Opinion Magazine
Number of visits: 9457302
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મતદાર ચૂંટણીપંચ પાસે ઝંખે છે હૂંફ, હૈયાધારણ અને હામ, ક્યાં ?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|26 April 2024

ઓહ, બાંસવાડા, આહ બાંસવાડા

હાલની સરકારે જ 2022માં એક રૂડી પહેલ કરીને રાજ્યસભામાં ‘હેટ સ્પીચ’ (કોમ્બાટ, પ્રિવેન્શન એન્ડ  પનિશમેન્ટ) બિલ રજૂ કરેલું છે જેમાં ધિક્કાર ફેલાવવા સબબ ત્રણ વર્ષ સુધીની સજાનીયે જોગવાઈ છે. જો કે ભારતીય દંડ સંહિતામાં પણ પૂરતી જોગવાઈ છે જ.

પ્રકાશ ન. શાહ

બુધવારે બપોરે આ લખી રહ્યો છું ત્યારે નવી દિલ્હીમાં ચૂંટણીપંચની ડેલીએથી સમાચારપટ્ટી  ઊતરતી જોઉં છું કે પંચ વડા પ્રધાન મોદીના બાંસવાડા ભાષણનો અભ્યાસ કરી રહ્યું છે. સ્મરણ રહે કે બાંસવાડા ભાષણ એ રવિવારની વાત છે. ભાષણની વાંસોવાંસ એનો વીડિયો ફરતો  થયો છે, અને એમાં ચહેરાની ભંગિમાઓ ને અવાજના ચઢાવઉતાર સાથે જે બોલાયું છે એને  બહારની કોઈ સાહેદીની જરૂર પડે એવું નથી. ચૂંટણી પંચના પ્રવક્તાએ સોમવારે બાંસવાડા  ભાષણ વિશે કોઈ ટીકાટિપ્પણી કરવાની ધરાર ના પાડી હતી. હવે બુધવારે પંચ એનો વિધિવત્  ફરિયાદ પછી અભ્યાસ હાથ ધરી રહેલ છે. ચાલુ ચૂંટણી સરખા તત્કાળ તકાજા ટાણામાં અને  એમાં ય તે આજના બહુ દાંડી પીટેલ ડિજિટલ જમાનામાં – પંચ વળતી મિનિટે સ્વમેળે (સુઓ  મોટો) દરમિયાન થઈ શકે છે.   

ભાષણના શબ્દો સંભારું તે પહેલાં હાલની કેન્દ્ર સરકારને ખુદને યાદ આપું કે તમે જ 2022માં એક આવકાર્ય પહેલ કરી હતી તે મુજબ ‘હેટ સ્પીચ’ (કોમ્બાટ, પ્રિવેન્શન એન્ડ પનિશમેન્ટ) બિલ  રાજ્યસભામાં પડેલું છે. એને અન્વયે ધિક્કાર ને તિરસ્કાર ફેલાવતાં ભાષણ સબબ ત્રણ વરસ સુધીની સજાનીયે જોગવાઈ છે. જો કે, સૂચિત બિલ તો વધારાની ભાવિ જોગવાઈ હોય તો હોય, પણ  ભારતીય દંડ સંહિતામાંયે પૂરતી જોગવાઈ છે.   

વડા પ્રધાને આવું ભાષણ કેમ કર્યું હશે એનો એક ખુલાસો કદાચ એ બીનામાં પડેલો છે કે 19મી  એપ્રિલે પહેલા મતદાનના દોરમાં 2019 કરતાં ઓછું મતદાન થયું તે સાથે ભા.જ.પ. શ્રેષ્ઠીઓને  ધાર્યા પરિણામ બાબતે કદાચ ધ્રાસકો પડ્યો છે. અસહાયતા અને તાકીદના દબાણમાં પ્રચારને  ધ્રુવીકૃત કોમી મરોડ આપવાની ગણતરી હોઈ શકે. એથી ઊલટું, ઓછા મતદાન વિશે વળતી સમજૂતી એવી પણ હોઈ શકે કે પરિણામની એકતરફી તાસીર એટલી સાફ છે કે 2014 અગર 2019ની જેમ શાસક પક્ષના ટેકેદારોને કચકચાવીને બહાર પડવાની ચાનક ચડી નથી. ઓછા મતદાન બાબતે સત્તાપક્ષ અને વિપક્ષનાં પોતપોતાનાં આકલન જે હોય તે, પણ વડા પ્રધાને જો કોમી મરોડની ગણતરીએ બાંસવાડાની પીચ પર રમવું પસંદ કર્યું હોય તો તેમાં આચારસંહિતાનો સ્પષ્ટ ભંગ છે તે છે જ.   

એમણે એમ કહ્યું કે, આ અર્બન નક્સલો (કાઁગ્રેસ) વારસાગત સંપત્તિ લઈ તે વહેંચી મારશે.  કોને વહેંચી મારશે એનો પણ એમણે ફોડ પાડ્યો –  મુસ્લિમોને. પછી વિશેષ ખુલાસો કર્યો, જેઓ વધારે છોકરાં પેદા કરે છે, જે ઘુસપેઠિયા છે. એક ધર્મકોમને આમ નિશાન બનાવાય તે અલબત્ત આચારસંહિતા તો શું, સામાન્ય વિવેકનોયે ભંગ છે.   

પોતાનાં વિધાનોના સમર્થનમાં એમણે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહના ઉદ્દગારો પણ ટાંક્યા કે મુસ્લિમોને પહેલો હક્ક છે. ભાઈ, ઑલ્ટ ન્યુઝે અને બીજાઓએ મનમોહનસિંહનું એ વક્તવ્ય તરત સુલભ કર્યું છે અને મનમોહનસિંહના ત્યારના પ્રેસ સલાહકાર સંજય બારુએ પણ જરૂરી વિગતો આપી છે. એ જોતાં સમજાય છે કે વિકાસની પ્રક્રિયામાં જેઓ પાછળ હોય એમને તકની અગ્રતા આપવી રહે છે – પછી તો આદિવાસીઓ હોય, અનુસૂચિત સમુદાય હોય કે લઘુમતી. શાંતિથી ને સમગ્રતામાં વિચારીએ તો સબ કા સાથ, સબ કા વિકાસનું જે સત્તાવાર સૂત્ર છે  એને વ્યવહારમાં મૂકવાની રીતનું એક ઇંગિત મનમોહનસિંહે અને કાઁગ્રેસ ઢંઢેરાએ આપ્યું છે, એટલું જ.   

કાઁગ્રેસ ને સી.પી.એમ. જેવા પક્ષો ઉપરાંત હજારો નાગરિકોએ પંચને લખ્યું તે ‘સુચિહ્ન’ છે. નિવૃત્ત  સનદી અધિકારીઓએ પણ ચૂંટણીપંચને તાકીદ  કરી. બાંસવાડા ભાષણની વાંસોવાંસ જે કારવાઈ અપેક્ષિત હતી તે ત્રણ દિવસને અંતરે પણ હાથ ધરાઇ છે ત્યારે મતદાર ઇચ્છે છે કે એને દેશમાં ચૂંટણીપંચની વાસ્તવિક કાર્યસાધક હાજરીનો સુખાનુભાવ થાય. પહેલો દોર પત્યો છે, 26મીએ બીજો દોર હશે. મેના ચોથા અઠવાડિયામાં આ સિલસિલો પૂરો થશે. હવેનાં અઠવાડિયાં માટે નાગરિક પંચ પાસે હૂંફ, હામ ને હૈયાધારણ ઇચ્છે છે.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 24 ઍપ્રિલ 2024

Loading

પોતાને મારવા માટે પથ્થર ભાજપને કોંગ્રેસ સામેથી આપે છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 April 2024

રવીન્દ્ર પારેખ

સામી હોળીએ શુભ કાર્યો થતાં નથી, પણ સામી ચૂંટણીએ શુભ-અશુભ કાર્યોનો કોઈ બાધ નથી. પ્રેમ અને યુદ્ધમાં બધું જ ચાલે, એમ ચૂંટણીમાં કોઈ પણ પાપ ક્ષમ્ય હોય તેમ પક્ષો સહજ રીતે વર્તતા હોય છે. લોકશાહીમાં ચૂંટણી અનિવાર્ય ગણાઈ છે, પણ ચૂંટણી આપીને કેવી રીતે ટાળી શકાય એનું ઉદાહરણ સૂરતની બેઠકે પૂરું પાડ્યું છે. લોકસભાની પહેલી સીટ ભા.જ.પ.ને સૂરતે સોંપી છે. તેથી ભા.જ.પ.ને આનંદ હશે, પણ સૂરતને નથી. પહેલી સીટ બિનહરીફ થતાં સૂરતે ભા.જ.પ.ને ભલે ઐતિહાસિકતા અર્પી હોય, પણ લોકશાહીમાં એથી સારો દાખલો બેઠો નથી, તે એટલે કે કાઁગ્રેસનું ફોર્મ રદ્દ થાય એવી ગણતરીથી જ ભરાયું હતું. કાઁગ્રેસી ઉમેદવાર નીલેશ કુંભાણીના ટેકેદારોની સહીનો પ્રશ્ન પડતાં ફોર્મ રદ્દ થયું, તો અન્ય ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતાં ભા.જ.પ. આપોઆપ જ જીત્યું. આ બધું કોને ઇશારે થયું તે ઉઘાડું રહસ્ય છે. મીડિયાએ એનો સંકેત તો આપ્યો જ છે, એટલે ન બોલ્યામાં ‘નવ’ ગુણ જ વધારે યોગ્ય ગણાય.

એ તો ઠીક, પણ કાઁગ્રેસી ઉમેદવાર સામે કાઁગ્રેસે જ એવો આક્ષેપ કર્યો છે કે તેમણે ફોર્મ રદ્દ થાય એવું ષડયંત્ર કર્યું હતું. સુરતમાં હવે નીલેશ કુંભાણી વોન્ટેડ છે. ‘લોકતંત્રનો હત્યારો’ અને ‘ગદ્દાર’નાં તેમને નામે બેનરો લાગ્યાં છે. આ વિરોધમાં આમ આદમી પાર્ટી પણ જોડાઈ છે. પૂર્વ કાઁગ્રેસના કોર્પોરેટર અને આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડિયા, નીલેશ કુંભાણી વિષે સાફ કહે છે કે તેને અને તેના ટેકેદારોને ભા.જ.પ. દ્વારા 15 કરોડમાં ખરીદી લેવામાં આવ્યા છે. સુરત જિલ્લા ચૂંટણી અધિકારીએ કુંભાણી પ્રકરણનો કેન્દ્રીય ચૂંટણી પંચને રિપોર્ટ મોકલ્યો છે, તો અમરેલી કાઁગ્રેસના પ્રમુખ પ્રતાપ દૂધાતે તો ત્યાં સુધી કહ્યું છે કે તે છેલ્લા શ્વાસ સુધી નીલેશ કુંભાણીને છોડવાનો નથી. સૂરતમાં કાં તો એ રહેશે કાં તો હું રહીશ. કાઁગ્રેસે આવો ઉમેદવાર પસંદ કર્યો તે બદલ તેને માથે પણ માછલાં ધોવાયાં છે કે એક ઉમેદવાર સાચવી ન શકતી હોય તે કાઁગ્રેસ દેશ શું સાચવશે?

એમ પણ લાગે છે કે ભા.જ.પ.ને પણ ક્યાંક ફડક પેઠી છે. એ વગર જીત નક્કી હોય ત્યાં ફાંફાં મારવા જેવું  ન જ કરે. જે રીતે વડા પ્રધાન ગરિમા ગુમાવીને કાઁગ્રેસ કે અન્ય પક્ષો સામે આરોપોની ઝડી વરસાવે છે, એ તેમને શોભતું નથી. 2006નો પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનો વીડિયો ટાંકીને હાલના વડા પ્રધાન મોદીએ 21 એપ્રિલ, 2024ને રોજ રાજસ્થાનના બાંસવાડા ખાતે અને પછી યુ.પી.માં ચૂંટણી સભાઓમાં કહ્યું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસલમાનોનો છે. એનો અર્થ એ કે આ સંપત્તિ ભેગી કરીને જેમના વધુ બાળકો છે, એમને અને ઘૂસણખોરોને વહેંચાશે. જે દિવસે કાઁગ્રેસનો મેનિફેસ્ટો આવ્યો એ જ દિવસે મોદીએ કહ્યું હતું કે કાઁગ્રેસના મેનિફેસ્ટો પર મુસ્લિમ લીગની છાપ છે. કાઁગ્રેસ અધ્યક્ષ ખડગેએ એ મુદ્દે કહેવું પડ્યું કે વડા પ્રધાન કાઁગ્રેસના મેનિફેસ્ટોને યોગ્ય રીતે સમજ્યા નથી ને મારે તેમને એ સમજાવવો પડશે. કાઁગ્રેસનું કહેવું છે કે મનમોહન સિંહે મુસ્લિમોની તરફેણમાં આવું કૈં કહ્યું નથી. ડો. સિંહનું કહેવું એ હતું કે દેશના સંસાધનો પર સૌથી પહેલો હક એસ.સી.-એસ.ટી. અને લઘુમતીઓનો મતલબ કે વંચિતોનો છે. એ વંચિતોમાં મુસ્લિમ હોઇ શકે, પણ ડો. સિંહને નામે મુસ્લિમોની વાત ચડાવાઈ એ યોગ્ય ન થયું. આ મુદ્દે ભારતનું રાજકારણ ખાસું ગરમાયું છે અને ઇલેક્શન કમિશનમાં ફરિયાદો થતાં ચૂંટણી પંચે મોદી સામે તપાસ પણ શરૂ કરી છે.

ચૂંટણી જીતવા રાજકીય પક્ષો સામસામે આક્ષેપો કરે તે તો સમજાય, પણ એમાં પ્રજાને ઉશ્કેરવાનો ઉપક્રમ હોય તો તે જોખમી છે. વડા પ્રધાને કાઁગ્રેસને ભાંડતા કહ્યું કે કાઁગ્રેસની નજર પ્રજાની કમાણી પર, મકાન-દુકાન પર છે. કાઁગ્રેસના શાહજાદાનું કહેવું છે કે દેશ દરેક ઘર, પરિવારની સંપત્તિનો એક્સ-રે કરશે, સોનું-દાગીનાની તપાસ કરશે અને બધાંને વહેંચી દેશે. આટલું ઓછું હતું તે કાઁગ્રેસના ઇંડિયન ઓવરસીઝ ચેરમેન સામ પિત્રોડાની અમેરિકામાં એક ઇન્ટરવ્યૂમાં કહેવાયેલી વાત પણ ભારતમાં ચગાવવામાં આવી. અમેરિકામાં કોઈ અબજોપતિનું મૃત્યુ થાય તો તેના વારસદારને 45 ટકા સંપત્તિ મળે છે ને બાકીની 55 ટકા સરકારને ખાતે જાય છે. તેનો હેતુ એ છે કે દુનિયામાંથી વિદાય થનારે બધી નહીં, તો અડધી સંપત્તિ અન્ય લોકો માટે છોડી જવી જોઈએ ને ભારતમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ શકે. આ વાતનો મોદી લાભ ન ઉઠાવે એવું તો બને જ કેમ? લોકોની સંપત્તિ પર કાઁગ્રેસની નજર છે એ વાતને સમર્થન કાઁગ્રેસે જ આપ્યું હોય તેમ વડા પ્રધાને કહ્યું કે શાહી પરિવારના શાહજાદાના સલાહકારે જે ટેક્સની વાત કરી છે તે હકીકતે તો લૂંટની વાત છે. કાઁગ્રેસ કી લૂંટ – જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી … કાઁગ્રેસનો ઇરાદો મહેનત કરીને કમાતા મિડલ ક્લાસને વધુ ટેક્સ લગાવવાનો છે. લોકોએ મહેનત કરીને સંપત્તિ ભેગી કરી હોય ને તેને કાઁગ્રેસ હડપ કરીને બીજાને આપી દે તે ન ચાલે.

આ આખું અર્થઘટન વડા પ્રધાનનું છે.

પિત્રોડાએ જે વારસાઈ કરની વાત કરી છે તે 10 અબજ રૂપિયાની સંપત્તિ ધરાવતા સુપર રીચ લોકોની છે. એમાં મધ્યમ વર્ગની વાત જ નથી. સામ પિત્રોડાએ પણ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે અમેરિકામાં બે પ્રકારના ટેક્સ છે. એક સંપત્તિ ટેક્સ ને બીજો વારસામાં મળતી મિલકત પર ટેક્સ. અમેરિકામાં છ રાજ્યોમાં જ તે લાગુ છે. એમાં પણ આયોવા નામના રાજ્યે તો વારસાઈ ટેક્સ નાબૂદ કરવાનું નક્કી કર્યું છે. હવે અમેરિકી રાજ્ય પણ એ ટેક્સ છોડવા પર હોય તો તેની ભારતમાં વકીલાત કેવી રીતે થઈ શકે? સાચું તો એ છે કે સામ પિત્રોડાએ અમેરિકામાં લાગુ વારસાઈ ટેક્સની વાત કરીને તે અંગે ભારતમાં માત્ર ચર્ચા કરવાનું જ કહ્યું છે. તેમાં કોઈ સંપત્તિ હડપ કરીને વહેંચી દેવાની વાત જ નથી, પણ વડા પ્રધાને તો વારસાઈ ટેક્સ લાગુ થઈ ગયો હોય તેમ તેને ‘કાઁગ્રેસ કી લૂંટ’ જ ગણાવ્યો. 2019ની ચૂંટણી વખતે પણ સામ પિત્રોડા વડા પ્રધાનની હડફેટે ચડી ગયા હતા. મુદ્દો એ હતો કે પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા પછી ઉત્તર ભારતમાં શીખ પરિવારોની હત્યા થઈ ત્યારે 3,000થી વધુ લોકો માર્યા ગયેલા. એ વખતે પિત્રોડાએ જે થયું તે થયું … કહીને આગળનું વિચારવા કહેલું, એ વાત પકડીને વડા પ્રધાને કાઁગ્રેસીઓ એટલા અસંવેદનશીલ છે કે શીખોની કત્લેઆમને સહજતાથી લે છે એમ કહીને ટીકા કરેલી. કાઁગ્રેસે ત્યારે ખુલાસો કરવો પડેલો કે આ વિધાન પિત્રોડાનું અંગત મંતવ્ય છે ને હવે વારસાઈ ટેક્સ બાબતે પણ કાઁગ્રેસે ખુલાસો કરવો પડ્યો છે કે આ એમનું અંગત મંતવ્ય છે. ખુદ પિત્રોડાએ અમેરિકામાં વાત કરી ત્યારે જાહેર કરેલું કે આ અંગત મત છે ને તેને કાઁગ્રેસ સાથે કૈં લેવાદેવા નથી. એ પછી પણ તેનો રાજકીય લાભ લેવાયો એ બતાવે છે કે રાજકારણ કઈ હદે કથળ્યું છે?

અત્યારની સ્થિતિ એવી છે કે સામસામા આક્ષેપો કરીને જ રાજકીય પક્ષો ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે એમાં જે સમજે છે તે સમજે છે કે વાલને વખાણવા જેવો નથી ને ચણાને ચાખવા જેવો નથી. વડા પ્રધાને વારસાઈ ટેક્સના ભયસ્થાનો બતાવ્યાં તો કાઁગ્રેસ પણ ચૂપ કેમ રહે? હાલત એ છે કે પોતાની ઉપર મારવા માટે ભા.જ.પ.ને કાઁગ્રેસ પથ્થર સામેથી આપે છે. એ ખરું કે અમેરિકન વારસાઈ ટેક્સ અંગે અમેરિકામાં પિત્રોડાને પોતાનું મંતવ્ય આપવાનો અધિકાર છે જ, પણ એ ભારતમાં પણ એ અંગે વિચાર કરવાનું કહે તો કાઁગ્રેસી સલાહકાર તરીકે જવાબદારી ઊભી થાય જ છે. પિત્રોડા એ પણ જાણે છે કે હાલ ભારતમાં લોકસભાની ચૂંટણીનો ગરમાટો છે એ સ્થિતિમાં ભારતને સાંકળીને કોઈ વાત કહેવાય તો તેનો લાભ ન જ ઉઠાવાય એવું ન બને, પછી એના ખુલાસાઓ કરો તો પણ તીર છૂટી ગયા જેવું તો થાય જ છે. કાઁગ્રેસની સ્થિતિ એવી છે કે તે જેમ બેઠી થવા મથે છે તેમ વધારે ગબડે છે. પિત્રોડાના વારસાઈ ટેક્સ મુદ્દે પણ લીપાપોતી તો થઈ જ છે. શશિ થરૂરે કહ્યું કે પિત્રોડાએ કહ્યું તે કાઁગ્રેસના મેનિફેસ્ટોમાં નથી. કાઁગ્રેસી મહાસચિવ જયરામ રમેશે સ્પષ્ટ કર્યું કે એન.ડી.એ. સરકારના પૂર્વ વિત્ત રાજ્ય મંત્રી અને તે પછીના નાણાં સંબંધી સંસદીય સમિતિના અધ્યક્ષ જયંત સિંહાએ 55 ટકા વરસાઈ ટેક્સ લાગુ કરવા 15 મિનિટ સુધી ચર્ચા કરી હતી. કાઁગ્રેસી અધ્યક્ષ ખડગેએ પણ સ્પષ્ટ કર્યું છે કે વારસાઈ હક લાગુ કરવાની કાઁગ્રેસની કોઈ ઈચ્છા નથી.

જો ઈચ્છા નથી તો રાહુલ ગાંધીએ સંપત્તિનો સર્વે કરવાની વાત શું કામ કરી તે પ્રશ્ન જ છે. આગ નથી ને ધુમાડો છે, એવું તો ન હોય. પિત્રોડા પણ વારસાઈ ટેક્સ મુદ્દે ભારતને સાંકળવાથી દૂર રહી શક્યા હોત, પણ કાઁગ્રેસને પેટ ચોળીને શૂળ ઊભું કર્યા વિના ચાલતું નથી. કાઁગ્રેસ ચૂપ રહે તો બોલવાથી થાય છે, એના કરતાં નુકસાન ઓછું જ થાય, કારણ ભા.જ.પ. શબ્દોને પકડશે, મૌનનું તો એ પણ શું કરશે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 એપ્રિલ 2024

Loading

વીતેલા યુગના આતતાયીઓનો વર્તમાન અવતાર કોણ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|25 April 2024

રમેશ ઓઝા

કેન્દ્રના ડેરીવિકાસ અને પશુપાલન ખાતાના પ્રધાન તેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ ગણાતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિષે એક વાત કરી જેને કારણે વિવાદ જાગ્યો છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં જ્યારે મુસલમાનોનું અને અંગ્રેજોનું રાજ હતું ત્યારે ક્ષત્રિયોએ સમાધાનો કર્યા હતા. તેમને મદદ કરી હતી અને કેટલીકવાર તો રાજ ટકાવી રાખવા સાટામાં દીકરી પણ પરણાવી હતી. તેમણે વળી એમ પણ કહ્યું હતું કે તેમણે એટલે કે પટેલોએ સમાધાનો કર્યાં નહોતાં. રૂપાલાસાહેબના આ નિવેદનથી ક્ષત્રિયો નારાજ થયા છે.

આ ભારત છે અને ભારતમાં “અમે” અને “તમે”ની ભાષામાં વાત કરવામાં ન આવે એવું તો ભાગ્યે જ બને, અને વળી રૂપાલાસાહેબ જે વૈચારિક પરિવારમાંથી આવે છે ત્યાં તો અમે અને તમે ગળથૂથીમાં શીખવાડવામાં આવે છે.

અહીં ક્ષત્રિયોનો બચાવ કરવાનો ઈરાદો નથી. કોઈ કોમ આખેઆખી શ્રેષ્ઠ હોય અને કોઈ કોમ આખેઆખી અધમ હોય એવું બનતું નથી. વ્યક્તિ સારી કે નઠારી હોય છે. જે તે સમયે અંગત સ્વાર્થ જોઇને કે પછી ડરીને જે તે લોકોએ સમાધાનો કર્યાં હતાં તો એને માટે આખી કોમ જવાબદાર નથી હોતી. બીજું, રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ હમણાંની વિચારધારા છે અને તેને ઇતિહાસમાં થયેલાં પાત્રો અને ઘટનાઓ પર માથે મારવામાં આવે એ બરોબર નથી. તેમણે જ્યારે નિર્ણયો લીધા ત્યારે નહોતું તમારું રાષ્ટ્ર અને નહોતો રાષ્ટ્રવાદ. તેમણે પોતાનો સ્વાર્થ, પોતાની શક્તિ અને પોતાની મર્યાદા જોઇને નિર્ણય લીધા હતા. ૧૮૫૭ના વિદ્રોહ વખતે અનેક હિંદુ રાજવીઓએ અંગ્રેજોને મદદ કરી હતી. ગ્વાલિયરના સિંધિયા આમાં અગ્રેસર હતા અને તેમનાં વારસ બે પેઢીથી હિંદુ રાષ્ટ્રના પુરસ્કર્તાઓ છે. રાજમાતા વિજયા રાજે સિંધિયા ભા.જ.પ.ના ઉપાધ્યક્ષ હતાં, તેમની પુત્રી વસુંધરા રાજે રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન હતાં અને જ્યોતિરાદિત્ય સિંધિયા પરમ હિંદુ રાષ્ટ્રવાદી પક્ષ ભા.જ.પ.માં છે. આવા તો બીજા અનેક દાખલાઓ આપી શકાય. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કંપની સરકારને કહ્યું હતું કે તેમનાં દત્તકપુત્રને વારસદાર તરીકે માન્યતા આપવામાં આવે. જો કંપની સરકારે લક્ષ્મીબાઈના દત્તકપુત્રને વારસદાર તરીકે માન્યતા આપી હોત તો કદાચ ઝાંસીની લડાઈ થઈ ન હોત. તેમનાં શૌર્યને સો સો સલામ, પણ તેમની લડાઈ અંગત હતી, તેને રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ સાથે કોઈ લેવાદેવા નહોતી.

બીજું, જેને ગુમાવાનું હોય અથવા લાભ મળે એમ હોય એ સમાધાનો કરે કે ડરે. જેને કાંઈ ગુમાવાનું જ ન હોય કે લાભ નજરે પડતો ન હોય એને ડરવાનો કે સમાધાનો કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. એ યુગમાં અમે સમાધાનો નહોતાં કર્યાં એમ જ્યારે રૂપાલાસાહેબ કહે છે તો ત્યારે કણબીઓ, પાટીદારો અને બીજી પ્રજાઓ ખેતી કરતી હતી અથવા ખેતમજૂરી કરતી હતી. તેમની પાસે ત્યારે એવું કશું જ નહોતું કે સમાધાનો કરવા પડે કે ડરવું પડે. પણ અત્યારે? અત્યારે લાભ લેવા માટે પટેલો અને બીજાઓ સમાધાનો નથી કરતા? ડરીને નથી જીવતા? પત્રકારો, કટારલેખકો, કહેવાતા બૌદ્ધિકો, ન્યાયમૂર્તિઓ, સરકારી અધિકારીઓ, કેળવણીકારો, માસ્તરો, ધર્મગુરુઓ જે પ્રમાણમાં ડરીને સમાધાનો કરી રહ્યા છે અથવા વેચાઈ રહ્યા છે એ લોકો શું ક્ષત્રીય છે અથવા વિદેશી કૂળના છે? અને બીજું, કોણ ડરાવે છે? કોણ ખરીદે છે? કોણ સમાધાનો કરવા મજબૂર કરે છે? વીતેલા યુગના આતતાયીઓનો વર્તમાન અવતાર કોણ છે? પુરુષોત્તમ રુપાલાને આ પ્રશ્ન પૂછવો જોઈએ.

ઉપર કહ્યું એમ આખેઆખી કોમ સારી કે ખરાબ હોતી નથી, પણ આખેઆખી વિચારધારા સારી કે ખરાબ હોઈ શકે. એમાં માનનારાઓ લગભગ એક સરખાં લક્ષણો ધરાવતા હોય એવું બને. આપણે ડરવાની કે સમાધાનો કરવાની રૂપાલાસાહેબની જ વાત આગળ વધારીએ. દેશપ્રેમથી પ્રેરાઈને દેશને આઝાદ કરવા જ્યારે લોકો સમાધાનો કર્યા વિના નિર્ભયતાપૂર્વક જાનની બાજી લગાડતા હતા, ખપી જતા હતા, પોતાનું સર્વસ્વ હોમી દેતા હતા ત્યારે, એ ખરાખરીના યુગમાં રૂપાલાસાહેબના વૈચારિક પરિવારના લોકો એટલે કે હિન્દુત્વવાદીઓ ક્યાં હતા? કોણે ત્યાગ કર્યો? કોણે હિંમત બતાવી? કોણે જેલ વેઠી? કોણ શહીદ થયું? એક નામ તો બતાવો. ઊલટું જેલમાંથી છૂટવા ઉપરાઉપર માફીઓ માગી. આઝાદીનાં આંદોલનોમાં ભાગ  નહીં લેવાની અને ઉપરથી અંગ્રેજોને મદદ કરવાની લેખિત બાંયધરીઓ આપી. ૧૯૪૨ની લડત વખતે આંદોલનનો અમે વિરોધ કરીએ છીએ એવો પત્ર લખીને આપ્યો. ગાંધીજીનું આંદોલન કઈ રીતે નિષ્ફળ બનાવી શકાય તેનું અંગ્રેજોને માર્ગદર્શન આપ્યું. ગાંધીજી અને કાઁગ્રેસીઓ જ્યારે જેલમાં હતા, ત્યારે હિંદુ મહાસભાએ મુસ્લિમ લીગ સાથે મળીને બંગાળ, સિંધ અને સરહદ પ્રાંતમાં સરકાર બનાવી હતી. જનસંઘ / ભા.જ.પ.ના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી બંગાળના નાણાં પ્રધાન હતા.

આઝાદીની લડતની વાત જવા દો. ઇન્દિરા ગાંધીએ દેશ પર ઈમરજન્સી લાદી હતી ત્યારે ઇન્દિરા ગાંધીને તેમના ૨૦ કલમી કાર્યક્રમનું અમે સ્વાગત કરીએ છીએ અને સરકારને મદદ કરવા આતુર છીએ એવો પત્ર કોણે લખ્યો હતો? મહાન દેશભક્ત અને રાષ્ટ્રવાદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એ સમયના સરસંઘચાલક બાળાસાહેબ દેવરસે. બસ, અમને જેલમાંથી છોડો અમે તમારી સાથે છીએ. વીતેલા યુગના ક્ષત્રિયોની ક્યાં વાત કરો છો, તમારા પોતાના વૈચારિક પરિવાર પર એક નજર કરી જુઓ. શૂરવીરતાની મોટી વાતો કરવાની અને શૌર્ય બતાવવાનો વખત આવે ત્યારે મોઢું ફેરવી લેવાનું. પીઠ બતાવવા છતાં ય જો નસીબ ખરાબ હોય અને કારસામાં આવીએ તો માફી માગી લેવાની. એક નજર પોતાના ઇતિહાસ પર કરી જુઓ.

દરમિયાન રવીન્દ્રનાથ ટાગોરની ‘ઘરેબાહિરે’ નામની નવલકથા વાંચી જવાની મારી ભલામણ છે. એમાં ધગધગતા રાષ્ટ્રવાદીના તકલાદી શૌર્યની વાત કહેવાઈ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 25 ઍપ્રિલ 2024

Loading

...102030...585586587588...600610620...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved