Opinion Magazine
Number of visits: 9553718
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગૂજરાત વિદ્યાપીઠ સંઘી છે, ગાંધીની નહીં*

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|11 October 2025

હેમન્તકુમાર શાહ

એક જમાનો હતો કે જ્યારે રાષ્ટ્રપતિ ગૂજરાત વિદ્યાપીઠના જન્મદિન ૧૮ ઓક્ટોબરના રોજ જ પદવીદાન સમારંભ માટે આવતા હતા. હવે આ સંઘી જમાનો છે કે જ્યારે રાષ્ટ્રપતિની અનુકૂળ તારીખે વિદ્યાપીઠનો પદવીદાન સમારંભ યોજાય છે! 

આમે ય હિંદુ પરંપરાનું ઢોલ પીટતા સંઘીઓને ગાંધીની અને તેમની વિદ્યાપીઠની પરંપરાની ખબર કેવી રીતે હોય, અને હોય તો પણ શા માટે રાખવી હોય? 

મહાત્મા ગાંધીએ ૧૯૨૦માં  સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ તેઓ પોતે જ હતા. ગાંધીની હત્યા પછી સરદાર પટેલ તેના કુલપતિ થયેલા. સરદારના અવસાન પછી ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ તેના કુલપતિ થયેલા. તેઓ ૧૯૬૩માં તેમનું અવસાન થયું ત્યાં સુધી એ પદ પર રહ્યા. 

વિદ્યાપીઠના પદવીદાન સમારંભની તારીખ એટલે ૧૮ ઓક્ટોબર. તેનો પોતાનો સ્થાપના દિન. તે દિવસે ડો. રાજેન્દ્ર પ્રસાદ હાજર જ હોય વિદ્યાપીઠમાં. રાજેન્દ્ર પ્રસાદ એ તારીખને અનુકૂળ થતા હતા, એમને અનુકૂળ તારીખે કંઈ પદવીદાન સમારંભ થતો નહોતો. 

રાજેન્દ્ર પ્રસાદના અવસાન પછી મોરારજી દેસાઈ તેના કુલપતિ થયેલા. તેઓ બહુ મોટા રાજકીય નેતા હતા જ. પણ તેઓ પણ ૧૮ ઓક્ટોબર કોઈ દિવસ ચૂક્યા નહોતા. તેમને અનુકૂળ તારીખે પદવીદાન સમારંભ થતો નહોતો, તેઓ ૧૮ ઓક્ટોબરને અનુકૂળ થતા હતા. 

મોરારજી દેસાઈ ૧૯૭૭માં વડા પ્રધાન થયા. તો પણ તેમણે ૧૮ ઓક્ટોબર જ પકડી રાખી હતી. એટલું જ નહીં પણ તેમણે ૧૮ ઓક્ટોબર અગાઉ એક સપ્તાહ સુધી વિદ્યાપીઠમાં રહેવાની પરંપરા ઊભી કરેલી એ પણ ચાલુ રાખેલી, વડા પ્રધાન થયા તો પણ. 

વળી, મોરારજી દેસાઈ વડા પ્રધાન નહોતા રહ્યા ત્યારે એક વાર રાષ્ટ્રપતિ ઝૈલસિંહને ૧૮ ઓક્ટોબરના રોજ પદવીદાન સમારંભમાં બોલાવવામાં આવેલા. ઝૈલસિંહ પણ ૧૮ ઓક્ટોબરને અનુકૂળ થયેલા. એમને અનુકૂળ દિવસે પદવીદાન સમારંભ ગોઠવાયો નહોતો.

હવે આજે ગૂજરાત વિદ્યાપીઠનો પદવીદાન સમારંભ ગોઠવાયો છે કારણ કે આજની તારીખ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને અનુકૂળ છે!

ગાંધીની વિદ્યાપીઠ અંદરની જ ભાંગફોડ અને કાવતરાંને પરિણામે જે વિચારધારા ગાંધીની હત્યાનું કારણ બની હતી તે વિચારધારાનાં મૂળ જેમનામાં છે તેવા સંઘીઓના ‘સજીવ’ હાથમાં ગઈ પછી એ કેટલી નિર્જીવ અને સત્તાપરક થઈ ગઈ એનો આ નમૂનો છે. વિદ્યાપીઠ કોઈ દિવસ સત્તાને નમી નહોતી, સત્તા જ વિદ્યાપીઠને નમતી આવી હતી. હવે અત્યારે એનાથી તદ્દન ઊંધું થઈ રહ્યું છે. 

ગાંધીએ વિદ્યાપીઠની સ્થાપના વખતે એમ કહેલું કે “જો કોઈ વણિકપુત્ર કરી શકે તો મેં આ ઋષિકાર્ય કર્યું છે.” કોને એ યાદ આવે?

(૧૩ વર્ષ સુધી વિદ્યાપીઠનો વિદ્યાર્થી, અને પિતા દશરથલાલ શાહ, કે જેમણે જિંદગીનાં ૬૩ વર્ષ વિદ્યાપીઠને સમર્પિત કરેલાં.) 

તા.૧૧-૧૦-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દમનકારી શાસન સામે અવાજ ઉઠાવનારને Nobel Peace Prize !

રમેશ સવાણી|Opinion - Opinion|11 October 2025

નોર્વેજિયન નોબેલ સમિતિએ 10 ઓક્ટોબર, 2025 ના રોજ જાહેરાત કરી છે કે “વેનેઝુએલાના વિપક્ષી નેતા Maria Corina Machadoને શાંતિ માટેનો નોબેલ પારિતોષિક-2025થી સન્માનિત કરવામાં આવે છે.”

વધતા અંધકાર વચ્ચે લોકશાહીની જ્યોતને સંકોરતી મહિલા તરીકે મારિયાને માન્યતા મળી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખૂબ જ શક્તિશાળી લોબિંગ છતાં આ સન્માન મેળવવાની તક ગુમાવી દીધી, જેમાં તેમણે પોતે જ તેમને દાવેદાર ગણાવ્યા હતા. મારિયાને અંતિમ વિજેતા જાહેર કર્યા પછી તરત જ, વ્હાઇટ હાઉસે નોબેલ પુરસ્કાર સમિતિના નિર્ણયની ટીકા કરી, નોબેલ સમિતિ પર રાજકારણને સ્થાન આપવાનો આરોપ લગાવ્યો.

મારિયા કોરિના મચાડો

મારિયા કોરિના મચાડો (58) કોણ છે? વેનેઝુએલામાં લોકશાહી માટેના સંઘર્ષનું નેતૃત્વ તેમણે કર્યું છે. તેમણે સરમુખત્યારશાહી અને દમનકારી શાસન સામે લોકશાહી માટે અવાજ ઉઠાવ્યો છે. તેમણે ચૂંટણી, પારદર્શિતા અને નાગરિક સ્વતંત્રતાઓની માંગ કરી છે. તેમણે માનવ અધિકારોના ઉલ્લંઘન અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. લોકોને સંગઠિત કરીને, તેમણે વેનેઝુએલામાં લોકશાહી અધિકારો માટેના સંઘર્ષ તરફ વિશ્વનું ધ્યાન દોર્યું છે. એટલે જ તેમને વિશ્વ શાંતિ અને લોકશાહી સંઘર્ષના પ્રતીક તરીકે ઓળખીને નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. 1967માં જન્મેલા, મારિયા વેનેઝુએલામાં વધતી જતી સરમુખત્યારશાહી વચ્ચે લોકશાહી માટેની લડાઈમાં મોખરે રહ્યાં છે. તે દેશમાં વિરોધ પક્ષના નેતા છે. મારિયાએ એન્જિનિયરિંગ અને ફાઇનાન્સનો અભ્યાસ કર્યો છે. અને થોડા સમય માટે વ્યવસાયમાં કામ કર્યું હતું. 1992માં, મારિયાએ Atenea-એટેનિયા ફાઉન્ડેશનની સ્થાપના કરી, જેનો હેતુ Caracas-કારાકાસમાં શેરી બાળકોને ટેકો આપવાનો છે.

મારિયા ગાંધી-વિચારથી પ્રભાવિત છે. તેણે 2010માં ગાંધીજીના વિચારો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતાં. ગાંધીજીનું આ વિધાન મારિયાએ 2 મે 2010 ના રોજ X પર શેર કર્યું હતું : “Almost everything I do will be insignificant, but it is very important that I do it – હું જે કંઈ કરું છું તે લગભગ નજીવું હશે, પણ એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે હું એ કરું.”

ગાંધીજીનું આ વાક્ય સૂચવે છે કે જ્યારે કોઈ વ્યક્તિગત ક્રિયા ભવ્ય યોજનામાં નાની અને નજીવી લાગે છે, ત્યારે પણ પગલાં લેવાનું મહત્ત્વપૂર્ણ છે.

ગાંધીજીને નોબેલ શાંતિ પુરસ્કાર નથી મળ્યો, પરંતુ તેમની વિચારધારાના સમર્થકોને આ પુરસ્કાર મળ્યો છે ! ગાંધીજીને 1937, 1938, 1939, 1947માં અને છેવટે, જાન્યુઆરી 1948માં તેમની હત્યાના થોડા દિવસ પહેલા આ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. ગાંધીજી નોબેલ સમિતિ દ્વારા સંભવિત પુરસ્કાર મેળવનારાઓ માટે સ્થાપિત પરંપરાગત માપદંડોનું પાલન કરતા ન હતા. ગાંધીજીએ શાંતિ અને અહિંસા પ્રત્યે જે અભિગમ અપનાવ્યો તે વિશિષ્ટ અને નવીન હતો. નોબેલ સમિતિ માટે તેમના પૂર્વ-સ્થાપિત માળખામાં તેમના યોગદાનનું મૂલ્યાંકન થઈ શક્યું ન હતું. સમકાલીન અભિગમથી વિપરીત, નોબેલ સમિતિ પાસે તે સમયે પ્રાદેશિક સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલને પ્રોત્સાહન આપવા માટે શાંતિ પુરસ્કારનો ઉપયોગ કરવાનો ઇતિહાસ નહોતો. વધુમાં, મરણોત્તર નોબેલ પુરસ્કારો આપવા માટે સ્થાપિત માર્ગદર્શિકાના અભાવે એક મોટી ચિંતા ઊભી થઈ હતી. ગાંધીજીની હત્યા 1948ના નોબેલ શાંતિ પુરસ્કાર નામાંકનોની સમયમર્યાદાના બે દિવસ પહેલા જ થઈ હતી. ગાંધીજી કોઈ પણ સંગઠન સાથે સંકળાયેલા ન હતા, અને તેમણે તેમના વસિયતનામામાં પુરસ્કારની રકમ માટે કોઈ પ્રાપ્તકર્તાને નિયુક્ત કર્યા ન હતા. પુરસ્કારના લાભાર્થી વિશે સ્પષ્ટતાના અભાવે સમિતિએ મરણોત્તર પુરસ્કારનો વિરોધ કર્યો, કારણ કે તે નોબેલ પુરસ્કારના સ્થાપકના ઇરાદા વિરુદ્ધ હોવાનું માનવામાં આવતું હતું. 1989માં, જ્યારે દલાઈ લામાને શાંતિ પુરસ્કાર મળ્યો, ત્યારે સમિતિના અધ્યક્ષે ઉલ્લેખ કર્યો હતો કે “the award was, in some measure, a way to honour the memory of Mahatma Gandhi. આ એવોર્ડ, એક રીતે, મહાત્મા ગાંધીની સ્મૃતિને માન આપવાનો એક માર્ગ હતો.” 

10 ઓક્ટોબર 2025. 
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અસહમતિ વ્યક્ત કરવાની પણ એક રીત અને ગરિમા હોવી જોઈએ

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|10 October 2025

હિતેશ રાઠોડ

ભારતની સર્વોચ્ચ અદાલતમાં હમણાં એક ઘટના ઘટી ગઈ. ભારતના મુખ્ય ન્યાયાધિશ જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ પર સિત્તેર વટાવી ગયેલ એક સિનિયર વકીલે જૂતું ફેંક્યું. આની પાછળનું કારણ જે પણ હોય, પરંતું આ પ્રકારની ઘટના સામાજિક સૌહાર્દ માટે ભયજનક સંકેત છે. ઉચ્ચ પદ પર બિરાજમાન એક વ્યક્તિના અભિપ્રાયનો વિરોધ કરવાનું આ વરવું સ્વરૂપ કોઈપણ સમાજ માટે શરમજનક છે. આ ઘટના પરથી એમ લાગે છે કે કોઈની વાતનો વિરોધ કરવા માટે વ્યક્તિ પાસે કોઈ શબ્દો ન હોય અથવા એની પાસે જે સમજણ છે તેને આધારે તે વિરોધ કરી શકવા સક્ષમ ન હોય ત્યારે તે આવી પાશવી હરકતોનો આશરો લે છે. દેશના સૌથી પ્રતિષ્ઠિત એવા મંચ પર આ પ્રકારની ઘટના ઘટવી એ ભારતની સભ્યતા અને સંસ્કારિતાની વાતો સામે પણ પ્રશ્નચિહ્ન લગાવે છે. આ ઘટનાના ગંભીર પ્રત્યાઘાતો રાષ્ટ્રિય સ્તરે પડ્યા. આંતરરાષ્ટ્રિય સ્તરે શું અને કેવા પ્રત્યાઘાતો પડશે એ આગામી સમય કહેશે. આ ઘટના એ વાતની સાક્ષી પૂરે છે કે લોકશાહીની દુહાઈ દેતા આપણે લોકશાહીના આધારસ્તંભને સુરક્ષા પણ પ્રદાન કરી શકતા નથી.   

આ પ્રકારની ઘટનાના સૂચિતાર્થો શું હોઈ શકે એના પર આપણે સૌએ વિચાર કરવાની તાતી જરૂર છે. આ ઘટનાથી કેટલાક સવાલો થાય છે : આ પ્રકારના કૃત્યો કરીને અથવા તેનું સમર્થન કરીને આપણે કેવા પ્રકારના સમાજનું નિર્માણ કરવા તરફ આગળ ધપી રહ્યા છીએ? આપણે કેવાં અને ક્યા પ્રકારનાં વૈચારિક અને સામાજિક મૂલ્યોનું સમર્થન કરી રહ્યા છીએ? કહેવા ખાતર વસુધૈવ કુટુંબકમ્-ની ભાવનાનું સમર્થન કરતા આપણે આવા કૃત્યો કરીને શું આપણે દંભ નથી આચરી રહ્યા? મનુષ્યની સાચી ઓળખ તેનાં કર્મો છે ત્યારે આ પ્રકારના કૃત્યોથી આપણે આપણી કેવી ઓળખ સાબિત કરવા માગીએ છીએ?  બહારથી ઉજળા અને રૂપાળા દેખાતા માનવની આવી કુંઠિત વિચારસરણી અને કૃત્ય વિશે આપણે શું કહીશું?  વિશ્વના દેશો ધર્મ, જ્ઞાતિ, જાતિ, ભાષા અને ધાર્મિક રૂઢિચુસ્તતાઓની સંકુચિત વિચારસરણીના જાળામાંથી બહાર નીકળી વૈશ્વિક મનુષ્ય કલ્યાણ અને માનવ સુખાકારીની દિશામાં આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? આપણે આપણી બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ માનવીય સમસ્યાઓ અને પ્રશ્નોના ઉકેલની દિશામાં કરવાને બદલે સામાન્ય માણસની સમજથી પર એવી ધાર્મિક, સાંસ્કૃતિક, વંશીય, ભાષાકીય વગેરે જેવી બાબતોમાં કરીને શા માટે માનવ-શક્તિ અને સમયનો વ્યય કરી રહ્યા છીએ? આ આખી સમસ્યાના મૂળમાં કારણરૂપ ભગવાન વિષ્ણુ અને સનાતન ધર્મ તો મનુષ્ય કલ્યાણ અને મનુષ્ય સુખાકારીની વાત કરે છે, એમના નામ પર આપણે શું કરી રહ્યા છીએ? આ બધા પ્રશ્નોમાં ‘આપણે’ શબ્દનું પ્રયોજન કરવાનો આશય એટલો જ કે સમાજનો એક વર્ગ આ નિંદનીય કૃત્યનું સમર્થન કરી રહ્યો છે. આ ઘટના કોઈ એકલ વ્યક્તિનું એકાંકી કૃત્ય નથી, પરંતું આની પાછળ આ પ્રકારની વિચારસરણી ધરાવતા સમાજના એક બહોળા સમુદાયનું પીઠબળ હોઈ શકે છે.

આ ઘટના સંદર્ભે અનેક પ્રશ્નો ઊભા થઈ શકે છે, પણ મૂળ વાત છે સદીઓ પુરાણી આપણી સંકુચિત અને રૂઢિગત માનસિકતાની, જેની ચુંગાલમાંથી વકીલ જેવી સમાજની વિદ્વાન વ્યક્તિ પણ બાકાત નથી. મતલબ સાફ છે, આપણી શૈક્ષણિક પ્રણાલિ પણ આપણી સંકુચિત અને રૂઢિચુસ્ત વિચારધારાને બદલવામાં નાકામ રહી છે. આર્થિક અને ભૌતિક વિકાસની રાહમાં આપણે બે ડગલાં આગળ વધ્યા હોઈશું એની ના નહિ, પણ સામાજિક અને વૈચારિક સમૃદ્ધિની બાબતમાં આપણે હજુ અનેક દાયકાઓ પાછળ છીએ અને એ જ વર્ષો જૂની ઘરેડમાં જીવ્યા કરીએ છીએ. પ્રગતિશીલ વિચારધારા હજી પણ આપણાથી જોજનો દૂર છે. પ્રગતિશીલ સમાજનું નિર્માણ આપણી કલ્પનામાં પણ ક્યાં ય નથી. ધર્મ, વંશ, સમુદાય, પ્રાંત, જ્ઞાતિ, જાતિ અને ભાષાથી પર વ્યક્તિને એક વ્યક્તિ તરીકે ઓળખવાની દૃષ્ટિ આપણે હજી કેળવી શક્યા નથી. ધર્મ, ધર્માંધતા અને ધાર્મિકતાની આડમાં આપણે આપણી નૈસર્ગિક બુદ્ધિનો જરા પણ ઉપયોગ કરતા નથી. ઈશ્વર સત્ય છે અને અત્ર તત્ર સર્વત્ર છે એવી આપણી સમજણ છતાં ઈશ્વરને આપણે મંદિર, તીર્થ અને ધાર્મિક સ્થાનો સુધી સીમિત કરી દઈએ છીએ. ઈશ્વરને મૂર્તિ અને મંદિરમાં શોધવા અને જોવા પ્રયાસ કરી આપણે ઈશ્વરીય સર્જન એવા મનુષ્યની ધરાર અવગણના કરતા હોઈએ તો ઈશ્વર અને ધર્મ વિશેની આપણી સમજ, ધાર્મિક આસ્થા અને આપણી સામાન્ય સમજણ-શક્તિ પર આપણે પુન:વિચાર કરવાની જરૂર છે. ઈશ્વરની મૂર્તિને ભવ્ય આલિશાન મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવવા આપણે ભવ્યાતિભવ્ય આયોજન કરી એની આસપાસ વસતા દરિદ્ર મનુષ્યોને ઠેકાણે પાડી દઈ રાતોરાત એમને ઘર-વિહોણા કરી નાખતા હોઈએ તો મંદિરમાં બિરાજમાન ઈશ્વર એમાં કેવી રીતે રાજી રહી શકે! ધાર્મિક શ્રદ્ધાની આડમાં શીલ, સૌમ્યતા અને અનુકંપા ગુમાવી દઈ આપણે આવેશ અને હિંસક વૃત્તિનો શિકાર બની ગયા છીએ. આપણી ધાર્મિક શ્રદ્ધા અને આસ્થામાં શીલ, શિસ્ત, શાણપણ, સમજદારી, અનુકંપા, સહાનુભૂતિ અને લાગણી નથી પણ એક અવિચારી આવેશ અને ઝનૂન છે જેમાં સારાનરસાનો ભેદ પારખવાનો વિવેક નથી. ધર્મ અને ધાર્મિકતા તેમ જ મૂર્તિ અને મંદિર વચ્ચે આપણે માનવતા અને જીવંત મનુષ્યને ભૂલી ગયા છીએ અને એના આવેશમાં આવી જઈ આવા અવિચારી કૃત્યો કરતા જરા ય ખચકાતા નથી, અને હદ તો ત્યારે થાય છે જ્યારે આવા કૃત્યો કર્યા પછી આપણને એનો કોઈ પસ્તાવો, શરમ કે અફસોસ નથી થતા. વળી, જે લોકો આવા કૃત્યોનું સમર્થન કરે છે તેઓ પણ આવા કૃત્યમાં સરખા ભાગીદાર બને છે. આવા કૃત્યોને સમર્થન મળવાથી જ સમાજમાં વૈમનસ્ય ફેલાવતી આ પ્રકારની વિચારધારાને બળ મળે છે. ભારત એ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાને વરેલો દેશ છે જેમાં સૌ વ્યક્તિ સમાન છે ત્યારે દેશમાં સામાજિક સૌહાર્દ ખોરવતી, લોકો વચ્ચે તિરસ્કાર, ઘૃણા અને વિખવાદ ફેલાવતી અને બીજાને ઉતારી પાડતી કોઈપણ વિચારધારાને ક્યારે ય કોઈ અવકાશ હોઈ શકે નહીં. કોઈના વિચારો કે અભિપ્રાય સાથે અસહમતિ હોઈ શકે એની ના નહિ પણ એ અસહમતિને આ રીતે વ્યક્ત કરવાની રીત માનવીય તો નથી જ નથી.

સરગાસણ, ગાંધીનગર.
e.mail : h79.hitesh@gmail.com

Loading

...102030...66676869...8090100...

Search by

Opinion

  • પ્રિટર્મ બેબી – ધ યુનિક જર્ની ઑફ ફેઈથ એન્ડ ફિયર 
  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • જય ભીમ’ ખરેખર શું છે? 
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved