Opinion Magazine
Number of visits: 9665104
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૃષ્ણાર્પણ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 August 2024

આજે કૃષ્ણાષ્ટમી ! કૃષ્ણનો 5,251મો જન્મોત્સવ દ્વારિકામાં આજે ઉજવાવાનો છે. એ જાણીને આનંદ એટલે થયો કે કૃષ્ણને 5,250 વર્ષ થયાં. ઘણાંને એવી શંકા છે કે રામ, કૃષ્ણ વગેરે થયા છે કે એ કેવળ કાલ્પનિક છે? આવાં કાલ્પનિક પાત્ર હોય તો પણ, વાલ્મીકિ અને વ્યાસને દંડવત્ જ કરવાં પડે, કારણ કલ્પના કરીને ય આવાં અદ્દભુત પાત્રો સર્જવાનું સરળ નથી. કૃષ્ણના હોવાને 5,250 વર્ષ થયાં. ન હોવાને તો 5,250 વર્ષ કેવી રીતે થાય? વળી, રામાયણ વાલ્મીકિએ સર્જ્યુ હોય તો એનો રામ કાલ્પનિક નથી, કારણ રામના પુત્રો લવકુશના ઉછેરમાં સ્વયં વાલ્મીકિ હાજર છે. જો લવકુશ હોય તો રામ પણ હોય જ ને ! એવી જ રીતે વ્યાસ પોતે મહાભારતમાં પાત્ર તરીકે ઉપસ્થિત છે, એટલું જ નહીં, કૌરવકુળનું પિતૃત્વ પણ એમણે સ્વીકાર્યું છે. સર્જક પોતે ઉપસ્થિત હોય ને ધૃતરાષ્ટ્રનું પિતૃત્વ સ્વીકારતા હોય તો ગાંધારી, શકુનિ, દુર્યોધન … કાલ્પનિક હોય? દુર્યોધન હોય તો પાંડવો પણ હોય. પાંડવો હોય તો અર્જુન પણ હોય. અર્જુન હોય તો કૃષ્ણ કેમ ન હોય? એણે જ તો અર્જુનને ગીતા કહી છે. ગીતા આજે પણ પુસ્તક તરીકે ઉપલબ્ધ હોય ને એ જો અર્જુનને કહેવાઈ હોય તો એ કહેનાર કૃષ્ણ સિવાય બીજું કોણ હોય? આ પછી પણ કોઈ દલીલો કરીને રામને કે કૃષ્ણને કાલ્પનિક ઠેરવે તો મને કશો વાંધો નથી, હા, મારી આ મહાનુભાવોના હોવા વિષે જરા પણ શંકા નથી, પૂરી પ્રતીતિ છે.

કૃષ્ણ વિષે જ્યારે પણ વિચારું છું, મને ધરવ નથી થતો. એને પૂર્ણ પુરુષોત્તમ કહ્યો છે ને મને તો એનો જ આનંદ છે. પોતે અવતાર છે એટલે દેવત્વ ન હોય એવું તો કેમ બને? પણ, મને એનું મનુષ્યત્વ વિશેષ ખેંચે છે. કૃષ્ણમાં કૃષ્-નો અર્થ ખેંચવું પણ થાય છે. એ કૃષિ સંદર્ભે હોય તો પણ, કૃષ્ણમાં સહજ આકર્ષણ છે. જન્મ માટે એ મધરાત પસંદ કરે છે ને સ્થાન કારાગાર ! નબળામાં નબળો જીવ પણ આવી પસંદગી ન કરે. વારુ, જન્મતાં જ માબાપનો વિરહ વેઠ્યો ને પાલક માતાપિતા સાથે અજાણતાં જ ગોઠવવાનું થયું. મધરાતે જન્મ્યા પછી મથુરાની સવાર પણ કૃષ્ણ જોવા નથી પામતો. રાતોરાત ગોકુળ પહોંચે છે, એક એવો આદર્શ સ્થાપવા કે પાલક માતાપિતા પણ સગાં માબાપથી રજ માત્ર ઊતરતાં નથી. અહીં જ એ બતાવે છે કે ઘરનાં ઘંટી ચાટે એ ન ચાલે. ગામનું ગોરસ મથુરા ભરાય અને ગોકુળ દૂધ વગરનું રહે તો નંદ ઘેર આનંદ ભયો – કહેવાય કેવી રીતે? એટલે જ એણે ગોપીઓની મટકી ફોડી જેથી ગામની બહાર કશું જાય નહીં. એ રીતે ગોપાલનનો મહિમા બાલ ગોપાલે કર્યો. અહીં જ એક એવો પ્રણય વિકસ્યો જે લગ્નમાં ન પરિણમ્યો, પણ મંદિરોમાં સ્થપાયો.

રાધા હતી જ નહીં, એવું પણ કહેવાય છે, પણ એવું હોય તો પણ કલ્પના કેટલાં બધાં મંદિરોમાં સાકાર થઈ છે તે કેમ ભૂલાય? ગોકુળમાંથી બે પ્રતીકો કાનાએ ઉપાડ્યાં. મોરપિચ્છ અને વાંસળી. એ પછી એક્કે મોરપિચ્છ એવું ખર્યું નથી, જેણે કૃષ્ણનું સ્મરણ ન કરાવ્યું હોય. એ જ રીતે વાંસની એણે વાંસળી કરી. વાંસળી નામ પડતાં જ રાધા-કૃષ્ણનું એકત્વ પ્રગટ થયા વિના રહેતું નથી. રાધા અને કૃષ્ણને જોડનારું તત્ત્વ જ વાંસળી છે. સૂર છે. 16,108 રાણીઓ કરનારને રાધા વધારાની નથી. તે પરિણીત હતી એટલે રુક્મિણી થઈ, પણ રાધા પટરાણી ન થઈ. પણ, પ્રેમ તો હતો જ એટલે વાંસળીએ બંનેને મંદિરોમાં પણ સાથે રાખ્યાં. આમ લગ્નેતર સંબંધ સમાજ માન્ય નથી, તો તેનું મંદિર હોવાની તો કલ્પના પણ કેવી રીતે થાય? પણ, આ પ્રેમનાં મંદિરો થયાં. વૃંદાવનમાં રાસ રચાયો અને દરેક ગોપીને એનો કહાન મળ્યો. જે સમાજ માન્ય નથી, એ બધાંનું કૃષ્ણે પાવિત્ર્ય ઊભું કર્યું, તે એટલે કે જે ગોપીઓનાં તેણે ચીર હર્યાં, તેનું સાટું તેણે દ્રૌપદીનાં ચીર પૂરીને વાળ્યું.

રાધા-કૃષ્ણનાં પ્રેમનો અર્થ જ ચિર વિરહ છે. ગોકુળ છૂટે છે, એ સાથે જ રાધા પણ છૂટે છે. એ સતત વિરહથી જોડાયેલાં છે, એટલે જ મંદિરોમાં છે. રુક્મિણી પટરાણી છે એટલે દ્વારિકાનાં સામ્રાજ્ય પૂરતી સીમિત છે. દ્રૌપદી પ્રેમિકા નથી, સખી છે. આ સખ્યને પરિણામે જ દ્રૌપદી પાંડવોની પત્ની બને છે ને બહુ પતિત્વ આમ તો ટીકાને પાત્ર ઠરે, પણ પાંડવો વચ્ચેનો સંપ એને લીધે જ જળવાઈ રહ્યો ને એ કૃષ્ણે શક્ય બનાવ્યું. કૃષ્ણ અવતારી પુરુષ છે, છતાં ક્યાં ય છવાઈ જતાં નથી. દરેકને પોતાની ભૂમિકા ભજવવા દે છે. પોતે છે તેનો ભાર બીજાને લાગવા દેતા નથી ને એ સાથે જ પોતે ન હોય તો પાંડવો ક્યાંયના ન રહે તે સ્થિતિ પણ ઊભી થાય છે, ખાસ કરીને દ્યૂતસભામાં. કૃષ્ણ હોત તો પાંડવોનો વનવાસ ટળ્યો હોત, પણ દ્યૂતથી પાંડવોએ વેઠવાનું આવ્યું. ત્યાં પણ કૃષ્ણ દખલ કરતાં નથી. વનવાસ દરમિયાન પણ જેને તેને પોતાનું કર્તવ્ય બજાવવા દે છે.

કૃષ્ણ એટલે જ કર્તવ્ય !

મહાભારત યુદ્ધમાં કૃષ્ણ શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા કરે છે ને અર્જુન કુરુક્ષેત્રમાં શસ્ત્રો હેઠાં મૂકી દે છે, તો તેને ગીતા ઉપદેશીને શસ્ત્ર ઉપાડવા ફરજ પણ પાડે છે. યુદ્ધમાં અહિંસાનો મહિમા પોતે કરે છે, પણ રાજસૂય યજ્ઞને અંતે અર્ઘ્ય અર્પવા બાબતે શિશુપાલ કૃષ્ણનું અપમાન કરે છે તો તેનો, 100 ગાળ સાંભળીને, સુદર્શન ચક્રથી વધ કરે છે. આવું ન કર્યું હોત તો શિશુપાલ વધુ વકર્યો હોત અને અન્ય રાજાઓ જે યુધિષ્ઠિરનું આધિપત્ય સ્વીકારી ચૂક્યા હતા તેમની વચ્ચે વિખવાદ થયો હોત. આમ કૃષ્ણે બધું પોતાને માટે કર્યું હોય એવું લાગે, પણ એમાંનું કશું પણ પોતાને માટે કર્યું નથી. મહાભારતનાં યુદ્ધ પછી અર્જુનને તો કૈંકે મળવાનું હતું, પણ કૃષ્ણને તો કૈં મળવાનું ન હતું, છતાં તે અર્જુનની સાથે રહે છે, કારણ તે સત્યને પક્ષે હતો. યુદ્ધને અંતે એ સ્થિતિ સર્જાય છે કે તેના પોતાના યાદવ કુળમાં કૃષ્ણ તરફી ને કૃષ્ણ વિરોધી એવાં જૂથ પડી ગયાં હતાં. એટલે કૃષ્ણ માટે તો આ યુદ્ધ કોઈ રીતે લાભદાયી ન હતું.

જો કે, કૃષ્ણે યુદ્ધને અટકાવવા શક્ય તે તમામ પ્રયત્નો કરી જોયા. કૃષ્ણ વિષ્ટિ માટે નીકળે છે તો કૃષ્ણા પૂછે છે કે યુદ્ધ ટાળવા જાવ છો? તો કૃષ્ણ કહે છે કે હું ટાળું તો ય દુર્યોધન તે ટળવા નહીં થવા દે. એમ જ થાય છે. સોયની અણી જેટલી જમીન પણ દુર્યોધન આપવા તૈયાર નથી ને દૂત થઈને ગયેલા કૃષ્ણને બંદી બનાવવાની ચેષ્ટા કરે છે. અહીં કૃષ્ણને વિરાટ રૂપ પ્રગટ કરવાની ફરજ પડે છે. છે ને આશ્ચર્ય કે અહીં વિરાટરૂપ યુદ્ધ રોકવા કૃષ્ણ પ્રગટ કરે છે ને કુરુક્ષેત્રમાં વિશ્વરૂપ, યુદ્ધનો પ્રારંભ થાય એટલે પ્રગટ કરે છે. એવું જ બ્રહ્માંડ દર્શન તે માતા યશોદાને પણ કરાવે છે, તે એટલે કે પુત્રની શક્તિથી તે પરિચિત થાય ને આસુરી પરિબળોથી ભયભીત ન રહે.

યુદ્ધ રોકવાના છેલ્લા પ્રયત્ન રૂપે કૃષ્ણ, કર્ણને પાંડવોના પક્ષે લાવવા મથે છે. દુર્યોધને દૂત જોડે કરેલા વ્યવહારની ક્ષમા માંગવા કર્ણ, કૃષ્ણ પાસે આવે છે તો કૃષ્ણ, કર્ણને પહેલી વખત સ્પષ્ટ કરે છે કે તે કુંતીનો કૌમાર્ય અવસ્થામાં થયેલો પુત્ર છે. તે જો પાંડવોને પક્ષે આવી જાય તો આ યુદ્ધ ટળે. બીજું, તે પાંડવોના જ્યેષ્ઠ બંધુ તરીકે રાજગાદીનો અધિકાર મેળવે, એટલું જ નહીં, આપોઆપ જ દ્રૌપદી પણ તેને મળે. જરા પણ પૂછ્યા વગર દ્રૌપદીનો સોદો કરવાનું જોખમી હતું, છતાં કૃષ્ણે યુદ્ધ રોકવા એ પણ કરી જોયું, પણ કર્ણ, દુર્યોધનને છેહ દેવા રાજી નથી. કુંતી પોતે પાંચ પુત્રો ખંડિત ન થાય એ માટે કર્ણ પાસે માતાનો હક કરતી આવે છે તો કર્ણ કહે છે કે હું અર્જુન સિવાય કોઈને હાનિ નહીં પહોંચાડું. અર્જુન નહીં રહે તો પાંચમા પુત્ર તરીકે હું રહીશ ને હું ન રહું તો પાંચના પાંચ તો રહેશે જ !

યુદ્ધ વખતે કર્ણનું રથચક્ર જમીનમાં ધસે છે તો કૃષ્ણ જ અર્જુનને બાણ મારવાનો આદેશ આપે છે, તો કર્ણ યાદ અપાવે છે કે નિ:શસ્ત્ર પર વાર કરવો યુદ્ધના નિયમની વિરુદ્ધ છે, તો કૃષ્ણ પૂછે છે કે અભિમન્યુને અધર્મથી માર્યો તે નીતિયુક્ત હતું? એ જ રીતે ભીમ નિયમ વિરુદ્ધ દુર્યોધનની સાથળ પર ગદા મારે છે, તે પણ કૃષ્ણના ઇશારે, તો થાય કે એ ઠીક હતું? એનો જવાબ એ કે દુર્યોધને જીવનભર નિયમથી એકે કામ કર્યું જ ન હોય તો કેવળ અધર્મ સામે સતત ધર્મ ન શોભે. એવે વખતે પાઠ ભણાવવો એ કૃષ્ણની નીતિ છે. શિશુપાલનો વધ કરનાર ગાંધારીનો શાપ નતમસ્તક માથે ચડાવે છે ને યાદવ કુળનો નાશ કૃષ્ણના અંતનું કારણ પણ બને છે.

સામાન્ય માણસ પણ ન સ્વીકારે એવું મૃત્યુ કૃષ્ણ સ્વીકારે છે. યુદ્ધોના થાક અને કુળના સર્વનાશથી પીડિત કૃષ્ણ અશ્વત્થ નીચે વિશ્રામ કરે છે. પગની પાની જોઈને હરણ છે એવું માની બેઠેલો પારધી તીર મારે છે તે દેહોત્સર્ગનું કારણ બને છે. પરમ આશ્ચર્ય તો એ વાતનું છે કે પગમાં તીર વાગવાથી કોઈ સામાન્ય માણસ પણ ન મરે, તો કૃષ્ણ એટલાથી મરણ પામે એવું કઈ રીતે બને? પણ, એ દિવસે એક જીવ જ્યોતિ થયો ને એ આજે ય પ્રકાશે છે ને અનંતકાળ સુધી ઝળહળશે એવી અખૂટ શ્રદ્ધા છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 ઑગસ્ટ 2024

Loading

રઘુરામ રાજન જેવા તેજસ્વી લોકોને તગેડી મૂકો અને લેટરલ એન્ટ્રીનો મહિમા કરો એ વિચિત્ર નથી?

રમેશ ઓઝા|Opinion - Opinion|25 August 2024

રમેશ ઓઝા

વિરોધ પક્ષોના દબાવમાં આવીને કેન્દ્ર સરકારે સરકારી વહીવટીતંત્રમાં સીધી ભરતી કરવાનો પ્રયત્ન છોડી દીધો છે. સરકારે ૪૫ જગ્યાઓ માટે અરજી મગાવી હતી.

અહીં જેને અંગ્રેજીમાં લેટરલ કહેવામાં આવે છે એ શું છે એ પહેલાં સમજી લઈએ. લેટરલનો અર્થ કોઈ જગ્યાએ પ્રવેશ આપવા માટે નિર્ધારિત કરવામાં આવેલા નિયમો અને નિયમો આધારિત લાઈનને તોડીને સીધો પ્રવેશ આપવો. એમ કહો કે ફ્રન્ટના દરવાજાની જ્ગ્યાએ સાઈડના દરવાજેથી પ્રવેશ આપવો, જે રીતે ભીડવાળા મંદિરોમાં ખાસ લોકોને બાજુના દરવાજેથી પ્રવેશ આપીને દર્શનનો લાભ આપવામાં આવે છે. લેટરલ શબ્દ શિક્ષણ માટે વાપરવામાં આવે છે. ઉદ્દેશ એ છે કે વિલક્ષણ પ્રતિભાને લાઈનમાં ઊભી રાખીને વેડફી નાખવાની ન હોય. એને માટે નિયમોમાં બાંધછોડ કરવી જોઈએ.

કેન્દ્ર સરકાર કહે છે કે દેશને અલગ ઊંચાઈએ લઈ જવો હોય તો સરકારી તંત્રમાં પ્રતિભાશાળી લોકોની જરૂર છે અને દેશમાં એવા લોકોની કોઈ અછત નથી. સમસ્યા ધારાધોરણો અને નિયમોની છે. તેમણે સનદી અને બીજી સરકારી સેવાઓની પરીક્ષા આપવી પડે છે, તેમણે જે તે રાજ્ય પસંદ કરવાં પડે છે, તેમની કેડર બને છે અને કેડરની શિસ્ત જાળવવી પડે છે, ભરતી અને બઢતીમાં અનામતની મર્યાદા પાળવી પડે છે, પગારનાં ધોરણમાં વ્યક્તિની પ્રતિભા જોઇને બાંધછોડ કરી શકાતી નથી, વગેરે વગેરે. અંધેર નગરી અને ગંડુ રાજાવાળી વાર્તામાં કહેવામાં આવે છે એમ ટકે શેર ખાજા ટકે શેર ભાજી જેવી સ્થિતિ હોય છે. આ લેટરલ એન્ટ્રીની તરફેણમાં કરવામાં આવતી દલીલો છે.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વારાથી આપણે જોઈએ છીએ કે લૂટ દેશને નવી ઊંચાઈએ લઈ જવાના નામે જ કરવામાં આવે છે. સુધારા, રિફોર્મ્સ, રિસ્ટ્રકચરીંગ, કાર્યક્ષમતા, ઉત્પાદકતા, કલ્પનાશીલતા જેવા ભારે ભરખમ અને રૂપાળા શબ્દો પ્રયોજવામાં આવે છે. આજે ને આજે જો અર્થતંત્રને અને સરકારી નિર્ણય પ્રક્રિયા તેમ જ કામકાજને સરકારી અમલદારશાહીની નાગચૂડમાંથી મુક્ત નહીં કરીએ તો દેશ પાછળ રહી જશે. માટે ખનાગી પ્રતિભાશાળી લોકોને સરકારમાં પ્રવેશ આપવો જોઈએ. રોમાંચ થાય એવી વાત છે નહીં! કેટલી તત્પરતા આપણા નેતાઓ ધરાવે છે. માનવું પડે.

સરકારની કાર્યક્ષમતાને સુધારવા માટેના બે માર્ગ છે. એક માર્ગ છે પ્રતિભાશાળી લોકોને સરકારીતંત્રમાં સીધો પ્રવેશ આપવો અને બીજો માર્ગ છે સમયે સમયે જરૂરિયાત અનુસાર તંત્રમાં સુધારા કરવા. તંત્રને ચુસ્ત અને દૂરુસ્ત રાખવું. દરેક મશીનને ઉંજવાની જરૂર પડે છે, સરકારી તંત્ર પણ એક મશીનરી છે એટલે તેને પણ ઉંજતા રહેવું જોઈએ. આ સારુ ૧૯૫૫ની સાલમાં કેન્દ્ર સરકારે એડમિનિસ્ટ્રેટીવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સીઝ નામના વિભાગની રચના કરી હતી. ૧૯૬૬માં કેન્દ્ર સરકારે એડમિનિસ્ટ્રેટીવ રિફોર્મ્સ કમિશનની રચના કરી હતી જેનાં તે સમયના દેશના નાયબ વડા પ્રધાન મોરારજી દેસાઈ અધ્યક્ષ હતા. ૨૦૦૫ની સાલમાં બીજા એડમિનિસ્ટ્રેટીવ રિફોર્મ્સ કમિશનની સ્થાપના કરવામાં આવી હતી જેના અધ્યક્ષ એ સમયના  કેન્દ્રીય પ્રધાન વીરપ્પા મોઈલી હતા. એ બન્ને કમિશનના દળદાર અહેવાલ ઉપલબ્ધ છે. સવાલ એ છે કે તેણે સૂચવેલા સુધારા અને ઈલાજોમાંથી કેટલાનો અમલ કરવામાં આવ્યો છે? શા માટે નથી કરવામાં આવ્યો? કોણ રોકે છે.

જાણીબૂજીને સમય સમય પર સુધારા કરવામાં આવતા નથી કે જેથી બીમાર તંત્રનો લાભ લઈ શકાય. પ્રમાણિક અધિકારીની બદલી કરો. એવી જગ્યાએ નાખો જ્યાં બિચારો સડતો રહે. ચાલુ અને બીકાઉ અધિકારીને લાભની જગ્યાએ ગોઠવો પછી ભલે એનામાં આવડત ઓછી હોય. અનુકૂળ અધિકારીઓ હોય અને અનુકૂળ જજો હોય પછી પૂછવું શું? એક અનુકૂળ નિર્ણય લે અને બીજો એ નિર્ણયને કોઈ અદાલતમાં પડકારે તો છાવરે. એ પછી જ્યારે વ્યવસ્થા સાવ તૂટી જાય ત્યારે દેશ પાછળ ન રહી જાય એ સારુ દેશહિતનાં નામે એવા સુધારા સૂચવે જે અંતે તેમના જ લાભમાં જ હોય. ખાનગીકરણ આવો એક ઈલાજ હતો અને લેટરલ એન્ટ્રી આવો બીજો ઈલાજ છે. દેશહિતમાં.

સરકારી તંત્રમાં પ્રતિભાઓને લાવવા માટે શું સરકારી સેવાઓમાં ભરતીનો એક જ માર્ગ છે? બીજા કોઈ માર્ગ જ નથી? કેન્દ્ર સરકારના પ્રધાનમંડળમાં કેટલા તેજસ્વી પ્રધાનો છે? જવાહરલાલ નેહરુ તેમના પ્રધાનમંડળમાં એવા એવા તેજસ્વી લોકોને લેતા હતા જેમાંના કેટલાક રાજકારણીઓ પણ નહોતા, કાઁગ્રેસી હોવાની વાત જ જવા દો. પી.વી. નરસિંહરાવે વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહને નાણાં પ્રધાન બનાવ્યા હતા. મનમોહન સિંહ નહોતા રાજકારણી કે નહોતા કાઁગ્રેસી. ડૉ. મનમોહન સિંહ, કૌશિક બાસુ, મોન્ટેકસિંહ આલુવાલિયા, રઘુરામ રાજન જેવાઓને બહારથી લઈ આવ્યા હતા. આ સિવાય નીતિ આયોગ, રીઝર્વ બેંક, નાણાંપંચ, એન.સી.ઈ.આર.ટી., જેવી બે-પાંચ નહીં, ડઝનબંધ સરકારી સંસ્થાઓ છે જેમાં બહારથી તેજસ્વી માણસોને લાવી શકાય છે. લેટરલ એન્ટ્રીની પૂરી સુવિધા છે અને તેનો ઉપયોગ પણ થતો આવ્યો છે. કોણ રોકે છે અહીં પ્રતિભાઓને બેસાડતા? ઊલટું તમે રઘુરામ રાજન, અરવિંદ પનગરિયા, અરવિંદ સુબ્રમણ્યમ્‌ જેવા લોકોને રવાના કર્યા. દરેક જગ્યાએ જીહજૂરી કરનારા વેંતિયાઓને ગોઠવવામાં આવ્યા છે.

અને રાજ્યસભા? રાજ્યસભાનું તો નામ જ છે વડીલોનું સભાગૃહ – હાઉસ ઓફ એલ્ડર્સ. વડીલ એટલે ઉંમરમાં વડીલ નહીં, અનુભવ અને સમજદારીમાં વડીલ. રાજકીય પક્ષો ધારે તો પક્ષના અને પક્ષની બહારના કદાવર અને તેજસ્વી લોકોને રાજ્યસભામાં મોકલી શકે છે. મૂળમાં કલ્પના પણ એવી જ હતી અને શરૂનાં વર્ષોમાં એવા લોકોને રાજ્યસભામાં મોકલવામાં આવતા હતા. ઘણા એવા લોકો હોય છે જેઓ ચૂંટણી લડવાથી પોતાને દૂર રાખે છે, કારણ કે ચૂંટણીની એક ખાસ પ્રકારની પક્ષાપક્ષીવાળી સંસ્કૃતિ તેમને માફક નથી આવતી. દેશનું જાહેરજીવન અને શાસન આવા લોકોનાં મૌલિક યોગદાનથી વંચિત ન રહે એ માટે રાજ્યસભાની કલ્પના કરવામાં આવી હતી.

ટૂંકમાં માત્ર કેન્દ્રમાં (આય રિપીટ) રાજ્યસભાનું સભ્યપદ અને બીજી એવી અલગ અલગ સંસ્થાઓ મળીને ઓછામાં ઓછા પાંચસો તેજસ્વી લોકોની વિલક્ષણતાનો લાભ લઈ શકાય એમ છે. આ કોઈ મામૂલી સંખ્યા નથી. બધા જ સરકારી અંકુશોથી મુક્ત, ગૈરસરકારી સ્વતંત્ર ખાનગી નાગરિકો. બંધારણ ઘડનારાઓ દીર્ઘદૃષ્ટા હતા, બેવકૂફ નહોતા. આજના શાસકો આનો લાભ લે છે ખરા? કોણ રોકે છે તેમને? પણ હકીકત એ છે દરેક જગ્યાએ નાના માણસોને બેસાડવામાં આવે છે. બીજી બાજુ વહીવટીતંત્રમાં લેટરલ એન્ટ્રીની વાત કરવામાં આવે છે. સાહેબ, આ આખો ખેલ ખાસ લોકોના ખાસ માણસોને સરકારમાં પાછલે બારણેથી ખાસ જગ્યાએ ઘુસાડવાનો છે, પ્લાન્ટ કરવામાં આવી રહ્યા છે. તેમના દ્વારા પ્રશાસનને સક્ષમ બનાવવામાં આવી રહ્યું છે કે જેથી શેઠજીની પૂરી ક્ષમતા અને લગન સાથે સેવા કરી શકે.

શાસકો અને વહીવટીતંત્ર કઈ રીતે ધનપતિઓની સેવા કરી રહ્યા છે એ વિષે કોઈ નકારી ન શકે એવી જડબાતોડ વિગતો સાથે જાણકારી મેળવવી હોય તો બે લેખકોનાં ચાર પુસ્તક વાંચવાની ભલામણ કરું છું. એક પરંજોય ગુહા ઠાકુરતાનું ‘ગૅસ વૉર્સ’ અને ત્રણ પુસ્તક જાંબાઝ પત્રકાર જેસી જોસેફનાં. એ ત્રણ પુસ્તક છે; ૧. ‘અ ફિસ્ટ ઓફ વલચર્સ – ધ હિડન બીઝનેસ ઓફ ડેમોક્રસી ઇન ઇન્ડિયા’. ૨. ‘ધ સાયલન્ટ કુ – અ હિસ્ટરી ઑફ ઇન્ડિયાઝ ડીપ સ્ટેટ’ અને ૩. ‘હાઉ ટુ સબવર્ટ અ ડેમોક્રસી – ઇનસાઇડ ઇન્ડિયાઝ ડીપ સ્ટેટ’. સરકાર સેક્યુલર કાઁગ્રેસની હોય કે દેશભક્ત બી.જે.પી.ની, શાસકો અને તંત્ર કઈ રીતે ઘૂંટણીએ પડીને માલિકોની સેવા કરે છે તેની હમણાં કહ્યું એમ જડબાતોડ વિગતો તેમાં મળશે. હવે બોસ લોકો કહે છે કે આ વારંવારની બે બદામના અધિકારીઓની મસ્કાબાજી, ખરીદી, બરતરફી, બદલી, ધમકી કરવા કરતાં અમારાં જ માણસોને ગોઠવો. લેટરલ એન્ટ્રી!

ઇસ્ટ ઇન્ડિયા કંપની અને એ પછી અંગ્રેજ શાસકો ભારતની રિયાસતોમાં પોતાનાં માણસોની લેટરલ એન્ટ્રી કરવાતા હતા એની યાદ આવે છે. મહારાજધિરાજ કે એવું જે કોઈ ટાઈટલ પસંદ હોય એ માગી લો, આખરી નિર્ણય લેનાર અમલદાર અમારો. સ્થિતિ એવી હતી કે મહારાજધિરાજે કાશ્મીર ફરવા જવું હોય તો પણ તેમના દરબારમાં લેટરલ એન્ટ્રી દ્વારા પ્રવેશેલા અંગ્રેજ અમલદારની મંજૂરી લેવી પડે. દેશ અવળી દિશામાં જઈ રહ્યો છે. રાજ્ય મૂડીને શરણે જઈ રહ્યું છે. એક દિવસ એવો ન આવે કે મહાપ્રતાપી રાજાધિરાજે કાશ્મીર ફરવા જવા માગે લેટરલ એન્ટ્રી લીધેલા સાહેબની મંજૂરી લેવી પડે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 25 ઑગસ્ટ 2024

Loading

ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિ (૩) 

સુમન શાહ|Opinion - Literature|25 August 2024

ઉમાશંકર જોશી સમગ્ર કવિતાના કવિ છે : કવિતા સમગ્ર; સમગ્રની સૃષ્ટિ – ટોટલ પોએટ્રી; એક સુસમ્પન્ન સૃષ્ટિ – ઍકમ્પ્લીશ્ડ વર્લ્ડ. કવિએ પોતે ‘સમગ્ર કવિતા’ શીર્ષક આપ્યું છે. શીર્ષક ઔપચારિક નથી, એમાં કાવ્યશીલ સમગ્રતાનો પણ સંકેત છે.

એનું પ્રકાશન ૧૯૮૧-માં. ૧૯૩૧-થી ૧૯૮૧ લગીના ૧૦ કાવ્યસંગ્રહોનો એ સર્વસંગ્રહ છે : “વિશ્વશાન્તિ” – ૧૯૩૧; “ગંગોત્રી” – ૧૩૪; “નિશીથ” – ૧૯૩૯; “પ્રાચીના” –  ૧૯૪૪;  “આતિથ્ય” –  ૧૯૪૬; “વસંતવર્ષા” – ૧૯૫૪; “મહાપ્રસ્થાન” – ૧૯૬૫; “અભિજ્ઞા”- ૧૯૬૭; “ધારાવસ્ત્ર” – ૧૯૮૧; અને “સપ્તપદી”- ૧૯૯૧.

ઉમાશંકરના કવિવ્યક્તિત્વની પહેલી આકર્ષકતા એ છે કે એમણે કશીપણ દિલચોરી વિના એ સર્વસંગ્રહમાં પોતાની તમામ રચનાઓ રજૂ કરી છે. તેમાં એક જાતનો સન્માન-ભાવ પણ છે – પોતે લખ્યું, કાવ્ય નામે પ્રકાશિત કર્યું, તે સમગ્રને વિશેના સન્માનનો ભાવ. એમાં, આત્મશ્રદ્ધા અને ‘સરજ્યું તે બધું આ રહ્યું’ પ્રકારની વિરતિ એકમેકમાં ઓતપ્રોત છે.

૧૯૩૧-થી ૧૯૮૧ લગીનાં ૫૦ વર્ષ, એટલે કે કવિનાં ૭૦ વર્ષના આયુષ્યનો લગભગ પૉણો ભાગ, કાવ્યલેખનમાં કેમ ખરચાયો અને કેવો તો ફળ્યો તેનું એ સર્વસંગ્રહ ધીંગું નિદર્શન છે. એનાં ૮૦૦-થી પણ વધુ પાનાં પલટાવતાં લાગે કે એમાંની ઘણી બધી રચનાઓને આપણે ભૂલી ગયા છીએ, પરન્તુ ૫૦ વર્ષ લગી કવિતાને વિકસાવતા રહેવાની આ સ્વનિયુક્ત પ્રવૃત્તિએ કવિમાં જ એક ઇતિહાસ રચ્યો છે. મારે મન ઉમાશંકર સમગ્ર કવિતાના કવિ એટલા માટે પણ છે.

મારે મન ઉમાશંકર સમગ્ર કવિતાના કવિ એટલા માટે છે કે એમણે એ કાવ્યપુરુષાર્થને ઍકમ્પ્લીશ કર્યો છે, પોતાની કવિતાની એક પ્રકારની આશાયેશ અનુભવી શકાય તેવી સમ્પૂર્તિ રચી છે. શબ્દસૃષ્ટિની એવી સમ્પૂર્તિ બહુ ઓછાઓમાં હોય છે : કાલિદાસમાં છે, શેક્સપીયરમાં છે; રવીન્દ્રનાથમાં છે; બૅકેટમાં છે. એક પ્રકારે ગોવર્ધનરામ, મુનશી અને રાજેન્દ્ર શાહમાં પણ છે.

••••

એમની સમગ્ર કવિતાની આ લાક્ષણિક સમ્પૂર્તિ મારા આ લેખનનું કેન્દ્રવર્તી વિષયવસ્તુ છે. મારા અધ્યયનને પરિણામે હું ૩ તારણો પર આવ્યો છું : 

૧ : ઉમાશંકરે પોતાની કાવ્યસર્જનાનું કેન્દ્ર શોધી લીધું છે. એ કેન્દ્રને સ્વકીય ધૉરણોથી દૃઢ કર્યું છે, પોતાની જમીન બનાવી છે, કવિ તે પર ઊભા છે, કવિ તે ભૉંય પર ટકેલા કવિ છે.

૨ : મુખ્યત્વે એમનામાં કવિકર્મની સમ્પૂર્તતા છે. તેઓ અમુક અને આટલુંક સરજીને બેસી નથી રહ્યા, કાવ્યના તરીકા, કસબ, બદલી બદલીને વિકસ્યા છે. કેન્દ્ર વિસ્તરતું રહેતું વર્તુળ બન્યું છે. કવિ કાવ્યધનસમ્પન્ન થયા છે, કાવ્યસત્તાધીશ થઈ શક્યા છે. એમની સિસૃક્ષા એમના કવિકર્મથી શક્યતમ આવિષ્કૃત થઈ છે. ‘મંગલ’ શબ્દથી શરૂ થયેલી સર્જનયાત્રા ‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે’ એવા વિરામ પાસે પૂર્ણ થઈ છે, અથવા અટકીને ટકી છે. 

૩ : એક નૈષ્ઠિક કવિ કે કલાકાર આપી આપીને મનુષ્યજાતિને શું આપી શકે? એક તુલ્યબળ કલ્પન કે વૅલમેડ મૅટાફર. ઉમાશંકરને જગત સામે ધરવા સમું સાવયવ કલ્પન લાધ્યું છે અને તેને તેઓ શબ્દમાં મૂકી શક્યા છે. લેખન જો મૅટાફર છે, તો એવો મૅટાફર તેઓ રચી શક્યા છે. 

એ સંદર્ભમાં, “સમગ્ર કવિતા”-ને હું ૩ વર્તુળમાં મૂકું છું : 

૧: જીવન-સ્વીકૃતિ 

૨ : જીવન-સ્વીકૃતિ વિશે પ્રશ્ન

૩ : સમ્પૂર્તિ – એક જાતનું સમાધાન, મનમનાવણ કે ઠરણ. 

દરેક વર્તુળમાં કર્નલ સ્પોટ કહેવાય તેવી રચનાઓ છે. કર્નલ સ્પૉટ એટલે, કોર, ઇસેન્સ, વસ્તુનો ગર્ભ ભાગ; વિમાનમાંથી નીચે જોતાં જે મુખ્ય હોય એ જ દેખાય, સંલગ્ન બધું આવૃત થઇ ગયું હોય; તે. બીજા શબ્દોમાં કહીએ તો પરાકોટિ-રૂપ રચનાઓ, જેમાં તે કોટિની અનેક રચનાઓનો સમાવેશ આપોઆપ થઇ ગયો હશે એમ કલ્પી શકાય.

(ક્રમશ:)
(24 Aug 24: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...590591592593...600610620...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved