Opinion Magazine
Number of visits: 9457294
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાવધાન ઈ.ડી., સાવધાન આઈ.ટી. સમજો, તમે ચૂંટણીખેલાડી નથી 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 April 2024

ચાલુ ચૂંટણી જંગે

પૂર્વ ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશીએ સંબંધિત સૌને એમનો ધર્મ સંભારી આપ્યો છે કે, અમ્પાયર અણી ટાંકણે મૌન રહી શકે નહીં : અસમાન સ્પર્ધામાં તંત્ર ભાગીદાર બની શકે નહીં.

પ્રકાશ ન. શાહ

આપ સાંસદ સંજય સિંહનું દિલ્હી સરકારની એક્સાઈઝ નીતિના વિવાદી મુદ્દા વચ્ચે જામીન પર છૂટવું એ આ દિવસોમાં એક કરતાં વધુ રીતે ધ્યાનપાત્ર બની રહેશે. ધ્યાનપાત્ર જ માત્ર નહીં, કંઈક આશ્વસ્તકારી પણ. 

વાત એમ છે કે આઈ.ટી. અને ઇ.ડી. – આયકર અને પ્રવર્તન – તંત્રો ચૂંટણીના દિવસોમાં અગર તો રાજકીય પક્ષો વચ્ચેની સ્પર્ધાના માહોલમાં કોઈક એવે છેડેથી કામ લે છે જેમાં સત્તાપક્ષ તરફે વિપક્ષ ભીંસ અને ધોંસનો અનુભવ કરે. દેખીતી રીતે જ, આચારસંહિતાનો આરંભ થઈ ગયો હોય અને ચૂંટણીના ઘડિયા ગણાતા હોય એ સંજોગોમાં નાણાંસ્રોત બાબતે વિપક્ષ મૂંઝવણમાં મુકાઈ જાય તે ચૂંટણી માટેની સમાન તકના મુદ્દે બંધારણીય નૈતિકતાનો ને લોકશાહીનાં સામાન્ય ધારાધોરણોનો ચોખ્ખો ભંગ છે, અને આખી ચૂંટણી પ્રક્રિયાને તે પસંદગીની તકને બદલે લગભગ એકતરફી બનાવી મૂકે છે.

સંજય સિંહને જામીન મળ્યા, સર્વોચ્ચ અદાલતની સીધી પૃચ્છાના ઉત્તરમાં પ્રવર્તન નિર્દેશાલયે વાંધો ન લીધો (વાંધો ન લઈ શક્યું), એનો અર્થ ખાસ તાણ્યાતૂણ્યા વગર એટલો તો થઈ જ શકે કે પ્રતીકાત્મક રીતે માનો કે કોઈ કેસ બનતો હોય તોપણ એની કશી તાત્કાલિકતા નથી. પૂરા કદના કેસથી વિશેષ તો એ એક અવરોધ કારવાઈ છે જેમાં આયકર કે પ્રવર્તન તંત્રો શાસન ને સત્તાપક્ષનાં દોરવ્યાં દોરાતાં હોઈ શકે.

શાસન ને સત્તાપક્ષ આવી ઘોર પક્ષિલ ને બિનલોકશાહી ચેષ્ટા કરે છે એ કોઈ હવાઈ અનુમાન નથી. 2014થી આજ સુધી રાષ્ટ્રીય કે પ્રાદેશિક સ્તરે આવા કિસ્સાઓનો એક તપાસ હેવાલ આ દિવસોમાં આપણી સામે આવ્યો છે તે પ્રમાણે વિપક્ષનાં પચીસેક મોટાં માથાં, એમના પર ભ્રષ્ટાચારના આક્ષેપોની ખરીખોટી ભીંસ વચ્ચે સત્તાપક્ષમાં જોડાઈ ગયા છે, અને એમનાં પૈકી તેવીસ પરના સઘળા આક્ષેપો હાલ બાષ્પીભૂત માલૂમ પડે છે – બલકે, પંચમહાભૂતમાં ભળી ગયા છે.

સંજય સિંહના કેસનો ઉલ્લેખ આરંભે કર્યો પણ પરિસ્થિતિની ગંભીરતા એ વિગત પરથી સમજાય છે કે દેશના બે મુખ્ય મંત્રીઓ (કેજરીવાલ – ચાલુ હેમંત સૌરેન – હમણાં લગીના) સામી ચૂંટણીએ જેલબંધ છે. મુખ્ય વિપક્ષ (કાઁગ્રેસ) પર જૂની જંગી વસૂલીથી માંડી ખાતાંરૂંધ(એકાઉન્ટ્સ ફ્રિઝ)નો કોરડો વિંઝાયેલ છે. પૂર્વ ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશી સહિત પોતાનું નામ નહીં આપતા બીજા બે પૂર્વ ચૂંટણી કમિશનરોએ સાફ શબ્દોમાં કહ્યું છે કે ઇરાદાપૂર્વકની અસમાન સ્પર્ધા વચ્ચે અમ્પાયર (ચૂંટણીપંચ) મૌન રહી શકે નહીં.

શેષનનું હોવું તો માનો કે એક વિલક્ષણ વાત હતી, પણ 2009 અને 2019ના ચૂંટણીક્રમમાં આચારસંહિતાના પ્રવર્તન ને ચૂંટણી ઝુંબેશ દરમિયાન એવું બન્યું છે કે ચૂંટણીપંચ દરમિયાન થયું હોય. કહ્યું ને અમ્પાયર મૌન રહી શકે નહીં. આઈ.ટી. કે એન્ફોર્સમેન્ટ પ્રકારની ઇરાદાપૂર્વકની તવાઈ બાબતે કુરેશીએ પંચે લક્ષમાં રાખવા જોગ સાદો સિદ્ધાંત પણ બોલી બતાવ્યો છે કે જે નિર્ણયો વાટ જોઈ શકતા હોય તેને વાટ જોતાં રાખી શકાય છે.

અલબત્ત, કબૂલવું જોઈએ કે નાગરિક છેડેથી વિચારતાં આપણી એ એક ચિરવિમાસણ રહી છે કે ચોખ્ખાઈની રીતે સત્તાપક્ષ ને વિપક્ષ વચ્ચે પસંદગી ક્યાં છે. પણ ‘ડેવિલ એન્ડ ડીપ સી’ના વિતંડામાં ગયા વગર આવે વખતે નહીં ગમતે છતે પણ એક વિવેક કરવો અનિવાર્ય બની રહે છે. સત્તાપક્ષ જ્યારે રીતસરની રાજકીય લૉન્ડ્રીનું અગર ધાકધમકી અને પ્રલોભનનું રાજકારણ ખુલ્લા ખેલ ફરુખાબાદીની તરજ પર રમતો હોય ત્યાર વિપક્ષ પરત્વે આપણા શુદ્ધિઆગ્રહને એક હદમાં મ્યાન રાખવો રહે છે. બને કે આ સુખદ પસંદગી ન હોય. પણ સત્તાપક્ષની તાસીર જોતાં વિપક્ષ પરત્વે કંઈક દરગુજર કરવાની અપેક્ષા રહે એમાં કશું અસ્વાભાવિક નથી. ‘નોટા’ પ્રકારનો વિકલ્પ છે એ સાચું, પણ એકલદોકલ નૈતિક ઉદ્રેકનું મૂલ્ય પ્રમાણતે છતે અસરકારક રસ્તો તો સ્પષ્ટ વિરોધમતનો જ વરતાય છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 04 ઍપ્રિલ 2024

Loading

ન્યાય તોળનારાનાં ત્રાજવાં અને માપ ન્યાયી છે ખરા ?

રમેશ ઓઝા|Opinion - Opinion|4 April 2024

રમેશ ઓઝા

દેશનાં જાહેરજીવનમાં, ધર્મ અને ધર્મિક જીવનમાં અને વ્યવસાયિક જીવનમાં આટલી બધી નિર્લજ્જતા અને નિર્દયતા કેમ જોવા મળી રહ્યાં છે, અને એ પણ ભારત જેવા દેશમાં? મારા એક મિત્રએ મને આ સવાલ કર્યો હતો અને મને ખાતરી છે કે તમે પણ મનોમન આવો પ્રશ્ન કરતા હશો. બે દાયકા પહેલાં જો કોઈએ આવી કલ્પના પણ કરી હોત તો આપણે કહેત કે આવું પાકિસ્તાન જેવા મજહબમાં અટવાઈ ગયેલા અને પરિણામે નિષ્ફળ નીવડેલા દેશમાં બને અથવા અમેરિકા જેવા ભોગવાદી દેશમાં બને, ભારતમાં આવું ન બને. ભારત મર્યાદાઓમાં માનનારો દેશ છે અને એ રીતની ભારત ખ્યાતિ ધરાવે છે.

ઈ.ડી. અને ઈ.બી.(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને ઈલેક્ટોરલ બોન્ડ્સ)નાં કારનામાં બહાર આવી રહ્યાં છે. પહેલા શિકાર પસંદ કરવામાં આવે. એ પછી ઇ.ડી. અથવા સી.બી.આઈ. દરોડા પાડે, કેસ દાખલ કરે, ધરપકડ કરે. થોડા દિવસ પછી એ શિકાર ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદે અને બી.જે.પી.ને આપવામાં આવે. અંતે શિકારને જવા દેવામાં આવે. ધરપકડ કરી હોય તો છોડી મૂકવામાં આવે અને કેસ નબળો પાડવામાં આવે. થોભો, ઈલેક્ટોરલ બોન્ડ્સ ખરીદીને જે માણસ છુટ્યો હોય તેનો પાછો રાજકીય હરીફ સામે ઉપયોગ કરવામાં આવે. છૂટવા માટે તેણે એ પણ કહેવું જરૂરી છે કે તેણે ફલાણા પક્ષની ફલાણી વ્યક્તિને લાંચ આપીને લાભ મેળવ્યો હતો. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા તેમ જ સંજય સિંહ સામેની કારવાઈ આનું ઉદાહરણ છે. માત્ર આ ત્રણ નહીં, બીજા અનેક લોકો આ રમતના શિકાર છે. ઈલેક્ટોરલ બોન્ડ્સ આપીને જે માણસ છૂટે તેનો બીજાને ફસાવવા માટે ઉપયોગ કરવામાં આવે.

મંગળવારે સર્વોચ્ચ અદાલતના એક ખંડમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને જામીન પર છોડવાને લગતો કેસ ચાલતો હતો અને બીજા ખંડમાં બાબા રામદેવ સામે વારંવારની ચેતવણી છતાં લોકોને ગેરમાર્ગે દોરનારી જાહેરખબરનો કેસ ચાલતો હતો. દિનેશ અરોરા નામના એક માણસે ઇ.ડી. સમક્ષ કબૂલ કર્યું હતું કે તેણે દારૂનો ઠેકો મેળવવા બે કરોડ રૂપિયા સંજય સિંહને આપ્યા હતા. આ દિનેશ અરોરા હમણાં કહી એવી રમતનું પ્યાદું છે. મંગળવારની સુનાવણીમાં સંજય સિંહના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ત્રણ પ્રશ્ન ઉઠાવ્યા જેને સર્વોચ્ચ અદાલતના જજોએ સ્વીકાર કરીને ઈ.ડી.ના વકીલોને કહ્યું કે આ ત્રણ સવાલોના જવાબો લંચ પછી સુનાવણી શરૂ થાય ત્યારે આપવામાં આવે. પહેલો સવાલ એ કે સંજય સિંહ છ મહિનાથી જેલમાં છે. હવે કઈ ચીજની પૂછતાછ કરવાની બાકી રહી ગઈ છે? બીજો સવાલ એ કે સંજય સિંહે બે કરોડ રૂપિયા દારૂના ઠેકેદાર પાસેથી લીધા હતા તો તેમાંથી કેટલા રૂપિયા હાથ લાગ્યા? આરોપી છ મહિનાથી તમારા કબજામાં છે તો ઓકાવી તો શક્યા જ હશો. ત્રીજો સવાલ એ કે દિનેશ અરોરાની કુલ નવ વખત પૂછપરછ કરવામાં આવી હતી જેમાં પહેલી આઠ પૂછપરછમાં એક પણ વાર સંજય સિંહનું નામ કોઈ જગ્યાએ આવતું નથી અને છેલ્લી નવમી પૂછપરછમાં કેવી રીતે આવ્યું અને એ પણ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી એની પહેલાં? કેમ આઠ વખત સંજય સિંહનું નામ નહોતું લેવાયું? ધરપકડ કરવા માટે નામ ઉમેરવામાં આવ્યું? લંચ પછી અદાલત પાછી બેઠી અને ઇ.ડી.ના વકીલે માત્ર એક જ વાક્ય કહ્યું કે સંજય સિંહને જામીન આપવામાં આવે તેની સામે ઇ.ડી.ને કોઈ વાંધો નથી. ઈ.ડી. પાસે આ ત્રણ પ્રશ્નોનો જવાબ નહોતો. બોલતી બંધ થઈ ગઈ.

બાબા રામદેવના કાંડ વિષે તો હું આ કોલમમાં લખી ચૂક્યો છું. ખોટા દાવાઓ કરતી અને એ રીતે દેશની પ્રજાને ગેરમાર્ગે દોરતી પતંજલિની જાહેરખબરો આપવાનું બંધ કરી દેવાનો સર્વોચ્ચ અદાલતનો આદેશ આ સંન્યાસી માનતો નહોતો. સર્વોચ્ચ અદાલતના આદેશની ઐસીતૈસી! એલોપથી છેતરપિંડીનું શાસ્ત્ર છે એમ જાહેરમાં અને જાહેરખબરોમાં કહેવામાં આવે પણ કેન્દ્ર સરકાર ચૂપ. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને પ્રશ્ન પૂછ્યો હતો કે તો પછી એલોપથીનું શિક્ષણ શા માટે આપવામાં આવે છે અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જેવી સંસ્થાઓ શું કામ ચલાવો છો? માત્ર બાબા નહીં, સરકાર પણ ચૂપ! અને તમને ખબર તો હશે જ કે આ જ બાબા રામદેવના ભાગીદાર બાલકૃષ્ણને હ્રદયરોગનો હુમલો આવ્યો ત્યારે તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા અને એલોપથીનો ઈલાજ કરવામાં આવ્યો હતો.

વારંવારની ચેતવણી પછી પણ બાબા સર્વોચ્ચ અદાલતને ગણકારતા નહોતા. મંગળવારે બાબાને સમજાઈ ગયું કે હવે સર્વોચ્ચ અદાલતની ધીરજ ખૂટી ગઈ છે એટલે તેમણે અદાલતમાં માફી માગી હતી. હસતા હસતા કોઈ માણસ માફી માગે એવું દૃશ્ય તમે આ પહેલા ક્યારે ય નહીં જોયું હોય. ક્યાંથી આવે છે આવી નિર્લજ્જતા અને કોણ પોષે છે એને?

સામાન્ય ચૂંટણીની પૂર્વસંધ્યાએ કોઈની મનફાવે એ રીતે ધરપકડ કરવામાં આવે, કોઈના બેંક એકાઉન્ટ સ્થગિત કરવામાં આવે, કોઈ પર ટેક્સની વસૂલીની નોટિસ મોકલવામાં આવે છે, જેમના પર ભ્રષ્ટાચારના આરોપ કર્યા હતા તેને બી.જે.પી.માં પ્રવેશ આપવામાં આવે છે, ભૂંડી ઘટના બને તો મોઢું ફેરવી લેવામાં આવે છે અને કેટલાક તો તેનો બચાવ કરે છે વગેરે તમે રોજ જુઓ છો. હવે સંયુક્ત રાષ્ટ્રસંસ્થાએ, અમેરિકાએ અને જર્મનીએ ભારતની ટીકા કરી છે અને ભારતનાં લોકતંત્રના ભવિષ્ય વિષે ચિંતા કરી છે. હા, ચીન, રશિયા અને ઉત્તર કોરિયાના શાસકોએ ભારતના શાસકોની નિંદા નથી કરી. ઇન્ડિયા ઈઝ ઇન અ ગૂડ કંપની.

પણ સવાલ એ છે કે આવી નિર્લજ્જતા ક્યાંથી આવે છે અને કોણ પોષે છે?

જવાબ બહુ સરળ છે. પાણી માપવામાં આવી રહ્યું છે. દેશની જનતાનું કે તે કેટલી હદે મૂર્ખ છે અને મુસ્લિમની પીડામાં કેટલી હદે સુખનો અનુભવ કરે છે. પાણી દેશની લોકતાંત્રિક સંસ્થાઓનું માપવામાં આવી રહ્યું છે કે તેમાં બેઠેલા લોકો કેટલી હદે ઝૂકે છે, ડરે છે અને વેચાય છે. પાણી મીડિયાનું અને હરીશ સાળવે જેવા લાભાર્થીઓનું માપવામાં આવી રહ્યું છે કે તેઓ કેટલી હદે બુટ ચાટે છે. પાણી વિશ્વસમાજનું માપવામાં આવી રહ્યું છે કે તેઓ તેમના આર્થિક સ્વાર્થને ધ્યાનમાં રાખીને કેટલી હદે ભારતમાં લોકશાહીના પતનને સ્વીકારે છે. જો બહુ વાંધો ન આવે તો ત્રીજી મુદ્દતમાં હજુ નીચે જવાનું સાહસ કરી શકાય. અને પાણી માપનારાઓમાં શાસકોનો, પાળીતા ઉદ્યોગપતિઓનો અને ધર્મગુરુઓનો એમ ત્રણેયનો સમાવેશ થાય છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 04 ઍપ્રિલ 2024

Loading

ગ્રામીણ ભારતના માધ્યમિક, ઉ.મા. શિક્ષણ સામેના પડકારો

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 April 2024

ચંદુ મહેરિયા

ઉચ્ચ પ્રાથમિક (ધોરણ-૮), માધ્યમિક (ધો-૯, ૧૦) અને ઉચ્ચ માધ્યમિક (ધો.૧૧,૧૨)માં શિક્ષણ મેળવતા ગ્રામીણ ભારતના ૧૪થી ૧૮ વરસના કિશોરો અને યુવાનોને પૂછવામાં આવ્યું કે ૧૫ લીટર પાણી શુદ્ધ કરવા ક્લોરીનની ૩ ગોળી જોઈએ તો ૨૫ લીટર માટે કેટલી જોઈએ ? ૫૧.૬૦ ટકા વિદ્યાર્થીઓને જવાબ આવડ્યો નહોતો. રોજિંદા જીવનનો અને બગડિયા-તગડિયાનો સાદો ભાગાકાર ના આવડે તેવા અડધા કરતાં વધુ વિદ્યાર્થીઓએ આઠેક વરસનું શિક્ષણ પૂર્ણ કર્યા પછીના શિક્ષણની આ હાલત છે.

પણ રહો. એમ નિરાશ થવાની જરૂર નથી. આ જ વય જૂથના ૮૫ ટકા લંબાઈ બરાબર માપી શકે છે.  હા, એમને  મુશ્કેલી ત્યારે પડે છે જ્યારે મેજરપટ્ટી ઝીરોથી શરૂ ન થતી હોય ! જો શૂન્યને બદલે બીજા કોઈ આંકડાથી લંબાઈ મપાવવી શરૂ કરાવીએ તો આ ૮૫ ટકા ઘટીને ૩૯ ટકે પહોંચી જાય છે !

રૂ. ૨૦,૦૦૦ની લોન પરનું જુદી જુદી ત્રણ બેન્કોનું વાર્ષિક વ્યાજ જણાવી, તમે કઈ બેન્ક પસંદ કરશો અને એક વરસ પછી કેટલી રકમ પાછી આપવાની થાય ? તે બંને પ્રશ્નનો સાચો જવાબ આપી શકનારા છાત્રો માત્ર ૬ ટકા જ હતા. તો ઓ.આર.એસ.ના પેકેટ પરની સૂચનાઓ વાંચી નહીં શકનારા સ્ટુડન્ટ ૩૫.૯ ટકા હતા. અર્થાત્‌ માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ રોજ બ રોજના વ્યાજદર, માપ જેવા પાયાના સંખ્યાત્મક કૌશલ કે વાચનમાં ઘણા કાચા છે.

કોઈ અઘરું વાચન-ગણન નહીં પણ તેઓ જે ધોરણમાં ભણે છે તેના કરતાં ચાર-પાંચ ધોરણ નીચેનું ભાષા કે ગણિતનું સાદું જ્ઞાન ન ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા પચાસ ટકાથી વધારે હોય તેવા શિક્ષણની ચિંતા અને તે દૂર કરવાના મસમોટા પડકારોની અનુભૂતિ  “ અસર” (ASER – એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ) ૨૦૨૩ વાંચતા થાય છે.

વરસ ૨૦૦૫થી બિનસરકારી સંસ્થા “પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન” ગ્રામીણ ભારતના શિક્ષણની સ્થિતિ વિશે વાર્ષિક રિપોર્ટ પ્રગટ કરે છે. ૨૦૧૮થી તે દ્વિવાર્ષિક ધોરણે પ્રગટ થાય છે. આ વરસના આરંભે “એન્યુઅલ સ્ટેટ્સ ઓફ એજ્યુકેશન રિપોર્ટ ૨૦૨૩ બિયોન્ડ બેસિક્સ” પ્રગટ થયો છે. ભારતના ૨૬ રાજ્યોના ૨૮ જિલ્લાના ૩૪,૭૪૫ વિદ્યાર્થીઓ પરના રાષ્ટ્રવ્યાપી નાગરિક નેતૃત્વકારી ઘરેલુ સર્વેક્ષણનો હેતુ શાળામાં પ્રવેશ કે નામાંકન જેવી મૂળભૂત બાબતથી આગળની સ્થિતિ જાણવાનો છે. શાળા શિક્ષણ અને શિખવવાની સ્થિતિ તથા વાસ્તવિક જિંદગીમાં તેના ઉપયોગનો તાગ મેળવવાનો પણ ઉદ્દેશ છે.

વિશ્વના ઘણા દેશો કરતાં ભારતમાં શાળામાં નામાંકનનો દર ઊંચો છે. ૨૦૨૧-૨૨માં ૬થી ૧૦ વરસનાં બાળકોનો શાળા પ્રવેશનો દર ૯૯.૧ ટકા હતો. નવીનતમ રિપોર્ટ મુજબ હાલમાં ૧૪થી ૧૮ વરસનાં બાળકોનો નામાંકન દર ૮૬.૮ ટકા છે. પરંતુ શું નામાંકનમાં વૃદ્ધિ શિક્ષણની ગુણવતાનો પુરાવો છે ? “બાળકો શાળામાં છે પરંતુ શીખી નથી રહ્યા”નો સંદેશ ધરાવતો ૨૦૨૩નો “અસર’ તેનો જવાબ છે. ૧૪થી ૧૮ વરસના ૫૦ ટકાથી વધુ વિદ્યાર્થીઓ સાદો ભાગાકાર કરી શકતા નથી. સ્થાનિક ભાષાનો બીજા ધોરણનો પાઠ અસ્ખલિત વાંચી ન શકનાર ૨૫ ટકા છે. જો કે ૫૭.૩૦ ટકા અંગ્રેજી વાક્ય બરાબર વાંચી શકે છે અને તેમાંથી ૭૩.૫ ટકાને જે વાંચે છે તેનો અર્થ  પણ આવડે છે.

ભારતમાં જે બાળકો શાળા છોડે છે તેને સરકાર ડ્રોપ આઉટ ગણાવે છે ખરેખર તો તેઓ આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કારણોસર શાળા બહાર ધકેલાય (પુશ આઊટ) છે. ૧૪ વરસના આવા કિશોરો ૩.૯ ટકા છે, ૧૬ વરસના ૧૦.૯ ટકા છે અને ૧૮ વરસના ૩૨.૬ ટકા છે. એટલે બાળક જેમ ઉપલા ધોરણમાં જાય તેમ શાળા છોડે છે કે શાળા બહાર ફેંકાય છે.

જેમ ડ્રોપ આઉટનો ઊંચો દર તેમ છોકરા-છોકરીનાં શિક્ષણ વચ્ચેનો ભેદ પણ ગ્રામીણ ભારતના શિક્ષણ સામેનો પડકાર છે. ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી કન્યાઓ સ્નાતક સુધી ભણવા માંગે છે, પરંતુ કુમારો ટૂંકા ગાળાના વ્યવસાયક્ષી કોર્સ મારફત કમાવા માંગે છે. નોકરી અને ડિગ્રી વચ્ચેનો અનુબંધ ઈચ્છનીય ગણાય પણ માત્ર  ૫.૬ ટકા જ વિદ્યાર્થીઓની જ હાયર સેકન્ડરીમાં વ્યવસાયલક્ષી શિક્ષણના પ્રવાહની પસંદગી છે. છોકરાઓ ગણિતમાં તો છોકરીઓ ભાષામાં આગળ છે. આ બધું ભારતની પિતૃસત્તાત્મક સમાજ વ્યવસ્થાને આભારી છે અને સમાજ સુધારણાની ચળવળનો પડકાર શિક્ષણ સમક્ષ પણ છે.

કોરોના મહામારીને લીધે સર્જાયેલી બેરોજગારી છતાં શિક્ષણમાં પ્રવેશ ખાસ ઘટ્યો નથી તે આશ્વાસનરૂપ છે. દેશમાં સ્માર્ટફોનની ઉપલબ્ધતા વધી છે. ૮૯ ટકા બાળકોના ઘરમાં સ્માર્ટફોન છે અને ૯૨ ટકા બાળકોને તે ચલાવતા પણ આવડે છે. જો કે સર્વેક્ષણ હેઠળના વયજૂથના ૪૩.૭ ટકા છોકરા અને ૧૯.૩ ટકા છોકરીઓ મળી ૩૧.૧ ટકા પાસે તો ખુદનો  સ્માર્ટ ફોન છે.  ૮૦ ટકા તેનો ઉપયોગ મનોરંજન માટે કરે છે. અલબત્ત ૭૦ ટકા કોઈ જવાબ શોધવા ગુગલબાબા પાસે જવાનું જાણે છે. પોણા ભાગનાને એલાર્મ સેટ કરતાં ફાવે છે. એટલે હવે કમ્પ્યુટર અને ફોનનો શૈક્ષણિક ઉપયોગ વધારવાની જરૂર છે.

‘અસર’ના શૈક્ષણિક સ્થિતિ અંગેના રિપોર્ટની નોંધ નીતિ નિર્માતા, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને વાલીઓ લે છે અને તેના અમલ માટે લોકદબાણ ઊભું થાય છે. ૨૦૧૭માં શિક્ષણના અધિકાર અધિનિયમમાં રાજ્યો માટે શિક્ષણનાં મૂલ્યાંકનને ફરજિયાત કરતો સુધારો, નીતિ આયોગનો ૨૦૧૭થી ૨૦નો એકશન પ્લાન તથા ૨૦૨૦ની શિક્ષણ નીતિમાં બાળકો પાયાનું વાચન ગણન સંબંધી જ્ઞાન કૌશલ હાંસલ કરે તેનો સમાવેશ અસરના સર્વેક્ષણનું પરિણામ હોઈ શકે છે.

ઉપલા ધોરણના બાળકોનો નીચલા ધોરણનો પાયો કાચો હોય તેનું શું થઈ શકે તે પણ એક પડકાર છે. વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકો માટે તેમના હાલના અભ્યાસક્રમની સાથે નીચેના ધોરણનું ભણાવવાનું શક્ય બનતું નથી. બીજી તરફ જો પાયો કાચો હશે તો ભવિષ્યમાં દેશની શ્રમશક્તિની ગુણવત્તા પર અસર થશે તેથી પણ તેમને બીજા બાળકોની હરોળમાં લાવવા જરૂરી છે. શિક્ષણની વ્યવસ્થા પાઠ્યપુસ્તક કેન્દ્રી કે વર્ગ કેન્દ્રી ને બદલે વ્યક્તિગત વિદ્યાર્થી કેન્દ્રિત બનાવી શકાય તો કદાચ નામાંકનમાં વૃદ્ધિ શિક્ષણની ગુણવત્તામાં પણ વૃદ્ધિ બની શકે.

ચૌદથી અઢાર વરસના કિશોરો અને યુવાઓ તેમના ભાવિ વિશે બેખબર છે અને તેનું કોઈ માર્ગદર્શન તેમને મળતું નથી. ૪૮.૩ ટકા વિદ્યાર્થિનીઓ અને ૪૨.૫ ટકા વિદ્યાર્થીઓના કોઈ આદર્શ કે રોલમોડેલ નથી. ડેમોગ્રાફિક ડિવિડન્ડના લાભ મેળવવા હવે વિશ્વગુરુ બનવું હશે તો મતદારની વયે પહોંચેલા વિદ્યાર્થીઓના શિક્ષણની હાલત વિષે ચિંતા કરી તેમના શિક્ષણ સામેના પડકારો ઝીલી લેવા તે સમયનો તકાદો છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...607608609610...620630640...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved