Opinion Magazine
Number of visits: 9665472
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાંડ્યાં પછીનું ડહાપણ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 August 2024

રવીન્દ્ર પારેખ

રાવ આઇ.એ.એસ. કોચિંગ સેન્ટરમાં અચાનક પાણી ભરાઈ જવાને કારણે ત્રણ વિદ્યાર્થીઓ શ્રેયા યાદવ, તાન્યા સોની, અને નેવીન ડાલ્વિનનાં મોત થયાં ને સંસદમાં પણ તેને લઈને ભારે હોબાળો થયો. જવાબદારીઓની ઢોળાઢોળ થઈ. દિલ્હીમાં આપનું શાસન છે એટલે તેને માથે ઠીકરું ફોડાયું ને આપે ઉપ-રાજ્યપાલને જવાબદાર ઠેરવી જવાબદારી કેન્દ્રની છે એમ કહી હાથ ઊંચા કરી દીધા. એ ભવાઈ ચાલ્યા કરશે ને બીજી કોઈ ઘટના બનશે કે આ વાત અભરાઇએ ચડી જશે, ત્યાં સુધીમાં થોડી ખરી ખોટી ધરપકડ થશે ને એકાદને ભેરવીને કથાવાર્તા પૂરી થશે. અત્યારે તો થાર ગાડીના ડ્રાઇવરને ભેરવવાની વાત છે. તેનો વીડિયો વાઇરલ થયો છે. તેણે ઝડપથી કાર હંકારી ને પાણી કોચિંગ સેન્ટરમાં ભરાયું. એ વીડિયો જોનારને ખ્યાલ આવે એમ છે કે કારની એવી સ્પીડ નથી કે એના ફોર્સને લીધે બારણું તોડીને પાણી સેન્ટરમાં ભરાય, પણ આ તો રાજા, વાજા ને વાંદરા છે, કોઇની પણ ગરદન ઝાલી શકે, તેમ અત્યારે ડ્રાઈવર શૂળીએ ચડાવાય એમ બને. વાત તો એવી પણ છે કે ગટરો સાફ ન થઈ, એટલે પાણી ભરાયાં. ઇસ્યુ પાણી ભરાયાં એનો આગળ કરાય છે, પણ કોઈ માઈનો લાલ ગળું ખોંખારીને કહેતો નથી કે બેઝમેન્ટમાં આઇ.એ.એસ.ના વર્ગો ચલાવી શકાય જ નહીં. બેઝમેન્ટમાં લાઇબ્રેરી હોય? પણ દિલ્હીમાં આઇ.એ.એસ.ના વર્ગો વર્ષોથી આ રીતે જ ચાલે છે ને એને 19 દિવસ પહેલાં જ ફાયર એન.ઓ.સી.નું સર્ટિફિકેટ્ પણ ઇસ્યુ થયું છે. વર્ગો ચલાવનારા અને એ રીતે ચાલવા દેનારા પૈસા માટે મરવા પડતા હોય છે. એમની પૈસાની ભૂખ એટલી છે કે રાક્ષસની ભૂખ તો કદાચને મટે, પણ આ વરુઓની ભૂખ મટે એમ નથી. ઇતિહાસનો લાભ એ છે કે એમાંથી કોઈ બોધપાઠ હવે લેવાનો રહેતો નથી, જેથી વિકૃતિઓનો નવો ઇતિહાસ આપોઆપ જ રચાતો આવે.

આગ લાગે ને ચોથે માળેથી વિદ્યાર્થીઓ ભડકો થઈને નીચે પડે કે નવો નકોર પુલ ખુલ્લો મુકાય ને 130થી વધુ લોકો લાશ થઈને પાણી પર તરે કે ગેમ ઝોનમાં પેટ્રોલની જ્વાળાઓમાં બાળકો સહિત થોડી લાશો એવી પડે કે એનાં અવશેષો પણ ના જડે. થોડાંક બાળકો તરવરાટ સાથે હોડીમાં બેસે ને લાશ થઈને જ તરી નીકળે … આવી તો એટલી ઘટનાઓ છે કે ગણતાં પાર ન આવે. આમાં એ જ વાત બહાર આવે છે કે ઇતિહાસમાંથી કૈં ન શીખવું અને નવો ઇતિહાસ રચાવા દેવો. માણસ છીએ તો જાણી લેવું કે આપણે જોવા માટે ને મતાધિકારનો ઉપયોગ કરવા માટે જ છીએ. એથી વધુ સંવેદનશીલ ન હોઈએ તો ચાલે.

આપણાં તંત્રો એટલાં સંવેદનશીલ છે કે કોઈ પણ ઘટના બને તે પહેલાં મરી ગયાં હોય એટલાં નિષ્ક્રિય હોય છે, પણ જેવું કૈં બને છે અને થોડી લાશો પડે છે તો એમનામાં જીવ આવી જાય છે ને અળસિયાંની જેમ આમથી તેમ દોડાદોડી કરી મૂકે છે, તે એવું બતાવવા કે તંત્ર એલર્ટ પર છે. કોચિંગ ક્લાસમાં પણ એમ જ થયું. એકાએક ધરપકડો કરી લેવામાં આવી. ધડાધડ આદેશો અપાયા. કોઈને બરખાસ્ત કરવાનું તો કોઈને સસ્પેન્ડ કરવાનું ચાલ્યું. સંસદમાં ટેબલ ટેનિસ રમાઈ ને પાણી વલોવવા જેવું જે થઈ શકે તે બધું જ આરોપ-પ્રત્યારોપને નામે ચાલ્યું. આ એવી ઘટના નથી કે પહેલી વખત જ બની હોય ને તંત્રને ગતાગમ જ ન પડે, બલકે, તંત્રોને અગાઉનો અનુભવ હોય ત્યારે તેને ગતાગમ વધારે જ નથી પડતી.

દિલ્હીનું જૂનું રાજેન્દ્ર નગર અને મુખર્જી નગર એવા ઇલાકા છે જે આઇ.એ.એસ. કોચિંગ હબ તરીકે અગાઉથી જાણીતાં છે. કેવી ઈમારતોમાં આ વર્ગો ચાલે છે ને વિદ્યાર્થીઓ કેવા સંજોગોમાં દૂર દૂરથી આવીને અભ્યાસ કરે છે તે કોઈથી છાનું નથી. અગાઉ આગ લાગવા જેવી ઘટનાઓ બની ચૂકી છે, પણ કોઈ પગલાં સાવચેતીનાં ન લેવાં એ તંત્રોનાં લોહીમાં ઊતરી ગયું છે. તંત્રો એટલાં સંવેદનહીન અને રીઢાં થઈ ચૂક્યાં છે કે તેમને જરા જેટલી પણ કોઈ વાત સ્પર્શતી નથી. આવી બીજી ઘટના થશે ત્યારે પણ તંત્રો આટલાં જ નીંભર અને નિર્લજ્જ થઈને બહાર આવશે. રાજકીય પક્ષો પણ કોઈએ તો જવાબદારી લેવી પડશે એવું કહે છે, પણ એમાં પોતાની જવાબદારી બનતી નથી એ મામલે તેઓ એકદમ સ્પષ્ટ છે.

ખુલાસો તો એવો પણ થયો છે કે આ સંસ્થાએ જ પૂરી ડ્રેનેજ સિસ્ટમ એવી રીતે બ્લોક કરી કે વરસાદ વધે તો પાણી બેઝમેન્ટમાં ભરાય. એમાં સુરક્ષા અને બચાવની કોઈ વ્યવસ્થા પહેલેથી જ ન હતી. સંસ્થાના સંચાલકો એટલા અમાનવીય છે કે લાખો રૂપિયા ફી વસૂલ્યા પછી પણ, બેઝમેન્ટની લાઇબ્રેરીનો ઉપયોગ કરનાર પાસેથી દર મહિને 4થી 5 હજાર વધારાના વસૂલાય છે. જે પણ રીતે પૈસા વસૂલી શકાય તે બધી જ રીતોથી આ બેશરમો વસૂલતા હોય છે. અહીં સવાલ એ થાય કે આ રીતે એન.ઓ.સી. આપવામાં તંત્રો કોઈ તપાસ કરે છે કે એમ જ સર્ટિફિકેટ આપી દેતાં હોય છે? હવે ત્રણ વિદ્યાર્થીઓ ડૂબી મર્યાં તો એમ.સી.ડી.એ નવ કોચિંગ સેન્ટર્સ સામે પગલાં ભર્યાં છે ને બેઝમેન્ટ સીલ કરવામાં આવ્યાં છે. ઉપ-રાજ્યપાલે પણ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. તેમણે તો કોચિંગ હબ બનાવવાની વાત પણ કરી છે, નાળાંની સફાઇ પણ થઈ ગઈ છે. કોચિઁગને લગતો કાયદો કરવાની વાત પણ છે. આ બધું ઘટના પહેલાં બનવું જોઈતું હતું, પણ તે થોડી લાશો પડે પછી થાય છે. એને રાંડ્યાં પછીનું ડહાપણ કહેવાય. જો કે, એ પણ ઓછું જ છે, કારણ રંડાવાનો તંત્રોને બહોળો અનુભવ છે. આમ તો આ બધું ખાતર પર દિવેલ જેવું છે. જે બેઝમેન્ટ સીલ કરવામાં આવ્યાં છે તે નાટકથી વધારે કૈં નથી. થોડા સમય પછી સીલ તૂટશે ને ફરી બધું ધમધમતું થશે. સવાલોનો સવાલ એ છે કે લાખોની ફી વસૂલતાં સેન્ટર્સ બેઝમેન્ટમાં હોવાં જ શું કામ જોઈએ? બેઝમેન્ટમાં લાઇબ્રેરી હોય, સેંકડો વિદ્યાર્થીઓ સાંકડી જગ્યામાં આવજા કરતાં હોય, ત્યાં તમામ બેઝમેન્ટનો સફાયો થવો જોઈએ, તેને બદલે સીલ કરવામાં આવે એ બધી રીતે ધિક્કારને પાત્ર છે. ખરેખર તો વિદ્યાર્થીઓએ જ એનો બહિષ્કાર કરવો જોઈએ. ગૂંગળાઈ મરાય એવી જગ્યાનો  એમણે સાર્વત્રિક બહિષ્કાર કરવો જોઈએ. કોઈ જ બેઝમેન્ટમાં ન બેસે તો સંચાલકો પથરાને શિખવવાના હતા !

સંસ્થાઓ સીલ કરવાનાં નાટકો તો ચાલતાં જ રહેવાનાં છે. ગેમઝોનમાં આગ લાગી તો ગુજરાતમા ફાયર એન.ઓ.સી.નું નાટક ચાલ્યું ને ઘણી સ્કૂલો સીલ કરવામાં આવી. વિદ્યાર્થીઓનું ભણતર અટકી પડ્યું. હાઇકોર્ટે દખલ કરવી પડી કે ફાયર એન.ઓ.સી.નો અર્થ સ્કૂલો બંધ કરાવવાનો નથી, પણ અણઘડ તંત્રો ભાગ્યે જ અક્કલ વાપરવામાં માનતાં હોય છે. દિલ્હી હાઇકોર્ટે પોલીસની ઝાટકણી કાઢતાં સ્પષ્ટ કર્યું છે કે બઝમેન્ટની ઘટના અધિકારીઓની મિલીભગતનું પરિણામ છે.

આ અને આવી ઘટનાઓ પરથી એટલું સ્પષ્ટ થાય છે કે ઠેર ઠેર ભ્રષ્ટાચાર ને હરામની કમાણી કરવાની દાનતે માનવીય મૂલ્યોનો સર્વનાશ કર્યો છે. માણસ મરે ને મરતો જ રહે તો અરેરાટી પણ નથી થતી. માણસો પણ એટલા નિષ્ઠુર થયા છે કે આવું બધું તો બન્યા કરે, રોજ મરે તેને કોણ રડે – એવી માનસિકતા થતી આવે છે. એને હવે અનુભવાતું નથી. રોબોટને સંવેદન હશે, પણ માણસને ન હોય તેમ તે નિસ્પૃહી થઈ ગયો છે. એને આંખો છે, પણ આંસુ નથી. હૈયું ધબકે છે, પણ ધબકાર અનુભવાતો નથી. આ સ્થિતિ ઈચ્છવા જેવી નથી. અકસ્માતોમાં લાશ પડે તે સરકારી વળતર માટે નથી. એ અત્યંત દુ:ખદ છે કે આપણું રૂંવાડું ય ફરકતું નથી, કારણ ચામડી જ બચી નથી …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 ઑગસ્ટ 2024

Loading

જાતિ જનગણના, બારણે ટકોરા : બહુ બહુ ઠેલ્યું વિષમતા નિર્મૂલન

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 August 2024

પૂર્વમંત્રી અનુરાગ ઠાકુરનાં હીન વચનોની બચકાના અનુમોદનામાં છલકાતું સત્તામાનસ તળિયાઝાટક તપાસ માંગે છે … ઇનફ ઇઝ ઇનફ !

પ્રકાશ ન. શાહ

જાતિગણનાનો મુદ્દો હમણેની લોકસભાની ચૂંટણીમાં ઠીક ગાજ્યો હતો અને ઉત્તર પ્રદેશની લોકસભાની બેઠકો પર સમાજવાદી પક્ષ ને કાઁગ્રેસ ભા.જ.પ.ને પરાસ્ત કરી શક્યા તેમાં પિછડે-દલિત-અલ્પસંખ્યક(પી.ડી.એ. ફોર્મ્યુલા)ની અસરકારક ભૂમિકા રહી હતી. પચીસ-ત્રીસ વરસ રહી હતી. પચીસ-ત્રીસ વરસ પર ભા.જ.પ.ના મંદિર મુદ્દા સામે વિશ્વનાથ પ્રતાપસિંહ મંડલાસ્ત્ર ઉગામી કેટલાક સમય માટે એની કૂચ રોકી હતી. હાલના વડા પ્રધાને જ્યારે દિલ્હી નીમ્યા દંડનાયક તરીકે ગુજરાતનો હવાલો સંભાર્યો ત્યારે પોતાના અધિકૃત પરિચયની સત્તાવાર યાદીમાં પોતે પછાત સમુદાયમાંથી આવે છે એ ઉપસાવવાની ખાસ કાળજી લીધી હતી અને મંદિર-મંડલ મિલાવટની અક્સીર રાજનીતિ ખેલી જાણી હતી. વિકાસના વરખ સોતી આ રાજનીતિ એમને ફળી તેનું પ્રમાણ 2014થી 2024ના દસકા થકી સૌને મળી પણ રહ્યું છે.

છેલ્લા ત્રણ દાયકાની ભારતીય રાજનીતિના ટૂંકા ચિત્રણથી અહીં શરૂઆત કરી એની પાછળ લાગેલો ધક્કો અલબત્ત મંગળવારે અને બુધવારે જે રીતે જાતિગણનાના પ્રશ્ને લોકસભાને માથે લીધી છે એનો છે. અંદાજપત્રની સાથે, વસ્તુતઃ દેશના એકંદર અર્થકરણ અગર અનર્થકારણ સાથે, આ પ્રશ્ન ગાઢપણે સંકળાયેલો છે. વિકાસનાં ફળ અને વિકાસની તક નીચે સુધી ઝમતાં નથી અને બધી જ વિકાસજોગવાઈઓ કોઈની જશમાં કોઈની જંધામાં અટવાઈ જઈ સરવાળે ક્રિમી લેયરમાં મોક્ષ પામે છે. તાજેતરનાં વર્ષોમાં આપણા અર્થકારણે કેટલા અબજપતિઓ પેદા કર્યા એ સમાચારથી રાજાના મહેલના દીવા જોઈ જમનાની ઠંડીમાં ગરમી અનુભવવાની કોશિશ કરનાર આમ આદમી પેઠે રાજી થવાની નિયતિ આ દેશના જનસાધારણની રહી છે.

સમજવાનો મુદ્દો અહીં એ છે કે આ વિષમતામાં આપણા હાડમાં પડેલી જાતિપ્રથાનુંયે ચોક્કસ યોગદાન છે. ખેડૂતોને ટેકાના ભાવ ધોરણસર ને સમયસર માટે એ માંગ દિલ્હી દરબારની ભાગોળે ટુંટવાઈને પડી છે, તો ખેતમજૂરોનું ખુદનું શું એવો પ્રશ્ન આપણને થાય એ ય સ્વાભાવિક છે. ભાઈ, આ ખેતમજૂર એ તો રૂપાળું નામઝભલું છે. તે ઘણુંખરું દલિત હોય છે એ સાદી વાત આપણા ખયાલમાં જ નથી આવતી.

નહીં કે સમાનતા માટેની, ખરું જોતાં જો કે, વિષમતા ઘટાડવાની, કોઈ હિલચાલ થઈ જ નથી. લોહિયાએ અસરકારકપણે આ મુદ્દો ઉચક્યો હતો અને જયપ્રકાશના આંદોલન આસપાસ કર્પુરી ઠાકુરથી માંડી મુલાયમ ને લાલુ જેવાના પ્રવેશે એનાં કંઈક ઇંગિત પણ આપેલાં છે. માયાવતી મુખ્ય મંત્રીપદે પહોંચી શક્યાં એમાં દલિત અગ્રતાપૂર્વકની સર્વસમાજ ફોર્મ્યુલાનો હિસ્સો પણ ઇતિહાસદર્જ છે.

અલબત્ત, આ બધી રાજકીય ઘડભાંજ છતાં, જૂના વારાનો પ્રયોગ તાજો કરીને કહીએ તો આપણી જે ‘પોલિટિકલ ઇકોનોમી’ છે તે એક નાનકડા વર્ગનો માલિકીભોગવટો બની રહેલ છે. રાહુલ ગાંધીએ મંગળવારે ચિત્રાત્મક રીતે લોકસભામાં કહ્યું તેમ આ આખી અવસ્થા એટલે કે અનવસ્તા ચક્રવ્યૂહ સરખી, અને એને ભેદવા સારુ જાતિગણનાનો 2010નો સંસદીય નિર્ધાર, જેમાં કાઁગ્રેસ ને ભા.જ.પ. સહિત સૌ સામેલ હતા, અમલમાં મૂકવાની તાકીદ છે. ક્યાં કોને કેટલું મળે છે અને મળવું જોઈએ તેની વાસ્તવિક ગણતરી વગર ‘સબકા વિકાસ’નું સૂત્ર ખાલી ખાલી ખખડે છે.

મુશ્કેલી એ છે કે, જાતિની વાત નીકળે એટલે સમાજમાનસ અને સત્તામાનસ અકળાઈ ઊઠે છે – કારણ, વિનોબા કહેતા તેમ, જાતિ વો હૈ જો જાતી હી નહીં! આ જાતિ જતી નથી એનું કમનસીબ પ્રમાણ લોકસભાની ચર્ચામાં પૂર્વમંત્રી અનુરાગ ઠાકુરના એ હીણા ઉદ્દગારોથી મળ્યું કે જેમની જાતિના કોઈ ઠેકાણાં નથી (કોઈ જાણતું નથી) તેવા લોકો જાતિગણનાની વાત કરે છે. અનુરાગ ઠાકુરની રજૂઆતને એક્સ વાટે સર્વોચ્ચ સત્તાસ્થાનેથી અનુમોહના મળી રહી તે આ કમનસીબીને કરપીણ બનાવે છે.

વાસ્તવિકતા એ છે 1881 અને 1931 સેન્સસમાં જાતિગણના ઠેલાતી રહી છે. વિકાસનાં ફળ બધે પહોંચે તેને માટે અનિવાર્ય જરૂરતો પૈકી આ એક પાયાની જરૂરત છે ત્યારે તું કયા કુળનો એ જીર્ણ માનસિકતા ખંખેરી આગળ વધવાની તાકીદ સાફ છે.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 31 જુલાઈ 2024

Loading

ગિગ વર્કર્સની હાલત અસંગઠિત શ્રમિકો કરતાં બદતર છે.

ચંદુ મહેરિયા|Opinion - Opinion|1 August 2024

ચંદુ મહેરિયા

૨૦૨૩માં રાજસ્થાનની કાઁગ્રેસ સરકારે ગિગ વર્કર્સના કલ્યાણ અને રજિસ્ટ્રેશન અંગેનો કાયદો ઘડ્યો હતો. દેશના લાખો ગિગ વર્કર્સને લગતો કાયદો ઘડનારું રાજસ્થાન દેશનું પહેલું રાજ્ય છે. હવે તેના પગલે કર્ણાટકની કાઁગ્રેસ સરકારે ગિગ વર્કર્સ સંબંધી અધિનિયમનો મુસદ્દો તૈયાર કરી, જાહેર ચર્ચા માટે મુક્યો છે. તેલંગાણા સરકાર પણ આવો કાયદો ઘડવાની છે. કાઁગ્રેસે તેની રાજવટના રાજ્યોમાં કાયદો ઘડી રાષ્ટ્રીય કક્ષાએ પણ ગિગ વર્કર્સ સંબંધી કાયદો બનાવવાની કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરી છે. તેને કારણે ગિગ ઈકોનોમી અને ગિગ વર્કર્સ ચર્ચામાં છે.

આપણે સ્માર્ટ ફોનથી કોઈ એપ મારફત ઓર્ડર કરીએ અને ગણતરીની મિનિટોમાં બહાર જવા કેબ ઘરના આંગણે આવી જાય કે કોઈ ઘરે જમવાનું અને બીજી ચીજો આપી જાય તો આ વ્યવસ્થા પર આપણે વારી જઈએ છીએ. પરંતુ આ વ્યવસ્થાની કરોડરજ્જુ સમા કામદારો-કર્મચારીઓની હાલત અંગે સાવ બેખબર હોઈએ છીએ. ગિગ ઈકોનોમી મુક્ત બજાર પ્રણાલી છે અને તે આર્થિક ઉદારીકરણની ઉપજ છે. કેબ ડ્રાઈવર, ડિલિવરી કરનારા વ્યક્તિઓ, સોફ્ટવેરની કામગીરી સાથે સંકળાયેલા લોકો, વ્યવસાયી સેવાઓ, સમૂહસેવાઓ, વકીલ, પત્રકાર, ફોટોગ્રાફર, લેખક, વેબ ડિઝાઈનર અને એવાં બીજાં કામો સાથે સંકળાયેલા લોકો ગિગ વર્કર્સના રૂપાળા નામે ઓળખાય છે.

ગિગ વર્કરની કોઈ ચોક્કસ વ્યાખ્યા હજુ ઘડાઈ નથી, પરંતુ સામાજિક સુરક્ષા સંહિતા, ૨૦૨૦ના અધ્યાય ૧, ખંડ-૨(૩૫)માં તેની અધૂરી અને અસ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે. તેમાં ગિગ વર્કરને એક વ્યક્તિના રૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે. તે એક એવી કાર્ય વ્યવસ્થાનો ભાગ છે જેમાં તે મજૂર-માલિક સંબંધોથી પર રહીને પોતાની રોજી મેળવે છે. એક અર્થમાં ગિગ શ્રમિકો અસંગઠિત શ્રમિકોનું વિસ્તરણ છે. અંશકાલીન, સ્વનિયોજિત કે એકાધિક કામ કે નોકરી કરનાર વ્યક્તિ ગિગ શ્રમિક ગણાય છે. તેના કામના કલાકો, કામનું પ્રમાણ અને રોજી સાવ અનિશ્ચિત હોય છે. તે કોઈ કંપની કે સંસ્થાના હાજરીપત્રક પર નથી હોતા અને પગારપત્રક પર પણ નથી હોતા. પરંતુ તે કંપની કે સંસ્થાનું કામ કરે છે. કહેવા ખાતર તો તેઓ પોતાના જ માલિક છે. મનમરજીનું કામ મન પસંદ સમયે કરે છે અને રિસેષ કે રજા માટે કોઈની પરવાનગી લેવાની હોતી નથી, પરંતુ વાસ્તવિકતા જુદી છે. કહેવાતા માલિક સાથેનો તેનો સંબંધ ટૂંકા ગાળાનો અને કામ પૂરતો જ હોય છે.

ગિગ વર્કર્સ માત્ર ભારત પૂરતા સીમિત નથી. આખી દુનિયામાં છે. મૂડીવાદી અમેરિકામાં  લગભગ સાડા છ કરોડ ગિગ વર્કર્સ છે. હવે પછીના પાંચેક વરસોમાં અમેરિકામાં કામ કરનારાઓમાંથી અડધોઅડધ ગિગ વર્કર્સ હશે. ૨૦૨૩માં વિશ્વ આખાના અર્થતંત્રમાં ગિગ ઈકોનોમીનું  પ્રદાન ૪૫.૫ કરોડ ડોલરનું હતું.

હાલમાં ભારતમાં અંદાજિત ૭૭ લાખથી ૧.૫ કરોડ ગિગ વર્કર્સ છે. આ દાયકાના અંતે તે વધીને ૨.૪ કરોડ થવાની ધારણા છે. સૌથી ઓછા ૧ લાખ ગિગ વર્કર્સ શિક્ષણમાં અને સૌથી વધુ ૨૬.૬ લાખ રિટેઈલ ટ્રેડ એન્ડ સેલ્સમાં કામ કરે છે. ૧૩ લાખ ટ્રાન્સપોર્ટેશન, ૬.૩ લાખ ફાયનાન્સ અને ઈન્સ્યુરન્સમાં અને ૬.૨ લાખ મેન્યુફેકચરિંગ ક્ષેત્રે કામ કરી રોજી મેળવે છે. નીતિ આયોગના અહેવાલમાં ૨૦૧૯-૨૦માં ૪૭ ટકા ગિગ શ્રમિકો મધ્યમ કૌશલ્યના રોજગારમાં, ૩૧ ટકા નિમ્ન કૌશલ્યમાં અને માત્ર ૨૨ ટકા જ ઉચ્ચ કૌશલ્યની નોકરીઓમાં હતા. ૨૦૨૦-૨૧માં દેશના ટોટલ વર્કફોર્સમાં ૧.૫ ટકા અને બિનકૃષિમાં ૨.૬ ટકા ગિગ વર્કર્સ હતા.

અસંગઠિત ક્ષેત્રનો વિસ્તાર મનાતા ગિગ વર્કર્સની હાલત અસંગઠિત શ્રમિકો કરતાં બદતર છે. માર્ચ ૨૦૨૪માં જાહેર થયેલા ગિગવર્કર્સ અંગેના બે સર્વેક્ષણોમાં પણ આ બાબત ઉજાગર થઈ છે. ‘જનપહેલ’ નામક સ્વૈચ્છિક સંસ્થાએ ૩૨ શહેરોના પાંચ હજાર ગિગવર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સનો અભ્યાસ કર્યો હતો. ઇન્ડિયન ફેડરેશન ઓફ એપબેસ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સે દેશના આઠ મોટા શહેરોના ૫૩૦૨ કેબ ડ્રાયવરો અને ૫૦૨૮ ડિલિવરી મેનનું સર્વેક્ષણ કર્યું હતું. પ્રથમ સર્વેક્ષણ હેઠળના કામદારોમાંથી ૮૫ ટકા, ૩૦થી ૫૦ વરસના જ્યારે બીજા સર્વેક્ષણના ૭૮ ટકા, ૨૧ થી ૪૦ વરસના હતા. બંને સર્વેક્ષણના તારણોમાં કામના કલાકો, કામનો પ્રકાર અને માસિક આવકની વિગતો ચિંતાજનક છે. ગિગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સના ૫૭ ટકા ૨થી ૫ વરસથી અને ૧૬ ટકા ૫ કરતાં વધુ વરસોથી કામ કરતા હતા. મતલબ કે કામની કોઈ ખાતરી કે સલામતી નહોતી. નોકરીની અસાલમતીનું કારણ ૮૭ ટકાના મતે ઓછા સમયમાં સેવા પૂરી પાડવી તે છે. અગાઉની તુલનામાં હવે તેમની સંખ્યા વધી છે પણ આવક ઘટી છે. ૧/૩ કેબ ડ્રાઈવર ૧૪ કલાક, ૬૦ ટકા ૧૨ કલાક અને ૮૩ ટકા ૧૦ કલાકથી વધુ કામ કરે છે. અહીં પણ જ્ઞાતિગત અસમાનતા જોવા મળી છે. બિનઅનામત વર્ગના માત્ર ૧૬ ટકાની સરખામણીએ દલિત-આદિવાસી ૬૦ ટકા કેબ ડ્રાઈવરો ૧૪ કલાકથી વધુ કામ કરે છે. ૪૩ ટકાને રોજના રૂ.૫૦૦ અને મહિને રૂ.૧૫,૦૦૦ રોજી મળે છે. ૩૪ ટકા માસિક ૧૦ હજારથી ઓછું કમાય છે. કંપનીઓ અનુચિત, મનફાવતું અને અસ્પષ્ટ કમિશન લેતી હોવાની અને ગ્રાહકો દુર્વ્યવહાર કરતા હોવાની ફરિયાદ લગભગ બધાની હતી.

ગિગ વર્કસને અસંગઠિત ક્ષેત્રના કામદારોને મળતું કાયદાકીય રક્ષણ મળતું નથી. કેમ કે શ્રમિક કાયદાઓમાં તેમનો સમાવેશા કરવામાં આવ્યો નથી. ગિગ વર્કર્સને લઘુતમ વેતન, પેન્શનરી લાભો, આરોગ્યની સેવાઓ, સવેતન અઠવાડિક કે અન્ય રજાઓ મળતી નથી. રાજસ્થાન અને અન્ય કાઁગ્રેસશાસિત રાજ્યોના ગિગ વર્કસને લગતા કાયદા પણ તેમના અધિકારોના બદલે કલ્યાણને લગતા વધુ છે. રાજસ્થાન અને કર્ણાટકના કાયદામાં પ્લેટફોર્મ આધારિત ગિગ વર્કર્સનો જ સમાવેશ થાય છે. જે લોકો ઓનલાઈન અલ્ગોરિથમ મેચિંગ પ્લેટફોર્મ કે એપનો ઉપયોગ કરે છે તે પ્લેટ આધારિત ગિગ વર્કર્સ છે પરંતુ તેનો ઉપયોગ ન કરનાર કે તેની બહાર રહીને કામ કરતા ગિગ વર્કર્સની સંખ્યા ઘણી મોટી છે. તેમનો સમાવેશ કાયદામાં થયો નથી. ગિગ વર્કર્સને કર્ણાટકનો પ્રસ્તાવિત કાયદો નબળો લાગે છે તો તેમના માલિકોના સંગઠનને કાયદો જરા ય સ્વીકાર્ય નથી.

જ્યારે દેશ અને દુનિયામાં ગિગ ઈકોનોમી અને ગિગ વર્કર્સમાં વૃદ્ધિ થઈ રહી છે ત્યારે ગિગ વર્કર્સને અસંગઠિત શ્રમિકોને મળતા હક અને લાભ મળવા જોઈએ. લઘુતમ વેતન, કામના નિર્ધારિત કલાકો, પારદર્શી અને નિષ્પક્ષ ચુકવણાની વ્યવસ્થા, કલ્યાણ બોર્ડ અને કલ્યાણ કોષની રચના જેવા પગલાં લેવા જોઈએ. આગામી યુનિયન બજેટને માત્ર આવકવેરાની મુક્તિ મર્યાદાની સંકુચિત નજરે સારા કે નરસા તરીકે મુલવવાને બદલે ગિગ સહિતના અસંગઠિત શ્રમિકોના હિતની દૃષ્ટિએ મુલવવું જોઈએ. જેમની પાસે સ્માર્ટ ફોન કે ઈન્ટરનેટની સુવિધા નથી તેમના માટે તો ગિગ વર્કર્સ બનવું પણ મુશ્કેલ છે. એટલે ડિજિટલ ડિવાઈડના દૃષ્ટિકોણથી પણ આ બાબતને ચકાસવી જોઈએ.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...614615616617...620630640...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved