથિત લિબરલ મેકઅપ સાથે, તે 2014-2024ના આ મોદી દશકમાં એકદમ બુલંદપણે અને પ્રસંગોપાત તો પ્રાકૃત લાગવાની હદે ખાસ ફિકર વગર ઉભર્યું છે. આ કથાનક અલબત્ત ‘રાષ્ટ્ર’નું છે, એની સાંકડી ને આક્રમક વ્યાખ્યાનું છે.

આ કથાનક લગભગ ‘ધ કથાનક’ તરીકે ઉભરેલ ને લાં-આં-આં-બું પથરાયેલ વરતાતું હતું અને વરતાય છે. પણ હમણેના ગાળામાં એક વૈકલ્પિક કથાનક, અને તે પણ સ્વરાજસંધાન સાથે, ઊઘડતું આવે છે. પરિણામથી નિરપેક્ષપણે હવે એ કંઈ નહીં તો પણ વ્યાપક સમાંતર સ્વીકૃતિ ધરાવતું માલૂમ પડે છે. 

આ કથાનકને ગાંધીયુગીન લેખે અંશતઃ પણ ખતવી તો શકાય, પણ એમાં જો લવણ સાટું લડ્યાનું લાવણ્ય છે તો પુના કરારનું ખરબચડું સત્ પણ છે. એની પાસે સદ્દભાગ્યે સાવરકર નથી, પણ મહદ્દભાગ્યે ભગતસિંહ જરૂર છે – એ ભગતસિંહ, જેનો બોંબપ્રયોગ હલકાફૂલકા ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ સરખો હતો, અને જેની મુખ્ય વાત આર્થિક-સામાજિક ન્યાયની હતી.

લાહોર જેલમાં 1929ની આઠમી ઓગસ્ટે જવાહરલાલ ભગતસિંહ અને સાથીઓને મળવા ગયા ત્યારે એક મહિનાથી ભૂખ હડતાળ ચાલુ હોવા છતાં, એમણે આત્મકથામાં સંભાર્યું છે કે ભગતસિંહના ચહેરા પર ઝળકતી બૌદ્ધિક પ્રતિભા આકર્ષતી હતી, અને તે સાથે એના પરની શાંતિ ને સ્વસ્થતા પણ … કેટલી મૃદુતા ને સુજનતાથી એ વાત કરતા હતા!

વોટ્સએપ યુનિવર્સિટીના સૌ લબરમૂછ (કેટલાંક તો મોટી ઉંમરનાં) બાળુડાંને આઝાદીના લડવૈયાઓની વિવિધ ધારાઓ વચ્ચે મતભેત છતાં કેવું સૌહાર્દ હતું એ સમજાય એટલા માટે જવાહરલાલની આત્મકથામાંથી આ ઉલ્લેખ કર્યો છે. મુદ્દાની વાત એ છે કે રાષ્ટ્રવાદના ગર્જનતર્જનમાં ગંઠાઈ ન રહેતાં સમાજવાદે આમ આદમીના આર્થિક-સામાજિક ન્યાયની ચિંતા કરી. તમે જોયેલા છેલ્લામાં છેલ્લા દીનહીન જણનો ચહેરો યાદ કરી નિર્ણય લેશો એ તો ગાંધીદીધું તાવીજ હતું જ. કાઁગ્રેસ સમાજવાદી પક્ષનું પ્રતિનિધિ મંડળ ગાંધીજી સાથે નિરાંતે વાતો કરવા ગયું ત્યારે એના નેતા આચાર્ય નરેન્દ્ર દેવે સરસ કહ્યું હતું કે તમે આવ્યા અને સ્વાતંત્ર્યલડતનો વ્યાપ સુખી મધ્યમવર્ગની વંડી ઠેકીને આગળ વધી રહ્યો છે એના જ અનુસંધાનમાં કિસાનો ને કામદારો સહિત સૌની સહભાગિતાની અમારી સમાજવાદીઓની કોશિશ છે.

પાંચમી જૂને આ પિછવાઈ સંભારણું એટલા વાસ્તે કે બેસતે સ્વરાજે ગાંધીસૂચવ્યા બે કાઁગ્રેસ પ્રમુખો સમાજવાદી જયપ્રકાશ ને સમાજવાદી નરેન્દ્ર દેવ હતા. ગાંધીએ આંબેડકરનું નામ રાષ્ટ્રપતિ પદે વિચાર્યું હતું એવું કવચિત્ સાંભળવામાં આવ્યું હશે, પણ આ લખનાર કને એની કોઈ સાહેદી નથી. અલબત્ત, બંધારણના ઘડતર સાથે આંબેડકરનું સંકળાવું ગાંધીપહેલને આભારી હતું. ગમે તેમ પણ, સ્વરાજના ઉષાકાળે જે નામો શાસનસ્થ નેહરુ-પટેલથી ઉફરાટે ગાંધીને સાંભર્યા તેમાંથી એકને આ દેશના પરંપરાગત વર્ણવાસ્તવની પાકી ખબર હતી તો બીજાને વર્ગવાસ્તવની. 1956 સંકેલાતે સૂચિત લોહિયા-આંબેડકર મુલાકાત આંબેડકરના અસામયિક નિધનથી રહી ગઈ. બાકી, લોહિયાનું આંબેડકર જોગ આગ્રહભર્યું કહેવું હતું કે તમારે સ્વરાજ પછીની રાષ્ટ્રીય ચળવળનું નેતૃત્વ કરવાનું છે, તમે માત્ર દલિત જોધારમલ નથી. (આઠેક વરસ પર અમદાવાદમાં ઉમાશંકર વ્યાખ્યાનમાં આનંદ તેલતુંબડેએ સંભાર્યું હતું કે આંબેડકર બંધારણમાં ‘સમાજવાદ’ – અલબત્ત, લોકશાહી સમાજવાદનો સ્પષ્ટ ઉલ્લેખ ઈચ્છતા હતા.)

સ્વરાજ પછી કાઁગ્રેસમાંથી જુદા પડેલા સમાજવાદી પક્ષના નીતિ વિષયક નિવેદનમાં, આગળ ચાલતાં નેહરુ-ઢેબરની કાઁગ્રેસમાં, પ્રજા-સમાજવાદી પક્ષથી ફારેગ થઈ ભૂદાન આંદોલન ભણી વળતી વખતે જયપ્રકાશે સાથીઓ જોગ લખેલ પત્રમાં, 1977ના જનતા ઢંઢેરામાં, જનતા અવતાર છાંડી ભારતીય જનતા પક્ષ રૂપે લીધેલ આરંભિક ભૂમિકા માંહેલા ગાંધીવાદી સમાજવાદમાં, લોહિયા-પ્રભાવિત ચિંતનને પગલે વી.પી.એ ઘુમાવેલ મંડલાસ્ત્રમાં અને હમણેની કાઁગ્રેસ ભૂમિકામાં તમને આ ઇતિહાસનું સાતત્ય જૂજવે રૂપે જોવા મળશે.

ક્યાંક એ પૂરા કદમાં નહીં તો પ્રભાવિત ટુકડાઓમાં છે, ક્યાંક કોસ્મેટિક પણ હશે.

જો કે, મને પોતાને બે રોમહર્ષક અવસર પંચમઢી કાર્યક્રમ (મે 1952) અને સંપૂર્ણ ક્રાંતિ દિવસ (5 જૂન, 1974) લાગતા રહ્યા છે. પંચમઢીમાં સમાજવાદીઓ મળ્યા તો હતા આકરી હાર પછી, પણ પાવડો, જેલભરો અને મતપેટી – રચનાકાર્ય, અન્યાય પ્રતિકાર તેમ જ લોકશાહી પ્રશિક્ષણની એની ત્રિસૂત્રી રાજ્ય અને સમાજના ધોરણસરના રુધિરાભિસરણ ને ચયાપચયની રીતે બેમિસાલ હતી, છે અને રહેશે.

1974ના માર્ચથી બિહારમાં આવેલ છાત્રઉઠાવ જયપ્રકાશના નેતૃત્વમાં કેવળ વિધાનસભા વિસર્જનની માંગ ન અટકતાં સંપૂર્ણ ક્રાંતિના વ્યાપક અભિગમ ભણી વળ્યો એ સમાજવાદી આંદોલનની સર્વોદયસંધાન સહિતની ગાંધી ઘડી હતી … છે ને આ બધી નવ્ય કથાનકની  ઇતિહાસ-સામગ્રી?

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 05 જૂન 2024

Loading

“If On a Winter’s Night a Traveler” વિશે — 8 (પૂરું)

સુમન શાહ|Opinion - Literature, Opinion - Opinion|4 June 2024

સુમન શાહ

મૉડેથી, કથક ઍપોક્રિફા (કર્તાનામ વિનાની કૃતક રચનાઓ) વિશે વિચારે છે. એને એમ પણ વિચાર આવે છે કે એકાદ ઍપોક્રિફા પોતે રચી કાઢે ને એ માટે એર્મિસ મારન જોડે જોડાઇ જાય. પણ એને થાય છે, મારનને શોધવો ક્યાં? લુદ્મિલા તો કથકને એમ જ કહેવાની કે મારન વિશે પોતે કશું જાણતી જ નથી. ખરેખર તો, લુદ્મિલા કથકની અવગણના કરતી હોય છે.

એક વાર ફરીથી કથક પેલા ‘ઊડતી રકાબીઓ’-વાળા છોકરાઓને જુએ છે, અને કહે છે કે – તમે જે ચૉપડીમાંથી આ જાણ્યું એ ચૉપડી તમને મળી ક્યાંથી એની ખબર છે મને. છોકરાઓને કથક સ્પાયગ્લાસિસ પાસે લઈ જાય છે ને ડેકચૅર પરની પેલી સ્ત્રીને દેખાડવા જાય છે, પણ એ ત્યાં નથી હોતી. એટલે છોકરાઓને કથક પુસ્તકવાચન કરી રહેલા એક પુરુષને દેખાડે છે – પુરુષ નાગરિક પોશાકમાં હોય છે, ખડકાળ પગથિયાં પર બેઠો હોય છે. 

એ પછી, કથકને એક વાચક મળવા આવે છે, અને જણાવે છે કે એની પાસે એક પુસ્તકની બે નકલો છે, નકલો બહારથી સમાન લાગે છે પણ ખોલીએ તો જોવા મળે છે કે એ તો બે જુદી જ નવલકથાઓ છે, જેમાંની એક ટેલિફોનની વાગ્યા કરતી ઘંટડી વિશે છે અને બીજી, કૅલિડોસ્કોપના એક ધનવાન કલેક્ટર વિશે છે. ‘વાચક’ ચિન્તિત છે પણ કથક એને કહે છે કે એ એક બનાવટી નકામું પુસ્તક છે – ‘ફેક બુક’, ભૂલી જા. 

‘વાચક’ વાચન પૂરું કરી શકતો નથી એટલે હતાશ થઇ જાય છે. એટલે, કથક એને જણાવે છે કે પોતે તાકાકુમિ ઇકોકા-ની “On the carpet of leaves illuminated by the moon” નામની એક જપાનીસ નવલકથા, વાંચતો’તો -‘ફેક બુક’. કથક વાચકને પુસ્તક આપે છે, પણ ‘વાચક’ કહે છે કે એ નવલ સાથે પોતાને કશી જ લેવાદેવા નથી. એ વાત સંતાડવા પુસ્તકને એ સીલ મારી દે છે.

‘વાચક’ કથકને જણાવે છે પોતાને ખબર છે કે આ બધાં ‘ફેક્સ’ પાછળ છે કોણ : એર્મિસ મારન. કથક વાચકને કહે છે કે – તું જાતે કર ને કંઈક એ બારામાં. વાચક જણાવે છે કે પોતે સાઉથ અમેરિકાની બિઝનેસ ટ્રિપ પર જશે અને મારનને શોધી કાઢશે. કથક એને જણાવતો નથી કે હાલ તો મારન જપાનમાં છે.

નવલકથાની માત્ર શરૂઆતો થઈ હોય, અધવચ્ચેય ન પ્હૉંચાયું હોય એની કથક વાત કરતો હોય છે. ‘વાચક’ નાયક હોય – પ્રોટેગનિસ્ટ, પણ એને ય ખલેલ પડતી હોય, વળી, એને ‘અન્ય વાચક’ જેવાં બીજાં પાત્રોના તેમજ ‘ફેક’ અનુવાદકના વિચાર આવતા હોય.

‘વાચક’-ને ભગાડી મૂકવા કથક “On the carpet of leaves illuminated by the moon” વાંચવા માંડે છે, જેથી પોતાને ‘અન્ય વાચક’ જોડે થોડો અંગત ટાઇમ મળે. ‘વાચક’-ને સાવ એકલું ન લાગે એ હેતુથી કથક ‘અન્ય વાચક’-ની બહેનને જોડે છે.

વૃક્ષો પરથી જિન્કોનાં પાકાં પાન ખરે છે, કથક અને મિસ્ટર ઓકેડા રસ્તે લટાર મારતા હોય છે. કથક વૃક્ષોનાં પાનની સુન્દરતાની વાત માંડે છે, પણ મિસ્ટર ઓકેડા કશાં પણ વિધાનો નથી કરતા, અવઢવ અનુભવે છે, મૂંગા રહે છે. કથક ઓકેડા-પરિવારમાં રહેવા માંડ્યો છે, અને સૌથી નાની દીકરી માકિકોના સૌન્દર્યને નિહાળતો રહે છે.  

એક દિવસ, મિસ્ટર ઓકેડા, માકિકો અને માકિકોની મા મૅડમ મિયાગી સાથે કથક નદીકાંઠે લટાર મારતો હોય છે. એના ધ્યાનમાં આવે છે કે મૅડમ મિયાગી અને મિસ્ટર ઓકેડા વચ્ચે અણબનાવ છે. કોઇક ક્ષણે, કથક નદીકાંઠેથી જળકમળ લેવા નીચો નમે છે, જોડે જોડે માકિકો અને મૅડમ મિયાગી પણ નીચાં નમે છે, અને કથક માકિકોની ડાબી અને મિયાગીની જમણી સ્તનડીંટળીને અનુભવે છે. કથક ફરી જાય છે ને માકિકોને ચુસ્તીથી સાહી લેવા કરે છે – જાણે કે આકસ્મિક – પણ એના હાથમાં માકિકોની ગોદ હતી – જાણે કે માકિકો કથકને મૂક સમ્મતિ આપતી’તી.  

થોડા દિવસો પછીની વાત, મિસ્ટર ઓકેડા ઉપલબ્ધ નથી હોતા, લાઇબ્રેરીમાં સંશોધન કરતા હોય છે. એ સંશોધન ખરેખર તો કથકે કરવાનું હોય છે, પણ ત્યારે એ કાર્ડ ગોઠવવાં વગેરેની મદદો કરવા લાગેલો. એ કામથી એ કંટાળી જાય છે ને એટલે અવારનવાર માકિકો અને મૅડમ મિયાગીને મળવા ચાલી જાય છે અને એમ પોતાનો બધો સમય એમની સાથે વીતાવે છે.

નવેમ્બરની એક સાંજે, કથક અને માકિકો મધુર મિલનનો પ્લાન બનાવતાં હોય છે, પણ એ દરમ્યાન કથક લવારા કરવા માંડે છે કેમ કે ઉત્તેજિત થઈ ગયેલો, માકિકો ગભરાઈ ગયેલી. કથક બીજા રૂમમાં ચાલી જાય છે, ત્યાં મૅડમ મિયાગી ફૂલો ગૂંથતી હોય છે, મિયાગીની નજર પડે છે કે કથકનું શિશ્ન ઉત્થિત છે. એ એના શિશ્નને વસ્ત્રથી બહાર કાઢી લે છે. 

કથક કપડાં બદલી લે એ માટે મિકાકો બીજાં વસ્ત્ર લાવી હોય છે, પણ એકાએક પાછી ફરી જાય છે, કેમ કે મિયાગીએ કથકને હજી ય ઝાલી રાખ્યો’તો. કથક માકિકોને બૂમ પાડીને બોલાવે છે ને સ્પષ્ટતા કરે છે કે મૅડમ મિયાગી સાથેની પોતાની એ સ્થિતિ એક અકસ્માત છે. પણ મૅડમ મિયાગી કથકને નીચે સુવાડી દે છે, પોતાના બન્ને પગ કથકના શરીર સાથે ભિડાવે છે, ને એને પોતાને ભોગવવા પ્રેરે છે. એ દરમ્યાન, કથક એકાએક જુએ છે કે મિસ્ટર ઓકેડા એમને બન્નેને ભાળી રહ્યા છે, પણ મિસ્ટર ઓકેડા એને નહીં પણ એને અને મૅડમ મિયાગીને જોઈ રહેલી માકિકોને જોઈ રહ્યા છે. 

સરવાળે, કથકને સમજાય છે કે મિસ્ટ ઓકેડા એમની વચ્ચે દખલ થવા ન્હૉતા માગતા અને આમ તો, જોયું ન જોયું કરતા’તા. કથકને પોતાની સ્થિતિ વિચિત્ર લાગે છે, કેમ કે માકિકોએ માની લીધું છે કે પોતે મૅડમ મિયાગીનો પ્રેમી છે, પણ મૅડમ મિયાગીએ એમ સમજી લીધું છે કે કથક માકિકોને ચાહે છે. ખરતાં જિન્કો-પાનના વિચારોમાં કથક મૅડમ મિયાગીના કાનમાં માકિકોનું નામ લવે છે. 

(પ્રકરણ -8 પૂરું) 

= = =

(06/03/24: A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

પાયલ કાપડિયાને કાન્સનો 2024નો ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|3 June 2024

પાયલ કાપડિયા

26 મે, 2024ને રોજ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ માટે ફિલ્મનું નામ બોલાયું – ઓલ વી ઇમેજિન એઝ લાઇટ ! તે એવોર્ડ સ્વીકારવા આમંત્રણ અપાયું પાયલ કાપડિયાને. આ ભારતીય દિગ્દર્શિકાનો પહેલો ઉદ્દગાર હતો, ‘વાઉ! થેન્ક યૂ સો મચ ફોર ધીસ … એન્ડ ધીસ વોઝ બિયોન્ડ માય ઇમેજિનેશન.’ કાન્સનો આ બીજા નંબરનો સૌથી મોટો વૈશ્વિક એવોર્ડ ભારતને નામે ચડી રહ્યો હતો. એ ધન્ય ક્ષણ હતી – ભારત માટે ને પાયલ માટે પણ ! એવોર્ડ લેવા તે મંચ પર એકલી ન આવી. તેણે તેની ત્રણ મહત્ત્વની અભિનેત્રીઓને આમંત્રિત કરતાં કહ્યું કે એમના વગર આ ફિલ્મ શક્ય જ ન હતી. ભાગ્યે જ કોઈ દિગ્દર્શક વિશ્વ કક્ષાનો એવોર્ડ લેતી વખતે કેમેરાની સામે પોતાની અભિનેત્રીઓને આમ આગળ કરતો હશે. 23મીએ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’નો પ્રીમિયર હતો ને ત્રીસ વર્ષે ભારતની કોઈ ડેબ્યુ ફીચર ફિલ્મ આમ નોમિનેટ થઈ હતી. ફિલ્મ પછી સેલેબ્સે અને દર્શકોએ 8 મિનિટ સુધી સતત તાળીઓ વડે સ્ટેન્ડિંગ ઓવેશન આપીને ફિલ્મને ભારે ઉમંગથી આવકારી. કાન્સના ઇતિહાસમાં પણ આવું પહેલી વખત બન્યું હતું. એમ ખબર પડી છે કે આ ફિલ્મ મલયાલમ, મરાઠી અને હિન્દી ભાષામાં બનાવવામાં આવી છે.

પાયલનો જન્મ 1986માં મુંબઇમાં થયો હતો. તેની માતાનું નામ નલિની માલિની. તે પણ ભારતની પ્રથમ જનરેશનની વીડિયો આર્ટિસ્ટ છે. પાયલનું પ્રાથમિક શિક્ષણ આંધ્રની ઋષિ વેલી સ્કૂલમાં થયું ને ત્યાંથી પરત મુંબઈ આવવાનું થયું. મુંબઇમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી તેણે અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું અને સોફિયા કોલેજમાંથી માસ્ટર્સનો અભ્યાસ કર્યો. એ પછી તે ‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા’(FTII)માં ફિલ્મ દિગ્દર્શનનો અભ્યાસ કરવા જોડાઈ. 2014ની પહેલી શોર્ટ ફિલ્મ ‘વોટરમેલન, ફિશ એન્ડ હાફ ઘોસ્ટ’થી પાયલે કેરિયરની શરૂઆત કરી. એ પછી ‘ધ લાસ્ટ મેંગો બિફોર ધ મોન્સૂન’ (2017), ‘એન્ડ વોટ ઇઝ ધ સમર સેઇંગ’ (2018) જેવી ફિલ્મો તેણે બનાવી.

પુરસ્કૃત ફિલ્મ જોઈ નથી, પણ તેની વાર્તા મુંબઇમાં રહેતી બે નર્સ પ્રભા (કાની કુશ્રુતિ) અને અનુ(દિવ્ય પ્રભા)ની આસપાસ ફરે છે. પ્રભાનો પતિ વિદેશમાં રહે છે ને તેની તરફ બહુ ધ્યાન આપતો નથી ને નાની અનુ અપરિણીત છે, પણ તે એક મુસ્લિમ યુવકના પ્રેમમાં છે. એમ કહેવાય છે કે ફિલ્મમાં દર્શાવાતું મુંબઈ, અમીરોનું ફિલ્મી મુંબઈ નથી. મુંબઇમાં લોકો એકલાં હોય કે કોઇની સાથે હોય, ત્યારે કઈ રીતે પારકાં શહેરને પોતાનું બનાવાય છે તે ફિલ્મમાં દર્શાવાયું છે. એવાં મુંબઈમાં પ્રભા અને અનુ તેનાં મિત્રો સાથે એક ટ્રીપ પર જાય છે, જ્યાં તેને પોતાને ને સ્વતંત્રતાને વિષે વિચારવાનું બને છે. કાની કુશ્રુતિ, દિવ્યા પ્રભા, રિધુ હારુન, છાયા કદમ જેવા કલાકારોએ આ ફિલ્મમાં કામ કર્યું છે. પાયલનું આ ફિલ્મ અંગે કહેવું છે કે તે એવી મહિલાઓ વિષે ફિલ્મ બનાવવા માંગતી હતી, જે પોતાનું ઘર છોડીને બીજી કોઈ જગ્યાએ કામ કરવા જતી હોય.

પાયલ કાપડિયા એ પહેલી ભારતીય મહિલા છે, જેની ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની સ્પર્ધામાં વિજેતા નીવડી હોય. આ પહેલાં તેની ડોક્યુમેન્ટરી ‘અ નાઈટ ઓફ નોઇંગ’ને 2021માં કાન્સનો ગોલ્ડન આઈ એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ 2015માં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ, પુણેમાં થયેલી હડતાળને વિષય કરે છે, પાયલ કાપડિયા પોતે એ હડતાળનો ભાગ હતી. થયેલું એવું કે બી.આર. ચોપરાની ‘મહાભારત’ સિરિયલમાં યુધિષ્ઠિરની ભૂમિકા કરનાર ગજેન્દ્ર ચૌહાણની FTIIનાં ચેરમેન તરીકે નિમણૂક થતાં પાયલને અને અન્ય સહાધ્યાયીઓને તેનો વાંધો પડ્યો હતો. આ વિરોધ ચાર મહિના ચાલ્યો…ને પાયલની સ્કોલરશિપ રદ્દ થઈ, એટલું જ નહીં, જે પાંચ સ્ટુડન્ટ્સની ધરપકડ થયેલી એમાં પાયલ પણ હતી. હવે જ્યારે ગ્રાન્ડ પ્રિક્સ મળ્યો છે, તો એ જ ચેરમેન ગજેન્દ્ર ચૌહાણ પાયલને પોતાની વિદ્યાર્થિની ગણાવી તેનો ગર્વ લે છે ને અભિનંદન પણ આપે છે. હવે તો રાજકીય નિમણૂકો અનેક ઉચ્ચ હોદ્દા પર હોય ને તેને સ્વીકારી લેવાય એ સામાન્ય વાત છે, પણ પાયલનાં સમયમાં યોગ્ય હોદ્દા પર યોગ્ય વ્યક્તિ જ હોય એવો આગ્રહ વિદ્યાર્થીઓ પણ રાખતા.

જો કે, રાહુલ ગાંધી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાયલને ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ માટે અભિનંદનો આપ્યાં છે, ત્યારે પાયલ સામેનો કેસ પાછો ખેંચી લઈ ખરેખર જ પાયલ કાપડિયાનું ગૌરવ વધારવું જોઈએ એવું પૂર્વ મંત્રી શશિ થરૂરે વડા પ્રધાનને સૂચવ્યું છે. પાયલે પાંચેક વર્ષ મુંબઇમાં એડવર્ટાઈઝિંગમાં પણ કામ કરી જોયું. એ પહેલાં 2017માં તેની શોર્ટ ફિલ્મ ‘આફટરનૂન ક્લાઉડ્સ’ એક માત્ર ભારતીય ફિલ્મ તરીકે કાન્સ માટે પસંદ કરવામાં આવી હતી. એ પણ સંયોગ છે કે આ જ ફેસ્ટિવલમાં આ વખતે ઘણી ભારતીય ફિલ્મો અને કલાકારોને ઘણી કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે ને એમાં ચમત્કાર એ છે કે ‘ધ શેમલેસ’માં તેનાં અભિનય માટે અનસૂયા સેનગુપ્તાને શ્રેષ્ઠ અભિનેત્રીનું અન સર્ટન રિગાર્ડ પ્રાઇઝ મળ્યું છે. આ ફિલ્મમાં તેનાં અભિનય માટે એવોર્ડ જીતનાર અનસૂયા પણ પહેલી ભારતીય અભિનેત્રી બની છે. આ ઉપરાંત ભારતની બીજી બે ફિલ્મો ‘સનફ્લાવર વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નો’ અને ‘બન્નીહૂડ’ને આ વર્ષનાં મા લા સિનેફ સિલેક્શનમાં અનુક્રમે પહેલું અને ત્રીજું સ્થાન મળ્યું છે. ‘બન્નીહૂડ’ની દિગ્દર્શક મીરઠની માનસી મહેશ્વરી છે. કાન્સનો 77મો ફેસ્ટિવલ એ રીતે પણ ભારત માટે મહત્ત્વનો રહ્યો કે શ્યામ બેનેગલની ફિલ્મ ‘મંથન’ને 48 વર્ષ પછી ફેસ્ટિવલમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ મળ્યું. આમ તો કાન્સનું નામ પહેલી વખત ભારત સાથે 1946માં જોડાયેલું, જ્યારે ચેતન આનંદની ફિલ્મ ‘નીચા નગર’ને આ એવોર્ડ મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ફિલ્મોએ વિદેશી ફિલ્મકારોનું અને પ્રેક્ષકોનું ઠીક ઠીક ધ્યાન ખેંચ્યું છે. મીરા નાયરની 1988ની ફિલ્મ ‘સલામ બોમ્બે’ એ ‘કેમેરા ડી’ઓર’ પુરસ્કાર જીત્યો હતો, તો એમની જ ફિલ્મ’ મોન્સૂન વેડિંગ’ને 2001માં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ધ ગોલ્ડન લાયન’ પુરસ્કાર પણ મળ્યો હતો. 2013ની રીતેશ બત્રાની ફિલ્મ ‘લંચ બોક્સ’ને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ગ્રાન્ડ ગોલ્ડન રેલ એવોર્ડ’ મળ્યો હતો. એ જ વર્ષે સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સૂચિ તલાટીની ફિલ્મ ‘ગર્લ વિલ બી ગર્લ્સ’ને ગ્રાન્ડ જયુરી એન્ડ ઓડિયન્સ પ્રાઇઝ મળ્યું હતું. ગયે વર્ષે પાન નલિનની ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ ઓસ્કાર સુધી પહોંચી હતી. બેનેગલની મંથને ગુજરાતી ડેરી ઉદ્યોગને વિષય કરીને હિન્દી ફિલ્મ બનાવી ને એને 48 વર્ષે કાન્સમાં સન્માનિત કરવામાં આવી. એનો અર્થ એ થયો કે ગુજરાતી વિષય અને ફિલ્મ વૈશ્વિક કક્ષાએ છે અને એની નોંધ લેવી ઘટે. લાગે છે કે ગુજરાતી ફિલ્મોનું ભાવિ વિદેશમાં પણ ઊજળું છે.

આ એવી ફિલ્મો છે, જે ભારતમાં ખાસ પોંખાઈ નથી.

વિદેશમાં વૈશ્વિક કક્ષાનું માન મળતું હોય, તો ઘણી વખત તો તેના કલાકારો હાજરી આપવા ત્યાં સુધી જઈ પણ શકતા નથી.

એ પણ વિચિત્ર છે કે આવી ફિલ્મો માટે નિર્માતાઓ મળતા નથી. ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ અને ‘ધ શેમલેસ’ ફિલ્મના નિર્માતાઓ વિદેશીઓ છે. વિદેશી ફિલ્મ નિર્માતાઓને ભારતીય ફિલ્મોમાં રસ પડે છે, પણ ભારતીય નિર્માતાઓને કલાત્મક ભારતીય ફિલ્મોમાં અપવાદ રૂપે જ રસ પડે છે. ‘12TH ફેલ’ કે ‘લાપતા લેડીઝ’ જેવી ફિલ્મોને મળવા જોઈએ એટલા પ્રેક્ષકો મળતા નથી. ઘણી ઉત્તમ ફિલ્મો ક્યારે આવીને ઊતરી જાય છે, એની ખબર પણ પડતી નથી. પ્રેક્ષકો જ ન જુએ તો કોઈ સારી ફિલ્મ બનાવશે શું કામ? એક તરફ સાધારણ ફિલ્મ માટે 600-700 કરોડનું બજેટ રમતમાં નક્કી થાય છે, જ્યારે સારી ફિલ્મ માટે પ્રોડ્યુસર્સ, એક્ટર્સ મળતા નથી. હિન્દી કે દક્ષિણ ભારતીય ફિલ્મમાં હીરો જેટલી રકમ લે છે, એટલામાં તો આવી આખી ફિલ્મ બની જાય, છતાં આવું સાહસ કરવા ભાગ્યે જ કોઈ તૈયાર થાય છે. ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ને કાન્સનો બીજા નંબરનો સર્વોચ્ચ વૈશ્વિક પુરસ્કાર મળ્યો છે, પણ એને ભારતમાં કેવો આવકાર મળે છે, તે તો આવનારો સમય જ કહેશે. ખરેખર તો પાયલ કાપડિયાની ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ને આખા દેશમાં સરકારે કરમુક્તિ જાહેર કરવી જોઈએ. જે ફિલ્મને કાન્સના પ્રીમિયરમાં આઠ મિનિટનું અપૂર્વ સ્ટેન્ડિંગ ઓવેશન મળતું હોય તેને ભારત સરકાર કરમુક્તિ આપે તેમાં કોઈ ઉપકાર નથી, પણ એમ કરીને તો સરકાર જ ઊજળી દેખાશે.

ફિલ્મ જોયા વગર કોઈ મત બાંધવાનું ઠીક નથી, પણ એટલું તો અગાઉનાં ઉદાહરણો પરથી લાગે છે કે જે વિદેશમાં પોંખાય છે એ ફિલ્મકારો ક્યારેક દેશમાં ગૂંગળાય પણ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 02 જૂન 2024

Loading

...102030...714715716717...720730740...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved