Opinion Magazine
Number of visits: 9457354
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વસ્તુ અને વ્યક્તિમાં ફરક રખાતો નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 March 2024

રવીન્દ્ર પારેખ

કોણ જાણે કેમ, પણ આપણે વ્યક્તિને માન આપવામાં સતત કંજૂસાઈ કરીએ છીએ. વ્યક્તિ નાની હોય તો, તે અપમાનને લાયક જ હોય તેમ આપણે વર્તીએ છીએ કે વ્યક્તિ વડીલ હોય તો પણ તેનો વિવેક આપણે ઓછો જ જાળવીએ છીએ. નોકરી ધંધામાં પણ નાના હોદ્દા પર કામ કરતાં માણસો જોડેનું ઉચ્ચ હોદ્દેદારોનું વર્તન ઘણુંખરું અપમાનિત કરનારું જ હોય છે, તો ક્યાંક નીચલા હોદ્દા પરનો માણસ પણ, સાહેબો જોડે દાદાગીરી કરી, પોતાની પહોંચ ઉપર લગીની છે – એવું કહીને ધમકી પણ આપી જતો હોય છે. અપવાદો બધે જ હશે, પણ ઘરમાં કે બહાર સ્ત્રીઓની સ્થિતિ દયનીય હોવાના દાખલા શોધવા દૂર જવું પડે એમ નથી. તો, સ્ત્રીઓ પણ સામેવાળાના મિસબિહેવિયર બાબતે કોઈને પણ બાનમાં લેતી હોય તેવું પણ બને જ છે. ઘરમાં દહેજને નામે પોતાનું શોષણ થયાંની વાત ઉપજાવીને પુરુષો પર તવાઈ લાવતી હોય એવી વહુઓ પણ, એક કહેતાં અનેક મળે એમ છે. ઘણાં ઘરોમાં અને ઘણી ઓફિસોમાં નાનામોટાંની આમન્યા જળવાતી હશે, પણ એકંદરે ચિત્ર બહુ હરખ ઉપજાવનારું નથી.

સ્ત્રીઓ વધારે હક ભોગવતી ને ઓછી ફરજ નિભાવતી હોય તો પણ કે પતિ કે પ્રેમી માટે કોઈનો પણ ભોગ લઈ શકતી હોય તો પણ, તેનું આજે પણ, અમર્યાદ માત્રામાં પાશવી શોષણ થાય છે તેની ના પાડી શકાશે નહીં. છેડતી, બળાત્કાર, હત્યામાં થયેલ વધારો એ વાતની સાક્ષી પૂરે એમ છે કે સ્ત્રીઓને લગતા ગુનાઓ ઘટતા નથી. સ્ત્રીઓને લગતા ગુનાઓ બહુ સહજ બાબત હોય તેમ સ્ત્રીઓ તરફે ધરાર  દુર્લક્ષ સેવાતું હોય છે. મોટે ભાગે તો ગુનેગાર છટકી જ જતો હોય છે અથવા તો કેસ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે ગુનેગારને તેનો લાભ મળે ને પીડિતાને ન્યાય ન જ મળે અથવા મળે તો તેની કોઈ અસર ન રહે. કમનસીબી એ છે કે આવામાં રાજ્ય સરકાર પણ બહુ મદદમાં આવી શકતી નથી, ભલેને પછી મુખ્ય મંત્રી એક મહિલા જ કેમ ન હોય ! એમ પણ લાગે છે કે મુખ્ય મંત્રી મહિલા હોય કે પુરુષ, બંને મહિલાઓ પરત્વે સરખાં જ અસંવેદનશીલ હોય છે.

હા, વાત પશ્ચિમ બંગાળના બહુ ચર્ચિત સંદેશ ખાલીની છે. મુખ્ય મંત્રી મમતા બેનરજી છે ને સંદેશ ખાલીની મહિલાઓ શોષણને મામલે આર્તનાદ કરી રહી છે, પણ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આ લખાય છે, ત્યાં સુધી સરકારને સફળતા મળી નથી – ખુદ મુખ્ય મંત્રીએ ધરપકડ થઈ ચૂકી છે એવું એલાન કર્યું હોવા છતાં ! હાઇકોર્ટે વારંવાર ફટકાર લગાવી છે, છતાં મુખ્ય આરોપી શાહજહાં શેખ ફરાર છે. એ જુદી વાત છે કે તે ગામમાં જ છે ને ક્યાં ય ગયો નથી. આની રાજકીય આંટીઘૂંટીમાં નથી જવું. માત્ર સંદેશ ખાલીની મહિલાઓ પર જે વીત્યું છે, એની વાત કરવી છે. સંદેશ ખાલીની મહિલાઓનો આક્રોશ ટી.એમ.સી.ના જિલ્લા પ્રદેશ પ્રમુખ શાહજહાં શેખ પર બારે મેઘ ખાંગા કરતો વરસ્યો છે. એ અકારણ નથી. રવિવારે પશ્ચિમ બંગાળ સરકારના બે મંત્રીઓ પાર્થ ભૌમિક અને સુજિત બસુ, સંદેશ ખાલીના હાલદારપાડા પહોંચ્યા, ત્યારે પણ મહિલાઓનો આક્રોશ ફૂટી પડ્યો હતો. હાઇકોર્ટે બીજી વખત મમતા સરકારને તાકીદ કરી છે કે શાહજહાંની ધરપકડ કરે, પણ મમતા સરકાર ટી.એમ.સી. (તૃણમૂલ કાઁગ્રેસ) નેતાને છાવરી રહી હોવાનું લાગે છે. કોર્ટે પોલીસને પણ સંભળાવ્યું છે કે એફ.આઇ.આર.ને ચાર્જશીટમાં ફેરવવામાં ચાર વર્ષ લાગ્યાં ! આ હાલત છે ત્યારે મહિલાઓનો આટલો આક્રોશ કેમ છે એ સવાલ થાય. એનો જવાબ એ કે શાહજહાં શેખ અને તેના બે સાથીઓ શિબુ હાજરા અને ઉત્તમ સરદાર પર જમીન હડપવાનો અને મહિલાઓ પર ગેંગ રેપનો આરોપ છે. પોલીસે અઢાર જણાની ધરપકડ કરી છે, પણ શાહજહાં ફરાર છે. રૅશન કૌભાંડમાં, 5 જાન્યુઆરીએ EDએ, શાહજહાંને ત્યાં દરોડા પાડયા, તો તેના 200થી વધુ સમર્થકોએ ટીમ પર હુમલો કર્યો. અહેવાલ તો એવો પણ છે કે શાહજહાંની ધરપકડ એટલે નથી થતી કે કોર્ટે તેના પર સ્ટે મૂક્યો છે. જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે એવો કોઈ આદેશ અપાયો નથી. આમાં પોલીસની ભૂમિકા વધારે શંકાસ્પદ છે. અનેક પીડિતોનું કહેવું છે કે પોલીસે જ તેમને કહ્યું છે કે શેખ શાહજહાં આજથી તમારા પતિ છે. આમ કોઈને પણ કોઈના પતિ તરીકે ઠઠાડી દેવાની વાતમાં માનવતા નથી. આવું પોલીસ કહી જ કઈ રીતે શકે? આમ વાડ જ ચીભડાં ગળતી હોય તો પોલીસ પાસે ફરિયાદ નોંધાવવા કોણ જાય? રાજ્ય સરકારના બે મંત્રીઓએ વળતર આપવાની વાત કરી તો મહિલાઓ ગુસ્સે થઈ ગઈ ને બોલી કે મામૂલી રકમ આપીને સરકાર અમારી આબરૂની કિંમત લગાવી રહી છે…

… કારણ કે શાહજહાં શેખ બંગાળ સરકાર સાથે સંબંધિત છે, એટલે તેને બચાવવાની કોશિશ ચાલે છે કે આ વિપક્ષોનું મમતા સરકારને નુકસાન કરવાનું કાવતરું છે, એમાં ન પડીએ, તો પણ મમતા બેનર્જીની સરકારમાં સંદેશ ખાલીમાં જમીનો પડાવી લેવાઈ અને મહિલાઓનું જાતીય શોષણ થયું એ વાતનો કોઈ ઇન્કાર કરી શકે એમ નથી. આરોપી કોઈ પણ જાતિ-ધર્મનો હોય, તે આરોપી છે અને સ્ત્રીઓની સતામણી કરવા બદલ તે જવાબદાર છે અને એ રીતે કાયદાએ તેની સાથે વર્તવું જોઈએ. સંદેશ ખાલીમાં પોલીસની વર્તણૂક પણ ગુનાહિત છે. પોલીસ પોતે જ મહિલાઓને, આરોપીને તેમનો પતિ માનવાની વાત કહેતી હોય તો તે નાગરિકોનાં રક્ષણ માટે છે એવું કઈ રીતે માનવું? આરોપી કે તેના સહયોગીઓ કોઈ પણ ઘરમાંથી મહિલાઓને કાર્યાલયમાં ઉઠાવી જતાં હોય કે કોઈ પણ સુંદર મહિલા કે નવ પરિણીતાને છડેચોક જાહેરાત કરીને ઉપાડી જવાનો અધિકાર રાખતા હોય, તો સ્ત્રી સન્માન કે સુરક્ષાના તમામ આદર્શોનો પૂર્ણ પડે છેદ ઊડે છે. આ રીતે અપહૃત મહિલાઓ જોડે ગેંગ રેપ કે જાતીય સતામણીની ઘટનાઓ સામાન્ય વાત થઈ પડી હોય તો આરોપીની આણ કેવી વર્તાતી હશે તે કહેવાની જરૂર નથી. આવું કોઈ પણ વ્યક્તિ કે સમૂહ દ્વારા કે જાતિ કે ધર્મ દ્વારા થતું હોય તો તે પૂર્ણપણે તિરસ્કારને પાત્ર છે ને એ કમનસીબી છે કે આવું કોઈ પણ રાજ્યમાં થવાની હવે નવાઈ રહી નથી.

કોઈ પણ સ્ત્રીને તેની ઈચ્છા વિરુદ્ધ સ્પર્શવાથી અપરાધની શરૂઆત થાય છે ને અહીં તો તેની હત્યા કરવાની પણ કોઈને નાનમ લાગતી નથી. સ્ત્રી ગમે તેટલી નિકૃષ્ટ કોટિની જ કેમ ન હોય, તેની સાથે દુર્વ્યવહારનો હક કોઈને નથી ને કોઈ પણ સ્ત્રીને ઉઠાવી જવાય કે તેની સાથે દુષ્કર્મ થાય કે તે પછી તેની હત્યા થાય કે તેને દાટી દેવાય કે ફૂંકી મરાય તે અપરાધની ચરમસીમા છે. ફાંસી સુધીની સજા થાય છે, પણ હત્યાની યુક્તિઓ ઘટતી નથી, એ બતાવે છે કે સ્ત્રીને વ્યક્તિ નહીં, પણ વસ્તુ ગણવાની વૃત્તિ બળવત્તર બનતી આવે છે. મરઘું પકડતાં હોય તેમ કોઈ પણ સ્ત્રીને બળજબરીએ ખેંચી જવાય ને તેની ઈચ્છા વિરુદ્ધ તેના પર અત્યાચાર ગુજારવાનું શૂરાતન છૂટતું હોય એવા લોકોનો તોટો નથી. વારુ, સ્ત્રી પરિણીત હોય તો પણ આવી સ્થિતિનો સામનો કરવાનું કેટલીક સ્ત્રીઓને આવે જ છે. એમ તો દહેજ કે અન્ય માંગણીને નામે સ્ત્રીઓની સતામણી પણ કેટલાંક કુટુંબોમાં આમ વાત છે. તો, એ પણ સાચું છે કે શિક્ષણ, નોકરી, વ્યવસાયની બાબતે સ્ત્રીઓ ઘણી વિકસી છે, સ્વતંત્ર રીતે સંસ્થાનો સંભાળતી થઈ છે. લગભગ બધી સરકારોએ સ્ત્રીનાં ઉત્કર્ષ માટે ઘણી કોશિશો કરી છે, પણ લોકમાનસ બદલાયું નથી કે તે ઘડવાની કોશિશો ઠીક ઠીક હદે નિષ્ફળ રહી છે. ઉપર ઉપરથી સ્ત્રી સન્માનની વાતો તો ઘણી થાય છે, પણ માનસિકતા વધુને વધુ ઋગ્ણ થતી આવે છે.

આ સમસ્યા કાયદાથી ઊકલે એમ નથી. એ તો નાનેથી જ બાળકોમાં સ્ત્રીઓ પ્રત્યે માનથી જોવાની ટેવ પડે એવું કઈં થાય તો ધીમે ધીમે પરિસ્થિતિ બદલાય. ઘરમાં માતા ને પિતા વચ્ચે લાગણી ન જણાય ને પિતાની જોહુકમીનો જ ભોગ માતા બનતી રહેતી હોય, તો બાળકમાં પણ એ વાત ઘર કરી જતી હોય છે કે સ્ત્રીને અપમાનિત કરી શકાય છે, તેની સાથે દુર્વ્યવહાર થઈ શકે છે, તે ઘરમાં ઢસરડો કરવા જ જન્મી છે … વગેરે. આ વાત બાળપણથી ન બદલાય તો સ્ત્રીઓ ગમે એટલી વિકસે કે સ્વતંત્ર હોય, તેને વ્યક્તિ તરીકેનું મૂલ્ય પ્રાપ્ત થવાનું અઘરું છે. કોઈ પણ વ્યક્તિને, વ્યક્તિ તરીકેનું માન ન મળે કે તેની વ્યક્તિ તરીકેની ઓળખનાં જ પ્રશ્નો હોય તો સમાજ કે દેશ ગમે એટલો આગળ હોય તો પણ, તે પછાત જ છે. કરુણતા એ છે કે સૃષ્ટિ બદલાય છે, પણ દૃષ્ટિ બદલાતી નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, 03 માર્ચ 2024

Loading

દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજ રચીને પશ્ચિમના ધર્મોનું અનુકરણ કર્યું હતું

રમેશ ઓઝા|Opinion - Opinion|3 March 2024

રમેશ ઓઝા

આ જગતમાં વિવિધ દેશોમાં રહેતા હોવા છતાં ઈસાઈઓ અને મુસલમાનો સંગઠિત છે, કારણ કે તેમનો ધર્મ સંગઠિત અને માળખાબદ્ધ છે. બીજી બાજુ હિંદુઓ એક જ દેશમાં રહેતા હોવા છતાં વિખરાયેલા છે, કારણ કે તેમનો ધર્મ વિખરાયેલો છે. ગમે ત્યારે કોઈ નવો સંપ્રદાય સ્થપાય. ગમે ત્યારે સંપ્રદાયમાં પેટા-સંપ્રદાય રચાય. ગમે ત્યારે કોઈ ઈશ્વરનો અવતાર ફૂટી નીકળે અને પોતાને ભગવાન તરીકે પૂજાવે. પોતાનાં મંદિર બંધાવે. તેમનો વળી ધર્મગ્રંથ અલગ હોય. આ સિવાય કોઈ વળી આ છોડવાની શીખ આપે તો કોઈ વળી ફલાણું અપનાવવાની શીખ આપે. જો હિંદુ ધર્મ આ રીતે બોડી બામણીના ખેતર જેવો હોય તો હિંદુઓ ક્યારે ય સંગઠિત થઈ શકે ખરા?

પહેલી વાત તો એ કે આ જગતમાં ઈસાઈઓ અને મુસલમાનો સંગઠિત છે એવો દયાનંદ સરસ્વતીનો અભિપ્રાય વાસ્તવિકતા પર આધારિત નહોતો. હકીકતમાં તો ઈસાઈઓ અને મુસલમાનો જેટલા આપસમાં લડ્યા છે અને એકબીજાનું લોહી રેડ્યું છે અને આજે પણ રેડી રહ્યા છે એટલા હિંદુઓ આપસમાં નથી લડ્યા. પોતાની ચોક્કસ ધાર્મિક માન્યાતાઓને લઈને તેઓ આપસમાં લડ્યા છે અને લડે છે. મધ્યકાલીન યુરોપમાં અને ઇસ્લામિક દેશોમાં અલગ સૂર કાઢનારાઓની તેમ જ વિજ્ઞાનનિષ્ઠ કથન કરનારાઓની હત્યા કરવામાં આવી છે અને કરવામાં આવે છે. દયાનંદ સરસ્વતીના યુગમાં સંસ્થાનો કબજે કરવા માટે તેઓ આપસમાં લડતા હતા અને ૨૦મી સદીમાં તેમની વચ્ચે બે યુદ્ધ થયાં હતાં જે વિશ્વયુદ્ધ તરીકે ઓળખાય છે. બધું જ તેમની વચ્ચે આપસમાં હતું અને થઈ રહ્યું છે, તેમનો ધર્મ માળખાબદ્ધ હોવા છતાં ય. તેઓ ધર્મને કારણે સંગઠિત હતા અને છે એમ કહેવું એ ભૂલભરેલું છે.

દયાનંદ સરસ્વતીને આની જાણકારી હોય એમ લાગતું નથી. તેમને તો એમ જ લાગતું હતું કે તેઓ સંગઠિત છે અને તેનું કારણ તેમના ધર્મનું સ્વરૂપ છે. તેમના ધ્યાનમાં એ વાત પણ નહોતી આવી કે મુસલમાનો અને ઈસાઈઓ તેમનાં ધર્મના સ્વરૂપને કારણે અંદરોઅંદર એકબીજા પરત્વે અસહિષ્ણુ હતા અને હિંદુ ધર્મ કહેવાતો વિખરાયેલો છે એટલે હિંદુઓ આક્રમક નથી. એકબીજાને સ્વીકારી લે છે અને આગળ વધે છે. હિંદુ ધર્મ શ્રદ્ધાઓનો બગીચો છે.

સ્વામી દયાનંદ સરસ્વતી

શું વિશેષતા છે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં? એક ઈશ્વર, એક ધર્મગ્રન્થ અને એક ધર્મપ્રવર્તક. આમાં ઇસ્લામમાં તો તેમના ખુદાનો કોઈ આકાર પણ નથી. તેમનો ભગવાન સગુણ નિરાકાર છે. મુસલમાનો મૂર્તિપૂજા કરતા નથી અને તેને હીન માને છે. દયાનંદ સરસ્વતીને એમ લાગ્યું કે હિંદુઓએ પણ આવો માર્ગ અપનાવવો જોઈએ. તેમનો એક ઈશ્વર હોય, તેની મૂર્તિપૂજા ન થતી હોય અને એક ધર્મગ્રન્થ હોય. બીજું, ઇસ્લામમાં જેમ ખુદા અને બંદા વચ્ચે જેમ મોક્ષ અને સ્વર્ગની ગેરંટી આપનારા વચેટિયા નથી હોતા એમ હિંન્દુ ધર્મમાં પણ કોઈ આવા વચેટિયા ન હોય. આર્ય સમાજમાં ઈશ્વર નિરાકાર છે. નિરાકાર છે એટલે મૂર્તિપૂજાનો સવાલ પેદા નથી થતો. વેદ એ ઈશ્વર પ્રણિત ધર્મગ્રન્થ છે જે કુરાન અને બાયબલ જેવું સ્થાન ધરાવે છે. તેના એક શબ્દને પણ પડકારી ન શકાય. તેમણે આર્ય સમાજને જે સ્વરૂપ આપ્યું હતું તેને કારણે એક સમયે પંજાબમાં આર્યસમાજનાં ધર્મસ્થાનો મસ્જીદ તરીકે ઓળખાતાં હતાં. લાલા લજપતરાયે તેમની આત્મકથામાં આર્ય સમાજનાં મંદિરોનો ઉલ્લેખ મસ્જીદ તરીકે કર્યો છે. ટૂંકમાં દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજ રચીને પશ્ચિમના ધર્મોનું અનુકરણ કર્યું હતું. અનુસરણ નહોતું, અક્ષરસ: અનુકરણ.

અનેક છોડની બનેલી હિંદુ વાડીમાં આર્ય સમાજ સ્વીકાર્ય બને એ શક્ય જ નહોતું. ગુજરાતમાં પાખંડી પૂજાય એવો ફિટકાર આપીને દયાનંદ સરસ્વતી ગુજરાત છોડીને જતા રહ્યા હતા, પરંતુ તેમને પંજાબ છોડીને અન્યત્ર આવકાર મળ્યો નહોતો. પંજાબમાં આવકાર મળ્યો એનું કારણ પંજાબની ખાસ સ્થિતિ હતી. અવિભાજિત પંજાબમાં મુસલમાનો બહુમતીમાં હતા અને સીખો પોતાને હિંદુ તરીકે ઓળખાવતા નહોતા, પણ અલગ ખાલસા ધર્મિય તરીકે ઓળખાવતા હતા. સિખોની વસ્તી પણ મોટી હતી. આમ પંજાબ છોડીને દેશભરમાં કોઈ જગ્યાએ આર્ય સમાજનો સ્વીકાર થયો નહોતો. આ સિવાય દયાનંદ સરસ્વતીની ભાષા પણ આક્રમક હતી. ‘સત્યાર્થપ્રકાશ’ નામના ગ્રન્થમાં તેમણે જે ભાષામાં ધર્મવિવેચન કર્યું છે એ જોઇને આપણને આજકાલના ભક્તોની યાદ આવે. ફરક એટલો કે તેમનું વિવેચન એકંદરે તાર્કિક હતું, પણ સંપૂર્ણપણે તો એ તાર્કિક પણ નહોતું.

અહીં એક રસપ્રદ ઘટના નોંધવા જેવી છે. ૧૯૭૦ના દાયકામાં આર્ય સમાજે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી હતી કે આર્ય સમાજ હિંદુ ધર્મનો હિસ્સો નથી. હિંદુ ધર્મ અલગ છે અને આર્ય સમાજ અલગ છે. આર્ય સમાજની સ્થાપનાને હજુ તો સો વરસ પણ નહોતાં થયાં ત્યાં આર્ય સમાજે દાવો કર્યો હતો કે પોતે એક અલગ ધર્મ છે. જવું હતું હિંદુઓની એકતા સાધવા માટે અને પહોંચ્યા અમે અલગ હોવાનો દાવો કરવા! આવું જ સ્વામી વિવેકાનંદ સાથે બન્યું. તેમને પણ હિંદુઓનું જાગરણ કરનારા પ્રહરી તરીકે ઓળખાવવામાં આવે છે, પણ રામકૃષ્ણ મિશનની સ્થાપનાને હજુ સો વરસ પણ નહોતા થયાં એ પહેલા રામકૃષ્ણ મિશને સર્વોચ્ચ અદાલતમાં તે હિંદુઓથી અલગ સ્વતંત્ર ધર્મ હોવાની માન્યતા મેળવવા દાવો કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે એ દાવાને નકારી કાઢ્યો હતો. એ બન્ને સંસ્થાઓના અધિપતિઓ લઘુમતી ધાર્મિક કોમ હોવાનો ભૌતિક નાણાંકીય લાભ લેવા માગે છે. આમ બહુમતી રાષ્ટ્રવાદીઓને લઘુમતી ધાર્મિક કોમ તરીકેના લાભ લેવામાં શરમ નથી આવતી.

ખેર, હિંદુઓ પોતાને માળખામાં કેદ કરવા માગતા નહોતા. એ તેમને ફાવે એવી ચીજ જ નથી. જો અનેક છોડની વાડી સેંકડો નહીં, બે-ચાર હજાર વરસ સુધી જીવી શકે, તેને કોઈ મિટાવી ન શકે, નવી નવી કલમ થતી રહે, તેઓ જરૂર મુજબ પોતાને ઢાળી શકે એ જ તો તેની તાકાત છે. હિંદુઓની ધાર્મિક બહુવિધતા હિંદુઓની મર્યાદા નથી, પણ તાકાત છે. દયાનંદ સરસ્વતી આ તાકાત સમજી શક્યા નહોતા. આ સિવાય હિંદુઓને જળોની જેમ વળગેલા બ્રાહ્મણો દરેક પડકારનો ઉપાય શોધી કાઢતા હતા. તેમણે સનાતન ધર્મનો મહિમા કરવાનું શરૂ કર્યું હતું કે જેથી સનાતન સામે પ્રશ્ન કરનારાઓને નિરસ્ત કરી શકાય. સરવાળે દયાનંદ સરસ્વતીનો ઈલાજ નિષ્ફળ નીવડ્યો.

ગયા સપ્તાહના લેખમાં લખ્યું હતું એમ દયાનંદ સરસ્વતી પહેલા માણસ હતા જેમણે હિંદુઓને તેમની ઓળખનું અને તેમની સંખ્યાનું ભાન કરાવ્યું. હિંદુ રાષ્ટ્રવાદના તેઓ પહેલા ઉદ્દગાતા હતા. પણ એ છતાં ય સંઘ પરિવારે તેમની દ્વિશતાબ્દી રાષ્ટ્રીય સ્તરે ઉજવી નથી તેનું કારણ દયાનંદ સરસ્વતીના જલદ વિચારો છે. તેમની ભાષા છે. કોઈ કહેતા કોઈને છોડ્યા નથી. બ્રહ્મણોને નહીં, શૈવોને નહીં, વૈષ્ણવોને નથી, જૈનોને નહીં, બૌદ્ધોને નહીં, સીખોને નહીં, ગોરખ જેવા જે તે પંથોને નહીં વગેરે. ટૂંકમાં કોઈ કહેતા કોઈને નથી છોડ્યા અને એ પણ અભદ્ર ભાષામાં. સંઘપરિવારને એ ક્યાંથી પોસાય. જ્યારે સત્તાનું રાજકારણ નહોતું અને દેશ આઝાદીની લડત લડતો હતો ત્યારે પણ આર્ય સમાજીઓ અને સનાતનીઓ સાથે નહોતા ચાલી શકતા. આર્ય સમાજીઓનાં  આગ્રહ અને આક્રમકતા અકળાવનારાં હતાં.

હિન્દુત્વવાદીઓને આર્ય સમાજ અને દયાનંદ સરસ્વતીનો ખપ માત્ર અને માત્ર મુસ્લિમ પૂરતો છે. બાકી હિંદુ ધર્મિક અને સામાજિક જાગરણની વાત આવે ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતી પરવડે એવા નથી. એક વાર ‘સત્યાર્થપ્રકાશ’ વાંચી જોજો.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 03 માર્ચ 2024

Loading

અનંત અંબાણીનો વનતારા પ્રોજેક્ટઃ વિશ્વમાં સૌથી મોટી પ્રાણીઓની સંભાળ અને સંવર્ધનની સવલત

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|3 March 2024

‘આપણે કંઇ આવા 3,000 એકરની જમીનના આસામી નથી યાર’, એવું બોલીને ઇર્ષ્યાનો બળાપો કાઢતાં પહેલાં એવું યાદ કરવું કે રસ્તે શાંતિથી બેઠેલા શેરીના કૂતરાંને વગર કારણ કે કાંકરીચાળો કરનારા અથવા તો પોતાની પરપીડનવૃત્તિને સંતોષ આપવા મૂંગા પ્રાણીને શારીરિક અને માનસિક ત્રાસ આપનારાઓને મૂળભૂત સંસ્કાર અને કરુણા જરૂર હોય છે, 3,000 એકર જમીનની નહીં. 

ચિરંતના ભટ્ટ

છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ રહેલી અનેક બાબતોની સાથે અંબાણી પરિવારના નાના દીકરા અનંત અંબાણીના ઇન્ટરવ્યુઝ, તેના નવા પ્રોજેક્ટને લગતી વિગતો પણ વાઇરલ થઇ રહી છે. આ ઉપરાંત રાધિકા મર્ચન્ટ સાથે તેના લગ્ન પહેલાંની ઉજવણીની વિગતો પણ સતત ચર્ચામાં છે. અંબાણી પરિવાર ભારતનો એક એવો પરિવાર છે જેને વિશે જાણવાની ઉત્સુકતા ન હોય એવું ભાગ્યે જ કોઇ હશે.

ધીરુભાઇ અંબાણીની જિંદગી પર આધારિત ફિલ્મ ‘ગુરુ’ જોયા પછી તેમનો ફેનબેઝ વધી ગયો હતો એમ કહેવામાં કંઇ ખોટું નથી. મૂકેશ અંબાણીએ પિતાના એમ્પાયરને ત્રણ લોકમાં વિસ્તાર્યું છે અને હવે ત્રીજી પેઢી સુકાન સંભાળી રહી છે. વળી નીતા અંબાણીએ પણ કલા-વારસાને NMACC દ્વારા નવો ભવ્ય મંચ આપ્યો, કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબલિટીને ધ્યાનમાં રાખીને કામ કરતું રિલાયન્સ ફાઉન્ડેશન આંતરિયાળ વિસ્તારોમાં કામ કરે છે, વળી રિલાયન્સની HNRF હૉસ્પિટલ પણ મુંબઈમાં કેટલાક વર્ષોથી ચાલે છે. અંબાણી પરિવારની પહોંચ, ધન-વૈભવથી માંડીને તેમના કનેક્શન્સ વિશે અસંખ્ય વખત વાતો થઇ છે, સોશ્યલ મીડિયામાં મીમ્સ સુદ્ધાં બન્યાં છે અને તેમની ઠેકડી ઉડાડીને હસવામાં વાત કાઢી નાખનારા દરેક માણસના મનમાં તેઓ જે પણ કરે તેના પ્રત્યે અહોભાવ તો હોય જ છે. આજે વાત આખા અંબાણી પરિવારની નહીં પણ અનંત અંબાણીની કરવાની છે કારણ કે અગાઉ જણાવ્યું તેમ તે આજકાલ ચર્ચામાં છે.

ઘણા લાંબા સમય સુધી અનંત અંબાણી ‘લાઇમ લાઇટ’માં નહોતા દેખાયા. તેમની ચર્ચા કદાચ ત્યારે સૌથી વધારે થઇ હતી, જ્યારે તેમને મોટિવેશન આપવા માટે નીતા અંબાણીએ પણ વજન ઉતાર્યું હતું. અનંત અંબાણીની વાત તેમના વજનને લઇને અનેકવાર થઇ, પણ ભાગ્યે જ કોઈએ ગંભીરતાથી એ વાતને ગણતરીમાં લીધી કે નાનપણથી શારીરિક કોમ્પેલિકેશન્સ સાથે જન્મેલા અનંત અંબાણીને અનેક દવાઓ, સારવારનો સહારો લેવો પડ્યો જેની આડ અસર હતી, સતત ફિટ ન રહી શકે તેવું શરીર! ઇશા અને આકાશ અંબાણીએ જ્યારે અંબાણી એમ્પાયરમાં કામ કરવાનું ચાલુ કર્યું ત્યારે એ.જી.એમ.થી માંડીને નવી જાહેરાતો દરમિયાન તે ચર્ચામાં રહ્યા. આ તરફ અનંત અંબાણીએ એકાદ બે વાર કંપનીના સ્થાપના દિવસના કાર્યક્રમ અથવા તો આઇ.પી.એલ.ની મેચ દરમિયાન ક્યારેક પોતાનાં મમ્મીની બાજુમાં દેખાવા સિવાય ભાગ્યે જ કોઇ નોંધનીય હાજરી આપી. હવે એમ થયું છે કે અનંત અંબાણીના અમુક મીડિયા હાઉસને અપાયેલા ઇન્ટરવ્યુઝના હિસ્સા વાઇરલ થઇ રહ્યા છે, કેટલીક જાણીતી ચેનલ્સ પર તેમની એન્કર સાથેની વાતોમાંથી નાના-મોટા સમાચાર બની રહ્યા છે. દુનિયા આખીમાં વન્ય જીવો અને માણસો વચ્ચેના સંઘર્ષને કારણે પ્રશ્નો ખડા થઇ રહ્યાં છે, જંગલો પાંખા થઇ રહ્યા છે, પ્રાણીઓની પ્રજાતિઓ લુપ્ત થઇ રહી છે અને આવામાં જામનગરમાં 3,000 એકર જેટલી જમીનમાં વન્ય જીવો માટેના રેસ્ક્યુ સેન્ટરની શરૂઆત કરાઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન હેઠળ લૉન્ચ થયેલો ‘વનતારા’ પ્રોજેક્ટ એક એવી પહેલ છે જ્યાં વન્ય જીવોની સારવાર, સંભાળ અને પુનર્વસન માટે કામ થઇ રહ્યું છે. 200 જેટલા હાથીઓ, 300થી વધુ ચિત્તા, વાઘ, સિંહ, 300થી વધુ શાકાહારી પ્રાણીઓ અને 1,200થી વધુ મગર, સાપ અને કાચબા જેવાં પ્રાણીઓ આ વનતારામાં અત્યારે રહી રહ્યાં છે. અહીં હાથીઓ માટેની ખાસ હૉસ્પિટલ છે તો રેસક્યુ કરેલાં પ્રાણીઓને શારીરિક અને માનસિક રીતે સાજા કરવા માટેના મોટા કુદરતી એનક્લોઝર્સ, પ્રાણીઓનાં સ્વાસ્થ્ય માટે થતા રિસર્ચની વ્યવસ્થાથી માંડીને અનેક સવલતો છે. અનંત અંબાણીએ પોતાના ઇન્ટરવ્યુઝમાં હાથીઓનો બચાવ તેમને માટે ખાસ છે તે વાત કરી છે, અહીં લવાયેલા હાથીઓને આકરી સ્થિતિમાંથી બચાવી લેવાયા છે અને દરેકની સાથે તેમના મહાવતોને સુદ્ધાં અહીં રાખવામાં આવ્યા છે. આ પ્રાણીઓને રાહત મળે એવી રીતે ખડી કરાયેલી એક દુનિયા છે. ક્રૂરતા અને નિર્દયતાની સામે આ એક હૂંફ ભરેલો માહોલ છે જે એક જવાબદારી ભર્યા અભિગમનું પરિણામ છે.

પ્રાણીઓ આપણી સૃષ્ટિનો એક અહમ હિસ્સો હોવા છતાં અમુક જ સમુદાયો તેમની કાળજી, તેમની સમસ્યાઓ પ્રત્યે કોઇ નિસબત ધરાવતા હોય છે. મૂંગા પ્રાણીઓને જે વેદનામાંથી પસાર થવું પડે છે તેની હકીકત ભાગ્યે જ લોકો સુધી પહોંચતી હોય છે. ‘વનતારા’ એટલે કે ‘જંગલના સિતારા’ – આ એક એવી પહેલ છે જેમાં અવગણના અને ત્રાસ વેઠેલા પ્રાણીઓને નવું ઘર મળી રહ્યું છે.  ધર્મને નામે દેકારા કરનારાઓએ યાદ રાખવું જોઇએ કે પ્રાણીઓ આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં હંમેશાં બહુ અગત્યનાં પાત્રો રહ્યાં છે.

અનંત અંબાણી જે વનતારા પ્રોજેક્ટની સુકાન સંભાળે છે તેમણે ઇન્ટરવ્યુ અને પ્રેસ કોન્ફરન્સિઝમાં કહ્યું છે કે તેમને પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ તેમનામાં નાનપણથી જ હતો અને પોતાનાં માતાની પ્રેરણાથી જીવદયા અને પ્રાણી સેવાની દિશામાં તે આગળ વધ્યા છે. વનતારાની ચર્ચા થઇ રહી છે અને થતી રહેશે કારણ કે પ્રાણીઓને અહીં મળતી સવલતો અને કાળજી સમાજમાં એક દાખલો બેસાડશે કે પ્રાણીઓ સાથે કેવો યોગ્ય વહેવાર થવો જોઇએ. વળી કઇ રીતે સફેદ વાઘથી માંડીને ઇજાગ્રસ્ત હાથીઓને બેઠા કરાયા છે-ના સમાચારો પણ વીડિયો સાથે માધ્યમોમાં આવી ચૂક્યા છે.

અહીં વનતારાથી અચંબિત થવા કરતાં એ જોવું જરૂરી છે કે વિશ્વના ધનિકોમાં જે પરિવારનું નામ મોખરે છે એ પરિવારનું એક એવું સંતાન જેને શારીરિક વ્યાધિઓ હોવાને કારણે ચર્ચામાં રહ્યું છે તેને સ્વતંત્ર થવા માટેની મોકળાશ આપવાનો રસ્તો માતા-પિતાએ ઘડ્યો. આ વાંચવામાં કદાચ સામાન્ય કે નગણ્ય લાગે એવી બાબત હોઇ શકે છે પણ તમે એક વાલી તરીકે, એક એવા વાલી તરીકે વિચારો કે જેની હિલચાલ પર આખી દુનિયાની નજર હોય છે તો કદાચ આ સમજી શકાશે. ગામને મોઢે ગરણાં નથી બાંધી શકાતા એટલે બોલનારા તો એમ પણ કહી શકે કે આટલી સંપત્તિ હોય તો કોઇ કંઇપણ કરી શકે પણ જોવાનું એ છે કે સંપત્તિવાન માણસોના સંતાનો ‘કંઇપણ’ જ કરતા હોય અથવા તો કંઇ નોંધનીય ન કરતા હોય એવું પણ થયું છે. અનંત અંબાણી હજી 30 વર્ષનાં પણ નથી પણ તે પોતાની શારીરિક વ્યાધિઓ વિશે, પોતાને વિશે થતી ટકોરો વિશે, પોતાના માતા-પિતા કે દાદા-દાદી કે નાના-નાની પાસેથી મળેલી સમજ વિશે કોઇપણ સંકોચ વગર એકદમ નિર્દોષતાથી વાત કરી શકે છે. અનંત અંબાણી અત્યાર સુધી મીડિયામાં જે પણ બોલ્યા છે તેમાં એક નિર્ભેળતા છે – હા સ્વાભાવિક છે કે મીડિયા સાથે વાત કરવા અંગે તેમને તાલીમ અપાઇ હોય પણ, એમાં ખોટું શું છે? દૂધમાંથી પોરા કાઢનારાઓ માટે આ દરજ્જાના પરિવારોના ફરજંદોએ કરેલી ભૂલો ગણાવવા બેસી જ શકે છે, સવાલ ઉઠાવી જ શકે છે પણ ધનિક હોવાથી ભૂલ કરવાનો અધિકાર ન છીનવી શકાય. જોવાનું એ છે કે આ બધાથી પર જઇને નક્કર કામ થઇ રહ્યું છે. ‘આપણે કંઇ આવા 3,000 એકરની જમીનના આસામી નથી યાર’, એવું બોલીને ઇર્ષ્યાનો બળાપો કાઢતાં પહેલાં એવું યાદ કરવું કે રસ્તે શાંતિથી બેઠેલા શેરીના કૂતરાંને વગર કારણ કે કાંકરીચાળો કરનારા અથવા તો પોતાની પરપીડનવૃત્તિને સંતોષ આપવા મૂંગા પ્રાણીને શારીરિક અને માનસિક ત્રાસ આપનારાઓને મૂળભૂત સંસ્કાર અને કરુણા જરૂર હોય છે, 3,000 એકર જમીનની નહીં.

અનંત અંબાણીની આ પહેલ કોઇ નાની બાબત નથી. વનતારા પ્રોજેક્ટની કોઇને કોઇ કારણોસર ટીકા કરનારા પણ હશે જો કે વનતારામાં સાર સંભાળ મેળવીને નિશ્ચિંત થઇને જીવનારાં પ્રાણીઓને જે શાતા અને રાહત મળી રહી છે તેની સામે એ બળાપા ટકી જાય એવી કોઇ શક્યતા જ નથી. સંપત્તિ હોવી એક બાબત છે અને તેનો યોગ્ય ઉપયોગ કરવો બીજી બાબત છે – અનંત અંબાણીનું ‘વનતારા’ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે જ્યાં સંપત્તિનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો છે. અંબાણી પરિવારના પ્રસંગોની ભવ્યતા ચર્ચાનારાઓએ એ પણ જોવું જોઇએ કે પોતાની સામાજિક જવાબદારીની સીમાઓ તેઓ ક્યાં સુધી વિસ્તારી રહ્યા છે.

‘વનતારા’ને કારણે જામનગરને હવે નવી ઓળખાણ પણ મળી છે અને આ એક એવું અભયારણ્ય છે જ્યાં હેરાન થયેલા પ્રાણીઓને સારવાર બાદ ફરી જીવવાનો મોકો મળશે. તેમનું સંવર્ધન કરાશે અને યોગ્ય સમયે તેમને પોતાના કુદરતી માહોલમાં ફરી છોડી દેવામાં આવશે.

બાય ધી વેઃ

નેટફ્લિક્સ પર ‘પાબ્લો એસ્કોબાર’ નામના ડ્રગ લોર્ડ પર એક સિરીઝ છે. એસ્કોબાર પ્રાણી પ્રેમી હતો અને તેના અંગત ઝૂમાં 200 જેટલા પ્રાણી હતા. ગુનાઇતોથી પ્રભાવિત થનારાઓને એક ડ્રગ લોર્ડનો પ્રાણી પ્રેમ યોગ્ય લાગતો હોય છે તો પછી બિલકુલ નેક ઇરાદાથી શરૂ કરાયેલી વનતારા જેવી તોતિંગ પહેલને વખોડવામાં કોઇ સાર નથી. અનંત અંબાણી છેલ્લા થોડાક જ વખતથી જાહેરમાં પોતાની વાગદત્તા રાધિકા મર્ચન્ટ સાથે અથવા તેના સિવાય દેખાયા છે અને તેમણે મીડિયા સાથે વાત કરી છે. માતા-પિતાને પોતાના સંતાનને કોઇ કંઇ કહેશે તેની બહુ જ ચિંતા હોય છે પણ એ ચિંતાને દૂર કરીને દીકરાની પહેલમાં એડી ચોટીનું જોર લગાડી, પોતાના આશ્રયની બહાર જઇ એક સ્વતંત્ર ઓળખાણ ઘડવાની દિશામાં મૂકેશ અને નીતા અંબાણીએ જે રરસ્તો અપનાવ્યો છે તેની પરથી સંતાનોને કોટે વળગાડી ચિંતાને નામે તેમના વ્યક્તિત્વને રુંધી નાખનારા વાલીઓએ બોધપાઠ લેવો રહ્યો. વળી રતન તાતા જેવા કુટુંબકબીલા વગરની વ્યક્તિએ પણ હંમેશાં પ્રાણી સેવા કરી છે, તેમણે તાજેતરમાં જ પ્રાણીઓ માટેની હૉસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરી છે. પોતાની પાસે હોય તેમાંથી જે પોતાના માટે કંઇ નથી કરી શકતા તેમને માટે કંઇ કરવાનો ઇરાદો ઇશ્વરને પહોંચતી પ્રાર્થના બની જાય છે એ ચોક્કસ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 03 માર્ચ 2024

Loading

...102030...642643644645...650660670...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved