Opinion Magazine
Number of visits: 9665451
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇસ્લામી બાંગ્લાદેશમાં બિન-સાંપ્રદાયિકતાનો નર્યો ઢોંગ 

હેમન્તકુમાર શાહ|Opinion - Opinion|8 August 2024

હેમંતકુમાર શાહ

બાંગ્લાદેશના બંધારણમાં ભારતના બંધારણની જેમ આમુખ છે. એ આમુખના શીર્ષકની ઉપર જ લખવામાં આવ્યું છે કે, “બિસ્મિલ્લાહ-અર-રહેમાન-અર-રહીમ”. એટલે કે “જે સર્જક અને દયાળુ છે તે અલ્લાહને નામે”. આમ, અલ્લાહના નામથી તો બંધારણનો આરંભ થાય છે. આમુખની બીજી લીટીમાં રાષ્ટ્રવાદ, સમાજવાદ, લોકશાહી અને બિન-સાંપ્રદાયિકતાના આદર્શો સ્વીકારવામાં આવ્યા છે. આ બંધારણ તા.૦૪-૧૧-૧૯૭૨ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું કે જ્યારે તેને પાકિસ્તાનથી આઝાદી અપાવનાર શેખ મુજીબુર રહેમાન વડા પ્રધાન અને પછી રાષ્ટ્રપ્રમુખ તરીકે હયાત હતા. તમામ નાગરિકો માટે કાયદાનું શાસન હોય, મૂળભૂત માનવ અધિકારો અને સ્વતંત્રતા હોય, અને સમાનતા અને ન્યાય હોય એવું રાજ્યનું ધ્યેય છે એમ પણ આ આમુખમાં લખવામાં આવ્યું છે.

બાંગ્લાદેશે 1972માં જ્યારે બંધારણમાં બિન-સાંપ્રદાયિકતા શબ્દ વાપર્યો ત્યારે તે દક્ષિણ એશિયામાં બંધારણમાં એ શબ્દ મૂકનાર પ્રથમ દેશ બન્યો હતો. ભારતમાં એ શબ્દ ૧૯૭૬માં ૪૨મા બંધારણ સુધારાથી ઇન્દિરા ગાંધીએ આમુખમાં દાખલ કરેલો. પછી ૨૦૧૧માં જ બાંગ્લાદેશના બંધારણમાં પંદરમો સુધારો કરવામાં આવ્યો અને રાજ્યનો ધર્મ ઇસ્લામ છે એમ કલમ-૨એમાં કહેવામાં આવ્યું. આમ, બાંગ્લાદેશ ધર્મરાજ્ય બની ગયું. જો કે, એ જ કલમમાં એમ લખવામાં આવ્યું કે હિંદુ, બૌદ્ધ, ખ્રિસ્તી અને અન્ય ધર્મોના વ્યવહારમાં સમાન દરજ્જો અને સમાન અધિકારો સુનિશ્ચિત થાય તેની કાળજી રાખશે.

જો કે, બાંગ્લાદેશની સરકાર ઇસ્લામને પ્રાથમિકતા આપશે એ તો આ સુધારાથી નક્કી થઈ ગયું. એક બાજુ બાંગ્લાદેશ આમુખમાં કહેવામાં આવે તેમ બિન-સાંપ્રદાયિકતાને આદર્શ ગણે છે અને બીજી બાજુ તે ધર્મરાજ્ય છે એમ ઘોષિત કરે છે! આ બંને તદ્દન વિરોધાભાસી બાબતો છે. ત્યાંની સરકારનો વ્યવહાર કાયદાનું શાસન પ્રસ્થાપિત કરવાનો રહ્યો છે કે નહિ અને હિન્દુઓ સહિતની લઘુમતીઓને સમાન અધિકારો પ્રાપ્ત થયા છે કે નહિ તે તો એક જુદો જ મુદ્દો છે. પરંતુ ધર્મરાજ્ય અન્ય ધર્મીઓ સાથે ભેદભાવ આચરે જ એમાં કોઈ શંકા નથી. કોઈ ધર્મરાજ્ય ખરા અર્થમાં ધર્મનિરપેક્ષ કેવી રીતે હોઈ શકે એ સમજાતું જ નથી.

અત્યારે જ્યારે બાંગ્લાદેશમાં રાજકીય કટોકટી ઊભી થઈ છે ત્યારે જે હિંસા આચરાઈ રહી છે તેમાં હિંદુઓને, તેમનાં ઘરોને અને મંદિરોને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યાં છે તેવા અહેવાલો વ્યાપકપણે જોવા મળે છે. તે એમ બતાવે છે કે બાંગ્લા મુસ્લિમો ધર્મનિરપેક્ષ નથી. જો કે, આંદોલનકારી મુસ્લિમો જ હિંદુ મંદિરો અને હિંદુઓને રક્ષણ આપી રહ્યાના અહેવાલો પણ છે. હીનતા બધે જ હોય છે એમ શાણપણ ઓછું હોય, અથવા શાણપણભરી રીતે વર્તવાની હિંમત ઓછી હોય, તો પણ તે જગતમાં બધે જ હોય છે એની એ સાબિતી છે.

એક હકીકત એ છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિંદુઓ કે અન્ય લઘુમતીઓ પ્રત્યે જે વ્યવહાર ૧૯૪૭માં બ્રિટિશ ઇન્ડિયાના ભાગલા થયા પછી કરવામાં આવ્યો તેનાં ઉદાહરણો ભારતમાં આપવામાં આવે છે. એ બંને દેશોમાં ધર્મનિરપેક્ષતાના સંદર્ભમાં જે કંઈ થાય છે તે ભારતના હિંદુ જનમાનસ પર, આપણે ઈચ્છીએ કે ન ઇચ્છીએ, અસર કરે જ છે. એ બંને તો ઇસ્લામી રાજ્યો છે, પણ ભારત ક્યાં હિંદુ રાષ્ટ્ર છે, આપણે તો ધર્મનિરપેક્ષ રાજ્ય છીએ એટલે તેનાં ઉદાહરણો ભારતમાં લેવાય નહિ એવી દલીલ સાચી છે તેમ છતાં તે ઘણી વાર કારગત નીવડતી નથી અને ખરેખરા અર્થમાં ધર્મનિરપેક્ષ હોય તેવા હિંદુઓ પણ મુસ્લિમો આજે નહિ તો કાલે, દાયકાઓ પછી પણ,  હિંદુઓને હિંદુ નહિ રહેવા દે, અને શાંતિથી હિંદુ તરીકે જીવવા નહિ દે એવી માન્યતા ધરાવતા થઈ જાય છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓને રંજાડવામાં આવતા હોવાના સમાચારો વારંવાર આવ્યા જ કરતા રહ્યા છે. આ બધું શેખ હસીનાના દોઢ દાયકાના શાસનમાં પણ બન્યું છે અને તે પહેલાં પણ બન્યું છે. શેખ હસીના વડાં પ્રધાન બન્યાં પછી જ ૨૦૧૧માં બાંગ્લાદેશ ધર્મરાજ્ય બને તેવો પંદરમો સુધારો ત્યાંના બંધારણમાં થયેલો એ પણ હકીકત છે.

એ બંધારણની કલમ-૧૨નું શીર્ષક છે : ‘બિન-સાંપ્રદાયિકતા અને ધર્મસ્વાતંત્ર્ય’. તેમાં ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતનો અમલ કરવા ચાર મુદ્દા લખવામાં આવ્યા છે :

(૧) તમામ સ્વરૂપના કોમવાદનું નિવારણ.

(૨) કોઈ પણ ધર્મને રાજકીય દરજ્જો રાજ્ય ન આપે.

(૩) રાજકીય હેતુઓ માટે ધર્મનો દુરુપયોગ ન કરવામાં આવે.

(૪) કોઈ પણ ધર્મનું પાલન કરનારી વ્યક્તિઓની સતામણી ન કરવામાં આવે કે તેમની સામે કોઈ ભેદભાવ આચરવામાં ન આવે.  

બાંગ્લાદેશમાં જુદા જુદા ધર્મોના લોકો માટે ભારતમાં છે તેમ વ્યક્તિગત કાયદાઓ જુદા જુદા છે પરંતુ ઉપરના ચાર સિદ્ધાંતોનો અમલ કેટલો થયો તે અગત્યનો મુદ્દો છે. શેખ હસીનાની વિદાય પછી બાંગ્લાદેશમાં જેટલી છે તેટલી ધર્મનિરપેક્ષતાનું પણ શું થશે તે મોટો સવાલ છે. તેનું કારણ એ છે કે બેગમ ખાલિદા ઝિયાના પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બી.એન.પી.) જમાતે ઇસ્લામી સાથે ગાઢ રાજકીય સંબંધ ધરાવે છે અને જમાતે ઇસ્લામી એ ત્યાં માત્ર કોઈ ધાર્મિક સંગઠન નથી પણ એક રાજકીય પક્ષ પણ છે.

ઓગસ્ટ-૨૦૧૩માં ત્યાંની સર્વોચ્ચ અદાલતે તો તેની એક રાજકીય પક્ષ તરીકેની નોંધણી રદ કરી હતી અને તેના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હજુ હમણાં જ પહેલી ઓગસ્ટથી શેખ હસીનાની સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. પણ તે હવે સત્તામાં ભાગીદાર થાય કે તેનો રાજકીય ગજ વાગે એવી શક્યતાઓ ભરપૂર માત્રામાં ઊભી થઈ છે.

બાંગ્લાદેશના મુસ્લિમો કેટલા ધર્મનિરપેક્ષ છે? કે પછી તેમને હિન્દુઓનું ધર્માંતરણ કરાવવામાં સક્રિય રસ છે? ૨૦૨૨ની વસ્તી ગણતરી મુજબ બાંગ્લાદેશની વસ્તી ૧૬.૫૨ કરોડ છે અને એમાં હિંદુ વસ્તી ૧.૩૧ કરોડ એટલે કે ૭.૯૫ ટકા છે. ૧૯૭૪માં ત્યાં કુલ વસ્તી ૭.૧૫ કરોડ હતી અને તેમાં હિન્દુઓની વસ્તી ૯૭ લાખ એટલે કે ૧૩.૫ ટકા  હતી. આ આંકડા પરથી કેટલાક સવાલો ઊભા થાય છે :

(૧) જો દેશની કુલ વસ્તી 38 વર્ષમાં લગભગ સવા બે ગણી થઈ ગઈ તો હિન્દુઓની વસ્તી એટલી કેમ ના વધી? ટકાવારી પ્રમાણ ઘટ્યું કેમ?

(૨) શું લાખો હિંદુઓ બાંગ્લાદેશની  બહાર જતા રહ્યા એટલે તેમની વસ્તીનું ટકાવારી પ્રમણ ઘટી ગયું?

(૩) શું ત્યાંના હિંદુઓએ પોતે જ પોતાની વસ્તી નિયંત્રિત કરી?

(૪) શું મુસ્લિમોએ હિંદુઓનું ધર્માંતરણ કરાવવાના ભાતભાતના રસ્તા અપનાવ્યા કે પછી એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી કે જાનમાલ અને ઈજ્જત બચાવવા માટે હિંદુઓએ પોતે જ ઇસ્લામ ધર્મ અપનાવ્યો? 

સ્પષ્ટ છે કે હિંદુઓની વસ્તી આજે બાંગ્લાદેશમાં આશરે ૨.૧૪ કરોડ તો હોય જ, પણ નથી. ઇસ્લામમાં ધર્માંતરણ વાજિબ છે. ઇસ્લામ વિસ્તારવાદી ધર્મ છે. એટલે આજના અખબારી અહેવાલો પ્રમાણે જો બાંગ્લાદેશી હિંદુઓ હવે નવી સરકારથી ડરીને ભારતમાં આવવાની કોશિશ કરે તો રહ્યાસહ્યા હિંદુઓ પણ મુસ્લિમોથી વધુ ડરે છે એમ જ સાબિત થાય.

સવાલ ભારતની ધર્મનિરપેક્ષતાનો પણ છે કારણ કે ભારતમાં ધર્મનિરપેક્ષતાના અમલ સામે હિન્દુત્વનો ઝંડો ઉગામનારા દ્વારા જે સવાલો ઊભા કરવામાં આવે છે તે પાકિસ્તાન અને બાંગ્લાદેશની કહેવાતી ધર્મનિરપેક્ષતા પર પણ આધાર રાખે છે. જો બાંગ્લાદેશમાં રાજ્ય એટલે કે સરકાર ખરેખર ધર્મનિરપેક્ષ રહી હોય તો હિંદુઓની જે હાલત આજે ત્યાં છે તે ન હોત. બીજા ધર્મોના લોકોને મુસ્લિમ અને ખ્રિસ્તી બનાવવાનો ધંધો મુસ્લિમો અને ખ્રિસ્તીઓ બંધ કરે તો દક્ષિણ એશિયામાં, ભારતમાં અને દુનિયાભરમાં શાંતિ ઊભી થવાની શક્યતાઓ ખરેખર વધી જાય તેમ છે એમાં લેશમાત્ર શંકા નથી. પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે એવી કોઈ પણ ધર્મના લોકોની દૃઢ માન્યતા અશાંતિનું કારણ બને છે.

તા.૦૮-૦૮-૨૦૨૪
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

જૂઠના ઘટાટોપ પર ખડી જુલમશાહી જાણે પત્તાના મહેલની પેઠે જમીનદોસ્ત

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|8 August 2024

(બળવો) બાંગલા ઘટના

જનરેશન ઝેડની આ કમાલ એમાં ભળી ગયેલાં ઝનૂની પરિબળોને કાબૂમાં રાખવા સહિતના પડકારોએ ભરેલી અને ભારેલી છે : વંચિતોના વાણોતર વચગાળાની આ નવી પાળી ખેલી જાણશે ?

પ્રકાશ ન. શાહ

હજુ બાંગલાદેશના પ્રમુખ શહાબુદ્દીને વિપ્લવી છાત્રજોવનાઈના સૂચવ્યા એમને હસીના વાજેદના ત્યાગપત્ર અને દેશત્યાગ પછીના સંજોગોમાં વચગાળાની જવાબદારી સાહલા સાદ પણ દીધો નહોતો, ત્યારે ઓલિમ્પિકની સલાહકારી જવાબદારી સર પેરિસ બેઠે વંચિતોના વાણોતર યુનુસે એક અખબારી મુલાકાતમાં વતન આંગણે વાસ્તવિકતા શું છે તે સચોટ સમજાવ્યું હતું : ‘જુઠાણાં, જુઠાણેજુઠાણાં … એ હદે એનો મારો કે પછી પોતે પણ એમાં માનવા મંડે.’

કારુણિકા એ છે આ મુલકની કે એક દેશ, એક પક્ષ, એક નેતા અને એક જ કથાનક (નેરેટિવ). જરીક જુદો અવાજ કે જમાત બહાર. ચૂંટણી કેવી તો કહે, નકો નકો હમણાં જાન્યુઆરીમાં શેખ હસીના વાજેદ ચોથી વાર ચુંટાયાં તે કેવી રીતે? વિપક્ષે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો એ રીતે! અને મતાધિકાર તેમ જ મતદાન એ જો લોકશાહી ચૂંટણીની એક ઓળખ હોય તો દેશના સત્તર કરોડ લોકમાંથી ખાસી બે તૃતીયાંશ વસ્તી – બાંગ્લાદેશી યુવાનો – કને વાસ્તવમાં મતાધિકાર છે જ ક્યાં.

તો લોકો અને સરકાર વચ્ચે કોઈ સંવાદતક પણ ક્યાંથી રહે, સિવાય કે જેલ, લાઠીગોળી …. બધી વિકાસવાર્તા વચ્ચે – આર્થિક વિકાસને મોરચે પ્રતિમાન છતાં – લોકશાહીને નામે ભેંકાર સૂનકાર.

એક જરા જુદો મુદ્દો પણ નોંધવો જોઈએ. એક જમાનામાં ટી.વી. ક્રાન્તિનો મહિમા એટલો બધો હતો કે ગોર્બાચોફે સોવિયેત સામ્રાજ્યશાહીના સંકેલાની શરૂઆત કરી ત્યારે રુમાનિયામાં પલટાનું શ્રેય બિનસામ્યવાદીઓએ કેવો ટી.વી. સ્ટુડિયો કબજે કરી લીધો એ બીનાને અપાયું હતું. આજનો દસકો જનરેશન ઝેડનો છે : એ છાત્રયુવા પેઢી કે જેને સારુ ઇન્ટરનેટ થકી ઝુમિંગ સરખી વિશ્વબારી ખુલી છે તે તમારી બંધ દુનિયાની બંદી કે મોહતાજ નથી. (બાય ધ વે, 2024ના આપણે ત્યાંના પરિણામોએ 2014 અને 2019ની ફતેહને ઓક્સિજન પર મુકાઈ જવા જેવો કિંચિત અનુભવ કરાવ્યો, એના કંઈક સગડ અહીં પકડાય છે?)

પરિવર્તનનો જે વાયરો બાંગલાદેશમાં ફુંકાયો છે તે એનાં ભયસ્થાનો ને મર્યાદાઓ પણ લઈને આવ્યો છે. તસલીમા નસરીને સચોટ ટિપ્પણી કરી છે આ દિવસોમાં કે જે ઇસ્લામિસ્ટોને રાજી કરવા હસીના વાજેદે મને તગેડી મૂકી હતી, તે આ છાત્રયુવા ઉઠાવ સાથે ભળી ગયા છે. હવે હિંદુઓનું, સેક્યુલરિસ્ટોનું, બિનકોમવાદીઓનું, રેશનલિસ્ટોનું આવી બન્યું સમજો.

પરિવર્તનની પ્રક્રિયામાત્રમાં જેમ આદર્શવાદનો ધક્કો ને ધખના હોય છે તેમ કશુંક સંમિશ્ર પણ હોવાનું, રહેવાનું. 1971ના આઝાદી લડવૈયાઓની નવી પેઢીને સારુ સરકારમાં ખાસી ત્રીસ ટકા અનામતની (એટલે કે સત્તાપક્ષની કેડરની પરબારી ભરતીની) જાહેરાતે છાત્રયુવા માનસને એક ચિનગારી ચાંપી પણ એ તત્કાળનિમિત્ત પાછળ વાસ્તવિક લોકતંત્રને નામે જે મોટું મીંડુ હતું અને છે એનો ફાળો ઓછો નથી. આ ઉઠાવનો એક ચહેરો તમને જો પૂર્વ વડા પ્રધાનનાં આંતરવસ્ત્રો સરેઆમ પ્રદર્શિત કરવાની હીન ચેષ્ટામાં દેખાતો હોય તો એ પણ એનો ચહેરો છે કે હિંદુ મિલકતો ને મંદિરો પરના હુમલા આડે આ દિવસોમાં એની કવચ કોશિશ પણ રહી છે. રામકૃષ્ણ મિશનના કોઈ સંન્યાસી અને આ યુવજનોની જુગલબંદી હિટલરી જર્મનીમાં યહૂદીઓની પડખે ઊભા રહેલા વણગાયા ખ્રિસ્તી પાદરીઓના વારાની યાદ આપે છે. બાંગલાદેશી સડકો પર લહેરાતા પારાવાર વચ્ચે આવી દ્વીપ ઘટનાઓ સ્તો સ્વામી આનંદ કહે તેમ ‘ધરતીનું લૂણ’ છે.

યુનુસે થોડા દિવસ પર એ મતલબનીયે એક પ્રગટ ફરિયાદ કરી હતી કે અમારે ત્યાંના ઘટનાક્રમને ભારત સરકાર ‘બાંગલાદેશની આંતરિક બાબત’ કહીને બધો વખત બાજુએ કેમ મૂકી દે છે. આપણે અગ્નિ એશિયાઈ દેશો છેવટે તો એક બિરાદરી છીએ. અમારા યુવાજનોનો આતશ ફાટશે તો ભારત કંઈ અસ્પૃષ્ટ રહી શકવાનું નથી. દેશની વિદેશ નીતિ અને સ્વદેશનીતિ રાષ્ટ્રીય હિત અને મૂલ્યમાવજતની રીતે કશુંક નવવિધાન માગે છે, જેમાં પરિવર્તનના વાયરાને આવકાર હોય અને એમાં રહેલી સંમિશ્રતા હોય એમાં રહેલી સંમિશ્રતા પરત્વે શોધનની સોઈ હોય.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 07 ઑગસ્ટ 2024

Loading

ભારત, પાકિસ્તાન, બાંગલાદેશમાં ભજવાતું ફારસ

રમેશ ઓઝા|Opinion - Opinion|8 August 2024

રમેશ ઓઝા

મોહનદાસ કરમચંદ ગાંધી ભલે દાવો કરતા હોય, ભારતમાં ભારતીય રાષ્ટ્રવાદ જેવી કોઈ ચીજ નથી, જે છે એ ધર્મ આધારિત કોમી રાષ્ટ્રવાદ છે અને તે પરસ્પર ભિન્ન છે. એક છે હિંદુઓની રાષ્ટ્રીયતા અને બીજી છે મુસલમાનોની રાષ્ટ્રીયતા. તે બેની વચ્ચે સમાનતા નહીંવત્ છે અને જે છે એ પણ ગૌણ છે. માટે આ બે પ્રજા સાથે રહી શકે એમ નથી. હિંદુ મહાસભાના નેતા વિનાયક દામોદર સાવરકરે ૧૯૩૭ની સાલમાં પક્ષના અમદાવાદ અધિવેશનમાં આમ કહ્યું હતું અને ૧૯૪૦માં મુસ્લિમ લીગના નેતા મહમ્મદ અલી ઝીણાએ લીગના લાહોર અધિવેશનમાં આમ કહ્યું હતું. આમ એટલે અદ્દલ એક સરખી ભાષામાં ડીટ્ટો. બન્ને ઠરાવો ઉપલબ્ધ છે જે તમે જોઈ શકો છો અને ખાતરી કરી શકો છો.

એ પછી જે થયું એ ઇતિહાસ છે. ભારતનું ધર્મના નામે વિભાજન થયું અને મુસ્લિમ અથવા ઇસ્લામની રાષ્ટ્રીયતા આધારિત પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું. પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાનમાં મુસલમાનો બહુમતીમાં હતા એટલે રાષ્ટ્રવાદની જે પહેલી શરત હોય છે બહુમતીની તો એ બહુમતીની શરત પૂરી થતી હતી. પણ પાકિસ્તાન હજુ અસ્તિત્વના બે દાયકા પણ હજુ તો પૂરા કરે એ પહેલાં તેની અખંડતા સામે પડકારો પેદા થવા લાગ્યા. મુખ્ય પડકાર પૂર્વ પાકિસ્તાનમાંથી પેદા થયો હતો. પૂર્વ પાકિસ્તાનના બંગાળીઓને એમ લાગવા માંડ્યું હતું કે પશ્ચિમ પાકિસ્તાનના શાસકો તેમની કલ્પનાનો ઇસ્લામ, તેમની કલ્પનાનું ઇસ્લામિક શાસન, તેમની કલ્પનાની ઇસ્લામિક જીવનપદ્ધતિ, ભારતીય ઉપખંડના મુસલમાનોની તેમની કલ્પનાની કહેવાતી કોમી મઝહબી ભાષા એટલે કે ઉર્દૂ પૂર્વ બંગાળના મુસલમાનો પર લાદી રહ્યા છે. પશ્ચિમ પાકિસ્તાનના શાસકોએ અને વિશેષ કરીને લશ્કરી શાસકોએ પૂર્વ પાકિસ્તાનને એક સંસ્થાન બનાવી દીધું છે. અંગ્રેજોના સંસ્થાન તરીકે મુક્તિ મેળવીને પશ્ચિમ પાકિસ્તાનનું સંસ્થાન બન્યું. ઊલમાંથી ચૂલમાં પડ્યા હોય એવો અનુભવ પૂર્વ પાકિસ્તાનના મુસલમાનોને થવા લાગ્યો.

પાકિસ્તાનના શાસકો બેખબર હતા અને જો ખબર હતી તો મુસ્તાક હતા. આ મુસ્તાકી ખતરનાક સાબિત થતી હોય છે. બેખબરને ખબરદાર બનાવી શકાય, પણ મુસ્તાકને કોઈ વારી ન શકે, એ પડે ત્યારે જ સમજે અને જ્યારે સમજે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય. પાકિસ્તાનની સ્થાપના પછી તરત જ ૧૯મી માર્ચ ૧૯૪૮ના રોજ પાકિસ્તાનના સ્થાપક અને રાષ્ટ્રપિતા મહમ્મદ અલી ઝીણા પૂર્વ પાકિસ્તાનની રાજધાની ઢાકા ગયા હતા. પૂર્વ પાકિસ્તાનની એ તેમની પહેલી અને છેલ્લી મુલાકાત હતી. ઢાકાની યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું હતું કે દરેક દેશને પોતાની પ્રજાને જોડનારી એક ભાષા જોઈએ એટલે અમે નિર્ણય લીધો છે કે પાકિસ્તાનની રાષ્ટ્રભાષા ઉર્દૂ હશે. મહમ્મદ અલી ઝીણાના આશ્ચર્ય વચ્ચે ત્યાંને ત્યાં જ તેમની સામે વિદ્યાર્થીઓએ ઉર્દૂ ભાષાનો વિરોધ કર્યો હતો અને માગણી કરી હતી કે ઉર્દૂની સાથે બંગાળીને પણ રાષ્ટ્રભાષા બનાવવામાં આવે. એક પાકિસ્તાન, એક ધર્મ, બે પાંખ અને બે ભાષા. ઝીણાએ ભારતમાં બે ધર્મના સહઅસ્તિત્વને નકાર્યું અને પાકિસ્તાનમાં બે ભાષાના એક સમાન દરજ્જાને અથવા સહઅસ્તિત્વને નકાર્યું.

અહીં વિરોધાભાસ ધ્યાનમાં આવ્યો? ૧૯૪૦થી ૧૯૪૭ સુધી દલીલ કરવામાં આવતી હતી કે ઇસ્લામ મુસલમાનોને જોડનારી પ્રબળ કડી છે. ૧૯૪૭ પછી કહેવામાં આવ્યું કે બહુમતી પ્રજા એક જ ધર્મને માનતી હોય એ પૂરતું નથી, તેમની એક (અને માત્ર એક જ) ભાષા પણ હોવી જોઈએ. પહેલાં કહેવામાં આવ્યું કે એક ભૂમિમાં બે ધર્મ પાળનારાઓનું સહઅસ્તિત્વ શક્ય નથી અને પછી તરત કહેવામ આવ્યું કે બે ભાષાનું સહઅસ્તિત્વ શક્ય નથી. અને એનાથી મોટું આશ્ચર્ય એ વાતનું હતું કે અવિભાજિત પાકિસ્તાનમાં જેટલા મુસલમાન હતા તેનાથી વધારે મોટી સંખ્યામાં મુસલમાનોએ ભારતમાં રહેવાનું પસંદ કર્યું હતું જેમને ઇસ્લામ સિવાયના બીજા ધર્મો સામે અને ઉર્દૂ સિવાયની બીજી ભાષાઓ સામે કોઈ વાંધો નહોતો. અને તેની સંખ્યા પણ પાછી ડઝનોમાં હતી. ભારતના ઇતિહાસમાં પાકિસ્તાન એક ફારસરૂપ નાટક હતું અને એ ફારસને હિન્દુત્વવાદી હિંદુઓનો ટેકો હતો. તેઓ પણ એવું એક ફારસ ભજવવા માગતા હતા અને અત્યારે તેઓ તે ભજવી રહ્યા છે.

ખેર, પાકિસ્તાનના વિભાજનની શરૂઆત પાકિસ્તાનની સ્થાપના પછી છ મહિનામાં ૧૯મી માર્ચ ૧૯૪૮ના રોજ મહમ્મદ અલી ઝીણાની નજર સામે શરૂ થઈ ગઈ હતી. ઢાકાની યુનિવર્સિટીમાં જે છાત્રોએ ઝીણાનો વિરોધ કર્યો હતો એ છાત્રોનું નેતૃત્વ કરનારા છાત્રનેતા હતા શેખ મુજીબુર રહેમાન. પાકિસ્તાન હજુ તેની સ્થાપનાની રજતજયંતી ઉજવે એ પહેલાં તેનું બંગાળી ભાષાને નામે વિભાજન થયું. ભાષાની અસ્મિતાએ ઇસ્લામની અસ્મિતાને પરાસ્ત કરી. પણ ફારસનો હજુ અંત આવવાનો નહોતો.

પૂર્વ પાકિસ્તાનમાંથી ઇસ્લામના અને ઇસ્લામિક તેહઝીબના ઠેકેદારો ગયા અને તેમની જગ્યા બંગલા અસ્મિતાના ઠેકેદારોએ લીધી. બંગાળી ભાષા બંગલાદેશને જોડનાર એકમાત્ર અંતિમ પરિબળ છે અને જે કોઈ તેનો વિરોધ કરે છે એ બધા દેશદ્રોહી છે. શેખ મુજીબુર રેહમાનના વખતથી ડરાવવાનું શરૂ થયું. ઠેકેદારોને દુશ્મન વિના ચાલતું નથી. બંગાળી ભાષા કરતાં ઇસ્લામ વધારે મહત્ત્વ ધરાવે છે એમ માનનારા અનેક બંગાળી મુસલમાનો બંગલાદેશમાં અસ્તિત્વ ધરાવે છે. એનો અર્થ એવો નથી કે તેઓ બંગાળી અસ્મિતાની વિરુદ્ધ છે. બંગલાદેશમાં મુસલમાનોની જીવનશૈલી પર હિંદુઓનો મોટો પ્રભાવ છે અને તેમણે તે છોડીને ઇસ્લામિક જીવનશૈલી અને રીતિરિવાજ અપનાવવા જોઈએ એમ માનનારા મુસલમાનો પણ મોટી સંખ્યામાં છે, ભારતમાં પણ છે, પાકિસ્તાનમાં પણ છે. ઈરાની મુસલમાનો પર ઝોરોસ્ટ્રીયન સંસ્કારોનો પ્રભાવ છે એમ માનનારા ઈરાની મુસલમાનો છે. બંગલાદેશમાં બંગલા અસ્મિતાના ઠેકેદારોએ તેમને દુશ્મન તરીકે ઓળખી બતાવ્યા અને તેમને સતાવવાનું શરૂ કર્યું. શેખ હસીનાની સરમુખત્યારશાહી આના પર નિર્ભર હતી.

જો હું સત્તામાં નહીં હોઉં તો આ બંગલા અસ્મિતાના દુશ્મનો તમારા પર ચડી બેસશે. હું છું તો તમે સુરક્ષિત છો. આગળ કહ્યું એમ આ ફારસ છે જે ભારત, પાકિસ્તાન અને બંગલાદેશમાં ભજવવામાં આવી રહ્યું છે. ભજવનારાઓ અલગ અલગ છે, ફારસ એક સરખું છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 08 ઑગસ્ટ 2024

Loading

...102030...608609610611...620630640...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved