Opinion Magazine
Number of visits: 9665172
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાગલાની સ્મૃતિને રાજકીય રંગ આપવાની શી જરૂર?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 August 2024

દસ હજારથી વધુ લોકોની જુબાની સાથે, અને હજુ ઉમેરાતી જુબાનીઓ સાથે, ગુનીતા સિંઘે ‘પાર્ટિશન આર્કાઈ‌વ્ઝ’ની દિશામાં મોટું કામ હાથ ધર્યું છે

પ્રકાશ ન. શાહ

કટોકટી દરમ્યાન 1976માં અમે સૌ મિસાબંદીઓનું જે રૂડું રાવણું જામ્યું હતું, વડોદરા જેલમાં, એમાં જનસંઘના રામદયાલ વિશ્વકર્મા પણ હતા. ભાગલા પછી સિંધથી જેઓ અહીં આવ્યા તે પૈકીના એક એ પણ હતા અને પહેલ ને પુરુષાર્થથી વડોદરા પંથકમાં ‘પ્રતાપ’ પેનના નિર્માણથી એમણે આગવી ઓળખ પણ જમાવી હતી. આગળ ચાલતાં એ વડોદરાના ડેપ્યુટી મેયર પણ થયા હતા તે આ લખતા સાંભરે છે.

આઝાદી દિવસના ઉંબર કલાકો માટે આ લખી રહ્યો છું, અને આ ઉંબર કલાકો – 14મી ઓગસ્ટનો દિવસ – સત્તાવાર રીતે ‘ભાગલાના ત્રાસ ને હિંસાના સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવાનું એલાન થયેલું છે તેનો મને ખયાલ છે. જેલમાં વાંચવાનું ઠીક ઠીક બનતું. મહેન્દ્ર મેઘાણી તરફથી ‘મિલાપ’ના અંકો અને બીજું સાહિત્ય નિયમિત મળતું રહેતું. ‘મિલાપ’નો એક અંક ગુજરાતી લિપિમાં છાપેલી હિંદુસ્તાની રચના લઈને આવ્યો. 

જલાવતન જિંદગી બસર કરતો કવિ પોતે જ્યાંથી નિર્વાસન પામેલો છે એ વતનને યાદ કરતા કોઈ મુલાકાતીને પૂછે છે, કેવું છે આપણું ગામ ને એની ગલીઓ, હજુ એ જ કૂવે પનિહારીઓ પાણી ભરે છે … અને હા, પેલું મંદિર ને ઘંટારવ. ઊતરતી આવતી રાતે અમારા વોર્ડમાં અમે સહજ બેઠા હતા અને આ રચના એક મિત્ર પ્રગટપણે વાંચતા હતા. એ વાંચતા જાય ને લીટીએ લીટીએ રામદયાલ વિશ્વકર્માનું ડૂસકું સંભળાય. દેખીતી રીતે જ, પોતે ભાગલા વખતે જે ધરતી પાછળ મૂકી એનો સાદ એમને સંભળાતો હતો ને ડુમાયેલ ડૂસકાં વિના એ ક્ષણે કદાચ કોઈ મોક્ષ પણ નહોતો.

મુદ્દે, ઐતિહાસિક કારણોસર આપણા પ્રજાજીવનના એક હિસ્સાને સારુ હિંદુ વિ. મુસ્લિમ એ મુખ્ય વિમર્શ મુદ્દો બની રહેલ છે. વિભાજનની સ્મૃતિ આપણને પજવે એ તો સમજી શકાય એમ છે, પણ એને એક રાજકીય વિચારધારાનો માંજો પાઈને ઉછેરવાના વલણને સ્વીકારી શકાતું નથી. એ દિવસો સંભારીએ ત્યારે વિભીષિકા ન સાંભરે એવું તો નહીં જ કહી શકાય. પણ એ વિભીષિકાને કેન્દ્રમાં રાખીને પ્રજાજીવન ઘડી શકાય? લાખો માણસો સરહદની એક બાજુએથી બીજી બાજુએ ગયા. બંને બાજુએ લોકોએ વેઠ્યું જ વેઠ્યું. જે લોકો આ બાજુએથી ત્યાં ગયા એ પણ પોતે છોડેલ વતનની યાદે ઝૂરતા નહીં હોય એમ તો કહી શકાતું નથી.

ઇતિહાસવસ્તુ તરીકે વિભીષિકા એક વાસ્તવિકતા છે, પણ આખા ઘટનાક્રમ પરત્વે અને આગળ ચાલવાની રીતે તો જે બન્યું એને કારુણિકા તરીકે જોઈએ એમાં કદાચ વિશેષ ઔચિત્ય છે. વિભીષિકાથી બને કે વિક્ટમહુડ અને વેરઝેરનું એક વ્યાકરણ રચાતું આવે. કારુણિકાનો અભિગમ આત્મખોજ અને રચનાનું કાવ્ય બનીને વિલસે. હમણાં હમણાં જે સત્તાવાર એલાન થયું છે, 26મી જૂનને ‘બંધારણ હત્યા દિવસ’ તરીકે મનાવવાનું, એને પણ આ રીતે જોઈ તો શકાય. કટોકટીકાળે દેશના અંતરાત્મા તરીકે ઉભરેલું વ્યક્તિત્વ જયપ્રકાશ નારાયણનું હતું. કટોકટી ઊતર્યા પછી જનતા પર્વ બેઠું ત્યારે જયપ્રકાશ છાત્ર યુવા સંઘર્ષ વાહિનીના સાથીઓને 26મી જૂનને ‘લોકચેતના દિવસ’ તરીકે મનાવવાનું સૂચવ્યું હતું. પ્રતિકારનો મહિમા પણ પ્રતિશોધની નહીં, પરંતુ નિર્માણની રાજનીતિનો પુરસ્કાર.

આખી વાતને ધોરણસર પરિપ્રેક્ષ્યમાં મૂકી જોવા-તપાસવા અને સમજવાની રીતે, બને કે, અમૃતસરમાં તાજેતરનાં વરસોમાં ઊભું થયેલું પાર્ટિશન મ્યુઝિયમ અને એ પ્રકારના બીજા ઉપક્રમો ઉપયોગી થઈ શકે. એક આવકાર્ય બિનસરકારી પહેલ, એમ તો, સુદૂર અમેરિકાના બર્કલી કેમ્પસ પરથી પાછલાં વર્ષોમાં થઈ છે. ગુનીતા સિંઘ ભલ્લાએ વિભાજન પછી 12-13 દેશમાં પથરાયેલા ભારતીયો કનેથી પ્રથમ વ્યક્તિ એકવચનમાં દસ્તાવેજી દાસ્તાન મેળવવાનો આખો એક મૌખિક ઇતિહાસ પ્રકલ્પ, કેટલાક પગારદાર ને સંખ્યાબંધ સ્વૈચ્છિક લોકોની સંકલનાથી ઊભો કર્યો છે. દસ હજારથી વધુ લોકોની જુબાની સાથે, અને હજુ ઉમેરાતી જુબાનીઓ સાથે, ગુનીતા સિંઘે ‘પાર્ટિશન આર્કાઈ‌વ્ઝ’ની દિશામાં મોટું કામ હાથ ધર્યું છે. ગુનીતા સિંઘ કહે છે કે કોઈ સંસ્થાગત કે રાજકીય જુબાનીઓથી ઉફરાટે આ વ્યક્તિગત નિવેદનો કંઈક જુદું જ કહે છે. ભારત-પાકિસ્તાન સત્તાવર્તુળોની પોતપોતાની તરેહની ‘રાષ્ટ્રવાદી રજૂઆત’માં નહીં બંધાતી ઘણી વાતો સમજવાની રીતે સામે આવે છે.

સહેજ આઘોપાછો થતો લાગું, પણ સંભારું કે એક અર્થમાં આપણે બબ્બે વિભાજન જોયાં છે. પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશનું એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે બહાર આવવું, એ પણ આમ તો વિભાજન છે ને! 

1905માં બંગભંગ એ પહેલો અનુભવ હતો, પછી ભારત-પાક ભાગલા, અને તે પછી પાકિસ્તાનના ભાગલા … સ્વતંત્ર વિષય છે, પણ આપણી ચર્ચામાં ઉપયોગી એવું સ્મરણ તસલીમા નસરીનનું કરી જ લઉં. અયોધ્યા ઘટના પછી બાંગ્લાદેશમાં મુસ્લિમ કટ્ટરવાદીઓએ હિંદુઓને નિશાન બનાવ્યાં ત્યારે કોમી ગાંડપણ સામેના નિર્ભીક ને નક્કુર અવાજ લેખે તસલીમા ‘લજ્જા’ નવલકથા લઈને ઉભર્યાં હતાં. પરિણામે એ નિર્વાસન પામ્યાં ને યુરોપમાં, અંતે, ભારતમાં નિવાસ પામ્યાં છે. આપણે એમને એમની નાગરિક ને માનવીય ભૂમિકાવશ સ્વાભાવિક જ પોંખીએ પણ છીએ.

આ જ તસલીમાએ એમનાં ભારતવર્ષોમાં જે જોયું, અનુભવ્યું એ પછી તે ‘લજ્જા’ની અનુનવલ ‘બેશરમ’ (‘શેઈમલેરસ’) લઈને આવ્યાં છે. બાંગ્લાદેશમાં રંજાડ પામેલું હિંદુ કુટુંબ ભારતમાં આશરો લે છે. આખો વાર્તાસાર તો નથી આપતો, પણ બાંગ્લા રંજાડવશ આ સમુદાર સેક્યુલર પરિવાર અહીં એક તબક્કે હિંદુત્વ રાજનીતિમાં પનાહ શોધવા કરે છે. પણ દિલનો કરાર ક્યાં. ઠેકાણું પડતું નથી. ક્યાંથી પડે?

પાકિસ્તાનની નિર્વાસન પામી ફહમિદા રિયાઝ અમૃતા પ્રીતમની ભલામણથી ઈંદિરાજીના કાળમાં આપણે ત્યાં સાત વરસ રહી ગયાં હતાં. પણ, પછી આપણી બદલાયેલી હવામાં માર્ચ 2014માં એમણે લખ્યું: 

‘તુમ બિલકુલ હમ જૈસે નિકલે, 

વો મૂર્ખતા, વો ગંવારપન, 

જિસમેં હમને સદી ગંવાઈ, 

આખિર પહોંચી દ્વાર તુમ્હારે, 

અરે બધાઈ, બહોત બધાઈ …’

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 14 ઑગસ્ટ 2024

Loading

15 ઑગસ્ટ નિમિત્તે

પંચમ શુકલ|Opinion - Opinion, Poetry|15 August 2024

સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાને વ્યવહારમાં ચરિતાર્થ કરવા પોતપોતાની રીતે સંઘર્ષ કરતા દરેક નાગરિકના સૂરમાં સૂર મેળવી મેઘાણીની કવિતા “હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ”ને યાદ કરીને આ શબ્દાંજલિ…

અશોક ચક્રની નીચે અસ્ફુટ ચ્હેરો છે,

ઉન્મુક્ત ઝંડો અકથ ઢાંકનારો સહેરો છે!

અઠંગ અડ્ડા નવા રંગરૂપે વિસ્તરતા,

કશે છે ધામ, કશે બાગ બાગ  ડેરો છે!

દરેક જીભ ઉપર ‘સ્વસ્તિ’, ‘સ્વસ્તિ’ ઉચ્ચારણ,

બધી જ વાણી ઉપર સરસતીનો પ્હેરો છે!

ચચરતું કોણ ભરે રામબાણ બાજરિયું?

જનોઈવઢ પડેલો ઘાવ ખૂબ ગહેરો છે!

વિગત એ શૌર્યકથાની કદીક ઊકલશે,

રુધિરનો ડાઘ હજી રાજઘાટે ઘેરો છે!

e.mail : spancham@yahoo.com

Loading

હૉસ્ટેલ વિહોણી : ત્રણસો જેટલી વિદ્યાર્થિનીઓ !

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|14 August 2024

કૉલેજોનું પહેલું સત્ર શરૂ થયે દોઢ મહિનો વીતી ગયો છે. ઘણી વિદ્યાશાખાઓના પહેલાં વર્ષ સહિતના બધાં વર્ષોના વર્ગો શરૂ થઈ ચૂક્યા છે. પણ અમદાવાદની ગુજરાત કૉલેજ નજીક આવેલી સરકારી કન્યા છાત્રાલય હજુ સુધી ખૂલી નથી.

ગુજરાત સરકારની આ હૉસ્ટેલ ચાર માળની છ ઇમારતોમાં સાડા ત્રણસો જેટલી વિદ્યાર્થિનીઓના નિવાસની ક્ષમતા ધરાવે છે. અહીં એક સત્રની ફી એક હજાર રૂપિયા જેટલી છે (અનામત વર્ગ માટે ફી મુક્તિ છે).

ફીની રકમમાં અહીં સાતેય દિવસ બે ટંક ધોરણસરનું જમવાનું પણ આવી જાય છે. મધ્યમ કદના અને હવા-ઉજાસવાળા બે/ત્રણ વિદ્યાર્થિનીઓ માટેના ઓરડા છે. તેમાં દરેક વિદ્યાર્થિનીને એક પલંગ, એક કબાટ અને એક-એક ટેબલ-ખુરશી મળે છે. હૉસ્ટેલની સ્વચ્છતા અને સુરક્ષાવ્યવસ્થા ધોરણસરની છે.

આટલી વ્યવસ્થાવાળી હૉસ્ટેલમાં ગુજરાત સરકારની અકાર્યક્ષમતાને કારણે અત્યારે એક પણ વિદ્યાર્થિની રહી શકતી નથી. ગયા શૈક્ષણિક વર્ષના અંતથી એટલે કે મે મહિનાથી અહીં સમારકામ જ ચાલુ છે ! 

pastedGraphic.png

તો આ છાત્રાલયની વિદ્યાર્થિનીઓ ક્યાં રહે છે ?

કેટલીક વિદ્યાર્થિનીઓ પી.જી. (પેઇન્ગ ગેસ્ટ) નિવાસ વ્યવસ્થામાં, કેટલીક શહેરમાં વસતાં સગાંને ત્યાં રહે છે. કેટલીક છોકરીઓ ઘરે જ રહે છે અને અભ્યાસમાં નુકસાન વેઠે છે.

પી.જી. મોંઘી વ્યવસ્થા છે. તેમાં દર મહિને છથી દસ હજાર રૂપિયા ભાડું હોય છે, એક રૂમમાં ચાર-પાંચ જણ રહે છે. વૉશરૂમ યુનિટ મોટે ભાગે એક કે બે જ હોય છે. રહેનારાંની સંખ્યા જેટલી ઓછી, જેટલી સગવડ, જેવો વિસ્તાર, જેટલું બસ સ્ટૅન્ડ અને જીવનજરૂરિયાતનું બજાર નજીક તેટલું ભાડું વધારે.

યુવતીઓ માટેનાં પી.જી. ઓછાં અને કંઈક વધુ મોંઘાં છે. તેનું પહેલું કારણ આપણા સમાજના મોટા હિસ્સાનો સ્ત્રીઓ તરફ જોવાનો નજરિયો જે સ્ત્રી-વિરોધી, કે સ્ત્રીને સાથ કે ટેકો ન આપનારો અને પુરુષ-પ્રધાન છે.

સમાજના આવા નજરિયાને કારણે સોસાયટી/એપાર્ટમેન્ટ્સમાં યુવતીઓને પી.જી. મળવામાં ઘણી મુશ્કેલી પડે છે. પી.જી.નો વ્યવસાય કરનારા રોકાણકારો મહિલા પી.જી.માં ઓછા પડે છે. એટલે યુવતીઓનાં પી.જી. સરખામણીએ ઓછાં છે. માગ વધુ, પુરવઠો ઓછો, એટલે ભાવ વધુ.

કૉલેજમાં ભણતી યુવાન વ્યક્તિને સગાંને ત્યાં – એમાં ય અમદાવાદ જેવાં શહેરમાં – રહીને ભણવું એ સામાજિક-આર્થિક-વ્યવહારુ રીતે અનુકૂળ વિકલ્પ બંને પક્ષે ભાગ્યે જ બને (સંયુક્ત કુટુંબનો મહિમા આમાં ઓછો કામ કરે છે). એમાં ય આ તો છોકરીને પોતાને ત્યાં રાખવાની વાત (આમ ભલે આપણે ‘દીકરી .. દીકરી’ની દુહાઈ દેતા હોઈએ)!

જે વિદ્યાર્થિનીઓ માટે આ બંને વિકલ્પ બંધ છે તેઓ અભ્યાસમાં નુકસાન વેઠી રહી છે. કૉલેજમાં વર્ગની હાજરીના નિયમને કારણે તેમને મુશ્કેલી પડે તેમ પણ બને.

સમર્પિત સંગઠન ડેમોક્રેટિક સ્ટુડન્ટસ ઑર્ગેનાઇઝેશન (ડી.એસ.ઓ.) પાસેથી એમ પણ જાણવા મળે છે કે ઉપરોક્ત છાત્રાલયનો એકાદ બ્લૉક તો ઘણાં સમયથી બંધ જ છે, અને હવે ખંડિયેર થતો જાય છે.

અન્ય ત્રણ સરકારી કન્યા છાત્રાલયો (અને કુમાર છાત્રાલયો પણ) સુધ્ધાં વર્ષોથી મોડાં શરૂ થાય છે. આ અંગે સંગઠનની રજૂઆતો પછી તેમાં નજીવો ફેર પડ્યો છે. કાર્યકર્તાઓએ આ હૉસ્ટેલની અનેક પ્રકારની અગવડોને લગતી રજૂઆતો તરફ પણ તંત્રએ ભાગ્યે જ ધ્યાન આપ્યું છે.

ધ્યાનમાં લેવા જેવો મુદ્દો એ પણ છે કે અમદાવાદની સરકારી હૉસ્ટેલોમાં રહેતાં યુવક-યુવતીઓમાંથી મોટા ભાગના મધ્યમ વર્ગના, ગરીબ કે શ્રમજીવી વર્ગનાં છે.

તેમાંથી ઘણાં એવા અંતરિયાળ ગામોમાં રહે છે કે જ્યાં દિવસમાં એક-બે બસો જ જતી હોય. સરકારી હૉસ્ટેલમાં પ્રવેશ મેળવવા માટે મેરિટ, અનામત અને અનુદાનિત કૉલેજોમાં અભ્યાસ એ પૂર્વશરતો છે.

અમદાવાદ, વડોદરા અને સૂરત જેવા શહેરોમાં કૉલેજ શિક્ષણ માટે ગુજરાતભરમાંથી ધસારો રહે છે. જે યુવાઓને સરકારી, પોતાની કૉલેજની કે જ્ઞાતિની હૉસ્ટેલ્સમાં પ્રવેશ મળતો નથી તેમાંથી થોડાંક રૂમ ભાડે રાખીને રહે છે.

બાકીનાં મોટા ભાગના હવે પી.જી.માં રહે છે, જે બધાં મા-બાપને પોષાતો હોતું નથી.પી.જી. એ શહેરોમાં ધીખતો ધંધો છે. 

pastedGraphic.png

ગુજરાતમાં શિક્ષણમાં ડ્રૉપ–આઉટ રેટ : 

પ્રખર અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહ આ અંગે માહિતી આપે છે. સરકારી આંકડા ટાંકીને તેઓ કહે છે કે 2012માં ગુજરાતમાં પહેલાં ધોરણમાં 17 લાખ જેટલા વિદ્યાર્થીઓ દાખલ થયા હતા.

તેમાંથી 2024માં બારમાની બોર્ડની પરીક્ષા સુધી માત્ર 4 લાખ 77 હજાર વિદ્યાર્થીઓ પહોંચ્યા. તેમાંથી આખા ગુજરાતમાં બધી શાખાઓમાં થઈને 3 લાખ 10 હજાર વિદ્યાર્થીઓએ કૉલેજોમાં પ્રવેશ લીધો.

તેઓ ઉમેરે છે કે યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના આંકડા પ્રમાણે કૉલેજમાં અભ્યાસમાં જોડાનારા દેશના વિદ્યાર્થીઓનો આંકડો 100માંથી 26 છે, જ્યારે ગુજરાતમાં તે 100માંથી 22 છે.

ભણતર છોડી દેવાની (કે આપવા ખાતર શિક્ષણ આપવાની) આ પ્રક્રિયામાં કન્યાઓનો પહેલો ભોગ લેવાય છે એ વાત તો જાણીતી છે. ગુજરાતમાં કન્યાશિક્ષણનો તાજેતરનો ડ્રૉપ આઉટ રેટ સેકન્ડરી કક્ષાએ 15.9% છે એવી માહિતી 13 ફેબ્રુઆરી 2023 તારીખે લોક સભામાં શિક્ષણ વિભાગે પૂરી પાડી હતી એ વિગત ડી.એસ.ઓ.એ પૂરી પાડી છે.

સંગઠને એમ પણ માહિતી આપી છે કે રાષ્ટ્રીય કક્ષાએ હાઇસ્કૂલ લેવલે કન્યાશિક્ષણમાં સરેરાશ ડ્રૉપઆઉટ 14.6% છે, જે ગુજરાતમાં 23.3% છે. આ આંકડા Journal for Reattach Therapy and Developmental Diversitiesમાં 2021માં ગૂજરાત વિદ્યાપીઠના ડૉ. હિતેશ જાગાણીએ નોંધી છે.

ગુજરાતમાં ગયાં છવ્વીસ વર્ષથી ભારતીય જનતા પક્ષ સિવાય કોઈ પક્ષની સરકાર નથી. અત્યારે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ-ચાન્સલર એક મહિલા છે. ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ ભા.જ.પ. સરકારનું જ સૂત્ર છે. આ બધાં છતાં ય ગુજરાતમાં સ્ત્રી-શિક્ષણની અવદશાનો ઉપરોક્ત કન્યા છાત્રાલય માત્ર એક દાખલો છે.

નેતા આવવાના હોય ત્યારે ઊભા મોલ વાઢીને પણ હેલિપેડ રાતોરાત બની જાય છે. વાઇબ્રન્ટ સમિટના દેશવિદેશના માલેતુજારો માટે ઝટકામાં ઝાડ કાપીને ચકચકાટ રસ્તા ઝડપભેર બની જાય છે.

પણ આપણા નિંભર શાસક વર્ગને સામાન્ય માણસની કિંમત નથી, તેમાં મહિલાઓની તો ખાસ નહીં.

અન્યથા મુઝફ્ફરનગર, ઉન્નાઓ કે હાથરસની પીડિતાઓ કે બિલ્કીસ બાનુ કે જાતીય સતામણી સામે મોરચો માંડનાર વીનેશ અને તેમનાં સાથીઓ ન્યાય માટે રઝળે ?

આ સરકારી છાત્રાલયની વિદ્યાર્થિનીઓ હોસ્ટેલ-વિહોણી રહે ?

(Picture collage : Prajakta)
14 ઑગસ્ટ 2024 
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...603604605606...610620630...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved