Opinion Magazine
Number of visits: 9665228
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોહન ભાગવત શ્રીમદ્દ ભાગવત જેવું બોલ્યા …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 July 2024

રવીન્દ્ર પારેખ

આજકાલ દેશનું વાતાવરણ ધરમ ધ્યાનવાળું થતું જાય છે. ઉત્તર પ્રદેશમાં અને ઉત્તરાખંડમાં આજથી કાવડ યાત્રા શરૂ થઈ રહી છે ને કોઈ પણ યાત્રીને શિવ ભક્તિમાં અવરોધ ઊભો ન થાય એટલે પ્રશાસને પૂરતી કાળજી લીધી છે. યાત્રીઓ હોટેલમાં જમે કે કેમ તે તો નથી ખબર, પણ જમે તો તે શુદ્ધ અને સાત્ત્વિક શાકાહારી ભોજન પામે, એટલે ઉત્તર પ્રદેશ સરકારે એવું ફરમાન બહાર પાડ્યું છે કે દરેક હોટેલ, ઠેલાવાળા કે ઢાબાના માલિકે પોતાનું નામ તથા તેની સાથે કામ કરતાં કર્મચારીઓનાં નામ વંચાય એ રીતે જાહેર કરવાં. એમ ન કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે એવું પણ ફરમાવાયું છે. જો કે, કોઈ પણ દુકાનદારે લાઈસન્સમાં માલિકનું નામ ઠામ જણાવવાનું ને તે દુકાનમાં સૌને દેખાય એમ મૂકવાનું હોય જ છે, પણ એ ચોક્કસ સંજોગોમાં, ચોક્કસ હેતુથી જાહેર કરવાની ફરજ પડાય તો તે ધ્યાન ખેંચે અને રાજકારણ શરૂ થઈ જાય એમાં નવાઈ નથી.

આમ તો કાવડ યાત્રા વર્ષોથી થતી આવી છે ને ત્યારે હોટેલ કે દુકાનની ઓળખનો પ્રશ્ન ઉપસ્થિત થયો ન હતો, પણ આ વખતે ઉત્તર પ્રદેશની યોગી સરકારે કોઈ યાત્રી સાત્ત્વિક ભોજન મેળવવા જતાં છેતરાય નહીં એ માટે માલિક-નોકરોનાં નામ જાહેર કરવાની ફરજ પાડી છે. એવી જ હિલચાલ ઉત્તરાખંડ ને મધ્ય પ્રદેશ સરકારે પણ શરૂ કરી છે. આનો વિરોધ વિપક્ષો તો કરે જ, પણ એન.ડી.એ.ના નેતાઓએ પણ કર્યો છે. એમનું કહેવું છે કે આ રીતે નામો જાહેર કરવાથી જાતિ દ્વારા વિભાજિત કરવા જેવું થશે. ગણતરી તો એવી પણ મુકાઇ છે કે આ રીતે અમુક ચોક્કસ વર્ગને જુદો તારવીને તેના ધંધાધાપાને અસર પહોંચાડી આર્થિક રીતે નબળો પાડવો. વિપક્ષોને તો વાંધો પડે જ ! કારણ તેણે વાંધો પાડવાનો જ છે. કમનસીબી એ છે કે શાસક પક્ષને કશું ખરાબ દેખાતું નથી ને વિપક્ષને કશું સારું લાગતું નથી, એ તબક્કે સચ્ચાઈ ભાગ્યે જ કોઇની પાસે હોય છે. મૂળ વાત તો કાવડિયાની સાત્ત્વિકતા જાળવવાની છે, પણ નિશાન ધર્મનું લેવાતું લાગે છે. દેખાવ કશુંક સારું કરવાનો હોય ને પરિણામ કશુંક ખરાબ થવામાં આવે તે બરાબર નથી.

મોહન ભાગવત

ટૂંકમાં, જે કરવું હોય છે તે સ્પષ્ટ કહેવાતું નથી ને હેતુ બર લાવવા યુક્તિઓ જુદી જ વપરાતી હોય છે. એવું જ રાષ્ટ્રીય સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે પણ કર્યું છે. એમણે પણ સીધું ન કહેતાં કુલડીમાં ગોળ ભાંગ્યો છે. ગુરુવારે ઝારખંડનાં ગુમલામાં એન.જી.ઓ. વિકાસ ભારતીની ગ્રામ સ્તરીય કાર્યકર્તાઓની બેઠકમાં ભારતીય લોકોના સ્વભાવની, તેમની પ્રકૃતિની વાતો કરતાં ભાગવતે કહ્યું કે ઘણાં  લોકો નામ કે પ્રસિદ્ધિની ઈચ્છા કે લાલસા વગર દેશનાં કલ્યાણનું કામ કરે છે. ભાગવતને દેશની પ્રગતિમાં શંકા નથી, કારણ કે અનેક લોકો તેમાં જોડાયેલા છે, એટલે પ્રગતિ તો થાય જ, પણ કેટલાક સ્વ બચાવ અને આત્મપ્રશસ્તિમાં પણ મગ્ન છે, તો એ અંગે વિચારવાનું રહે. એક વાત સ્પષ્ટ છે કે શિક્ષણ, સ્વાસ્થ્ય અને પર્યાવરણને પ્રગતિમાં પ્રાથમિકતા અપાવી જોઈએ. એ થાય તો જ વિશ્વમાં આપણે ઊજળાં દેખાઈએ. ભાગવતનું માનવું છે કે સનાતન ધર્મ માનવજાતિનાં કલ્યાણ માટે કાર્ય કરે છે. તે મહેલોમાંથી નહીં, પણ આશ્રમોમાંથી, જંગલોમાંથી આવ્યો છે. આપણો પહેરવેશ બદલાયો હશે, પણ અનેક પરિવર્તનો પછી પણ, આપણી પ્રકૃતિ બદલાઈ નથી. એ ખરું કે કોરોના વખતે દુનિયાને ભારતની શાંતિ અને સુખની વ્યાખ્યામાં રસ પડ્યો. અનેક પ્રયોગો હજારો વર્ષમાં થયા, પણ ભારતની પારંપરિક શાંતિ અને સુખની સ્થિતિને આ જગત નિષ્ફળ સાબિત કરી શક્યું નથી. એ ખરું કે આટલા વિકાસ પછી પણ જનજાતિ સમાજ આજે પણ પાછળ છે. એ પાછળ છે, પણ શાંતિપ્રિય, ભરોસાપાત્ર અને પ્રમાણિક છે. એમને શહેરમાં રહેતી પ્રભાવશાળી વ્યક્તિઓએ સહયોગ કરવો જોઈએ.

આપણા દેશની પૂજા અર્ચનાની વિધિ પણ અલગ છે, કારણ આપણા દેવી-દેવતાઓ 33 કરોડ છે. દેશનાં લોકોની ખાવા-પીવાની, બોલવા ચાલવાની રીતો અલગ અલગ છે. આટલું વૈવિધ્ય એટલે પણ છે, કારણ આપણી પાસે 3,800 ભાષાઓ છે. માત્ર ભારતમાં જ સ્ત્રીને માતૃસ્વરૂપ ગણી છે. આટલી ભિન્નતા છતાં સૌ એક છે, સૌનાં મન એક છે. અનેકતામાં એકતા ભારતમાં જ છે. એ બીજે નથી. ભાગવતે આજની ગતિવિધિઓ સંદર્ભે ટકોર કરતાં કહ્યું કે આજકાલ કહેવાતા પ્રગતિશીલ લોકો સમાજને કેટલુંક આપવામાં ભરોસો રાખે છે, જે ભારતીય સંસ્કૃતિમાં જ નિહિત છે. શાસ્ત્રોમાં એવું ક્યાં ય લખેલું નથી, પણ આ બધું પેઢી દર પેઢી લોહીમાં વણાયેલું છે. આજે માણસ છે, પણ માણસાઈ નથી. આ સ્થિતિમાં માણસે પહેલાં તો સાચા માણસ બનવું જોઈએ. એ પછી કેટલુંક કહેવાયું કાર્યકર્તાઓને, પણ તે સાંભળવાનું તેમણે ન હતું.

નામ દીધા વગર ભાગવતે વડા પ્રધાનને એ સંભળાવ્યું કે કેટલાક માણસો પોતાનો વિકાસ કરીને ‘સુપરમેન’, ‘દેવ’ ‘ભગવાન’ કે ‘વિશ્વરૂપ’ થવા મથે છે, પણ તેની આગળ શું છે તે કોઈ જાણતું નથી. માણસનો અંત છે, પણ વિકાસ કે પ્રગતિ અનંત છે. માણસ ન હતો ત્યારે પણ પૃથ્વી તો વિકસી જ છે ને માણસ નહીં હોય તો ય તે ફરતી રહેવાની છે. વિકાસની સાથે આ ધરતીને આપણે ઓછી હાનિ નથી પહોંચાડી. એની અસરો તો માણસે જ અનુભવવાની આવે છે. માણસ નશ્વર છે એ જાણવા છતાં ઈશ્વર બનવા મથે એ અહંકારનું સૂચક છે અને અહંકાર મનુષ્યને ઝડપથી નશ્વર બનવા તરફ ધકેલે છે. આમ ભાગવતે સામાન્ય રીતે માણસની ભગવાન બનવાની ઈચ્છા પર પ્રકાશ પાડ્યો હોવાનું લાગે, પણ તેમણે વડા પ્રધાન સંદર્ભે જ કહ્યું હોવાનું એટલે માનવું પડે, કારણ વડા પ્રધાને પોતે કહ્યું છે કે માતા જીવતી હતી, ત્યાં સુધી પોતે બાયોલોજિકલી જન્મ્યા, એવું માનતા હતા, પણ તે ગુજરી ગઈ પછી પોતાના  અનુભવોમાંથી એવું માનતા થયા કે પોતાને ઈશ્વરે મોકલ્યા છે. પોતાની આ ઊર્જા શરીરમાંથી નથી આવતી, પણ તે ઈશ્વરે પોતાના પર વરસાવી છે. પોતે કૈં પણ કરે, તો લાગે છે કે ઈશ્વર દોરે છે. વડા પ્રધાનના પોતાને વિશેના આવા અવતારી વિધાનો સામે ભાગવતે ‘વિશ્વરૂપ’ સુધીની ટકોર કરી છે.

આમ તો આખી ભાગવત વાણી બહુ સૂચક છે ને એ એવું પણ સૂચવે છે કે સંઘ અને ભા.જ.પ. વચ્ચે સ્થિતિ સામાન્ય નથી. થોડા વખત પર ભા.જ.પ.ના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સંઘ સાથેના સંબંધો અંગે કહ્યું હતું કે એક તબક્કે ભા.જ.પ.ને સંઘની જરૂર હતી, પણ હવે ભા.જ.પ. એવો મોટો રાષ્ટ્રીય પક્ષ થયો છે કે તેને સંઘની જરૂર રહી નથી. આ વાત ભા.જ.પ.ની મજબૂત સ્થિતિ તો સૂચવે જ છે, પણ સંઘ સાથેના સંબંધોમાં આવેલી ખટાશ પણ સૂચવે છે, એટલું જ નહીં, ભા.જ.પ.માં આવેલા અહંકાર તરફ પણ ઈશારો કરે છે. ભાગવતની ‘ભગવાન’ સંદર્ભની ટકોર પછી કાઁગ્રેસ ચૂપ રહે એ શક્ય જ નથી, કાઁગ્રેસી નેતા જયરામ રમેશે રોકડું કર્યું કે સ્વયં-ઘોષિત નોન-બાયોલોજિકલ વડા પ્રધાનને આ નવીનતમ અગ્નિ મિસાઇલના સમાચાર મળ્યા હશે, જે નાગપુરે ઝારખંડથી લોક કલ્યાણ માર્ગને નિશાન બનાવીને છોડી છે.

ભાગવતે શનિવારે પુણેમાં એવું પણ કહ્યું કે અંગ્રેજોએ આપણા પૂર્વજો અને પરંપરા પરની આપણી આસ્થાને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે. તેમણે અંધભક્તિ સંદર્ભે ટકોર કરતાં કહ્યું કે આસ્થા અંધ હોતી નથી. પરંપરા, રિવાજોમાં કૈં બદલવા જેવું હોય તો તે પણ બદલવું જોઈએ. એક વાત આપણે સમજી લેવાની જરૂર છે કે ભૂતકાળને વાગોળવાથી કે તેની ટીકા કરવાથી ભવિષ્ય સુધરતું નથી. આગળના શાસકોની ટીકા કર્યા કરવાથી ભાવિ શાસન સુધરી જ જાય એવું નથી. એને સુધારવા, ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન થાય એટલું જોવાવું જોઈએ. અંગ્રેજોએ જે દમન કર્યું એ સ્થિતિ આજે છે કે તે સુધરી કે વધુ બગડી છે, એટલું જ મહત્ત્વ ભૂતકાળનું હોય, બાકી, ભૂતકાળનું સંકીર્તન પ્રગતિમાં અવરોધરૂપ બની શકે છે તે ભૂલવા જેવું નથી.

લોકસભાની ચૂંટણી પછી ભા.જ.પ. અસ્વસ્થ જણાય છે ને સંઘ વધુ સ્વસ્થ લાગે છે…

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 જુલાઈ 2024

Loading

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (16)

દીપક મહેતા|Opinion - Opinion|22 July 2024

૧૬

પ્રબંધચિંતામણીના અનુવાદની હસ્તપ્રત (ફાર્બસના હસ્તાક્ષરમાં)નું એક પાનું

૧૮૫૬માં પ્રગટ થયેલ અંગ્રેજી રાસમાળાની પ્રસ્તાવનામાં એક વાક્ય આવું જોવા મળે છે :

“પ્રબંધ ચિંતામણીની એક નકલ મને ભેટ આપવા માટે અને તેના અનુવાદમાં અનિવાર્ય એવી મદદ કરવા માટે હું પીરચંદજી ભૂધરજીનો ખાસ આભારી છું. તેઓ મારવાડના વતની હતા અને જૈન હતા. તેઓ હતા તો વેપારી, અને વેપારીઓ મોટે ભાગે સાહિત્ય પ્રત્યે ઉદાસીન હોય છે. પણ પીરચંદજી પ્રશિષ્ટ સાહિત્ય અને લોક સાહિત્ય બંનેના સારા જાણકાર હતા.૩૬     

આનો અર્થ એ થયો કે ફાર્બસે ‘પ્રબંધ ચિંતામણી’નો અનુવાદ પણ કર્યો હતો. પણ પ્રસ્તાવનામાંના આ વાક્ય ઉપર આજ સુધી ભાગ્યે જ કોઈએ ધ્યાન આપ્યું છે. તેનું એક કારણ એ હોઈ શકે કે આભાર દર્શનના ફકારામાંનાં આવાં વાક્યો ઘણા વાચકો વાંચતી વખતે કૂદાવી જતા હશે – એમાં તે શું વાંચવું, એમ વિચારીને. રત્નમાળાનો ફાર્બસે કરેલો અનુવાદ એશિયાટિક સોસાયટીના જર્નલમાં પ્રગટ થયો ત્યારે જસ્ટિસ ન્યૂટને સાથે એક નાની નોંધ ઉમેરી હતી. તેમાં તેમણે પણ ફાર્બસે કરેલા પ્રબંધ ચિંતામણીના અનુવાદનો ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહિ, ફાર્બસે પોતાના અનુવાદને અંતે મૂકેલી નોંધ પણ તેમણે શબ્દશઃ ટાંકી હતી :

“જો આ પુસ્તક બીજા કોઈના હાથમાં આવે તો મારે સ્પષ્ટતા કરવી જોઈએ કે આ અનુવાદ સો ટકા સાચો છે એવો મારો દાવો નથી. મારા પોતાના ઉપયોગ માટે જ મેં આ અનુવાદ તૈયાર કર્યો છે.”૩૭ 

આનો અર્થ એ થયો કે ફાર્બસે કરેલો પ્રબંધ ચિંતામણીનો અનુવાદ જસ્ટિસ ન્યૂટને જોયો હતો. નહિતર તેમણે ફાર્બસે લખેલી નોંધ અહીં શબ્દશઃ ટાંકી હોત નહિ. પણ પ્રબંધ ચિંતામણીનો ફાર્બસે કરેલો અનુવાદ ક્યારે ય પ્રગટ થયો હતો ખરો? બ્રિટિશ લાયબ્રેરી, અમેરિકાની લાયબ્રેરી ઓફ કાઁગેસ, બીજાં કેટલાંક પુસ્તકાલયો, અને ઈન્ટરનેટ પર તપાસ કર્યા છતાં ફાર્બસનો આ અનુવાદ પ્રગટ થયાની માહિતી ક્યાંયથી આ લખનારને મળી નહિ. પણ તો પછી જસ્ટિસ ન્યૂટને અનુવાદની જે હસ્તપ્રત જોઈ હતી તે ક્યાં ગઈ? ફાર્બસે પોતાના સંગ્રહમાંનાં કેટલાંક પુસ્તકો મુંબઈની એશિયાટિક સોસાયટીને ભેટ આપ્યાં હતાં, પણ એ સોસાયટી પાસે એ હસ્તપ્રત નથી. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ (હાલની ગુજરાત વિદ્યા સભા) પાસે નથી. ફાર્બસના અવસાન પછી હસ્તપ્રતો અને પુસ્તકોના તેમના સંગ્રહનો મોટો ભાગ ‘ફાર્બસ ગુજરાતી સભા’એ ફાર્બસનાં પત્ની પાસેથી ખરીદી લીધો હતો. પછીથી મેળવેલી હસ્તપ્રતોની સાથે એ સંગ્રહ પણ આ સંસ્થાની લાયબ્રેરીમાં પ્રમાણમાં સારી રીતે આજ સુધી જળવાયો છે. આ લખનારે એ સંગ્રહમાં ખાંખાંખોળાં કરવાનું શરૂ કર્યું. અને એક દિવસ આનંદનો પાર ન રહ્યો. સાચા ચામડામાં બાંધેલો એક ચોપડો. સારા, જાડા કાગળ. અને તેમાં ફાર્બસના પોતાના હસ્તાક્ષરમાં લખાયેલો પ્રબંધ ચિંતામણીનો અનુવાદ! દોઢસો વર્ષ કરતાં ય વધુ જૂનો ચોપડો, ફાર્બસના પોતાના મરોડદાર રનિંગ હેન્ડ અક્ષરો! એ પાનાંને અડતાં પણ રોમાંચ થાય! ફાર્બસના અવસાન પછી થોડા વખતમાં જ આ બધી સામગ્રી ‘ફાર્બસ ગુજરાતી સભા’એ મેળવી હતી અને ત્યારથી આજ સુધી આ ચોપડો તેની પાસે જ રહ્યો છે, એટલે ફાર્બસના અવસાન પછી આ અનુવાદ કોઈએ છાપ્યો હોય એ સંભવિત નથી. પણ પછી એક સવાલ થયો : જસ્ટિસ ન્યૂટને જે હસ્તપ્રત જોઈ હતી તે આ જ હસ્તપ્રત? હા ચોક્કસ. પણ ખાતરીથી કેમ કહી શકાય? કારણ જસ્ટિસ ન્યૂટને ફાર્બસની જે નોંધ પોતાની પાદ ટીપમાં ટાંકી છે તે અક્ષરશઃ આ અનુવાદને અંતે જોવા મળે છે. 

પ્રબંધ ચિંતામણીના અનુવાદની હસ્તપ્રતને અંતે ફાર્બસે મૂકેલી નોંધ

અનુવાદના પહેલા પાને પોતે આ અનુવાદ કરવાનું કામ ૧૮૪૯ના મે મહિનાની ૨૨મી તારીખે શરૂ કર્યું હોવાનું ફાર્બસે નોંધ્યું છે. એટલે કે રાસમાળા પ્રગટ થઇ તેના કરતાં સાત વર્ષ પહેલાં તેમણે આ અનુવાદ કર્યો હતો. હસ્તપ્રતને છેલ્લે પાનાની નીચે ફાર્બસે તારીખ નાખી છે : ૧૫ ઓગસ્ટ, ૧૮૪૯. એટલે કે ફાર્બસે આ અનુવાદ ત્રણ મહિના કરતાં ય ઓછા સમયમાં કર્યો હતો. પ્રબંધ ચિંતામણી જેવી કૃતિનો અનુવાદ આટલા ટૂંકા સમયગાળામાં કરવો એ સહેલી વાત નથી. ઈ.સ. ૧૩૦૪માં વર્ધમાન પૂરમાં જૈન સાધુ મેરુતુંગાચાર્યે લખેલા આ પ્રબંધમાં સંસ્કૃત ઉપરાંત પ્રાકૃત, અપભ્રંશ, અને કેટલીક સ્થાનિક બોલીઓનો ઉપયોગ થયો છે. આમ, એક કરતાં વધુ ભાષાને કારણે તેનો અનુવાદ કરવાનું કામ વધુ મુશ્કેલ બને છે. ગુજરાતના અને તેની આસપાસના પ્રદેશના રાજાઓ, તેમનાં જીવન, શાસન, યુદ્ધો, તેમાં મળેલા વિજયો કે પરાજયો વગેરેની વાત આ ગ્રંથમાં થઇ છે. જુદા જુદા રાજાઓને લગતા ઘણા રસપ્રદ કિસ્સાઓ પણ તેમાં વણી લેવાયા છે. રાજ દરબારની રીતભાત, કવિઓ વચ્ચે યોજાતી સ્પર્ધાઓ, વગેરેની વિગતો પણ તેમાં વણી લેવાઈ છે. 

આ અનુવાદ કરવા પાછળનો ફાર્બસનો હેતુ રાસમાળાના લેખનમાં ઉપયોગી થાય તેવી સામગ્રી એકઠી કરવાનો હતો. તેથી તેમણે સમગ્ર કૃતિનો અનુવાદ કર્યો નથી. તેના પાંચ પ્રકાશમાંથી પહેલા બેનો અનુવાદ ફાર્બસે કર્યો નથી. માત્ર ત્રીજા, ચોથા, અને પાંચમાં પ્રકાશનો અનુવાદ કર્યો છે. ચોપડાના કદના દરેક પાનાને ફાર્બસે બે કોલમમાં વહેંચ્યું છે. ડાબી બાજુની કોલમ મોટે ભાગે કોરી રાખી છે. માત્ર કેટલીક નોંધ કે સંસ્કૃત શબ્દોના અર્થ ડાબી કોલમમાં નોંધ્યા છે. અનુવાદ જમણી કોલમમાં લખ્યો છે. આમ કેમ કર્યું હશે? એક કારણ એ હોઈ શકે કે પછીથી મૂળ કૃતિનો પાઠ બીજા કોઈ પાસે ડાબી કોલમમાં લખાવી લેવાનું તેમણે વિચાર્યું હોય. પણ વધુ સંભવિત કારણ એ છે કે હાથે લખાતી હસ્તપ્રતમાં પાનાની નીચે પાદ ટીપ લખવાનું ફાવે નહિ. તેથી પાદ ટીપ જેવી નોંધો લખવા માટે તેમણે ડાબી કોલમ રાખી હોય. 

આજ સુધી હસ્તપ્રત રૂપે જળવાઈ રહેલો આ અનુવાદ વહેલી તકે ‘ફાર્બસ ગુજરાતી સભા’એ કે બીજી કોઈ સંસ્થાએ પ્રગટ કરવો જોઈએ.

(ક્રમશ:)
e.mail : deepakbmehta@hotmail.com

Loading

તમસમાંથી જ્યોતિ ભણી

પ્રકાશ ન. શાહ|Gandhiana|22 July 2024

જ્યોતિભાઈ દેસાઈ

જ્યોતિભાઈ દેસાઈની આ કિતાબ ‘નિશંકપણે જવાબદાર’ (યજ્ઞ પ્રકાશન, વડોદરા), કંઈ નહીં તો પણ સન બયાલીસના વારાથી જલતા જિગરની સાહેદીરૂપ છે. ક્યારેક સ્વરાજસંગ્રામનો વીંછુડો ડંખતાં ડંખ્યો, અને ગાંધી-વિનોબા-જે.પી.-કૃપાએ, સ્વાતંત્ર્યોત્તર વર્ષોમાં પણ એ ડંખે કેડો ન મેલ્યો તે ન જ મેલ્યો. આમ તો જ્યોતિભાઈનું પ્રત્યક્ષ સાધનાક્ષેત્ર શિક્ષણનું રહ્યું છે. પણ ઉત્તરોત્તર એનો સંદર્ભ કેવળ સ્વરાજસંગ્રામ અને સ્વરાજનિર્માણને વટી જઈને નવા અને ન્યાયી સમાજ માટેની વિશ્વમથામણનો બની રહ્યો છે.

શિક્ષણકર્મી જ્યોતિભાઈ સંમત થશે જ કે વીસમી સદીની એક મોટી શોધ માદામ મોન્ટેસોરીનો બાળકો સાથેનો પ્રેમાળ અને અહિંસક (એથી સૃજનશીલ) શૈક્ષણિક અભિગમ છે. સમાજકર્મી જ્યોતિભાઈ વધુમાં એ પણ ઉમેરશે કે વીસમી સદીની એવી જ બીજી મોટી શોધ તે ગાંધીએ સમાજપરિવર્તન માટે અહિંસાનું જે શસ્ત્ર અને શાસ્ત્ર વિકસાવ્યાં તે છે. કદાચ, આ બેઉ વાનાં એક જ સિક્કાની બે બાજુ જેવાં છે, કે પછી એક સળંગસૂત્ર પ્રક્રિયા.

વિશ્વમાનવતાને સારુ આ નવો સૃજનધક્કો જીરવવો સહેલો નહોતો ને નથી તે કહેવાનું ન હોય. તમે ગાંધીનો કિસ્સો જ જુઓને ! આટલો મોટો શાંતિચાહક-શાંતિસાધક જડ્યો ન જડે. પણ નોબેલ સ્તરે જીવતેજીવત એને શાંતિ પારિતોષિક આપી પારિતોષિકને ખુદને ગૌરવ ન આપી શકાયું તે ન જ આપી શકાયું. શાંતિની જે એક વ્યાપક વ્યાખ્યા ગાંધીજીવનમાંથી ઊઘડતી આવી એમાં ન્યાયનો ખ્યાલ અનુસ્યૂત હતો. એ શાંતિચાહક હતા, પણ નકરા પરંપરાગત શાંતિવાદી (પેસિફિસ્ટ) નહોતા. સંસ્થાનવાદ સામે અહિંસક માર્ગે પણ રણોદ્યત એ હતા જ. યુરોપને માટે (રોમાં રોલાં તરેહના જમાતજુદેરા અપવાદો બાદ કરતાં) પોતાની સામે લડનાર શાંતિચાહક સોરવાય શાનો ! જો કે, કહે છે કે, સન સુડતાલીસ ઊતરતે (બિહાર, બંગાળની કામગીરી જોતાં) નોબેલ પેનલે ગાંધી માટે મન બનાવી લીધું હતું. પણ ૧૯૪૮ના જાન્યુઆરીમાં ગાંધીજી ગયા, અને મરણોત્તર તો અપાય નહીં. ૧૯૪૮માં કોઈને પણ શાંતિ પારિતોષિક ન અપાયું એનું રહસ્ય કદાચ આ વિગતમાં છે. આ જ ગાંધી ઘરઆંગણે કેટલાકને ન સોરવાયા. કેમ કે એ પૂરતા (અને ચોક્કસ અર્થના) રાષ્ટ્રવાદી નહોતા. પ્રગતિશીલ માનવતાને ધોરણે નિત્યવિકસનશીલ ગાંધીજીવનની આ એક ઉદાત્તભવ્ય કરુણિકા છે.

આ પુસ્તક પાછળ જ્યોતિભાઈના લેખન-ધક્કાને એના ખરા ને પૂરા અર્થમાં સમજવા વાસ્તે આટલી પ્રાસ્તાવિક વાત કરી છે. ધક્કો, દેખીતો તો, એમણે કહ્યું છે તેમ સેતલવાડે ‘બીયોન્ડ ડાઉટ’ની ભૂમિકાએ ગાંધીહત્યા બાબતે કરેલી આકર દસ્તાવેજી રજૂઆતનો છે. પણ “બીયોન્ડ ડાઉટ – અ ડોસિયર ઑન ગાંધીજી એસેસિનેશન”ના સારસર્વણે જ્યોતિભાઈ અટક્યા નથી. એમણે આપણી સ્વાતંત્ર્યચળવળનાં મૂલ્યો, ‘ભારત’ વિષયક રવીન્દ્ર દર્શન, વિવેકાનંદની વિચારણા વગેરે પૂરક ને સંસ્કારક સામગ્રી જોગવીને આખી ચર્ચાને ગાંધીહત્યા પાછળના કાવતરામાત્રમાંથી બહાર કાઢીને નવી દુનિયામાં ભારતની સાર્થક ભૂમિકા સારુ વ્યાપક વિચારવિમર્શરૂપે ઉપસાવી આપી છે.

તીસ્તા સેતલવડ

તીસ્તાબહેન અને જ્યોતિભાઈએ કરેલી સિલસિલાબંધ વિગત રજૂઆતથી જે સમજાઈ રહે છે તે તો એ કે ગાંધીહત્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સીધી સંડોવણી ટેકનિકલી સાબિત ન થઈ હોય તો પણ તેની જવાબદારીમાંથી એ પરબારો મુક્ત થઈ શકે તેમ નથી. નથુરામ ગોડસેનું સંઘસંધાન પાછલાં વરસોમાં નહોતું એવું એક વિધાન થતું રહ્યું છે. પણ ગોપાલ ગોડસેએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે નથુરામે અને અમે સંઘને બચાવી લેવાની કાળજી રાખી હતી. એવું જ એમણે વિશેષરૂપે તાત્યારાવ (સાવરકર) વિશે પણ કહ્યું છે. ચોક્કસ વ્યક્તિની જુબાની લેવાઈ હોત તો સાવરકરની સંડોવણી સાબિત થઈ શકી હોત એવું કપૂર કમિશનનું કહેવું છે. ગાંધીહત્યા વિષયક ચુકાદાને કપૂર કમિશનના હેવાલની સાથે મૂકીને વાંચતાં આ બધી વિગતો સુપેરે સ્ફુટ થઈ રહે છે.

જ્યાં સુધી ભાગલાના સ્વીકારનો સવાલ છે, એક પાયાની વિગત એ છે કે વચગાળામાં લીગ સાથે મળીને સરકાર ચલાવતા વાસ્તવવાદી વલ્લભભાઈને સ્પષ્ટ થઈ ગયું હતું કે સાથે રહેવું અને રાજ ચલાવવું શક્ય નથી. ગૃહ પ્રધાન પટેલ કરતાં વડા પ્રધાન નહેરુની છાપ જુદી નહોતી. વલ્લભભાઈનું લોહપુરુષત્વ અને નહેરુનું નેતૃત્વ આ સંદર્ભમાં પોતાની લાગણીઓને તેમ ગાંધીજીને ય એક ચોક્કસ ક્ષણે બાજુએ રાખી ભાગલાનો સ્વીકાર કરતાં જોવા મળે છે. સ્વાતંત્ર્યસંગ્રામની મુખ્ય ધારામાં (બલ્કે, સમાંતર ધારામાં પણ) નાખી નજરે નહીં જણાતા સંઘે પશ્ચાદ્વર્તી ધોરણે સઘળું સમુંનમું કરવાની ગણતરીએ સરદારને બાકી કૉંગ્રેસ નેતૃત્વથી અલગ તારવી સંઘે પોતાના જાહેર કરવાનો ઉધામો ખાસો કીધો છે. પણ ભાગલાના નિર્ણય પર પહોંચવામાં વલ્લભભાઈની જવાબદારી હતી તે હતી.

વિચારધારાની રીતે જોતાં કિસાન પટેલ અને બૌદ્ધિક નહેરુ, વાસ્તવવાદી પટેલ અને આદર્શવાદી નહેરુ, બેઉ પોતપોતાની રીતે હિંદુ રાષ્ટ્રના ખ્યાલ સાથે અસંમત રહ્યા છે. આ ખ્યાલને વલ્લભભાઈએ એમની નો-નોન્સેન્સ ઢબે ‘પાગલ ખ્યાલ’ પણ કહ્યો છે. નહેરુએ સંઘ પર પ્રતિબંધ મૂક્યો અને સરદારે પ્રતિબંધ ઉઠાવ્યો, એવાં સરલીકરણ સંઘ પરિવારને ફાવતાં આવે છે. સરદારે એમને કૉંગ્રેસમાં જોડાવા નિમંત્રણ આપ્યું હતું એ પણ હોંશે હોંશે (જરી વધુ જ યાદ રાખીને) સંભારે છે. માત્ર, પ્રતિબંધ ઉઠાવવા માટે સરદારે (સરકારે) રાષ્ટ્રધ્વજ અને બંધારણ સહિતની બાંહેધરીઓ માંગી લીધી હતી, એ એને ક્યાંથી યાદ હોય ? અને કૉંગ્રેસમાં જોડાવું એટલે એના બંધારણની મર્યાદામાં રહેવાનું અને એના રાજકીય વિચારો સ્વીકારવાના એનું શું ?

પણ જ્યોતિભાઈની તપાસ એકતરફી નથી. ખંત અને ખાંખતથી જોતાં-તપાસતાં એમણે તે વખતની બંને કૉંગ્રેસ સરકારો (મુંબઈ, જેમાં મોરારજીભાઈ આગળ પડતા હતા) કાવતરાની જાણ થવા છતાં પૂરી તપાસ અને પૂરી ચોંપમાં ઊણી ઊતરી હતી એ પણ દર્શાવ્યું છે. ગાંધી ગયા પછી, એક તબક્કે હૃદયરોગના હુમલાથી મૃત્યુદ્વારેથી પાછા ફરેલા સરદારનો ઉરબોલ કે “દાક્તર, મને કેમ બાપુ પાસે જતા રોક્યો ?” રાજપુરુષો અને રાજનીતિપટુઓના જે કોઈ કોઈ ઉદ્ગારો વિશ્વસાહિત્યમાં જઈ શકે તે પૈકીના છે. પણ ચાણાક્ષ અને દક્ષ વહીવટકારોએ ખાધેલું ગોથું એ ઇતિહાસવસ્તુ છે. ચૂક તે ચૂક, ઠીક જ કહ્યું છે જ્યોતિભાઈએ.

જો કે, જ્યોતિભાઈનાં દુખણાં લેતે છતે આ પ્રાસ્તાવિક વચનોને અહીં જોગવેલ દસ્તાવેજી સામગ્રી અને ‘નિ:શંક’ના દાયરામાં સીમિત નહીં રાખતાં એકબે આનુષંગિક વિચારમુદ્દા પણ ચર્ચાવા-ચીંધવા ઇચ્છું છું. ૧૯૭૬માં કટોકટીકાળે અમે સૌ મિસામાં હતા ત્યારે કોઈ સંઘી-જનસંઘી સાથી ભારે મુગ્ધતા ને અહોભાવપૂર્વક ગોડસેના અદાલત સમક્ષના નિવેદનના ફકરાના ફકરા બોલતા તે આ લખું છું ત્યારે સાંભરી આવે છે. સાથે, એ પણ સાંભરે છે કે જેલબદલી વખતે વિદાય વચનોમાં અમારે ભાગે એક જનસંઘ અગ્રણી તરફથી એવાં આકરાં વચનો પણ આવ્યાં હતાં કે “અત્યાર સુધી હું એમ માનતો હતો કે આખરી જંગ સંઘ અને સામ્યવાદીઓ વચ્ચે લડાશે. પણ હવે મને એમ લાગે છે કે આખરી જંગ અમારી અને સર્વોદયવાળાઓ વચ્ચે લડાશે.” ગાંધીના કોઈ કોઈ ચરિત્રકાર, ગઈ સદીનો પહેલો દસકો ઊતરતે લંડનમાં હિંદી વિદ્યાર્થીઓની વિજયાદશમી સભામાં સાવરકર અને ગાંધી એકમંચ હતા ત્યાંથી ૧૯૪૮ના જાન્યુઆરીની ૩૦મી લગીના સમયગાળાને સળંગસૂત્ર જોવું પસંદ કરે છે, એ અહીં સ્મરણીય છે. સાવરકરના વક્તવ્યનો સૂર દુર્ગાદશ-પ્રહરણધારિણીનો હતો, ગાંધીનો સમ થોડીકેક સીધીસાદી વાતો વાટે રામના મર્યાદા પુરુષોત્તમપણા પર ઠર્યો હશે. એકમાં પ્રાચીન ગૌરવપૂર્વક રાષ્ટ્ર-રાજ્યની વિજીગીષુ વૃત્તિનો ટંકાર હશે, બીજામાં માનવસભ્યતાનાં ધારાધોરણો અને વિકસનની ચિંતા હશે. આ બંને વક્તવ્યોના સારને મેં જાડી રીતે, અને વાજબી કારણોસર જ અવતરણ-ચિહ્નો વગર મૂક્યો છે. પણ જે વિચારરૂખ ગાંધીહત્યા સુધી પહોંચી શકી એનું એક આરંભચિત્ર એમાં જરૂર મળી રહે છે.

વસ્તુત: ‘હિંદુત્વ’ અને ‘હિંદ સ્વરાજ’ બે જુદાં જ દર્શન છે. હિંદુત્વ પ્રાચીન ગૌરવ અને પશ્ચિમવિકસ્યું ‘રાષ્ટ્ર-રાજ્ય’ લઈને ચાલે છે. ‘હિંદ સ્વરાજ’ જણે જણે ભોગવવાના સ્વરાજને ધોરણે એક પ્રજાપરક અભિગમ લઈને ચાલે છે. એક સાંસ્થાનિક સામ્રાજ્યવાદના સંદર્ભમાં ઘડાયેલ સંકીર્ણ રાષ્ટ્રવાદી ધારા છે, તો બીજી પશ્ચિમની સમાંતર ઉદાર વિચારધારા ટોલ્સ્ટોય, થોરો, રસ્કિન આદિને આત્મસાત્ કરીને આગળ ચાલતી અને રાષ્ટ્રીય લડતમાં પડતે છતે વિશ્વમાનવતાને તાકતી ધારા છે. ભારતમાં રોપાયેલી છતાં બંધાયેલી નહીં એવી આ ગાંધીધારા છે.

એક બાજુ ગાંધીમાં રહેલા ‘હિંદુ’ને રાજનીતિને હિંદુત્વરૂપે ઇસ્લામ આદિ જેવું સેમેટિક સ્વરૂપ (ખરું જોતા વિરૂપ) આપી ગાંધી અને હિંદુધર્મ બંનેની સર્જનાત્મક સંભાવનાઓ ખતમ કરતી સંઘ માનસિકતા આમૂલ પુનર્વિચાર માગી લે છે. કંઈક અંશે સંવિદ સરકારોના દોરમાં તો ઠીક ઠીક અંશે ૧૯૭૪-’૭૭ના જે.પી. જનતા પર્વમાં ખીલી શકતી શક્યતાઓ અયોધ્યા જ્વર અને ગુજરાત ૨૦૦૨ સાથે નજર સામે અળપાઈ ગયા છતાં લિબરલ લોકમત કંઈક વ્યામોહવશ પેશ આવતો હોય તો એને ઝંઝેડીને જગાડવા સારુ આ કિતાબ એકદમ સમયસરની છે. એક વાર આ રીતે પણ કરપીણ મુગ્ધતા તૂટે તો આગળ વધુ વિચાર અને ચિંતનની શક્યતાઓ ખૂલે. નેવું નાબાદ જ્યોતિભાઈની આ દિલી કોશિશને વધાવતાં બીજું તો શું કહું, સિવાય કે I am happy to bask in your glory – or, shall I say, your light !

જૂન ૨૨, ૨૦૧૬
(‘નિશંકપણે જવાબદાર’ માંથી ટૂંકાવીને)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 એપ્રિલ 2024 : ‘શિક્ષણવિદ્દ જ્યોતિભાઈ દેસાઈ વિશેષાંક’ – પૃ. 21-22

Loading

...102030...624625626627...630640650...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved