Opinion Magazine
Number of visits: 9457395
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું ઉદારવાદી લોકશાહી ટકી શકશે? આધુનિક લોકશાહીની વિચારધારાના અંતર્વિરોધથી ઉદ્ભવતા પડકારો

પ્રવીણ જ. પટેલ|Opinion - Opinion|6 January 2024

માનવસમાજના ઇતિહાસમાં, પ્રાચીન કાળના કેટલાક અપવાદો બાદ કરતાં, લગભગ અઢારમી સદી સુધી મનુષ્યને જાનવર સમજતી અને ઊંચ-નીચની ભાવના ઉપર આધારિત સામંતશાહી, રાજાશાહી, કે આપખુદશાહી જ મુખ્ય પ્રકારની શાસન-વ્યવસ્થાઓ રહી. આવી શાસન-વ્યવસ્થાઓનાં સરમુખત્યારશાહી વલણોને લીધે વ્યક્તિગત ગરિમા અને સ્વતંત્રતાઓને કુંઠિત કરવામાં આવતી હતી. લોકોના વ્યક્તિગત જીવન ઉપર સામાજિક પરંપરાઓ અને રૂઢિઓનું વર્ચસ્વ હતું. સમાજની તુલનામાં વ્યક્તિનું મહત્ત્વ ગૌણ હતું. પરંતુ, સત્તરમી અને અઢારમી સદીના યુરોપમાં પ્રબુદ્ધતા(the Enlightenment)ના યુગના વિચારકોએ આવા રૂઢિવાદી વિચારોનો વિરોધ કરતાં પ્રતિપાદિત કર્યું કે વધુ સારા અને સુખી સમાજ માટે વ્યક્તિની સ્વતંત્રતા જરૂરી છે. તેમના આ ક્રાંતિકારી વિચારમાંથી વ્યક્તિકેંદ્રી ઉદારવાદી વિચારધારાનો ઉદય થયો. તેની સાથે જ લોકોની શાસનમાં ભાગીદારી, રાજ્યની મર્યાદિત સત્તાઓ, કાયદાનું શાસન, ન્યાય, સામૂહિક હિત, અને સમાનતા ઉપર ભાર મૂકતી લોકશાહી વિચારધારાનો ઉદય પણ થયો. ઉદારવાદ અને લોકશાહી આ બે વિચારધારાઓના સંયોજન રૂપે ઉદારવાદી લોકશાહી અસ્તિત્વમાં આવી. પરંતુ, ઉદારવાદી અને લોકશાહી વિચારધારાઓના આ સંયોજનથી જ વૈચારિક અંતર્વિરોધ ઊભો થાય છે.

કોણ મહત્ત્વનું : વ્યક્તિ કે સમાજ?

ઉદારવાદી અને લોકશાહી મૂલ્યો પરસ્પર પૂરક હોવા છતાં તેમની વચ્ચે નિરંતર ટકરાવ પણ રહે છે. ઉદારવાદી લોક્શાહીની વિચારધારાના અંતર્વિરોધ અને તેમાંથી ઊપજતા તણાવનું મૂળ એક વણઊકલી સમસ્યા છે : કોનું મૂલ્ય વધુ મહત્ત્વનું છે, વ્યક્તિનું કે સમુદાયનું? અર્થાત્, વ્યક્તિગત સ્વતંત્રતા વધુ મહત્ત્વની છે કે સામૂહિક હિત?

ઉદારવાદી લોકશાહી રાજ્યોમાં નાગરિક સ્વતંત્રતાઓની રક્ષાની જોગવાઈ હોય છે. આ સ્વતંત્રતાઓને માનવીય ગૌરવ, વ્યક્તિગત સ્વાયત્તતા, અને સુખની શોધ માટે આવશ્યક માનવામાં આવે છે. તદુપરાંત, રાજ્યમાં વસતા સૌ લોકો વચ્ચે સુમેળ જળવાઈ રહે, સૌ સંપ અને સહકારથી રહે, તેની જવાબદારી પણ રાજ્યની માનવામાં આવે છે. આમ, નાગરિકોના વ્યક્તિગત અધિકારો અને તેમના સામૂહિક હિત વચ્ચે સંતુલન જાળવવાની ફરજ રાજ્યની છે. પરંતુ, ક્યારેક આવું સંતુલન જાળવવાનું મુશ્કેલ થઈ પડે છે. જેને કારણે તણાવ ઊભો થતો હોય છે. આવો તણાવ નીચે જણાવેલ જુદી જુદી રીતે પ્રગટ થાય છે.

અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સામાજિક સંવાદિતા વચ્ચેનો તણાવ

લોકશાહીમાં નાગરિકોની શાસનમાં ભાગીદારી હોવાથી તેઓ વિવિધ પ્રકારની રાજકીય પ્રવૃત્તિઓ કરી શકે તે માટે, તેઓ વિચારોનું જાહેરમાં આદાનપ્રદાન કરી શકે, ચર્ચા કરી શકે, સંગઠન બનાવી શકે તે જરૂરી છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા એ એક એવી પાયાની સ્વતંત્રતા છે જે તમામ નાગરિક સ્વતંત્રતાઓના ઉપભોગ અને રક્ષણ માટે અનિવાર્ય છે.

પરંતુ, આ અધિકારના ઉપયોગથી ક્યારેક અમુક ચોક્કસ વ્યક્તિઓ અથવા જૂથોને નુકસાન થાય ત્યારે તણાવ ઊભો થતો હોય છે. ઉદાહરણ તરીકે, ઈ.સ. ૨૦૧૧માં ફ્રેન્ચ કાર્ટૂન મેગેઝિન ચાર્લી હેબ્દો(Charlie Hebdo)એ એક ધાર્મિક જૂથના સ્થાપકની નગ્ન તસ્વીરોવાળાં કાર્ટૂન પ્રકાશિત કર્યાં હતાં. ત્યારે એ મેગેઝિનની મુખ્ય ઓફિસ ઉપર હિંસક હુમલા થયા હતા. અને ઈ.સ. ૨૦૧૫માં તેની ઉપર ત્રાસવાદી હુમલો થયો હતો જેમાં અનેક લોકો માર્યા ગયા હતા. પરિણામે અભિવ્યક્તિની આઝાદી અંગે વિશ્વવ્યાપી ઊહાપોહ થયો હતો. તે જ રીતે, એપ્રિલ ૨૦૨૨માં આયોજિત એક રેલીમાં વિધર્મીઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ઉચ્ચારણોને પગલે ભારતના હરિયાણા રાજ્યના નૂહ જિલ્લામાં સાંપ્રદાયિક અથડામણો ફાટી નીકળી હતી. આમ જેને હેટ સ્પીચ તરીકે ઓળખવામાં આવે છે તેવી દ્વેષપૂર્ણ અભિવ્યક્તિથી સામાજિક સંવાદિતા અને સૌહાર્દમાં ભંગ પડતો હોય છે, તણાવ ઊભો થતો હોય છે.

વળી, ક્યારેક અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ ખોટી માહિતીના ફેલાવા માટે પણ થતો હોય છે. પરિણામે, જાહેર સલામતી અને વ્યવસ્થા સામે ખતરો ઊભો થાય છે. તથા હાંસિયામાં ધકેલાઈ ગયેલા અથવા નબળા સમુદાયોની સુખાકારી અને સલામતીને જોખમ પણ પહોંચે છે. ખાસ કરીને ફેસબુક અને ટ્વિટર જેવા ઓનલાઈન પ્લેટફોર્મના ઉદયથી સમગ્ર વિશ્વમાં આ પ્રકારની ઘટનાઓમાં ઘણો વધારો થયો છે. જેમ કે, ઈ.સ. ૨૦૧૫માં જર્મનીમાં એક અફવા ફેલાઈ હતી કે એક જર્મન મહિલા ઉપર કોઈ પરદેશી પ્રવાસી (migrant) દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો. જેને સોશિયલ મીડિયા પર લાખો વખત પ્રસારિત કરવામાં આવી હતી. પરિણામે, જર્મનીમાં આવા પરદેશી પ્રવાસીઓ પર હુમલા થયા હતા.

તદુપરાંત, ભારત સહિત સમગ્ર વિશ્વમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓનલાઈન ટ્રોલિંગ, સાયબર ધમકીઓ, અને ઉત્પીડનના અનેક કિસ્સાઓ પણ વધવા માંડ્યા છે. જેથી સમાજમાં તણાવ પેદા થતો હોય છે. જેમ કે, તાજેતરમાં જ એક અમેરિકન મહિલા પત્રકારને ભારતની લોકશાહી અંગે પ્રશ્ન પૂછવા માટે ભારતના કેટલાક લોકો દ્વારા ટ્રોલ કરીને પરેશાન કરવામાં આવી હતી તેનો જાહેર વિરોધ ખુદ યુ.એસ.એ.ની સરકારે કર્યો હતો.

તકોની સમાનતા અને સામાજિક ન્યાય વચ્ચે તણાવ

સૌને જાતિ, લિંગ, અથવા સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના, સફળ અને સુખી થવાની સમાન તક હોવી જોઈએ તે ઉદારવાદી લોકશાહીમાં એક મહત્ત્વનો આદર્શ માનવામાં આવે છે. તકની સમાનતાનો આ સિદ્ધાંત વ્યક્તિગત લાયકાત ઉપર ભાર મૂકે છે, મેરીટોક્રેસીને સમર્થન આપે છે. તદુપરાંત, આવી લોકશાહીમાં સૌની શાસન-વ્યવસ્થામાં સમાન ભાગીદારી છે તેમ માનવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં દરેક વ્યક્તિની બુદ્ધિમત્તા કે શારીરિક ક્ષમતા જેવી જન્મજાત લાક્ષણિકતાઓ સમાન નથી હોતી. વળી, કેટલાક લોકો અનેક કારણસર અભાવયુક્ત જિંદગી જીવતા હોય છે. આમ સમાનતાના સિદ્ધાંતને વરેલા ઉદારવાદી લોકશાહી સમાજમાં અસમાનતા પેદા થતી હોય છે. માટે આવા લોકોને સરકાર તરફથી જરૂરી અને યોગ્ય મદદ મળી રહે તે ન્યાયી સમાજ પાસેથી અપેક્ષિત છે. તેથી સૌ નાગરિકોની સુખાકારી વધારવા, અસમાનતા ઘટાડવા, અને જરૂરિયાતવાળા લોકોને  સલામતી પૂરી પાડવા માટે અનેક પ્રકારની સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે.

પરંતુ, આવા કાર્યક્રમોના આયોજન માટે ધનિક લોકો ઉપર વધુ કરવેરા નાખવામાં આવે છે. તેથી આર્થિક અસમાનતાને ઘટાડવા માટે લેવાયેલાં આવાં પગલાંને કેટલાક લોકો દ્વારા વ્યક્તિગત મિલકત ધરાવવાના અધિકારના ઉલ્લંઘન તરીકે જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે, યુનાઇટેડ સ્ટેટ્સમાં આર્થિક રીતે નબળા નાગરિકોને આરોગ્યસંભાળની સેવાઓ  મળી રહે તે માટે ઓબામાકેર તરીકે ઓળખવામાં આવતો એફોર્ડેબલ કેર એક્ટ (૨૦૧૦) બન્યો. પરંતુ તેને કારણે સંપત્તિ ધરાવવાના અધિકાર પર ભાર મૂકતા ત્યાંના કેટલાક લોકોએ તેનો જબદસ્ત વિરોધ કર્યો હતો.

વધુમાં, આવા કાર્યક્રમોમાં અનેક સામાજિક-ઐતિહાસિક કારણો-સર હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે અનામત જેવાં હકારાત્મક પગલાંનો પણ સમાવેશ થાય છે. પરંતુ, સામાજિક ન્યાય અને સમાનતામાં વૃદ્ધિ કરવા માટે લેવાયેલ આવાં પગલાંથી મેરીટોક્રેસીના સિદ્ધાંતનો ભંગ થાય છે. તેથી વ્યક્તિગત લાયકાતનો અને કાર્યક્ષમતાનો આગ્રહ રાખનારા તેનો વિરોધ કરે છે. ભારતમાં થયેલ અનામત વિરોધી આંદોલનો આ હકીકતનું સમર્થન કરે છે.

નાગરિક સ્વતંત્રતાઓ અને નાગરિક સુરક્ષા વચ્ચેનો તણાવ

ઉદારવાદી લોકશાહીમાં નાગરિકોની સુરક્ષા માટે કાયદો અને વ્યવસ્થાની જરૂરિયાત અને નાગરિક સ્વતંત્રતાના અધિકાર વચ્ચે ઘણી વાર તણાવ થતો હોય છે. એક તરફ, સ્થિર અને શાંતિપૂર્ણ સમાજ માટે કાયદો અને વ્યવસ્થા જાળવવી જરૂરી છે. બીજી બાજુ, નાગરિક સ્વતંત્રતાઓ અને વ્યક્તિગત અધિકારોનું રક્ષણ પણ જરૂરી છે. તેથી ઘણી વખત તણાવ ઊભો થતો હોય છે. ઉદાહરણ તરીકે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ક્યારેક અભિવ્યક્તિની સ્વતંત્રતા અથવા સભા-સરઘસ કે વિરોધ પ્રદર્શનની સ્વતંત્રતા પર પ્રતિબંધો મુકાતા હોય છે ત્યારે આવો તણાવ ઊભો થતો હોય છે.

તદુપરાંત, સાંપ્રત સમયમાં આતંકવાદ અને સાયબર હુમલાઓથી રાષ્ટ્રની સુરક્ષા સામે ગંભીર પડકારો ઊભા થયા છે. તેનો સામનો કરવા માટે સર્વેલન્સ ટેક્નોલોજીનો વિકાસ થયો છે. તેથી પણ આ તણાવ વધુ તીવ્ર બન્યો છે. વિશ્વની અનેક સરકારો સુરક્ષા અંગેનાં જોખમોને શોધવા અને અટકાવવા માટે દેખરેખ(surveillance)માં વધારો કરી રહી છે. અને તે માટે વાયરટેપીંગ, પેગાસસ, બાયોમેટ્રિક ઓળખ, અને AI-સંચાલિત સર્વેલન્સ જેવી ટેક્નોલોજીઓનો વ્યાપક ઉપયોગ થતો હોય છે. અનેક વ્યક્તિઓની, તેમની સંમતિ વિના, અંગત માહિતી એકઠી કરવામાં આવે છે. આથી નાગરિકોનો ગોપનીયતાનો અધિકાર અને રાષ્ટ્રીય સુરક્ષા એ બે મૂલ્યો વચ્ચે પણ ક્યારેક તણાવ ઊભો થતો હોય છે.

વધુમાં, આતંકવાદી હુમલાઓને ટાળવા ક્યારેક સરકારો તકેદારીનાં પગલાં તરીકે, શંકાને આધારે, કોઈ પણ ન્યાયિક પ્રક્રિયા કર્યા વિના, અટકાયત કરતી હોય છે. ભારતમાં આવી રીતે અનેક લોકોની ધરપકડ કરવામાં આવે છે. સ્વાભાવિક રીતે તેનો વિરોધ થતો હોય છે. આમ, કોઈ પણ લોકશાહી સરકાર સામે વ્યક્તિગત સ્વતંત્રતાઓને અયોગ્ય રીતે કુંઠિત કર્યા વિના રાષ્ટ્રની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ એક મોટો પડકાર બને છે.

વ્યક્તિગત સ્વાયત્તતા અને સાંસ્કૃતિક વિવિધતા વચ્ચેના તણાવ

ઉદારવાદી લોકશાહીમાં એક તરફ, વ્યક્તિગત સ્વાયત્તતા, કાનૂન વ્યવસ્થા, સમાનતા, અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવાં મૂલ્યોને સાર્વત્રિક આદર્શો તરીકે જોવામાં આવે છે. તેથી આ મૂલ્યો તમામ લોકોને, તેમની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના, લાગુ પડે એવો આગ્રહ રાખવામાં આવે છે. અને બીજી તરફ, વ્યક્તિગત સ્વાયત્તતાના સિદ્ધાંતને અનુસરીને લોકોને તેમની પોતાની વ્યક્તિગત માન્યતાઓ અને મૂલ્યો સાથે સુસંગત એવી સાંસ્કૃતિક પરંપરાઓ અને મૂલ્યોનું પાલન કરવાની તક મળે છે. જે સાંસ્કૃતિક વિવિધતામાં પરિણમે છે. અને લોકશાહી સમાજમાં સંપ અને સંવાદિતા જળવાઈ રહે તે માટે સમાજના દરેક જૂથના દૃષ્ટિકોણ અને અભિપ્રાયોને સમાયોજિત કરાતો હોય છે. સર્વ સમાવેશિતા પર ભાર મુકાતો હોય છે. પરિણામે ક્યારેક સ્વાયત્તતા, સમાનતા, અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા ઉદારવાદી  સિદ્ધાંતો અને વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓ વચ્ચે સંઘર્ષ પેદા થતો હોય છે.

બહુસંસ્કૃતિ (pluralist) સમાજના સમર્થકો સંસ્કૃતિઓની વિવિધતાનું સન્માન કરે છે. અને સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવાના લોકોના અધિકાર પર ભાર મૂકે છે. ઓળખ(identity)ની રક્ષા માટે આગ્રહ રખાતો હોય છે. તેથી વ્યક્તિગત અધિકારો અને સમાનતા અથવા બિન-ભેદભાવના સિદ્ધાંતો સાથે અથડામણ ઊભી થાય છે. બહુસંસ્કૃતિવાદના સમર્થકો માને છે કે નૈતિકતા અથવા ન્યાયનું કોઈ સાર્વત્રિક ધોરણ નથી. કોઈપણ સંસ્કૃતિનાં મૂલ્યો, પછી ભલે તે ઉદારવાદી વિચારધારાનાં મૂલ્યો હોય, સર્વોપરી ના હોઈ શકે. દરેક સંસ્કૃતિની પોતપોતાની માન્યતાઓ અને પરંપરાઓ હોય છે, જે પોતપોતાની રીતે વાજબી અને કાયદેસર હોવાથી તેમનું સન્માન થવું જોઈએ. આમ તેઓ સાર્વત્રિક સાંસ્કૃતિક આદર્શો કરતાં સાંસ્કૃતિક સાપેક્ષતાને વધુ મહત્ત્વ આપે છે. જ્યારે ઉદારવાદી મૂલ્યોની સાર્વત્રિકતાના સમર્થકો માને છે કે આવાં મૂલ્યોનું સૌએ સમાન રીતે પાલન કરવું જોઈએ. તેઓ સામાજિક-સાંસ્કૃતિક-ધાર્મિક વિવિધતાને બદલે સામાજિક સમરસતા (assimilation) ઉપર ભાર મૂકે છે. ઉદાહરણ તરીકે, કોઈ ચોક્કસ સંસ્કૃતિમાં સ્ત્રીના પ્રજનન અંગછેદનની પ્રથા હોય તો તેનું સન્માન કરવું જોઈએ તેમ બહુસંસ્કૃતિવાદીઓ માને છે. જ્યારે વ્યક્તિગત સ્વાયત્તતા ઉપર ભાર મૂકનારા ઉદારવાદીઓ માને છે કે આવી પ્રથાથી સ્ત્રીઓના વ્યક્તિગત અધિકારોનું ઉલ્લંઘન થતું હોય છે.

તદુપરાંત, ઉદારવાદી લોકશાહી તર્કસંગત વિચાર-વિમર્શ દ્વારા સર્વસંમતિ-નિર્માણ અને સમાધાનના મહત્ત્વ પર ભાર મૂકે છે. તો બીજી બાજુ, દરેક સમાજની સાંસ્કૃતિક પ્રથાઓની કાયદેસરતા ઉપર ભાર મૂકતા બહુસંસ્કૃતિવાદીઓ માને છે કે કોઈ પણ પ્રકારના વિવાદનું નિરાકરણ તેમની વિશિષ્ટ ધાર્મિક કે સાંસ્કૃતિક પરંપરાઓ, ધર્મગ્રંથો, કે ધર્મગુરુઓ દ્વારા થવું જોઈએ, સાર્વત્રિક કાયદાઓ દ્વારા નહીં. જે હકીકતમાં બિન-તર્કસંગત ઉપાયો હોય છે. પરિણામે, જ્યારે વિવિધ સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યો વચ્ચે વિવાદો ઊભા થાય છે ત્યારે સમસ્યાનું સર્વ સ્વીકૃત સમાધાન શોધવામાં મુશ્કેલીઓ ઊભી થાય છે. જેમ કે, ભારતના કેરળ રાજયના સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો નહોતો. પરંતુ, ઈ.સ. ૨૦૧૮માં ભારતની સર્વોચ્ચ અદાલતે આવી ભેદભાવ-ભરી નીતિને નાબૂદ કરતો આદેશ આપ્યો ત્યારે તે રાજ્યમાં આ પ્રથાના સમર્થકો દ્વારા ભારે ઊહાપોહ થયો હતો.

શું ઉદારવાદી લોક્શાહી ટકી રહેશે?

આવા  અંતર્વિરોધ અને તેમાંથી નિપજતા તણાવને કારણે જર્મન વિચારક કાર્લ શ્મિટ (Carl Schmitt : ઈ.સ. ૧૮૮૮-૧૯૮૫) માનતા હતા કે ઉદારવાદ અને લોકશાહી એ બે મૂળભૂત રીતે અસંગત રાજકીય વિચારધારાઓ હોવાથી આખરે તે નિષ્ફળ જશે. તેથી પ્રશ્ન થાય કે શું ઉદારવાદી લોકશાહી ટકી શકશે? પરંતુ, ઉદારવાદી લોકશાહીના આજ સુધીના ઇતિહાસનું વિહંગાવલોકન કરતાં આવા નિરાશાજનક તારણ સાથે સંમત થવું મુશ્કેલ લાગે છે.

અલબત્ત, આ વિચારધારાના ક્રમિક વિકાસના દરેક તબક્કે કોઈ ને કોઈ પ્રકારનો સામાજિક તણાવ ઉત્પન્ન થતો હોવા છતાં તે માત્ર ટકી જ નથી રહી પણ એક સારી શાસનવ્યવસ્થા તરીકે સાંપ્રત વિશ્વમાં વધુ ને વધુ સ્વીકૃત બનતી ગઈ છે. કારણ કે, માનવી બદલાતી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. ઉદાહરણ તરીકે, અઢારમી સદીમાં વિકસેલી ઉદારવાદી લોક્શાહીના આરંભિક તબક્કામાં જ્યારે વ્યક્તિગત સ્વતંત્રતા, સ્વ-હિત, સુખની શોધ, સરકારી હસ્તક્ષેપ, મુક્ત (laisse fair) બજાર આધારિત અર્થવ્યવસ્થા, અને સંપત્તિના અધિકારોના રક્ષણ ઉપર વધુ પડતો ભાર મૂકતા વ્યક્તિવાદી ઉદારવાદને કારણે મૂડીવાદી અર્થવ્યવસ્થા કેન્દ્રસ્થાને આવી ગઈ. જેને કારણે આવક અને સંપત્તિની અસમાનતા ઘણી વધી ગઈ. અને લોકશાહીના સમાનતા, ન્યાય, અને શાસનમાં લોકોની ભાગીદારી જેવા મૂળભૂત સિદ્ધાંતોની અસરકારકતા ઘટી હતી. સામાજિક ભેદભાવ વધ્યા હતા અને સમાજના જુદા જુદા સમુદાયો જેવા કે મહિલાઓ, કામદારો, ગુલામો, કે લઘુમતી સમુદાયોને શાસન વ્યવસ્થામાં ભાગીદારીથી વંચિત રાખવામાં આવ્યા હતા. તેમને નાગરિક ગણવામાં આવતા નહોતા. પરંતુ, બદલાતી સામાજિક, આર્થિક, અને રાજકીય પરિસ્થિતિઓ સાથે નવી સમસ્યાઓ ઊભી થઈ.

તે સમસ્યાઓના ઉકેલ માટે નવાં ઉદારવાદી સમાધાનો શોધાયાં. જેમ કે, ઓગણીસમી સદીના  ઉદારવાદી લોકશાહીના વિકાસના બીજા તબક્કામાં ઉદ્યોગીકરણ, શહેરીકરણ, અને સામ્રાજ્યવાદના વિકાસને લીધે લોકશાહી આદર્શો અને સંસ્થાઓનો પ્રસાર વધ્યો. તેની સાથે મહિલાઓ, કામદારો, ગુલામો, કે લઘુમતી સમુદાયોને નાગરિકતા મળી, મતાધિકારનું વિસ્તરણ થયું. અર્થાત્, શાસનમાં લોકોની ભાગીદારી વધી, રાજકીય સમાનતાનો વિસ્તાર થયો. રાજકીય સમાનતાના વિસ્તારની સાથે સામાજિક-આર્થિક સમાનતાની માંગ ઊભી થઈ. આ વિચારને બળ મળ્યું ઔદ્યોગિક ક્રાંતિના વિકાસથી ઊભા થયેલ નવા સામાજિક અને આર્થિક પડકારોથી. ખાસ કરીને ઔદ્યોગિક કામદારોના અમર્યાદ શોષણ અને તેમની દારૂણ ગરીબીથી અસમાનતાનો પ્રશ્ન વિકટ બન્યો. સુમેળભર્યા સમાજ માટે જરૂરી એવાં સમાનતા અને ન્યાય જેવાં સામુદાયિક મૂલ્યોની અવગણના થવા લાગી. સામાજિક તણાવજન્ય સંઘર્ષ વધ્યો. કામદાર યુનિયનો અને ઔદ્યોગિક હડતાલોનો જન્મ થયો. સામ્યવાદી વિચારોનો પ્રભાવ વધવા માંડ્યો. તેના પ્રતિકાર રૂપે સામાજિક ન્યાય ઉપર ભાર મૂકતી કલ્યાણ રાજ્ય(welfare state)ની કલ્પનાનો ઉદય થયો. જેને કારણે લોકશાહી સરકાર દ્વારા સમાનતા-લક્ષી સામાજિક કલ્યાણના કાર્યક્રમો ચલાવવાની જરૂરિયાત પર ભાર મુકાયો. આમ ઉદારવાદી લોકશાહીના આ બીજા તબક્કામાં વ્યક્તિવાદ કરતાં સામુદાયિક હિતોને વધુ મહત્ત્વ મળ્યું.

પરંતુ, વીસમી સદીમાં કલ્યાણ રાજ્યના આવા વિચારોના અતિરેકથી અનેક લોકશાહી દેશોની સરકારોનું આર્થિક ભારણ વધતું ગયું. ફુગાવો વધવા માંડ્યો. અને વધતા જતા સરાકારી કરવેરાને કારણે મૂડીવાદીઓને મળતા નફા અને આર્થિક લાભો ઉપર કાપ મુકાતો ગયો. આથી મૂડીવાદી અર્થવ્યવસ્થાની ટકી રહેવાની ક્ષમતા અંગે ભય ઊભો થયો. તેથી, ટકાઉ (sustainable) આર્થિક વિકાસ માટે મુક્ત બજારો, મર્યાદિત સરકારી હસ્તક્ષેપ, અને વ્યક્તિગત સ્વતંત્રતાઓ પર ભાર મૂકતી નવ ઉદારવાદી (neo liberalism) વિચારધારાનો ઉદય થયો. ઉદારવાદી  લોકશાહીના આ ત્રીજા તબક્કામાં વધુ આર્થિક સ્વતંત્રતાથી આર્થિક અને સામાજિક પ્રગતિ વધુ થાય છે એ માન્યતા પ્રબળ બની. વ્યક્તિગત સ્વતંત્રતા અને ગ્રાહકની પસંદગી વધુ મહત્ત્વનાં છે એમ મનાવા લાગ્યું. આર્થિક સ્પર્ધાને પ્રોત્સાહન મળે તે માટે લિબરાલાઇઝેશન, પ્રાઈવેટાઈઝેશન, અને ગ્લોબાલાઇઝેશન (LPG) ઉપર ભાર મુકાયો. પરિણામે, સુમેળભર્યા સમાજ માટે જરૂરી એવાં સમાનતા જેવાં સામુદાયિક મૂલ્યોને સ્થાને સ્વ-હિત, સુખની શોધ, ભોગવાદ, અને સંપત્તિના અધિકારોના રક્ષણ ઉપર વધુ પડતો ભાર મુકાયો. અને વ્યક્તિવાદી મૂડીવાદી અર્થવ્યવસ્થા ફરીથી કેન્દ્રસ્થાને આવી ગઈ. તેથી સાંપ્રત વિશ્વના અનેક લોકશાહી દેશોમાં નવ ઉદારવાદ અને સામાજિક કલ્યાણની નીતિઓ વચ્ચે તાલમેલ બેસાડવા માટે આંદોલનો થઈ રહ્યાં છે.

સમાપન 

આમ, ઉદારવાદી લોકશાહી વિચારધારાના વિકાસના દરેક તબક્કે પેદા થતા તણાવને દૂર કરવા માટે સમાધાન શોધવામાં આવ્યાં છે. જો કે, આવાં સમાધાન ક્યાં તો વ્યક્તિપ્રધાન હોય છે અથવા સમાજપ્રધાન હોય છે. પરંતુ, તે બતાવે છે કે ઉદારવાદી લોકશાહી વિચારધારાના વિકાસનો ઇતિહાસ એ એક પ્રકારના ગતિશીલ સંતુલન(dynamic equilibrium)નો ઇતિહાસ છે.

[સાભાર – ‘નવનીત સમર્પણ’]
૧૦૦૧, પવનવીર, પ્રતાપગંજ, વડોદરા – ૩૯૦ ૦૦૨
ઈમેલ:pravin1943gmail.com
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ડિસેમ્બર 2023; પૃ. 06-08

Loading

ચલ મન મુંબઈ નગરી—230

દીપક મહેતા|Opinion - Opinion|6 January 2024

મલબાર પોઈન્ટ પરથી દેખાતું દૃષ્ય 

સમી સાંજના શમિયાણામાં ધીમો ધીમો ધૂપ જલે છે                

ધોળો કાંઠો વાંકડો, કોટ કુલાબો ઠેઠ,

ઇમારતો પથ્થર ચુને, શોભે છે સહુ શ્રેષ્ઠ.

ડાબી પાસ દૂર જોઉં તો, ખીચોખીચ દેખાય,

તાડ, ખજૂરી, મ્હાડ ને, ઝાડ બીજાં સોહાય.

પેલી પાસ એની વળી, ઊંચાં ઘરો જણાય,

ટેકરીઓ ભૂરી ઘણી, ઘાડી હવાયે થાય.

આ શબ્દો લખનાર કવિ નર્મદ જ્યારે પાંચ વરસના હતા ત્યારનું, એટલે કે ૧૮૩૮નું કોલાબા કેવું હતું? ચાલો જઈએ ત્યાં, મિસિસ પોસ્ટાન્સની આંગળી પકડીને.

આ છે કોલાબાનો ટાપુ. નાનકડો, રળિયામણો, પણ સાવ સુસ્ત, એદી માણસ જેવો. પણ અહીંની એક વસ્તુ સારી છે. આરોગ્યપ્રદ હવા. એને બંને કાંઠે દરિયો છે, એટલે દરિયાઈ પવન અહીં સતત વાતો રહે છે. બાકીના ટાપુઓ સાથે જોડતો સારો રસ્તો હવે બની ગયો છે, જે છેક કોલાબાના છેવાડા સુધી જાય છે. એ રસ્તો પૂરો થાય છે ત્યાં દીવાદાંડી ઊભી છે. અને તેની બાજુમાં છે ગાંડાઓ માટેની હોસ્પિટલ. ગ્રેટ બ્રિટનનાં મહારાણીની છઠ્ઠી રેજિમેન્ટ અત્યારે અહીં રહે છે. એ સૈનિકોનાં કુટુંબીજનો પણ અહીં જ રહે છે. બીજા ટાપુઓ પરનાં ઘોંઘાટ અને ધાંધલ ધમાલ અહીં નથી, એટલે ઘણા લોકો અહીં રહેવાનું પસંદ કરે છે.

હા, બીજા ટાપુઓ સાથે કોલાબાને જોડતો રસ્તો બંધાયો નહોતો ત્યારે વાત જુદી હતી. ત્યારે તો અહીં રહેવું એ સજા જેવું મનાતું. એ વખતે બીજા ટાપુઓથી અલગ પડતો આ ખડકાળ ટાપુ. લંબાઈ માંડ એક માઈલ. દરિયામાં ઓટ હોય ત્યારે કોલાબાથી કાદવ-કિચડમાં ચાલીને બીજા ટાપુ પર જઈ શકાય. પણ ભરતી વખતે તો કોલાબાની ચારે તરફ દરિયાનાં મોજાં ઘૂઘવતાં હોય. અહીં રહેતા સૈનિકો અને તેમનાં સગાંવહાલાં કોઈ પાર્ટી માટે બીજા ટાપુ પર ગયાં હોય. ભરતીના સમયનું ઓસાણ ન રહે. આવીને જુએ તો કોલાબાનો ટાપુ તો દરિયાના પાણીથી ઘેરાયેલો. બચારા વીલે મોઢે પાછા જાય, જેમને ત્યાં પાર્ટી હોય તે યજમાનને બધી વાત જણાવી એક રાત પૂરતો વાસો આપવાની અરજ ગુજારે.

તો વધુ હોશિયાર હોય એવા લોકો પોતાના ઘોડાને દરિયાના પાણીમાં ઉતારે અને રવાલ ચાલે આગળ ચલાવે. આમ કરવા જતાં ઘણા બદનસીબ લોકો કોલાબાને બદલે યમસદન પહોંચી ગયા છે. પણ છેવટે આ બધી તકલીફનો અંત આવ્યો. સરસ પાકો રસ્તો ફૂટ પાથવાળો બંધાઈ ગયો છે. દરિયાનાં પાણીની સપાટી કરતાં રસ્તો વધુ ઊંચાઈએ બાંધ્યો છે એટલે ભરતી વખતે પણ તે પાણીમાં ગરક થઈ જતો નથી.

જો કે, મુંબઈ એ લશ્કરના માણસો અને તેમનાં કુટુંબીઓનું માનીતું સ્થળ નથી. મુંબઈ ઈલાકાના બીજા કોઈ સ્થળે જે આરામ, શાંતિ, મોકળાશ હોય તે અહીં જોવા ન મળે. બહાર હો ત્યારે તો શિકાર કરવા જઈ શકો, પિકનિક પર જઈ શકો, અરે, ફરજ પર હો ત્યારે પણ પૂરેપૂરો યુનિફોર્મ પહેરવાની જરૂર નહિ. પણ જો મુંબઈમાં હો તો તો ફરજના બધા કલાક દરમ્યાન ભારેખમ યુનિફોર્મ પહેરી રાખવો પડે. કાં ફોર્ટની રખવાલી કરવાની કે કાં કેમ્પના મેદાનમાં (આજનું આઝાદ મેદાન) જઈને લેફ્ટ-રાઈટ અને કસરતો કરવી પડે. રોજ વહેલી સવારે અફસરોના ઘરે જઈ તેમની પત્ની ચીંધે તે નાનાં-મોટાં કામ કરવાં પડે. અને દરેક સૈનિકને સૌથી વધુ કંટાળો આવે આ ફરજના ભાગરૂપ નહિ એવી ફરજનો.

મુંબઈનું પહેલવહેલું થિયેટર

મુંબઈની બીજી મુશ્કેલી એ કે અહીં આનંદ-પ્રમોદનાં સાધનો લગભગ નહિ. હા, અહીં કોટન ગ્રીન વિસ્તારમાં એક થિયેટર બંધાયેલું ખરું. પણ જ્યારે એ લોકપ્રિયતાની ટોચે હતું ત્યારે પણ તેમાં ભજવાતાં નાટકો કાંઈ બહુ મનોરંજક રહેતાં નહિ. પણ હવે તો એ થિયેટર પણ વેચાઈ ગયું છે. એ સિવાય મુંબઈમાં નથી થતા ફેન્સી મેળાવડા કે નથી થતા સંગીત કે નૃત્યના જલસા. એટલે બનીઠનીને જવાનું પણ ક્યાં, અને મીઠી મીઠી વાતો પણ કરવાની કોની સાથે? હા, પુરુષો માટે સરસ રેકેટ કોર્ટ અને બિલિયર્ડ રૂમ છે. પણ આખા કુટુંબ માટે, અને ખાસ કરીને સ્ત્રીઓ માટે, અહીં મનોરંજનની કશી સગવડ નથી.

હા, દર વરસે જાન્યુઆરીમાં હોર્સ રેસ થાય છે. જેમને રેસિંગનો શોખ હોય તેવા લોકો એ વખતે ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે. ઘોડદોડ માટેનો રેસકોર્સ સારી હાલતમાં હોય છે, કારણ આખું વરસ એની સંભાળ રખાય છે. તેની સાથે ક્લબ હાઉસ પણ આવેલું છે. તેના વરંડાનો ઉપયોગ રેસ વખતે ‘સ્ટેન્ડ’ તરીકે થાય છે. એ વખતે આપણા લોકોનો ઉત્સાહ આસમાને પહોંચે છે. પણ મોટા ભાગના લોકો માટે તો આ એક મેળાવડો છે, જ્યાં છૂટ અને મોકળાશથી એકબીજાની સાથે હળીમળી શકાય છે. પણ રેસમાં ખરો રસ તો એ લોકોને જ હોય, જે કાં ઘોડાના માલિક હોય અથવા જેઓ નિયમિત રીતે દાવ લગાવતા હોય. જો કે અહીંના જોકી તો માત્ર કહેવા પૂરતા જોકી હોય છે. તેમને રેસિંગ અંગે નથી તો ખાસ જાણકારી કે નથી ઝાઝો અનુભવ. એટલે ઘણા ઘોડા માલિકો પોતે જ પોતાના ઘોડા પર બેસી રેસમાં ભાગ લે છે. હા, સફરૂદ્દિન નામનો એક જોકી અંગ્રેજ જોકીની બરાબરી કરી શકે તેવો છે ખરો.

આ હોર્સ રેસિંગ એ પણ એક પ્રકારનો જુગાર જ છે અને બીજા દેશોની જેમ અહીં પણ તેની પાછળ પુષ્કળ પૈસા ખરચાય છે. વળી તેને લીધે ઘોડાના ભાવ છાશવારે વધતા રહે છે. ઘોડાના આરબ વેપારીઓ બરાબર જાણે છે કે રેસ શરૂ થવાના થોડા વખત પહેલાં પોતાના ઘોડા મોં માગ્યા દામે વેચાવાના છે. રેસ કોર્સથી થોડે દૂર આ અરબ વેપારીઓ પોતાના તંબુ તાણે છે. સાથે હોય છે સારા-નરસા ઘોડા, વેચવા માટે. એમના લાંબા લાંબા ઝબ્બા ગંધાતા હોય છે કારણ એ લોકો પોતે નથી રોજ નહાતા કે નથી પોતાના ઝબ્બા રોજ રોજ ધોતા. હા, એ રંગબેરંગી ઝબ્બા પવનમાં ફરફરે ત્યારે મનોરમ દૃષ્ય ખડું થાય છે ખરું. અને હા, ઝભ્ભા ભલે ગમે તે રંગના હોય, એની બોર્ડર તો સોનેરી કે રૂપેરી જ હોવાની.

બહારગામથી મુંબઈ આવનારાઓએ જે સૌથી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે એ છે કે અહીં હોટેલનો સદંતર અભાવ છે. એટલે ભલે દૂરના હોય, પણ કોક ઓળખીતા-પાળખીતાને શોધી કાઢીને તેને ઘરે જ ધામા નાખવા પડે. હા, વિક્ટોરિયા હોટેલ નામની એક હોટેલ છે ખરી, પણ ફોર્ટ વિસ્તારની એક સૌથી વધુ સાંકડી અને સૌથી વધુ ગંદકીભરી શેરીમાં એ આવેલી છે. અને રાતે તો મચ્છરોનાં ઝુંડનાં ઝુંડ તમારી આસપાસ ઊડવા લાગે. એક સારું સેનેટોરિયમ છે ખરું. તેનાં હવાપાણી પણ મજાનાં છે. પણ તેના રૂમ એટલા નાના છે કે એક કરતાં વધુ માણસનો તેમાં સમાવેશ જ ન થઈ શકે. તે દરિયા કિનારે આવેલું હોવાથી ચોવીસે કલાક શીતળ પવનની લહેરખીઓ આવતી રહે છે. અહીંના દરિયાના રેતાળ કાંઠા પર ચાલવું એ પણ એક લહાવો છે.

તંબુ તાણિયા રે લોલ – એસપ્લનેડ પર

પણ જેમના કોઈ ઓળખીતા-પાળખીતા મુંબઈમાં ન હોય તેઓ શું કરે? તેઓ એસપ્લનેડના મેદાનમાં તંબુ તાણીને તેમાં રહે. આવા તંબુને બે છાપરાં હોય. એક અંદરનું, જાડા કપડાનું બનેલું, અને બીજું બહારનું, બાંબુનું બનેલું, તેના પર નાળિયેરી કે તાડનાં પાંદડાં ઢાંક્યાં હોય. આને કારણે અહીંની અસહ્ય ગરમી અંદર રહેનારા માટે થોડે ઓછી આકરી બને છે. જો કે સાંજ પડે એટલે ઠંડા દરિયાઈ પવનની લહેરખીઓ વાતાવરણને શીતળ અને સહ્ય બનાવે છે.

સેન્ટ થોમસ – અસલ ઈમારત

મુંબઈમાં કુલ ત્રણ મુખ્ય ચર્ચ છે. બે પ્રોટેસ્ટન્ટ અને એક પ્રેસબિટેરિયન. તેમાં પ્રેસબિટેરિયન ચર્ચનું મકાન સરસ અને દેખાવડું છે અને તેનું ઓર્ગન પણ મિઠ્ઠું અને સૂરીલું છે. અને એ વગાડનાર પણ પૂરેપૂરો જાણકાર છે. કોટન ગ્રીન પર આવેલું સેન્ટ થોમસ ચર્ચ, જે હકીકતમાં કેથીડ્રલ છે, તેની ઇમારત ખૂબ જ સુંદર અને સોહામણી છે. એ બંધાયું ત્યારે માથે માત્ર અણિયાળું છાપરું હતું. હવે તે દૂર કરીને સરસ મજાનો ગોથિક ટાવર બંધાઈ રહ્યો છે. તેનું બાંધકામ હજી પૂરું થયું નથી, પણ જેટલું થયું છે તે જોતાં કહી શકાય કે તે ખૂબ જ સુંદર થશે. અહીં રોજ સવારે ૧૧ વાગે સમૂહ પ્રાર્થના – મોર્નિંગ માસ – યોજાય છે. બેઠકો ઉપર મોટા મોટા દેખાવડા પંખા ઝૂલતા હોય છે, અને છતાં અંદર અસહ્ય બફારો થતો હોય છે. જ્યાં પુષ્કળ ગરમી પડે છે તેવા બીજા ઘણા દેશોમાં સવારની પ્રાર્થના સૂર્યોદય વખતે જ રાખવામાં આવે છે. મુંબઈમાં એવું કેમ કરતાં નથી એ સમજાતું નથી.

સમી સાંજના શમિયાણામાં – મલબાર પોઈન્ટ પરથી

મુંબઈના રસ્તાઓ, તેના પરની ઇમારતો, એ ઇમારતો પરનાં સુશોભન, ઠેર ઠેર જોવા મળતાં નાળિયેરીનાં ઝુંડનાં ઝુંડ – આ બધાંમાં સૌથી સુંદર શું એ કહેવું મુશ્કેલ છે. પણ મુંબઈમાં જો કોઈ સૌથી વધુ રમ્ય સ્થળ હોય તો તે છે ‘મલબાર પોઈન્ટ’ તરીકે ઓળખાતી ટેકરી. આ ટેકરીને મથાળે એક બંગલો છે. આ બંગલો મૂળે તો સર જોન માલ્કમે બંધાવેલો અને તેઓ ત્યાં રહેતા. પણ હવે જ્યારે પરળના બંગલામાં ગરમી અસહ્ય બને ત્યારે મુંબઈના ગવર્નર મલબાર પોઈન્ટ પરના અ બંગલામાં રહેવા આવે છે. અહીંથી મુંબઈનું જે દૃષ્ય જોવા મળે છે તેને માટે એક જ શબ્દ બસ થાય : અદ્ભુત! અને તેમાં ય સૂર્યાસ્ત વખતે અહીં ઊભા રહીને જુઓ તો તો તમને એમ જ લાગે કે તમે કોઈ સ્વપ્ન નગરીમાં આવી ચડ્યા છો. સૂર્યનું સોનેરી અને ઝળાંહળાં થતું બિંબ અડધું દરિયાનાં પાણીમાં ડૂબી ગયું છે, દરિયાનાં નીલ પાણીનાં શ્વેત મોજાં ઊછળી રહ્યાં છે, કાંઠા પરનાં નાળિયેરીના વનના કથ્થાઈ અને લીલા રંગો પર સોનેરી રંગનો પુટ લાગી ગયો છે. તેના પછી દેખાય છે શહેરના વાંકાચૂંકા રસ્તાઓ અને તેના પર આવ-જા કરતા માણસો. તો દરિયાનાં પાણી પર નાની મોટી હોડીઓ એક પછી એક કાંઠે આવતી જાય છે અને લંગર નાખીને મોજાં સાથે ઝૂલતી રહે છે. અને દરિયા કાંઠે એકઠા થયેલા પારસીઓ નમનતાઈપૂર્વક આથમતા સૂર્યની પૂજા કરી તેના આશીર્વાદ ઝીલી રહ્યા હોય છે. અને એ જ વખતે કિનારા પરનાં મંદિરોમાં સાંજની આરતીનો ઘંટારવ થાય છે અને મસ્જિદોના મિનારા પરથી આઝાન થતી હોય છે. ત્યારે તો એમ જ થાય કે સમી સાંજના શમિયાણામાં ધીમો ધીમો ધૂપ જલે છે.

સ્વર્ગ પણ આનાથી વધુ સુંદર કઈ રીતે હોઈ શકે?

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 06 જાન્યુઆરી 2024)

Loading

ईसाई समुदाय को लुभाने में जुटे मोदी

राम पुनियानी|Opinion - Opinion|6 January 2024

राम पुनियानी

गत 25 दिसंबर, 2023 को प्रधानमंत्री नरेन्द्र मोदी ने कई ईसाईयों को क्रिसमस की बधाई देने और उनसे बातचीत करने के लिए अपने घर निमंत्रित किया। उन्होंने समाजसेवा के क्षेत्र में ईसाई समुदाय के योगदान और प्रभु ईसामसीह की समावेशी शिक्षाओं की सराहना की. उन्होंने ईसाई समुदाय के नेताओं से अपने पुराने और लम्बे संबंधों के बारे में भी अपने मेहमानों को बताया।  इसके कुछ दिन बाद केरल में कुछ सैकड़ा ईसाईयों ने भाजपा कीसदस्यता ले ली। ‘द हिन्दू’ ने लिखा: “भाजपा की राज्य इकाई की कोट्टयम में हुई बैठक में तय किया गया कि ईसाई समुदाय को आकर्षित करने के लिए 10 दिन की स्नेह यात्रा निकाली जाएगी जिसके दौरान पार्टी मणिपुरहिंसा सहित विभिन्न मसलों पर अपनी बात समुदाय के सामने रखेगी”. केरल के मुख्यमंत्री पिनयारी विजयन ने बिलकुल ठीक कहा कि “मणिपुर में हालत यह हो गई है कि आबादी का एक हिस्सा…ईसाई समुदाय वहां रह हीनहीं सकता…हम सबने देखा है कि इस मामले में राज्य और केंद्र दोनों सरकारों ने चुप्पी साध रखी है” (द इंडियन एक्सप्रेस, मुंबई, जनवरी 2 2024).

अगला आम चुनाव नज़दीक है और आरएसएस–भाजपा ने ईसाई समुदाय को लुभाने के प्रयास शुरू कर दिए हैं. जहाँ तक ईसाई समुदाय की वर्तमान स्थिति का सवाल है, उसे विभिन्न राष्ट्रीय और अन्तराष्ट्रीय रपटों औरधार्मिक स्वतंत्रता सूचकांकों से समझा जा सकता है. ‘वादा न तोड़ो अभियान’ के अनुसार देश में हर दिन ईसाईयों की प्रताड़ना की दो घटनाएँ होती हैं. उत्तर प्रदेश में….”करीब 100 पास्टर और आम पुरुष और महिलाएं भीगैर–क़ानूनी धर्मपरिवर्तन करवाने के आरोप में जेलों में बंद हैं, जबकि वे या तो जन्मदिन मना रहे थे या इतवार की विशेष प्रार्थना सभा कर रहे थे.”

एक ज्ञापन के अनुसार सरकार कार्डिनलों और पास्टरों के खिलाफ अपनी विभिन्न जांच एजेंसियों का इस्तेमाल भी कर रही है. यूनाइटेड क्रिस्चियन फोरम के अनुसार, सन 2022 के पहले सात महीनों में ईसाईयों पर हमलों की302 घटनाएं हुईं. नेशनल सॉलिडेरिटी फोरम एंड इवैंजेलिकल फेलोशिप ऑफ़ इंडिया के आर्चबिशप पीटर मेकेडो द्वारा दायर एक याचिका के मुताबिक, “राज्य ऐसे समूहों के खिलाफ त्वरित और आवश्यक कार्यवाही करनेमें असफल रहा है जिन्होंने ईसाई समुदाय के खिलाफ व्यापक हिंसा की, नफरत फैलाने वाले भाषण दिए, उनके आराधना स्थलों पर हमले किये और उनकी प्रार्थना सभाओं में व्यवधान उत्पन्न किये.”

अंतर्राष्ट्रीय धार्मिक स्वतंत्रता पर अमरीकी आयोग (यूएससीआईआरएफ) ने लगातार चौथे साल भारत को ‘विशेष सरोकार’ वाला देश निरुपित किया है और अमरीकी सरकार से कहा है कि वह इस तथ्य को ध्यान में रखते हुएअपनी नीतियां बनाए.

ओपन डोर्स के अनुसार, “वर्तमान सरकार के मई 2014 में सत्ता में आने के बाद से ईसाईयों पर दबाव में नाटकीय वृद्धि हुई है…हिन्दू अतिवादी अन्य धर्मों के लोगों पर बिना किसी भय के हमले करते हैं और कुछ इलाकों मेंउन्होंने गंभीर हिंसा की है…बड़ी संख्या में राज्य सरकारें धर्मांतरण–विरोधी कानून लागू कर रही हैं जिनका घोषित उद्देश्य हिन्दुओं का जबरदस्ती दूसरे धर्मों में परिवर्तन रोकना है मगर असल में उनके बहाने ईसाईयों को धमकायाऔर प्रताड़ित किया जाता है…पास्टर होना इस देश में सबसे ज्यादा जोखिम वाला काम बन गया है. हिन्दू अतिवादी पास्टरों पर हिंसक हमले करते हैं ताकि आम ईसाईयों के मन में डर का भाव बैठाया जा सके.”

ईसाई समुदाय  की वर्तमान स्थिति की जड़ में है हिन्दू राष्ट्रवादी आख्यान जिसमें इस्लाम और ईसाईयत को विदेशी धर्म माना जाता है. आरएसएस के द्वितीय सरसंघचालक एम.एस. गोलवलकर ने अपनी पुस्तक “बंच ऑफ़थॉट्स” में लिखा है कि ईसाई और कम्युनिस्ट, हिन्दू राष्ट्र के आतंरिक शत्रु हैं.

आरएसएस की शाखाओं में भी इसी आशय की बातें सिखाई जातीं हैं. हिन्दू राष्ट्रवादी गतिविधियों में उछाल के साथ ईसाईयों के खिलाफ हिंसा सबसे पहले देश के आदिवासी इलाकों में शुरू हुई. प्रचार यह किया गया किईसाई मिशनरीज़ ज़बरिया, धोखाधड़ी और लोभ–लालच से आदिवासियों को ईसाई बना रही हैं. ईसाई धर्म भारत के सबसे पुराने धर्मों में से एक है. ऐसा कहा जाता है कि सेंट थॉमस मालाबार के तट पर उतरे और 52 ईस्वी मेंउन्होंने वहां देश के पहले चर्च की स्थापना की. कुछ अन्य स्त्रोतों के अनुसार वे चौथी सदी में मालाबार आये थे. सन 2011 की जनगणना के अनुसार, देश की कुल आबादी में ईसाईयों का प्रतिशत 2.3 है. मजे की बात यह हैकि सन 1971 से इसमें लगातार गिरावट आ रही है: 1971- 2.60%, 1981-2.44%, 1991-2.34%, 2001-2.30%, 2011-2.30% (सभी आकंड़े जनगणना से).

मगर बेसिरपैर के दुष्प्रचार के नतीजे में गुजरात के डांग में सबसे पहले (25 दिसंबर 1998 से लेकर 3 जनवरी 1999 तक) ईसाई–विरोधी हिंसा हुई. इसकी बाद, 22 जनवरी 1999 की रात आरएसएस के अनुषांगिक संगठन बजरंग दल के कार्यकर्ता राजेंद्र पाल उर्फ़ दारासिंह ने पास्टर ग्राहम स्टेंस और उनके दो मासूम पुत्रों को जिंदा जला दिया. दारा सिंह इस समय उम्र कैद की सज़ा काट रहा है. इस घटना को तत्कालीन राष्ट्रपति डॉ के.आर. नारायणन ने “दुनिया के काले कारनामों की सूची का हिस्सा” बताया. स्टेंस ऑस्ट्रलियाई मिशनरी थे और ओडिशा के क्योंझर, मनोहरपुर में काम करते थे. जब वे अपने दो बच्चों टिमोथी और फिलिप के साथ एक खुली जीप में सो रहे थे तब दारा सिंह ने कुछ लोगों के साथ मिलकर तीनों को जिंदा जला दिया. आरोप यह लगाया कि कुष्ठ रोगियों की सेवा के बहाने वे धर्मपरिवर्तन करवा रहे थे.

घटना की जाँच के लिए नियुक्त वाधवा आयोग ने पाया कि पास्टर स्टेंस धर्मपरिवर्तन में संलग्न नहीं थे और जिस इलाके में वे काम कर रहे थे वह की ईसाई आबादी में कोई बढोत्तरी नहीं हुई थी. इसके बाद से दूर–दराज के इलाकों में ईसाई–विरोधी हिंसा जारी रही. अधिकांश मामलों में इस तरह की हिंसा क्रिसमस के आसपास होती थी. फिर 25 अगस्त 2008 को ओडिशा के कंधमाल में भयावह हिंसा शुरू हुई जिसमें 100 से ज्यादा ईसाई मारे गए, ईसाई महिलाओं के साथ दिल दहलाने वाली बलात्कार की घटनाएं हुईं और कई चर्चों को आग के हवाले कर दिया गया. तबसे ईसाई–विरोधी हिंसा चल ही रही है यद्यपि यह सुनिश्चित किया जाता है कि उस पर ज्यादा शोरशराबा न हो. अक्सर दूरदराज के इलाकों में काम रहे पादरियों को तब घेरा जाता है जब वे प्रेयर मीटिंग संचालित कर रहे हों. बजरंग दल और उसके जैसे अन्य संगठनों के सदस्य प्रेयर मीटिंग्स में बाधा डालते हैं. पादरियों को पुलिस द्वारा गिरफ्तार किया जाता है और उन्हें परेशान किया जाता है.

मणिपुर में ईसाईयों के खिलाफ करीब सात महीनों से हिंसा चल रही थी. कुकी, जिनमें से अधिकांश ईसाई हैं, डबल इंजन सरकार के निशाने पर हैं. मणिपुर और दिल्ली दोनों में भाजपा की सरकारें हैं. प्रधानमंत्री ने साफ़ कर दिया है कि इस ईसाई–विरोधी हिंसा को रोकना उनकी सरकार की प्राथमिकताओं में नहीं है. वे दुनिया भर में जा रहे हैं मगर मणिपुर के लिए उनके पास वक्त नहीं है. कुछ हिम्मतवर सामाजिक कार्यकर्ताओं और पत्रकारों ने इस इलाके में भ्रमण कर हिंसा की आग को बुझाने का प्रयास किया लेकिन सरकार की उदासीनता के चलते इस खाई को भरना मुश्किल होगा.

इस समय प्रधानमंत्री मोदी जो कर रहे हैं, वह केवल छवि बनाने की कवायद है. केरल में कई धनी ईसाई इस हिन्दू बहुसंख्यकवादी राजनीति के जाल में फँस रहे हैं. यह भी सच है कि ईडी, इनकम टैक्स आदि के कहर से बचने के लिए ईसाई समुदाय के शीर्ष धार्मिक नेतृत्व का एक हिस्सा सरकार के साथ खड़ा होने को आतुर है.

हमें यह समझना होगा कि मोदी एंड कंपनी एक तरफ तो ईसाई समुदाय को हाशिये पर धकेल देना चाहते हैं तो दूसरी ओर वे चुनावों में उनके+  वोट भी हासिल करना चाहते हैं.

(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

...102030...701702703704...710720730...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved