Opinion Magazine
Number of visits: 9665108
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—258

દીપક મહેતા|Opinion - Opinion|27 July 2024

સિદ્ધાર્થ નામનો અર્થ સિદ્ધ કરનાર એક ‘કોલની’વાસીની આપકથા         

લક્ષ્મણ ભગાજી પારધે

નામ, લક્ષ્મણ ભાગાજી પારઘે. ભણતરને નામે અલ્લાયો! ગામડામાં મજૂરીના પણ સાંસા. બૈરી અને ચાર છૈયાં-છોકરાંને લઈને મુંબઈ આવ્યા, કામની શોધમાં. વાંદરા(ઇસ્ટ)ના શાસ્ત્રી નગરમાં એક સગાનું ઘર. વાંદરા સ્ટેશનથી ગોઠણ સમાણા કાદવમાં ચાલીને એ ઘરે પહોચ્યા. થોડા દિવસ ત્યાં જેમતેમ કાઢ્યા. પણ એક દિવસ યજમાન સાથે ઝગડો થયો અને સાંજને વખતે જ એ ઘર છોડ્યું. ઉપર આભ અને નીચે ધરતી. શેરીના કૂતરા ભસતા ભસતા પાછળ પડ્યા. બધાના પેટમાં કૂકડા બોલે. પણ ખિસ્સાં ખાલી. એક રડીખડી ઉડુપ્પી હોટેલ નવી શરૂ થયેલી. મફતમાં ખાવાનું તો ન જ આપે, પણ દયા આવી હશે એટલે પીવાનું પાણી આપ્યું. બીજી આગ પાણીથી ઠરે, પણ પેટની આગ? અને વળી માથે છાપરું નહિ. એક ચોકમાં, ખુલ્લામાં બધાંએ રાત વિતાવી, ભૂખ્યા પેટે.

એ જમાનામાં રાતે સાડા નવ વાગ્યા પછી ભીખારીઓ વાંદરાના રસ્તાઓ પર ભીખ માગવા નીકળી પડે. કેમ આવા ઓતાડા ટાઈમે? કારણ એ વખતે અહીં મધ્યમ વર્ગ, કે તેનાથી નીચલા વર્ગની વસતી. કોઈના ઘરમાં ફ્રિજ ભાગ્યે જ હોય. એટલે ઘરનાં બધાં જમી લે પછી વધ્યું-ઘટ્યું હોય તે ગૃહિણીઓ આ ભીખ માગનારાઓને આપી દે. બીજી રાતથી શરૂ કર્યું આ રીતે પેટનો ખાડો પૂરવાનું. થોડા દિવસ પછી કોઈએ લક્ષ્મણને કહ્યું કે અહીં વાંદરા ઇસ્ટમાં જ એક નવી કોલોની બંધાઈ રહી છે. ત્યાં જૈન શેઠને મળી જો. કદાચ કામ મળી જાય. બીજે દિવસે સવારે જ પહોંચી ગયા. જોયું તો હજી બાંધકામ તો શરૂ પણ થયું નહોતું. કાદવ-કીચડવાળી ખરાબાની જમીનમાં ભરણી કરવાનું કામ ચાલતું હતું. બાજુમાં એક મોટો પથ્થર. તેના પર બેસીને રાહ જોવા લાગ્યા. કોઈકે કહ્યું કે આખા દિવસમાં ગમે ત્યારે એક વાર શેઠ અહીં આવે છે. એટલે ભૂખ-તરસની પરવા કર્યા વિના પથ્થર પર બેસી રહ્યા.

છેક સાંજે શેઠ આવ્યા. કોઈએ કહ્યું કે એક માણસ સવારથી તમારી રાહ જોઈને એક પથરા પર બેસી રહ્યો છે – ખાધાપીધા વગર. શેઠે લક્ષ્મણને બોલાવ્યો. એક નજર તેના મહેનતથી કસાયેલા શરીર પર ફેરવી. અને કહ્યું : ‘કાલ સવારથી કામ પર આવી જજે.’ પગાર? દિવસના પાંચ રૂપિયા! લક્ષ્મણ અને તેના કુટુંબ માટે તો સોનાનો સૂરજ ઊગ્યો. થોડા દિવસ પછી જ્યાં આ નવી ઈમારતો બંધાતી હતી ત્યાં એક ઝૂંપડું બાંધીને રહેવાની છૂટ આપી કોન્ટ્રેકટરે. અને લક્ષ્મણ પારઘેનું કુટુંબ આ બંધાયા વગરની કોલોનીનું પહેલું રહેવાસી કુટુંબ બન્યું!  આ કોલોની તે સાહિત્ય સહવાસ. અને એ જ લક્ષ્મણનો એક દીકરો, નામે સિદ્ધાર્થ પારઘે, આજે મરાઠી ભાષાના એક જાણીતા-માનીતા લેખક તરીકે પોતાના ફ્લેટમાં હક્કપૂર્વક આ સાહિત્ય સહવાસના ‘ફૂલરાણી’ મકાનમાં રહે છે. જાણે નાટકની ‘મંજુળા’નો પુરુષદેહી અવતાર! તેમની આત્મકથા ‘કોલની’ સાથોસાથ ‘સાહિત્ય સહવાસ’ કોલનીની પણ આપકથા બની રહી છે.

કોન્ડાબાઈ પારધે

લક્ષ્મણે શરૂઆત કરેલી ગાર-માટીનાં તગારાં ઉપાડનાર ‘બેગારી’ તરીકે. પછી જેમ જેમ મકાનોનું બાંધકામ આગળ વધતું ગયું તેમ તેમ કામ બદલાતું ગયું. કડિયા કામ, સુતારી કામ, પ્લમર (જેનો આપણે ખોટો ઉચ્ચાર કરીએ છીએ, ‘પ્લમ્બર.’), રંગારી કામ, વગેરે. કોલોનીની વચમાં બગીચો બનાવવા માળી બન્યા. પછી ઝૂંપડાને બદલે નવા બંધાતા મકાનમાં વારાફરતી રહ્યા. સ્લેબ પડી ગયા પછી કંતાનની કનાત બાંધીને તેમાં રહેવાનું. પહેલું મકાન બંધાઈને તૈયાર થયું તે ‘ઝપુર્ઝા.’ કેટલાંક કુટુંબો તરત રહેવા આવી ગયાં. પણ હજી પાણીની લાઈન તો આવી નહોતી. લક્ષ્મણે પખાલી બનીને ઘેર ઘેર પાણી પહોચાડ્યું. લક્ષ્મણની પત્ની કોન્ડાબાઈએ એ ઘરોમાં કપડાં-વાસણ-ઝાડુ-પોતાંનું કામ શરૂ કર્યું.

કોલનીનાં બધાં મકાન બંધાઈ રહ્યાં. હવે?  કોન્ટ્રેકટર ઉપરાંત રહેવા આવેલાં કુટુંબોને પણ લક્ષ્મણ પર પૂરો વિશ્વાસ બંધાઈ ગયો હતો. એટલે તેને વોચમેનની નોકરી આપી, પગાર મહિને ૧૦૦ રૂપિયા! પણ હવે અહીં રહેવાય તેમ તો હતું જ નહિ. અને ઘર લેવાના તો પૈસા નહિ. કોલનીમાં રહેતાં બૈરાંઓએ ઉઘરાણી કરીને ૭૦૦ રૂપિયા ભેગા કરી કોન્ડાબાઈને આપ્યા. (જે પછીનાં વરસોના પગારમાંથી વાળી લીધા હતા.) કોલની પાછળ આવેલી હનુમાન નગર નામની ઝૂંપડપટ્ટીમાં ‘ઘર’ લીધું. પછીથી એ જ જગ્યાએ ડ્રાઈવ-ઇન થિયેટર બંધાયેલું. હવે તો એ ય રહ્યું નથી.

સિદ્ધાર્થનાં આઈ-વડીલ બંને નિરક્ષર. પણ પેટે પાટા બાંધીને દીકરાને ભણાવ્યો. કોલોનીનાં રહેવાસીઓએ પણ બનતી મદદ કરી. કોઈએ ફી માટે થોડા પૈસા આપ્યા, કોઈએ ચોપડીઓ આપી. કોઈએ પોતાનાં જૂનાં કપડાં આપ્યાં. સિદ્ધાર્થ તેના પુસ્તકમાં લખે છે : “ખરું કહું? આજે પણ નવાં નક્કોર કપડાં પહેરતાં મારો જીવ નથી ચાલતો. મારા જન્મ દિવસે કે દિવાળીમાં મારી પત્ની કે મારો દીકરો મારે માટે કપડાં લઈ આવે ત્યારે દિવસો સુધી – બને તો મહિનાઓ સુધી, હું એ નવાં કપડાં પહેરવાનું ટાળું છું.”

અને પછી એક દિવસ હનુમાન નગરની ઝૂંપડપટ્ટી પાસે પહેલાં પોલીસો ખડકાયા. પછી મજૂરો અને ખટારા. જોતજોતામાં આખી ઝૂંપડપટ્ટી હતી ન હતી થઈ ગઈ. રહેવાસીઓને ખટારામાં ખડકી માલવણના કેમ્પમાં ધકેલી દીધા. પણ સિદ્ધાર્થને બારમા ધોરણની પરીક્ષા માથે તોળાઈ રહી હતી. હવે કરવું શું? પણ કહે છે ને કે એક બારણું બંધ થાય ત્યારે બીજું કોઈ બારણું ખૂલી જાય છે. આવું એક બારણું સિદ્ધાર્થ માટે ખૂલ્યું. બીજે ક્યાં? કોલનીમાં. પણ એની વાત હવે પછી. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

[પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 27 જુલાઈ 2024] 

Loading

આપણા અનુ-આધુનિક સાહિત્ય વિશે ફરી એક વાર… (૬)

સુમન શાહ|Opinion - Literature|26 July 2024

સુમન શાહ

ખરા સાહિત્યકારો આધુનિક કે અનુ-આધુનિક કારિકાઓ – ફૉર્મ્યુલાઓ – પ્રમાણે સર્જન જવલ્લે જ કરતા હોય છે.

પરન્તુ વાચકો સાહિત્યિક સર્જનોને આધુનિક કે અનુ-આધુનિક દૃષ્ટિમતિથી વાંચી શકે છે જરૂર.

એટલું જ નહીં, સાહિત્યમાં સદા સર્વદા જીવન સમગ્ર હોય છે તેથી અને સાહિત્ય પૂર્ણપણે મનુષ્યના જીવનને વસ્તુજગતમાં મૂકીને નિહાળે છે તેથી, કોઈપણ વાચન-ભૂમિકાએથી સાહિત્યને વાંચી શકાય છે. એ ભૂમિકા કોઈપણ અભિગમ, વિચારસરણી કે દૃષ્ટિભંગિ અનુસારની હોઈ શકે છે.

જુઓ, આપણે અમુક સાહિત્યને ક્લાસિકલ કે રોમૅન્ટિસિસ્ટ કહીએ છીએ. પણ ત્યારે કેવા અભિગમથી, કઈ દૃષ્ટિએ, એમ કહેતા હોઈએ છીએ? આપણા એવા વાચનની ભૂમિકા શી હોય છે? જવાબ એ છે કે ત્યારે એ કૃતિ / કર્તાને આપણે ક્લાસિસિઝમ કે રોમૅન્ટિસિઝમના વિચારો-વિભાવોની દૃષ્ટિએ વાંચતા હોઈએ છીએ. આપણાં સાહિત્યિક નિરીક્ષણો, વિવરણો, અર્થઘટનો અને મૂલ્યાંકનો એ વાચન અનુસારનાં હોય છે.

જેમ કે, “શાકુન્તલ”-ને હું કલાસૌન્દર્યની દૃષ્ટિએ રસમીમાંસાની ભૂમિકાએ વાંચું; નર અને નારી વચ્ચે ઉદ્ભવતી પ્રીતિ અને વફાદારીની દૃષ્ટિએ પ્રેમમીમાંસાની ભૂમિકાએ વાંચું; પણ એને હું રાજા-પ્રજાના સમ્બન્ધની દૃષ્ટિએ રાજનીતિશાસ્ત્રની ભૂમિકાએ પણ વાંચી શકું.

જેમ કે, “ભગવદ ગીતા”-ને અધ્યાત્મદર્શન માટે કે કર્મ-ફળ સિદ્ધાન્તની સમજ મેળવવા વાંચું, પણ હું એને એક સર્વજ્ઞાતા પુરુષ અને પરાક્રમી વીર પુરુષ વચ્ચે રણાંગણમાં થયેલા દીર્ઘ પ્રશ્નોત્તર સંદર્ભે, સંવાદકલાની – આર્ટ ઑફ કૉન્વર્સેશનની – ભૂમિકાએ પણ વાંચી શકું.

આપણો કોઈ લેખક આપણને અનુ-આધુનિક લાગતો હોય, તો એમ લાગવાનું કારણ એ સ્વરૂપે થયેલું એની સૃષ્ટિનું આપણું વાચન છે. એ કારણે, કોઈની વાર્તાને કોઈકે આધુનિક ગણી હોય એ જ વાર્તાને કોઈક બીજો અધ્યેતા અનુ-આધુનિક ગણી શકે અથવા કોઈકને અનુ-આધુનિક લાગી હોય એ જ વાર્તાને કોઈક બીજો આધુનિક ઠેરવી શકે.

પરન્તુ મારા વાચનમાં મારી રુચિ, મારા ગમા-અણગમા, ભેદભાવ, વગેરે સબ્જેક્ટિવ ઍલિમૅન્ટ્સ ઘૂસી ગયાં હશે તો મારી એ વાચનભૂમિકા વિશ્વસનીય નહીં ઠરે. એથી મળેલાં પરિણામોને ચોખ્ખાં નહીં કહેવાાય. એને દૂષિત ગણવાં જોઇશે. એટલું જ નહીં, સામાવાળાઓ પોતાના ગમા-અણગમા જાહેર કરશે, એટલે ચડસાચડસી થશે, ટંટોફિસાદ થશે, પક્ષાપક્ષી થશે, અને તેથી એક જાતનું દુ:ખદ રાજકારણ પણ સરજાશે.

દાખલા તરીકે, હું સમાજશાસ્ત્રનું ભરપૂર જ્ઞાન ધરાવતો હોઉં એટલે મારું વાચન ઘણું ઉચિત હોય અને તેથી કૃતિ સાથેનો મારો મુકાબલો મારા માટે સાનુકૂળ હોય. મારાં એ સમાજશાસ્ત્રીય લેખાંજોખાં અનુસાર કૃતિ મહાન ઠરે. પરન્તુ જો એ કૃતિ મને મારા ગુજરાતી લેખકમિત્રની હોવાથી મહાન કે ઉત્તમ લાગી હોય, તો મારા એ મૂલ્યાંકનને ચોખ્ખું ન કહેવાય. અને, જો કોઈ કૃતિ ન-મિત્રની કે દુશ્મનની હોવાથી નિ:સામાન્ય લાગી હોય, તો પણ મારા એ મૂલ્યાંકન ચોખ્ખું નહીં કહેવાય.

હું રાજનીતિશાસ્ત્રનો પ્રકાણ્ડ પણ્ડિત હોઉં અને બીજા કોઈપણ શાસ્ત્રમાં મારી રુચિ હોય જ નહીં, અને હું “શાકુન્તલ” વાંચું, તો “શાકુન્તલ” મને નિ:સાર લાગે. પણ “સરસ્વતીચન્દ્ર”-માં ‘બુદ્ધિધનનો કારભાર’ કે ‘રત્નનગરીનું રાજ્યતન્ત્ર’ વાંચું તો એમાં મને ઘણો સાર વરતાય. એ જ રીતે, હું જો રોહિન્તન મિસ્ત્રીકૃત નવલકથા “એ ફાઇન બૅલેન્સ” વાંચું તો? કથામાં છે એ ચાર અજાણ્યા જન અને ૧૯૭૦-ના દાયકાની એ રાજદ્વારી ઊથલપાથલની નિરૂપણા મારી રાજનીતિપરક રુચિને ગમી જાય.

એ જ રીતે, હું જો ક્રાઇમ-ઇન્વેસ્ટર હોઉં કે ફૉરેન્સિક-નિષ્ણાત, તો જગવિખ્યાત મૂવી “ધ ગૉડફાધર” અને એ જ શીર્ષક ધરાવતી મારિયો પુઝોની નવલકથા પણ મને ગમી જાય. પાવરફુલ માફિયાઓ કેવું તો સમાન્તર રાજ ચલાવતા હોય છે, કેવું તો આગવું અર્થતન્ત્ર ગૂંથતા હોય છે, મને મજા પડે. અને ઘડીભર સમજો કે હું રીઢો ક્રિમિનલ હોઉં તો? તો તો એ સૃષ્ટિ જોઈને હું વારી જઉં, રાજીનો રેડ થઈ જઉં.

આ લેખના મારે ૪ સાર અંકે કરવા છે :

૧

આખા મામલામાં, નિર્ણાયક હોય છે, અભિગમ, વિચારસરણી, દૃષ્ટિભંગિ. 

હું આજે અનુ-આધુનિક લાગું કે ગઈ કાલે આધુનિક હતો, એમ ગણીએ છીએ ત્યારે, એ મામલમાં વાચનની આપણી ભૂમિકા જ નિર્ણાયક હોય છે.

૨

મારો અભિગમ, વિચારસરણી, દૃષ્ટિભંગિ, વાચન-ભૂમિકા નબળાં કે સબળાં હશે તો સંભવ છે કે મારું વાચન પણ નબળું કે સબળું હશે. એ સંજોગમાં હું આધુનિક સાહિત્યને કે અરે, અનુ-આધુનિક સાહિત્યને પણ ન્યાય નહીં આપી શકું બલકે હાનિ પ્હૉંચાડી બેસીશ.

૩

એક હકીકત અંકે કરવાજોગ છે : કોઈ કૃતિ મૂળે આધુનિક કે અનુ-આધુનિક હોય જ નહીં, તો એ આપણી વાચન-ભૂમિકાને નહીં ગાંઠે, આપણે ભૉંઠા પડી જઈશું. આપણી આધુનિકતાવાદી કે અનુ-આધુનિકતાવાદી વાચનભૂમિકા વ્યર્થ પુરવાર થશે, આપણે કશું લાભીએ નહીં.

૪

આપણને હંમેશા સવાલ થવો ઘટે કે અનુ-આધુનિક કૃતિ / કર્તા વિશેનાં આપણાં નિરીક્ષણો, વિવરણો, અર્થઘટનો અને મૂલ્યાંકનો અનુ-આધુનિક વિચારધારા અનુસારનાં ઑબ્જેક્ટિવ છે કે તેમાં ભેદભાવોથી લિપ્ત સબ્જેક્ટિવિઝમ પ્રવર્તે છે? 

સવાલ સાફ શબ્દોમાં થવો જોઇએ કે અનુ-આધુનિક સાહિત્યને આપણે આધુનિકતાને વિશેના દ્વેષભાવથી તો નથી વાંચતા ને? નારી અને દલિત તત્ત્વોવિષયક અનુ-આધુનિક સાહિત્યને આપણે ઉચ્ચાવચ લિન્ગભેદ અને ઉચ્ચાવચ વર્ણભેદની દૃષ્ટિએ તો નથી વાંચતા ને? 

કેમ કે ઉચ્ચાવચ લિન્ગભેદ સદીઓથી દૃઢ થયેલી પૈતૃક સત્તાની દેણગી છે અને વર્ણભેદ હીન અને કલંકિત વર્ણવ્યવસ્થાનું દુષ્ટતમ ફળ છે. એ બન્ને ભેદ આપણા લોહીમાં ભળી ગયા છે, ખરું કે નહીં?

= = =

(25 Jul 24 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બજેટ : સામાન્ય માટે અસામાન્ય અને અસામાન્ય માટે સામાન્ય

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 July 2024

રવીન્દ્ર પારેખ

નાણાં મંત્રી નિર્મલા સીતારામને સાતમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરીને વિક્રમ કર્યો તે સાથે જ ભા.જ.પે. બજેટને વખાણ્યું અને વિપક્ષે વખોડયું. બજેટ કોઈ પણ હોય, વખાણ-વખોડની આ ફોર્મ્યુલા નક્કી જ હોય છે. સંસદમાં બજેટ સાંભળ્યા વગર પાટલી ઠોકાતી રહે છે ને વિરોધ પણ થતો રહે છે. બજેટ હોય કે કૈં પણ હોય, જે તે પક્ષની માનસિકતા આ રીતે પ્રગટ થતી રહે છે. એમાં અત્યારે વિપક્ષ, આંધ્ર અને બિહારને અનુક્રમે પંદર હજાર અને સાંઠેક હજાર કરોડની લહાણી થઈ તેનો હોબાળો કરી રહ્યો છે. ચંદ્રાબાબુ તો 70,000 કરોડની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડની રિફાઇનરી અગાઉ જ પડાવી ગયા છે, એટલે એમને પણ લહાણી ઓછી થઈ નથી. એ સાચું કે બિહારના નીતીશકુમાર અને આંધ્રના ચંદ્રાબાબુ નાયડુને ટેકે ભા.જ.પ.ની સરકાર અત્યારે સત્તામાં છે, એટલે એને રાજી રાખવાનું સમજી શકાય એવું છે, પણ બંનેની અલગ રાજ્યની માંગણી કેન્દ્ર સરકારે નકારી છે એ ભૂલવા જેવું નથી. ધારો કે કાઁગ્રેસ આ રીતે સત્તામાં આવી હોત તો તેણે પણ સાથી પક્ષોને સાચવવા લહાણી કરી જ હોત તે સમજી લેવાનું રહે.

બીજી મહત્ત્વની વાત એ કે બજેટમાં જાહેરાત ન થઈ હોય એવું બને, પણ અન્ય રાજ્યોને કૈં જ મળ્યું નથી એવું નથી. પૂર્વોદય યોજનામાં જે પાંચ રાજ્યો સામેલ હતાં, એમાં બિહાર અને આંધ્ર સિવાય બંગાળ, ઓડિસા અને ઝારખંડ પણ છે, તે ઉપરાંત અસમને પૂર નિયંત્રણ અને મહારાષ્ટ્રને સિંચાઈ પરિયોજના માટે ફંડ ફાળવવામાં આવ્યું જ છે, એટલે આંધ્ર અને બિહારને જ બધું લૂંટાવી દેવાયું છે એ વાતમાં દમ નથી. અત્યારે ભલે દિલ્હીમાં કાઁગ્રેસી નેતા એમ કહે કે સત્તા બચાવવા બિહારને વિશેષ મદદ કરી, પણ પટનામાં એમના જ પક્ષના નેતા એવો આરોપ લગાવી રહ્યા છે કે બજેટમાં બિહારને કૈં મળ્યું નથી. ટૂંકમાં, કાઁગ્રેસે એ નક્કી કરી લેવું જોઈએ કે પોતાના જ પક્ષના બે નેતાઓમાંથી કોનો મત સ્વીકારવા જેવો છે.

એટલું છે કે આ વખતનું બજેટ મોદી સરકારની નવ પ્રાથમિક્તાઓ પર આધારિત છે, જેમાં કૃષિ, રોજગાર, માનવ સંસાધન વિકાસ, શહેરી વિકાસ … સામેલ છે. એમાં પણ બજેટમાં શિક્ષણ અને રોજગાર પર વિશેષ ધ્યાન અપાયું છે. રોજગારને પ્રોત્સાહન આપવા માટે પહેલી નોકરીએ ત્રણ હપ્તામાં 15,000(થી વધુ નહીં એ રીતે) અપાશે. કેન્દ્ર સરકારે ટોપ 500 કંપનીઓમાં 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશિપ આપવાની જાહેરાત કરી છે, જેમાં દર મહિને 5,000નું સ્ટાઇપેન્ડ અને 6,000નો વન ટાઈમ સપોર્ટ આપવામાં આવશે. એ તો થાય ત્યારે, પણ દર વર્ષે બે કરોડ યુવાનોને નોકરી આપવાનું અગાઉ બોલાઈ ચૂક્યું છે ને ત્યાંથી હવે પાંચ વર્ષમાં એક કરોડ રોજગાર પર વાત આવીને અટકી છે, એમાં જ સરકારની પ્રતિબદ્ધતા સમજાય એમ છે.

મધ્યમવર્ગી નોકરિયાતોને બજેટમાં કર રાહતની અપેક્ષા રહેતી હોય છે ને એમાં મોટે ભાગે નિરાશા જ સાંપડતી હોય છે. આ વખતે સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા 50,000થી વધારીને 75,000 કરવામાં આવી છે. ટેક્સ રેટના સ્લેબ બદલાયા છે ને એ દ્વારા 17,500ની કર રાહત અપાયાની વાત છે. ન્યૂ રિજિમ અને ઓલ્ડ રિજિમની યુક્તિ નાણા મંત્રીએ જ દાખલ કરેલી અને હવે ઓલ્ડ રિજિમ નાબૂદ કરવાની યુક્તિ હોય તેમ બધી જ કર રાહતો નવી રિજિમને જ લાગુ કરી છે. ઓલ્ડ રિજિમમાં કર રાહત મેળવવા લોકો પાસે બચત કરાવાતી હતી, તે સ્થિતિ નવી રિજિમમાં નથી. એટલે કરદાતાઓ હવે બચત નહીં કરે ને એનો અણીને વખતે જે લાભ એમને મળતો હતો એ નહીં મળે એમ બને.

વેલ, સરકારે 17,500 કરોડની કરવેરામાં રાહત આપતાં, એટલી ખોટ ખાવી પડશે, એવો અફસોસ કર્યો, ત્યારે દર મહિને 25,000 કરોડની વસૂલાત માત્ર જી.એસ.ટી. દ્વારા તે કરી રહી છે એ વાત તે કહેતી નથી. સરકાર પોતે જ કહે છે કે ગયા વર્ષનો 27લાખ 28 હજાર કરોડનો ટેક્સ આ વખતે વધીને 31 લાખ 29 હજાર કરોડ થયો, મતલબ કે 4 લાખ એક હજાર કરોડનો ટેક્સમાં વધારો થયો છે. આ 4.01 લાખ કરોડ કેન્દ્ર પાસે આવે છે લોકોના ગજવામાંથી. એ આવે છે ઇન્કમટેક્સ, જી.એસ.ટી., પેટ્રોલ ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી, અન્ય કરવેરામાંથી. આ રકમ લોકો પર ખર્ચાતી નથી, પણ 200 લાખ કરોડની લોનનું પોણા બાર લાખ કરોડ વ્યાજ ભરવામાં 4.01 લાખ કરોડ જાય એવું બને. ગયે વર્ષે જ 10 લાખ 44 હજાર કરોડ પર્સનલ ઇન્કમટેક્સ આવ્યો. આ વખતે એ 11 લાખ 88 હજાર કરોડ આવ્યો. મતલબ કે 1 લાખ 44 હજાર કરોડ એકસ્ટ્રા આવ્યા. આટલી રકમ લૂંટયા પછી પણ 17,500 કરોડની ઇન્કમટેક્સમાં અપાયેલી છૂટનું સરકાર રડે તો હસવું જ આવે કે બીજું કૈં? બજેટની અંદરની વાતો જોઈએ તો એટલું સમજાય છે કે સરકારે 17,500ની કર રાહત આપીને કોઈ ઉપકાર કર્યો નથી. પાંચ લાખની કરમુક્તિની મર્યાદાનું વચન તો આટલે વર્ષે ય સરકારથી પળાયું નથી, તે એટલે કે 3 લાખની મર્યાદા હોય તો ઘણાનો આવકવેરામાં સમાવેશ થઈ શકે. માત્ર 2 કરોડ લોકો જ ટેકસ ભરે છે, એટલે વધુ લોકો ટેક્સ ભરે એ જરૂરી પણ છે, પણ કેટલા લોકો ટેકસેબલ ઇન્કમ જેટલું કમાય છે એ જોઈએ તો બહુ મોટો આંકડો આવે એમ નથી. એ પણ ખરું કે જે ભરી શકે એમ છે એવા ખમતીધરો ટેક્સ ભરતા નથી ને મોટે ભાગે મધ્યમવર્ગના પગારદારો જ ઇન્કમટેક્સ ભરે છે.

સરકારે સંરક્ષણ માટે 400 કરોડનો વધારો કરી 6,21,940 કરોડ ફાળવ્યા છે. શસ્ત્રોની ખરીદી, પગાર-પેન્શન સંદર્ભે આ વધારો નજીવો છે. સુરક્ષાને મામલે આવી કરકસર જોખમી છે. કૃષિ આપણું ગ્રોથ એન્જિન છે એવું કહેનારી સરકારે ખાતરમાં ગયે વર્ષે 1 લાખ 89 હજાર કરોડ આપ્યા, આ વર્ષે ઘટાડીને 1 લાખ 64 હજાર કરોડ કરી દીધા. એમ કરીને 25,000 કરોડનું ‘ખાતર’ પાડ્યું. 5 કિલો અનાજ મળે છે એ ફૂડ સબસિડી ગયે વર્ષે 2 લાખ 12 હજાર કરોડ હતી તે ઘટીને 2 લાખ 5 હજાર કરોડ કરી દેવાઈ. 7 હજાર કરોડનો એમાં પણ કાપ આવ્યો. કૃષિનું બજેટ ગયે વર્ષે 1 લાખ 25 હજાર કરોડ હતું. આ વખતે તે થયું 1 લાખ 52 હજાર કરોડ. કૃષિમાં 27 હજાર કરોડનો વધારો દેખાય, પણ તે ખાતરમાંથી 25,000 કરોડ કાઢી લીધા પછીનો છે. સરકાર દ્વારા ઉલ્લેખિત નવ પ્રાથમિક્તામાં આરોગ્યનો સમાવેશ નથી. સરકારે કેન્સરની 3 દવાઓ કસ્ટમ ફ્રી કરતાં તે સસ્તી થશે, આયુષ્યમાન ભારતમાં મફત ઇલાજની વાતો તો ઘણી થાય છે, પણ 48.20 લાખ કરોડનાં બજેટમાં આરોગ્યની ઉપેક્ષા અસહ્ય છે.

100 સ્માર્ટ સિટીની વાતો દરેક બજેટમાં થાય છે, પણ દેશમાં કેટલી સ્માર્ટ સિટીઓ બની એ સ્પષ્ટ નથી. ગયે વર્ષે પૂરા ભારતનાં સ્માર્ટ સિટી મિશન માટે 8,000 કરોડ ફાળવાયા. એમાં પણ આ વર્ષે 2,400 કરોડ જ આપ્યા ને 5,600 કરોડ કાપી લીધા. લાગે છે સ્માર્ટ સિટી બની ગયા હશે અથવા તો એની જરૂર જ હવે રહી નહીં હોય. મનરેગામાં ત્રણ વર્ષ પહેલાં 90,000 કરોડ આપેલા. આ વખતે 86,000 કરોડ આપ્યા છે. આમ બધામાં કાપ જ મુકાતો ગયો છે. આદિવાસીઓ માટે બે વર્ષ પર 4,300 કરોડ આપેલા, આ વખતે પણ 4,300 કરોડ જ ફાળવાયા છે. આદિવાસીઓને મદદની મોટી મોટી વાતો થાય છે, પણ એને માટેનું બજેટ ફાળવવામાં ઉદારતા દાખવાતી નથી. લોકોના ગજવામાંથી 4 લાખ 1 હજાર કરોડ કાઢી લીધા પછી પણ, ફાળવાવું જોઈએ, એટલું ફાળવાતું નથી. એક બાબત સ્પષ્ટ છે કે જે આપે છે તેને જ ખંખેરવામાં આવે છે ને નથી આપતો તે વધુ કમાય એવી તકો આવી મળે છે. શેર બજારની આવક પર શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અનુક્રમે 12.5 અને 20 ટકા કરી દેતાં સેન્સેક્સમાં શરૂઆતમાં જ 1,500 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. ટેક્સના આ વધારાથી શેર બજારમાં રોકાણ કરનારા રાજી નથી. સાધારણ માણસ અસાધારણ રીતે લૂંટાય છે ને અસાધારણ માણસ સાધારણ રીતે કમાતો જ જાય છે. આ દેશના મોટા ઉદ્યોગપતિઓ એનાં ઉદાહરણો છે. આ બજેટથી મોંઘવારી અને તેનો માર વેઠતા ગરીબો ને મધ્યમવર્ગીઓને ખરેખર કેટલી રાહત થશે તે નથી ખબર, પણ આજ સુધી એવું રહ્યું છે કે બજેટમાં રાહતની વાતો તો થાય છે, પણ પીડામાં રાહત થતી નથી ….

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 જુલાઈ 2024

Loading

...102030...618619620621...630640650...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved