Opinion Magazine
Number of visits: 9665229
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પહેરવેશ, પરિવર્તન, પ્રતિરોધ, પ્રતિબંધ અને પર્યાવરણ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|7 June 2024

ચંદુ મહેરિયા

‘દેશ તેવો વેશ’ અને ‘એક નૂર આદમી હજાર નૂર કપડાં’ જેવી કહેવતોથી બદન ઢાંકવા માટેનાં કપડાંની સફર ક્યાં પહોંચી છે તે જણાય છે. કપડાં, વસ્ત્ર, લૂંગડાં, ચીથરાં, પોશાક, પહેરવેશ,ગણવેશ જેવા શબ્દોથી ઓળખાતા શરીરની સલામતી, ઈજ્જત, વિનમ્રતા, સુંદરતા, આકર્ષણના ઉદ્દેશે પહેરાતાં કપડાં હવે તો તેના સ્વીકૃત સ્વરૂપમાં બદલાવ અર્થાત નિતનવી ફેશન સાથે સાંસ્કૃતિક પરંપરાથી ઘણા આગળ નીકળી ગયાં છે. સુખની પરિભાષામાં ખાધે-પીધેની સાથે જ લૂગડે-લત્તે સુખીનો પણ સમાવેશ થાય છે. તેના પરથી પણ તેની મહત્તા જણાય છે. હવે તો માત્ર ફેશનેબલ જ નહીં બ્રાન્ડેડ અને ફાસ્ટ ફેશનનો પણ જમાનો આવી ગયો છે.

સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે જોડાયેલા માનવીના પોશાકમાં સતત પરિવર્તન થતા રહ્યાં છે. પ્રાચીનકાળમાં માણસ શરીર ઢાંકવા ઝાડની છાલ કે જાનવરોનાં ચામડાનો ઉપયોગ કરતો હતો. પહેલા લંગોટ અને કાપડની શોધ પછી તે લાંબુ કપડું વીંટતો હતો. કાળક્રમે સાડી અને ધોતી વાપરતો થયો. સિલાઈની શોધે તેનાં કપડાંમાં પ્રાણ પૂર્યા અને જાતભાતના કપડાં પહેરતો થયો. સ્ત્રીઓના બ્લાઉઝની શોધ કદાચ બંગાળમાં પહેલીવાર થઈ હતી. મહિલા મુક્તિની દિશામાં રૂઢિવાદી પિતૃસત્તાત્મક સમાજમાં સાડીથી ગાઉન કે ડ્રેસ સુધીની મહિલાઓની વસ્ત્ર પરિધાન યાત્રા સાચે જ કઠિન હશે. ભારતની સઘળી વિવિધતા લોકોના પહેરવેશમાં જોવા મળે છે. શહેરોમાં પશ્ચિમી વેશભૂષાનું ચલણ છે. પરંતુ ગામડાઓમાં ખેડૂતો, કારીગરો અને શ્રમિકો તેમનાં કામને અનુરૂપ કપડાં પહેરે છે.

જેમ પરિવર્તન તેમ પ્રતિબંધ પણ પહેરવેશ સાથે જોડાયેલો છે. કપડાં ઓળખની સાથે માનવીના સામાજિક-આર્થિક દરજ્જાનું પણ પ્રતીક છે. બ્રિટિશકાળમાં કેટલાક ભારતીયો અંગ્રેજો જેવો પોશાક પહેરતા અને અન્ય ભારતીયોથી પોતાને વેંત ઊંચા માનતા. આપણા ધાર્મિક સ્થળોએ અમુક કપડાં પ્રતિબંધિત છે જ ને ? તેથી આ વરસના આરંભે ઇન્ડિયન નેવીની મેસમાં નેવી ઓફિસર્સ અને સોલ્જર્સને કુર્તા-પાયજામા પરિધાન કરવાની છૂટ મળી તે ગુલામીના અવશેષોમાંથી મુક્તિ અને ભારતીય પરંપરાના અમલની દિશાનુ કદમ છે. આજે ભારતીયોના રોજ બ રોજના પોશાકમાં ધોતી-સાડી અને કુર્તા-પાયજામાનું ચલણ વધ્યું છે તે ઔપનિવેશિક માનસિકતાથી દૂરી અને સાંસ્કૃતિક સ્વરાજનું દ્યોતક છે.

ગાંધીજીએ ગરીબ મહિલાની સ્થિતિ જોઈને શરીર પરનાં ઘણાં વસ્ત્રો છોડી જિંદગીભર પોતડી પહેરી હતી. એ તો ખરું પણ અંગ્રેજોએ ભારતના કાપડ ઉદ્યોગને તબાહ કરી તેમના દેશનું કાપડ આપણા માથે માર્યું ત્યારે ગાંધીજીએ તેના વિરોધમાં વિદેશી કાપડ અને વસ્ત્રોના બહિષ્કારનું એલાન આપ્યું હતું. દેશમાં ઠેરઠેર વિદેશી કાપડની હોળી થઈ હતી. ઘણીવાર મહિલાઓએ નગ્ન કે અર્ધનગ્ન થઈને વિરોધ કર્યો છે. નારીવાદનો આરંભ નારીઓનાં આંતરવસ્ત્રો સળગાવીને થયો હતો. એટલે કપડું પ્રતિબંધની જેમ પ્રતિરોધનું પણ સાધન છે. વિદેશી કાપડના બદલે દેશી કાપડ, હાથવણાટનું કાપડ અને ખાદી તેનો વિકલ્પ જ નહીં આઝાદી આંદોલનનું પણ પ્રતીક હતું. ગાંધી ટોપી આજે ભાગ્યે જ જોવા મળે છે, પણ તે સ્વતંત્રતા આંદોલનનું મજબૂત પ્રતીક હતું.

ચીન, રશિયા અને જાપાન જેવા દેશોના નેતાઓ પશ્ચિમી શૈલીના કપડાં પહેરે છે ત્યારે ભારતના રાજનેતાઓ ભારતીય પોશાક જ પહેરે છે. તેમાં પણ તેમની વિશિષ્ટતા જોવા મળે છે. પ્રથમ વડા પ્રધાન નહેરુનું નહેરુ જેકેટ તો હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો અડધી બાંયનો મોદી કુર્તા જાણીતા છે. ઇંદિરા ગાંધીથી સોનિયા ગાંધી સુધીનાં મહિલા નેતાઓ ખાદીની સાડીને મહત્ત્વ આપે છે. ગાંધીની ટોપી વિલુપ્ત થઈ ગઈ છે તો પછી બાપુ પહેરતા હતા તે પોતડી તો તેમની હયાતીમાં જ ભાગ્યે જ કોઈ પહેરતા. જો કે મોદી કુર્તા અને મોદી લુક માટે ઓન લાઈન બિઝનેસ વેબસાઈટ્નું હોવું કે પૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાના પત્ની મિશેલ ઓબામાના પહેરવેશ વિશે બ્લોગ હોવો તે દર્શાવે છે કે લોકો રાજનેતાઓનાં વસ્ત્ર પરિધાનને કેટલા અનુસરે છે.

ફેશનનો જે ટ્રેન્ડ ચાલે છે તે આશરે વીસ વરસે બદલાઈ જાય છે. વરસે ૮૦ ટકા કરતાં વધુ કપડાં ડમ્પ થઈ જાય છે. કપડાંનું અર્થકારણ પણ મહત્ત્વનું છે. ૮૦ ટકા કપડાં બનાવનાર ૧૮થી ૨૪ વરસની મહિલાઓ હોય છે. એટલે કપડામાં આવતું પરિવર્તન જનહિતમાં હોવું જોઈએ. વ્યક્તિની સામાજિક-આર્થિક ઓળખ કપડાં પરથી પરખાય છે એટલે પણ સૌને પોસાય અને જચે તેવા કપડાં જરૂરી છે. ઘણી વાર લોકો ફેશનનાં નામે એવાં કપડાં પહેરે છે જે મજાકનું સાધન બને છે. એટલે વ્યક્તિએ તેના કદ-કાઠીને શોભે તેવાં વસ્ત્રો પહેરવા ઘટે. શરીર અને ઉમ્મરને અનુરૂપ તથા શરીરને માફક આવે તેવાં કપડાં પહેરવાં જોઈએ. જીન્સ પહેરવું કે માત્ર સ્કીનટાઈટ જીન્સ પણ વિચારવું પડશે. જુવાન મહિલાઓનાં કપડાંની પણ આલોચના થાય છે. તે સંદર્ભે યુવતીઓએ ટૂંકાં કપડાં ન પહેરવાં કે પુરુષોએ રૂઢિવાદી માનસિકતા બદલવી તે સવાલ છે.

પહેરવેશનો પર્યાવરણ સાથે ગાઢ સંબંધ છે. એ મુદ્દે હવે જાગ્રતિ આવી રહી છે. જળવાયુ પરિવર્તન સામે લડવા અને પર્યાવરણના સંરક્ષણ માટે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) તથા સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ચેન્નઈએ મળીને એક અભિયાન શરૂ કર્યું છે. સી.એસ.આઈ.આરે. તેના કર્મચારીઓ, વૈજ્ઞાનિકો અને અન્ય તમામને દર સોમવારે ઈસ્ત્રી વગરનાં કપડાં પહેરવા અપીલ કરી છે. એક જોડ કપડાંને ઈસ્ત્રી કરવાથી ૨0૦ ગ્રામ કાર્બનનું ઉત્સર્જન થાય છે તેના કરતાં કરચલીવાળા, ઈસ્ત્રી વગરનાં કપડાં શું ખોટા? તે આ ઝુંબેશનો હેતુ છે. સી.એસ.આઈ.આર.ની ૩૭ લેબોરેટરીઝમાં ૩,૫૨૧ સાયન્ટિસ્ટ અને ૪,૧૬૨ ટેકનિકલ અને બીજો સ્ટાફ કામ કરે છે. જો બધું સમુસૂથરું પાર પડે તો માત્ર આ એક જ સંશોધન સંસ્થાના કર્મચારીઓના અઠવાડિયે એક વખત ઈસ્ત્રી વગરનાં કપડાંથી વરસે ૪,૭૯,૪૧૯ કિલોગ્રામ કાર્બનનું ઉત્સર્જન અટકાવી શકાશે. પર્યાવરણની દૃષ્ટિએ પણ પોશાકને જોવાની જરૂર છે.

આઈ.આઈ.એમ. તેના સ્નાતકોને દીક્ષાંત સમારોહમાં યુવકોને કુર્તા-પાયજામા અને યુવતીઓને સાડીનો ભારતીય પરંપરાનો પોશાક પહેરવા અનુરોધ કરે છે. હવે આઈ.આઈ.એમ.ના દીક્ષાંત સમારોહ લગભગ ભારતીય પોશાકમાં જ યોજાય છે. પરંતુ શાળાઓનો ગણવેશ હોય કે કંપનીઓનો ડ્રેસ કોડ તે દેશની આબોહવાને અનુરૂપ હોય તે વધુ જરૂરી છે.

e.mail :  maheriyachandu@gmail.com

Loading

એન.ડી.એ.ની જીતમાં હાર છે, જ્યારે ‘ઇન્ડિયા’ની હારમાં જીત છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 June 2024

રવીન્દ્ર પારેખ

નરેન્દ્ર મોદી 9મી જૂને ત્રીજી વાર વડા પ્રધાન પદનાં શપથ લે એમ બને. તેમને અભિનંદનો અને શુભેચ્છાઓ પાઠવીએ અને પ્રાર્થના કરીએ કે વડા પ્રધાન તરીકેનો તેમનો કાર્યકાળ નિર્વિઘ્ને સંપન્ન થાય. પ્રાર્થના એટલે, કારણ, હવે જે સરકાર બનવા જઈ રહી છે તે ભા.જ.પ.ની નથી, એન.ડી.એ.ની – ગઠબંધનની સરકાર છે. 1989 પછી પહેલીવાર ગઠબંધનની સરકાર બનશે ને વાજપેયીની ગઠબંધનની સરકારને જે વીતી હતી, તે જગત જાણે છે, એ જોતાં અગાઉ જેટલું હવે મોદી માટે સહેલું નહીં હોય. અગાઉની સરકાર પાસે ભા.જ.પ.નો જ પૂર્ણ બહુમત હતો. હવે ભા.જ.પ.ને સૌથી વધુ 240 સીટો મળી છે એ ખરું, પણ ભા.જ.પ.ની જ સરકાર બનાવવા માટે તેને 32 માથાં ખૂટે, એટલે સાથી પક્ષોના ટેકા વગર સરકાર બનાવવાનું શક્ય નથી. સાથી પક્ષોનો ટેકો લેવામાં આવે તો 272નો આંકડો પાર પડે એમ છે. એમાં આંધ્રના ચંદ્રાબાબુ નાયડુ (ટી.ડી.પી.) અને બિહારના નીતીશકુમાર (જે.ડી.યુ.) પાસે અનુક્રમે 16 અને 12 સીટો છે. એ જો સામેલ થાય તો 272નો આંકડો પાર કરવાનું સરળ થાય. વળી એ બંનેએ મોદીને સમર્થન આપ્યું છે, એ ઉપરાંત મોદીને એન.ડી.એ.ના નેતા પણ જાહેર કરવામાં આવ્યા છે.

‘ઇન્ડિયા’ની વાત કરીએ તો એકલી કાઁગ્રેસે 99 સીટ મેળવી છે ને કુલ સીટ 234 છે. બધા કાઁગ્રેસ સાથે છે એમ માનીએ તો પણ 272ને આંકડે પહોંચવામાં બીજા 38 માથાં ખૂટે. એટલે નાયડુ કે નીતીશકુમાર આ તરફ આવે તો પણ બીજાં 10 ખૂટે, એટલે ‘ઇન્ડિયા’એ સરકાર બનાવવાનો દાવો હાલ પૂરતો મોકૂફ રાખીને વિપક્ષમાં બેસવાનું નક્કી કર્યું છે. આ વખતનાં ચૂંટણી પરિણામોની ખાસિયત એ છે કે એમાં જીતનાર બહુ ખુશ નથી ને હારનાર વધારે ખુશ છે. જીતનાર એટલે નાખુશ છે કે એક જ પક્ષની સરકાર બનતાં બનતાં રહી ગઈ છે, પરિણામે એકચક્રી શાસનમાં દાયકા પછી ગાબડું પડ્યું છે. હારનાર એટલે ખુશ છે કે મોદી સરકારમાં અગાઉ મળી ન હતી એટલી સીટ કાઁગ્રેસને આ વખતે મળી છે. વિપક્ષ એટલે પણ રાજી છે કે કાઁગ્રેસના રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટી(સ.પા.)ના અખિલેશ યાદવની યુતિ ઉત્તર પ્રદેશને ફળી છે. બંનેને 80માંથી 41 સીટ મળી છે. એમાં ભા.જ.પ.ની 32 બેઠકો કપાઈ છે. ઉત્તર પ્રદેશમાં ભા.જ.પ.ને પડેલો એ મોટો ફટકો છે, તે ત્યાં સુધી કે અયોધ્યાનો રામમંદિરનો આખો ઉપક્રમ જ નિષ્ફળ ગયો, તે એ રીતે કે ભા.જ.પે. અયોધ્યાની જ સીટ ગુમાવી. એ તો ઠીક, પણ અયોધ્યાની ફરતેનાં 100 કિલોમીટર સુધીના વિસ્તારમાં પણ ભા.જ.પ.નો પત્તો ના લાગ્યો. અયોધ્યા તીર્થક્ષેત્ર તરીકે વિકસાવવાને બદલે ટુરિઝમ સેન્ટર તરીકે વિકસાવવામાં નડતરરૂપ ઘણી દુકાનો, ઘણાં મકાનો પર બુલડોઝરો ફર્યાં અને કેટલાં ય લોકો રસ્તે આવી ગયાં. રામપથ બને તેનો તો શો વાંધો હોય, પણ એવું કરવાં જતાં લોકો રઝળી પડ્યાં. દેખીતું છે કે આ મામલે અયોધ્યાવાસીઓ રાજી ન હોય.

ભારતીય પ્રજા આમ બહુ ભણી નથી, પણ તે ગણી નથી, એમ ન કહેવાય. તેણે સાબિત કરી દીધું કે તે પરિણામોમાં બોલે છે. પ્રજાએ સભા-સરઘસો જોયાં. શાસકો અને વિપક્ષોની વાતો સાંભળી, રાહુલ ગાંધીની યાત્રાઓ જોઈ, મોદીના રોડ શો જોયા ને એવો ચુકાદો આપ્યો કે રાષ્ટ્રીય પક્ષો સુધી તો ઠીક, નાના પ્રાદેશિક પક્ષોને પણ સ્પર્શે. કોઈ નેતા તેની અસરથી મુક્ત નથી રહી શક્યો. વારાણસીમાં વડા પ્રધાન મોદી જીત્યા તો ખરા, પણ એમની લીડ ત્રણ લાખથી ઘટી ગઈ. ભા.જ.પ.ને સંઘની બાદબાકી પણ નડી. રાષ્ટ્રીય અધ્યક્ષે તો સંઘની હવે જરૂર નથી, તેવું પણ સંકોચ વગર કહી દીધું. આ તોર ભારે પડ્યો. એવું નથી કે મોદી સરકારે કૈં કર્યું નથી. સર્જિકલ સ્ટ્રાઈક, 370ની નાબૂદી, રામમંદિર જેવા મુદ્દે મોદી સરકારને સફળતા પણ મળી, કોઈ વડા પ્રધાનના કાર્યકાળમાં 80 કરોડ જનતાને વર્ષો સુધી મફત અનાજની યોજના લાગુ નથી થઈ, પણ મોદીના કાળમાં એ શક્ય બન્યું. વિકાસ કામો થયાં. વૈશ્વિક પ્રતિષ્ઠામાં વધારો થયો …

કામ તો થયાં, પણ મોંઘવારી, બેરોજગારીમાં પ્રભાવક કામ ન થયું. કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રની સરકારો તોડવાનું થયું. ચૂંટણી બોન્ડ સુપ્રીમે ગેરબંધારણીય ઠેરવ્યાં, તો સરકાર બચાવમાં પડી. બંધારણ બદલવાની વાતે લોકશાહી અંગે ચિંતાનું વાતાવરણ સર્જાયું, મુસ્લિમ, મંગલસૂત્ર ચર્ચામાં આવ્યાં. આ બધી બાબતોએ ભા.જ.પ.ની સરકારને ગઠબંધનની સરકારમાં ફેરવી.

સીધીને સટ વાત એ છે કે મોટે ભાગના રાજ્યોમાં 80થી 85 ટકા વસ્તી હિન્દુઓની છે. એમાંના ઘણાં તો ભક્તજનો છે. જો એમણે મત આપ્યો હોય તો ભા.જ.પ.ની હારની શક્યતા જ નહિવત છે. લાગે છે એવું કે લઘુમતીએ ‘ઇન્ડિયા’ને વધુ ટકાવારીમાં મત આપ્યા અને હિન્દુઓએ એક યા બીજા કારણે ઓછા મત આપ્યા, એ સાથે જ તેમના મત હિન્દુ કાઁગ્રેસી ઉમેદવારમાં વહેંચાયા હોય તો ભા.જ.પ.ને એટલા મત ઓછા પડે. આમ જ થયું છે, એવું નહીં, પણ આવું થયું પણ હોય. બીજી તરફ ભા.જ.પ.નો જીત અંગેનો વધુ પડતો આત્મવિશ્વાસ કામ કરી ગયો હોય ને સ્થાનિક પ્રચાર ટાંચો પડ્યો હોય એમ બને. એ પણ ખરું કે ભયંકર ગરમીને કારણે મતદારો આળસી ગયા હોય. બને તો હિન્દુ મતોની ટકાવારી તપાસવા જેવી છે. એ કદાચ નિરાશ કરી શકે. રાહુલ ગાંધીને અને અખિલેશ યાદવને ઓછા આંકવાનું પણ આ પરિણામ હોઈ શકે. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીની રીતિનીતિ પણ અમુક વર્ગને માફક ન આવી હોય એમ બને.

બંગાળમાં ભા.જ.પ.ની 6 બેઠક ઘટી ને તૃણમૂલની સાત બેઠકો વધી. એનો અર્થ એ કે બંગાળમાં મમતા બેનરજીનો પ્રભાવ ઘટ્યો નથી. મહારાષ્ટ્રમાં શરદ અને ઉદ્ધવ અસલી અને અજિત તથા શિંદે નકલી છે, એવું પરિણામોએ પુરવાર કર્યું. 2019માં ભા.જ.પ.ને 23 બેઠકો મળી હતી, તે આ વખતે 10થી આગળ ન ગઈ. કાઁગ્રેસને 13 બેઠકો મળી. મહારાષ્ટ્રમાં જે તોડફોડ થઈ તેને પ્રજાનું સમર્થન હતું એવું પરિણામો કહેતાં નથી. ટૂંકમાં, ભા.જ.પ.ને સર્વગ્રાહી રીતે આત્મનિરીક્ષણની જરૂર છે. કોન્ફિડન્સ જરૂરી છે, પણ ઓવર કોન્ફિડન્સ ઘાતક છે. પક્ષો તોડવાની, સરકારો ઉથલાવવાની રાજનીતિ જરૂરી હોય કે અન્ય પક્ષના સભ્યોને પોતાનામાં ખેંચી લાવવામાં રાજનીતિ હોય તો પણ તે અમુક મર્યાદા સુધી જ સહ્ય છે. અન્ય પક્ષમાંથી ભા.જ.પ.માં આવનારાઓને ટિકિટો અપાઈ અને વર્ષોથી પક્ષમાં રહીને વફાદારી નિભાવતા કાર્યકરોને ભોગે એ થયું, તેણે પણ પક્ષમાં અસંતોષ જન્માવ્યો હોય એ શક્ય છે. એથી કાર્યકરોની કાર્યપદ્ધતિ પૂર્વવત રહે જ એવું બધા માટે માની ન શકાય. બને કે એ અસંતોષે પરિણામોને પ્રભાવિત કર્યાં હોય.

એ સાચું કે ઉત્તર પ્રદેશમાં ભા.જ.પ.ને ખોટ ગઈ, પણ દક્ષિણમાં તેને લાભ પણ થયો. ઓડિસા વિધાનસભામાં 24 વર્ષોનું નવીન પટનાયકનું બી.જે.ડી.નું શાસન ખતમ થતાં એ રાજ્યનો દોર પણ ભા.જ.પ.ના હાથમાં આવ્યો છે. કેરળમાં ફિલ્મ કલાકાર સુરેશ ગોપીએ ભા.જ.પ.નું ખાતું ખોલાવ્યું છે. એન.સી.પી.ના શરદ પાવર, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને કાઁગ્રેસના રાહુલ ગાંધીને નેતૃત્વની અસલી ઓળખ લોકસભાની આ ચૂંટણીમાં પરત મળી છે.

સૌથી મોટા પક્ષ તરીકે ઊભરવા છતાં ભા.જ.પે. અન્ય પક્ષોની સાથે રહીને કામ કરવું પડે એ લાચારી છે. દેખીતું છે કે સાથી પક્ષો પણ સહકાર આપવાની કિંમત વસૂલે. એક તબક્કે ટી.ડી.પી.ના ચંદ્રાબાબુને, વડા પ્રધાન મળવાનો સમય આપતા ન હતા, એમને સામેથી ફોન કરીને દિલ્હી આવવા આમંત્રણ આપવું પડે કે નીતીશકુમારને દિલ્હી આવવા તેડું મોકલવું પડે એવા દિવસો આવ્યા છે. વળી ટી.ડી.પી.ના ચંદ્રાબાબુએ અને જે.ડી.યુ.ના નીતીશકુમારે તો મહત્ત્વનાં મંત્રાલયોની ઉઘરાણી પણ શરૂ કરી દીધી છે. નીતીશકુમારને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તથા સ્પીકરનાં પદની અને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળે એની લાલસા છે, તો ચંદ્રાબાબુ પણ સ્પીકર પદ પર આંખો ઠેરવીને બેઠા છે. એમને સંતોષ આપવા જતાં ભા.જ.પ.ના સાંસદોના સંભવિત મંત્રીપદો કપાય એમ બનવાનું, એ સાથે જ સાથી પક્ષોને સંતોષ ન અપાય તો સરકાર જોખમમાં આવી પડે. ટૂંકમાં, નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડા પ્રધાન બને તો પણ, તેમને આગલી બે ટર્મ જેવી મોકળાશ મળવાનું મુશ્કેલ છે, તે એટલે કે રાજકારણનો બહોળો અનુભવ હોવા છતાં, ગઠબંધનની સરકાર ચલાવવાનો મોદીને અનુભવ નથી. બીજી તરફ ચંદ્રાબાબુ અને નીતીશકુમાર વાજપેયીની ગઠબંધન સરકારમાં એન.ડી.એ.નો હિસ્સો રહી ચૂક્યા છે. વાજપેયી સહયોગી પક્ષોના દબાણમાં એટલા હતા કે રામમંદિર, 370ની નાબૂદી અને કોમન સિવિલ કોડ અંગે આગળ વધી શક્યા ન હતા. હવે એન.ડી.એ.ની સરકાર થવા જઈ રહી છે, તો કોમન સિવિલ કોડમાં કેટલી સફળતા સરકારને મળશે તે પ્રશ્ન જ છે. સાથી પક્ષો વધુ હોય તો એકાદ પક્ષ ટેકો ખેંચી લે તો પણ, અન્ય પક્ષોનો ટેકો હોય તો સરકાર ટકી જાય, પણ પક્ષો વધુ હોય તો તેમની અપેક્ષાઓ પણ વધુ હોય ને બધાંને સાચવવાનું અઘરું બને, એટલે ગઠબંધનની સરકાર ટર્મ પૂરી કરે તો એને ચમત્કાર જ ગણવાનો થાય. બીજી ખાસ વાત એ કે આ વખતે વિપક્ષ વધુ મજબૂત સ્થિતિમાં સામે આવ્યો છે ને તેની સાથે ય પાનાં પાડવાના છે. એ ખરું કે લોકશાહી ને બંધારણ સામેનાં જોખમો ઘટ્યાં છે, પણ ગઠબંધનની સરકારને લોઢાનાં ચણા ચાવવાનું ન થાય એમ બને. અઘરું છે, પણ અશક્ય નથી. જોઈએ, શું થાય છે તે –

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 07 જૂન 2024

Loading

પોતાને બદલો, ભવિષ્ય આપમેળે બદલાશે : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

સોનલ પરીખ|Opinion - Cartoon, Opinion - Opinion|7 June 2024

પ્રજા તરીકે આપણામાં વિદેશી ચીજોનો આંધળો મોહ છે. આપણે ધનને જ સફળતાની પારાશીશી સમજીએ છીએ. સરકારની ટીકાઓ કરીએ છીએ પણ પોતે કાયદો, સ્વચ્છતા, મૂલ્યો પાળતાં નથી. ભ્રષ્ટ સિસ્ટમનો ભ્રષ્ટ હિસ્સો બની રહીએ છીએ. નાગરિક તરીકે પોતાના કન્ટ્રીબ્યૂશનનો વિચાર કરતા નથી. યુવાનો, અલગ રીતે વિચારો. કંઈક નવું કરવાનો પ્રયત્ન કરો, પોતાનો રસ્તો પોતે બનાવો અને જે અસંભવ છે તેને સંભવ કરી બતાવો.

                                                                                                                                               — ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ એટલે આપણા એકમાત્ર વિજ્ઞાની રાષ્ટ્રપતિ. વિજ્ઞાની અને એન્જિનિયર હોવા સાથે તેઓ ઉમદા અને નિષ્ઠાવાન વ્યક્તિ હતા. ડૉ અબ્દુલ કલામે ચાર દાયકા વિજ્ઞાનપ્રશાસક તરીકે વિતાવ્યા હતા. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ડી.આર.ડી.ઓ.) ને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કામ કર્યું હતું અને 2002થી 2007 સુધી ભારતના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.

ડૉ અબ્દુલ કલામનો જન્મ તામિલનાડુના રામેશ્વરમમાં. જૈનુલાબુદ્દીન નામના બોટમાલિક અને તેમની પત્ની આશિયમ્માનાં પાંચ બાળકોમાં તેઓ સૌથી નાના. તેમના પૂર્વજો શ્રીમંત વેપારીઓ હતા, પણ 20મી સદીની શરૂઆતમાં પરિવારે તેની મોટા ભાગની સંપત્તિ ગુમાવી દીધી હતી. પિતાને ટેકો કરવા અબ્દુલ કલામ શાળામાં હતા ત્યારે અખબારો વહેંચતા. વિદ્યાર્થી તરીકે તેઓ તેજસ્વી, જ્ઞાનપિપાસુ અને હંમેશાં નવી વસ્તુઓ શીખવા માટે ઉત્સુક હતા.

મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાં એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા ત્યારે તેમનું સ્વપ્ન ફાઈટર પાઈલટ બનવાનું હતું, પણ નિયતિ તેમને વિજ્ઞાની તરીકે ડી.આર.ડી.ઓ.માં લઈ ગઈ. તેઓ ત્યાંના એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટમાં હતા. તેમનો પ્રથમ પ્રોજેક્ટ ભારતીય સેના માટે એક નાનું હેલિકોપ્ટર ડિઝાઇન કરવાનો હતો. અહીં તેમને જાણીતા અવકાશવિજ્ઞાની વિક્રમ સારાભાઈ સાથે કામ કરવાની તક પણ મળી. જો કે, કલામ ડી.આર.ડી.ઓ.માં તેમની કારકિર્દીથી બહુ સંતુષ્ટ ન હતા.

1969માં તેમને ભારતના પ્રથમ સેટેલાઇટ લોન્ચ વ્હીકલના પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે ઈસરોમાં મોકલાયા. 1965માં એક વિસ્તૃત રોકેટ પ્રોજેક્ટ પર તેમણે સ્વતંત્ર રીતે કામ કરવાનું શરૂ કર્યું હતું તેને 1969માં વિસ્તરણ માટે સરકારની મંજૂરી મળી.

આગામી વર્ષોમાં તેમણે પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ એસ.એલ.વી. 3 પ્રોજેક્ટ્સ વિકસાવ્યા. 1970ના દાયકામાં તેમણે સફળ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પ્રોગ્રામની ટૅક્નૉલૉજીથી બેલિસ્ટિક મિસાઈલના વિકાસ પર પણ કામ કર્યું. પ્રોજેક્ટ ડેવિલ અને પ્રોજેક્ટ વેલિયન્ટનું નિર્દેશન કર્યું, જેનો હેતુ ટૂંકી અંતરની સપાટીથી છૂટતી મિસાઈલ બનાવવાનો હતો. આ પ્રોજેક્ટ્સ સંપૂર્ણ સફળતા હાંસલ કર્યા વિના 1980માં બંધ થઈ ગયા છતાં, કલામને વૈજ્ઞાનિક સમુદાય તરફથી ખૂબ આદર અને પ્રશંસા પ્રાપ્ત થઈ.

ત્યાર પછી તેઓ વડા પ્રધાનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકે નિયુક્ત થયા. તેમણે પોખરણ-2 પરમાણુ પરીક્ષણોમાં મુખ્ય ભૂમિકા ભજવી. રાષ્ટ્રપતિ તરીકે તેમને શાસક ભારતીય જનતા પક્ષ અને વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસ બંનેનું સમર્થન હતું. દેશના નાગરિકો તેમને ચાહતા અને આદર આપતા. તેઓ પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે જાણીતા થયા. એક ટર્મ સેવા આપ્યા પછી તેઓ ઓફિસ છોડી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી તિરુવનંતપુરમના ચાન્સેલર અને અન્ના યુનિવર્સિટીમાં એરોસ્પેસ એન્જિનિયરિંગના પ્રોફેસર બન્યા. સાથે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ શિલોંગ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઈન્દોરમાં વિઝિટીંગ પ્રોફેસર પણ બન્યા અને ઈન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી, હૈદરાબાદમાં ઈન્ફોર્મેશન ટૅક્નૉલૉજી શીખવતા હતા.

અબ્દુલ કલામ એક જાણીતા લેખક પણ હતા જેમણે ઇન્ડિયા 2020 : અ વિઝન ફોર ધ ન્યૂ મિલેનિયમ (1998), વિંગ્સ ઓફ ફાયર : એન ઓટોબાયોગ્રાફી (1999), ઈગ્નાઈટેડ માઇન્ડ્સ : અનલીશિંગ ધ પાવર ઈન ઇન્ડિયા (1999), એ મેનિફેસ્ટો ફોર ચેન્જ : એ સિક્વલ ટુ ઇન્ડિયા 2020 (2014), ટ્રાન્સેન્ડન્સ : માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિઅન્સ વિથ પ્રમુખસ્વામી (2015) જેવાં પુસ્તકો લખ્યા છે જે તેમની બુદ્ધિપ્રતિભા અને વિજ્ઞાન-અધ્યાત્મના સુંદર સંયોજનવાળી માનસિકતાને છતાં કરે છે.

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને ભારત સરકાર તરફથી પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારતરત્ન સહિત અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ વોન બ્રૌન એવોર્ડના પ્રાપ્તકર્તા પણ હતા. તેમના મૃત્યુ બાદ, તમિલનાડુ રાજ્ય સરકારે તેમના જન્મદિવસ 15 ઓક્ટોબરને “યુવા પુનરુજ્જીવન દિવસ” તરીકે ઘોષિત કર્યો.

અબ્દુલ કલામ અપરિણીત હતા. મોટાં ભાઈ-બહેનો સાથે તેમના ગાઢ સંબંધો હતા. તેઓ સરળ અને સાદા હતા. તેમની અંગત સંપત્તિ ન જેવી હતી. જીવનના અંતિમ દિવસ સુધી તેઓ સક્રિય રહ્યા. 27 જુલાઈ 2015ના રોજ તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ શિલોંગમાં પ્રવચન આપતાં કાર્ડિયાક અરેસ્ટથી તેમનું મૃત્યુ થયું. તેમના અંતિમ સંસ્કાર તેમના વતન રામેશ્વરમ્‌માં કરવામાં આવ્યા હતા.

ડૉ. કલામે ઉત્તમ વ્યાખ્યાનો આપ્યાં છે. તેઓ યુવાનોને કહેતા, ‘ભારતનો સમાજ વૈવિધ્યપૂર્ણ છે. આ વૈવિધ્યને આદરથી જોવું એ પહેલી વાત છે. ભારતના 3,000 વર્ષના ઇતિહાસમાં શકો-હૂણો અને સિકંદરથી માંડી ગ્રીક, તુર્ક, મોગલ, બ્રિટિશ, પોર્ટુગીઝ, ફ્રેન્ચ, ડચ બધાએ ભારત પર આક્રમણ કર્યું છે, વિનાશ વેર્યો છે અને લૂંટો ચલાવી છે, પણ ભારત જ્યારે સક્ષમ સ્થિતિમાં હતું ત્યારે પણ તેણે કોઈ પર આક્રમણ કર્યું નથી, કેમ કે ભારતની સંસ્કૃતિ અભિજાત અને સ્વતંત્રતાનો આદર કરનારી છે. આ સંસ્કૃતિની ગરિમા જાળવીને આપણે રાષ્ટ્રની તાકાત વધારવાની છે.’

વ્યાખ્યાનોમાં તેઓ કહેતા, ‘ભારત માટે મેં ત્રણ સ્વપ્ન જોયાં છે. મારું પહેલું સ્વપ્ન સ્વતંત્રતાનું છે. જે સ્વતંત્ર નથી તેનું કોઈ માનસન્માન નથી. બીજું સ્વપ્ન વિકાસનું છે. ભારત ત્રીજા વિશ્વનું રાષ્ટ્ર છે. આપણે વિકાસશીલમાંથી વિકસિત રાષ્ટ્ર બનવાનું છે. અને ત્રીજું સ્વપ્ન વિશ્વમાં ભારતનું સ્થાન બનાવવાનું છે. આપણે વિરાટ માનવબળ ધરાવીએ છીએ, વિશ્વની સૌથી મોટી લોકશાહી છીએ, જી.ડી.પી. સંદર્ભે વિશ્વના પહેલા પાંચ રાષ્ટ્રોમાં છીએ. વિશ્વમાં આપણી ગણતરી થાય છે. પણ આપણો આત્મવિશ્વાસ અચૂડચૂ છે. તાકાત જ તાકાતને આદર આપે છે. મિલિટરીની જ નહીં, આર્થિક વિકાસની તાકાતની પણ એટલી જ જરૂર છે. એવું નથી કે ભારતે આર્થિક વિકાસ અંગે કશું સાબિત કર્યું નથી. ભારત દૂધ ઉત્પાદનમાં પહેલું છે, રિમોટ સેન્સિંગ સેટેલાઈટ્સમાં પહેલું છે અને ઘઉં-ચોખા ઉત્પાદનમાં બીજું છે – આવું ઘણું છે જે આપણે જાણવું જોઈએ, પણ આપણા અખબારો આતંક, યુદ્ધ અકસ્માતો અને ગુનાઓને વધારે મહત્ત્વ આપે છે અને પહેલે પાને એના સમાચાર છાપે છે. સારા સમાચાર અંદરના પાનાઓ પર હોય છે. આવું કેમ? આમાં પરિવર્તન લાવવાની જરૂર નથી? વળી પ્રજા તરીકે આપણામાં વિદેશી ચીજોનો આંધળો મોહ છે. આપણે ધનને જ સફળતાની પારાશીશી સમજીએ છીએ. સરકારની ટીકાઓ કરીએ છીએ પણ પોતે કાયદો, સ્વચ્છતા, મૂલ્યો પાળતાં નથી. ભ્રષ્ટ સિસ્ટમનો ભ્રષ્ટ હિસ્સો બની રહીએ છીએ. નાગરિક તરીકે પોતાના કન્ટ્રીબ્યૂશનનો વિચાર કરતા નથી. કમાવું છે? – ચાલો અમેરિકા. ત્યાંનું માળખું પડી ભાંગ્યું? – નાસો ઈંગ્લૅન્ડ. ત્યાં બેકારી વધી? – ભાગો ગલ્ફમાં. ત્યાં સલામતી નથી? – જાઓ ઑસ્ટ્રેલિયા. ત્યાં બૉમ્બ ફૂટ્યા? – તો ફરી પાછા ભારતમાં ને પછી સરકારને ભાંડો. આવું કરવાથી પોતે નીચા ઊતરીએ છીએ અને દેશને પોલો કરીએ છીએ. આજે દેશને જરૂર છે એવા યુવાનોની જે તેના પાયાને મજબૂત કરે ને તેના પર વિકાસની બુલંદ ઈમારત ખડી કરે.’

તેમની આ વાત ખાસ યાદ રાખવા જેવી છે, ‘યુવાનો, અલગ રીતે વિચારો. કંઈક નવું કરવાનો પ્રયત્ન કરો, પોતાનો રસ્તો પોતે બનાવો અને જે અસંભવ છે તેને સંભવ કરી બતાવો.’

તેમનું સ્વપ્ન એ આપણા સૌનું સ્વપ્ન છે કે ગામ અને શહેર વચ્ચેની ભેદરેખા પાતળી હશે, ઊર્જા અને પાણીના સ્રોતો પર સૌનો સમાન અધિકાર હશે, ઉદ્યોગો અને સેવાક્ષેત્રો સંવાદિતાથી કામ કરતા હશે અને ગરીબી-શોષણ-નિરક્ષરતા નહીં હોય. પણ સ્વ્પ્નને સાકાર કરવા પહેલા જાગવું પડે છે ને પછી ઝૂઝવું પડે છે. ઝૂઝવાનો પણ એક આનંદ હોય છે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 15 ઑક્ટોબર  2023

Loading

...102030...681682683684...690700710...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved