Opinion Magazine
Number of visits: 9665374
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (7)

Opinion - Opinion|13 July 2024

૭

મુંબઈ આવ્યા પછી તરત ફાર્બસ શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રે કામ કરતી કેટલીક સંસ્થાઓ સાથે સંકળાયા હતા. તેમાંની એક સંસ્થા તે બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી (આજની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ). ૧૮૬૧ના નવેમ્બરની ૨૫મી તારીખે ફાર્બસ તેની કારોબારી સમિતિના સભ્ય બન્યા. ૧૮૬૩ના નવેમ્બરની ૩૦મી તારીખે તેના ચાર ઉપપ્રમુખોમાંના એક ઉપપ્રમુખ બન્યા. હકીકતમાં ૧૮૬૪માં જ્યારે આ સોસાયટીના પ્રમુખ ઓનરેબલ ફ્રેરે નિવૃત્ત થયા ત્યારે ડો. વિલ્સને ફાર્બસને પ્રમુખ બનાવવા અંગે પોતાની ઈચ્છા પ્રગટ કરી હતી. પણ ફાર્બસે વિનયપૂર્વક આ દરખાસ્તનો અસ્વીકાર કર્યો હતો અને ડો. વિલ્સન જ પ્રમુખ બને તેવો આગ્રહ રાખ્યો હતો. તે જ વર્ષે સરકારે યુનિવર્સિટી ઓફ બોમ્બેના વાઈસ ચાન્સેલર તરીકે પણ ફાર્બસની નિમણૂક કરી હતી. જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સના પણ તેઓ પ્રમુખ બન્યા હતા.

ફાર્બસ મુંબઈ આવ્યા ત્યાં સુધીમાં તેમણે અમદાવાદમાં સ્થાપેલી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ ગુજરાત બહાર પણ સારી એવી જાણીતી થઇ ચૂકી હતી. આવી એક સંસ્થા મુંબઈમાં પણ શરૂ કરવી જોઈએ, એવો વિચાર મનસુખરામ ત્રિપાઠી અને રેવરન્ડ ધનજીભાઈ નવરોજીને આવ્યો. તેમણે ડો. વિલ્સનની સલાહ માગી. વિલ્સને આ અંગે ફાર્બસનું માર્ગદર્શન મેળવવા કહ્યું. આથી મનસુખરામ ફાર્બસને મળવા તેમને બંગલે ગયા. મનસુખરામની વાત સાંભળીને ફાર્બસે કહ્યું કે આવો વિચાર મારા મનમાં પણ છેલ્લા કેટલાક વખતથી ચાલતો હતો, પણ આવી સંસ્થા ઊભી કરવા માટે જે નાણાં જોઈએ તે ન હોવાથી હું એ અંગે કશું કરી શકતો નહોતો. પણ હવે તમે મારી પાસે આ દરખાસ્ત લઈને આવ્યા છો તો હું તેને પૂરેપૂરો ટેકો આપીશ. પરિણામે મુંબઈ શહેરની અગ્રણી વ્યક્તિઓને તથા કાઠિયાવાડના રાજવીઓને એક અપીલ મોકલવામાં આવી જેમાં આ સંસ્થાના હેતુઓ અને કરવાનાં કામોની વિગતો આપી હતી. જૂનાગઢ, ભાવનગર, નવાનગર, ધ્રાંગધ્રા, પોરબંદર, ગોંડળ, વઢવાણ, લીમડી, મોરબી, પાલીતાણા, ચૂડા, સાયલા, જસદણ, બજાણા, માળીયા, કોટડા, વીરપુર વગેરેના રાજવીઓએ બધું મળીને કુલ રૂપિયા ૨૮,૨૦૦ આપવાનાં વચન આપ્યાં. મુંબઈના વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ બીજા ૩૭,૫૦૦ રૂપિયા આપવાનાં વચન આપ્યાં. ફાર્બસનો ઈરાદો એક લાખ રૂપિયા ભેગા કરવાનો હતો. આ રકમ તેના કરતાં ઓછી હતી છતાં, સંસ્થા સ્થાપવા અંગે વિચારણા કરવા ફાર્બસે પોતાને બંગલે એક અનૌપચારિક સભા બોલાવી.

તે વખતે નક્કી થયું કે ૧૮૬૫ના માર્ચની ૨૫મી તારીખે ટાઉન હોલમાં એક જાહેર સભા યોજવી. એ પ્રમાણે સભા યોજાઈ ત્યારે મુંબઈમાં ‘ગુજરાતી સભા’ સ્થાપવાની દરખાસ્ત શેઠ પ્રેમાભાઈ હિમાભાઈએ રજૂ કરી અને શેઠ પ્રેમચંદ રાયચંદે તેને ટેકો આપ્યો. આ સભાના પ્રમુખ સ્થાને સર્વાનુમતે ફાર્બસની વરણી કરવામાં આવી. ‘ગુજરાતી સભા’ની પહેલી કારોબારી સમિતિમાં આ સભ્યોનો સમાવેશ થતો હતો : અરદેશર ફરામજી મૂસ, રેવ. ડો. જોન વિલ્સન, કરસનદાસ માધવદાસ, કરસનદાસ મૂળજી, ડોસાભાઈ ફરામજી કરાકા, રેવ. ધનજીભાઈ નવરોજી, ડો. ધીરજરામ દલપતરામ, નર્મદાશંકર લાલશંકર (નર્મદ), પ્રેમચંદ રાયચંદ, પ્રેમાભાઈ હીમાભાઈ, ડો. ભાઉ દાજી, મંગળદાસ નથુભાઈ, મનસુખરામ ત્રિપાઠી, રણછોડભાઈ ઉદયરામ, વિશ્વનાથ નારાયણ મંડલિક, વીરચંદ દીપચંદ, અને સોરાબજી શાપુરજી. સભાના પહેલા મંત્રી તરીકે મનસુખરામને નીમવામાં આવ્યા. ૧૯૦૮માં તેમનું અવસાન થયું ત્યાં સુધી – પૂરાં ૪૩ વર્ષ સુધી – તેઓ મંત્રી રહ્યા.

અમદાવાદમાં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ ૧૮૪૮ના ડિસેમ્બરમાં સ્થપાઈ. મુંબઈની ‘ગુજરાતી સભા’ ૧૮૬૫ના માર્ચમાં સ્થપાઈ. બે વચ્ચે લગભગ સોળ વર્ષનો સમય ગાળો. પણ અમદાવાદની સંસ્થાની સ્થાપના માત્ર કેટલાક અંગ્રેજ અધિકારીઓએ મળીને કરી હતી અને ૧૮૫૨ સુધી તેની કારોબારી સમિતિમાં કોઈ બિન-અંગ્રેજનું નામ જોવા મળતું નથી. જ્યારે મુંબઈની સંસ્થાની સ્થાપનાની બાબતમાં ‘દેશી’ઓએ પહેલ કરી હતી અને તેની પહેલી જ કારોબારીમાં ‘દેશી’ઓ બહુમતીમાં હતા. કારોબારીના કુલ ૧૮ સભ્યોમાંથી ફાર્બસ અને  ડૉ. વિલ્સન એ બે જ અંગ્રેજ હતા, બાકીના બધા ‘દેશી’ હતા. બીજી ધ્યાનપાત્ર વાત એ કે મુંબઈના પચરંગી પોતનું પ્રતિબિંબ મુંબઈની સંસ્થાની પહેલી જ કારોબારીમાં જોવા મળે છે. અરદેશર ફરામજી મૂસ, ડોસાભાઈ કરાકા, ધનજીભાઈ નવરોજી (જન્મે પારસી, પણ પછીથી ખ્રિસ્તી ધર્મ સ્વેચ્છાએ અંગીકાર કરેલો), સોરાબજી શાપુરજી જેવા પારસી આગેવાનોને તેમાં સ્થાન મળ્યું હતું તો ડૉ. ભાઉ દાજી અને વિશ્વનાથ નારાયણ મંડલિક જેવા મરાઠીભાષી અગ્રણીઓનો સાથ પણ મળ્યો હતો. હકીકતમાં, ઓગણીસમી સદીમાં સમાજ, ભાષા, સાહિત્ય, પત્રકારત્વનાં અનેક કામોમાં મુંબઈમાં ગુજરાતીભાષી હિંદુઓ, પારસીઓ અને મુસ્લિમો તથા મરાઠીભાષીઓ ખભેખભો મિલાવી કામ કરતા હતા. અમદાવાદ અને ગુજરાતમાં જે આવાં કામો થયાં (જેમ કે હોપ વાચનમાળા માટેની સમિતિ) તેમાં બિન-હિંદુને સ્થાન અપાયું હોય એવું જોવા મળતું નથી.

મુંબઈની સંસ્થાની પહેલી કારોબારીના એક સભ્ય તરીકે કવિ નર્મદનું નામ જોવા મળે છે. પણ નર્મદ પોતે આ સંસ્થાની સ્થાપનાથી રાજી થયો નહોતો. ‘ડાંડિયો’માં આ નવી સંસ્થાની આકરી ટીકા પ્રગટ થઇ હતી. ૧૫મી એપ્રિલ ૧૮૬૫ના અંકમાં પ્રગટ થયેલા લેખમાં કહ્યું હતું : “ઘણા દાહાડાની ચરચાતી ‘ગુજરાતી સભા’નો સાતમે મહીને જન્મ થયો છે. માનીતી વહુએ શુંથીયું સાવરણી જણી છે. ઘણું ડોળ ચઢેલું પણ આખરે શરવડાં થયાં છે … કમીટીમાં કેટલા એક પુરુષો જેઓ સરસ્વતીના ખરા શાગ્રીતો પોતાના ઉદ્યમથી, વિદ્વત્તાથી ઠરી ચૂક્યા છે તેઓના નામ અત્રે જણાયાં નથી. કદાચ અમદાવાદ દીનો(?) હિતુશ્રી ફોર્બ્સને અમદાબાદીઓ જ ગમે છે; તથા શ્રીમંતોને જ મ્હો જોઈ ચાંલ્લા કરે છે.”

મુંબઈની સંસ્થા અને અમદાવાદની ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ વચ્ચેના સંબંધ અંગે પણ શરૂઆતમાં અવઢવ રહી હશે એમ માની શકાય. ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલી ‘આનરેબલ ફારબસસાહેબનું મરણ’ નામની લેખમાળામાં દલપતરામ મુંબઈની સંસ્થાને ‘મુંબાઈની ગુ. વ. સોસાયટી’ તરીકે ઓળખાવે છે એટલું જ નહિ તેનું કામકાજ સંભાળવા ફાર્બસે પોતાને મુંબઈ બોલાવ્યા હતા એમ પણ કહે છે. તેઓ લખે છે : “તે સાહેબે (ફાર્બસે) અહીંના શેઠ કાવસજી મનચેરજીની મારફતે એક અંગરેજી પત્ર મારા ઉપર મોકલ્યો, કે તમારે અમદાવાદની સોસાયટીમાંથી રજા લઈને અહીં આવવાની તૈયારી કરવી. તે પત્ર મેહેરબાન કરટીસ સાહેબના વાંચવામાં આવ્યો. ત્યારે તેમને ઘણું માઠું લાગ્યું. કેમ કે તેમનો પણ મારા ઉપર પ્યાર ઘણો, તેથી મને રજા આપવાને ખુશી નહોતા. તેથી જેમ કોઈ વસ્તુને બંને તરફથી લોહચુમ્બકનું આકર્ષણ લાગ્યાથી, તે અધ્ધર લટકી રહે, તેમ ઉભયતાના સ્નેહની વચે મારું મન ઘોળાવા લાગ્યું.” મુંબઈની સંસ્થાની કારોબારીની પહેલી ત્રણ બેઠકોની હસ્તલિખિત નોંધ આજ સુધી સચવાઈ છે તેમાં દલપતરામને આવો કોઈ પત્ર લખાયો હોવાનું નોંધાયું નથી. ‘કવીશ્વર દલપતરામ’માં નાનાલાલ પણ આવી કોઈ વાત નોંધતા નથી. તેમણે માત્ર આટલું જ લખ્યું છે : “ગુજરાતી સભા સ્થપાઈ. બેએ વર્ષે ફારબસનાં સપનાં ફળ્યાં. પણ મુંબઈમાં ફારબસને પડખે દલપત ન હતો, અને ઉત્તરવસ્થામાં દલપત સમો અઠંગ ઇતિહાસઉપાસક નર્મદ અળગો રહ્યો, એટલે સોસાયટીના જેવા ફારબસ સભાના રંગ ઝળક્યા નહિ.” (ભાગ બીજો, ઉત્તરાર્ધ)

(ક્રમશ:)
e.mail : deepakbmehta@gmail.com

Loading

ચલ મન મુંબઈ નગરી—256

દીપક મહેતા|Opinion - Opinion|13 July 2024

 મુંબઈના નામના સિક્કા પડાવો, ને મુંબઈના માનમાં તોપું ફોડાવો       

મુંબઈના નામના સિક્કા પડાવો,

ને મુંબઈના માનમાં તોપું ફોડાવો,

મુંબઈનો ડંકો વાગશે.

(નાટક ‘સંતુ રંગીલી’ની ક્ષમા યાચના સાથે.)

જી.પી.ઓ.ના મકાનમાંની ત્રણ ટનલમાંની એક જાય છે મિન્ટ કહેતાં સરકારી ટંકશાળ સુધી. તો ચાલો, આજે આપણે પણ મુલાકાત લઈએ મુંબઈની મિન્ટની. મુંબઈમાં આજે જે સરકારી સંસ્થાઓ છે તેમાં કદાચ સૌથી જૂની છે મિન્ટ. મુંબઈની મિન્ટની કથા શરૂ થાય છે છેક ઈ.સ. ૧૬૭૧માં. એ વરસે લંડનમાં બેઠેલા કંપની સરકારના મોવડીઓએ કહ્યું કે મુંબઈમાં એક મિન્ટ શરૂ કરવી જોઈએ અને તેમાં સોના-ચાંદીના સિક્કા પાડવા જોઈએ. પણ તેની ડિઝાઈન કે આકાર ગ્રેટ બ્રિટનના ચલણી સિક્કાઓને બિલકુલ મળતો ન આવવો જોઈએ. અને એનો વપરાશ કંપનીના તાબા નીચેના પ્રદેશો પૂરતો જ મર્યાદિત રહેવો જોઈએ. મુંબઈના બીજા ગવર્નર જેરાલ્ડ ઓન્ગીઆરે જવાબમાં જણાવ્યું કે આ સૂચન અમલમાં મૂકી શકાય તેમ નથી. કારણ એક તો અહીં જે સોનું જમા થાય તે અમારે સુરતના વડા મથકે મોકલી દેવું પડે છે. બીજું, માત્ર સોના-ચાંદીના સિક્કાથી કામ સરે તેમ નથી. તાંબાના અને નિકલના નાની રકમના સિક્કા પણ બહાર પાડવા પડે.

ઈ.સ. ૧૬૭૫ સુધી આ દરખાસ્ત અભરાઈ પર પડી રહી. પછી એ વરસના જાન્યુઆરીની ૧૮મી તારીખે ગવર્નર ઓન્ગીયારે લંડનને લખી જણાવ્યું કે મુંબઈમાં મિન્ટ શરૂ કરવાની તાતી જરૂર છે. ૧૬૭૬ના ઓક્ટોબરની પાંચમી તારીખે સમ્રાટ શહેનશાહે ખરીતા પર સહી કરીને કંપની સરકારને મુંબઈમાં મિન્ટ શરૂ કરવાની પરવાનગી આપી. અને સોના-ચાંદી ઉપરાંત જરૂર મુજબના બીજા સિક્કા પણ બહાર પાડવાની તેને સત્તા આપી. પણ સિક્કા પાડવાના કામનો કોઈ જાણકાર અહીં હતો નહિ, એટલે મિસ્ટર સ્મિથ નામના મિન્ટ માસ્ટરને વરસના ૬૦ પાઉન્ડના પગારે મુંબઈ મોકલ્યા.

ઈ.સ. ૧૬૭૨માં મુંબઈની મિન્ટમાંથી બહાર પડેલો સિક્કો

ગવર્નર ઓન્ગીઆરનાં બધાં કામ તડ ને ફડ. લંડનની લીલી ઝંડી મળી કે કામ શરૂ. એ વખતે મુંબઈ સરકારનું બધું કામ થતું ‘બોમ્બે કાસલ’માંથી. એટલે ટંકશાળ પણ ત્યાં જ. પણ તેને અંગેની વિગતો મળતી નથી. પણ બીજે જ વરસે સુરતની ફેક્ટરી(ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ઓફિસ એ નામે ઓળખાતી)એ ગ્રેટ બ્રિટન કાગળ લખ્યો અને સાથે મુંબઈની મિન્ટમાંથી બહાર પડેલા સિક્કાના નમૂના પણ જોવા મોકલ્યા. એટલે કામ બહુ થોડા વખતમાં શરૂ થયું હશે. એ પત્રમાં એમ પણ લખ્યું છે કે શરૂઆતમાં બ્રિટિશ સિક્કાના વપરાશ સામે પોર્ટુગીઝોએ અવરોધો ઊભા કર્યા હતા. એટલે લોકોને મન બ્રિટિશ સિક્કા તો નક્કામાં છે એવી છાપ પડેલી. પણ પછી લોકોને બ્રિટિશ સિક્કામાં વિશ્વાસ બેઠો. બધા સિક્કામાં ટીનના સિક્કા સૌથી વધુ ચલણમાં હતા. એટલે બ્રિટનથી વધુ મોટા પ્રમાણમાં ટીન મોકલવાની વિનંતી પણ કરવામાં આવી.

૧૬૭૭ના ફેબ્રુઆરીની ૧૭મી તારીખે ‘ફોર્મોસા મર્ચન્ટ’ નામના વહાણ દ્વારા તાંબાનો મોટો જથ્થો મુંબઈ પહોચ્યો. બ્રિટનથી સૂચના એવી હતી કે તેમાંથી ખપ પૂરતો જથ્થો મુંબઈમાં રાખીને બાકીનો સુરત મોકલવો. પણ ૧૫૭ ખોખાં ભરીને આવેલું બધું તાંબુ મુંબઈમાં જ ઉતારી લેવાયું.

કંપની સરકારે મુંબઈમાં સિક્કા પાડવાનું શરૂ કર્યું ત્યારે બ્રિટિશ સિક્કાની સાથોસાથ અગાઉના પોર્ટુગીઝ સિક્કા પણ ચલણમાં હતા અને અંગ્રેજ સરકાર પણ પોર્ટુગીઝ સિક્કા સ્વીકારતી હતી. પણ ૧૭૧૩ના માર્ચની ૨૭મી તારીખે લખેલા પત્રમાં બ્રિટનના સાહેબોએ મુંબઈ સરકારને જણાવ્યું કે હવે પછી સરકારે માત્ર બ્રિટિશ સિક્કા જ સ્વીકારવા, પોર્ટુગીઝ સિક્કા નહિ. પછી ૧૭૩૩મા બ્રિટિશ સિક્કાને ‘લીગલ ટેન્ડર’(સત્તાવાર ચલણ)નો દરજ્જો અપાયો. એ સિવાયના પોર્ટુગીઝ, મોગલ કે મરાઠા સિક્કા જેમની પાસે હોય તેમને દસ દિવસની અંદર મુંબઈની મિન્ટને હવાલે કરી દેવા એવો વટહુકમ બહાર પાડ્યો. તેના બદલામાં વાજબી કિમતના બ્રિટિશ રૂપિયા આપવાનું પણ ઠરાવ્યું. દસ દિવસની મુદ્દત પછી જેમની પાસેથી બ્રિટિશ સિવાયના સિક્કા મળી આવશે તે તાબડતોબ જપ્ત કરવામાં આવશે અને તેના બદલામાં કશું જ વળતર અપાશે નહિ એવી જાહેરાત કરવામાં આવી.

આ જ અરસામાં મુંબઈની ટંકશાળે બીજી એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. એ મુશ્કેલી તે બનાવટી ચલણી સિક્કાની. આવા સિક્કા મોટે ભાગે ગુજરાતથી મુંબઈમાં આવતા. આ દૂષણને ડામવા માટે સરકારે જાહેર કર્યું કે જે કોઈ વ્યક્તિ આવા બનાવટી સિક્કા બનાવનાર વ્યક્તિ કે વ્યક્તિઓ અંગે મિન્ટમાં આવીને માહિતી આપશે તેને એક હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. (એ વખતે આ ઘણી મોટી રકમ કહેવાય.)

૧૮૩૦માં મિન્ટનું આ મકાન બંધાયું ત્યારે સામે હતું મોટું ગોળ તળાવ

બોમ્બે કાસલમાં આવેલી આ મિન્ટ ક્યાં સુધી કામ કરતી રહી તે જાણવા મળ્યું નથી. પણ ૧૮૨૪માં મિન્ટ માટેના નવા (હાલના) મકાનનું બાંધકામ શરૂ થયું અને ૧૮૩૦માં પૂરું થયું. બોમ્બે એન્જિનિયર્સના કેપ્ટન જોન હોકિન્સની દેખરેખ નીચે બંધાયેલા આ મકાન સામે એક મોટું ગોળાકાર તળાવ હતું, જે પછીથી પુરાવી દેવાયું. શરૂઆતનાં ઘણાં વરસ આ નવી મિન્ટ મુંબઈ સરકારની હકૂમત નીચે હતી. ૧૮૭૬માં ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાએ તે હસ્તગત કરી લીધી હતી. આઝાદી પછી ૧૯૬૪થી અહીંથી ખાસ વ્યક્તિ કે પ્રસંગના માનમાં વિશેષ સિક્કા પાડવાનું શરૂ થયું. ૧૯૬૪માં આવો પહેલો સિક્કો પંડિત જવાહરલાલ નેહરુની સ્મૃતિમાં બહાર પડ્યો.

ક ખ ગ ઘ ‍‌ઙ   

આ તો મુંબઈ રંગીલીનો મ, મ.  

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 13 જુલાઈ 2024)

Loading

ઑટિઝમ – આઈ એમ સ્પેશ્યલ, માય વર્લ્ડ ઈઝ ડિફરન્ટ

સોનલ પરીખ|Opinion - Opinion|13 July 2024

સની અઢી વર્ષનો થયો ત્યારે ડોક્ટરોએ કહ્યું કે તેને ઑટિઝમ છે અને તેને જીવનભર ઑટિઝમ સાથે જ રહેવાનું છે. અમારો સની ખૂબ ખુશમિજાજ, પ્રેમાળ અને જીવંત છે. આઈન્સ્ટાઈન, મોઝાર્ટ અને એડિસનની જેમ એ પણ એના ઑટિસ્ટિક માઇન્ડ સાથે એક દિવસ જરૂર કશુંક કરી બતાવશે. પ્લીઝ ડોન્ટ ફિલ સોરી ફોર હિમ.

— ‘આઈ એમ સ્પેશ્યલ, માય વર્લ્ડ ઈઝ ડિફરન્ટ’ ફિલ્મની મા.

સોનલ પરીખ

‘હું એક કંપનીની સી.ઈ.ઓ. છું. મારી સાત વર્ષની દીકરીને ઑટિઝમ હોવાનું નિદાન થયું અને મેં એ વિષે વાંચવાનું શરૂ કર્યું ત્યારે છેક મને ખબર પડી કે હું પણ ઑટિસ્ટિક છું. અચાનક અનેક બાબતોનો અર્થ સમજાય છે. મારી કારકિર્દીનો ગ્રાફ કોઈને પણ ઈર્ષા આવે એવો છે. મારું મગજ કલાકના સેંકડો માઈલની ઝડપે દોડે છે અને એને કેમ અટકાવવું એની મને ખબર નથી. મારે સામાજિક પ્રસંગોએ રિક્રીએશનલ ડ્રગ્સ લેવી પડે છે. એલિસ્ટિક (ઑટિસ્ટિક ન હોય તેવા) વિશ્વનો સામનો કરવાનો મને ખૂબ થાક લાગે છે. મારા માથામાં શું ચાલે છે તેનો કોઈને અંદાજ આવતો નથી. હું મિત્રતા સહેલાઈથી કરી શકું છું, પણ મિત્રતા સાચવવા મારે બહુ મહેનત કરવી પડે છે. મારી જાત પાસે અને મિત્રો પાસે મારી અપેક્ષા ખૂબ ઊંચી હોય છે. મિત્રોને એથી તાણનો અનુભવ થાય છે. હવે મને ખ્યાલ આવે છે કે આ બધાં ઑટિઝમનાં લક્ષણો છે. ઑટિસ્ટિક લોકોમાં છૂટાછેડાનું પ્રમાણ ઊંચું હોય છે, પણ મારા સદ્દભાગ્યે મારો પતિ શાંત અને સેન્સિબલ છે તેથી મારું ઑટિઝમ બેલેન્સ થઈ જાય છે.’ આ શબ્દો રેચેલ રોવ નામની ઓસ્ટ્રેલિયન મહિલાના છે.

2 એપ્રિલે ઑટિઝમ ડે છે. એ.એસ.ડી.-ઑટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરને સમજવાનું અને ઑટિસ્ટિક લોકો પ્રત્યે સમજદારી દાખવવાનું વિશ્વને હજી આવડ્યું નથી. ભારત જેવા દેશમાં તો જાગૃતિ ઘણી જ ઓછી છે. સંશોધનો મુજબ દર 40માં એક બાળકને ઑટિઝમ હોય છે અને તેનું પ્રમાણ છોકરીઓ કરતાં છોકરાઓમાં વધારે હોય છે. શાળાઓ ઑટિઝમ વિષે શીખવે અને એવાં બાળકોને ભેદભાવ વિના એમની રીતે શીખવાની તક અને મદદ આપે તો અનેક બાળકોને રાહત થાય. 2007થી ઉજવાતો વિશ્વ ઑટિઝમ ડે, જે બાળકો અને પુખ્તો ઑટિઝમથી પીડાય છે તેમના અધિકારો પ્રત્યે જાગૃત અને સંવેદનશીલ થવાનું; તેમને સામાન્ય સમાજમાં ભેળવવાનું અને ખોટી માહિતીઓમાંથી નીકળી એમના વિષે સ્પષ્ટ થવાનું યાદ અપાવે છે.

આઈન્સ્ટાઈન, મોઝાર્ટ, માઇકલ એન્જેલો, બિલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ આ બધા ઓવરએચીવર્સ ઑટિસ્ટિક અથવા ઑટિઝમની ધાર પર હોવાનું મનાય છે. ડૉ. હાન્સ એસપર્ગર કહે છે કે કળા અને વિજ્ઞાનના ક્ષેત્રે સફળ થવા માટે થોડું ઑટિઝમ જરૂરી છે. કુટુંબના સભ્યો સાથે પણ બહુ ઓછું ભળતા આઇ.ટી. એન્જિનિયર તુષારે મોટા પગારની જોબ ‘આ લોકો તો મને મશીન બનાવી નાખશે.’ કહી છોડી અને પૂના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં સિનેમેટોગ્રાફી શીખી. આજે એ યુ.જી.સી. ડોક્યુમેન્ટરીઓ માટે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સિનેમેટોગ્રાફી કરે છે. બે પ્રોજેક્ટ વચ્ચે લાંબી વિપશ્યના કરી લે છે. પ્રેમ કર્યો એને પરણ્યો, પછી છૂટો થઈ ગયો. સરસ, ટૂંકી અને અર્થપૂર્ણ વાત કરી શકે પણ કોઈના ય સતત સંપર્કમાં ન રહે. એના મિત્રોમાંની એક મન્વિતા દુનિયા આખીમાં એકલી પ્રવાસ કરે છે. લગ્ન, કુટુંબ, સામાજિક સંપર્કોથી દૂર એની પોતાની દુનિયામાં મસ્ત રહે છે. ખૂબ કમાવું, પ્રતિષ્ઠા મેળવવી આ બધામાં એને રસ નથી. આવા લોકોને ઑટિસ્ટિક કહેનારા નીકળે. એમને  કહેવાનું મન થાય કે જો આ ઑટિઝમ હોય તો આવા ઑટિસ્ટિક હોવામાં વાંધો શો?

ઑટિઝમ શબ્દનો પહેલીવાર પ્રયોગ 1911માં થયો હતો. ઑટિઝમ કોઈ રોગ નથી, પણ મગજની ચોક્કસ અવસ્થા છે જે વ્યક્તિના વર્તન અને કોમ્યુનિકેશન પર અસર કરે છે. 1940ના દાયકામાં લીયો કેનર અને હાન્સ એસપર્ગર નામના બે ડોકટરોના પ્રયત્નોથી ઑટિઝમ વધુ સમજાયો. ઑટિઝમનું ડાયાબિટીસ જેવું છે. એ જાય નહીં, પણ મેનેજ થઈ શકે. જેમ વહેલું નિદાન થાય, જેમ વહેલી થેરપી શરૂ થાય તેમ વધુ સારું પરિણામ મળે. ઑટિઝમનો દરેક કેસ જુદો હોય છે અને દરેક બાળકને એની રીતે સમજવું પડે છે. એનામાં બુદ્ધિ ઓછી હોય છે એવું નથી, પણ એનો બૌદ્ધિક વિકાસ જુદી જાતનો હોય છે. અમુક ક્ષેત્રમાં બુદ્ધિ ખૂબ ચાલે પણ ભાષા, સંબંધો વગેરેમાં એ પાછું પડી જાય. પોતાને વ્યક્ત ન કરી શકે એટલે એને ગુસ્સો ખૂબ આવે જેને માતાપિતાએ સમજીને મેનેજ કરવો પડે. ઑટિઝમ વારસાગત નથી, ચેપી નથી, પણ માબાપની કસોટી કરે. પરિવારના અન્ય સભ્યોએ પણ સમજવું પડે.

ડૉ. વિકાસ શર્મા સુંદર સૂચનો આપે છે : આશા કદી ન ગુમાવો, પણ બાળકને ઑટિઝમ છે એ સ્વીકારો. એને માટે શરમ કે ભય ન અનુભવો. ઑટિઝમ મિન્સ આઈ વિલ નોટ લીડ એન ઓર્ડિનરી લાઈફ – આઈ કેન લીડ એન એક્સટ્રા-ઓર્ડિનરી લાઈફ. યોગ્ય થેરપી શરૂ કરો; પણ બાળક સાથે ખૂબ રમવું, વાર્તાઓ કહેવી, ખૂબ પ્રેમ આપવો, એની શક્તિ – એનાં રસક્ષેત્રો ઓળખીને વિકસાવવાં અને એની સાથે ખૂબ આનંદ કરવો એ વધારે અગત્યનું છે. માબાપથી મોટો કોઈ થેરપિસ્ટ નથી ને ઘરથી મોટું કોઈ થેરપી સેન્ટર નથી. શીખવવા માટે પાછળ ન પડવું. ઑટિસ્ટિક બાળકનું એન્વાયર્ન્મેન્ટ સાથેનું કનેક્શન તૂટતું હોય છે, તેથી તે અમુક બાબતો શીખવામાં મુશ્કેલી અનુભવે છે. તેને રિ-કનેક્ટ કરો. પાછળ પડવાથી કદાચ તે અમુક નાની બાબતો શીખી જશે જેનાથી તમને તાત્કાલિક થોડો સંતોષ થાય પણ એથી કોઈ નક્કર પરિણામ નહીં મળે. એ ત્યારે મળશે જ્યારે બાળક એન્વાયર્ન્મેન્ટ સાથે કનેક્ટ થશે અને એ ત્યારે થશે જ્યારે તમે એને ગમતું કરશો. માબાપ શિક્ષકના પાઠમાં આવી જાય ત્યારે બાળક વર્તનસમસ્યાઓનો ભોગ બને છે. થેરપિસ્ટ પાસે પણ પરાણે ન મોકલો. જે પણ રીતથી બાળક રડે, દુ:ખી થાય તે રીત તરત છોડી દો. એક તો એ તકલીફમાં છે, સંઘર્ષ અનુભવે છે. તેમાં આપણે પ્રેશર આપીશું તો મુશ્કેલી વધશે. બેત્રણ કલાક થેરપિસ્ટ પાસે ને બાકીનો વખત એની દુનિયામાં છોડી દેશો તો કોઈ ફરક નહીં પડે. વધુ પડતી સાકર હાઇપરએક્ટિવિટીનું કારણ બને છે માટે ખાવામાં સાકરનું પ્રમાણ ઓછું રાખો.

દિલ્હીના પત્રકાર અને ફિલ્મસર્જક દીપક પરવતિયારની ઑટિઝમ પરની છ મિનિટની દસ્તાવેજી ફિલ્મ ‘આઈ એમ સ્પેશ્યલ, માય વર્લ્ડ ઈઝ ડિફરન્ટ’ને ઈટાલીના ઑટિઝમ વિષેની શોર્ટ ફિલ્મોના ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી તરીકેનું ઈનામ મળ્યું છે. એ ફિલ્મની મા કહે છે, ‘સની અઢી વર્ષનો થયો ત્યારે ડોક્ટરોએ કહ્યું કે તેને ઑટિઝમ છે અને તેને જીવનભર ઑટિઝમ સાથે જ રહેવાનું છે. અમે અને હવે એની નાની બહેન તેને સાચવતાં, ખુશ રાખતાં અને નવું શીખવતાં શીખી ગયાં છીએ. અમારો સની ખૂબ ખુશમિજાજ, પ્રેમાળ અને જીવંત છે. આઈન્સ્ટાઈન, મોઝાર્ટ અને એડિસનની જેમ એ પણ એના ઑટિસ્ટિક માઇન્ડ સાથે એક દિવસ જરૂર કશુંક કરી બતાવશે. પ્લીઝ ડોન્ટ ફિલ સોરી ફોર હિમ.’ ફિલ્મનો સંદેશ એ છે કે ઑટિઝમ જિંદગીનો અંત નથી. ઑટિસ્ટિક બાળક અન્ય બાળકો જેટલું જ વહાલસોયું, ચંચળ અને પ્રેમપૂર્ણ હોય છે. બસ તેને વિશેષ સંભાળ, સ્પેસ અને સ્નેહની જરૂર હોય છે. અક્ષમતાને વિષય બનાવતી આ એમની બીજી ફિલ્મ છે. પહેલી ફિલ્મ ‘ધ વિઝાર્ડ ઑફ નીડલ્સ’ ભારતના એકમાત્ર અંધ એક્યુપંચરિસ્ટ વિષેની હતી. ઑટિઝમ પર ‘બિયોન્ડ’ ‘રેઈન મેન’, ‘બરફી’ જેવી સુંદર ફિલ્મો બની છે, પુસ્તકો લખાયાં છે.

ઑટિસ્ટિક બાળકને ઈલાજ કરતા પણ વધારે જરૂર સ્વીકારની હોય છે. એમના વિશ્વમાં પ્રવેશીને, એમને આપણા વિશ્વમાં પ્રવેશવા દઈને આપણે તેમને મદદ કરી શકીએ અને પોતે પણ બહેતર માનવ બની શકીએ.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 31 માર્ચ  2024

Loading

...102030...636637638639...650660670...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved