Opinion Magazine
Number of visits: 9457413
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આદિવાસી અધિકારોનો સબળ અવાજ : જયપાલ સિંહ મુંડા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|10 January 2024

ચંદુ મહેરિયા

દલિતોને બંધારણીય રાહે અનામત અને વિશેષ સગવડો ડો. બાબાસાહેબ આંબેડકરની લડતને કારણે મળી શકી છે. પરંતુ આદિવાસીઓને શું આપમેળે જ અનામત અને અન્ય લાભો મળી ગયા છે ? કે તે માટે કોઈએ પ્રયત્નો કર્યા હતા ? આ પ્રશ્નનો જવાબ આદિવાસીઓની હાલની પેઢી પણ ઝટ દઈને આપી શકતી ન હોય એ હદે આદિવાસીઓના બંધારણીય અધિકારો માટે સંઘર્ષરત જયપાલ સિંહ મુંડા(૧૯૦૩-૧૯૭૦)ને વિસરી જવાયા છે. ભારતની બંધારણ સભાના અલ્પ આદિવાસી સભ્યો પૈકીના એક જયપાલ સિંહ મુંડાને જ લીધે આદિવાસીઓના અનામત સહિતના લાભોને બંધારણીય સંરક્ષણ પ્રાપ્ત થઈ શક્યું છે.

આજથી એકસો વીસ વરસ પૂર્વે ત્રીજી જાન્યુઆરી ૧૯૦૩ના રોજ, તત્કાલીન બંગાળ પ્રેસિડેન્સીના અને વર્તમાન ઝારખંડના ખૂંટી જિલ્લાના ટકરા ગામે મુંડા આદિવાસી પરિવારમાં જયપાલ સિંહનો જન્મ થયો હતો. બચપણનું નામ પ્રમોદ પાહન. પિતા અમરુ પાહન અને માતા રાધામુનિના આ સંતાનનું આરંભિક શિક્ષણ પૈતૃક ગામમાં થયું હતું. ગામથી માંડ પંદર કિલોમીટર દૂર રાંચીની ખ્રિસ્તી મિશનરીઓની અંગ્રેજી શાળા સેન્ટ પોલ સ્કૂલમાં એ દાખલ થયા અને જાણે કે જીવનની દિશા બદલાઈ ગઈ. આ આદિવાસી બાળકની કુશાગ્ર બુદ્ધિ અને પ્રતિભાને કારણે સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર કેનનની તેના પર વિશેષ નજર હતી. એટલે ધર્મ પલટો કરીને તેને ખ્રિસ્તી બનાવાયો. સાથે નામ અને અટકમાં પણ પલટો થયો. મુંડાએ તેમની આત્મકથા Lo Bir Sendraમાં નોંધ્યું છે તેમ પ્રમોદ પાહનમાંથી તેમનું નવું નામ અને અટક જયપાલ સિંહ મુંડા કદાચ તેમને ૧૯૧૧માં સ્કૂલમાં જ મળ્યું હતું.

જયપાલ સિંહ મુંડા

આદિવાસી બાળક જયપાલને અંગ્રેજોની શાળામાં ભણવાનો મોકો તો મળ્યો, ઈ.સ. ૧૯૧૮માં તેમની પંદર જ વરસની વય હતી ત્યારે ફાધર કેનન તેમને બ્રિટન લઈ ગયા. આ વિદેશગમન મુંડાની જિંદગીનું મહત્ત્વનું વળાંક બિંદુ હતું. બ્રિટનમાં રહીને તે ઓકસફર્ડમાં ભણ્યા. અહીં જ તેમણે મેટ્રિકથી અનુસ્નાતક સુધીનો અભ્યાસ ઊંચા મેરિટ સાથે કર્યો. અભ્યાસની સાથે તે હોકી રમતા. તેમાં એવી તો મહારત હાંસલ કરી કે પરતંત્ર ભારતની હોકી ટીમના તે કેપ્ટન બન્યા. ઈ. ૧૯૨૮માં ભારતની હોકી ટીમે ઓલમ્પિક્માં ગોલ્ડ મેળવ્યો તે ટીમના મુંડા કેપ્ટન હતા. ઓકસફર્ડ યુનિવર્સિટીનો આ વિધ્યાર્થી આદિવાસી, કલર્ડ અને એશિયનની ભેદભાવસૂચક ઓળખ અને ભેદભાવ છતાં આગળ વધતો રહ્યો. બ્રિટનમાં ભણતા આદિવાસી યુવાન મુંડાએ આ દિવસોમાં જ ઇન્ડિયન સિવિલ સર્વિસની અઘરી પરીક્ષા પાસ કરી. આવી મોભાદાર નોકરીની પરીક્ષા પાસ કરનારા તેઓ પ્રથમ આદિવાસી હતા. પરંતુ હોકીની ઓલિમ્પિક અને આઈ.સી.એસ.ની ટ્રેનિંગ વચ્ચે પસંદગી કરવાની આવી ત્યારે એમણે હોકીને પસંદ કરી હતી.,આઈ.સી.એસ. છોડ્યું હતું.

હોકીમાં કારકિર્દીની ટોચે હતા ત્યારે એમણે હોકીને અલવિદા કરી. ઓલિમ્પિક ગોલ્ડ હોકી ટીમના એમના સાથી મેજર ધ્યાન ચંદે આત્મકથા ‘ગોલ’માં મુંડા પ્રત્યે આચરાતો ભેદભાવ તેનું કારણ હોવાનો નિર્દેશ કર્યો છે. કોલકત્તામાં બર્મા ઓઈલ કંપનીમાં મુખ્ય અધિકારી તરીકે તેમની નિમણૂક થઈ હતી તે દરમિયાન પ્રતિષ્ઠિત બંગાળી રાજકીય ઘરાનાનાં તારા બેનરજી સાથે ૧૯૩૨માં તેમણે લગ્ન કર્યા. બહુમુખી પ્રતિભા ધરાવતા મુંડાએ દેશમાં અને વિદેશમાં અધ્યાપન પણ કર્યું હતું. બિકાનેર રજવાડાના મહેસૂલ અને વિદેશ સચિવ તથા કશ્મીરના રાજા હરિસિંહના દીકરા કર્ણ સિંહના ટ્યુટર પણ તેઓ હતા. વીસ વરસના વિદેશ વસવાટ પછી તેઓ ભારત પરત આવ્યા ત્યારે મિશનરીઓની અપેક્ષા પ્રમાણે આદિવાસીઓમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર-પ્રસારને બદલે તેમણે જાતભાઈઓનાં શોષણ અને બદતર હાલતમાં પરિવર્તન આણવાનો માર્ગ પસંદ કર્યો.

જયપાલ સિંહ મુંડાએ બિહાર અને અન્યત્ર આદિવાસીઓનાં રોજગાર અને શિક્ષણની સ્થિતિ નજરે નિહાળી. તત્કાલીન કાઁગ્રેસ નેતાઓ તે અંગે કંઈ કરે છે તેમ ના લાગતાં તેમણે આદિવાસીઓમાં રાજકીય જાગૃતિના પ્રયાસો આદર્યા, ૧૯૩૯માં તેમણે અખિલ ભારતીય આદિવાસી મહાસભાની સ્થાપના કરી. તેમના અધ્યક્ષસ્થાને ચાર જ મહિના પછીની જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં તેમણે ૩૮ બેઠકો મેળવી. એટલે કાઁગ્રેસને તેઓ પડકારરૂપ લાગ્યા. ઠક્કરબાપાના પ્રમુખપદે કાઁગ્રેસે પણ આદિવાસીઓનું સંગઠન ઊભું કર્યું. ૧૯૪૦માં કાઁગ્રેસનું વાર્ષિક અધિવેશન રામગઢમાં યોજાયું ત્યારે મુંડાએ લગભગ તેને સમાંતર એવી આદિવાસીઓની મહાસભા યોજી. તેમાં કાઁગ્રેસના નારાજ નેતા સુભાષચંન્દ્ર બોઝને નિમંત્રીને તો વળી નવી ચેલેન્જ ફેંકી. આદિવાસી બહુલ ૨૬ જિલ્લાનું અલગ ઝારખંડ રાજ્ય રચવાની તેમણે માંગ કરી. સુભાષબાબુએ પહેલાં સ્વરાજ પછી અલગ રાજ્યની સલાહ આપતાં આદિવાસી મહાસભા પૂર્ણ સ્વરાજ અને હિંદ છોડો ચળવળમાં જોડાઈ અને હજારો આદિવાસીઓએ જેલ ભોગવી જમશેદપુરના કારખાનાઓમાં કામ કરતા આદિવાસી કામદારોના અધિકારો માટે મુંડાએ આદિવાસી લેબર ફેડરેશન પણ બનાવ્યું હતું.

આઝાદી પહેલાં સ્વતંત્ર ભારતના બંધારણની રચનાની પ્રક્રિયા શરૂ થઈ હતી. મુંડા તેમાં સક્રિય હતા. એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે તેઓ બંધારણ સભામાં ચૂંટાયા હતા. બંધારણ સભામાં તેમણે આદિવાસીઓના અધિકારોની ધારદાર રજૂઆત કરી હતી. આદિવાસીઓ માટે શિક્ષણ, નોકરીઓ અને રાજકારણમાં અનામત બેઠકો મુંડાની રજૂઆતોનું પરિણામ છે. રાજકીય અનામતો માટેની ૧૦ વરસની મર્યાદા તેમને સ્વીકાર્ય નહોતી. બંધારણ સભામાં તેમણે કહ્યું હતું કે દસ વરસમાં ભારત કંઈ સ્વર્ગ નથી બની જવાનું. આટલાં વરસોમાં ના તો રાજકીય જાગૃતિ આવશે કે ના તો યોગ્ય પ્રતિનિધિત્વ ઊભું થશે. દર દાયકે લંબાવાતી રાજકીય અનામતોની મુદ્દતે મુંડાને સાચા ઠેરવ્યા છે.

બંધારણ સભામાં અને મહત્ત્વની સમિતિઓમાં આદિવાસીઓના અને ખાસ તો આદિવાસી મહિલાઓના અલ્પ પ્રતિનિધિત્વનો મુદ્દો તેમણે ઉઠાવ્યો હતો. તેઓ ઈચ્છતા હતા કે બંધારણમાં આદિવાસીઓ માટે અનુસૂચિત જાતિને બદલે આદિવાસી શબ્દ જ પ્રયોજાય. દારૂબંધીને બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સામેલ કરવાના પણ તેઓ વિરોધી હતા. તેઓ દારૂને આદિવાસીઓના જીવનનો ભાગ માનતા હતા. આદિવાસીઓને લગતી બંધારણની પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ પણ તેમની બંધારણ સભાના સભ્ય તરીકેની સબળ રજૂઆતોને કારણે જ શક્ય બની છે.

૧૯૫૦માં આદિવાસી મહાસભાનું ઝારખંડ પાર્ટીમાં તેમણે રૂપાંતર કરીને આદિવાસીઓનો રાજકીય અવાજ બુલંદ કર્યો. ૧૯૫૨ની ચૂંટણીમાં તેના ૩૨ ઉમેદવારો ધારાસભામાં અને ૪ લોકસભામાં ચૂંટાયા હતા. આ વિજયે મુંડાને આદિવાસી સમાજની રાજનીતિનો પ્રાણવાયુ સાબિત કર્યા. ૧૯૫૭માં તેના વધુ ઉમેદવારો વિજયી બન્યા. એટલે ૩૪ ધારાસભ્યો અને ૫ સંસદસભ્યો બન્યા. જો કે ૧૯૬૨માં તેના લોકસભામાં તો પાંચ ઉમેદવારો જીત્યા પણ ધારાસભ્યો ઘટીને ૨૨ જ થઈ ગયા. મુંડા લાગલગાટ ચાર વખત ખૂંટી મતવિસ્તારમાંથી જ સંસદમાં ચૂંટાતા રહ્યા હતા. ૧૯૬૨માં તેમના પક્ષના ૨૨માંથી ૧૨ ધારાસભ્યોને કાઁગ્રેસે પક્ષપલટો કરાવ્યો. તેથી લાચાર મુંડાએ ઝારખંડના અલગ રાજ્યની રચનાની શરતે પક્ષનો કાઁગ્રેસમાં વિલય કર્યો. કાઁગ્રેસે મુંડાને બિહારના નાયબ મુખ્ય મંત્રી તો બનાવ્યા પણ અલગ રાજ્ય ના બનાવ્યું. તેથી નારાજ મુંડાએ એક જ મહિનામાં રાજીનામુ આપ્યું. છેક ૨૦૦૦ના વરસમાં ઝારખંડનું નોખું રાજ્ય રચાયું ત્યારે મુંડાનું સ્વપ્ન સાકાર થયું.

૬૭ વરસની વયે ૨૦મી માર્ચ ૧૯૭૦ના દિવસે દિલ્હીમાં તેમનું અવસાન થયું હતું. હોકીના સર્વોચ્ચ ખેલાડી તરીકે તેમને ઓક્સફર્ડ બ્લૂનો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ ખિતાબ મેળવનારા તેઓ એક માત્ર ભારતીય છે. ઘર આંગણે આદિવાસીઓએ તેમને પ્રેમ અને આદર સાથે ‘મરાંગ ગોમકે‘(સર્વોચ્ચ કે મહાન નેતા)નું સન્માન આપ્યું હતું. આ સન્માન મેળવનારા પણ મુંડા એક માત્ર છે. જ્યારે દેશમાં સંઘર્ષશીલ રાજકીય આદિવાસી નેતૃત્વ દોહ્યલું બની રહ્યું છે, ત્યારે જયપાલ સિંહ મુંડાને વિસ્મૃતિની ગર્તામાં બહાર કાઢી અહર્નિશ યાદ કરવાની જરૂર છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

બે શબ્દ, નારાયણ દેસાઈના શતાબ્દી પ્રવેશ નિમિત્તે

પ્રકાશ ન. શાહ|Gandhiana, Opinion - Opinion|10 January 2024

કટોકટી વખતે ગૌહત્યા પર પ્રતિબંધ માટે વિનોબા ભાવેએ આમરણ ઉપવાસ શરૂ કર્યા ત્યારે નારાયણ દેસાઈ તેમના પત્ની સાથે વિનોબાને જોવા મહારાષ્ટ્રના પવનાર આશ્રમે ગયા હતા

ગાંધીજી નારાયણ દેસાઈને હંમેશાં ‘બાબલા’ તરીકે જ સંબોધન કરતા

ગાંધીના ‘બાબલા’થી માંડી, વિનોબાના બટુક અને જયપ્રકાશના સાથી સૈનિકથી માંડી છેલ્લા દસકામાં એક લોકાયની કથાકાર લગીના આ સમૃદ્ધ જીવનયાત્રા, સાહિત્ય–શિક્ષણ–સમાજને સંકોરતી, સંઘર્ષ અને રચનાના સાયુજ્યની નાગરિક મથામણ રૂપે વિલસી રહે છે

ગુજરાતી સાહિત્ય પરિષદના ભોપાલ અધિવેશનની એક રૂડી સાંભરણ એ બની રહેશે કે સભાખંડ સાથે નારાયણ દેસાઈનું નામ જોડાયું હતું. પરિષદના પૂર્વ પ્રમુખ નારાયણ મહાદેવ દેસાઈ (24-12-1924 : 15-3-2015)ના શતાબ્દી વર્ષની એ નાંદી ઘટના લેખાશે.

હમણાં મેં પરિષદના પૂર્વ પ્રમુખ તરીકે એમનો ઉલ્લેખ કર્યો, અને એ ઠીક જ છે. પણ નારાયણ દેસાઈની ઓળખ એટલા પૂરતી સમેટાઈ જાય તે ચોક્કસ જ સાવ સપાટબયાની બની રહેશે. એ લેખક જરૂર હતા. પરિષદ પ્રમુખ તો એ મોડેથી થયા, 2008-2009ના બે વરસ માટે, ચોરાસીમે વરસે, પણ એના ખાસા ચારેક દાયકા પર એ એમનાં ગાંધીસંભારણાંની નાનીશી કિતાબ ‘સંત સેવતાં સુકૃત વાધે’ લઈ આવ્યા ત્યારે જ પ્રકાશક ભાઈદાસ પરીખે મોકલેલા છપાતા ફરમા વાંચી આપણા એકના એક સ્વામી આનંદે લખેલું કે ‘મન કૂદકો મારીને ઝડપી લે એવી ચોપડી વર્ષો કે દાયકાઓ પછી મેં વાંચી હોય તો તે આ.’ પછી તો, ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ એ મહાદેવ દેસાઈ ચરિત્ર સાથે એમની હાજરી બરાબરની પુરાઈ ગઈ. મહાદેવભાઈની ડાયરી આમ તો વિશ્વવિશ્રુત – પણ એમાં ‘બાબલા’(નારાયણ)ની નોંધ જ ન મળે, કેમ કે એ તો ગાંધીચર્યા અંગે હતી. બાબલાએ મોટપણે એનું વેર બરોબર લીધું, અધિકૃત પિતૃચરિત્ર આપીને! અને આગળ ચાલતાં ત્રિખંડવ્યાપી એવું આકર ગાંધીચરિત્ર આપી ગાંધીજીની પોતાની ભાષામાં વિગતવિશદ, સ્વાધ્યાયસમૃદ્ધ ચરિત્ર નથી એ મહેણું પણ ભાંગ્યું.

નારાયણ દેસાઈને વિરલ વિભૂતિઓ સાથે જીવન વ્યતીત કરવાનો, યથાશક્તિમતિ પ્રવૃત્ત રહેવાનો મળતા મળે એવો પડકાર અવસર મળી રહ્યો. તારુણ્યને ઉંબરે પહોંચતા સુધીનાં વર્ષો બાપુ સાથે સાબરમતી આશ્રમ ને સેવાગ્રામમાં, પછી ભૂદાન આંદોલનમાં વિનોબા સાથે – અને આગળ ચાલતાં જયપ્રકાશ સાથે, શાંતિ સેનાથી માંડી બીજા સ્વરાજની લડાઈ સહિત. જે પરિવર્તનની રાજનીતિમાં એમણે લોકનીતિ ભણી સહજ ઝુકાવ સાથે શ્વસવું પસંદ કર્યું. એણે જ એમને સીધા સાહિત્યિક નહીં એવા લેખન તરફ પણ દોર્યા – ‘ચેક ઉઠાવ, ટેંક સામે લોક’ હોય કે પછી બાંગ્લા મુક્તિસંગ્રામ હોય. બાંગ્લાદેશે, પાછળથી જે કેટલાક સંગ્રામમિત્રોને માનભેર પોંખ્યા એમાંના એક નારાયણ દેસાઈ પણ હતા. સામાન્યપણે સરકારી માનઅકરામથી પરહેજ કરતા રહેલા નારાયણભાઈને અંતિમ યાત્રા વખતે સરકારી માન અપાયું – કાં તો સરકારના સ્વવિવેકથી હોય, કે પછી કોઈ અદક પાંસળી રજૂઆતથી – પણ પરિવારે બહુ જ વિવેકપૂર્વક બંદૂક ફોડી અંતિમ સલામ આપવાની વાત તો ખાળી જ. મરણોત્તર પદ્મસન્માન વાસ્તે સરકારી દરખાસ્ત આવી ત્યારે પણ પરિવારે એનો સાભાર અસ્વીકાર કરી ‘જ્યોં કી ત્યોં ધરી દીની ચદરિયા’નો નારાયણભાઈનો હૃદયભાવ પાળી જાણ્યો.

જીવનના છેલ્લા દસકામાં એમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની તેમ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ (ચાન્સેલર) તરીકેની જવાબદારી બખૂબી નભાવી જાણી. પરિષદની વ્યાસપીઠ પરથી એમણે 2002ના મહાપાતક વિશે અને અકાદમીની સ્વાયત્તતા સરી ગઈ એ ‘ઓશિયાળી’ પરિસ્થિતિ વિશે અસંદિગ્ધ શબ્દોમાં કહ્યું તો જિલ્લે જિલ્લે વાંચનયાત્રા યોજી એક જુદો જ લોકતાંતણો સાંધ્યો.

નારાયણ દેસાઈ

નારાયણ દેસાઈની કારકિર્દીનો આ આલેખ, એનું ઓઠું વ્યક્તિગત હોવા છતાં એક આખી તરુણાઈ અને એની પ્રૌઢિ ને પરિણત વર્ષોની જદ્દોજહતનો ચિતાર આપે છે. સ્વરાજ સૈનિક હોવું, સ્વરાજનો મેદ ને કાટ ન ચડે તે જોવું અને સ્વરાજ નિર્માણના રચનાકાર્યમાં નિજને પ્રોવું, સ્વરાજની બીજી લડતનો પડકાર ઝીલવો, સરવાળે સંઘર્ષ અને રચનાનું સાયુજ્ય.

ગાંધીથી શરૂ કરી વાયા વિનોબા, જયપ્રકાશ સુધી પહોંચવું એ સાધારણ યાત્રા અલબત્ત નથી. જો કે, નારાયણભાઈ કે એમના જેવા બીજા મિત્રો તો સરળતાથી કહેવાના કે આમાં અમારી કોઈ સિદ્ધિ નથી. સત્સંગતિથી જે થાય તે થયું. મને યાદ છે, જયપ્રકાશજીએ ભરબિહાર આંદોલને જે ચાર સાથીઓને પટણા નોંતર્યા ને જોતર્યા એમાંના એક ના.દે. પણ હતા. અમે જયપ્રકાશજીની રજાથી એમને ગુજરાત નોંતર્યા, બિહાર આંદોલનનું પ્રત્યક્ષ ને પ્રમાણભૂત ચિત્ર આપવા, ત્યારે અમે બધા સહજ જ તાનમાં આવી ગયા હતા અને ચંપારણના દિવસોમાં જેમ ગાંધી ને મહાદેવ સાથે હતા તેમ આજે જયપ્રકાશ ને નારાયણ સાથે છે એવો પેરેલલ પણ લગીર રોમેન્ટિક રુશનાઈથી પેશ કર્યો હતો. એ વખતે, ના.દે. જેનું નામ, એમણે અકબર ઈલાહાબાદીનું ઓઠું લઈને પોતાની પ્રશંસા વિશે અમને ઠમઠોર્યા ને ટપાર્યા હતા : ભાઈ, આ તો બુદ્ધુમિયાં જેવું છે, હૈ તો વો રાસ્તે કી ધૂલ લેકિન આંધી કે સાથ હૈ. પછી કહ્યું, આમાં આંધીને બદલે ગાંધી કરી નાખો એટલે હિસાબ બરોબર થઈ જશે!

પાછો છેલ્લા દાયકા પર આવું. વિદ્યાપીઠના કુલપતિ તરીકે સરકારથી સ્વતંત્ર ભૂમિકા લેવી – આજના કથિત ‘ગવર્નર રાજ’થી વિપરીત – એ એમની વિશેષતા રહી તેમ યુ.જી.સી.નાં ધોરણો ને આગ્રહો વચ્ચે ગાંધી પરંપરાના વિકસન સાથે બરકરાર રહેવું એ એમની કોશિશ રહી, જેનું સાતત્ય તમને ઈલાબહેન ભટ્ટના કાર્યકાળમાં પણ જોવા મળશે.

પણ છેલ્લે, જો કે અંગ્રેજીમાં કહે છે તેમ લાસ્ટ બટ નોટ લીસ્ટ, એમનું જે સ્વરૂપ નિખરી આવ્યું એ તો એક લોકાયની તરીકેનું. કથા સ્વરૂપે લોક સમક્ષ જવું ને જીવન દેવતા ગાંધીની કથા માંડવી અલબત્ત સાંપ્રત અનુબંધ સાથે, એમાં એમણે પોતાનો ધર્મ જોયો. વોટ્સએપ યુનિવર્સિટીમાં ત્યારે ઊઠવા લાગેલા ને અત્યારે ત્રણે પાળીમાં અંધાધૂંધ ફેંકાતા રહેલા ગચિયા સામે આ આર્ત ને આર્ષ એટલો જ અધ્યયનપુત અવાજ આપણી મોંઘેરી મિરાત છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 10 જાન્યુઆરી 2024

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૨૪) : મમ્મટ 

સુમન શાહ|Opinion - Opinion|10 January 2024

સુમન શાહ

આજે, મમ્મટ વિશે —

એમનો સમય છે, અગિયારમી શતાબ્દીનો ઉત્તરાર્ધ. એમનો ગ્રન્થ છે, “કાવ્યપ્રકાશ”. 

કાવ્યાચાર્ય મમ્મટ કાવ્યશાસ્ત્રના એક મુદ્દા માટે પ્રસિદ્ધ છે, અને એ મુદ્દો છે, કાવ્યપ્રયોજનનો. 

તેઓ જણાવે છે : 

કાવ્યમ્ યશસેડઅર્થકૃતે વ્યવહારવિદે શિવેતરક્ષતયે / 

સદ્ય:પરનિર્વૃતયે કાન્તાસમ્મિતતયોપદેશયુજે.

એટલે કે યશપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ, વ્યવહારજ્ઞાન, શિવથી ઇતર એવા રોગ વગેરે અનિષ્ટોનું નિવારણ, સદ્ય આનન્દાનુભવ, અને કાન્તાસમ્મિત ઉપદેશ. એમ એમણે ૬ કાવ્યપ્રયોજનો ગણાવ્યાં છે. તેઓ કહે છે કે આ પ્રયોજનો માટે કાવ્ય-ગ્રન્થ ઉપાદેય છે, પ્રયોજનીય છે. 

એમણે દૃષ્ટાન્તો આપ્યાં છે : કાલિદાસાદિ કવિઓને યશ, શ્રીહર્ષાદિ કવિઓને ધન, રાજાદિ સાથેના વ્યવહારનું જ્ઞાન, મયૂરાદિ કવિઓના રોગાદિ અનિષ્ટોનું નિવારણ (કવિ મયૂરે ‘સૂર્યશતક’ લખેલું, એથી એનો કોઢ મટી ગયેલો), સદ્ય: પરનિર્વૃતિ એટલે કે રસાસ્વાદથી થતો આનન્દનો અનુભવ. કાન્તાસમ્મિત ઉપદેશ પ્રયોજનનો સંકેતાર્થ એ કે કાવ્યથી મળતો ઉપદેશ કાન્તા કહેતાં, પ્રિયાની જેમ કાવ્યમાં અનુરાગ ઉત્પન્ન કરીને લોકોને પોતાના પ્રતિ આકર્ષે છે, અને સૂચવે છે કે રામચન્દ્રાદિ જેવો વ્યવહાર કરજે, રાવણાદિ જેવો નહીં. 

આ ૬ પ્રયોજનોમાં ‘સદ્ય: પરનિર્વૃતિ’-ને એમણે સૌથી શ્રેષ્ઠ ગણ્યું છે – ‘સકલ પ્રયોજનોમાં મૌલિભૂતમ્. કેમ કે રસાસ્વાદથી મળતા આનન્દાનુભવ દરમ્યાન સર્વ જ્ઞેય વસ્તુઓનું જ્ઞાન વિગલિત થઈ જતું હોય છે. પ્રભુ કહેતાં, અધિકારી જને કહેલા શબ્દપ્રધાન વેદો વગેરે શાસ્ત્રોથી એ વિલક્ષણ હોય છે. મિત્રએ કહેલા અર્થપ્રધાન કે તાત્પર્યપરક ઇતિહાસ-પુરાણથી પણ ભિન્ન હોય છે. એ કાવ્ય-જ્ઞાન હોય છે અને તેની પ્રાપ્તિ માટે સૌએ યત્નશીલ રહેવું ઘટે.

આમાં શબ્દ જોડાયો છે, ‘પરનિર્વૃતિ’, નહીં કે ‘પરનિવૃત્તિ’. આ ફર્કને અનેક અધ્યાપકો અને સમીક્ષકો પણ ગળી જતા હોય છે. શૈવ દર્શનમાં ‘પરનિર્વૃતિ’-નો અર્થ છે, મુક્તિ. શાક્ત દર્શનમાં અર્થ છે, માયાથી મુક્તિ. એ દર્શનોના માર્ગે એ મુક્તિ મળે, પણ આ તો સાહિત્યકલા વડે મળે, અને તુર્ત જ મળે, સદ્ય, એવી મુક્તિ છે. સાહિત્યકલામાં ‘મુક્તિ’-નો સંકેત બદલાઈ જાય છે, જેને કાવ્યાચાર્યો ઉચિત રીતે જ ‘ચેતોવિસ્તાર’ અને ‘અ-લૌકિક આનન્દ’ જેવા આગવા સંકેતોથી ઓળખાવે છે. 

++

કાવ્યપ્રયોજન વિશે ચાર નવતર મુદ્દા રજૂ કરું. એથી ચર્ચાલાભ થાય અને સંભવ છે કે સાહિત્ય તેમ જ અન્ય કલાઓનાં પરમ સત્યને પામી શકાય.

૧ :

સંસ્કૃત કાવ્યશાસ્ત્ર હું ભણતો હતો ત્યારે અને તે પછી ભણાવતો હતો ત્યારે પણ, મને આ પ્રયોજનોના સંકેતાર્થોને વિસ્તારવાની જરૂરત લાગેલી :  

જેમ કે, યશ અને ધન તો સ્થૂળ છે, પણ વ્યવહારજ્ઞાન પ્રયોજનને રાજાદિ સાથેના વ્યવહાર સાથે ન જોડી રાખવું જોઇએ. સાહિત્યકલા તો જીવન દરમ્યાન અન્ય મનુષ્યો જોડે તેમ જ અન્ય સજીવો જોડે પણ કેવોક વ્યવહાર કરવો તે સૂચવે છે. સાહિત્યસર્જન દ્વારા મયૂરાદિ કવિઓનાં અનિષ્ટોનું જ નિવારણ નથી થતું પણ સંસારનાં અનેક અનિષ્ટોનું નિવારણ થાય છે. જાણીતું છે કે વૉલ્ટેર અને રૂસોની કે ગાંધીજીની સમર્થ વાણીથી જે તે દેશકાળે અસરકારક પરિવર્તનો પ્રગટેલાં. છેલ્લા બે દાયકા દરમ્યાન, આનન્દના પ્રયોજનને હું જુદી દૃષ્ટિએ જોતો થયો છું, એ કે સાહિત્ય જો આપણને સદ્ય આનન્દ જ આપ્યા કરે અને પરસ્પરને પ્રેમ કરતાં ન શીખવે તો શા કામનું? આપણે સૌને પ્રેમ કરીએ એ જ છે કાન્તાસમ્મિત ઉપદેશનો સર્વસાર.   

૨ :

ત્યારે મને એક પ્રશ્ન એ થયેલો કે કાવ્યનાં આ પ્રયોજનો છે કે પરિણામો -? :

કાલિદાસાદિએ પોતાની સૃષ્ટિ માત્ર યશપ્રયોજનથી થોડી સરજેલી? યશ તો જે સરજ્યું અને ઝીલાયું તેને પરિણામે મળતો હોય છે. પ્રારમ્ભે તો બધા સામાન્ય કવિ હોય છે, પણ પછી નિત્યવર્ધમાન એવા સદ્ યશના પરિણામે કરીને મહાકવિ કહેવાતા હોય છે. ધનપ્રયોજનથી લખનારા લેખકો ભારતમાં ધનવાન ન થઈ શકે. તળાવગાહી દૃષ્ટિએ વિચારીએ તો સમજાશે કે વ્યવહારજ્ઞાન, આનન્દ કે ઉપદેશ પણ પરિણામો હોય છે.  

૩ :

સૂચવાય છે એમ કે પ્રયોજનબુદ્ધિથી થતાં સાહિત્ય કે કલાનાં સર્જનો પ્રયોજનસિદ્ધિ બાબતે જ નિષ્ફળ નીવડે છે :

જેમ કે, કાવ્યનું પ્રયોજન નક્કી કરીને લખવા જઈએ તો પ્રયોજન બીબું બની જાય. સરકારી કવિઓ – ‘ગરીબી હઠાવો’, ‘અમે બે, અમારાં બે’ જેવા સરકારી સંદેશા માટે નાટકો કે કાવ્યનામી જોડકણાં રચી કાઢે એટલે એ પ્રયોજન તો સિદ્ધ થાય, પણ દેખીતું છે કે એને કોઈ સાહિત્યકલા નહીં ગણે. સ્ટાલિનના સમયનું સરકારી સાહિત્ય એવું જ હતું. ત્યારે સાચા લેખકોએ પોતાનાં લેખન ડ્રૉઅર્સમાં સંતાડી રાખેલાં. પાછળના સમયમાં તેઓ ‘ડ્રૉઅર રાઇટર્સ’ રૂપે પ્રગટ થયા. એ સાહિત્યમાં અસલી રશિયા ધબકતું’તું અને કલાનો સાચો પરચો અનુભવાતો હતો. પ્રયોજન સ્વીકારવાથી પ્રયોજનને વળગી રહેવું અનિવાર્ય બની જાય છે અને તેથી કૃતક કલાઓ જનમે છે. 

એટલું જ નહીં, કૃતક કલાઓ દુષ્પ્રયોજનોને કારણે સદ્ કલાઓને હડસેલી મૂકે છે. વર્તમાનમાં એ જ થઈ રહ્યું છે. લોકલાગણીને પંપાળનારાં અને એ માટે ઉપજાવી કાઢેલાં જૂઠાણાં આજે સત્ય ઠરે છે – પોસ્ટ ટ્રુથ. સત્તાના રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ હકીકત રૂપ સત્યોને સ્વાર્થે મચડી નાખે છે. ઇતિહાસમાં નજર કરીએ તો પોસ્ટ ટ્રુથ ઊભાં કરીને નર્મદનાં સત્યોને હણી નંખાયેલાં, આજે સુરેશ જોષીનાં સત્યોને પોસ્ટ ટ્રુથના હથિયારથી હણવાના પ્રયાસ ચાલુ છે. ફ્રાન્સમાં એક જમાનામાં વાઇનને લોહી જેવા લાલ રંગનો કહીને એને અપવિત્ર અને ત્યાજ્ય ગણવાનું વલણ વિકસેલું. વાઇન-કમ્પનીઓએ જાહેરાતો કરવા માંડેલી કે ના, વાઇન તો સ્વાસ્થ્યવર્ધક છે. રોલાં બાર્થે એવી જાહેરાતોને નવા જમાનાની મિથ ગણી છે. 

પ્રયોજન પાર પડે અને વસ્તુ ઉપયોગી નીવડે એવી કારીગરી એક જમાનામાં કલાઓ ગણાતી હતી : જેમ કે, નદીમાં ઝાડનું થડિયું તરતું જોઈને માણસને હોડીનો વિચાર આવ્યો. પણ શિલ્પીએ આરસની હોડી બનાવી. એ હોડીનો ઉપયોગ નથી, નદીમાં મૂકીએ તો ડૂબી જાય. આગળના સમયમાં વાંસની ચીપોની સાદડીઓ હતી, એવા પંખા પણ હતા. અસમના અવનિયતિ સત્રમાં આયોજકોએ મને હાથીદાંતની ચીપોની સાદડી બતાવેલી. એ પર બેસાય થોડું? કાન્ટે કલાઓના ઉપયોગી અને બિનઉપયોગી એવા ભેદ દર્શાવ્યા છે.

૪:

ઉપયોગ કે પ્રયોજન કાઢી નાખો એટલે કલાના પ્રાગટ્યની ભૂમિકા રચાય. એટલું જ નહીં, પ્રયોજનવાદીઓ ઉપયોગપરક સુષ્ઠુ સુષ્ઠુ પ્રયોજનોથી જ પ્રવૃત્ત થવાના :

એટલે એમની સર્જકતાને મનુષ્યજીવનની નકારાત્મક બાજુઓ દેખાવાની જ નહીં. એ અર્થમાં કલા પોલી, પક્ષીલ અને એકાંગી રહી જવાની. બાકી, નક્કી પ્રયોજનને નહીં વરેલી કલાઓ આઘાત આપીને આપણને ટેવોથી નહીં પણ જગતને જુદી જ રીતે જોવાની તાજપભરી રસીલી દૃષ્ટિ આપે છે.

ફ્રૅન્ચ ફિલસૂફ સાર્ત્રે એક ચર્ચામાં (૧૯૦૫-૧૯૮૦) – ‘બટર હૉ’ર્સ-ની વાત કરેલી. બટરનો ઘોડો. એમાં, બટર હતું પણ ખાવા માટે ન્હૉતું. કોઈ જડભરત એને તવા પર મૂકે તો નરી સર્જકતાથી બનાવેલો એ ઘોડો મરી જાય. વળી, એ ઘોડા પર સવારી ન થઈ શકે, ગાડીએ જોડીને ઘોડાગાડી ન બનાવાય. એમાં, એવા સંસારી ઉપયોગનું પ્રયોજન છે જ નહીં.

ફ્રૅન્ચ ચિત્રકાર અને શિલ્પી માર્સલ દુશામ્પે (૧૮૮૭-૧૯૬૮) ૧૯૨૧માં બનાવેલું એક શિલ્પ છે, જેમાં બર્ડકેજ છે, પંખીનું પાંજરું. એમાં, ૧૫૨ સાકરના જેવા સફેદ દાણા છે, પણ આરસના બનાવેલા છે. એમાં એક મૅડિકલ થર્મોમીટર પણ છે, એક કટલબોનફિશ પણ છે, અને પોર્સેલિનની એક નાની ડિશ પણ છે. ઉપયોગી વસ્તુઓના બનેલા એ શિલ્પનો કશો જ ઉપયોગ નથી.

ઇટાલિયન પેઇન્ટર જિઓર્જિઓ મોરાંદીએ (૧૮૯૦-૧૯૬૪) દોરેલાં શીશીઓનાં ચિત્રનું દૃષ્ટાન્ત પણ સમજવા જેવું છે. સ્ટીલ લાઇફ છે. જીવનભર એણે એનાં જ સર્જન કર્યાં. નાનીમોટી, જાતભાતની રંગબેરંગી શીશીઓનાં ચિત્ર. એણે પોતાના સ્ટુડિયોમાં ફ્લાવરવાઝ, ઘડા, ફળફળાદિ માટેની ડિશો, વગેરે રોજિંદા વપરાશની વસ્તુઓ એકઠી મૂકેલી. વસ્તુઓનાં કાયમી સ્થાનો કે તેમનાં ઉપયોગો યાદ જ ન આવે. શો હેતુ? કયું પ્રયોજન?

એ દુશામ્પે લિયોનાર્ડો દ વિન્સીના જગવિખ્યાત ચિત્ર મોના લિસાનું ઠઠ્ઠાચિત્ર બનાવ્યું છે. મોનાને એણે મૂછો સાથે ચીતરી. આછી દાઢીની ચોટલી પણ ઉમેરી. નામ આપ્યું – L.H.O.O.Q. જેનો ફ્રૅન્ચમાં વિસ્તૃત અર્થ છે, ‘શી હૅઝ હૉટ ઍસ’. મતલબ, જાતીયતાથી ઉશ્કેરાયેલી અને તેથી ઉપલબ્ધ વ્યક્તિની મનોવસ્થા. 

Marcel Duchamp’s L.H.O.O.Q  (1919)

આવી નિષ્પ્રયોજન કલાઓથી પરિચિતથી અપરિચિતની દિશા ખૂલે છે. એક હોય છે, વસ્તુઓનું ચવાઈ ચૂકેલું રૂપ અને બીજું હોય છે, કલાકાર વ્યક્તિએ સરજેલું નવ્ય રૂપ. સામાન્યપણે લોકોને જીવનભર ખબર જ નથી પડતી કે એમની આસપાસની બધી જ ચીજો નિષ્પ્રાણ હતી, કેટલીક વ્યક્તિઓ પણ …

સ્પૅનિશ ચિત્રકાર સાલ્વાડોર ડાલિના (૧૯૦૪-૧૯૮૯) જગવિખ્યાત પેઇન્ટિન્ગનું શીર્ષક છે, ‘ધ પર્સિસ્ટન્સ ઑફ મૅમરિ’ – ‘સ્મૃતિનું દૃઢ સાતત્ય’. 

એ ચિત્ર સર્રીયલ આર્ટનો ઉત્તમ નમૂનો મનાય છે. ડાલિ પણ સર્રીયાલિઝમના મહાન ઉદ્ગાતા કહેવાયા છે. જાતીય વાસના અને અસમ્પ્રજ્ઞાત મનના, અન્કૉન્સિયસના, આવિષ્કારો એમની સૃષ્ટિમાં કલારૂપે પ્રગટ્યા છે. ડાલિ કહેતા કે હું મદીરા-પાન નથી કરતો, પણ હું પોતે જ મદીરા છું, મારી કલાકૃતિઓ જોઈને લોકોનાં દિમાગ ખૂલી જાય છે, કેમ કે એમાં અસમ્પ્રજ્ઞાતને જાગ્રત કરવાની તાકાત છે. 

એ ચિત્રમાં કેટલાંક પૉકેટ વૉચીસ છે – ખિસ્સામાં રાખવાનાં ઘડિયાળ. પણ એ પોચાં છે, પલળેલાં છે, ભીનાં છે, અને કલાકાર ડાલિએ એને ઝાડની ડાળ પર સૂક્વ્યાં છે. એ સંયોજન વિલક્ષણ તો છે જ પણ અ-પૂર્વ છે. સમય અને સ્થળને અમુક જ રીતે જોવા ટેવાયેલી આપણી આંખોને એથી એક નવ્ય અપરિચિત દૃશ્ય નિહાળવા મળે છે. 

કલા પરિચિતથી અ-પરિચિત સૃષ્ટિમાં લઈ જાય છે એ વાતનું આ ચિત્ર ચોખ્ખું નિદર્શન છે. કેમ કે, ઝાડ પર કપડાં સૂકવાય, ઘડિયાળ નહીં. ઘડિયાળ અને ઝાડ પરિચિત પદાર્થો છે. પણ ડાલિનાં એ ઘડિયાળ અને તેનું એ ઝાડ અને તે પરનું એ સૂકવણું અ-ભૂતપૂર્વ છે.

‘ભીનો’ સમય, સમય ‘વહી’ ગયો, પ્રયોગોમાં સમયનું પ્રવાહી રૂપ છે પણ રોજિન્દી ઘટમાળમાં આપણે એને વીસરી ગયા છીએ. ‘ટાઇમ ઇઝ મનિ’ જપ્યા કરીએ છીએ. ચિત્ર આપણી એ જડતા સામે પણ ઇશારો કરે છે.

વિદ્વાનોએ એ ચિત્રમાં સ્થળ-કાળની સાપેક્ષતા જોઈ, તો ડાલિએ કહેલું, ના ના, આ તો, કૅમેમબર્ટ – ગાયના દૂધમાંથી બનાવાયેલી ચીઝની સપાટી – તડકામાં ઑગળી જાય છે એ જાણીતી હકીકતનું મારું સર્રીયાલિસ્ટ દર્શન છે.

મારા મતે, ખરેખર તો ડાલિએ આપણી સ્મૃતિના હઠીલા સાતત્યને, દૃઢ સાતત્યને, પર્સિસ્ટન્સને, સમયના એવા જ સાતત્ય સાથે સરખાવ્યું છે. કોઈની ય તમા રાખ્યા વિના સ્મૃતિ અને સમય વહ્યા જ કરે છે. સ્મૃતિમાં સમય વહે છે કે સમયમાં સ્મૃતિ વહે છે, કહી શકાતું નથી. અને, સ્મૃતિ હમેશાં ભીની હોય છે, મોટે ભાગે આંસુભીની, અને, કદી સૂકાતી નથી, અને, એનાં કશાં ચૉક્કસ ઠેકાણાં પણ હોતાં નથી. એને આપણે ડાલિની જેમ ઝાડ પર કે ઠીક લાગે એ પર સૂકવવા મૂકીએ તો પણ એ કદી ન સૂકાય એવી હઠીલી વસ્તુ છે.

કલાકૃતિ તો એમ પણ પૂછી શકે – તમારી પાસે આવી હઠીલી સ્મૃ્તિ છે ખરી? કે કોરામોરા જ છો?

સાહિત્યસર્જકોએ અને સમીક્ષકોએ આટલા ફર્ક સમજવા જરૂરી છે : ૧ : ઉપયોગી અને બિન-ઉપયોગી કલાઓ : ૨ :  પરિચિતથી અપરિચિત : ૩ : કારીગરી અને કલા : ૪ : સર્જકતા અને જુક્તિઓ : ૫ : જાગ્રત, અર્ધજાગ્રત, અજાગ્રત ચિત્ત. એમાં, કલાનો અજાગ્રત ચિત્ત સાથેનો સમ્બન્ધ. 

++

લેખનો સાર એ છે કે પ્રયોજન નહીં એ જ પ્રયોજન. કલા સરજવી છે એ જ પ્રયોજન. પણ સવાલ એ છે કે શું સાહિત્યમાં આ હદની નિષ્પ્રયોજનતા શક્ય છે -? અથવા કશા જ પ્રયોજન વિના કલા સરજી શકાય? હું કહીશ કે કાવ્ય કરવું એ જ પ્રયોજન. કેમ કે કલાનું પ્રયોજન, કલાનો હેતુ, સમજવાની જરૂર છે. એમાં, હેતુ નથી પણ હેતુ-તા છે. જર્મન ચિન્તક કાન્ટે (૧૭૨૪-૧૮૦૪) કહેલું, આ તો હેતુ વગરની હેતુ-તા છે – પર્પઝલેસ પર્પઝિવનેસ. 

પરન્તુ આ બધી લલિતકલાઓમાં જોવા મળે છે એ હદની નિષ્પ્રયોજનતા સાહિત્યકલામાં શક્ય નહીં બને, કેમ કે ભાષા માત્રનો કે ગુજરાતી ભાષાનો દરેક શબ્દ પોતાનો અર્થ લઈને આવ્યો હોય છે, એટલું જ નહીં, એ અર્થ સહિયારો હોય છે, તે ભાષાના ભાષકોનો હોય છે, લોકો વડે પ્રયોજનો, ઉપયોગો, હેતુઓ વડે વપરાઇને વપરાઈને ઘસાઈ ગયો હોય છે. એ એવી સામાજિકતાથી ખરડાયેલો હોય છે. 

સાહિત્યકારે એને સ્વચ્છ કરવાનો હોય છે, તોડીફોડીને નવો કરવાનો હોય છે – જેથી સર્જનના પ્રયોજનને પાર પાડી શકાય.

= = =

(01/09/24)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...697698699700...710720730...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved