Opinion Magazine
Number of visits: 9457354
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાત પોલીસનું ખસીકરણ કરનાર સરકાર પોતે જવાબદાર નથી?

રમેશ સવાણી|Opinion - Opinion|18 March 2024

અમદાવાદમાં, 16 માર્ચ 2024ના રોજ રાત્રે 10.50 વાગ્યે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં, ઉઝબેકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના 4 મુસ્લિમ વિદ્યાર્થીઓ તેમને ફાળવેલ જગ્યામાં રમઝાનની નમાઝ અદા કરી રહ્યા હતા. ત્યારે કેસરી ખેસ ધારણ કરેલ એક ટોળું ત્રાટકે છે. મારમારી કરે છે. જેના કારણે 4 વિદેશી વિદ્યાર્થીઓ ઘવાયા. ઘાયલ વિદ્યાર્થીઓને તાબડતોબ SVP – સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કટ્ટર હિન્દુત્વવાદી ટોળાંએ લેપટોપ, મોબાઈલ ફોન, વાહનોની તોડફોડ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે હુમલાખોરો હાજર હતા; પણ પોલીસે તેમને સન્માનપૂર્વક જવા દીધાં !

આવું કૃત્ય ‘જયશ્રી રામ’ના નારા સાથે કરવામાં આવ્યું હતું, તેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની અને ભારતની છાપ ખરડાઈ છે. ઘટનાની જાણ થતાં જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટનાના દેશભરના પડઘા પડ્યા છે. ગૃહ મંત્રીએ તપાસના આદેશ આપ્યા પછી પોલીસ કમિશનરે બીજા દિવસે મોડેથી સ્થળ વિઝિટ કરી હતી અને કહ્યું હતું કે ‘આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે !’

થોડાં પ્રશ્નો : 

[1] મુસ્લિમ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીએ ફાળવેલ જગ્યામાં નમાજ પઢે તે શું અસામાજિક કૃત્ય છે? નમાજના કારણે તેમની પર હુમલો કરવો કેટલાં અંશે ઉચિત? 

[2] ગૃહ મંત્રીએ અને કેન્દ્ર સરકારે તપાસના આદેશો આપ્યા છે; પરંતુ તેમણે જ હિન્દુ યુવાનોને ગોડસેવાદી બનાવ્યા નથી? કટ્ટરવાદી બનાવ્યા નથી? કોર્પોરેટ કથાકારો અને સ્વામિનારાયણના સંતોએ ગેડસેવાદીઓને નફરતી બનાવ્યા નથી? મારઝૂડ કરનારા અને તોડફોડ કરનારા હિન્દુ યુવાનોનો વાંક છે જ; પરંતુ વધારે વાંક તો ગોડસેવાદી સરકારનો અને ધર્મગુરુઓનો નથી? એક તરફ વડા પ્રધાન નફરત ફેલાવતી એજન્ડા ફિલ્મોને પ્રોત્સાહન આપે છે, બીજી તરફ આવી શરમજનક ઘટના બને ત્યારે તપાસના આદેશ આપી પોતાના હાથ ઉપર કરી લે છે; શું આ પાખંડ નથી? શા માટે યુવાનોને જેલમાં ધકેલી રહ્યા હશે? 

[3] આ કૃત્ય કરનાર યુવાનોએ મોરારિબાપુની અપીલના કારણે ‘કાશ્મીર ફાઈલ’ જોઈ હશે અને કટ્ટર બન્યા હશે? 

[4] વિદેશી વિદ્યાર્થીઓએ 100 પર જાણ કરી, પોલીસ આવી પણ તેણે જોયું કે આ તો કેસરી ખેસ ધારણ કરેલ ‘લાઇસન્સ વાળા ગુંડાઓ’ છે એટલે તેમણે કોઈને પકડેલ નહીં ! ગુજરાત પોલીસનું ખસીકરણ કરનાર સરકાર પોતે જવાબદાર નથી? શું ગોડસેવાદીઓને પોલીસનો કોઈ ડર જ નથી? પોલીસ પણ કેસરી ખેસ જોઈને ફરજ ભૂલી જાય તેવી સ્થિતિ કરનાર સરકારની જવાબદારી નથી? પોલીસ કમિશનર કહે છે કે ‘ગંભીર નોંધ લીધી છે’ પણ 24 કલાક સુધી એક પણ આરોપી મળે નહીં, એને ગંભીર નોંધ કહેવાય? 

[5] ગુનાવાળી જગ્યાએ ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ જઈ શકે તો સત્તાપક્ષના કોઈ ધારાસભ્યોને ગુનાવાળી જગ્યાએ જવાનું કેમ સૂઝ્યું નહીં હોય? શું સત્તાપક્ષના ધારાસભ્યો પણ હુમલાખોર ગોડસેવાદીઓનું સમર્થન કરતા નથી? 

[6] આવી ઘટના વિપક્ષની સરકારમાં બની હોત તો ગોદી મીડિયાએ બૂમો પાડી હોત ! વડા પ્રધાને ગળું ફાડીને વિપક્ષની સરકારને ભાંડી હોત; પરંતુ આ ઘટના તો ‘ગુજરાત મોડલ’નું પરિણામ છે; એટલે ગોદી મીડિયા અને વડા પ્રધાન ચૂપ રહેતાં હશે?

અમેરિકામાં મોટાભાગની યુનિવર્સિટીઓમાં ગુજરાતી વિદ્યાર્થીઓ નવરાત્રિમાં ગરબાનું આયોજન કરે છે. ગણેશ ઉત્સવ ઊજવે છે. પણ કોઈ રોકતું નથી. આવી સહિષ્ણુતા ગુજરાતમાં ગોડસેવાદીઓને દેખાતી નહીં હોય?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગાંધીપથના ગરવા યાત્રી : નારાયણભાઈ દેસાઈ

ભદ્રા વિક્રમ સવાઈ|Gandhiana, Profile|18 March 2024

ભદ્રા વિક્રમ સવાઈ અને નારાયણ દેસાઈ

આપણું સદ્ભાગ્ય છે કે જેમણે ગાંધીજીને જોયા હતા, જે બાળવયે ગાંધીજીના ખોળામાં ઊછર્યા હતા અને ગાંધીજી સાથે રમ્યા હતા; ઉંમરે મોટા થતા ગયા તેમ તેમ ગાંધીજીને વધુ ને વધુ જાણતા, પ્રમાણતા ગયા હતા, તેવા નારાયણભાઈ દેસાઈ જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે ગાંધીજીને જાણવાનો, માણવાનો અને એમના અંગે લખાયેલા, એમનાં લખાણો થકી એક મોટો મુકામ હતા.

આપણે એમની જન્મશતાબ્દી નિમિત્તે એમને એમની વાતો થકી, એમના સાહિત્યસર્જન થકી, જુદા જુદા લોકોએ એમને અંગે લખેલા લેખો થકી એમને સમજવા-જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

૨૪-૧૨-૧૯૨૪ના રોજ વલસાડ જિલ્લાના ઓલપાડ તાલુકાના દિહેણ ગામે એમનો જન્મ થયેલો. નારાયણભાઈનું ઊંચું પહોંચતું હાડ, મોટી ઉંમરે પણ ટટ્ટાર. એમની ઊંચાઈ કોઈને પણ પ્રભાવિત કરે તેવી હતી. તેમના પિતા મહાદેવભાઈ પણ ઊંચા હતા. એટલે નારાયણભાઈ માટે કહી શકાય કે ઊંચાઈ તો એમના બાપની જ ! એમનું બેસવાનું પણ ટટ્ટાર, એમનું ચાલવાનું પણ ટટ્ટાર અને બોલવાનું પણ ટટ્ટાર. નારાયણભાઈ બહારથી તેમ જ અંદરથી પણ ઊંચા અને પહોંચેલા માણસ હતા. નારાયણભાઈ વયને પણ ગાંઠે તેવા ન હતા અને વિષમતાઓને પણ ગાંઠે તેવા ન હતા. જ્યાં બેઠા હોય ત્યાં તેમની ગરિમા ઊભી થતી. કેટલીક વ્યક્તિઓ એવી હોય છે, જે સભામાં બેઠી હોય તો સભાની શોભા વધે. એમની ઉપસ્થિતિ માત્રથી સભાને એક વિશિષ્ટ અર્થ અને દરજ્જો મળવા માંડતો હોય છે. નારાયણભાઈ આવું એક સંપન્ન વ્યક્તિત્વ હતું.

નારાયણભાઈને એક સાથે બેવડો નહીં, ત્રેવડો લાભ થયો છે. ‘પિતા’ તરીકે મહાદેવભાઈનો લાભ, ‘માતા’ તરીકે દુર્ગાબહેનનો લાભ અને ‘બાપુ’ તરીકે ગાંધીજીનો લાભ. ‘બા’ તરીકે કસ્તૂરબાનો લાભ તો ખરો જ. સૂચક અર્થમાં કહીએ તો જેને માથે ગાંધીજીએ હાથ મૂક્યો હોય તે કોઈથી ગાંજ્યો જાય ? બીજી રીતે કહીએ તો જેણે ગાંધીજીનો હાથ ઝાલ્યો હોય; અથવા એમ કહીએ કે ગાંધીજીએ જેનો હાથ ઝાલ્યો હોય એ પછી બીજા કોઈથી ઝાલ્યો રહે ? ઝાલ્યો રહે તો ફક્ત ગાંધીજી થકી જ ઝાલ્યો રહે. ગાંધીવિચાર થકી ઝાલ્યો રહે, ગાંધીદર્શન થકી જ ઝાલ્યો રહે.

નારાયણભાઈનું બાળપણ ગાંધીજીના ખોળામાં ઊછર્યું હતું. મહાદેવભાઈ તો ગાંધીજી સાથે રહ્યા હતા, પણ નારાયણભાઈ તો ગાંધીજી સાથે રમ્યા હતા. ગાંધીજી સાથે રહેવું એટલે જ્વાળામુખીની ટોચ ઉપર રહેવા જેવું હતું. મહાદેવભાઈએ ત્યાં રહી બતાવ્યું હતું. ગાંધીજી સાથે રમવાની વાત તો બાજુએ રહી, તેમની પાસે બેસવાનું પણ ભારે હતું. જ્યારે નારાયણભાઈએ તો એમની સાથે રમી બતાવ્યું હતું.

નારાયણભાઈનો ખરો પરિચય આપવો હોય તો એકસાથે મહાદેવભાઈ અને ગાંધીજી બેઉનો છેડો ઝાલવો પડે. અને એમ કરવા જતાં એકની વાત બીજામાં જતી રહે, બીજાની વાત પહેલામાં પેસી જાય, એમાં વળી ત્રીજો કે જેની વાત માંડવી છે તે બાજુએ રહી જાય એવી સ્થિતિ છે.

શરૂઆતનાં મુગ્ધ અને બાળવયનાં તેમ જ આગળ જતાં કિશોર અને વયસ્ક વયનાં કુલ મળીને વીસેક વર્ષનો, નારાયણભાઈને ગાંધીજીનો સહવાસ મળ્યો. આ દરમિયાન એમણે એક વિરાટ પુરુષ અને મહાનાયકના વ્યક્તિત્વની અનેક છબિઓ ઝીલી હતી.

નારાયણભાઈ દેસાઈ આપણા લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર હતા. સાહિત્યકાર થવાના આશયથી તેમણે કલમ ઉપાડી ન હતી, પરંતુ એમણે પોતે ગાંધીજીને જે રીતે જે રૂપે જોયા જાણ્યા હતા, માણ્યા પ્રમાણ્યા હતા તેની ઊલટ વ્યકત કરવાને સારુ તથા ગાંધીવિચાર, ગાંધીદર્શન અને ગાંધીકાર્યના સંદર્ભમાં પોતાની જે પ્રવૃત્તિ અને યાત્રા ચાલેલી તેના અનુભવનું નિરૂપણ કરવાને સારુ એમની કલમ ચાલેલી. નારાયણભાઈની કેળવાયેલી અને કસાયેલી કલમે માતબર સાહિત્ય આપ્યું છે. ગુજરાતી, હિંદી, અંગ્રેજી એમ જુદી જુદી ભાષામાં નાનામોટા ચાળીસેક જેટલા ગ્રંથોની સંપદા તેમણે આપી. આમાં કેટલાક વિચારપ્રધાન ચિંતનાત્મક પ્રકારના ગ્રંથો છે, કેટલાક સંપાદન-ગ્રંથો છે, કેટલાક અનુવાદગ્રંથો છે, ચરિત્રગ્રંથો પણ છે.

જેમના થકી નારાયણભાઈ નિરંતર સેવાયા છે અને સંસ્કારાયા છે, નિત્ય અંજાયા છે અને મંજાયા છે તેવા ‘બાપુ’ વિશેના તેમના કેટલાક ચરિત્ર ગ્રંથો અ-જોડ છે. ગાંધીજીના જીવનચરિત્ર સંબંધે દેશ અને દુનિયામાં ઘણું લખાયું છે, પરંતુ નારાયણભાઈએ ગુજરાતીમાં ‘મારું જીવન એ જ મારી વાણી’ના ચાર ગ્રંથો આપ્યા. તેણે ગાંધીચરિત્રના અધિકૃત ગ્રંથની ખોટ પૂરી કરી. ગુજરાતી સાહિત્યમાં અને વિશ્વસાહિત્યમાં ગાંધીજીના ચરિત્રને આટલી સમગ્રતામાં અને આટલી અખિલાઈમાં પ્રગટ કરતો આ પ્રથમ ગ્રંથ છે. ભારતીય જ્ઞાનપીઠે આ ગ્રંથને ‘મૂર્તિદેવી પુરસ્કાર’ આપી તેનું ઉચિત ગૌરવ કરેલું. ‘સંત સેવતાં સુકૃત વાધે’ પુસ્તક એ નારાયણભાઈના ગાંધીજી સાથેના બાળપણનાં સંસ્મરણોનો આત્મીય ગ્રંથ.

દેશવિદેશની આઠેક ભાષામાં આ કૃતિ અનુવાદ પામેલી. ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’માં નારાયણભાઈએ તેમના પિતા મહાદેવભાઈનું સર્વગ્રાહી, સમતોલ, સંતર્પક ચરિત્ર આલેખ્યું. આવા ચરિત્રગ્રંથો દુર્લભ છે. ગ્રંથના આમુખમાં ચી.ના. પટેલે લખ્યું છે કે આ ગ્રંથ વાંચતાં ‘હું જાણે પુરાણ-કથા વાંચતો હોઉં એવો અનુભવ થયો’. નારાયણભાઈએ ’My Gandhi’ પુસ્તક જે મૂળ અંગ્રેજીમાં લખેલું તેનો તેમણે પોતે જ ‘મારા ગાંધી’ રૂપે અનુવાદ આપ્યો છે. ગાંધીજીએ વિશ્વ ને આપેલી ત્રણ મહાન ભેટ (૧) સત્યાગ્રહ (૨) એકાદશ વ્રતો (૩) રચનાત્મક કાર્યો અંગનું નિરૂપણ વસ્તુઘનતા, પ્રમાણભૂતતા અને અધિકૃતતાની એકધારી છાપ પાડે. ‘કવિ ઉશનસ્‌’ આ ગ્રંથને કિશોરલાલ મશરૂવાળાના ‘ગાંધીવિચાર દોહન’ અને ‘સમૂળી ક્રાંતિ’ જેવાં પુસ્તકોની અડોઅડ અને લગોલગ મૂકે. તેઓએ ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ બિન હરીફ શોભાવેલું. એક સમયે મહાત્મા ગાંધીજીએ પણ આ પદ શોભાવેલું.

‘કથા’ એ આપણું પરંપરાગત, પ્રચલિત અને બહુભોગ્ય લોકમાધ્યમ છે. આપણા જનસમાજે એને અનેક રીતે ઝીલ્યું છે. સામાન્ય માણસનો આ માધ્યમ સાથે સીધો, આત્મીય અને જીવંત સંબંધ રહ્યો છે. ‘સત્યનારાયણની કથા’, ‘ભાગવત કથા’, ‘રામકથા’ આપણા સમસ્ત જન-ગણ-મનમાં ગુંજે છે. આમ ‘કથા’નું માધ્યમ લોકહૃદયમાં સ્થાપિત થયેલું છે. જો કે આ બાબતે નારાયણભાઈ પોતે એકદમ સ્પષ્ટ હતા. એમણે તો માધ્યમ તરીકે જ ‘કથા’ શબ્દ અને તેના પ્રકારનો સ્વીકાર કર્યો હતો.

કથાના માધ્યમ દ્વારા લોકો સુધી ગાંધી, ગાંધી દર્શન, ગાંધીપ્રવૃત્તિની વાતો પહોંચે તે માટેનો આ પ્રયોગ હતો. આમાં કોઈ આંધળી ગાંધી ભક્તિ નથી. વિશ્વ સમસ્ત અને માનવજાતના કલ્યાણની જે મૂળભૂત બાબતો છે તે અને ગાંધીજી દ્વારા વ્યવહારમાં લવાયેલી છે તે બાબતો લોકો સમક્ષ મૂકીને, લોકોને તેમાં સામેલ કરવાનું મુખ્ય પ્રયોજન હતું.

(ડૉ. દલપત પઢિયાર લિખિત ‘શ્રી નારાયણ દેસાઈ – ગાંધીપથના ગરવા યાત્રી’ નામક પુસ્તિકામાંથી સારવીને)

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 માર્ચ 2024; પૃ. 10-11 

Loading

અરણ્યરુદન

Opinion - Short Stories|18 March 2024

મંગલ એટલે જંગલનું સંતાન. પહાડ, ઝરણાં, ખેતર અને તળાવ – આ જ બધું હતું એનું જીવન. જંગલમાં ગયા વિનાનો એનો એક્કે દિવસ ન જાય. જંગલનાં ઝાડ-પાન, પશુ-પંખી, અરે! જંગલના એક એક વળાંકને એ ઓળખતો. એની પત્ની શુકરી એને કહેતી, ‘તું તો પહેલેથી જંગલને પરણેલો જ હતો તો મારી સાથે શું કામ પરણ્યો?’

‘તને પરણ્યો કેમ કે, હું તને ચાહું છું પણ જંગલની તો હું પૂજા કરું છું.’

સાચે જ, મંગલ જંગલનાં વૃક્ષોને ભગવાન માનીને એમની પૂજા કરતો. લાકડાં એકઠાં કરવા ભલે ઝાડની ડાળીઓ કાપવી પડે પણ થડ પર કદી ય કુહાડી ન મારતો. પોતાના સાથીદારોને ય સમજાવતો, ‘આ ઝાડ તો જંગલની રખેવાળી કરે છે. આપણને સૌને પાળે-પોષે છે. એની રક્ષા કરવાની આપણી ફરજ છે. મહેરબાની કરીને એનો નાશ ન કરો.’

વૃક્ષો પ્રત્યેના પૂજ્યભાવને કારણે એ સવાર-સાંજ વૃક્ષોને વંદન કરતો. એનું આવું વર્તન જોઈને બધા મજાક ઉડાવતા, ‘આ મંગલિયાનું મગજ ચસકી ગયું લાગે છે. એને ભાન નથી કે, સરકારે આ આખું જંગલ એક પરદેશની કંપનીને વેચી દીધું છે. હવે જંગલ સાફ કરીને અહીં કારખાનું નખાશે.’

‘આપણી જેમ એક ઝાડ કાપવાના પાંચસો રૂપિયા ચુપચાપ ખિસામાં મૂકી દેતો હોત તો અત્યાર સુધીમાં તૂટેલાં-ફૂટેલાં ઝૂપડાંને બદલે પાકું ઘર બનાવી લીધું હોત.’

પણ મંગલમાં સાચે જ એવી ગતાગમ નહોતી. એ તો સામી છાતીએ કોંટ્રાક્ટરને કહેવા જતો, ‘કપાવી તો જુઓ જંગલ! અમારા બાવડામાં એટલું જોર છે કે, તમારા માણસોને ભોંયભેગા કરી દઈએ. અમે એવા બાણાવળી છીએ કે, અમારા ધનુષમાંથી નીકળેલું તીર બરાબર નિશાન પર જ વાગે.’

કોંટ્રાક્ટર જોરથી હસીને કહેતો, ‘વાહ રે બાણાવળી! જરા તારા દોસ્તોને પૂછી તો આવ કે તને સાથ દેવા કોણ તૈયાર છે? ને હવે તીર-કામઠાંનો નહીં, રિવોલ્વર ને મશીનગનનો જમાનો છે, સમજ્યો?’

શુકરીને પણ લાગતું કે, નક્કી મંગલને કોઈ ભૂત-પ્રેત વળગ્યું છે. મારે કોઈ ભગત-ભૂવા પાસે જવું પડશે. ભગતને જઈને પૂછીશ કે, ‘જુઓને, આને હું થ્યું છે? જંગલ કપાતું જોઈને ક્યારેક રડવા લાગે છે તો ક્યારેક વળી દાંત કચકચાવીને ગુસ્સે થાય છે.’ એ રોજ કાલે જઈશ, કાલે જઈશ એમ વિચારતી પણ એના પેટમાં મંગલની નિશાની હતી. જ્યારથી એને ખ્યાલ આવ્યો કે, મહિના રહ્યા છે ત્યારથી એ વિચાર્યા કરતી કે, પોતાનો ધણી જંગલમાં એકલો એકલો ઉદાસ બેઠો હશે ત્યારે જઈને આ વાત કરીશ. આ સાંભળીને જરૂર એના મનમાં મોહ-માયા જાગી ઊઠશે.

શુકરીની આશા પર પાણી ફરી વળ્યું જ્યારે બાજુના ખોરડા વાળા શામુએ દોડતા આવીને ખબર આપી કે, ‘મંગલે એવું તાકીને તીર ચલાવ્યું કે, કોંટ્રાક્ટર ત્યાં ને ત્યાં ઢળી પડ્યો. એના હાથમાં બેડી નાખીને પોલીસ એને પકડી ગઈ.’

ખલાસ! શુકરી ને એની સાસુને માથે આભ તૂટી પડ્યું. એ બેઉનું કલ્પાંત જોઈને કિશોરને દયા આવી ગઈ. એ મંગલના પિતરાઈનો દીકરો હતો અને શહેરમાં રહીને ભણતો હતો. એ આ સાસુ-વહુને આશ્વાસન આપવા આવ્યો.

‘ચિંતા ન કરો. હું કાલે જ પાછો શહેરમાં જવાનો છું. એક હોશિયાર વકીલને ઓળખું છું. ભલભલા ગુનેગારને એ નિર્દોષ છોડાવે છે. મંગલકાકા પણ જરૂર પાછા આવશે.’

મહાંતી વકીલ ખરેખર બાહોશ હતા. એણે મંગલને બરાબર પટ્ટી પઢાવી. ‘કોઈ ગમે તેટલું પૂછે, તારે ફક્ત એટલું જ કહેવાનું કે, મને નથી ખબર.’

શુકરી જેલમાં મંગલને મળવા આવી ત્યારે એના હાલ-હવાલ જોઈને રડી પડી. પચીસ વર્ષનો મજબૂત બાંધાનો એનો પતિ આટલા દિવસમાં પંચાવનનો લાગતો હતો. છાતીની પાંસળીઓ દેખાતી હતી અને  કાળા ભમ્મર વાળ સફેદી પકડવા લાગ્યા હતા. એને રડતી જોઈને મંગલે કહ્યું, ‘મારી ફિકર કરજે મા. હું મજામાં છું. બસ, તું મારી માને ને તારા પેટમાં આપણું બચ્ચું છે એ બેયને સાચવજે. હું જલદી પાછો આવીશ.’ શુકરીએ જેલના સળિયામાંથી હાથ નાખીને મંગલનો હાથ પકડ્યો અને પોતાના પેટ પર મુકાવીને સોગંદ આપ્યા કે, એ વકીલના કહેવા મુજબ જ કોર્ટમાં બોલશે.

કેસ ચાલ્યો ત્યારે મહાંતીએ જોરદાર દલીલો અને કેટલા ય સાક્ષીઓ દ્વારા પુરવાર કરવાની કોશિશ કરી કે, ‘મંગલ ઘટનાના દિવસે જંગલમાં ગયો જ નહોતો. એ તો કંઈક ખરીદી કરવા બાજુના ગામમાં ગયો હતો.’

સાચું બોલી દેવા મંગલના હોઠ ફફડતા હતા પણ વકીલનો ઈશારો સમજીને એ ચૂપ થઈ ગયો ને વળી શુકરીને આપેલા સોગંદ પણ એને રોકતા હતા. મહાંતીની દલીલોના જવાબમાં સામા પક્ષના વકીલ ઊભા થયા અને મંગલ તથા બીજા વનવાસીઓની એમણે ઝાટકણી કાઢવા માંડી.

‘યોર ઓનર, આ લોકો ભલા-ભોળા દેખાય છે પણ હકીકતમાં મહા પાખંડી છે. આ જે આરોપીના પાંજરામાં શાંતિથી ઊભો છે એ એક નર પિશાચ છે. માણસને મારવા એ તો એમનો ડાબા હાથનો ખેલ છે.’ એમણે પોતાની પાસેના કાગળિયા આત્મવિશ્વાસથી રજૂ કરતા કહ્યું, ‘નામદાર કોર્ટને માલુમ થાય કે, આ ગરીબડો દેખાતો આદિવાસી એક ખુંખાર માઓવાદી ટોળકીનો સભ્ય છે. મારી વાતને ટેકો આપતા પુરાવા મેં આપ સમક્ષ રજૂ કર્યા છે.’

એક વિજયી સ્મિત સાથે મંગલની આંખમાં આંખ નાખી એમણે પૂછ્યું, ‘એક જીવતા-જાગતા માણસ પર તીર ચલાવીને એની હત્યા કરતી વખતે તને એવો વિચાર ન આવ્યો કે, એનામાં જીવ છે?’

મંગલે ધીમેથી કહ્યું, ‘આવ્યો હતો ને સાહેબ!’

‘એનામાં જીવ દેખાયો તે છતાં તેં એની હત્યા શા માટે કરી?’

મંગલ જોરથી હસી પડ્યો અને બોલ્યો, ‘કેવી વાત કરો છો સાહેબ? મને કોંટ્રાક્ટરમાં જીવ ન દેખાય એ મારો ગુનો, પણ તમને સૌને આટલાં બધાં ઝાડમાં જીવ ન દેખાય અને તમે એની હત્યા કરો એનું કંઈ નહીં?’

ચુકાદો લખવા જતા ન્યાયાધીશના હાથમાંથી કલમ ક્યારે પડી ગઈ એનું એમને ધ્યાન ન રહ્યું.

(બિજય નાયકની ઓડિયા વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 માર્ચ 2024; પૃ. 24

Loading

...102030...624625626627...630640650...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved