Opinion Magazine
Number of visits: 9457425
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (25) : ભામહ, દણ્ડી, ઉદ્ભટ્ટ

સુમન શાહ|Opinion - Opinion|13 January 2024

સુમન શાહ

આજે, ભામહ, દણ્ડી અને ઉદ્ભટ્ટ વિશે —

ભામહનો સમય છે, છઠ્ઠા શતકનો મધ્યકાળ. એમનો ગ્રન્થ છે, “કાવ્યાલંકાર”. 

દણ્ડીનો સમય છે, સાતમા શતકનો ઉત્તરાર્ધ. એમનો ગ્રન્થ છે, “કાવ્યાદર્શ”.

ઉદ્ભટ્ટનો સમય છે, નવમા શતકનો પૂર્વાર્ધ. એમનો ગ્રન્થ છે, “કાવ્યાલંકારસારસંગ્રહ”. 

કાવ્યનું માધ્યમ ભાષા છે. ભાષાથી કાવ્યભાષા શી રીતે સંભવે? ભામહ, દણ્ડી કે ઉદ્ભટ્ટનો સહિયારો ઉત્તર એ હોઈ શકે કે અલંકારથી ! અને તેથી તેઓ અલંકારયુક્ત ઉક્તિને લક્ષમાં લે છે. અને તેથી એમનું ધ્યાન ભાષાથી ખસીને વાણી પ્રતિ સવિશેષે જાય છે.

અહીં દરેકના મને ગમી ગયેલાં મન્તવ્યો રજૂ કરું : 

ભામહ —

ભામહે વક્ર વાણીની વાત વિસ્તારથી કરી છે. વક્ર વાણીનો સમ્બન્ધ એમણે અલંકારતત્ત્વ સાથે જોડ્યો છે અને અલંકારનો સમ્બન્ધ એમણે અતિશયોક્તિ અને વક્રોક્તિ સાથે જોડ્યો છે; એમનું એ મન્તવ્ય મને ખૂબ ગમ્યું છે. તેઓ દર્શાવે છે કે લોકવ્યવહારમાં પ્રયોજાતી વાણીનું, એ લોકસીમાનું, કોઈ ઉક્તિમાં અતિક્રમણ થાય ત્યારે તેને અતિશયોક્તિ અલંકાર કહેવો જોઈશે. કહે છે કે તમામ અતિશયોક્તિ વક્રોક્તિ હોય છે; વક્રતાથી અર્થ ચમત્કૃત થાય છે; કવિએ એ માટે યત્ન કરવો ઘટે. ઉમેરે છે કે વક્રોક્તિ વિનાનો અલંકાર તો બતાવો ! 

તેમછતાં, એમણે બધી અતિશયોક્તિઓનો મહિમા નથી કર્યો. કહે છે, ‘નિતાન્ત’ વગેરે શબ્દોથી સરજાતી અતિશયોક્તિથી વાણીનું સૌષ્ઠવ ન સચવાય; વક્રતાયુક્ત શબ્દ અને અર્થની ઉક્તિને જ વાણીનો કામ્ય અલંકાર કહેવાય ! સૂર્યાસ્ત થઇ ગયો છે, ચન્દ્રમા ચમકી રહ્યો છે, પક્ષીગણ નિવાસ ભણી જઈ રહ્યાં છે – ભામહ પૂછે છે, આ પણ ભલા શું કાવ્ય છે -? એ તો વાર્તા છે, સમાચાર ! —ઇત્યેવમાદિ કિમ્ કાવ્યમ્ વાર્ત્તામેનામ્ પ્રચક્ષતે I

વક્ર વાણીના પ્રયોગમાં શું ન કરવું જોઈએ એનો એમણે સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. કહે છે, અપ્રયુક્તનો પ્રયોગ ન કરવો જોઈએ, કેમ કે ચિત્તને એ મોહમાં નાખે છે; જેમ કે, ‘હન્’ ધાતુનો ‘ગતિ’ અર્થ દર્શાવાયો છે છતાં તેનો પ્રયોગ કરવો યોગ્ય નથી; જે શબ્દ અન્ય એકદેશી શાસ્ત્રોથી સિદ્ધ હોય તેનો પણ પ્રયોગ ન કરવો જોઈએ; છન્દોવત્ (વેદવત્)-નો પ્રયોગ પણ ન કરવો જોઈએ; અને છાન્દસ્ (વૈદિક) પદોના પ્રયોગ પણ ન કરવા જોઈએ. જે ક્રમે આવ્યા હોય, કર્ણપ્રિય હોય, એ સાર્થક શબ્દો જ પ્રયોજવા જોઈએ. 

ભામહ ૪ પ્રકારના વાણીદોષ વર્ણવે છે : શ્રુતિદુષ્ટ, અર્થદુષ્ટ, કલ્પનાદુષ્ટ અને શ્રુતિકષ્ટ. ચારેયના અર્થ સ્વયંસ્પષ્ટ છે. 

આપણે જાણીએ છીએ કે કેટલાક સાહિત્યકારોની વાણી સાંભળીએ ત્યારે એમાં રહેલા દોષની આપણને તરત પ્રતીતિ થાય છે; કેટલાકની વાણીમાં અર્થનો દોષ પરખાય છે. તો, કેટલાકોએ કલ્પનાને એટલી બધી ચગવી હોય છે કે એ દોષને કારણે એમનું સમગ્ર સર્જન તૂટી પડે છે. અને, કેટલાકને સાંભળીએ પણ આપણને કષ્ટ પડતું હોય છે.  

એક સમર્થ આલંકારિક તરીકે ભામહે શબ્દાલંકારો અને અર્થાલંકારો બન્નેનો સરખે સરખો સ્વીકાર કર્યો છે. કહે છે, કેટલાક વિદ્વાનો રૂપકાદિ અલંકારોને બાહ્ય લેખે છે. તેઓ સુબન્ત અને તિડ્ન્ત પદોના અનુપ્રાસ આદિ શબ્દાલંકારોને ચમત્કારક માને છે અને કહે છે કે શબ્દરચનાનું ચાતુર્ય જેટલું ચિત્તાકર્ષક હોય છે તેટલું અર્થાલંકારોનું નથી હોતું. 

એ લોકોના મન્તવ્ય સંદર્ભે હું દાખલો આપું : તેઓને ‘રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં આ ગુલ્મને આંગણ’-માં, એ અર્થાલંકારમાં, ચમત્કાર નહીં અનુભવાય, પરન્તુ ‘કાચના કબાટમાંથી કાચી કૅરીનું કચુંબર કરો’, એ વર્ણસગાઈ ચિત્તાકર્ષક લાગશે. પરન્તુ, ભામહ કહે છે, અમને તો બન્ને પ્રકારના ભેદોથી વિશિષ્ટ કાવ્ય ચમત્કારક હોવાથી રુચે જ છે.

કવિ અને કાવ્યશાસ્ત્ર બન્નેની પ્રશંસા કરતાં ભામહ કહે છે, ધન વગરની વ્યક્તિ જેમ દાતા ન થઈ શકે, નપુંસક વ્યક્તિમાં જેમ અસ્ત્રચાતુર્ય ન હોઈ શકે, અજ્ઞ જનમાં પણ જેમ ચાતુર્ય ન હોઈ શકે, એમ અ-કવિ કદી શાસ્ત્રજ્ઞાતા ન હોઈ શકે. 

કવિઓનો મહિમા કરતાં કહે છે, ગુરુના ઉપદેશથી જડ બુદ્ધિવાળો પણ શાસ્ત્ર વાંચી શકે છે, પણ કાવ્ય તો કોક પ્રતિભાશાળી જ રચી શકે છે. કહે છે, સારા કાવ્યના રચનાકારોનો સ્વર્ગવાસ થઈ ગયો હોય તો પણ એમનું કાવ્યરૂપી શરીર અક્ષય જ રહે છે. પણ કુકવિઓ માટે કહે છે, કવિ ન હોવું તે અધર્મ કે વ્યાધિના દણ્ડને પાત્ર થવા જેવું છે, પરન્તુ કુકવિત્વને તો પણ્ડિતોએ સાાક્ષાત મૃત્યુ જ ગણ્યું છે. 

દણ્ડી —

અલંકારનું સ્વરૂપ વર્ણવતાં દણ્ડી કહે છે કે કાવ્યના સૌન્દર્યકારી ગુણોને અલંકાર કહેવાય છે. દણ્ડી પણ એ જ કહે છે કે લોકમર્યાદાના ઉલ્લંઘનથી અતિશયોક્તિ અલંકાર જનમે છે, પણ જણાવે છે કે અલંકારોમાં તેને ઉત્તમ ગણવામાં આવ્યો છે – અસાવદતિશયોક્તિ: સ્યાદલંકારોત્તમા યથા I

એમનું એ મન્તવ્ય મને ખૂબ ગમ્યું છે કે અલંકારના એમણે ૩ પ્રકાર દર્શાવ્યા, પ્રેય:, રસવત્, ઉર્જસ્વી; પણ એ પ્રકારોમાંના રસવત્-ને એમણે રસ સાથે પણ જોડ્યો. દરેક પ્રકાર માટે એમણે ઉદાહરણ પણ આપ્યું છે. 

૧ :

દણ્ડી કહે છે, પ્રેય: પ્રિયતરાખ્યાનમ્ – પ્રીતિકર ભાવથી થયેલું કથન પ્રેય: અલંકાર છે. 

ઉદાહરણ : હે ગોવિન્દ ! તારા આજે મારે ઘેર આવવાથી મને જે પ્રસનન્તા થઈ છે, એ તું કોઈ બીજા સમયે આવીશ ત્યારે ફરીથી થશે. વિદુરે આ યોગ્ય જ કહ્યું છે કેમ કે એમનામાં છે એટલું ધૈર્ય બીજાઓમાં તો હોય જ ક્યાંથી? એટલે, વિદુરના આ વચનથી માત્રભક્તિ દ્વારા પૂજનીય હરિ સંતોષ પામ્યા છે. આ ઉદાહરણમાં રજૂ થયેલું કથન હરિ વિશે પ્રીતિકારક છે તેથી અહીં પ્રેય: અલંકાર છે.

૨ :

દણ્ડી કહે છે, રસવદ્ રસપેશલમ્ – રસથી ઉત્પન્ન આનન્દને આપનારા ભાવનું કથન રસવત્ અલંકાર છે. 

ઉદાહરણ : (ચીરહરણ પ્રસંગે) જેણે મારી સામે દ્રૌપદીને વાળથી પકડીને ખૅંચી હતી એ આ પાપાત્મા દુ:શાસન મને મળી ગયો છે, તે શું હવે ક્ષણ માટે ય જીવિત રહેશે ખરો? શત્રુને જોઈને ભીમનો ‘ક્રોધ’ સ્થાયી ભાવ ઉચ્ચ અવસ્થાએ પ્હૉંચીને ‘રૌદ્ર’ રસના રસત્વને પામ્યો છે. તેથી આ કથનમાં રસવત્ અલંકાર છે. 

દણ્ડીએ રસવત્ અલંકારનાં અન્ય ઉદાહરણ પણ આપ્યાં છે : અનેક સમુદ્ર સહિત પૃથ્વીને નહીં જીતીને, અશ્વમેધ વગેરે યજ્ઞોનું યજન નહીં કરીને, અને યાચકોને ધનનું વિતરણ નહીં કરીને, હું શી રીતે રાજા હોઈ શકું? : અહીં ‘ઉત્સાહ’ સ્થાયી ભાવ ‘વીર’ રસના રસત્વને પામ્યો છે તેથી આ કથનમાં રસવત્ અલંકાર છે.

જે કોમળાંગીને પુષ્પોની શય્યા પણ કષ્ટદાયક લાગેલી એ તન્વંગી પ્રજ્વલિત ચિતા પર શી રીતે આરોહણ કરી શકે? અહીં ‘શોક’ સ્થાયી ભાવ ‘કરુણ’ રસના રસત્વને પામ્યો છે તેથી આ કથનમાં રસવત્ અલંકાર છે.

દણ્ડી ઉમેરે છે, આ રીતે બીભત્સ, હાસ્ય, અદ્ભુત, ભયાનકનાં રસવત્ ઉદાહરણો પણ ઉપલબ્ધ છે.

૩ :

દણ્ડી કહે છે, ઉર્જસ્વિ રૂઢારહંકારમ્ – જેમાં અહંકારની સ્પષ્ટ અભિવ્યક્તિ થઈ હોય તે ઉર્જસ્વિ અલંકાર છે.

ઉદાહરણ : હું તારો શત્રુ છું, એ વિચારીને તારા હૃદયમાં મારે કારણે ડર પેદા ન થવો જોઈએ. મારી તલવાર મારાથી વિમુખ થનારાઓ પર કદી પ્રહાર નથી કરતી. કોઈ અહંકારી પુરુષે યુદ્ધમાં પરાજિત શત્રુને આવું કહીને છોડી દીધો. દણ્ડી ઉમેરે છે, આ પ્રકારનાં કથનોમાં ઉર્જસ્વિ અલંકાર હોય છે.

ઉદ્ભટ્ટ —

ઉદ્ભટ્ટ પણ અલંકારના પ્રેય:, રસવત્ અને ઉર્જસ્વિ પ્રકારો વર્ણવે છે. પરન્તુ મને ગમવાનું કારણ એ છે કે એ દરેક પ્રકારને તેઓ રસતત્ત્વ સાથે વિશદ રીતે જોડે છે :

જેમ કે, કહે છે કે, જે કાવ્યમાં શ્રુંગારાદિ રસનો ઉદય ચોખ્ખા રૂપમાં દર્શાવી શકાય એને રસવત્ અલંકાર કહેવાય છે. 

જેમ કે, કહે છે કે, રતિ આદિ સ્થાયીભાવોને સૂચવનારા અનુભાવથી થયેલી રચનામાં પ્રેય: અલંકાર હોય છે.

જેમ કે, કહે છે કે, કામ ક્રોધ વગેરે કારણોથી અનૌચિત્યમાં પ્રવૃત્ત ભાવ અથવા રસ ધરાવતી રચનામાં ઉર્જસ્વિ અલંકાર હોય છે. 

એક ‘સમાહિત’ અલંકાર વિશે ઉદ્ભટ્ટ જણાવે છે કે –

રસભાવત્દાભાસવૃત્તે: પ્રશમબન્ધનમ્ I 

અન્યાનુભાવનિ:શૂન્યરૂપમ્ યત્તત્સમાહિતમ્ II

જે રચનામાં રસ, ભાવ, રસાભાસ કે ભાવાભાસના પ્રશમનું વર્ણન હોય, અને બીજા રસોના અનુભાવ નિ:શૂન્યરૂપ હોય, તેને સમાહિત અલંકાર કહેવાય છે.

ઉદાહરણ : ગિરિસુતાનાં નેત્ર, ભ્રમરોના વિભ્રમપૂર્ણ ભ્રમ અને રોમાંચના સ્વેદથી પ્રસન્ન મુખરાગ જોઈને મહાદેવ સ્મરજ્વરથી પ્રદીપ્ત સર્વ અંગો સાથે સ્વસ્તિપૂર્વક એની નજીક સરકી ગયા.

દણ્ડી અને ઉદ્ભટ્ટની વિશેષતા એ છે કે તેઓએ અલંકારતત્ત્વનો રસતત્ત્વ સાથે સમ્બન્ધ સ્થાપ્યો તેથી અલંકાર બાહ્ય ઘરેણું છે એ માન્યતાનો નિકાલ થઈ ગયો. 

= = =

(01/12/24)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અભિનંદન અને આવકાર

પ્રકાશ ન. શાહ|Opinion - Literature, Opinion - Opinion|12 January 2024

જતી વેળાએ

પ્રકાશ ન. શાહ

નવનિર્વાચિત પ્રમુખ હર્ષદ ત્રિવેદીનું તેમ જ નવ્ય કાર્યચમૂ સહિત સૌ સાથીઓનું હૃદયપૂર્વક અભિવાદન – અને એમને આવકાર પણ, અક્ષરશઃ બથ ભરીને.

વિદાય લેતા પરિષદપ્રમુખ તરીકે સૌ સાથીઓ પરત્વે આભારલાગણી પ્રગટ કરવા સાથે ઉમેરું કે એકંદર કાર્યકાળમાં એક તબક્કો ખસૂસ વિષમ હતો … કોરોનાવશ અગતિકતા, અને થોડોક સમય તો જાણે કે રેતીમાં વહાણ ચલાવવાની નિયતિ! પણ જેમ મેઘાણી પ્રાંગણ અને એકંદર પરિસર તેમ પ્રવૃત્તિએ પણ આપણે મહોરું મહોરું છીએ એટલું આ ક્ષણે નિઃશંક કહી શકું.

અલબત્ત એ એક સુભગ જોગાનુજોગ છે કે સમીર ભટ્ટ ત્યારે પણ મહામંત્રી હતા અને અત્યારે પણ મહામંત્રી છે. આ જોગસંજોગમાં જેમ સાતત્યની સુવિધા છે તેમ પ્રથમ કાર્યકાળમાં એમને અને અમને સૌ સાથીઓને જે મર્યાદાઓ સમજાઈ હશે એની દુરસ્તીની દૃષ્ટિએ એ સહજ સજ્જ પણ છે. આ વાત ખરું જોતાં વ્યક્તિગત જ નહીં વ્યાપક સંદર્ભમાંયે સાચી છે. અને એ ઠીક જ છે; કેમ કે ઇતિહાસમાં સાતત્યનો મહિમા અંતે તો શોધનગુંજાશ થકી સ્તો છે.

ગુજરાતીભાષી સૌની આ પ્રજાકીય સંસ્થા, આપણી પરિષદ, એનાં બાલઉત્તરીયને રણજિતરામ સરખા વત્સલવિદગ્ધ ધોવૈયા ને વળી સાજસજૈયા મળ્યા. ૧૯૦૫ના સ્થાપના અધિવેશનને પ્રમુખ તરીકે મળતાં મળે એવા ગોવર્ધનરામ મળ્યા. બડો સર્જનાત્મક કાળ હતો એ … સ્વદેશઆંગણે બંગભંગવશ નવસંચાર હતો, પણે દક્ષિણ આફ્રિકે સત્યાગ્રહ નામે નવ્ય શસ્ત્રાંકુર હજુ ફૂટું ફૂટું હશે, અને આઇન્સ્ટાઇનની સાપેક્ષવાદની થિયરીના આરંભિક ભણકારા વાગતા હતા. સરસ સમજાવી હતી ગોમાત્રિએ આ ઇતિહાસપ્રક્રિયાને, એક કવિમનીષી પેઠે, Rhythmic Law લેખે, તાલબંધ રૂપે. એમના આ દર્શનમાં તાલભંગનીયે સકારાત્મક શક્યતાઓનો સમાસ હતો.

તમે જુઓ, પોતાને પેટવડિયે કામ કરતા શિક્ષક અને ખેડૂત ને વણકર તરીકે ઓળખાવતા ગાંધીજીના વિ-વર્ણ અને વિ-વર્ગ અભિગમનું કાવ્ય હજુ પાધરું પમાયું નહોતું ત્યારે એ ચૂંટણી લડ્યા ને હાર્યા હતા. બરાબર એકસો ચાર વરસ પરના, ૧૯૨૦ના, એ છઠ્ઠા અધિવેશનનું સમાચારમૂલ્ય છાપાંને વખતોવખત એ વાતે લાગતું હોય છે કે ગાંધીજીને હરાવીને હરગોવિંદદાસ કાંટાવાળા ચૂંટાયા હતા. પણ અદકપાંસળા અખબારનવીસોને કોણ સંભારી આપે કે કાંટાવાળાએ પ્રમુખીય અભિભાષણમાં ગાંધીજીને કેવા તો પ્રાંજલભાવે અને આદરભેર સંભાર્યા હતા? એમણે કહ્યું હતું : “જેમણે સાધુવૃત્તિ ધારણ કરી રાજકીય અને આર્થિક વિષયોની સાથે ભાષામાં પણ સત્યાગ્રહ ચલાવી મોટમોટી સભાઓમાં દેશી ભાષા વાપરવાની અને દેશી ભાષા દ્વારા ઊંચી કેળવણી આપવાની હિમાયત કરી એવા અનેક મહાત્મા ગાંધીજીઓ ગૂર્જરમૈયાએ ઉત્પન્ન કરવા જોઈએ.” દેખીતા તાલભંગ થકી અને છતાં સધાયેલ આ તાલબંધ લક્ષમાં આવે છે?

૧૯૫૫માં નડિયાદમાં ગોવર્ધન શતાબ્દી એક વિશેષ અધિવેશનરૂપે મુનશીના નેતૃત્વમાં રંગેચંગે ઊજવાઈ ત્યારે ઉમાશંકર જોશી ને જયન્તિ દલાલ આદિએ લીધેલ ઉપાડો દેખીતો તાલભંગ હશે, પણ પરિષદના નવા લોકશાહીરૂપ સાથે એ તાલબંધ રૂપે જ અંતે તો આપણી સામે આવ્યો ને. ૧૯૭૫માં દેશે અભિવ્યક્તિસ્વાતંત્ર્ય ખોયું તે બેશક તાલભંગ હતો, પણ પરિષદે સરકારી ધોંસ ને ભીંસની ચિંતા છાંડી એની પુનઃપ્રતિષ્ઠા વાસ્તે જે ઠરાવ કર્યો તે તાલભંગથી તાલબંધ ભણી જવાની ઇતિહાસપ્રક્રિયા નહોતી તો શું હતું.

ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા માટેનો આપણો જે સતત આગ્રહ રહ્યો છે તે પણ સહજ સ્વસ્થ તાલબંધ માટેની આરતમાંથી આવેલો છે તે ભાગ્યે જ ઉમેરવાપણું હોય.

એક પ્રજાકીય સંસ્થા તરીકે અક્ષરજીવન અને જાહેર જીવનની સંગમભૂમિએ ઊભી આ ઇતિહાસરમણામાં યોગદાન સારુ સહજ સહયોગની ભૂમિકાએ નવ્ય કાર્યચમૂને આવકાર!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : “પરબ”; જાન્યુઆરી 2024

Loading

રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનાં નિમંત્રણને નકારીને વિપક્ષોએ કુહાડા પર પગ માર્યો છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 January 2024

રવીન્દ્ર પારેખ

એક તબક્કે રામમંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાયે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ વિપક્ષોને ન આપવાની જાહેરાત કરી હતી, પણ પછી કૈં હૃદયપરિવર્તન થતાં જુદા જુદા વિપક્ષોને આમંત્રણ આપવાની શરૂઆત થઈ, તો વિપક્ષો ઑર ઊંચે ચડ્યા છે અને આમંત્રણને નકારીને પોતાનું અસ્તિત્વ જાહેર કરવા મથી રહ્યા છે. જેમ આમંત્રણ ન આપવામાં અનુદારતા હતી, એમ જ આમંત્રણ નકારવામાં પણ અવિવેક છે. એ જુદી વાત છે કે કોઇ આમંત્રણ સ્વીકારવું કે નકારવું વ્યક્તિગત બાબત છે, પણ કોઈ પક્ષ તે નકારે તો તે જે તે પક્ષના અવાજનો સામૂહિક પડઘો પાડે છે, એટલે નકાર, પછી વ્યક્તિગત ન રહેતા જે તે પક્ષનો સામૂહિક ઉદ્દગાર બને છે. ‘ઇન્ડિયા’ ગઠબંધનના મોટાભાગના સાથી પક્ષો જેવા કે તૃણમૂલ કાઁગ્રેસ, આર.જે.ડી., જે.ડી.યુ., સી.પી.એમ. વગેરેએ રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનાં નિમંત્રણનો અસ્વીકાર કર્યો છે ને તે ઓછું હોય તેમ છેલ્લે છેલ્લે, રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર ન રહેવાનો નિર્ણય કાઁગ્રેસે પણ લીધો છે. કાઁગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું છે કે કાઁગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત સોનિયા ગાંધી, લોકસભાના વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરી અને અન્ય નેતાઓ સમારંભમાં હાજર નહીં રહે. આ અગાઉ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે આમંત્રણ મળે તો પોતે જશે એવું કહ્યું હતું, પણ આમંત્રણ મળ્યું, તો આમંત્રણ આપનારને પોતે ઓળખતા નથી – એમ કહીને હાજર નહીં રહે એવી શેખી મારી છે. કાઁગ્રેસી નેતાઓ ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ પણ અગાઉ સમારંભમાં હાજર રહેવાનો સંકેત આપેલો ને હવે આમંત્રણ મળ્યું છે તો નિમંત્રણનો આદરપૂર્વક અસ્વીકાર કર્યો છે.

22 જાન્યુઆરીનાં આમંત્રણનો અસ્વીકાર કરતાં કાઁગ્રેસે એવો ખુલાસો કર્યો છે કે ભા.જ.પે. અને આર.એસ.એસ.એ અયોધ્યાના રામમંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવી દીધો છે ને મંદિર અધૂરું છે, છતાં તેનું ઉદ્ઘાટન ચૂંટણીલક્ષી લાભ ખાટવા કરાઈ રહ્યું છે. શંકરચાર્યનો હવાલો આપતા એમ પણ કહેવાયું છે કે મંદિર અધૂરું હોય તો પ્રાણપ્રતિષ્ઠા ન થઈ શકે. ભા.જ.પ.ને રાજકીય લાભ લેવામાં જ રસ હોય તો મંદિર આખું હોય કે અધૂરું, બહુ ફેર ન પડે. એક શંકરાચાર્યે તો એવું પણ કહ્યું હતું કે વડા પ્રધાન પ્રાણપ્રતિષ્ઠા કરશે તે શું સંતોએ જોઈ રહેવાની છે? મતલબ કે સંતોની કોઈ ભૂમિકા ખરી કે કેમ? કાઁગ્રેસ દ્વારા ખુલાસો એવો પણ થયો છે કે કાઁગ્રેસ 2019ના સર્વોચ્ચ અદાલતના નિર્ણયને અને લોકોની આસ્થાને માન આપે છે, પણ ભા.જ.પ.ના રાજકીય પ્રોજેક્ટમાં ભાગીદાર થવા કાઁગ્રેસ તૈયાર નથી. પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનાં નથી. ટૂંકમાં, વિપક્ષો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ નહીં લે એ નક્કી છે.

વિપક્ષો તેમની રીતે સાચા હશે, પણ તેમના નકારની અસરો અંગે તેમણે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. અન્ય વિપક્ષોનું તો ગજું જ નથી, પણ સૌથી મોટા વિપક્ષ તરીકે કાઁગ્રેસે 2024ની ચૂંટણી સંદર્ભે લીધેલો આમંત્રણના અસ્વીકારનો નિર્ણય પોતાનું જ અહિત કરે એમ બને. એ રીતે તો તમામ વિપક્ષો નુકસાનમાં જ છે. એ સાચું કે ભા.જ.પ. અને આર.એસ.એસ.એ 2024ની ચૂંટણીનો રાજકીય લાભ ખાટવા જ અધૂરા રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાનો ઉપક્રમ યોજ્યો છે ને આ ઉપક્રમ ચૂંટણીમાં હુકમનું પાનું સાબિત ન થાય તો જ આઘાત લાગે, બાકી, તો એ લાભમાં રહેશે એમાં શંકા નથી. માની લઇએ કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ આખો ઉપક્રમ યોજાયો છે, તો સવાલ એ થાય કે તે કેમ ન યોજવો? રામને નામે મત ઉઘરાવવાનો ઉપક્રમ હોય તો આ કામ તો કાઁગ્રેસ પણ કરી શકી હોત, પણ તે દાયકાઓ સુધી ન થયું ને પછી કાઁગ્રેસ કહે કે તેને રામમાં પૂરી શ્રદ્ધા છે તો તે ગળે કેવી રીતે ઊતરે?

અડવાણીની રથયાત્રા, બાબરી ધ્વંસ, સુપ્રીમનો નિર્ણય ને હવે પ્રાણપ્રતિષ્ઠા જેવા ઉપક્રમમાં વિપક્ષોએ ક્યારે ય સક્રિયતા દાખવી છે? જે સંઘર્ષો થયા એમાં કાઁગ્રેસે કે અન્ય પક્ષોએ સાથ-સહકાર આપ્યો છે? ત્યારે તો ભા.જ.પ. પાસે સત્તા પણ ન હતી, એ સ્થિતિમાં કરોડો હિન્દુઓની અવગણના એ જ એક માત્ર લક્ષ્ય હતું. એવા સંઘર્ષ કાળમાંથી ભા.જ.પ. સત્તા પર અને ત્યાંથી રામમંદિર નિર્માણ સુધી આવ્યો છે, તો એ રાજકીય લાભ શું કામ ન ખાટે? ભા.જ.પ. વૉટની રાજનીતિ કરે છે, તો કાઁગ્રેસ નથી કરતી, એમ? ત્યારે કાઁગ્રેસે મુસ્લિમ વૉટની રાજનીતિ ખેલી, તો હવે ભા.જ.પ. હિન્દુ મતોની રાજનીતિ ખેલે તેમાં નવાઈ શું છે? આખા ય ઉપક્રમમાં પૂરેપૂરું રાજકારણ હોય તો પણ તે કાઁગ્રેસનાં અગાઉ ખેલાયેલ રાજકારણનો જ પડઘો છે, એવું નહીં? ખરેખર તો ભા.જ.પ. રાજકારણ ખેલે છે એમ કહીને વિપક્ષોએ સહાનુભૂતિ ઉઘરાવવાનું બંધ કરીને આવનારી ચૂંટણીમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા શું કરવું જોઈએ એની યોજના વિચારવી જોઈએ. એક બાબત નક્કી છે કે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનાં આમંત્રણનો નકાર કોઈ પણ પક્ષને નહીં ફળે. કાઁગ્રેસે આમંત્રણ નકારીને ગુજરાતના કાઁગ્રેસી નેતાઓમાં પણ વિરોધનો સૂર ઉપસાવ્યો છે.

વરિષ્ઠ પ્રાદેશિક નેતા અર્જુન મોઢવડિયાએ સ્પષ્ટ કર્યું છે કે કાઁગ્રેસે આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈએ. રામ આરાધ્ય છે ને એ આસ્થા અને વિશ્વાસની બાબત છે. જયરામ રમેશનાં નિવેદન સંદર્ભે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે કહ્યું કે આવું નિવેદન કાઁગ્રેસના અસંખ્ય નેતાઓને નિરાશ કરનારું છે, તો ગુજરાત  કાઁગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવા મતોને સત્યથી વેગળા ગણાવી એટલો ઉમેરો કરે છે કે કાઁગ્રેસ રામની આસ્થા સાથે તો છે જ, પણ તેનો વાંધો ભા.જ.પ. રાજકીય લાભ ખાટવા આ ઉપક્રમ યોજે છે તેની સામે છે ને કાઁગ્રેસ એનો હિસ્સો ન થઈ શકે. આ સાચું હોય તો પણ તમામ વિપક્ષો પોતાના વાંધાઓ ઊભા રાખીને પ્રાણપ્રતિષ્ઠામાં જોડાય એવું દરેક હિન્દુ ઈચ્છે, પણ ખાસ કરીને કાઁગ્રેસ એ જ જૂની રીતરસમ જાળવવા મથે છે. તે મુસ્લિમ મતો જાળવી રાખવા પણ આમાં ન જોડાય તે સમજી શકાય એમ છે. એમ કરીને તે કરોડો હિંદુઓનાં મત ગુમાવવા તૈયાર છે, પણ આ વલણ કાઁગ્રેસની તરફેણમાં નહીં જાય તે પણ એટલું જ સાચું છે. કાઁગ્રેસે એ પણ જોવું જોઈએ કે કેટલાંક મુસ્લિમ અગ્રણીઓ ભા.જ.પ.ની સાથે છે. છેલ્લે છેલ્લે તો જાણીતા ફિલ્મી લેખક, ગીતકાર જાવેદ અખ્તરે તો ત્યાં સુધી કહ્યું છે કે રામ મંદિરનાં નિર્માણ સામે કોઈને પણ વાંધો ન હોવો જોઈએ ને આ વિશ્વનો સૌથી મોટો તહેવાર છે. એ ઉપરાંત ભા.જ.પ.માં પણ કેટલાંક મુસ્લિમ નેતાઓ-સાંસદો છે કે કેટલાંક તો મંત્રીઓ પણ રહી ચૂક્યા છે. આ સ્થિતિ હોય ત્યાં આમંત્રણનો અસ્વીકાર ગેરસમજમાં જ વધારો કરશે કે બીજું કૈં? મોટા ભાગની પ્રજા તો એમ જ માનશે કે કાઁગ્રેસે આમંત્રણ નકાર્યું છે તે ભા.જ.પ.ના વિરોધમાં નહીં, પણ રામના વિરોધમાં છે, એટલે જે કાઁગ્રેસને માને છે ને હિન્દુ છે ને રામના ભક્ત છે, તે અસ્વીકારના આ વલણથી રાજી નહીં થાય.

વિપક્ષોના આ નકારથી 2024ની ચૂંટણીનો લાભ તેમને તો નહીં થાય, પણ એનો ફાયદો ભા.જ.પ.ને જરૂર  થશે ! એ કમનસીબી છે કે 28 વિપક્ષો ભા.જ.પ.ની સામે ભેગા થયા છે, પણ એક થયા નથી. દરેક વિપક્ષ પોતાનું વિચારે છે, પણ અન્યનું કોઈ વિચારતું નથી. વિપક્ષો પાસે કોઈ કોમન મિનિમમ પ્રોગ્રામ નથી, બધા વિપક્ષો વતી દેશ સામે ધરી શકાય એવો એક સ્પષ્ટ ચહેરો નથી. અત્યારે તો આવનારી ચૂંટણી સંદર્ભે વિપક્ષો વચ્ચે સીટોની ખેંચાખેંચી ચાલે છે. મમતા બેનર્જી બે જ સીટ આપવા તૈયાર છે, એવું જ અન્ય પક્ષોનું પણ છે. આવામાં રામને નામે વિપક્ષો અયોધ્યામાં એક થયા હોત ને થોડો સમય સાથે રહ્યા હોત તો કોઈનું કૈં બગડવાનું ન હતું, પણ આમંત્રણ નકારીને વિપક્ષોએ પોતાનું ઘણું બગાડ્યું છે. ગમ્મત તો એ છે કે વિપક્ષોના આવા નકારનો અવાજ પણ એક નથી, એ દરેકનો આગવો નકાર છે, એ પરથી પણ તેમની વચ્ચેની એકતાનો અંદાજ લગાવી શકાય એમ છે. આમ તો ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કાઁગ્રેસની યાત્રા છે, પણ એ ઘણું ખરું તો રાહુલ ગાંધીની જ હોય એવું વધારે લાગે છે. એ મણિપુરથી 14મીએ શરૂ થવાની હતી, પણ તેને મંજૂરી મળી નથી. અહીં સવાલ એ થાય કે વિપક્ષો જો ખરેખર સાથે થયા હોય તો એ રાહુલ કે કાઁગ્રેસની જ યાત્રા હોય એવું કેમ લાગે છે? કેમ અન્ય વિપક્ષોને ભારતને જોડવાની કે ન્યાયની જરૂર નથી લાગતી? દૂરંદેશીપણાનો અભાવ અને અમર્યાદ સત્તાલાલસા, આત્મરતિ જેવાં લક્ષણો નહીં ઘટે તો વિપક્ષોથી ભા.જ.પ.ને ડરવાનું કોઈ કારણ નથી. વડા પ્રધાન તો બધું મળીને કોઈ એક જ થાય, પણ વિપક્ષો પર નજર નાખીએ તો લગભગ બધા વિપક્ષોને પોતપોતાના વડા પ્રધાન તો છે જ !

આવામાં જે પક્ષ પાસે દેખાડવા લાયક સતત એક જ ચહેરો છે, તે ખોટમાં નહીં જાય એવું ખરું કે કેમ?

વિપક્ષોએ વધારે નહીં તો મજબૂત વિપક્ષ તરીકે સંસદમાં બેસવા જેટલી ક્ષમતા દાખવવા કૈંક તો કરવું જ જોઈએ. એમ નહીં થાય તો 2024ની ચૂંટણી તો થશે, પણ તે પછી ચૂંટણી આવવા વિષે ભારોભાર શંકા જ રહેશે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 જાન્યુઆરી 2024

Loading

...102030...695696697698...710720730...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved