Opinion Magazine
Number of visits: 9665205
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વ્યથિત થવા કરતાં વ્યવસ્થિત થવાની જરૂર વધારે છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 August 2024

રવીન્દ્ર પારેખ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોલકાતાની હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટરનાં રેપ અને મર્ડર સંદર્ભે વ્યથિત થઈને પોતાના લેખમાં જે આર્તનાદ કર્યો છે તે આ ઘટનાથી હચમચી ગયેલાં ભારતનો જ રાષ્ટ્રીય પડઘો છે. ‘બસ, બહુ થયું …’એવા રાષ્ટ્રપતિના ઉદ્દગારમાં ઘટના અને પીડાની અવધિ આવી ગઈ હોવાનું અનુભવાય છે. તેમણે પોતે આ અને આવી ઘટનાઓથી નિરાશ અને ભયભીત થવાનું અનુભવ્યું છે. એક રાષ્ટ્રપતિ પોતે પોતાને હતાશ અને ભયભીત અનુભવતા હોય તો દેશની અન્ય મહિલાઓ કેટલી સુરક્ષિત અને સ્વસ્થ હશે તે સમજી શકાય એવું છે. એક તરફ દેશ વૈશ્વિક ઈકોનોમી સંદર્ભે સ્પર્ધામાં હોય અને વિકાસની હરણફાળ ભરવામાં વ્યસ્ત હોય ને બીજી તરફ દેશની અડધી વસ્તી ભયભીત અને અસુરક્ષિત હોય તો વિકાસ અને વ્યક્તિ વચ્ચે મેળ નથી એવું ખરું કે કેમ? ક્યાં તો આપણે વિકાસની એક્ટિંગ કરી રહ્યા છીએ અથવા મહિલાઓ પીડિત હોવાનો અભિનય કરી રહી હોય એમ બને, પણ રાષ્ટ્રપતિ જેવાં જો મહિલાઓ પરના અત્યાચારથી નિરાશ અને ભયભીત હોય તો એટલું સ્પષ્ટ છે કે મહિલાઓ પણ અસુરક્ષિત અને ભયભીત છે.

રાષ્ટ્રપતિએ કોલકાતા રેપ-હત્યાને મુદ્દે જ વાત નથી કરી, દેશના અન્ય ભાગોમાં બાળકીથી લઈને અન્ય સ્ત્રીઓ પણ, જે રીતે અનાચાર અને હત્યાનો ભોગ બની રહી છે, એ મામલે પણ ચિંતા ને વ્યથા વ્યક્ત કરી છે ને જે તે ઘટના બાબતે જેમ જેમ લોકોનો આક્રોશ ઘટતો જાય છે, તેમ તેમ ઘટના પણ ભુલાતી જાય છે એ અંગે અફસોસ પણ કર્યો છે. એટલું છે કે કોલકાતાની આરજે કર હોસ્પિટલની ઘટનાથી દ્રૌપદીજી ખાસા આહત થયાં છે. તેમણે મહિલાઓને તેની ક્ષમતા અને શક્તિ સંદર્ભે ઓછી આંકવામાં આવે છે એ માનસિકતાની ટીકા કરીને તે બદલવાની વાત પણ કરી છે. ટ્રેઈની ડોક્ટર પર 9 ઓગસ્ટે થયેલા રેપ અને મર્ડરની હત્યાને રાષ્ટ્રપતિએ ભયંકર અને બેચેન કરનારી ગણાવીને કોઈ પણ સભ્ય સમાજ આવી બર્બરતાથી આક્રોશિત થાય જ તે વાતને પ્રમાણી છે. ‘વીમેન્સ સેફટી : ઇનફ ઈઝ ઇનફ’ નામના લેખમાં કોલકાતા હોસ્પિટલની ઘટના વિષે પહેલી વખત રાષ્ટ્રપતિએ મોં ખોલ્યું છે.

9 મી ઓગસ્ટ પછી રેપ અને મર્ડરની ઘટનાઓ અટકી ગઈ છે એવું નથી. ગયે અઠવાડિયે જ આસામમાં ટ્યૂશનેથી પરત ફરી રહેલી સગીરા પર ગેંગ રેપની ઘટના બની છે. મહારાષ્ટ્રના રત્નાગિરીમાં 26 ઓગસ્ટે જ નર્સિંગની વિદ્યાર્થિની પર રિક્ષા ડ્રાઇવરે બળાત્કાર કર્યાની વાત છાપે ચડી હતી. મહારાષ્ટ્રનાં થાણેમાં એક સફાઇ કામદારે ત્રણ અને ચાર વર્ષની બાળકીનું યૌન શોષણ કર્યાની વાતે બદલાપુરમાં ભારે હોબાળો થયો હતો. દસેક દિવસ પર છત્તીસગઢની એક 27 વર્ષની આદિવાસી મહિલાનો પણ ગેંગ રેપ થયો હતો. તાજેતરમાં જ ઉમરગામમાં 3 વર્ષની બાળકી સાથે એક વિધર્મીએ દુષ્કર્મ કર્યાની વાતે ઉમરગામ સજ્જડબંધ રહ્યું હતું ને પોલીસે આરોપીને સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું, પણ આ બધું ખાતર પર દિવેલથી વિશેષ કૈં નથી, કારણ કે લાખ કોશિશો છતાં દુષ્કર્મની ઘટનાઓ ઘટતી નથી. રાષ્ટ્રપતિએ વાજબી રીતે જ કહ્યું છે કે જેમ જેમ લોક-આક્રોશ ઘટે છે તેમ તેમ મૂળ ઘટના ભુલાવા માંડે છે.

કોલકાતાની ટ્રેઈની ડોક્ટરની હત્યામાં રાજકારણ પણ ખેલાયું છે. ઘટનાના પુરાવાઓ નષ્ટ થાય એટલે ઘટના સ્થળે 7,000નું ટોળું ત્રાટકયું એટલે કોઈકને તો એવું છે કે ઘટના પર પડદો પડે. બંગાળમાં મમતા બેનર્જીનું શાસન છે ને ભા.જ.પ. ત્યાં કોઈ રીતે પ્રવેશવા ફાંફાં માર્યા કરે છે, પણ મમતાની કિલ્લેબંધી એવી જડબેસલાક છે કે અત્યાર સુધી તો ભા.જ.પ.નો પત્તો ખાધો નથી. એને કારણે મમતા શાસનને કોઈ રીતે ફટકો પડે એની પેરવીમાં ભા.જ.પ. રહે છે ને મમતા બેનરજી પણ આરોપ મૂકવાની ને બચાવ કરવાની એક પણ તક જતી કરતાં નથી. ભા.જ.પે. બંગાળ બંધનો કાર્યક્રમ આપ્યો તો મમતાએ પણ રીતસરની ધમકી આપી છે કે બંગાળ સળગાવ્યું તો આગ દિલ્હી સુધી પહોંચશે. હવે પરસ્પર રાજકીય પક્ષો આરોપો ને પ્રત્યારોપોમાંથી જ ઊંચા ન આવે તો મૂળ ઘટના બાજુ પર જાય અને રાજકારણ જ કેન્દ્રમાં આવી રહે તેમાં નવાઈ નથી. બંગાળનાં મુખ્ય મંત્રીએ તો દસ દિવસમાં પીડિતાને ન્યાય અપાવવાની વાત પણ કરી છે ને તે સાથે જ બળાત્કારીને ફાંસી આપવા કાયદામાં સુધારો કરવાની વાત ઉમેરીને ધમકી પણ ઉચ્ચારી છે કે આ બિલને મંજૂરી ના મળી તો પોતે રાજભવન સામે ધરણાં કરશે.

ધમકીથી કે તુક્કાઓથી જ રાજ થઈ શકે એવી સમજ મમતા બેનરજીએ એવી કેળવી છે કે એમણે પોતાનાં કારભાર અંગે આત્મ નિરીક્ષણ કરવાની જરૂર જ જણાતી નથી. રાષ્ટ્રપતિએ લેખમાં કોલકાતાની રેપ-મર્ડરની ઘટનાથી વ્યથિત હોવાનું જણાવ્યું તો મમતાએ સંભળાવ્યું કે બંગાળની વાત કરી, પણ અન્ય રાજ્યો વિષે કૈં ન કહ્યું. તો, સી.બી.આઇ. સત્તરેક દિવસથી તપાસ કરે છે, પણ ન્યાયનું ઠેકાણું પડતું નથી તે અંગે પણ ટકોર કરી. આ માનસિકતા બદલવાની જરૂર છે. ધારો કે રાષ્ટ્રપતિએ અન્ય રાજ્યોની વાત કરી હોત તો કોલકાતા રેપ અને મર્ડરની ઘટના નથી બની એવું પુરવાર થઈ જતે? જે થયું છે તે થયું જ છે એ સ્વીકારવાને બદલે આ નથી થયું કે તે નથી કહ્યું જેવું કૂટવાથી બન્યું છે તે નથી બન્યું એવું પુરવાર થઈ શકતું નથી. કોણે શું શું નથી કર્યું એવી ખણખોદ કરવાને બદલે, પોતે શું કર્યું છે તે પણ જોવાની જરૂર છે.

એ સાથે જ એ પણ વિચારવાનું રહે કે ફાંસી જેવી મહત્તમ સજા દુષ્કર્મ અને હત્યાને મામલે થતી હોય તો દુષ્કર્મની ઘટનાઓ ઘટવી જોઈએ, પણ એવું થતું નથી. રોજના 86 બળાત્કારના કિસ્સાઓ બનતા હોય તો એટલું નક્કી છે કે ગુનેગારોને ફાંસીની સજાનો ભય રહ્યો નથી. એનો અર્થ એ પણ થયો કે બળાત્કારીઓ સ્ત્રી કે બાળકીને વસ્તુથી વધારે ગણતાં નથી. સ્ત્રીને દેવી ગણવાની કે માતા કે બહેનને માન આપવાની વાતને ગુનેગારો જરા પણ ગણકારતા નથી. તેમણે તો સ્ત્રી માત્ર ભોગવવાની વસ્તુથી વિશેષ કૈં નથી એમ જ માન્યું છે. યાદ રહે યૌન શોષણ અભણ જ કરે છે એવું નથી, એમાં શિક્ષિતો શોષણની વધુ સૂક્ષ્મ રીતો સાથે પ્રવૃત્ત થાય છે. શિક્ષણનું પ્રમાણ વધવાની સાથે દુષ્કર્મની ઘટનાઓ ઘટવી જોઈતી હતી, પણ તેમાં ઉત્તરોત્તર વધારો જ થતો જોવા મળ્યો છે. તો, એમ માનવું કે શિક્ષણ માનવીય સંવેદનાઓ ઉજાગર કરવામાં સફળ થયું નથી?

2020થી નવી શિક્ષણ નીતિ અમલમાં આવી હોય, પછી પણ આ સ્થિતિ હોય તો શિક્ષણથી ફરક પડ્યો નથી એમ સ્વીકારવું પડે. એ પણ જોવાવું જોઈએ કે આજકાલ કેવાં શિક્ષણનો મહિમા વધુ છે? તો જણાશે કે સૌથી વધુ નફો રળી આપે એવું શિક્ષણ અને એવા વ્યવસાય તરફ જ આપણી નજર વધુ છે. કમાવી આપે તે શિક્ષણ, બલકે, તે જ શિક્ષણ એવી શૈક્ષણિક વ્યવસ્થાઓનો મહિમા વધ્યો છે. વ્યથા આપે તેવી વ્યવસ્થા પણ જો નફો રળી આપતી હોય તો તેનો પણ આપણને બહુ વાંધો નથી. અહીં વ્યવસાય કે નફાનો જરા જેટલો પણ વાંધો નથી. વાંધો, કમાવામાં પડેલી વ્યક્તિઓ યંત્ર થઈ રહી છે તેનો છે. રોબોટ માણસને વિકલ્પે હોઈ શકે, પણ માણસ જ રોબોટ થવા લાગે તો એ સંવેદન રહિત કે સંવેદનહીન જ બને તે શક્ય છે. કાલ ઊઠીને એવું બને કે રોબોટને આંસુ આવે ને માણસની આંખો કોરી જ રહે. આપણા વિકાસમાં માણસની આંખો કોરી રહે એ ગુણ ગણાતો હોય તો પણ અનુભવો માણસને સંવેદનહીન બનાવે એ જરા પણ ઇચ્છનીય નથી.

આવું એટલે બને છે કે શિક્ષણ કે રોજિંદા જીવનમાંથી કળા, સાહિત્ય, સંગીત, નૃત્ય વગેરે લુપ્ત થતાં આવે છે. સંસ્કૃત શ્લોકમાં તો કહ્યું જ છે કે જેમને સાહિત્ય, સંગીત, કલા વગેરેમાં રુચિ નથી, તેઓ પૂંછડા અને શિંગડા વિનાના પશુ જ છે. જે કલાથી દૂર છે તે બલાની નજીક છે. એવું નથી કે ફિલ્મો કે સંગીત નાબૂદ થઈ ગયાં છે, પણ આજની મોટે ભાગની ફિલ્મો હિંસાને પ્રાધાન્ય આપે છે. સંગીત ઘોંઘાટનું જ બીજું નામ છે. હિંસા અને ક્રૂરતા એને લીધે જીવનમાં વધી છે. એટલે જ મારી નાખ્યા પછી પણ સંતોષ નથી થતો તો પ્રેમિકાના અસંખ્ય ટુકડાઓ કરીને પ્રેમી જંગલમાં ફેંકી આવે છે. સી.ઇ.ઓ. મા પોતાના જ ચાર વર્ષનાં દીકરાને મારી નાખીને બેગમાં ભરીને કોઈ સામાનની જેમ લઈ જઈ શકે છે. કોઈ પત્ની કે પતિ અન્ય સાથે સંબંધ હોવાની શંકા પરથી મોતને ઘાટ ઉતારે કે સ્કૂલે જતો વિદ્યાર્થી સામાન્ય વાતે કોઈને છરી મારી દે એમાં સંવેદનાનો અભાવ જ વર્તાય છે. આવું પહેલાં ન હતું એવું નથી, પણ અત્યારે વાતાવરણમાં તામસીપણું અમસ્તું જ ઉભરાય છે. કોઈ જાણે ઠરીને વિચારવા જ રાજી નથી. સંવેદન રહિતતા અને સંવેદનહીનતા આપણી નસોમાં વહે છે તે આજનાં વ્યાવસાયિક શિક્ષણ અને નફાખોરીની જ ચાડી ખાય છે. જે વ્યવસાયમાં સંવેદનની જરૂર જ ન પડે એ માણસને નહીં, મશીનને જ મહત્ત્વ આપે છે. વ્યવસાય વ્યક્તિ માટે ને વ્યક્તિને લીધે હોય, તે જો માણસાઈનો જ છેદ ઉડાડે તો કોઈ પણ દુષ્કર્મ સત્કર્મમાં ખપાવી શકાય. અત્યારે જે પ્રમાણ ગુનાખોરીનું વધ્યું છે એમાં કેવળ નફાખોરી અને અમાનવીય વ્યવહાર જ કેન્દ્રમાં છે. વધારે શું કહેવું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 ઑગસ્ટ  2024

Loading

શું ધર્મ-ધમ્મ પરિષદ, શું પર્યુષણ વ્યાખ્યાનમાળા : ખરી કસોટી નાગરિક પરિમાણની ખીલવણીમાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 August 2024

ધર્મ અને નવો જમાનો

ધર્મ–ધમ્મ પરિષદ એ સંઘ પરિવારની થિન્કટેન્ક લેખાતા ઇન્ડિયા ફાઉન્ડેશનની પહેલ છે. ધર્મ એ કોઈ રાજકીય વિચારધારામાં ગંઠાઈ જતી બાબત છે કે વ્યાપક નાગરિક અભિગમ એ એણે  છોડાવવાનું ઉખાણું છે.

પ્રકાશ ન. શાહ

હવે તરતના દિવસોમાં જ પર્યુષણ વ્યાખ્યાનમાળા શરૂ થશે. અમદાવાદ મુંબઈમાં ઉપાશ્રય સરખાં પરંપરાગત સ્થાનકોની બહાર – કહો ને કે ચાચર ચોકમાં – આવું આયોજન શરૂ થયું, એને જોતજોતામાં કેટલાં વરસ વીતી ગયાં ! અમદાવાદમાં પંડિત સુખલાલજી અને પંડિત બેચરદાસજીની પહેલ ને પ્રેરણાથી આવી શરૂઆત 1928માં થઈ હતી, એને હવે તરતના વરસોમાં એક ગાળો જૈન યુવક સંઘે ધીરજલાલ શાહ અને કમળાબહેન સુતરિયાના આયોજનમાં જાળવી જાણ્યો, અને 1975થી ગુજરાત યુવક કેન્દ્ર પ્રેરિત ધર્મજાગૃતિ કેન્દ્રે સૂત્રો સાહ્યાં એનું તો આ સુવર્ણ જયંતી વર્ષ છે.

અહીં જે મુખડો બાંધ્યો એ દેખીતી તો થોડીક માહિતી જ છે, પણ તે સંભારવાનો આશય કોઈ સીધીસાદી પ્રેસનોટ પ્રકારનો નથી. જે મુદ્દો છે તે તો એ કે પંડિત સુખલાલજી અગર તો પરમાનંદ કુંવરજી કાપડિયા અને ચિમનલાલ ચકુભાઈ શાહ સરખા મહાજનોએ જેમાં રસ લીધો તે કોઈ પરંપરાગત નવા જમાનામાં વ્યાપક માનવધર્મની દૃષ્ટિએ, પરંપરાપ્રાપ્ત મૂલ્યોને નવેસર નાગરિક કેળવણીના અભિગમથી જોગવવાની વાત હતી. પરમાનંદ કાપડિયાએ એમના પત્ર ‘પ્રબુદ્ધ જૈન’નું નામ ‘પ્રબુદ્ધ જીવન’ કરી નાખ્યું એ નકરું નામાંતર નહોતું, પણ સંપ્રદાયમુક્ત અભિગમની દિલી કોશિશ હતી. હરિભાઈ પંચાલે સદ્દવિચાર પરિવાર થકી ‘મનનો જમણવાર’ જેવી જે કોશિશ કીધી એમાં પણ તમે સંપ્રદાયમુક્ત ધર્મભાવના, કંઈક નાગરિક સંકેત સાથે જોઈ શકો.

આ પ્રકારનાં આયોજનોની સંભાવના અને મર્યાદા વિશે વિગતે વિચારી શકાય, પણ અહીં આટલેથી અટકી આ જ કુળના પણ ગુણલક્ષણે કંઈક જુદા પ્રકલ્પનીયે ચર્ચામાં જવા ઇચ્છું છું. હમણાં ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી ‘ધર્મ અને ધમ્મ પરિષદ’નું આયોજન અમદાવાદમાં થયું હતું. ‘ઇંડિયા ફાઉન્ડેશન’ નામની જે થિંકટેંક સંઘ પરિવારના અગ્રિમજનો પૈકી એક, રામ માધવની સિંહભૂમિકા સાથે ચાલે છે તેની આ પહેલ હતી અને છે. આવી આ આઠમી પરિષદ યોજાઈ ગઈ એટલે પરિવારે સાતત્યપૂર્વક ધર્મમુદ્દે બૌદ્ધિક પહેલ સરખો ઉપક્રમ ચલાવવા ધાર્યું હશે તેમ જણાય છે.

હિંદુ પરંપરાનો ‘ધર્મ’ અને બૌદ્ધ પરંપરાનો ‘ધમ્મ’ બેઉ પ્રયોગો એક શ્વાસે કરવા પાછળનો આશય હિંદુભારતીય પરંપરાને વ્યાપક આશય હિંદુભારતીય પરંપરાને વ્યાપક એશિયાઈ અને એથીયે આગળ જતા ફલક પર મૂકવાનો હશે તેમ સમજાય છે. નરેન્દ્ર મોદીના વડા પ્રધાન કાળમાં ‘બૌદ્ધ સરકીટ’નો જે ખયાલ સ્વીકારાયો છે તેના મેળમાં જતો આ પ્રયાસ છે એમ માનવામાં હરકત નથી. ધર્મ-ધમ્મ પરિષદોમાં નેપાળ, શ્રીલંકા, ભુટાન આદિનું પ્રતિનિધિત્વ પણ વરતાતું રહ્યું છે. એની ચર્ચાઓમાં બૌદ્ધ ઉપરાંત જૈન અને શીખ હાજરી પણ પ્રસંગોપાત વરતાય છે. મતલબ, જે ભારતમાં પ્રગટેલા ધર્મો છે એને એક વ્યાપક હિંદુ ધરીની રીતે મૂકવા પ્રયોજવાનું લક્ષ જણાય છે. દેશમાં ઇસ્લામ ને ખ્રિસ્તમત આદિની હાજરી છે, પણ તે ધર્મ-ધમ્મ ઉપક્રમનો હિસ્સો જણાતી નથી.

ગમે તેમ પણ, સર્વપલ્લી રાધાક્રિષ્ણને હિંદુ ધર્મને ‘કોમનવેલ્થ ઓફ રિલિજિયન્સ’ તરીકે ઓળખાવ્યો છે એ સંભારવા સાથે ય ‘ઇંડિયા ફાઉન્ડેશન’ શી થિંકટેંક પાસેથી આપણે એક છોડાવવા જોગ ઉખાણાનો ઉકેલ માગવો રહે છે. ધર્મને એક રાજકીય વિચારધારા તરીકે પ્રયોજવાનો ઉધામો દેશને સ્વરાજપૂર્વ વિભાજન તરફ તો સ્વાતંત્ર્યોત્તર વિભાજનવત્ કગાર પર લઈ ગયો છે. પરસ્પર સ્પર્ધી કોમવાદો ધરમમજહબને નામે ખાણદાણ મેળવતા રહ્યા છે. ધર્મ-ધમ્મ પરિષદ એને ઓગાળતી વ્યાપક ભૂમિકા વાસ્તે સ-ભાન ને સઘન વિચારણા હાથ ધરી શકશે ? જેમ ‘પ્રબુદ્ધ જૈન’માંથી ‘પ્રબુદ્ધ જીવન’ બનતાં કંઈક અંતર કપાયું હોય તોપણ ખાસું અંતર કાપવું રહે છે. તેમ ધર્મ-ધમ્મ પહેલ જો સત્તા-પ્રતિષ્ઠાનનો ઉપક્રમ ન હોય તો એણે દેશનો જે રાજરોગ, ધર્મને રાજકીય વિચારધારામાં પલટવાનું વલણ, એનાથી કિનારો કરવો રહે છે. એટલું જ નહીં પણ એના વાસ્તવિક શોધનનો હોંશીલો અભિક્રમ દાખવવો રહે છે.

ધર્મ માત્ર કને એકવીસમી સદીનો જે યુગપડકાર છે તે નિરમાયેલ  જ છે.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 28 ઑગસ્ટ 2024

Loading

વિકસિત ભારતનું સપનું કઈ રીતે પૂરું કરશું

રમેશ ઓઝા|Opinion - Opinion|29 August 2024

વિકાસ એક યાત્ર છે જે કોઈ શાસકના શાસનકાળમાં સમાપ્ત થતી નથી

રમેશ ઓઝા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જવાહરલાલ નેહરુ માટેનો અણગમો જાણીતો છે. બીજી બાજુ તેમને નેહરુ વગર ચાલતું પણ નથી. નેહરુની બરાબરી અને નેહરુથી આગળ નીકળી જવાનાં મનોરથ તેમનાં રાજકારણનો જ નહીં, તેમનાં જીવનનો પણ ખૂંટો છે. તેઓ અને તેમના સમર્થકો કબૂલ નહીં કરે, પરંતુ તેમનું જીવન નેહરુ ફરતે પરિભ્રમણ કરે છે. અને માટે આજે જવાહરલાલ નેહરુને યાદ કરવા પડે એમ છે.

વડા પ્રધાને આઝાદીના મંગળ પ્રસંગે લાલ કિલ્લા પરથી બોલતા એક સંકલ્પ જાહેર કર્યો હતો કે આપણો દેશ જે અત્યારે વિકાસશીલ દેશ તરીકે ઓળખાય છે તે ૨૦૪૭માં, જ્યારે દેશ આઝાદીની શતાબ્દી ઉજવતો હશે ત્યારે, વિકસિત દેશ બની ગયો હશે. ૧૯૪૭માં ભારત દેશ આઝાદ થયો ત્યારે તે એક ગરીબ દેશ હતો અને ૨૦૪૭માં તે વિકસિત દેશ બની ગયો હશે. અહીં પ્રારંભમાં જ આપણે વડા પ્રધાનની તેમણે દાખવેલી ખેલદિલી માટે પ્રસંશા કરવી જોઈએ. તેમણે આડકતરી રીતે કબૂલ કર્યું કે ૧૯૪૭માં દેશ ગરીબ હતો, આગળ જતાં દેશ અવિકસિતમાંથી વિકાસશીલ બન્યો, અત્યારે વિકાસશીલ અવસ્થામાં છે અને વિકસિત બનાવવાનો બાકી છે. આપણને તો કહેવામાં આવતું હતું કે ૨૦૧૪ પહેલાં દેશ કંગાળ અવસ્થામાં હતો અને ૨૦૧૪ પછી તે દુનિયાના દેશો સાથે બરાબરી કરવા લાગ્યો. તેમણે વિદેશની ધરતી પર કહ્યું હતું કે ૨૦૧૪ પહેલાં ભારતના લોકો પોતાને ભારતીય કહેવડાવવામાં શરમ અનુભવતા હતા, પણ હવે તે ગર્વથી કહે છે કે હું ભારતીય છું. આવા તો બીજા અનેક ઉદાહરણ આપી શકાય. પાંચ વરસ પહેલાં તેમણે કહ્યું હતું કે પાંચ વરસમાં ભારત પાંચ ટ્રીલિયન ડોલરની ઈકોનોમી ધરાવતો દેશ બની જશે.

પણ આ વખતે લાલ કિલ્લા પરથી તેમણે જે કહ્યું છે તે વાસ્તવિકતાની ધરાતલ પર રહીને કહ્યું છે. આપણો દેશ વિકાસશીલ દેશ છે એ એક વાસ્તવિકતા છે અને ૨૦૪૭ સુધીમાં તે એક વિકસિત દેશ બને એવું વડા પ્રધાનનું અને આપણા બધાનું સપનું છે. દેશને ગરીબ અવિકસિત અવસ્થામાંથી વિકાસશીલ બનાવવામાં નરેન્દ્ર મોદી સહિત અત્યાર સુધીના દરેક શાસકનું યોગદાન છે અને તેને વિકાસશીલ અવસ્થામાંથી વિકસિત બનાવવામાં તેમના સહિત હવે પછી આવનારા શાસકોનું યોગદાન હશે. વિકાસ એક યાત્રા છે જે કોઈ એક શાસકના શાસનકાળમાં સમાપ્ત થતી નથી. માર્ગ એક હોય, મંજીલ એક હોય, મશાલચીઓ બદલાતા રહે. ઇતિહાસ કહે છે કે દુનિયા આખીમાં આ રીતે જ પ્રજા કોઈ મંજીલે પહોંચી છે. હા, વિકાસની ગતી અવરોધાવા લાગે તો માર્ગમાં સુધારા કરવામાં આવે છે, જે રીતે ૧૯૯૧માં પી.વી. નરસિંહ રાવે અને ડૉ. મનમોહન સિંહે કર્યા હતા.

ગરીબ ભારતના વિકાસની યાત્રા ૧૯૪૭માં જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં શરૂ થઈ હતી. વિકસિત ભારતનું સપનું તો દાયકાઓથી જોવામાં આવતું હતું, પરંતુ તેને સાકર કરવાની યાત્રા ૧૯૪૭માં શરૂ થઈ.

કેવી રીતે તેમણે એ યાત્રા શરૂ કરી હશે? કશુંક વિચાર્યું તો હશે જ. આપણી પાસે જમા પક્ષે શું છે, ક્યાં પાછળ છીએ, એક પ્રજા તરીકે આપણામાં શું ખૂટે છે, પ્રજામાં પુરુષાર્થ કઈ રીતે વિકસાવી શકાય, એમાં રાજ્યની શું ભૂમિકા હોઈ શકે, યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાઓની શું ભૂમિકા હોઈ શકે, વિજ્ઞાનની શું ભૂમિકા હોઈ શકે, જે સરકાર સાથે સીધી રીતે સંકળાયેલા નથી એવા ખાનગી વિદ્વાનો, વિચારકો, પ્રયોગકર્તાઓની શું ભૂમિકા હશે અને તેમનો સહયોગ કઈ રીતે લઈ શકાય, ઘરઆંગણેનાં પરંપરાગત હુન્નરનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, તેમાં જરૂરિયાત મુજબ કેવાકેવા સુધારા કરવા જોઈએ, ખેતીમાં ઉત્પાદકતા વધે એ માટે જમીનમાં કેવા સુધારા કરવા જોઈએ અને ખેડૂતોને શું માર્ગદર્શન આપવું જોઈએ, માર્ગદર્શન ખેડૂત સુધી પહોંચાડવા માટે શું શું ઉપાયયોજના કરવી જોઈએ, નાટક સિનેમા અને બીજા કલામાધ્યમોનો કેવી રીતે લોકશિક્ષણ માટે ઉપયોગ કરી શકાય, વગેરે વગેરે સેંકડો બાબતો વિચારી હશે! મશાલ લઈને આગળ ચાલતા મુખિયા પાસે ક્યાં જવું છે એની મંજીલ ન હોય, કલ્પનાશક્તિ ન હોય, પ્રેરકશક્તિ ન હોય, બધાને સાથે લઈને ચાલવાની આવડત ન હોય, આપવા માટે કાર્યક્રમ ન હોય તો યાત્રા આગળ વધે જ નહીં.

જવાહરલાલ નેહરુ પાસે આ બધું હતું. ‘લેટર્સ ટુ ધ ચીફ મીનીસ્ટર્સ’ આનું પ્રમાણ છે. તેઓ દર પંદર દિવસે એક લાંબો (દસથી પંદર પાનામાં અને કેટલીક વાર તો તેનાથી પણ લાંબો) પત્ર ભારતનાં વિવિધ રાજ્યોનાં મુખ્ય પ્રધાનોને લખતા હતા અને આવું તેમણે સતત પંદર વરસ કર્યું હતું. દર પંદર દિવસે સરેરાશ પંદર પાનાંનો પત્ર પંદર વરસ સુધી. કેટલું કહેવાનું હશે તેમની પાસે! આ સિવાય પક્ષની બેઠકોમાં, અધિવેશનોમાં, આયોજન પંચની બેઠકોમાં, લોકસભામાં, રાજ્યસભામાં અને એવાં બીજાં અનેક મંચ પરથી તેમણે તેમનાં વિચારો વ્યક્ત કર્યા છે. મને એ દિવસો યાદ છે જ્યારે આયોજનપંચ પંચવર્ષીય યોજનાનો મુસદ્દો જાહેરમાં ચર્ચાવિચારણા માટે મૂકતું ત્યારે આખું એક વરસ તેના વિષે અખબારો અને સામયિકોમાં ગંભીર ચર્ચા થતી. બજેટ વિષે સંસદની બહાર મહિનો મહિનો ચર્ચા થતી અને તેમાં મોટા અર્થશાસ્ત્રીઓ ભાગ લેતા. એવું નહોતું કે દરેક નેહરુના અને કાઁગ્રેસના સમર્થક હતા. વિરોધ પણ પ્રચંડ થતો હતો. સી. રાજગોપાલાચારી અને બીજા અનેક જમણેરી કાઁગ્રેસીઓ કાઁગ્રેસથી અલગ થયા એ મતભિન્નતાને કારણે. મત હતો એટલે મતભેદ થયા. બે સિરીઝ મળીને સમગ્ર નેહરુ સાહિત્ય ૬૦ દળદાર ખંડોમાં પથરાયેલું છે.

વડા પ્રધાને હવે જ્યારે કહ્યું જ છે કે દેશ ગરીબ હતો જે આજે વિકસશીલ અવસ્થામાં છે અને હવે વિકસિત કરવાનો છે તો તેમણે જવાહરલાલ નેહરુને અનુસરીને એ સપનું કઈ રીતે સાકાર કરી શકાય એ વિષે પોતાનાં વિચાર વ્યક્ત કરવા જોઈએ, લોકોને માર્ગદર્શન આપવું જોઈએ વગેરે. જવાહરલાલ નેહરુનાં મુખ્ય પ્રધાનોને લખેલાં પત્રો અને યાત્રામાં ભાગીદારીનું તેમણે વિકસાવેલું મોડેલ તપાસવા જેવું છે. તમારા વિચાર ભલે નેહરુથી અલગ હોય, તમારું મોડેલ ભલે નેહરુથી અલગ હોય. યજ્ઞમાં સામૂહિકતા જરૂરી છે અને વિકાસ એક યજ્ઞ છે. પણ એને માટે સાચી નિસ્બત જરૂરી છે. નેહરુનાં વ્યાખ્યાનો અને પત્રો જોઇને મને ઘણીવાર એમ થાય કે નેહરુની અંદર કેટલો અજંપો હશે! કેટલી તાલાવેલી હશે! કેટલી તત્પરતા હશે! કેટલી નિસ્બત હશે!

મોટાં સપનાં સાકાર કરવા માટે વ્યાપક વિમર્શ અને ભાગીદારી માટેની અનુકૂળ ભૂમિ એ પહેલી શરત છે. દરેક બાબતે અને દરેક પ્રસંગે સંપૂર્ણપણે સર્વસંમતિ શક્ય નથી, પણ વ્યાપક સર્વસંમતિ બનાવી શકાય અને બનાવવી જોઈએ. ૧૯૯૧માં પી.વી. નરસિંહ રાવ પાસે લોકસભામાં સાદી બહુમતી નહીં હોવા છતાં તેઓ આઝાદી પછી ક્યારે ય સુધારા નહોતા થયા એવા ધરખમ સુધારા કરી શક્યા હતા એનું કારણ ઈચ્છાશક્તિ, ઈરાદામાં પ્રામાણિકતા અને અનુકૂળતા પેદા કરવા માટેની જહેમત હતાં.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સંકલ્પ જાહેર કર્યો છે, પણ એ સંકલ્પ છે કે વધુ એક જુમલો એ હવે પછી ખબર પડશે. પાંચ વરસ વીતી ગયા અને પાંચ ટ્રીલિયન ઇકોનોમીથી આપણે ૩૫ વરસ દૂર છીએ. ભારતને વિકસિત દેશ બનાવવા માટે પાંચ વરસ હાથમાં છે. નેહરુનો અજંપો હશે તો સપનું સાકાર થશે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 29 ઑગસ્ટ 2024

Loading

...102030...585586587588...600610620...

Search by

Opinion

  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved