Opinion Magazine
Number of visits: 9552494
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આખા ગુજરાતમાં દારુ-જુગારના અડ્ડા કેમ સંકેલાઈ ગયા હતા?

રમેશ સવાણી|Opinion - Opinion|3 December 2025

‘Bullet for Bullet : My Life as a Police Officer – બુલેટ ફોર બુલેટ : માય લાઈફ એઝ અ પોલીસ ઓફિસર’ IPS અધિકારી જુલિયો રિબેરોની આત્મકથા છે.

Julio Ribeiro-જુલિયો રિબેરો (96) કોણ છે? ભારતના પ્રથમ ‘સુપરકોપ’. 36 વરસની પોલીસ સર્વિસનો અનુભવ. તેમનો જન્મ 1929માં ગોવામાં થયો હતો. 1953માં ભારતીય પોલીસ સેવામાં જોડાયા પછી, તેમણે પંજાબ, દિલ્હી, મુંબઈ, ગુજરાત અને ગોવા જેવા વિવિધ રાજ્યોમાં કામ કર્યું.

‘બુલેટ ફોર બુલેટ’માં મહત્ત્વના પડકારો, અનુભવો, નીતિ અને ભ્રષ્ટાચાર સામેની તેમની લડાઈનું વિગતવાર વર્ણન છે. સંગઠિત ગુનાખોરી, સાંપ્રદાયિક હિંસા અને રાજકીય દબાણ વચ્ચે પોલીસિંગના કઠિન નિર્ણયો કેવી રીતે લેવાય છે, તે પોતાના અનુભવો દ્વારા સમજાવે છે. 

મુંબઈના પોલીસ કમિશ્નર તરીકે તેમના કાર્યકાળમાં 1984માં દેશભરમાં થયેલા એન્ટી-શીખ રમખાણો સમયે બોમ્બે તેમના નેતૃત્વ હેઠળ બચી ગયું, જે આ પુસ્તકનો મહત્ત્વનો ભાગ છે.  મોટા શહેરમાં ક્રાઈમનું ઊંચું પ્રમાણ અને ‘ટચી’ રાજકારણ વચ્ચે કાયદો-વ્યવસ્થા કઈ રીતે સંભાળવી તે તેઓ વ્યવહારુ ઉદાહરણોથી બતાવે છે. 

1986માં પંજાબ આતંકવાદના શિખરે હતું ત્યારે તેમની નિમણૂક પંજાબના DGP-ડાયરેક્ટર જનરલ ઑફ પોલિસ તરીકે થઈ. ત્યાં કરેલું કામ પુસ્તકનો શિખરભાગ બને છે. 

પુસ્તકમાં આખું વર્ણન નિષ્કપટ અને નિષ્પક્ષ સ્વરે છે, જેમાં સાચા-ખોટા વચ્ચેની રેખા, ઘણી વાર ધૂંધળી કેવી રીતે બની જાય છે તે પોલીસિંગના પરિપ્રેક્ષ્યમાં સમજાય છે. વ્યક્તિગત સીમાચિહ્નો, નગર-રાજકારણ અને આતંકવાદ વિરોધી કામગીરીને સાધીને, પુસ્તક વાચકને પોલીસ તંત્ર કેવી રીતે કામ કરે તેની અંદરની સમજ આપે છે. 

રિબેરો કહે છે કે ‘પોલીસ અધિકારીએ ન્યાય અને નૈતિકતાનું પાલન કરવું જોઈએ, ભલે ગમે તેટલું રાજકીય દબાણ આવે. તેમણે રાજકારણીઓ અને માફિયાના દબાણ સામે ઝૂકવું ન જોઈએ. પોલીસમાં ભ્રષ્ટાચાર દૂર કરવા માટે નિયમોનું કડક પાલન અને પારદર્શિતા પર ભાર મૂકવો જોઈએ.’ 

પોલીસ અને લોકો વચ્ચે વિશ્વાસ પ્રગટાવવા માટે સુધારણાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો. તેમનો નિર્ભય સ્વભાવ અને ગુનાખોરો સામે સીધી લડતની ઘટનાઓ પુસ્તકમાં પ્રેરણાદાયી રીતે રજૂ થઈ છે. 

આ પુસ્તક  એટલે ન્યાય અને નૈતિકતાની લડત લડનારા એક પોલીસ અધિકારીની પ્રેરણાદાયી કથા; જે  ભારતીય પોલીસ વ્યવસ્થાને વધુ સુધારવા પ્રેરણા આપે છે.

ઓગસ્ટ 1991માં, તેઓ રોમાનિયામાં ભારતીય રાજદૂત હતા ત્યારે બુકારેસ્ટમાં તેમની પર પંજાબી શીખ બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો. તેમાં તેઓ ઘાયલ થયા હતા પણ બચી ગયા હતા.

1986માં, કલકત્તાના ‘ટેલિગ્રાફ’ અને મદ્રાસના ‘હિન્દુ’ દ્વારા પ્રકાશિત પાક્ષિક ‘ફ્રન્ટલાઈન’એ તેમને ભારતના તે વર્ષના શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે જાહેર કર્યા હતા; અમેરિકાના ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’, ‘ટાઇમ’ અને ‘ન્યૂઝવીક’ એ પણ પંજાબમાં આતંકવાદ સામેની લડતમાં તેમના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. 

તેઓ ધ હેપ્પી હોમ એન્ડ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ અને ધ બોમ્બે મધર્સ એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર સોસાયટી જેવી ઘણી સખાવતી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. 1987માં તેમને ‘પદ્મ ભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

pastedGraphic.png

‘Hope for Sanity – હોપ ફોર સેનિટી’ પુસ્તકમાં 2002થી 2021 વચ્ચે લખાયેલા જુલિયો રિબેરિયોના પસંદગીના લેખોનું સંકલન છે. જેમાં પોલીસ, શાસન અને સમાજ વિષયક ધારદાર વિચાર છે. આ લખાણો આજે પણ કાયદા-વ્યવસ્થા, નૈતિકતા અને સાંપ્રદાયિકતા વિશે સ્વસ્થ બુદ્ધિ જાળવવાની અપીલ કરે છે.

એમના વિષયોના થોડાં નમૂનાઓ :

[1] પોલીસ આચારસંહિતા, કસ્ટડીમાં સ્ત્રી સુરક્ષા અને દંડાત્મક જવાબદારી. 

[2] સેલિબ્રિટી કેસો, પોલીસ હિંસા અને દરરોજની પોલિસિંગની કઠિનતાઓ.

[3] ભ્રષ્ટાચાર અને નીતિ અમલની ખામીઓ પર અનુભવજન્ય કથાઓ. 

[4] પંજાબના ઉગ્રવાદ સમયે કાયદાની મર્યાદામાં રહી કામ કરવાની વૃત્તિ પર ભાર મૂક્યો. 

[5] બહુમતીવાદી દ્વેષ રોકવાનો સંવિધાનિક સંદેશ.

[6] પોલીસ દળની અંદર કડક જવાબદારી, ઝડપી કાર્યવાહી, અને પીડિતાઓને કેન્દ્રમાં રાખતી પ્રક્રિયા અતિ મહત્ત્વની છે. તેઓ આ ગુનાઓને ‘લોકો દ્વારા પોલીસ પર મૂકાયેલા વિશ્વાસનો સૌથી ગંભીર ભંગ’ તરીકે વર્ણવે છે. તેઓ કહે છે કે પોલીસ પાસે રાજ્ય દ્વારા સોંપાયેલ સત્તા હોવાથી તેમના ગુનાઓ માટે સામાન્ય આરોપીઓ કરતાં વધુ કડક સજા જરૂરી છે.

[7] નાસિક (1956–57) : સહાયક પોલીસ અધિકારી તરીકે તેમણે સુર્ગાણા વિસ્તારનો એક કેસ સંભાળ્યો હતો, જેમાં એક કૉન્સ્ટેબલે મેળામાં એક આદિવાસી મહિલાનો બળાત્કાર કર્યો હતો. તેના કારણે થયેલી અશાંતિ દરમિયાન પોલીસે ગોળીબાર કરવો પડ્યો જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું. અંતે, આરોપી કૉન્સ્ટેબલને 7 વર્ષની સજા થઈ.

[8] મુંબઈ (1982–85) : પોલીસ કમિશનર તરીકે તેમણે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનના એક કૉન્સ્ટેબલનો કેસ હાથ ધર્યો, જેણે સુરક્ષા માટે રાખવામાં આવેલી માનસિક રીતે પડકારગ્રસ્ત છોકરી સાથે બળાત્કાર કર્યો હતો. તે કૉન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી અને તેને બાદમાં કેદની સજા થઈ.

[9] આવા ગુનાખોર પોલીસકર્મીઓને ખૂબ જ કડક અને ઝડપી કાર્યવાહીથી દંડિત કરવા જોઈએ. વરિષ્ઠ અધિકારીઓએ પોતાની ટીમ સામે નૈતિક વર્તનનું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ (સૌથી મોટી ખામી નેતૃત્વની છે). પીડિતાઓ સાથે વ્યવહાર કરતી વખતે પ્રક્રિયા સંવેદનશીલ અને survivor-centric હોવી જોઈએ, શક્ય હોય ત્યારે નિવેદન મહિલા પોલીસકર્મી દ્વારા લેવાય, અને એવું શક્ય ન હોય તો ઓછામાં ઓછી બીજી કોઈ મહિલા હાજર હોવી જ જોઈએ. તેમ જ ફરિયાદ કરતી મહિલાઓને અપમાનજનક કે અશ્લીલ પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ નહી. કારણ કે તે તેમની પીડાને વધુ વધારી શકે છે.

pastedGraphic.png

જુલિયો રિબેરો, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના અગ્રણી ટીકાકાર રહ્યા છે, તેઓ લઘુમતી અધિકારો, ધર્મનિરપેક્ષતા અને ભારતીય લોકશાહીની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવા માટે વારંવાર અખબારી કૉલમ અને ઇન્ટરવ્યુનો ઉપયોગ કરે છે. તેમની મુખ્ય આલોચનાઓ : 

[1] લઘુમતી સાથેનો વ્યવહાર : તેમણે મોદી સરકાર સત્તામાં આવી ત્યારથી ‘લઘુમતી વિરોધી દ્વેષ’. લઘુમતીઓ ‘બીજા-વર્ગના નાગરિક’ બનવાના ડરમાં જીવે છે.

[2] દ્વેષપૂર્ણ ભાષણ પર મૌન : ભારતીય જનતા પાર્ટીના સભ્યો અને સમર્થકો દ્વારા કરવામાં આવતા દ્વેષપૂર્ણ ભાષણ અને સાંપ્રદાયિક હિંસા પર મૌન રહેવા માટે મોદીજીની ટીકા કરતાં તેઓ કહે છે કે શું વડા પ્રધાન તેમના પક્ષ દ્વારા ફેલાવવામાં આવતી નફરતને શાંત ન કરી શકે? 

[3] લોકશાહી સંસ્થાઓને નબળી પાડવી : ન્યાયતંત્ર અને ચૂંટણીપંચ સહિત ભારતના લોકશાહી અસ્તિત્વના વિવિધ ભાગોને નિયંત્રિત કરવાના પ્રયાસો પર તેમણે શંકા વ્યક્ત કરી છે, ચેતવણી આપી છે કે આવી ક્રિયાઓ ભારતીય લોકશાહીને જોખમમાં મૂકે છે.

[4] પોલીસનું રાજકીયકરણ : ભૂતપૂર્વ ટોચના પોલીસ અધિકારી (ગુજરાત અને પંજાબના મુંબઈ પોલીસ કમિશનર અને ડી.જી.પી. તરીકે સેવા આપતા), રિબેરોએ પોલીસ દળોના રાજકીયકરણ – Politicization of the police પર દુ:ખ વ્યક્ત કર્યું છે, અને કહ્યું છે કે પોલીસ તો ‘સંપૂર્ણપણે રાજકીય નેતૃત્વ’ દ્વારા નિયંત્રિત છે.

[5] સંજીવ ભટ્ટની ધરપકડ : તેમણે IPS અધિકારી સંજીવ ભટ્ટની ધરપકડની ટીકા કરી હતી. 

[6] તેમણે કહ્યું હતું કે ‘ચાર હત્યાઓ માટે કેસનો સામનો કરી રહેલા IPS અધિકારી પી.પી. પાંડેને, રાજ્યના પોલીસ વડાના પદ પર કેવી રીતે નિયુક્ત કરી શકાય? કારણ કે તેઓ કેસનો સામનો કરી રહ્યા છે, ઓલ ઇન્ડિયા સર્વિસીસ (કન્ડક્ટ) રૂલ્સ અનુસાર તેઓ સસ્પેન્શન હેઠળ હોવા જોઈએ. CBI દ્વારા હાઇકોર્ટની દેખરેખ હેઠળ તપાસમાં પી.પી. પાંડે ચાર્જશીટ કરાયેલ આરોપી છે, કાયદાની યોગ્ય પ્રક્રિયાનો સંપૂર્ણ અનાદર કરીને, તેમને ગુજરાતના કાર્યકારી DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કાર્યકારી DGP તરીકે તેમની પાસે આ સંવેદનશીલ કેસમાં સાક્ષી રહેલા અન્ય પોલીસકર્મીઓ પર સત્તા અને નિયંત્રણ હશે. જે ટ્રાયલની ન્યાયિક પ્રક્રિયા પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે. આ પદ પર નિમણૂક પહેલાં, પી.પી. પાંડેએ, લગભગ એક દાયકા પછી ગુજરાતમાં ફરી પ્રવેશતા ડી.જી. વણઝારાના ‘સ્વાગત સમારોહ’માં હાજરી આપી હતી. ઇશરત જહાં અને સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર હત્યાના આરોપી ડી.જી. વણઝારાનો પૂર્વગ્રહપૂર્ણ દૃષ્ટિકોણ સોશિયલ મીડિયા પર દેખાયો હતો જ્યારે તેમણે ‘મુઘલોના પુત્રો ભારત છોડો’ કહ્યું હતું.

જુલિયો રિબેરોની નિમણૂક, જૂન-1985માં, ગુજરાતના પોલીસ વડા-DGP તરીકે થતાં જ ગુજરાત આખામાં દારુ-જુગારના અડ્ડા સંકેલાઈ ગયા હતા ! કોમી રમખાણો શાંત થઈ ગયા હતા ! એનો અર્થ એ પણ થાય કે ગુજરાતમાં દારુ / ડ્રગ્સ / જુગારનું દૂષણ ત્યારે જ વકરે જ્યારે ગુજરાતના પોલીસ વડા પ્રામાણિક ન હોય અને હિમ્મતવાળા ન હોય, પણ ચાપલૂસ હોય. 

[સૌજન્ય : હિદાયત પરમાર] 
30 નવેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સવાલ પૂછનાર નહીં, જવાબ નહીં આપનારા દેશદ્રોહી છે

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|3 December 2025

હેમન્તકુમાર શાહ

‘દિશા’ દ્વારા સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાઓના ખેડબ્રહ્મા, પોશીના, દાંતા, અમીરગઢ, મેઘરજ અને વિજયનગર એમ છ તાલુકાના લગભગ ૭૦ જેટલા યુવાન નાગરિકો માટે યોજાયેલી ‘નાગરિક શાળા’માં આજે ત્રણેક કલાક આપેલા વ્યાખ્યાનના મુખ્ય મુદ્દા આ રહ્યા :

(૧) લોકશાહી એ સૌથી વધુ મૂલ્યવાન વહીવટી વ્યવસ્થા છે. એનું કારણ એ છે કે એ વ્યવસ્થામાં જ નાગરિકોને અધિકારો હોય છે, બીજી કોઈ પણ વ્યવસ્થામાં એ મૂળભૂત માનવ અધિકારો હોતા નથી. એ અધિકારો ન હોય તો આપણે જંતુ જેવા થઈ જઈએ. 

(૨) રાજાઓ હતા ત્યારે આપણે પ્રજા હતા. હવે રાજાઓ નથી, માટે આપણે પ્રજા નથી. હવે લોકશાહી છે અને એમાં આપણે નાગરિકો છીએ, પ્રજા નહીં. પ્રજાને કોઈ હક હોતો નથી, નાગરિકોને હક હોય છે. આજે દુનિયામાં જ્યાં પણ રાજાશાહી કે તાનાશાહી છે ત્યાં હકીકતમાં લોકો પ્રજા છે, નાગરિકો નહીં. આપણે નાગરિક બની રહેવા માટે મહેનત કરવી પડશે. આપણે પ્રજાસત્તાક નથી, આપણે નાગરિકસત્તાક છીએ. 

(૩) આપણે ૧૯૫૦માં બંધારણ બનાવીને આપણી જાતને આપણે પ્રજામાંથી નાગરિક બનાવી છે. હવે આપણે ફરી પ્રજા થઈ જઈએ નહીં એનું ધ્યાન રાખવાની જવાબદારી આપણી પોતાની છે. 

(૪) ભારતનું બંધારણ એક એવો કાયદો છે કે જેમાં આપણા અધિકારો આપણે લખેલા છે અને તેથી ચૂંટાયેલા લોકોની એ ફરજ છે કે તેઓ આપણા અધિકારોનું રક્ષણ કરે. આજકાલ આપણને આપણી ફરજોની યાદ અપાવવામાં આવે છે ત્યારે આપણે નેતાઓને આપણા અધિકારોનું રક્ષણ કરવાની એમની ફરજની યાદ આપવાની જરૂર છે.

(૫) રાજાઓ ગયા પણ ઘણા ચૂંટાયેલા નેતાઓ આજકાલ રાજાની જેમ વર્તે છે. અબજો રૂપિયાનો બેફામ ખર્ચ કરે છે. એ આપણા પૈસા છે. સરપંચ હોય કે વડા પ્રધાન, જે રાજાની જેમ વર્તે એને એમના ઘરમાં બેસાડી દેવાની નાગરિકોની ફરજ છે. એ ફરજ ચૂકીશું તો લોકશાહી સામે ખતરો ઊભો થશે. 

(૬) પંચાયતોમાં આપણે સ્વશાસન ઊભું કરવાનું છે. પંચાયતો એ સ્થાનિક સ્તરની સરકાર છે એમ બંધારણ કહે છે. જો ગ્રામ પંચાયતો લોકોની ભાગીદારીથી ચાલતી થશે તો જ લોકશાહી મજબૂત થશે. પણ ગુજરાત સરકાર ઇચ્છતી જ નથી કે સરપંચો એમ સમજે કે ગ્રામ પંચાયત એ ગામની સરકાર છે. એને ખરેખર સરકાર તરીકે કામ કરવા દેવામાં આવતું નથી. પંચાયતો રાજ્ય સરકારની ગુલામડી અને બિચારીબાપડી કરી દેવાઈ છે. 

(૭) આપણો હજારો વર્ષોનો ઇતિહાસ રાજાશાહીનો ઇતિહાસ રહ્યો છે. માત્ર ૭૫ વર્ષથી જ આપણે લોકશાહીમાં શ્વાસ લઈ રહ્યા છીએ. એ શ્વાસ રૂંધાઈ ન જાય તેની કાળજી રાખવાની છે. એ કાળજી ત્યારે જ રાખી કહેવાય કે જ્યારે આપણે સરકારને સવાલો પૂછીએ. સરકારને સવાલ પૂછનાર દેશદ્રોહી નથી, સવાલનો જવાબ ન આપનાર સરકાર દેશદ્રોહી છે. 

(૮) જે નાગરિક સરકારને સવાલ નથી પૂછતો, સરકારની ટીકા કરતો નથી, એ પ્રજા બની જાય છે, નાગરિક રહેતો જ નથી. ઘણી વાર તો એની ખબર એને પોતાને પણ પડતી નથી કે એ પ્રજા બની ગયો! સાચવો, આપણને નાગરિકમાંથી પ્રજા બનાવી દેવાનું મસમોટું કાવતરું ચાલી રહ્યું છે. 

તા.૦૨-૧૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર

દીપક મહેતા|Opinion - Opinion, Profile|3 December 2025

આજથી દસેક દાયકા પહેલાંની આ વાત છે. મુંબઈમાં જુનિયર બી.એ.માં ભણતો એક વિદ્યાર્થી. દોઢેક મહિના સુધી યુનિવર્સિટી ઓફ બોમ્બેની લાયબ્રેરીમાં રોજના પાંચ-છ કલાક બેસીને ભારતીય સંસ્કૃતિની પરંપરા, જુદા જુદા ધર્મો અને સંપ્રદાયો, વગેરે વિષે વાંચે છે, નોંધો કરે છે. કેમ? કારણ, ‘૧૯મી સદી દરમ્યાન પશ્ચિમ ભારતમાં થયેલી ધાર્મિક પ્રવૃત્તિઓ’ વિષેની નિબંધ હરીફાઈમાં ભાગ લેવાનું તેના અધ્યાપકે કહ્યું છે. ૧૦૦ ફૂલસ્કેપ પાનાંનો નિબંધ લખી સ્પર્ધામાં મોકલે છે, અને ૨૦૦ રૂપિયાનું ઇનામ મેળવે છે.

દાયકાઓ પછી એ વિદ્યાર્થી ગાંધીજી અને આપણા પાંચ સાક્ષરો વિષે પુસ્તક લખે છે. સંદર્ભ માટેનાં એક-બે પુસ્તકો અમદાવાદમાં ક્યાંયથી નથી મળતાં. ‘ચાલશે’ એમ નહીં. આ લખનારને ‘વિનંતી’ કરી મુંબઈની લાયબ્રેરીઓમાંથી તેની ઝેરોક્સ નકલો મેળવીને જ જંપે છે. અને યુવાન વિવેચકો કે સંશોધકોને પણ ઈર્ષા આવે એવું પુસ્તક આપણને આપે છે. પેલો જુનિયર બી.એ.માં ભણતો વિદ્યાર્થી અને ‘ગાંધીજી અને પાંચ સાક્ષરો’ પુસ્તકના લેખક તે બંને એક જ – ધીરુભાઈ ઠાકર.

કોડીનાર જેવું ગામડું, જ્યાં જન્મ થયેલો, ૧૯૧૮ના જૂનની ૨૭મી તારીખે. ૨૦૧૪ના જાન્યુઆરીની ૨૨મી તારીખે આપની વચ્ચેથી વિદાય લીધી. એટલે વરસ ગણો તો આયુષ્ય ૯૬ વર્ષ. પણ નારાયણ દેસાઈએ તેમને ‘ચિરયુવા’ તરીકે અને ‘આજીવન સંશોધક’ તરીકે ઓળખાવ્યા હતા. ધીરુભાઈ ચિરયુવા રહી શક્યા, કારણ આજીવન સંશોધક રહ્યા. જે માણસ સતત નવું નવું શોધતો જ રહે તે જૂનો કઈ રીતે થાય? એટલે ‘જ્ઞાનવૃદ્ધ’ એ જ ધીરુભાઈની સાચી ઓળખ, ‘વયોવૃદ્ધ’ એ એમની સાચી ઓળખ નહીં.

બાળપણનાં વર્ષો ગામડામાં વીત્યાં. શરૂઆતમાં તો ભણવાનું પણ અનિયમિત. પિતાજી સાત ચોપડી ભણેલા. સાહિત્યના સંસ્કાર ક્યાંથી આવ્યા હશે? આજે તવંગરોનાં ઘણાં ઘરમાં પણ જે જોવા નથી મળતાં તે પુસ્તકો એમના ઘરમાં હતાં. વડોદરા રાજ્યની નોકરીમાં ટૂંકો પગાર, પણ પિતાનો વાચનશોખ ટૂંકો નહીં. ભીંતમાં જડેલા કબાટમાં રહેતાં જે પુસ્તકો વાંચેલાં તે દાયકાઓ પછી પણ ધીરુભાઈને યાદ : કપડાનું પૂંઠું ચડાવેલું શ્રીમદ્ ભાગવત, નથ્થુરામ શર્માની ટીકાવાળી ગીતા, સસ્તું સાહિત્યનું મહાભારત, ગિરધરકૃત રામાયણ, ગુજરાતી પ્રેસના કાવ્યદોહનના આઠ ભાગ, સરસ્વતીચંદ્રના ત્રણ ભાગ, વગેરે. આ પુસ્તકોને સંભારીને ધીરુભાઈ કહે છે : “આ પુસ્તકોએ અમારા નાનકડા કુટુંબની વાચનરુચિ ઘડીને સતેજ રાખી હતી.”

અને છતાં બીજા અનેક યુવાનોની જેમ સ્વપ્ન તો જોયું હતું ઈજનેર બનવાનું. ગુજરાત કોલેજમાં સાયન્સનું ભણવા દાખલ પણ થયા. પણ પ્રેક્ટિકલ પરીક્ષા દરમ્યાન હાથમાંની ક્રૂસિબલ પડીને તૂટી ગઈ અને ગુજરાતી સાહિત્યના સારા નસીબે ધીરુભાઈ પ્રેક્ટિકલમાં નાપાસ થયા. ૧૯૩૬ના જૂનમાં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ઇન્ટર આર્ટસમાં દાખલ થયા. પણ તેમની કારકિર્દીને ઘાટ આપ્યો તે તો એલ્ફિન્સ્ટન કોલેજ અને તેના ગુજરાતીના અધ્યાપક અને જાણીતા ભાષાશાસ્ત્રી ડૉ. કાંતિલાલ બી. વ્યાસે. પછી તો બી.એ. થઈને એ જ કોલેજમાં ધીરુભાઈ અધ્યાપક થયા. પણ પછી વ્યવહારડાહ્યો ગુજરાતી સહેલાઈથી ન લે તેવા નિર્ણયો લીધા. એ વખતે એલ્ફિન્સ્ટન કોલેજ માત્ર મુંબઈની જ નહીં, આખા પશ્ચિમ ભારતની અગ્રણી કોલેજ હતી. પણ તે છોડીને અમદાવાદ આવી ગુજરાત કોલેજમાં જોડાયા. ૧૯૬૦માં ગુજરાતનું અલગ રાજ્ય થતાં ગુજરાત કોલેજ આખા રાજ્યની અગ્રણી કોલેજ બની. લગભગ તે જ વખતે બેંતાલીસ વર્ષની ઉંમરે આ કોલેજ છોડી રેલવે સ્ટેશન પણ ન ધરાવતા મોડાસામાં શરૂ થતી નવી કોલેજના આચાર્ય તરીકે જોડાયા. ૧૮ વર્ષમાં એ કોલેજને એવી વિકસાવી કે ઉમાશંકર જોશી મોડાસાને ‘સાબરકાંઠાનું ઓક્સફર્ડ’ તરીકે ઓળખાવતા. નિવૃત્તિ પછી ૬૭મે વર્ષે વિશ્વકોશના મુખ્ય સંપાદકની જવાબદારી સ્વીકારી. અંગ્રેજીમાં કહે છે તેમ ‘ધ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી.’

ધીરુભાઈનો અંગત પરિચય તો છેલ્લાં થોડાં વર્ષોમાં થયો. પણ પાંચેક દાયકા પહેલાં બી.એ. અને એમ.એ.માં અભ્યાસ કરતો હતો ત્યારથી તેમનાં પુસ્તકો દ્વારા પરોક્ષ પરિચય થયો હતો. પણ તેમાંથી એ વખતે હજી નવું પ્રગટ થયેલું ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યની રૂપરેખા’ પુસ્તક તો અમારું વિદ્યાર્થીઓનું બાઈબલ હતું. એ પછી તો તેની બારેક આવૃત્તિઓ થઇ છે, પણ એ વખતે વાપરતો એ નકલ સાવ જીર્ણ થઇ ગઈ છે તો ય હજી સાચવી રાખી છે.

મુંબઈ સાથેનો ધીરુભાઈનો સંબંધ થોડાં વરસનો જ. છતાં તેઓ ‘સ્મરણમાધુરી’ પુસ્તકમાં લખે છે: “મુંબઈમાં હુ પાંચ વર્ષ રહ્યો. તે દરમ્યાન મારું બૌદ્ધિક ઘડતર થયું. વિવિધ રસરુચિ અને શક્તિ ધરાવતા પચરંગી (કોસ્મોપોલિટન) જનસમુદાયના સંસર્ગમાં આવવાનું થયું તે મોટી વાત હતી. નવી તાજી હવા માટે મગજનાં બારીબારણાં ખુલી ગયાં હતાં. આશા, ઉત્સાહ, અને પ્રવૃત્તિપ્રેરક ચેતના દેશના વાતાવરણમાં અનુભવાતી હતી તેનો સવિશેષ અનુભવ મુંબઈમાં થતો.” 

ધીરુભાઈની તપશ્ચર્યાનાં મૂળ એટલાં ઊંડાં અને મજબૂત કે આજે ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ એક વિશાળ વડલો બનીને અનેક દિશાઓમાં પોતાની ડાળીઓ ફેલાવી રહ્યું છે. ચોથી ડિસેમ્બરે તેની સ્થાપનાને ચાલીસ વરસ પૂરાં થાય છે ત્યારે ધીરુભાઈને માનવંદના. 

XXX XXX XXX

03 ડિસેમ્બર 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

...5678...203040...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved