Opinion Magazine
Number of visits: 9665751
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—259

દીપક મહેતા|Opinion - Opinion|3 August 2024

પત્ની સાથે ઝવેરીની દુકાનમાં ઊભેલા સિદ્ધાર્થને કોણ બોલાવી રહ્યું હતું?                                                                                                      

એ જમાનામાં સાહિત્ય સહવાસ એટલે સિદ્ધાર્થ માટે તો સંકટ સમયની સાંકળ. હનુમાન નગરનું ઝૂંપડું તો જમીનદોસ્ત થઈ ગયું. હવે? સાહિત્ય સહવાસમાં ‘અભંગ’ મકાન હજી હમણાં જ બંધાઈને તૈયાર થયેલું. એ મકાનના બધા રહેવાસી હજી રહેવા આવ્યા નહોતા. અને પોતાની ચોપડીઓ અને કપડાંનાં પોટલાં લઈને સિદ્ધાર્થે ધામા નાખ્યા ‘અભંગ’ની ગચ્ચી કહેતાં અગાસીમાં. આખો દિવસ તો બહાર રહે – કોલેજમાં, લાયબ્રેરીમાં કે કોઈ દોસ્તને ત્યાં. રાતે સૂવા માટે અગાસી. ‘અભંગ’ના ચોથા માળે પાલકરસાહેબ રહેવા આવ્યા. તેમને રોજ રાતે જમ્યા પછી અગાસીમાં આંટા મારવાની ટેવ. પહેલા એક-બે દિવસ તો સિધ્દ્ધાર્થનો જીવ ઊંચો. આ સાહેબ વાંધો લેશે તો? અગાસીમાંથી જવાનું કહેશે તો? પણ સાહેબ સમજુ હતા, માયાળુ હતા. ક્યારેક ખબરઅંતર પણ પૂછી લેતા. બારમા ધોરણથી માંડીને છેક એમ.કોમ. સુધીની પરીક્ષાઓ સિદ્ધાર્થે આ અગાસીમાં રહીને આપી! 

સિદ્ધાર્થ પારઘે

ઓટલો નહિ, તો રહેવા અગાસી તો મળી. પણ રોટલાનું શું? એ જમાનો હતો આરે મિલ્ક કોલોનીની દૂધની બાટલીઓનો. સવારે વહેલા ઊઠી ખાલી બાટલીઓ ભરેલા થેલા લઈ મિલ્ક સેન્ટર પર જવાનું. બદલામાં દૂધ ભરેલી બાટલીઓ લેવાની. ચાર-ચાર માળનાં કુલ અગિયાર મકાન. એ વખતે એક્કેમાં લિફ્ટ નહિ. દરેક મકાનના દાદરા ચડી ઊતરી સવારે ઘેર ઘેર દૂધ પહોંચાડવાનું અને રાતે ખાલી બાટલી અને બીજા દિવસના દૂધના પૈસા લેવા જવાનું. દૂધ પહોંચાડ્યા પછી કંપાઉંડમાં ઊભેલી મોટરો ધોવાની. મફતનો કોઈનો એક પૈસો પણ લેવો નહિ એવી ગાંઠ મનમાં વાળેલી. BC(પછાત જાતિ)ના સભ્ય તરીકે મળતો કોઈ લાભ ક્યારે ય લેવો નહિ એવું નક્કી કરેલું. એટલે જાતે નવાં નવાં કામ શોધી લે. કોલનીનાં અગિયાર મકાનની અગાસીમાં પાણીની ટાંકી. પણ કોલની બંધાઈ ત્યારથી સાફ કરાવી નહોતી. એ અગિયારે અગિયાર ટાંકી એકલે હાથે સાફ કરવાનું બીડું સિદ્ધાર્થે ઉપાડી લીધું, એક ટાંકીના સો રૂપિયા લેખે. અને જિંદગીમાં પહેલી વાર એક સાથે ૧,૧૦૦ રૂપિયા હાથમાં આવ્યા. 

કોલનીના રહેવાસીઓમાંના એક ફડણીસ કાકા. ભાભા એટોમિક રીસર્ચ સેન્ટરની માન-મોભાવાળી નોકરી છોડીને પોતાનો સ્વતંત્ર ધંધો શરૂ કરેલો. એ વખતે હજી દેશમાં કમ્પ્યુટર નવાં નવાં, પણ એના કામકાજમાં ઝૂકાવેલું. ૧૯૮૫માં સિદ્ધાર્થ ટી.વાય. બીકોમની પરીક્ષા આપે. અને એક દિવસ ફડનીસ કાકા પરીક્ષા હોલમાં દાખલ. આખા કલાનગર વિસ્તારમાં તેમને માટે એટલું માન કે કોઈ તેમને રોકે તો શાનું? સીધા ગયા સિદ્ધાર્થ પાસે. કહે : “સિદ્ધાર્થ! છેલ્લો પેપર આપીને સીધો મને મળવા આવજે. પરીક્ષા પછી નોકરીની ચિંતા ન કરતો. તને નોકરીની જરૂર છે. મને મારા કામમાં મદદ કરવા તારા જેવા જુવાનની જરૂર છે.” પરીક્ષા પૂરી થઈ તે જ દિવસથી દોઢ સો રૂપિયાના પગારની એકાઉન્ટટની નોકરી શરૂ! 

*

‘કોલની’ ઉર્ફે સાહિત્ય સહવાસ

૨૬ જૂન, ૨૦૦૫, રવિવાર. સમય બપોરના ત્રણ. સાધારણ રીતે આ ટાઈમે સાહિત્ય સહવાસમાં સોપો પડી ગયો હોય. ઘણાખરા બપોરની વામકુક્ષી માણતા હોય. પણ આજે કોલનીના ઘણાબધા લોકો ‘આનંદવન’ મકાન પાસે એકઠા થઈ ગયા હતા. આગલે દિવસે, અને રાતે પણ, ભરપૂર વરસાદ પડ્યો હતો.  ઘણાના ચહેરા પર ટીપાં હતાં – વરસાદના પાણીનાં નહિ, આંસુનાં. સિદ્ધાર્થ ખેરવાડીની એક ચાલની ડબલ રૂમમાં રહેતો હતો, એ વખતે. ત્યાંથી નીકળીને એક એમ્બ્યુલન્સ કોલનીમાં દાખલ થઈ, ‘આનંદવન’ બિલ્ડિંગ પાસે આવીને ઊભી રહી. તેમાંથી હળવે હાથે લક્ષ્મણ પારઘેના પાર્થિવ દેહને નીચે ઊતારીને ‘આનંદવન’ નીચેની ખાલી જગ્યામાં ગોઠવ્યો. આ મકાન બંધાયું તે પહેલાં અહીં એક મોટો પથરો હતો. એ જ પથરા પર આખો દિવસ ભૂખ્યા-તરસ્યા બેસીને લક્ષ્મણે કોન્ટ્રેક્ટર શેઠની રાહ જોઈ હતી – અહીં નાનુંમોટું કામ મળી જશે એવી આશાથી. બધાં મકાન બંધાઈ ગયા પછી, એ પથરાની જગ્યાએ જ બંધાયેલ ‘આનંદવન’ નીચે બેસી કોલનીની રખેવાળી કરી. અને આજે છેલ્લી વિદાય પણ અહીંથી … કેટલાકે હાર ચડાવ્યા, કેટલાકે ફૂલ. કોઈકે પ્રદક્ષિણા કરી. અને સાહિત્ય સહવાસે તેના એક મૂંગા ઘડવૈયાને આખરી વિદાય આપી. 

… એ જ લક્ષ્મણ પારઘેનો દીકરો સિદ્ધાર્થ હવે એ જ કોલનીમાં પોતાના ફ્લેટમાં રહે છે.

તી ફુલરાણી

દીકરાને અમેરિકા ભણવા મોકલ્યો છે. મોટર પણ લીધી છે. પણ કોણ જાણે કેમ સિદ્ધાર્થના મનમાં સોનું ખરીદવાની ભારે સૂગ. એને મન સોનું ખરીદવું એટલે પૈસાનો બગાડ. પણ પત્ની ભારતીને સોનાની બંગડી ખરીદવાની ભારે હોંશ. થોડા દિવસ તો આજે જશું, કાલે જશું, કહી વાત ટાળી. પણ પછી એક રવિવારની બપોરે પોતાની મોટરમાં બેસીને આંબેડકર ઉદ્યાન નજીકની ઝવેરીની દુકાને સિદ્ધાર્થ અને ભારતી પહોચી ગયાં. ભારતી તો ઘરેણાં જોવામાં મશગુલ. પણ સિદ્ધાર્થને લાગ્યા કરે કે કોઈક મને બોલાવી રહ્યું છે. દુકાનની બહાર આવ્યો. બાજુમાં જ બીજી દુકાન વાસણોની. અંદર નજર નાખી, અને એક છાજલી પર ગોઠવેલા પિત્તળના ઝગારા મારતા કળશા પર નજર ખોડાઈ ગઈ. કાનમાં ભણકારા વાગતા હતા : ‘મને તારે ઘરે લઈ જા, લઈ જા સિદ્ધાર્થ.’ 

ના, આ એ જ કળશો તો નહોતો, પણ હતો અદ્દલ એના જેવો. વર્ષો સુધી સિદ્ધાર્થનાં આઈ-બાબાના ઘરમાં ધાતુનાં ફક્ત બે જ વાસણ. એક, અદ્દલ આવો જ પિત્તળનો કળશો, અને બીજી, જર્મન સિલ્વરની નાની થાળી. વરસો સુધી રોજ સવાર-સાંજ ઘરનાં બધાં વારાફરતી એ નાની થાળીમાં જમે, અને એ એક જ કળશામાંથી પાણી પીએ. ઘડી ભર તો મન લલચાયું. પત્ની સોનાની બંગડીઓ ખરીદે છે, તો હું આ કળશો ખરીદી લઉં. ભાવ પૂછવા જતો હતો ત્યાં જ જાણે ક્યાંકથી અવાજ આવ્યો : ‘સિદ્ધાર્થ! આજે તારી પાસે શું નથી? આ કળશો તારા ઘરમાં હોય કે ન હોય, ઝાઝો ફેર પડવાનો નથી. પણ કોઈ ગરીબગુરબું આવીને ખરીદીને ઘરે લઈ જશે તો … અને સિદ્ધાર્થને યાદ આવી ગયું : વરસો પહેલાં, પૈસાની ખૂબ જરૂર હતી ત્યારે, બાબાએ આ જ દુકાને ઘરનો પિત્તળનો કળશો ગીરવે મૂકીને વીસ રૂપિયા લીધા હતા.

… અને પછી વીસ રૂપિયા પાછા આપીને એ કળશો ક્યારે ય છોડાવી શક્યા નહોતા. 

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

[પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 03 ઓગસ્ટ 2024]

Loading

નાની શી મિલન-બારી

મહેન્દ્ર મેઘાણી|Opinion - Opinion|3 August 2024

[‘મિલાપ’ માસિકના જાન્યુઆરી ૧૯૫૦ના પ્રથમાંકનો આરંભનો લેખ]

મહેન્દ્ર મેઘાણી

‘મિલાપ’ નામે આ નવું માસિક શરૂ થાય છે. શા માટે?

ખેડૂતનો દીકરો સાંતી જોડે છે. કુંભારનો છોકરો ચાકડો ફેરવે છે. એમને પૂછ્યું હોય કે શા માટે આ મહેનત કરો છો ? તો એ શો જવાબ આપી શકે?

ખેતરો ખેડાય છે, તો દુનિયાને દાણા મળે છે. ચાકડો ફરે છે, તો સમાજને ઠામ-વાસણ મળે છે. સાળ ચાલે છે, તો લોક લૂગડાં પામે છે. છતાં એ દુનિયાનો કે એ સમાજનો વિચાર કરીને પોતે મજૂરી કરે છે એમ કોઈ ખેડૂત, કોઈ વણકર કે કોઈ કુંભાર થોડો જ કહી શકવાનો છે ? રાત-દિવસ જોયા વગર બારેય મહિના તનતોડ મહેનત કરતા એ શ્રમજીવીના મનમાં તો એકમાત્ર વિચાર એના રોટલાનો ને એનાં બાળબચ્ચાંનો જ રમતો હોય છે. બાપીકો ધંધો એ બચપણથી શીખતો આવ્યો છે. પોતાની બધી શક્તિઓ એ એક જ ધંધામાં રેડી દઈને સમાજને ઉપયોગી બનવા એ મથે છે, અને બદલામાં આશા રાખે છે ફક્ત બે ટંકના રોટલાની. બેને બદલે એક કે અર્ધા જ ટંકનો રોટલો સમાજ એને આપે, તોયે બાપીકા ધંધાને એ છોડી શકતો નથી – કારણ કે બીજાત્રીજા કોઈ કસબ એને ભાગ્યે જ આવડતા હોય છે.

લેખનને પણ મુખ્યત્વે આ જાતનો એક વ્યવસાય સમજીને આ માસિકનું પ્રકાશન હાથ ધરવામાં આવે છે. એની વાટે સાહિત્યની કે સમાજની મોટી સેવા થઈ જશે એવી ભ્રમણા નથી. તેમ ગુજરાતી પત્રકારિત્વના ઇતિહાસમાં એ અમર થઈ જાય, તેવી મહત્ત્વાકાંક્ષા પણ નથી. ખેડૂત અને વણકર, કુંભાર અને સુથાર, સઈ અને મોચી, એ સહુ કારીગરો પોતપોતાની શક્તિ અનુસાર સમાજની અમુક અમુક જરૂરિયાતો પૂરી પાડે છે. એમની માફક પ્રામાણિક પરિશ્રમ કરીને આપણી પ્રજાની એક ચોક્કસ જરૂરિયાત પૂરી પાડવાનો આ નમ્ર પ્રયાસ છે.

એ જરૂરિયાત છે ચોપાસની દુનિયા વિશેના જ્ઞાન વધારનારા, સાદા, સમજી શકાય તેવા વાચનની.

આજે, ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીના મંગલ મુહૂર્તે, ભારતના પ્રજાસત્તાકનો પાયો નખાઈ રહ્યો છે. પર્વનો એ દિવસ હમણાં જ વીતી જશે. રાતની રોશનીઓ આવતી કાલે ગાયબ બનશે. ધ્વજપતાકાઓ અને તોરણોના શણગાર વળતા પ્રભાતે કરમાઈ જશે. ઉત્સવ-ગીતોના ભણકારા ડૂબી જશે. ગોળધાણાનો સ્વાદ સુકાઈ જશે. અને પછી આરંભાશે ભારતના પ્રજાસત્તાકની આભઊંચી ઇમારત રચવાનો પુરુષાર્થ. દિવસો અને મહિનાઓ સુધી, વર્ષો અને દાયકાઓ સુધી એ ચણતરકામ અવિરતપણે ચાલુ રહેશે. આવો પ્રચંડ પુરુષાર્થ કરવા માટે આપણી પ્રજાને જેટલી અન્નની તેટલી જ જ્ઞાનની જરૂર પડશે. આ જરૂર પૂરી પાડવાના જે પ્રયાસો આ પ્રાંતમાં થઈ રહ્યા છે, તેમાં ‘મિલાપ’ પણ પોતાનાં રંક સાધનો વડે સાથ પુરાવશે.

વિશાળ લોકસમૂહોને જ્ઞાન પૂરું પાડવા માટેનાં જે સાધનો આજે જગતમાં વપરાય છે, તેમાં છાપાં અને પુસ્તકોનું સ્થાન મોટું છે. એકલી ગુજરાતી ભાષામાં જ આજે દોઢસો જેટલાં સામયિકો બહાર પડે છે. ભારતની બીજી બાર મુખ્ય ભાષાઓમાં પ્રગટ થતાં સામયિકોની આવી ગણતરી ગયે વરસે થયેલી : હિંદી (૮૫૩), ઉર્દૂ (૫૭૧), બંગાળી (૩૬૯), તમિલ (૩૦૫), મરાઠી (૨૪૩), તેલુગુ (૧૫૧), પંજાબી (૮૧), કન્નડ (૫૧), ઉડિયા (૪૯), મલયાલમ (૨૩), સિંધી (૮), અસમિયા (૭). તે ઉપરાંત એકલી અંગ્રેજી ભાષામાં નીકળતાં ભારતીય સામયિકોનો આંકડો તો એ સૌને વટાવી જનારો હતો − ૮૬૮નો − હતો. ૩,૭૦૦ કરતાંય વધુ દૈનિકો, સાતવારિયાં અને અન્ય સામયિકોના આ ખડકલામાં જુદી જુદી ભાષાઓ, જુદી જુદી હકીકતો, જુદા જુદા વિચારો હશે. એમાં તત્કાલીન બાબતોને લગતો કેટલો ય કુથ્થો હશે; પણ થોડુંક વાચન એવું હશે કે જે ભારતની કોઈ પણ ભાષાના સામાન્ય સમાજના રસિક વાચકને રુચે, સરળ લાગે અને ઉપયોગી નીવડે. વિદેશોથી અહીં આવતાં સામયિકોમાં પણ એવાં લખાણો હોય છે. એવી થોડીક સામગ્રીની એ વિરાટ વાચન-પૂંજમાંથી તારવણી કરીને આ માસિકમાં મૂકવાની ઉમેદ છે.

આ જાતના સામયિક પાછળ પૂરતો પરિશ્રમ લેવાય તો ગુજરાતની નવી રચાતી ઇમારતમાં એ પર-પ્રાંતો તથા પર-રાષ્ટ્રો સાથેની નાનીશી મિલન-બારી બની શકે, એવી નિષ્ઠા સાથે ‘મિલાપ’ના પ્રકાશન-માર્ગે અમે ડગલું માંડીએ છીએ. કોઈ એક વ્યક્તિ, પક્ષ, વાદ કે કોઈ વાવટા પ્રત્યેની વફાદારીનું છત્ર અમારે શિરે નથી. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાને આંગણે શીતળ સમીર-લહરોમાં એકસંગાથે કલ્લોલતા તમામ પ્રજાઓના વાવટા દૂરદૂરથી દીવાદાંડી સમા અમને દેખાય છે. અમારા કાનમાં ભણકારા વાગે છે સાગરપારના એક મહાકવિએ ગાયેલા પેલા મંત્રના –

“એબૉવ ઑલ, ટુ ધાઈન ઓવ્ન સેલ્ફ બી ટ્રુ” : અને સૌથી વિશેષ તો તારા આત્માને જ વફાદાર રહેજે; એને ન છેતરજે.

એ શબ્દોમાં ગુંજી રહેલા ઈમાનને કદી ન ચૂકવાનું બળ અમારી મજલના માલિક પાસે માગીએ છીએ.

[સૌજન્ય : “મિલાપ”; 26 જાન્યુઆરી 1950; પૃ. 01-02]

Loading

વિદ્યાર્થીઓનાં જીવનમાં વધુ ચેતન રેડવાની આવશ્યકતાએ …

કેતન રૂપેરા|Gandhiana, Opinion - Literature|2 August 2024

સંપાદકીય

કેતન રુપેરા

1945નો એ સમય હતો. રવીન્દ્રનાથ ટાગોરના અવસાન (1941) પછી તુરત ગાંધીજી શાંતિનિકેતન જઈ શક્યા નહોતા. એટલે એ પછીની એમની શાંતિનિકેતનની આ પહેલી મુલાકાત હતી. સાંજના વખતે ગાંધીજી શાંતિનિકેતન પહોંચ્યા. સાંજે પ્રાર્થના પછી ગાંધીજીનું ટૂંકું પ્રવચન થયું. બીજા દિવસે પણ ગાંધીજીને વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સમક્ષ પ્રવચન કરવાનું થયું. આ દરમિયાન તેમને ઘણા પ્રશ્નો પૂછાયા. ગાંધીજીએ એના જવાબો પણ આપ્યા. આમ ‘ગુરુદેવના ગયા પછીના શાંતિનિકેતનને’ જોવા-જાણવાની તેમને સારી તક મળી.

ગાંધીજીની આ મુલાકાત દરમિયાન પ્રશ્નોત્તરીમાં ટાગોરનાં ભત્રીજીએ એક પ્રશ્ન પૂછ્યો. જ્યારે આ પ્રશ્ન પૂછાયો ત્યારે ગાંધીજીને શાંતિનિકેતનથી નીકળવાનો સમય થઈ ગયો હતો. માટે એ સવાલનો જવાબ ત્યાં ને ત્યાં ન આપી શક્યા, પણ આ પ્રશ્ન તેમના મનમાં ઘોળાતો રહ્યો. કલકત્તા (હાલનું કોલકાતા) પહોંચ્યા પછી તેમણે તેનો ઉત્તર લખી મોકલ્યો. પ્રશ્ન આમ હતો : “અહીં (શાંતિનિકેતનમાં) આગળ નાચ-ગાનને વધારે પડતું સ્થાન નથી આપવામાં આવતું? અવાજનું સંગીત જીવનના સંગીતને ડુબાડી દે એવું જોખમ અહીંયા નથી?”

ભારતીય શાસ્ત્રીય સંગીત, કર્ણાટકી સંગીત, પશ્વિમી રાગ અને પારંપરિક લોકસંગીતના સમન્વયસમા સંગીત – જે રવીન્દ્રસંગીત તરીકે ઓળખાયું–ના રચયિતા રવીન્દ્રનાથ ટાગોરની ખુદની સ્થાપિત વિદ્યાપીઠમાં, તેમની જ ભત્રીજી પૂછી રહી છે કે શાંતિનિકેતનમાં નાચ-ગાનને વધારે પડતું સ્થાન નથી આપવામાં આવતું? “અવાજનું સંગીત જીવનના સંગીતને ડુબાડી દે એવું જોખમ અહીંયા નથી?”

કળા અને સૌંદર્યના આશક ગુરુદેવની વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દેખીતી રીતે જેનાથી સામેના ધ્રુવનાં ગણાય એવાં સાદગી અને સત્યાગ્રહના સાધક ગાંધીજીને પ્રશ્નો પૂછે, ગાંધીજી તેના જવાબો આપે અને તેનાથી એ વિદ્યાર્થીઓને સંતોષ પણ થાય … અત્યારના માહોલમાં આપણને આ જરા અજાયબ ભરી ઘટના લાગે, પણ ત્યારે તેમ થતું, બહુ સહજપણે થતું. સત્ય સુધી પહોંચવા માટે સંવાદ (DISCOURSE) ચાલુ રહેતો …

હા, તો ગાંધીજીએ આપેલો એ પ્રશ્નનો જવાબ : “મને શંકા રહી છે ખરી કે ત્યાં આગળ જીવનને માટે જરૂરી હોય તેના કરતાં સંગીત વધારે પ્રમાણમાં છે. … અવાજના સંગીતમાં જીવનનું સંગીત લુપ્ત થઈ જવાનું જોખમ રહે છે. ચાલવાનું, કૂદમકૂદનું, આપણી દરેક હિલચાલનું અને હરેક પ્રવૃત્તિનું સંગીત શાને ન હોય? … મને લાગે છે કે આપણાં છોકરાછોકરીઓને કેવી રીતે ચાલવું, કેવી રીતે બેસવું, કેવી રીતે ખાવું, ટૂંકમાં, જીવનનું પ્રત્યેક કાર્ય કેવી રીતે કરવું, એ બરાબર આવડવું જોઈએ. સંગીતની મારી કલ્પના આવી છે.” ટાગોરનાં ભત્રીજીની શંકાને સાચો ઠેરવતો ગાંધીજીનો આ જવાબ હતો.

ગાંધીજીની વાત અહીં પૂરી થાય છે. આપણી વાત, એટલે કે ‘ગાંધીજી વિશેની આપણી વાત’ હવે શરૂ થાય છે. ગાંધીજી, જેઓ સાબરમતીના આશ્રમમાં સંગીતમય પ્રાર્થના અને બાળકોમાં સંગીતની કેળવણી માટે પંડિત નારાયણ મોરેશ્વર ખરેને તેમના ગુરુ પંડિત વિષ્ણુ દિગંબર પલુસકર પાસેથી માગીને (1918) લઈ આવ્યા હતા. એટલું જ નહીં, બાળકોને ભણતરમાં રસ જન્મે એટલા માટે કવાયત, ઉદ્યોગ, આલેખનની સાથે સાથે સંગીત પણ શિખવવું જોઈએ એમ માનતા હતા. તેઓ જીવનના સંગીત પર અવાજનું સંગીત હાવી ન થવું જોઈએ એ મુદ્દેય એટલા જ સ્પષ્ટ છે. એમને મન સંગીત એ મૂળે આ સૃષ્ટિનું સંગીત છે, આ સૃષ્ટિના સંગીતમાં તાલ મેળવીને જીવવાનું સંગીત છે.

સંગીતનું આ ઉદાહરણ આપણાં જીવનનાં બધાં જ ક્ષેત્રોને સમાનપણે લાગુ પડે છે. જેમ અવાજના સંગીતમાં જીવનનું સંગીત લુપ્ત થઈ જવાનું જોખમ રહે છે તે જ રીતે ભાષણો, કથાઓ, પ્રવચનો, જાહેરાતો, વિજ્ઞપ્તિઓ, સભાઓ, સંમેલનો… ટૂંકમાં, દરેક પ્રકારનાં પ્રચારપ્રસારના સંગીતમાં, આચારનું સંગીત લુપ્ત થઈ જવાનું જોખમ રહે છે. આપણી આસપાસ અને વિશ્વના કોઈ પણ ખૂણે નજર કરીએ તો આમ જ થઈ રહ્યું જણાશે!

પ્રામાણિકતા અને પારદર્શિતાની વાતો થાય છે, અનુભવાતી નથી. પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ માટે સ્થાનિકથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરનાં સેમિનાર થાય છે, પણ આ ભૂમંડલના નિવસનતંત્ર(Ecosystem)ની સ્થિતિ દિવસેને દિવસે વધુ વણસી રહી છે. મેદસ્વીતા અને ડાયાબિટીસ અંગે જેટલાં સંશોધનો અખબારોમાં અને સોશિયલ મીડિયામાં આપણી નજરે ચઢે છે, એટલો જ તેના કારણે થતા મૃત્યુની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. સ્ત્રી-પુરુષ જન્મપ્રમાણ અને શાળામાં ડ્રોપઆઉટ રેશિયો જાણવા મુદ્દે આપણે જેટલા જિજ્ઞાસુ બની રહ્યા છીએ, એટલો જ એ આંક ચિંતા જન્માવતી હદે વધી રહ્યો છે. અને આટલાથી હૈયે ધરવ ન થતો હોય એમ, આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ મુદ્દે વર્ષોથી બધા દેશો એક થઈ લડવાની વાત કરે છે, પણ આતંકવાદ તેની સીમા વિસ્તારી જ રહ્યો છે. દેશથી લઈને દુનિયા આખીમાં, શાંતિ માટે ગાંધીજીનો અહિંસાનો માર્ગ અપનાવ્યા સિવાય હવે છૂટકો નથી એવાં નિવેદનો અપાય છે ને સામે પક્ષે વિશ્વ આખામાં વિવિધ પ્રકારની હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. … ઉદાહરણો અનેક મળી આવે એમ છે, અર્ક માત્ર એક જ લીટીમાં છે—પ્રચારપ્રસારના સંગીતમાં આચારનું સંગીત લુપ્ત થઈ રહ્યું છે. “આચરણ એ સારામાં સારું ભાષણ છે અને સારામાં સારો પ્રચાર છે.” (ગાં. અ. 25 : 429) એવા ગાંધીજીના વિચારમાંથી આપણે શ્રદ્ધા ગુમાવી રહ્યા છીએ ને નક્કર કાર્ય કરવાને બદલે કહેવા-સાંભળવામાં જ વધારે વખત વેડફી રહ્યા છીએ.

આ બધાંને કારણે ચિંતા જન્માવતી બાબત એ છે કે બાળકો પણ એવું જ શીખી રહ્યાં છે, બાળકો આપણે કહીએ એ નહીં, આપણે કરીએ એમ કરે છે એ વર્ષોથી કહેવાતું આવ્યું છે, ત્યારે એમની સમક્ષ સલાહો-સૂચનો, પ્રવચનો-ભાષણો નહીં, પોતાના આચરણનાં દાખલા મૂકવાની જરૂર છે. અને એની શરૂઆત આપણે શિક્ષકે કરવાની છે. પ્રલય અને નિર્માણવાળી, ક્યારેક નોટબુકમાં નોંધેલી ચાણક્યની ઉક્તિ આજના જમાનામાં બહુ મહત્ત્વાકાંક્ષી લાગે, તો ય એટલી હકીકત સ્વીકારવી જ પડે કે જીવનમાં મળેલા કેટલાક ઉત્તમ શિક્ષકોના કારણે જ સારાં પુત્ર / પુત્રી, માતા / પિતા, ભાઈ / બહેન, પતિ / પત્ની, મિત્ર અને આખરે સારાં શિક્ષક / શિક્ષિકા કે વ્યાપકપણે નાગરિક તરીકે નિખર્યાંનું આપણું ઘડતર છે. ઉત્તમ શિક્ષકોએ નિભાવેલી એ જવાબદારી આપણે પણ આપણા વિદ્યાર્થીઓ માટે નિભાવવાની છે. નિરર્થક ભાષણો, સભાઓ, સંમેલનોથી નહીં, વ્યક્તિગત આચરણથી દાખલો બેસાડવાનો છે.‘લર્નિંગ નોન-વાયોલન્સ’ કાર્યક્રમ હેઠળ ‘અ’ અહિંસાનો ‘અ’ એ આ માર્ગે ચાલવા માટેનો આપણો પ્રકલ્પ છે. બાળપણમાં જ આચરણનું બીજ વાવીને બાળકોનું સમગ્ર જીવન મંગળમય બનાવવાનો આ પ્રકલ્પનો ઉદ્દેશ છે.

જેમ ‘સાબરમતી આશ્રમના જીવનમાં વધુ ચેતન રેડવાની આવશ્યકતા’ (પ્રસ્તાવના, મંગળપ્રભાત, કાકાસાહેબ કાલેલકર, નવજીવન) જણાતા ગાંધીજીએ યરવડા જેલમાંથી આશ્રમવાસીઓને ઉદ્દેશીને પત્રો લખી મોકલ્યા હતા એમ આપણી શાળાનાં બાળકોનાં જીવનમાં વધુ ચેતન રેડવાની આવશ્યકતાએ ગાંધીઆશ્રમ-સાબરમતી અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર-થલતેજના સંયુક્ત ઉપક્રમે રમતાં રમતાં જીવનશિક્ષણની આ આનંદપોથી તૈયાર કરી છે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓમાં રમતાં રમતાં કેટલાક ગુણોની કેળવણી થાય અને અહિંસા તરફ એમનો સહજપણે જ ઝુકાવ થાય એવી પ્રવૃત્તિઓ તૈયાર કરવામાં આવી છે. જે આપ સૌ શિક્ષકોને જરૂર પસંદ આવશે. પ્રવૃત્તિ કરાવતાં કરાવતાં ધ્યાન પર આવેલાં આપનાં અવલોકનો આવકાર્ય છે.

Email: ketanrupera@gmail.com

પુસ્તક વિશે વધુ વિગત—

પુસ્તક-પરિચય સ્વરૂપે… 

ગુજરાતી બાળકો શીખશે ‘અ’ અહિંસાનો ‘અ’

-.-.-.-

Loading

...102030...613614615616...620630640...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved