Opinion Magazine
Number of visits: 9457331
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અઠે દ્વારકા

વિપુલ કલ્યાણી|Mukaam London|12 March 2024

પંચતંત્રની એક વાર્તા સાંભરે છે. પોપટભાઈ અને કાગડાભાઈ કમાવાધમાવા જાય છે, તેની દાસ્તાઁ તેમાં વણાઈ છે. પોપટભાઈ એની સમજણ અનુસાર કમાયધમાય છે; કાગડાભાઈ તેની મતિ અનુસાર. આવું તો સત્યનારાયણની કથામાં આવતા સાધુ વાણિયાની વાતને પણ આપણે સંભારી શકીએ. ‘જાવે જે કો નર ગયો, ના’વે મંદિર માંય, જો આવે પાછો ફરી, તો પરિયા પરિયા ખાય.’

આળસુ કાગડો અને ઉદ્યમી પોપટની વાર્તા વાટે વાર્તાકાર વાચકને મજબૂત ઓઠા સાથે નીતિમત્તાના પાઠ ભણાવે છે અને વાચકના ઘડતર ચણતરનું કામ સુપેરે પાર પાડે છે. જ્યારે સાધુ વાણિયાની આ કથા દ્વારા કથાકાર આપણને સાચું બોલવાના લાભ શીખવી જાય છે અને ખોટું બોલ્યા કરવાથી જે તે નુકસાન થાય છે તે ભણી ઈશારાઓ માંડે છે.

આવી ‘પરિયા પરિયા ખાય’ની બીજી વાત માંડીએ તે પહેલાં, જાણીતા વિચારક લેખક-પત્રકાર રમેશ ઓઝાના તાજેતરના એક લેખનું આ લખાણ પણ જોઈ લઈએ :

રમેશભાઈ સવાલે છે, ‘વતનને છોડવું કે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરવું એ ગુનો છે? બેવફાઈ છે?’ અને પછી ખુદ જવાબ આલે છે : ‘જરા ય નહીં. આ જગતમાં કોઈ એવો માણસ નહીં મળે જે માનવજીવ જે જગ્યાએ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી એનાં એ સ્થળે રહેતો હોય. આપણે બધા જ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આગંતુક છીએ. આદિવાસીઓ એક જ સ્થળે રહેનારા કેટલા આદિમ છે એ કહેવું મુશ્કેલ છે. તેમણે પણ સો બસો કિલોમિટરનું સ્થળાંતર કર્યું હશે. કાર્લ માર્ક્સે કહ્યું છે કે જગતનો ઇતિહાસ વર્ગસંઘર્ષનો ઇતિહાસ છે. જુદા જુદા વર્ગોનાં હિતસંબંધો અથડાય છે અને અથડાયા જ કરે છે. આનાથી વધાર મોટું સત્ય એ છે કે જગતનો ઇતિહાસ માનવીય સ્થળાંતરનો ઇતિહાસ છે. માણસ ચાર પાંચ પેઢીથી વઘારે એક જ સ્થળે રહેતો નથી અને હવે તો તેમાં ઝડપ વધી છે.’

અને આગળ વધતાં, રમેશભાઈ પૂછી પાડે છે : ‘પણ માણસ પોતાનાં પ્યારા અને પરિચિત વતનને છોડે છે શા માટે? શા માટે પરાયા અને અપરિચિત લોકોની વચ્ચે રહેવા જાય છે? શા માટે જોખમ વહોરે છે?’

‘એકથી બીજી જગ્યાએ સ્થળાંરિત થવા માટે અનેક કારણો છે અને તેમાંના મોટા ભાગનાં કારણો માણસના જ પેદા કરેલાં હોય છે. કુદરત રૂઠે અને સ્થાળાંતર કરવું પડે એવી પણ ઘટનાઓ બને છે પણ આજકાલ એમાં પણ મોટાભાગે તો માનવી જ જવાબદાર હોય છે. માનવી કુદરત સાથે ચેડાં કરે છે અને કુદરત રૂઠે છે.’

•••

પૂર્વ ઇંગ્લૅન્ડના એસેક્સ પરગણામાં આવ્યા બેઝિલડન બરૉના એક નાના અમથા ગામ ‘રામ્સડેન બેલહાઉસ’ નામના એક ગામની આ વાત છે. પાટનગર લંડનથી આશરે 43 કિલોમિટર દૂરને અંતરે આવેલા, હાલ આશરે નવસો જણની વસ્તીવાળા, આ ગામ અંગે ‘ડૂમ્સડે બૂક’માં તો સને 1086થી નોંધ જોવા મળી છે.

ક્રાઉચ નામનો રળિયામણો એક વોંકળો ય ગામ વચ્ચેથી વહ્યા કરે છે. વળી, ગામ વચ્ચાળે, પાઘડી પને ચર્ચ રોડ છે અને તેની પર એક પા ‘વિલેજ હૉલ’ છે અને સામેની તરફે પબ્લિક હાઉસ છે. વિલેજ હૉલની બીજી બાજુ, Hemmings Too નામે એક મોટી દુકાન છે. જીવન જરૂરિયાતની, ખાધાખોરાકીની સામગ્રીનો ધંધોધાપો કરતી આ દુકાનમાં સબ-પૉસ્ટ ઑફિસ પણ છે. આશરે ત્રણેક દાયકાથી તો કિશોરી અને જય રાવલ સુપેરે આ દુકાન ચલાવે છે. આ દંપતીની દાસ્તાઁની વાત અહીં માંડવી છે.

જય રાવલ

કિશોરી રાવલ

જય રાવલનાં દાદાદાદી કેન્યાના નકુરુ શહેરે એક વેળા દુકાન ચલાવતાં. જ્યારે કિશોરીનાં દાદાદાદી તો મૂળગત ટૅન્ઝાનિયામાં સ્થાયી થયેલાં. મોશી, અરુશા, મ્બુલુ, મ્ટોવામ્બુ જેવાં નાનાંમોટાં ગામોમાં એમને ધંધાધાપાનો અનુભવ. એ અનુભવ તેનાં માવતરની રગોમાં પણ ઊતરેલો ભળાતો. કિશોરીના દાદા, કેશવજીભાઈના મોટાભાઈ, મગનલાલભાઈ અને નાનાભાઈ, ભગવાનજીભાઈને પણ આવા ધંધાનો નખશીખ અનુભવ. આમ કિશોરી અને જયની નસોમાં લોહી જોડે ધંધાધાપાનો વારસો વહેતો ભળાય.

ગઈ સદીના નવમા દાયકામાં, કિશોરી અને જય પૂર્વ ઇંગ્લેન્ડના પરગણા એસેક્સની મુલાકાતે ગયેલાં. બેઝિડલ નામે ગામની પડખે, ક્રેય્ઝ હિલ નામે નાનકું અને તરત ગમી જાય તેવું નાનું ગામ. રળિયામણો વિસ્તાર. તેમાં જયના મોટાભાઈ દિલીપ કને ‘હેમિંગ્સ’ નામે મોટી દુકાનનો માલિકી હક. પોસ્ટ ઑફિસની સગવડ સમેતનો મોટો ભંડાર જ જાણે જોઈ લો. દુકાન, વેપારવણજ, ચોપાસનો વિસ્તાર દંપતીને મનમાં ખૂબ જ વસી ગયો. ત્રણ દાયકા પહેલાની જ આ વાત. અને એમણે આવા કોઈક વિસ્તારમાં, પલોંઠ લગાવીને મચી રહેવાનો મનસૂબો કર્યો. અને 1993ના અરસામાં, બાજુના રામ્સડેન બેલહાઉસ ગામે એક દુકાન ભાડાપેટે ખરીદી સારુ બજારમાં આવતાં, ખરીદવાનું ગોઠવી કાઢ્યું.

ત્રણ દાયકાને ઓવારે, કિશોરી – જય હવે તો બન્ને એ દુકાનના, ઈમારતના માલિક પણ છે.

રામ્સડેન બેલહાઉસ. નાનું ગામ. રળિયામણું. મોટા મોટા બગીચાવાળા છૂટા પટમાં મકાનોની બાંધણી. આ મકાનોના વસવાટીઓને પરોઢિયે તાજાં છાપાં પહોંચતાં કરવાનું કામ કિશોરીએ હાથમાં લીધું. મીઠી જીભાન અને ઘરાકને સાંચવી લેવાની સમજણ કેળવી. બન્ને યુવાન અંગ્રેજીનાં જાણકાર. કુનેહે ઘરોબો વધારતાં ગયાં. દુકાન ચલાવવા કર્મચારીઓની ગોઠવણ પણ કરી અને દરેક જોડે માનવતાભર્યો એખલાસવાળો વર્તાવ. દરેક ઘરાક સાથે અંગત ઘરોબો જોડાતો ગયો અને મીઠાશ વધતી ગઈ. નિર્વ્યાજ સ્મિત સાથે ઘરાકને આવકારે, નામથી બોલાવે અને ખબરઅંતર પણ પૂછે. આમ જાણે કે ઓરસિયે ચંદન ઘસાતું રહ્યું અને ચોમેર સુગંધી પ્રસરતી ચાલી.

ચોમેર મોંધાદાટ મકાનો હોય અને એકમેકથી ચડિયાતાં વાહનોની દોટમ્‌દોટ હોય તેવા આ ગામની બીજી ખાસિયત સીધી નજરે ન પડે છતાં, રામ્સડેન બેલહાઉસમાં નકરી બિરાદરી જ નીતરતી જોવાની સાંપડે. અને તેનો પૂરો જશ જૈફ વયના લોકોને વરે છે. જેમ જેમ ગામ વિકસતું જાય છે તેમ તેમ આવા મનમેળ અને ભાઈચારાને પણ મજબૂતાઈનાં મૂળ જોર પકડતાં જાય છે.

‘એસેક્સલાઈવ’ સમાચારસંસ્થા જોડે વાત કરતાં, કિશોરી રાવલે, ફેબ્રુઆરી 2022માં, આ જ વાત જોશપૂર્વક મૂકી આપેલી. જૈફ વયની આ ખેલદિલી, આ સમજણને કારણે આ ભાઈચારો એવો જામ્યો છે કે તે હવે નવાં આગંતુકોમાં ય તે ફરી વળ્યો છે. કિશોરી કહેતાં હતાં, આ બધું મને પોરસાવે છે કેમ કે આ સમાજ કેવો સરસ તેમ જ સમરસ છે તેની સુગંધ ચોમેર પ્રસરતી જ આપણે અનુભવીએ છીએ ને.

અમને દરેકને સાથમાં રાખવા જાણે કે વડીલ જૂથે હામ ભીડી હોય, અને દરેકને જોડતાં જોડતાં સામાજિક પ્રસંગો ઊભા કરાતા હોય, તેવો જાત અનુભવ રહ્યા કર્યો છે. તેથીસ્તો, પરિણામે, અમે જુવાનિયા પણ તેમાં પૂરેવચ્ચ ને સક્રિયપણે સામેલ રહીએ છીએ. 

•  

કમભાગ્યે, છેલ્લાં પાંચેક વર્ષ દરમિયાન, જયની તબિયત લથડતી ચાલી. એક પા કોવીડનો કેર; બીજી પા, જય ઇસ્પિતાલમાં. મોટે ભાગે તો એ બેભાનાવસ્થામાં જ સરકી પડ્યા. ઘરની, વરની, દુકાનની સઘળી જવાબદારીઓ કિશોરીને માથે આવી પડી. આ હિંમતવાન મહિલાએ દરેક વેળા મગરૂરીથી મારગ કાઢવાનો રાખ્યો. અને આવી વિપરીત પરિસ્થિતિ વચ્ચાળે જયે, 63 વર્ષની ઉમ્મરે, માયા સંકેલી લીધી. એ દિવસ હતો 11 નવેમ્બર 2022.

અને પારાવાર વેદના છતાં, કિશોરી એકલાં નહોતાં, સારું ગામ એની અડખેપડખે હતું. ગ્રામજનોએ કિશોરીને સાંચવી લીધાં. અને બીજી પાસ, જાણે કે સમગ્ર ગામ, તેમ જ ચોપાસનો અડોશપડોશ જયની અંતિમક્રિયા વેળા હાજરાહજૂર. અંતિમક્રિયા પછી, ગામના વિલેજ હૉલમાં, જાણે કે ગ્રામજન ખડે પગે હાજર ને હાજર. સૌએ જયને વિદાય આપી અને સમાજની રીતિનીતિ અનુસાર, ગ્રામજનોએ જયનાં માનમાં અંગત સ્નેહીજનોની જોડાજોડ, રોટલા/રોટલી, ખીચડી અને શાક આરોગી કિશોરી અને પરિવારને શાતા આપતાં હતાં.

આટલં ઓછું હોય તેમ, વળી, ગ્રામજનોએ સાર્વજનિકરૂપે જયની સ્મૃતિમાં, ‘હેમિંમ્ગ સ્ટોર ટૂ’ની તદ્દન બાજુમાં, કાયમી ધોરણે, એક બાંકડો નિયત કર્યો તેમ જ એ બાંકડા પર તકતી જડી આપી : “Enjoy the sunshine here in memory of Jay. Sit for a while and watch the world go by.”

•

સાડાછસ્સો વરસ પહેલાં ગુજરાતના સંજાણ બંદરે બનેલી ઐતિહાસિક ઘટના સાંભરી આવી. ઈરાનથી આવેલી આ જમાતને તત્કાલીન હિન્દુ રાજા જદી રાણાએ દૂધનો પ્યાલો પાઠવ્યો. તેમાં આગંતુકોએ સાકર ઊમેરી રાજાને પરત કર્યો. કહે છે, રાજા ભારે પ્રસન્ન હતા અને એમણે પારસીઓને રહેવાની પરવાનગી આપી. નજીકના ગામ ઉદવાડામાં આ જમાતે પોતાનું મથક ઊભું કરી કાઢ્યું. આજે ય સમાજના દરેક સ્તરે આ પારસીઓ દૂધમાં સાકર ભળે તેમ ભળીને જ રહ્યાં છે ને. બસ, કદાચ, એમ જ, કિશોરી – જય, અને એમનાં જેવાં બીજાં અનેકો આ ભૂમિમાં ઓતપ્રોત થઈને રહ્યાં છે અને પોતાનું વતન જાણી જીવન વ્યતીત કરતાં આવ્યાં છે. 

પાનબીડું : 

હું માણસ છું કે?

આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે?
આમ સ્પંદનો ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

દરિયા જેવો કાયમ થાવા મર્ત્યલોકમાં નીકળ્યો, નીકળ્યો એક જનમથી બીજે
વાદળઘેલા કોઈ જનમની હજી કનડતી ઇચ્છાઓથી જીવતર લથબથ ભીંજે,
વર્તમાનમાં માણસનો હું વેશ ધરીને ભૂતકાળમાં રઝળું છું હું માણસ છું કે?

આમ ઊર્મિઓ ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

છાતી અંદર શ્વાસ થઈને કરે ઠકાઠક રોજ રોજનો લાંબો તીણો ખીલ્લો
હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો
ફિલસૂફોનાં ટોળાં વચ્ચે એકલવાયો અવાજ લઈને રખડું છું હું માણસ છું કે?

ભાવભીનો હું ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?

                                                                  – ચંદ્રકાન્ત શાહ

[1,287 શબ્દો]
હેરૉ, 11/2 માર્ચ 2024
e.mail : vipoolkalyani.opinion@btinternet.com

Loading

કર્મશીલ નંદિની ઓઝા સાથે ગોષ્ઠિ

આરાધના ભટ્ટ|Opinion - Interview|11 March 2024

આરાધના ભટ્ટ

જ્યારે મોટાભાગના લોકો ગ્રામ્ય જીવન છોડીને શહેર તરફ પ્રયાણ કરવાના રસ્તા શોધતા હોય છે, ત્યારે સ્વેચ્છાએ ગ્રામ્ય પરિસરમાં નિવાસ કરનાર જવલ્લે મળી આવે. આવાં જવલ્લે મળી આવનાર વ્યક્તિ તે કર્મશીલ, લેખિકા મૂળ ભાવનગરનાં અને હવે પુણે જિલ્લાના વિઠ્ઠલવાડી ગામમાં એમના કર્મશીલ અને અધ્યયનશીલ પતિ શ્રીપાદ ધર્માધિકારી સાથે વસતાં નંદિની ઓઝા.

૧૯૮૭માં એમણે માસ્ટર ઑફ સોશિયલ વર્કની પદવી મેળવ્યા પછી તેઓ સતત નર્મદા સરોવર પરિયોજના સહિત સામાજિક અન્યાય સામેની ચળવળોમાં સક્રિય રહ્યાં છે. ૨૦૦૨-૨૦૦૪નાં બે વર્ષ એમણે મધ્ય પ્રદેશની કૉલેજમાં અધ્યાપન કર્યું અને પછી પૂર્ણ સમયનાં કર્મશીલ બન્યાં. એમણે ભોગવેલા જેલવાસનો વૃત્તાંત એમના ૨૦૦૬માં રૂપા પ્રકાશન દ્વારા પ્રગટ થયેલા પુસ્તક ‘વિધર જસ્ટિસ : સ્ટોરીઝ ઑફ વિમેન ઈન પ્રિઝન’માં સંગૃહિત છે. હાલ તેઓ મૌખિક ઇતિહાસના ક્ષેત્રમાં કાર્યરત છે. તેઓ વર્ષ ૨૦૦૪થી ‘ઓરલ હિસ્ટરી એસોસિયેશન ઑફ ઇન્ડિયા’નાં પ્રમુખ  છે. નર્મદા યોજનાથી અસરગ્રસ્ત જે આદિવાસી પ્રજાઓમાં પ્રત્યાયન માત્ર મૌખિક બોલીઓ દ્વારા થાય છે એમના સાંસ્કૃતિક ઇતિહાસનો દસ્તાવેજ તૈયાર કરવા તેઓ ગામેગામ ફરીને રેકોર્ડિંગ કરી એને પુસ્તકાકારે પ્રગટ કરી રહ્યાં છે. એમનું પહેલું પુસ્તક ‘ધ સ્ટ્રગલ ફૉર નર્મદા’ ઑરિએન્ટ બ્લૅક સ્વાન પ્રકાશકે પ્રગટ  કર્યું છે. એમનાં પુસ્તકોના મરાઠી અને હિંદી અનુવાદો થયા છે.

નંદિની ઓઝા

પ્રશ્ન : નંદિનીબહેન, આપણે શરૂઆત કરીએ તમારા જીવનનાં શરૂઆતનાં વર્ષોથી. તમારામાં સામાજિક ન્યાયની અને સમાનતાની જે ભાવના રહેલી છે, જેને માટે તમે વર્ષોથી નાની-મોટી ચળવળ કરતાં આવ્યાં છો, એ ભાવનાનાં મૂળ તમારા કુટુંબના ઉછેરમાં હશે એમ માનું છું. તમારા બાળપણ અને ઉછેર વિશે કંઈક વાત કરશો?

ઉત્તર : ચોક્કસ. તમે આ પ્રશ્ન પૂછ્યો એનો મને ખૂબ આનંદ છે. આપણા સમાજમાં વડીલોપાર્જિત મિલકતનો આનંદ ઘણા ઉઠાવતા હોય છે. પણ હું અને મારાં બહેન એ રીતે નસીબદાર છીએ કે વડીલોના ઉત્તમ સંસ્કારનો અમે સંતોષ માણી રહ્યાં છીએ. મારા પિતા સમાજવાદી વિચારધારાના હતા અને એ એવું માનતા કે સમાજમાં જે અન્યાય, અત્યાચાર અને ભેદભાવ છે એ બધા સામે લડવું જોઈએ, જેનાથી સાચા અર્થમાં સારો અને સમૃદ્ધ સમાજ સ્થાપિત થાય, જેમાં દરેક પ્રકારની સમાનતા હોય. અને મારાં માતાની વિચારધારા સેવાભાવી હતી. મારાં માતા-પિતા બંને આઝાદી પછી તરત પરદેશ ભણવા ગયાં, બંનેને ત્યાં સ્થાયી થવાની તકો હતી. મારાં માતાને તો ત્યાંની નાગરિકતાની ઑફર પણ થયેલી. તેમ છતાં એક તબીબ તરીકે એ ભારત પાછાં આવ્યાં, વઢવાણ જેવા ગ્રામ્ય વિસ્તારમાં તદ્દન નિ:શુલ્ક અથવા નજીવી આવક સાથે એમણે આજીવન સેવા આપી અને અહીં ટ્રસ્ટની હૉસ્પિટલોમાં જ કામ કર્યું.

મારા પિતાજી ભલે બૅન્કર હતા પણ એ હંમેશાં અન્યાય સામે લડતા રહ્યા. અમને પણ એ સંસ્કાર મળ્યા. સંસ્કાર જ નહીં, પણ એ સંસ્કારને અમલમાં મૂકવાનું ઘણું પ્રોત્સાહન પણ એમણે આપ્યું. દાખલા તરીકે, નર્મદા બચાઓ આંદોલનમાં હું જેલમાં જતી, તો એ તો સાવ સ્વયંસેવી કામ હતું, એમાં કોઈ મળતર નહોતું. એ દરમ્યાન બાર વર્ષ સુધી મારા નિજી ખર્ચ માટેની આર્થિક સહાય મને મારાં માતા-પિતા તરફથી મળી. મને એટલો મોટો ટેકો મળ્યો એટલે હું મારી જાતને બહુ જ નસીબદાર માનું છું કે માત્ર સંસ્કાર જ નહીં, પણ એને અમલમાં મૂકવાનો આર્થિક, ભાવનાત્મક વગેરે બધી જ રીતનો ટેકો મને મારા પરિવાર તરફથી મળ્યો. સાથે મારે એ પણ કહેવું છે કે હું ભાવનગરમાં ફાતિમા કોન્વેન્ટ હાઇસ્કૂલમાં ભણી. ત્યાં મને વૈવિધ્યપૂર્ણ અને ધર્મનિરપેક્ષ સમાજને કેવી રીતે માણવો જોઈએ, માત્ર સહન કરવો જોઈએ એવું નહીં, પણ માણવો જોઈએ, એમાંથી કેટલો બધો આનંદ મેળવી શકાય એ શીખવા મળ્યું. જુદા જુદા ધર્મોના લોકો સાથે કઈ રીતે આનંદથી રહેવાય એ મૂલ્યોનું શિક્ષણ મને એ સ્કૂલમાંથી બહુ મજબૂત રીતે મળ્યું. આ મને આજના સમાજમાં બહુ જ કામ આવે છે, જ્યાં દરેક પ્રકારના ભેદભાવ બહુ તીવ્ર બનતાં આપણે જોઈએ છીએ. આ બંનેનું મારા ઘડતરમાં ઘણું મોટું યોગદાન છે.

પ્રશ્ન : પછી નર્મદા બચાઓ આંદોલન સાથે તમારું સંકળાવાનું કેવી રીતે બન્યું અને એમાં તમારી ભૂમિકા શું હતી ?

ઉત્તર : હું કાઠિયાવાડની, ત્યાં જ મોટી થઈ. પાણીનો પ્રશ્ન મેં તીવ્ર રીતે નાનપણથી જ જોયેલો. ગુજરાત કે સૌરાષ્ટ્રમાં ઊછર્યાં હોઈએ તો આપણને શીખવવામાં આવે કે ઘી ઢોળાય તો વાંધો નહીં, પણ પાણીના એક પણ ટીપાનો વ્યય ન થવો જોઈએ. એટલી બધી પાણીની સમસ્યા જોઈને હું મોટી થઈ. એટલે મને એમ હતું કે ગામડાંઓમાં સિંચાઈનું પાણી લોકો માટે અને ઢોરો માટે મળી રહે તો સમાજમાં જે આર્થિક અને સામાજિક તકલીફો છે એ દૂર થઈ શકે. એટલે માસ્ટર્સ ઑફ સોશિયલ વર્કનો અભ્યાસ કર્યા પછી મેં આગાખાન રૂરલ સપોર્ટ સંસ્થામાં કામ શરૂ કર્યું. હું ત્યાં નોકરી કરતી હતી. ત્યાં અમે વિકેન્દ્રિત પાણી અને માટીના પ્રબંધનની યોજનાઓમાં કામ કરતાં હતાં. ત્યારે હું એમ માનતી હતી કે આનાથી પાણીના પ્રશ્નો દૂર થશે, પણ આ બધા તાત્કાલિક કામચલાઉ ઉપાયો જ છે. ગુજરાત સરકારનો એ વખતે પ્રચંડ પ્રચાર હતો કે છેવટે તો નર્મદા નદી પર બંધાઈને ઊભો થશે એ બંધની પરિયોજના જ ગુજરાતની પાણીની સમસ્યા કાયમ માટે ઉકેલશે, એ જ ગુજરાતને નંદનવન બનાવશે.

અમે જે યોજનાઓ પર કામ કરી રહ્યાં હતાં એ બધી કામચલાઉ અને થોડા સમય માટેની છે, છેવટે તો આ નર્મદા યોજના જ કાયમી ઉકેલ લાવશે. એટલે એકાદ વર્ષ ત્યાં કામ કર્યા પછી હું પાંચ-છ રાજ્યોની એક સ્ટડી ટૂર પર નીકળી. મારે એ જોવું હતું કે દેશમાં બીજી કઈ કઈ સમસ્યાઓ છે અને લોકો એને માટે કઈ રીતે કામ કરે છે. અને એ પ્રવાસ દરમ્યાન હું ભોપાલમાં એક સંસ્થાના એક મોટા પ્રદર્શનમાં જઈ ચડી. એ આદિવાસી, ખેડૂત, મજૂરોની ગંજાવર રેલી હતી. એ બધા તીવ્રતાથી સરદાર સરોવરને રોકવાની માંગ કરી રહ્યા હતા, એની સામે વિરોધ કરી રહ્યા હતા. પોલીસ એમની ધરપકડ કરી રહી હતી, તેમ છતાં ઉગ્ર રીતે એ રેલીમાં એમની માંગ ચાલુ હતી અને લોકો ગિરફતારી પણ વહોરી રહ્યા હતા. તો આ જોઈને મને ખૂબ આંચકો લાગ્યો. મને થયું કે આપણે જેને જીવાદોરી માનીએ છીએ એનો મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના લોકો આટલો તીવ્રતાથી કેમ વિરોધ કરે છે ? આવું દૃશ્ય આ પહેલાં મેં ક્યારે ય જોયું નહોતું. એટલે પાછા આવીને મેં ગુજરાતના ત્રણેક મોટા બંધોનો અભ્યાસ કર્યો – ઉકાઈ, કડાણા, અને સરદાર સરોવર.

એમાં મેં જોયું કે મોટા ભાગે આ બંધોને કારણે હાંસિયામાં જીવતા જે માણસો છે એમનું મોટા પાયે વિસ્થાપન થતું હોય છે અને આ યોજનાઓના લાભ સ્વરૂપે જે વિસ્તારો આર્થિક અને રાજકીય રીતે શક્તિશાળી અને વગદાર છે ત્યાં વીજળી અને પાણી પહોંચતાં હોય છે. જેમ કે ખેડા, વડોદરા, અમદાવાદ, સુરત. એની સામે ગુજરાતના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં જે યોજનાઓ છે, મેં જેની તમને વાત કરી એ વિકેન્દ્રિત યોજનાઓ છે, એ અમલમાં નથી આવતી કારણ કે ગુજરાતનું એંશી ટકા સિંચાઈ બજેટ આવી મહાકાય યોજનાઓ પાછળ વપરાઈ જાય છે. એટલે એક બાજુ આ હાંસિયામાં જીવતા લોકોનું મોટા પાયે વિસ્થાપન અને બીજી બાજુ આવી નાની પરિયોજનાઓ અમલમાં ન આવતાં ગુજરાતના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિ વધારે આકરી બનતી જાય છે. આજે પણ તમે જોશો તો આ બંધ બની ગયો છે, પણ એની નજીકનાં નાનાં ગામો – છોટાઉદેપુર જેવાં ગામોએ પીવાનાં પાણી માટે તરફડિયાં મારવાં પડે છે. એટલે મને ખ્યાલ આવ્યો કે વિકેન્દ્રિત યોજનાઓ જ આપણી પાણીની સમસ્યાઓ ઉકેલી શકે અને એને માટે સરકાર સામે એક આંદોલન મને બહુ જરૂરી લાગ્યું.

એ રીતે ૧૯૯૦થી પૂર્ણ સમયના કાર્યકર તરીકે હું નર્મદા બચાઓ આંદોલનમાં જોડાઈ ગઈ. એમાં મેં ઘણાં કામો કર્યાં – મીડિયાને લગતાં, સંશોધનને લગતાં, નાણાં એકત્ર કરવાં, વગેરે. પણ આંદોલનમાં મારાં બે પ્રિય કામો હતાં – એક તો સૌરાષ્ટ્ર-કચ્છમાં વિકેન્દ્રિત પાણી માટેનું પ્રબંધન હોવું જોઈએ એની જાગૃતિ માટેનું કામ અને બીજું કામ તે ગુજરાતના જ વિસ્થાપિતો  જેમને સરકારે અસરગ્રસ્ત માન્યા નથી, જેમનો પુનર્વાસ થયો નથી એમના સંગઠનને મજબૂત કરવાનું કામ; બંને મારાં બહુ પ્રિય કામ હતાં.

પ્રશ્ન : અને પછી આ આંદોલનના ભાગરૂપ તમે જેલવાસ ભોગવ્યો અને તમારા એ અનુભવોમાંથી અમને એક સરસ પુસ્તક મળ્યું – ‘વિધર જસ્ટિસ’. એ સમયની વાત કરો, તમે જે મહિલા કેદીઓ સાથે રહ્યાં એ અનુભવોની પણ વાત કરશો ?

ઉત્તર : જેલનો મારો પ્રથમ અનુભવ હું વિદ્યાર્થી હતી ત્યારે થયેલો. હું વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં હતી અને એ અનુભવ મને વડોદરાની જેલમાં થયેલો. જ્યારે મને એક વિદ્યાર્થી તરીકે ત્યાં મોકલવામાં આવી ત્યારે ત્યાં મેં જે જોયું એને કારણે હું ત્રણેક રાત સૂઈ નહોતી શકી. ત્યાં મેં જે અસમાનતા અને જે અન્યાય જોયાં એ જાણે કે આપણા સમાજનું પ્રતિબિંબ હતાં. કોઈ પણ પુસ્તક કે અભ્યાસક્રમ ન આપી શકે એવો અન્યાય, ગરીબી, શોષણનો ચિતાર તમને જેલમાંથી મળે. એટલે હું ખૂબ હાલી ગયેલી. મેં જોયું કે સાવ નાના ગુનાઓ માટે – દાખલા તરીકે, કોઈ એક વિધવા માએ પોતાના બાળકના ભરણપોષણ માટે કોઈક નાની ચોરી કરી હોય એ મહિલા મહિનાઓ કે વર્ષો સુધી જેલમાં હોય, જ્યારે બૅંકોને લૂંટીને કરોડોની મિલકતને દેશની બહાર રવાના કરીને એનો ઉપભોગ કરનારા મોજથી છૂટા ફરતા રહે – એ આખું દ્વંદ્વ તમને હલાવી મૂકે અને પછી જીવન તરત બદલાઈ જાય છે.

હું તો એવું માનું છું કે દરેક વિદ્યાર્થી, પછી એ સમાજશાસ્ત્રના હોય, રાજ્યશાસ્ત્રના હોય, માનવ અધિકારના હોય, વિમેન્સ સ્ટડીઝના હોય એમનું પ્લેસમેન્ટ જેલમાં થવું બહુ જરૂરી છે, જેથી એમને સમાજ માટે કામ કરવાની અને એને માટે વિચારતા થવાની એક દિશા મળે. એ અનુભવ ઘણાને માટે જીવનમાં પરિવર્તન લાવનારો સમય બની શકે. ત્યાર પછી તો એક રાજકીય કેદી તરીકે હું ઇન્દોર જેલમાં, ધાર જેલમાં, સેન્દવા જેલમાં હતી. મારી ધરપકડ થઈ એની વાત કરું. મારી ધરપકડ ખોટા આરોપસર થઈ. અમારી નેવું જેટલા લોકોની એકીસાથે ધરપકડ કરવામાં આવી, જેમાં કેટલીક મહિલાઓ નાનાં બાળકોને ધાવણ આપતી માતાઓ હતી. એ બધી મહિલાઓ સરદાર સરોવર બંધને કારણે તેમના વિસ્થાપન સામે વિરોધ પ્રદર્શનો કરી રહી હતી. ધરપકડ દરમ્યાન બધાંની ખૂબ માર-પીટ થઈ, એની સામે વિરોધ કરવા મેં અને મધ્ય પ્રદેશના એક ગામનાં જશોદાબહેને ઉપવાસ શરૂ કર્યા અને અમને બીજી મહિલા કેદીઓથી અલગ, ઇન્દોર જેલમાં મૂકવામાં આવ્યાં.

મારાં માતા-પિતાને આ સમાચાર મળતાં જ એ લોકો રાતોરાત ભાવનગરથી ઇન્દોર દોડી આવ્યાં. મારા પિતાજી એ વખતે બેંકની ઊંચી પોસ્ટ પર હતા અને એમને ઘણા સંપર્કો હતા, જેમની મદદથી એ જલદીથી મારે માટે જામીન મેળવી મને જેલમાંથી છોડાવી શક્યા હોત. પણ એમણે એ ઉચિત ન માન્યું. માર-પીટમાંથી થયેલી મારી ઈજાઓ ગંભીર નથી, એ જોયા પછી એમણે નક્કી કર્યું કે આંદોલન એનું કામ કરશે અને બીજી મહિલાઓની જેમ જ મને પણ જેલમાં રહેવું પડે અને બધાની સાથે જ મને જામીન મળે એ યોગ્ય છે. મારે માટે કોઈ ખાસ વ્યવસ્થા કરી મને એવો વિશેષાધિકાર મળે એ એમને બરાબર ન લાગ્યું.

પછી નર્મદા બચાઓ આંદોલન માટે નિ:શુલ્ક કામ કરતી વકીલોની ટીમના પ્રયત્નોથી અમને બધાને સાથે જામીન મળ્યા અને જેલમુક્તિ થઈ. એ દરમિયાન મેં જેલમાં પણ સખત ભ્રષ્ટાચાર જોયો અને એનાથી મને બહુ જ આઘાત લાગતો હતો. ત્યાં નાના ગુનાઓ માટે જે કેદી મહિલાઓ હતી એમનું જે અનાજ અને શાકભાજી આવતું, એમનાં બાળકો માટે દૂધ આવતું, એમાં પણ ભ્રષ્ટાચાર થતો – એમાંનું ઘણુંખરું જેલ બહાર જ વેચાઈ જતું. એટલે હું માનું છું કે જેલ એ સમાજનું પ્રતિબિંબ છે અને એને જો આપણે સુધારી શકીએ તો સમાજ આપમેળે સુધરી જાય, એક ન્યાયવ્યવસ્થા પ્રસ્થાપિત થાય. જો મહિલાઓની પરિસ્થિતિ સુધરે તો આખા સમાજની પરિસ્થિતિ સુધરે એમ હું માનું છું. એટલે વર્ગખંડો ઉપરાંત દરેક પ્રકારના શિક્ષણમાં આવાં ફીલ્ડ પ્લેસમેન્ટ થવાં બહુ જરૂરી છે – માત્ર જેલમાં જ નહીં, પણ ગામડાંમાં, આદિવાસીઓ સાથે, વગેરે.

પ્રશ્ન : મેં જે પુસ્તકનો ઉલ્લેખ કર્યો એ ‘વિધર જસ્ટિસ’માં શું છે ? જેલના તમારા અનુભવો વિશે કંઈક વધારે કહેશો ? ઘણાએ એ પુસ્તક નહીં જોયું હોય એમ બને.

ઉત્તર : રાજકીય કેદીઓ માટે પોલીસ કસ્ટડીનો જે સમય છે એ જેલ કરતાં વધારે પીડાદાયક, ત્રાસદાયક, અને અન્યાયી હોય છે. કારણ કે રાજ્યનો હેતુ રાજકીય કેદીને અંદરથી તોડી નાખવાનો હોય છે. એટલે મને પણ ઘણો માર પડેલો. પોલીસ કસ્ટડીમાંથી જેલમાં ગઈ ત્યારે તો જાણે હાશકારો થયેલો. કારણ કે જેલમાં તમે ન્યાયતંત્રની કસ્ટડીમાં હો છો. મને એટલે પણ નિરાંત થઈ હતી કારણ કે મને જામીન મળશે એ હું જાણતી હતી. અમારી પાસે એક કાયદાકીય સહાયનું નેટવર્ક હતું, એ લોકો બહુ સક્રિય થઈ ગયા અને હાઈકોર્ટ સુધી જામીન માટે લડ્યા અને મારા લાંબા જેલવાસ-માંથી મારી જામીન મુક્તિ થઈ. પણ એ મુક્તિ થઈ ત્યારે મને એટલું બધું દુ:ખ લાગેલું કારણ કે ત્યાં એટલી બધી મહિલાઓ એવી હતી કે જે જામીન પર છૂટી શકે એમ હતી પણ એમની પાસે કોઈ સંસાધન નહોતું, કોઈ વકીલ કરી શકે એમ નહોતું. એમના પરિવારમાં કોઈ એટલું આર્થિક રીતે સદ્ધર પણ નહોતું કે એમને માટે જામીનની જોગવાઈ કરી શકે. એટલે આજે પણ જેમને જામીન મળી શકે એવા મહિલા કેદીઓની સંખ્યા જેલમાં બહુ મોટી છે કારણ કે જ્યારે મહિલા જેલમાં જાય છે ત્યારે એમની પાસે પોતાનું આર્થિક ભંડોળ હોતું નથી અને જો પુરુષ જેલમાં જાય તો એને માટે દોડાદોડી કરવાવાળા હોય છે, પણ મહિલા માટે નથી હોતા. એટલે ખરેખર જો હું આ આંદોલનમાં ન હોત તો આ મહિલા કેદીઓ માટે કામ કરવામાં મેં ઘણાં વર્ષો આપ્યાં હોત. એ આજે પણ બહુ જરૂરી છે.

પ્રશ્ન : નંદિનીબહેન, તમે થોડા સમયથી નર્મદા બંધથી થયેલા વિસ્થાપનના મૌખિક ઇતિહાસના આલેખનમાં સક્રિય છો. મૌખિક ઇતિહાસ એટલે શું ? એનું મહત્ત્વ સમજાવશો અને એના દ્વારા શું સિદ્ધ થશે? આ ક્ષેત્રે કામ કરવાના તમારા અનુભવો કેવા છે ?

ઉત્તર : તમે જાણો છો કે ભારત જેવા દેશોમાં કેટલી ભાષાઓ બોલાય છે. કેટલી ય ભાષાઓ એવી છે જે માત્ર બોલીઓ છે, એમનું લિખિત સ્વરૂપ નથી. એ બોલીઓ બોલનાર સમાજ કુદરતની બહુ નજીક છે. એ લોકોને પ્રાણીશાસ્ત્રનું, ખેતીનું, વન્યજીવન શાસ્ત્રનું, પ્રકૃતિનું, જડીબુટ્ટીઓનું અદ્ભુત જ્ઞાન છે. મેં જ્યારે નર્મદાની ઘાટીઓમાં આદિવાસીઓ સાથે અને ખેડૂતો સાથે કામ કર્યું ત્યારે મેં આ જોયું. કમનસીબે આ ભાષાઓનું લિખિત સ્વરૂપ નથી એટલે આ આદિવાસીઓ પોતાનું જ્ઞાન અને એમની પરંપરા મૌખિક રીતે પછીની પેઢીઓને આપે છે. આ ઉપરાંત મેં એ પણ જોયું કે કુદરતી સંસાધનોની નજીક જીવનાર આ પ્રજાનું કુદરત વિશેનું જ્ઞાન તો ખૂબ છે જ, પણ સાથે પર્યાવરણનું અને ટકાઉ વિકાસનું પણ એમને ખૂબ જ્ઞાન છે. પરંતુ અફસોસ કે, વિકાસની આજની વિનાશકારી દોડમાં આ બધાને આપણે એક બાજુ પર મૂકી દઈએ છીએ.

નર્મદા આંદોલન દરમ્યાન આ લોકોની આ વિનાશકારી વિકાસ સામેની સામૂહિક લડત પણ મેં જોઈ. મેં એ જોયું કે હાંસિયામાં ધકેલાઈ ગયેલા નાનકડા માનવસમૂહો રાજકીય સત્તાઓ સામે કેટલા જુસ્સાથી લડી શકે છે. એમની અદ્ભુત અલગ અલગ રણનીતિઓ પણ મને નજીકથી જોવા મળી. મને એમ લાગ્યું કે એમની આ વિશાળ વૈશ્વિક દૃષ્ટિ, એમની આ સમજણ લોકો સુધી પહોંચવી જોઈએ. એટલે મને એમ લાગ્યું કે આ એક જ રીતે એમનું ડહાપણ અને જ્ઞાન, પર્યાવરણ સાથેનો એમનો ગાઢ સંબંધ એ બધું લોકો સુધી પહોંચી શકે. નર્મદા નદીના કિનારાનું ભૂસ્તરીય જ્ઞાન, એનું પુરાતત્ત્વ, એનો ઇતિહાસ, એના આધ્યાત્મિક અને ધાર્મિક સંસ્કાર, એ બધું સામાન્ય સમાજ સુધી પહોંચી શકે એટલે આ કામ હું ઘણાં વર્ષોથી કરું છું. એની વેબસાઈટ પણ છે, જ્યાં તમે લોકોને સાત ભાષાઓમાં સાંભળી પણ શકો, એવા અનુવાદો પણ છે અને આંદોલનના બે અગ્રણી આદિવાસીઓ પાસેથી લીધેલા એમના મૌખિક ઇતિહાસનાં મારાં પુસ્તકો હિંદી, અંગ્રેજી, અને મરાઠીમાં છપાઈ ચૂક્યાં છે. એનો ઉદ્દેશ એ જ છે કે આવા વિનાશકારી વિસ્થાપન સામે એક સમાજ જે લડી રહ્યો છે એમના વિચારો અને એમનું જ્ઞાન લોકો સુધી પહોંચી શકે.

પ્રશ્ન : આ ઇન્ટરવ્યુ તમે કર્યા એના કોઈ અનુભવો વર્ણવશો? એમણે ખૂલીને તમારી સાથે વાતો કરી ?

ઉત્તર : મેં આ બધા ઇન્ટરવ્યુ કર્યા છે એમની સાથે મારે જૂનો સંબંધ હતો, એમની સાથે હું કામ કરતી હતી. એટલે એમને પણ બહુ ઇચ્છા હતી કે એમનો સંઘર્ષ, એમની સંસ્કૃતિ, એમનો સમાજ, આપણું પર્યાવરણ – એ બધાની વાતો બહુજન સમાજ સુધી પહોંચે. અમે સાથે મળીને જ નક્કી કર્યું કે કોનો ઇન્ટરવ્યુ કરવો, કોનો પહેલો કરવો, વગેરે. એટલે એ એક આખો સામૂહિક પ્રયત્ન હતો. મૌખિક ઇતિહાસ રૅકોર્ડ કરવાનું કામ મેં છેક ૨૦૦૪થી શરૂ કરેલું અને એમાં મારે માટે જે મોટો પડકાર આવ્યો તે ટેકૅનોલોજીને લગતો હતો. આપણે ત્યાં મૌખિક ઇતિહાસ આલેખન માટેના કોઈ અભ્યાસક્રમ તો નથી. વળી મેં કામ શરૂ કર્યું ત્યારે ટેપરેકોર્ડર હતાં. હું ગામડાંમાં રેકોર્ડિંગ કરવા જતી ત્યાં વીજળી નહોતી. પછી ટેકનોલોજી બદલાઈ અને કેસેટ મળતી નહોતી, કારણ કે મિનિ ડિસ્ક આવી, પછી ડિજિટલ ટેકનોલોજી આવી. એટલે આ બધાં ટેકનોલોજીનાં પરિવર્તનોની ટેવ પાડવી એ મારે માટે મોટો પડકાર હતો.

અંતરિયાળ ગામડાંઓમાં જવામાં ઘણી વખત હોડીમાં જવું પડતું, ઘણી વાર મોટરસાઈકલ પર જવું પડે કે ચાલીને પણ જવું પડે. પણ મારી સાથે એમાં બધા લોકો હતા એટલે એ પ્રવાસો બહુ સરસ રહ્યા. પછી પુસ્તકોનું પ્રકાશન એ આખો નવો જ પ્રદેશ; એ પણ મારે માટે એક નવો પડકાર હતો. એટલે પડકારો ખરા, પણ પ્રવાસ ખૂબ સંતોષકારી  રહ્યો છે. આદિવાસીઓએ મારી સાથે ખૂબ હોંશથી વાત કરી, પોતાની ફરજ સમજીને વાત કરી. તેમ છતાં આંદોલનમાં ઉતાર-ચડાવ તો આવે જ. કેટલાક લોકોએ મને એમની કેટલીક વાતો જાહેરમાં ન મૂકવા કહ્યું, એ વાતો મારી સ્મૃતિમાં અને મારી નોટબુકમાં છે, અને હું એમની એ લાગણીનો આદર કરું છું. આંદોલન દરમ્યાન કેટલાક મતભેદોની વાત હોય કે પોલીસ દ્વારા થયેલા દમનની વાતો હોય, કેટલાક જાતીય સતામણીના બનાવો કે બળાત્કારની ઘટનાઓ પણ હોય જેના વિશે એમને જાહેરમાં વાત નહોતી મૂકવી. એટલે એ બધું મારી અંગત નોંધોમાં છે. હું આ મૌખિક ઇતિહાસને માત્ર ઇતિહાસ જ નહીં, પણ આ લોકોના આંદોલનનો જ એક ભાગ માનું છું અને એ લોકો પણ એ જ માને છે.

પ્રશ્ન : નર્મદા નદી સાથેનું આ આદિવાસીઓનું અનુસંધાન કેવું છે ? એમણે તમને શું શું કહ્યું ?

ઉત્તર : એમનું નદી સાથે જે સામાજિક, આર્થિક, અને આધ્યાત્મિક જોડાણ છે એ જ એમના આ બંધ સામેના વિરોધનું મુખ્ય કારણ છે, એ એમની સાથેની વાતચીતમાંથી સ્પષ્ટ થાય છે. વિકાસ માટેનાં આયોજનો નદીને માત્ર એના પાણીના પુરવઠાની દૃષ્ટિએ જોતાં હોય છે, પણ સ્થાનિક આદિવાસીઓ માટે નદી એમની માતા છે, એમની અન્નદાત્રી છે. નર્મદા બંધની પરિયોજનામાં જે ૨૪૫ ગામડાંઓ ડૂબી ગયાં ત્યાંના સ્થાનિકો નર્મદાની પરિક્રમા કરનારા પરિક્રમાવાસીઓની આગતાસ્વાગતા કરતા, એમને પોતાનાં ઘરોમાં આશ્રય આપતા અને ભોજન પણ ખવડાવતા. આ આદિવાસીઓ જેને ‘ગાયણા’ કહે છે તે ભગવાનની પ્રાર્થનાઓ અને સ્તુતિ એ લોકો મંદિરોમાં જઈને નહીં, પણ નર્મદાને કિનારે રેતીમાં બેસીને ગાય છે. નર્મદા એમનું સર્વસ્વ છે અને નદી એનાં સંતાનોને કદી નુકસાન નહીં કરે એવી એમની શ્રદ્ધા છે.

જલસન્ધિ નામનું એક ગામ નર્મદા સરદાર સરોવર પરિયોજનામાં ડૂબમાં ગયું. એના એક રહીશ બાવા મહારિયાએ મને જે કહ્યું તે તમને કહું. એમણે કહ્યું કે એમના પૂર્વજો નર્મદાના સાંનિધ્યમાં જંગલોમાં એમનાં પરિવારો અને પશુઓ સાથે વસતા. નર્મદા અમરકંટકથી એની છ બહેનો સાથે નીકળી અને દુદુ દરિયાને મળવા એ તરફ આગળ વધી. બીજી છ બહેનો સપાટ ભૂમિ ઉપરથી વહીને દુદુ દરિયા પાસે ઝડપથી પહોંચી ગઈ, પણ નર્મદાએ વચ્ચે વિસામો ખાવો પડ્યો, કારણ કે એણે પહાડોમાં થઈને રસ્તો લીધો, જેથી સમથળ ભૂમિ પર વસતાં ગામોના લોકોને નુકસાન ન પહોંચે. એટલે નર્મદાએ પેઢીઓથી કોઈને નુકસાન નથી કર્યું. એણે સૌની કાળજી લીધી છે. નીમગવાણ ગામના લોકો પણ બંધના પરિણામે વિસ્થાપિત થયા. ત્યાંના એક રહીશ કેવલસિંહ વસાવેએ કહ્યું કે બંધના કારણે જ્યારે નર્મદાનું પાણી મારા ઘરે આવ્યું ત્યારે મેં હાથ જોડીને વંદન કર્યા. નદીએ અમારું ઘર નથી લઈ લીધું, અમારું ઘર ગયું એ તો માનવીની ચેષ્ટા છે. આદિવાસીઓની નદી માટેની જે ભાવના છે એ આપણે જાતે જોઈએ અને અનુભવીએ તો જ એનો ખ્યાલ આવે.

પ્રશ્ન : આજે આંદોલન ક્યાં આવીને ઊભું છે ? તમે એને કઈ રીતે મૂલવો છો ?

ઉત્તર : આ તમે બહુ મહત્ત્વનો સવાલ પૂછ્યો. ઘણા લોકો એમ માને છે કે નર્મદા બચાઓ આંદોલન નિષ્ફળ ગયું, કારણ કે બંધ તો બંધાઈ ગયો. હા, બંધ બની ગયો, પણ યોજના હજુ સંપૂર્ણ નથી થઈ. હજુ નહેરો કરવાની બાકી છે. આ આંદોલનને કારણે બંધ બનાવવામાં ઘણો વિલંબ થયો એ પણ સાચું. પણ એને કારણે, બીજી પરિયોજનાઓની સરખામણીમાં, અહીં વિસ્થાપન અને પુનર્વાસ માટે લોકોને તૈયારી કરવાનો સમય વધુ મળ્યો, એટલે એમાં વધુ સારાં પરિણામ આવ્યાં છે. આ યોજનામાંથી વિશ્વબેંક જેવી સંસ્થાને પીછેહઠ કરવી પડી છે. હું જ્યારે આ આંદોલનમાં જોડાઈ ત્યારે આવી પરિયોજનાઓ વિશે કોઈને પ્રશ્ન જ નહોતો થતો, કારણ કે બંધ બનાવવો એ તો વિકાસ કહેવાય છે. પણ આજે હવે આવી પરિયોજનાઓ વિશે પ્રશ્નો પુછાય છે, અસરગ્રસ્તોના પુનર્વાસ માટેની નીતિઓ હવે બને છે, જનસામાન્યની સહભાગિતા કરાય છે, લોકોને માહિતી મેળવવાનો અધિકાર છે એ વાતનો આદર થાય છે અને એ અંગેના કાયદાઓ બન્યા છે. એટલે આ આંદોલનને કારણે આવી બધી સફળતાઓ મળી છે. ગિરિધર ગુરુજી નામે એક આદિવાસી અગ્રણી છે. એમણે એમ કહ્યું કે અમે ખોયું છે બહુ, પણ અમે હાર્યા નથી. હું પણ એવું માનું છે કે ખોયું ઘણું પણ સામે મેળવ્યું પણ છે, ખાસ તો પર્યાવરણ પર આવી યોજનાઓની શું અસર થાય છે એ વિશે જાગૃતિ વધી છે.

પ્રશ્ન : હવે પાંચ પ્રશ્નો પૂછું છું, જેના જવાબ એક વાક્યમાં આપશો ?

પહેલો પ્રશ્ન : સમયની ખેંચ હશે, તેમ છતાં જ્યારે થોડી નવરાશની પળો મળે ત્યારે શું કરો ?

ઉત્તર : હોર્ટિકલ્ચર – ઝાડ પાન અને ફળ ફૂલ ઉગાડવામાં આનંદ મેળવું છું, મારી પાસે થોડી જમીન છે.

બીજો પ્રશ્ન : ઈશ્વરનું તમારું વિભાવન ?

ઉત્તર : ચોક્કસ ઈશ્વરમાં માનું છું, પણ બહુ જ વ્યક્તિગત, અને અધ્યાત્મના સ્તર પર, પ્રકૃતિ સાથેના અનુસંધાનમાં. જાહેર ધાર્મિકતા અને મંદિરો વગેરેમાં રસ નથી.

ત્રીજો પ્રશ્ન : સફળતા એટલે શું ?

ઉત્તર : સંતોષ.

ચોથો પ્રશ્ન : જો આ કામ ન કરતાં હોત તો શું કરતાં હોત?

ઉત્તર : કોઈક જુદી રીતે પણ આવું જ કામ કરતી હોત, ન્યાય માટેના સંઘર્ષનું.

પાંચમો પ્રશ્ન : જો એક અઠવાડિયા માટે કે એક મહિના માટે તમને દેશનું વડા પ્રધાન પદ આપવામાં આવે તો તમે પહેલું કામ શું કરો ?

ઉત્તર : સત્તાનું લોકશાહીકરણ.

[સાભાર : “નવનીત સમર્પણ”; જાન્યુઆરી 2024]
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 ફેબ્રુઆરી 2024; પૃ. 16-19

Loading

માધ્યમોની સ્વતંત્રતા અનિવાર્ય

હેમન્તકુમાર શાહ|Opinion - Opinion|11 March 2024

પ્રસ્તાવના

હેમન્તકુમાર શાહ

લોકશાહીમાં નાગરિક સ્વાતંત્ર્યનું એક અત્યંત અગત્યનું પાસું છે, માધ્યમો(media)ની સ્વતંત્રતા. માધ્યમોની સ્વતંત્રતા એટલે અખબારો, ટી.વી. ચેનલો, પુસ્તકો, પુસ્તિકાઓ, સામયિકો, ચોપાનિયાં, ન્યુઝ પોર્ટલ, વેબ સિરિઝ, ફીચર ફિલ્મો, દસ્તાવેજી ફિલ્મો, ટૂંકી ફિલ્મો, ચિત્રકલા, શિલ્પકળા, કાર્ટૂન, ગામમાં કે શહેરમાં લાગેલાં બ્લેક બોર્ડ વગેરે જેવાં અનેક માધ્યમો તેમ જ ફેસબૂક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, સિગ્નલ વગેરે જેવાં સામાજિક માધ્યમોની અને ઇન્ટરનેટની સ્વતંત્રતા. આમ જુઓ તો, માધ્યમોનું સ્વાતંત્ર્ય એ વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો જ ભાગ છે. માધ્યમોની સ્વતંત્રતા સિવાય લોકશાહી શક્ય જ નથી. એમ પણ કહી શકાય કે માધ્યમોની સ્વતંત્રતા એ જ લોકશાહી છે. વળી, માધ્યમોની સ્વતંત્રતાનો અર્થ માત્ર મીડિયા કંપનીઓ કે માલિકોની કે મુખ્ય સંપાદકોની સ્વતંત્રતા થતો નથી, પણ પત્રકારોની સ્વતંત્રતાનો સમાવેશ પણ તેમાં થાય છે. ઘણી વાર મીડિયાની નીતિને બહાને પત્રકારોની સ્વતંત્રતા જોખમમાં મુકાય છે.

ઇંગ્લિશ નવલકથાકાર જ્યોર્જ ઓરવેલ (૧૯૦૩-૫૦) એમ કહે છે કે, “અખબારી સ્વાતંત્ર્યનો કશો પણ અર્થ હોય તો તે છે ટીકા કરવાની અને વિરોધ કરવાની સ્વતંત્રતા.” એનો અર્થ એ છે કે જેઓ કોઈ પણ સ્તરે સત્તામાં બેઠા છે તેમનાં વર્તનની અને વ્યવહારની, તેમનાં નીતિઓ, કાર્યક્રમો, યોજનાઓ, બજેટ, હુકમો, પરિપત્રો વગેરેની ટીકા માધ્યમો કરી શકે અને લોકો તેમનો વિરોધ કરી શકે એવું સામાજિક અને રાજકીય વાતાવરણ હોવું જોઈએ.

અમેરિકાની ૧૯૪૧માં સ્થપાયેલી ફ્રીડમ હાઉસ નામની સંસ્થા કહે છે કે, “સ્વતંત્ર માધ્યમો નાગરિકોને તેમના નેતાઓની સફળતા અને નિષ્ફળતા વિષે માહિતી આપી શકે છે, લોકોની જરૂરિયાતો અને ઇચ્છાઓ વિષે સરકારને અને તેની સંસ્થાઓને માહિતી આપી શકે છે અને તે માહિતી તેમાં જ વિચારોની આપ-લે માટેનો એક ખુલ્લો મંચ પૂરો પાડે છે. જ્યારે માધ્યમોની સ્વતંત્રતા પર નિયંત્રણો આવે છે ત્યારે આ મહત્ત્વનાં કામોમાં રુકાવટ ઊભી થાય છે અને તેને લીધે નિર્ણય પ્રક્રિયા ખરાબ થઈ શકે છે અને તેની વિપરીત અસર નેતાઓ તેમ જ લોકો બંને પર પડી શકે છે.”

માધ્યમોની સ્વતંત્રતાનો અર્થ એ છે કે તેમાં સરકારની દખલગીરી ન હોય. બંધારણીય રીતે અને કાયદાકીય રીતે માધ્યમોની સ્વતંત્રતાને રક્ષણ આપવામાં આવે તે લોકશાહી માટે આવશ્યક છે. અનેક બાબતો કે માહિતી સરકારો લોકોથી છુપાવવા માગતી હોય છે. એ સત્તાનો અને સરકારનો કુદરતી સ્વભાવ છે. એટલે જો માધ્યમો એ માહિતી બહાર પાડે તો તેની તેમને સ્વતંત્રતા હોવી જ જોઈએ. એમ થાય તો જ લોકોને સાચી માહિતી મળે.

સેન્સરશિપ : સરકારી

માધ્યમોની સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનું લગભગ બધા સત્તાધીશોને ગમતું હોય છે. તેમનાથી પોતાની ટીકા સહન થતી નથી. તેઓ ઘણી વાર સત્તાવાર રીતે સેન્સરશિપ પણ લાદે છે. એવી સેન્સરશિપ ઇન્દિરા ગાંધીએ ૧૯૭૫-૭૭ની કટોકટી દરમ્યાન લાદી હતી. આવી સેન્સરશિપ દરમ્યાન સરકાર નક્કી કરે છે કે શું છાપવું, શું બતાવવું અને શું બોલવું અથવા શું અભિવ્યક્ત કરવું. સરકારની મંજૂરી વિના એમાંનું કશું થઈ શકતું નથી.

હવે સેન્સરશિપ નવા સ્વરૂપે અપનાવી છે અને તે છે સામાજિક માધ્યમો પરનાં સરકારી નિયંત્રણો. અમેરિકાનું ફ્રીડમ હાઉસ એમ કહે છે કે સરકાર કનેક્ટિવિટીને નિયંત્રિત કરે છે તથા રાજકીય, સામાજિક અને ધાર્મિક વાણી અને અભિવ્યક્તિ ધરાવતાં સામાજિક માધ્યમોને તેમ જ વેબસાઈટ બ્લોક કરે છે. એટલે ડિજિટલ સંચાર વ્યવસ્થા લોકો વચ્ચે બરકરાર રહે તે માટે મજબૂત કાનૂની અને નિયમનકારી વ્યવસ્થાઓ જોઈએ. પરંતુ સરકાર પોતે જ એવા નિયમો કે કાયદા બનાવે છે કે જેથી આ પ્રકારની સેન્સરશિપ ઊભી થાય. સેન્સરશિપ ઊભી કરવાનો એક રસ્તો ઇન્ટરનેટ બંધ કરી દેવાનો પણ છે. દુનિયાભરમાં સરકારો લોકોની સલામતીને નામે ઇન્ટરનેટ બંધ કરી દેવાનું વલણ અપનાવતી રહી છે. ૨૦૨૨માં ૩૫ દેશોમાં ૧૮૭ વખત ઇન્ટરનેટ બંધ કરી નાખવામાં આવ્યું હતું. ભારત સરકારે ૨૦૨૨માં જુદા જુદા વિસ્તારોમાં જુદાં જુદાં કારણોસર દુનિયામાં સૌથી વધુ ૮૪ વખત ઇન્ટરનેટ બંધ કરી દીધું હતું. ૨૦૧૬થી ભારત દુનિયાભરમાં સૌથી વધુ ઇન્ટરનેટ બંધ કરી દેનારો પ્રથમ દેશ બન્યો છે. ભારતનો ફાળો તેમાં ૫૮ ટકા રહ્યો છે.

સરકારો જુદી જુદી દલીલો કરીને પણ આડકતરી રીતે સેન્સરશિપ લાદે છે. જેમ કે, ભારતમાં પી.એમ. કેર ફંડ અને રાજ્યોમાં મુખ્ય મંત્રી રાહત ફંડમાં કેટલી રકમ જમા થઈ અને કેટલો ખર્ચ થયો તેની વિગતો જાહેર કરવામાં આવતી જ નથી. તેથી લોકોને ખબર પડતી જ નથી કે આ રાહત નિધિઓમાં કેટલી રકમ જમા છે અને કઈ બાબતો પાછળ તેમાંથી કેટલો ખર્ચ કરવામાં આવે છે. એ જ રીતે ભારતમાં સત્તાવાર ગુપ્તતા ધારા-૧૯૨૩ હેઠળ સરકાર ઘણીબધી વિગતો જાહેર કરતી નથી. વળી, માહિતી અધિકાર ધારા-૨૦૦૫ હેઠળ પણ ઘણીબધી બાબતોની માહિતી લોકોને નહિ આપવાની સત્તા ભારતમાં સરકારને છે. માધ્યમો આવી વિગતો કોઈક રીતે બહાર લાવે તો તે પણ ગુનો બને છે !

એક રશિયન લેખક મિખાઈલ બુલ્ગાકોવ (૧૮૯૧-૧૯૪૦) એમ કહે છે કે, “સેન્સરશિપનું સ્વરૂપ ગમે તે હોય, અને તે ગમે તે સત્તા હેઠળ અસ્તિત્વમાં હોય, તેની સામે લડત આપવી એ જેમ અખબારી સ્વાતંત્ર્ય માટે હું લડું એમ, એક લેખક તરીકે મારી ફરજ છે. હું એ સ્વતંત્રતાનો અદમ્ય ચાહક છું અને હું માનું છું કે કોઈ લેખક પોતાને કોઈ સ્વતંત્રતાની જરૂર નથી એમ સાબિત કરવાની કલ્પના પણ કરી શકે, તો તે એવી માછલી જેવો કહેવાય કે જે જાહેરમાં એમ કહે કે તેને પાણીની જરૂર નથી.”

સેન્સરશિપ : સામાજિક–સાંસ્કૃતિક

કેટલીક વાર આવી સેન્સરશિપ જાતે બની બેઠેલા સંસ્કૃતિ રક્ષકો પણ લાદતા હોય છે. આવા સંસ્કૃતિ રક્ષકો દુનિયાભરમાં નાગરિકોના વાણી અને અભિવ્યકતિના સ્વાતંત્ર્ય પર હુમલા કરતા હોય છે. કેટલાંક ઉદાહરણો અહીં જોઈએ :

(૧) ૨૦૨૩માં ‘પઠાણ’ ફિલ્મમાં નાયિકાએ એક ગીત વખતે પહેરેલાં કેસરી રંગનાં વસ્ત્રો સામે ભારતમાં ભારે હોબાળો હિંદુ સંસ્કૃતિના કહેવાતા રક્ષકોએ કર્યો હતો. (૨) વિખ્યાત ચિત્રકાર એમ.એફ. હુસેન હિંદુ દેવદેવીઓનાં અભદ્ર ચિત્રો દોરે છે અને હિંદુ સંસ્કૃતિનું અપમાન કરે છે, એમ કહીને અમદાવાદમાં દોશી-હુસેન ગુફા પર પણ ૧૯૯૬, ૨૦૦૬ અને ૨૦૧૩માં હુમલા કરવામાં આવ્યા હતા અને તોડફોડ કરવામાં આવી હતી. (૩) ફ્રાન્સમાં ૨૦૧૫માં ‘ચાર્લી હેબ્દો’ નામના એક કાર્ટૂન મેગેઝિનને મામલે મુસ્લિમોએ હુમલો કર્યો હતો અને એ મેગેઝિનમાં છાપવામાં આવેલાં મહંમદ પયગંબર વિશેના કાર્ટૂન સામે દુનિયાભરમાં મુસ્લિમોએ વિરોધી દેખાવો કર્યા હતા. (૪) ‘મહંમદ ધ ઇડિયટ’ નામની એક વાર્તા ૧૯૮૦ના દાયકામાં બેંગ્લોરના અખબાર ‘ડેક્કપન હેરલ્ડ’ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. ત્યારે મુસ્લિમ જૂથોએ એ અખબારની ઓફિસ સળગાવી હતી અને તાફાનો કર્યાં હતાં.

આવાં તો ભારત અને દુનિયાના બીજા દેશોનાં અનેક ઉદાહરણો આપી શકાય તેમ છે. કોઈ પણ પ્રકારની સેન્સરશિપ લોકોના વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર કાપ મૂકે છે એટલું જ નહિ તે તેના સાચી માહિતી મેળવવાના અધિકારને અને વિભિન્ન મંતવ્યો પ્રાપ્ત કરવાના અધિકારને અને અભિવ્યક્તિના અધિકારને ગળે ટૂંપો દે છે.

માધ્યમોની સ્વતંત્રતાનું મહત્ત્વ

માધ્યમોની સ્વતંત્રતા એ નાગરિકોના રાજકીય અધિકારો અને તેમની રાજકીય સ્વતંત્રતાનો પાયાનો હિસ્સો છે. અમેરિકાના ત્રીજા રાષ્ટ્રપ્રમુખ થોમસ જેફરસન (૧૭૪૩-૧૮૨૬) એમ કહે છે કે, “જો એ નક્કી કરવાનું મારી પર છોડી દેવામાં આવે કે અખબારો વિનાની સરકાર જોઈએ કે સરકાર વિનાનાં અખબારો, તો હું એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના બીજો વિકલ્પ પસંદ કરું …. આપણી સ્વતંત્રતા અખબારોની સ્વતંત્રતા પર આધારિત છે, જો તેના પર મર્યાદા મૂકવામાં આવે તો સમજવાનું કે તે ગઈ.” આનો અર્થ છે કે માધ્યમોની સ્વતંત્રતા પર કોઈ મર્યાદા નાખવાની પણ જેફરસન હિમાયત કરતા નથી. જો કોઈ મર્યાદા કાયદાથી લાદવામાં આવે તો સ્વતંત્રતા જ જતી રહે એમ તેઓ કહે છે. ભારતના બંધારણમાં કલમ ૧૯(૨)માં વાણી અને અભિવ્યક્તિની આઝાદી કઈ મર્યાદાઓ સાથે ભોગવવાની છે તે નક્કી કરવામાં આવ્યું છે જ. પણ આ મર્યાદાઓનો ઉપયોગ સરકારે આઝાદીને કચડી નાખવા માટે કરવો જોઈએ નહીં.

માહિતી મેળવવાની નાગરિકોની સ્વતંત્રતા સાથે માધ્યમોની સ્વતંત્રતા જોડાયેલી છે. જો માધ્યમો સ્વતંત્ર ન હોય તો સરકારની કામગીરી વિષે સાચી માહિતી નાગરિકોને મળતી નથી અને તો તેઓ આ કે તે રાજકીય પક્ષ કે ઉમેદવાર વિષે માહિતીપ્રદ પસંદગી કરી શકતા નથી. અમેરિકાના એક સાંસદ ક્રિસ્ટોફર જ્હોન ડોડ (૧૯૬૦) એમ કહે છે કે, “જ્યારે લોકોના જ્ઞાનપ્રાપ્તિના અધિકાર સામે ખતરો ઊભો થાય છે ત્યારે અને વાણી-સ્વાતંત્ર્ય અને અખબારી સ્વાતંત્ર્ય જોખમમાં મુકાય છે ત્યારે આપણે જે અન્ય સ્વતંત્રતાઓને પ્રિય ગણીએ છીએ તે તમામ સ્વતંત્રતાઓ જોખમમાં મુકાય છે … અખબારી સ્વાતંત્ર્ય લોકશાહી માટે માત્ર મહત્ત્વનું છે એમ નહિ, એ જ લોકશાહી છે.” આમ, માધ્યમોની સ્વતંત્રતા અન્ય તમામ સ્વતંત્રતાઓ ભોગવવા માટે અનિવાર્ય છે. જો એ સ્વતંત્રતા ન હોય તો કોઈ સ્વતંત્રતા ભોગવી શકાતી નથી.

એક એવી ભૂલ પણ ઘણી વાર કરવામાં આવે છે કે માધ્યમોની સ્વતંત્રતા એટલે પ્રકાશકો, માલિકો અને પત્રકારોની સ્વતંત્રતા, ખરેખર એવું નથી. વાસ્તવમાં, એમની સ્વતંત્રતા હોય તો જ તો નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા ટકે છે, નહિ તો ટકે જ નહિ. અમેરિકાના વિખ્યાત અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના ૧૯૩૫થી ૧૯૬૧ દરમ્યાન પ્રકાશક રહેલા આર્થર હેઝ સુલ્ઝબર્ગ (૧૮૯૧-૧૯૬૮) એમ કહે છે કે, “અખબારોની સ્વતંત્રતા, અથવા વધુ નિશ્ચિત રીતે કહીએ તો, અખબારોની સ્વતંત્રતાનો લાભ એ દરેકનો લાભ છે – એ નાગરિકોને માટે અને પ્રકાશક માટે બંને માટે લાભદાયી છે … મહત્ત્વનો મુદ્દો એ છે કે એ પ્રકાશકની મુદ્રણ કરવાની આઝાદી નથી, એ તો નાગરિકની માહિતી મેળવવાની આઝાદી છે.” ટૂંકમાં એમ કહેવાય છે કે માધ્યમોની સ્વતંત્રતા એ નાગરિકોની સ્વતંત્રતા જ છે. એટલે જ ભારતના એક રાજકીય નેતા શશી થરૂર યોગ્ય રીતે જ એમ કહે છે કે, “અખબારોની સ્વતંત્રતા એ લોકશાહીની ઈંટોને જોડનાર તત્ત્વ છે – એ તો એ ઈંટોમાં રહેલી ખુલ્લી બારી છે.”

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 16 ફેબ્રુઆરી 2024; પૃ. 08-09

Loading

...102030...633634635636...640650660...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved