Opinion Magazine
Number of visits: 9457304
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આવા હોય દેશના વડા પ્રધાન!

રમેશ ઓઝા|Opinion - Opinion|28 April 2024

રમેશ ઓઝા

ઘણાં અરમાનો હતાં જવાહરલાલ નેહરુને ઊખેડીને તેમની જગ્યા લેવાનાં. તેમને ઝાંખા પાડી દેવાનાં. આપણે એ વાત જાણીએ છીએ કે પૂર્વસૂરિઓના ખભા પર ચડવાથી વધારે દૂર સુધી દેખાય, ક્ષિતિજ વિસ્તરે. ઇતિહાસમાં જેટલા મહામાનવો થયા છે એ આ રીતે જ થયા છે. પણ અહીં ઈરાદો નેહરુના ખભા પર ચડવાનો નહોતો, નેહરુને ઊખેડીને ફગાવી દેવાનો હતો, તેમને ઝાંખા પાડવાનો હતો. જો કે એમાં પણ કાંઈ ખોટું નથી જો એવા કોઈ માણસનું તત્ત્વજ્ઞાન કે દૃષ્ટિકોણ અપ્રાસંગિક લાગતો હોય તો. ઇતિહાસમાં એવા પણ મહામાનવ થયા છે, વિચારકો થયા છે જેમણે આગળથી ચાલ્યા આવતા વિચારોને, દૃષ્ટિકોણને અપ્રાસંગિક સિદ્ધ કર્યા છે અને નવું તત્ત્વજ્ઞાન અને જીવનમૂલ્યો સ્થાપિત કર્યાં છે.

તો ઇતિહાસમાં જગ્યા મેળવવાના બે રસ્તા છે. એક આગળ થઈ ગયેલા મહામાનવોના ખભા પર ચડીને દૂરનું જુઓ અને માર્ગનો વિસ્તાર કરો. જવાહરલાલ નેહરુ આવા એક મહાપુરુષ હતા. ખભા પર ચડીને દૂરનું જોવા માટે પણ દૃષ્ટિ જોઈએ. દરેકને ખભા પર ચડવાથી દૂરનું દેખાતું નથી. બીજો રસ્તો છે જૂના માર્ગને અપ્રાસંગિક સિદ્ધ કરીને પોતાનો માર્ગ કંડારવાનો. બીજો માર્ગ વધારે અઘરો છે, કારણ કે તેમાં વૈકલ્પિક દર્શન જોઈએ. ગજબની મૌલિકતા જોઈએ. દુનિયાથી અલગ વિચારવા માટે અને જીવી બતાવવા માટે હિંમત જોઈએ. આવા લોકોને યુગપુરુષ તરીકે ઓળખાવી શકાય.

મહાત્મા ગાંધીનું દર્શન કે ફિલસોફી અવ્યવહારુ છે અને એટલે અપ્રાસંગિક છે એવું ઘણાને લાગતું હતું અને આજે પણ લાગે છે. લોકમાન્ય તિલક અને લાલા લજપતરાયે તો ગાંધીજીને પત્ર લખીને મોઢામોઢ આમ કહ્યું હતું. કાનાફૂસી નાના અને નીચ માણસો કરે, મોટા માણસો આંખથી આંખ મેળવીને વાત કરે. બીજી બાજુ એવા લોકો પણ હતા જેમને એમ લાગતું હતું કે ગાંધીજીનું દર્શન નવી દિશા આપનારું છે. બહુ ખેડાયેલા, પણ સમાજને સાચી શાંતિ નહીં આપનારા માર્ગને ક્યાં સુધી ખેડતા રહેવાનો! સમાજ નામના વટેમાર્ગુને ગાંધીજીએ નવો રસ્તો બતાવ્યો. આધુનિક યુગમાં જો કોઈની પ્રાસંગિકતા વિષે સૌથી વધુ ચર્ચા થઈ હોય તો એ ગાંધીજી વિષે. આજે પણ થાય છે, લગભગ દર અઠવાડિયે એક નવું પુસ્તક બજારમાં આવે છે. જો જવાહરલાલ નેહરુને ઊખેડીને ફગાવી દેવા હોય તો એ પહેલાં ગાંધીજીને અપ્રાસંગિક સિદ્ધ કરવા પડે.

અને આમ શા માટે કરવામાં ન આવે? શું ગાંધીજી અને નેહરુ છેલ્લો શબ્દ છે? બ્રહ્મવાક્ય છે? શું તેઓ ભગવાન છે? શું ભારતના ભાગ્યવિધાતા છે? એ પણ હાડમાટીના બનેલા માણસો હતા. એરણની ઉપર એ પણ ટીપાવા જોઈએ. તેમનું દર્શન અને તેમના અભિગમ અમને અવ્યવહારુ, અપ્રાસંગિક કે સમાજ કે સમાજના કોઈ એક ઘટકની વિરુદ્ધ લાગે છે તો તેમને ઊખેડી ફેંકવાનો દરેકને અધિકાર છે. પણ આગળ કહ્યું એમ તેને માટે વૈકલ્પિક દર્શન જોઈએ અને ગજબની મૌલિકતા જોઈએ.

અન્ય કોઈની માફક હિન્દુત્વવાદીઓને તેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ગાંધીજીને અપ્રાસંગિક ઠરાવવાનો અને નેહરુને ઊખેડીને ફગાવી દેવાનો અધિકાર છે. તેમના એ અધિકારનું આપણે સ્વાગત કરવું જોઈએ. પણ તેઓ એમ કરી શક્યા છે? વિચારી જુઓ, તેઓ સફળ થયા છે? આવતા દશેરાના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વરસ થશે, હિંદુ મહાસભાની સ્થાપનાને ૧૧૪ વરસ થયાં, હિંદુહિતની સામાજિક-રાજકીય વિચારધારાનાં ભારતમાં બીજ રોપાયાં એને દોઢસો કરતાં વધુ વરસ થયાં. ગાંધીજી હજુ શાળામાં ભણતા હતા ત્યારથી આની શરૂઆત થઈ હતી. એમ કહી શકાય કે ગાંધીજીના જન્મ સાથે જ ગાંધીજીનો પ્રતિવાદ કરનારી વિચારધારાનો જન્મ થઈ ચુક્યો હતો. આ કોઈ ઓછો સમયગાળો નથી. આ લોકોએ ખાસું લાંબુ ખેડાણ કર્યું એ પછી ગાંધીજીનો ક્ષિતિજે ઉદય થયો હતો.

પણ આજે આપણે જોઈએ છીએ કે તેઓ બિચારા ગાંધીજીને અપ્રાસંગિક ઠરાવવાના અને નેહરુને ઊખેડીને ફેકી દેવાના ફાંફા મારે છે. કારણ એ છે કે તેમની પાસે કોઈ વૈકલ્પિક દર્શન નથી. વૈકલ્પિક દર્શન નથી એટલે તેઓ મૌલિક વિમર્શ કરી શકતા નથી. તેમની પાસે આ બન્ને મહાનુભાવોની બદનામી કરવા સિવાય કોઈ સાધન નથી. ખુલ્લા મંચ પર ચર્ચા કરવાની જગ્યાએ તેઓ કાનાફૂસી કરે છે. વોટ્સેપ જુઠાણાં ફેલાવે છે. આ બધું જોઇને તેમની ઉપર ગુસ્સો નથી આવતો, દયા આવે છે. આટલી દરિદ્રતા? ગાંધીજીની ફિલસૂફી અપ્રાસંગિક છે એ સિદ્ધ કરતું એક પુસ્તક તેઓ સો વરસમાં આપી શક્યા નથી. નેહરુની નીતિની ટીકા કરનારા સેંકડો પુસ્તકો પ્રકાશિત થયા છે, પણ સંઘ પરિવાર એવું એક પણ પુસ્તક આપી શક્યો નથી.

પ્રશ્ન એ છે કે કોઈ સંસ્થા, સંગઠન, પ્રવૃત્તિ કે આંદોલન કેવળ બીજાની ટીકા કરીને અને એ પણ એકપક્ષીય, એટલું જ નહીં, પણ માત્ર અને માત્ર કાનાફૂસી કરીને કેટલો સમય ચાલે અને જો ચાલે તો કેટલા પ્રભાવી બની શકે? હિન્દુત્વવાદીઓ સંકટમાં આવે ત્યારે રસ્તા પરથી હટીને ઝુકી જાય છે એટલે ટકી તો શક્યા છે, પણ દેશના હિંદુઓને તેઓ કશું જ આપી શક્યા નથી. આવા દીર્ઘાયુનો પણ શો અર્થ? તેઓ ભારતમાં સંપૂર્ણ બહુમતી સાથે શાસન કરે છે, એ પછી પણ હિંદુઓને આપવા માટે તેમની પાસે કાંઈ જ નથી. દસ વરસમાં તેમણે મુસલમાનો પાસેથી છીનવી લીધું છે, પણ હિંદુઓને કશું મળ્યું નથી. હા, મુસલમાનોનું છીનવાય એમાં હિંદુઓ પ્રાપ્તિ સમજતા હોય તો જૂદી વાત છે.

આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને વડા પ્રધાનના ચૂંટણીસભાઓમાં કરવામાં આવતાં ભાષણો સાંભળો. મારી વાત સાબિત થઈ જશે. બીજાને ગાળો આપવા સિવાય અને હિંદુઓને ડરાવવા સિવાય તેમની પાસે કશું જ કહેવાનું નથી. અને એમાં પણ જેમ જેમ પ્રતિકૂળતાઓ વધી રહી છે એમ વડા પ્રધાન પાસેથી અપેક્ષિત મર્યાદા તૂટી રહી છે અને સભ્યતાનું સ્તર નીચે જઈ રહ્યું છે. આવા હોય દેશના વડા પ્રધાન!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 ઍપ્રિલ 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—245

દીપક મહેતા|Opinion - Opinion|27 April 2024

કેવો હતો મુંબઈનો ફોર્ટ કહેતાં કિલ્લો?

મુંબઈના કોટની એકાદ ઈંટ પણ આજે જોવા મળતી નથી    

મજૂર અહીં સો પચાસ ઘણ કોશ કોદાળી લૈ

મથે, પરમ જીર્ણ તોય હજી વક્ષ તારે દૃઢે

ઝીંકે સતત ઘા ઉસાસભર ખિન્ન અંગાંગમાં.

જરા ખણણ, ધૂળગોટ, ગબડે તૂટેલી ઇંટો,

અને ઢગ બની ઢળે યુગયુગો ઊભેલી કથા;

પસાર સહુ થાય હ્ંયાથી, નહિ જ આજ કોને વ્યથા. 

ગાંધીયુગના એક અગ્રણી કવિ સુન્દરમ્‌ની સોનેટમાલા ‘એક કિલ્લાને તોડી પડાતો જોઇને’ની આ પંક્તિઓનો સાચો અર્થ પામવો હોય તો મુંબઈના કોટ વિસ્તારમાં લટાર મારવી. નામ ભલે કોટ કે ફોર્ટ, પણ આજે અહીં એ કિલ્લાની એકાદ ઈંટ પણ શોધી જડે તેમ નથી. કારણ જે અંગ્રેજોએ આ કિલ્લો બાંધ્યો એ જ અંગ્રેજોએ વખત જતાં એને તોડી પાડ્યો. એ કિલ્લા પર અગાઉ એક તકતી ચોડેલી હતી. તેમાં જણાવ્યું હતું કે મુંબઈના આ કિલ્લાની દીવાલ ૧૭૧૬ના જૂન મહિનાની પહેલી તારીખે પૂરેપૂરી બંધાઈ રહી હતી. ચાર્લ્સ બૂન એ વખતે બોમ્બેના ગવર્નર હતા.

કિલ્લાના ત્રણ દરવાજા. દરિયા વાટે આવ-જા કરતા સૌ કોઈ એપોલો બંદરે ઊતરીને મુંબઈની ધરતી પર પગ મૂક્યા પછી સૌથી પહેલાં જોતા તે એપોલો ગેટ. માત્ર જોતા એટલું જ નહિ, તેમાંથી પસાર થઈને કોટમાં દાખલ થતા. હા, કોટમાં દાખલ થતાં પહેલાં બહુ ઊંડી નહિ અને બહુ છિછરી પણ નહિ એવી ખાઈ પસાર કરવી પડતી. કોટ બંધાઈ રહ્યા પછી ખ્યાલ આવ્યો કે માત્ર દીવાલો મુંબઈનું રક્ષણ કરી શકે તેમ નથી. એટલે કોટની બહાર ખાઈ બનાવી. તેમાં બારે માસ પાણી રહેતું, પણ ગંદુ, ગંધારું. અને એટલે મચ્છરોની વસતી માણસો કરતાં વધુ. દિવસ દરમ્યાન દરવાજા બહાર ખાઈ ઉપર લાકડાનો ‘ડ્રોપ ગેટ’ રહેતો જેના દ્વારા ખાઈ પસાર કરવી પડતી.

સેન્ટ થોમસ કેથીડ્રલ અને કોટન ગ્રીન

કિલ્લાની વધુ વાતો કરતાં પહેલાં ટકોરા મારીએ બીજા ગેટ ચર્ચ ગેટનાં બારણાં પર. મુંબઈના કોટના ત્રણ ગેટમાંથી આ સૌથી વધુ જાણીતો. આજે બીજા ગેટની જેમ આ ગેટ પણ નથી રહ્યો, છતાં તેનું નામ જળવાઈ રહ્યું છે. આ ચર્ચ તે સેન્ટ થોમસ કેથીડ્રલ, જે આજના હોર્નિમન સર્કલ પર આવેલું છે. એનો પાયો તો નખાયો હતો ૧૬૭૬માં, પણ તેની પ્રતિષ્ઠા થઈ છેક ૧૭૧૮માં. કારણ વચમાં વચમાં જૂદાં જૂદાં કારણોને લીધે તેનું બાંધકામ અટકી ગયું હતું. કોટ વિસ્તારમાં આવેલું આ પહેલું એન્ગ્લિકન ચર્ચ. આજે એની ગણના આખા દેશનાં જૂનામાં જૂનાં ચર્ચમાં થાય છે. કિલ્લાના જે દરવાજાથી શરૂ થતો રસ્તો સીધો આ ચર્ચ તરફ લઈ જતો હતો તે દરવાજાનું નામ પડ્યું ચર્ચ ગેટ. એ ગેટમાંથી બહાર નીકળ્યા પછી વિશાળ મેદાન આવતું અને તેમાં હતી એક મસ મોટી પવન ચક્કી. આજે જ્યાં વિદેશ સંચાર નિગમની બહુમાળી ઇમારત આવેલી છે એ જગ્યાએ પહેલાં રાણી વિક્ટોરિયાનું ખૂબ સુંદર પૂતળું હતું. ૧૮૭૨ના એપ્રિલની ૨૯મી તારીખે તે પૂતળું મૂકાયું તે પહેલાં એ જગ્યાએ આ પવન ચક્કી હતી. પવન ચક્કીથી થોડે દૂરથી દરિયા કિનારો શરૂ થતો. આ તરફ જતો એક રસ્તો, આજે તો કેડી લાગે એવો, એનું નામ પડ્યું ચર્ચ ગેટ સ્ટ્રીટ. પછી લગભગ એ રસ્તાને છેડે બંધાયું બી.બી.સી.આઈ. – બોમ્બે બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે – નું સ્ટેશન. એનું નામ પણ પડ્યું ચર્ચ ગેટ સ્ટેશન. એનું નામ બદલવાનું ભૂત વચમાં વચમાં ધૂણવા લાગે છે, પણ હજી સુધી તો અસલ નામ બચી ગયું છે. પણ હા, ચર્ચ ગેટ સ્ટ્રીટનું નામ બદલાઈને થયું છે વીર નરીમાન રોડ. 

મુંબઈનો કોટ, ૧૮૫૫માં કોલાબા તરફથી જોતાં

પણ આપણે પાછા સેન્ટ થોમસ પાસે જઈએ. મુંબઈના વિકાસનું સપનું જોનાર જ નહિ, આપણા આ શહેરના ઘડતર અને ચણતરમાં ઘણી દિશામાં પહેલ કરનાર મુંબઈના ગવર્નર જેરાલ્ડ ઓન્ગીઆરે આ ચર્ચ બાંધવાની પહેલ કરી. આ વિસ્તાર ત્યારે કોટન ગ્રીન તરીકે ઓળખાતો. ચોમાસાને બાદ કરતાં ઇન્ગ્લન્ડ મોકલવા માટે અહીં રૂ કહેતાં કપાસની લાખો ગાંસડીઓ ખુલ્લામાં પડી રહેતી એટલે આ જગ્યાનું નામ પડ્યું કોટન ગ્રીન. પોર્ટુગીઝોએ બાંધેલો બોમ્બે કાસલ પણ નજીકમાં. ચર્ચ બાંધવાનું શરૂ તો કર્યું પણ એ બંધાઈ રહ્યું ચાલીસ વરસ પછી. ૧૭૧૫થી બાંધકામ પૂર જોશમાં શરૂ થયું અને ૧૭૧૮માં પૂરું થયું. ૧૭૧૮ના નાતાલના દિવસે તેમાં ‘સર્વિસ’ શરૂ થઈ. ૧૮૩૭ના જુલાઈમાં તેને કેથેડ્રલનો દરજ્જો આપવામાં આવ્યો અને મુંબઈમાં પહેલા બીશપ તરીકે થોમસ કારની નિમણૂક થઈ. ૧૮૩૮માં અસલ ઈમારતમાં ટાવર અને કલોક (ઘડિયાળ) ઉમેરાયાં. ૧૮૭૦માં કાવસજી જહાંગીર રેડીમનીએ આ ચર્ચને એક સુંદર ફુવારો ભેટ આપેલો જે આજે પણ મુખ્ય પ્રવેશદ્વાર પાસે જોઈ શકાય છે. દાયકાઓ સુધી આ ચર્ચને મુંબઈનું ‘ઝીરો પોઈન્ટ’ ગણવામાં આવતું. એટલે કે આ ચર્ચને ઝીરો માનીને તેનાથી દૂર માહિમ સુધી કુલ ૧૬ માઈલ સ્ટોન મૂકવામાં આવેલા. આ ૧૬માંથી ૧૧ની ભાળ મળી છે. 

મુંબઈનો કોટ – દરિયા તરફ તાકેલી તોપો

બોમ્બેનો ફોર્ટ બંધાઈ રહ્યા પછી, અને ૧૭૯૦ પહેલાં ક્યારેક, કિલ્લા બહારનો પહેલો મોટો રસ્તો બંધાયો. ૧૭૭૧થી ૧૭૮૪ સુધી મુંબઈના ગવર્નર રહી ચૂકેલા વિલિયમ હોર્નબીના માનમાં એ રસ્તાને નામ અપાયું હોર્નબી રો. આ ‘રો’ શબ્દ ‘રોડ’નો સમાનાર્થી. મુંબઈના બીજા કેટલાક રસ્તાનાં નામ સાથે પણ ‘રોડ’ને બદલે ‘રો’ વપરાતો. જેમ કે રામપાર્ટ રો, ક્રૂકશેંક રો. પણ પછી અહીંના લોકોને આ ‘રો’નો અર્થ પલ્લે ન પડતાં ‘રો’ની જગ્યાએ ‘રોડ’ મૂકાતું થયું. અસલમાં આ રસ્તો કર્નાક બંદર આગળથી શરૂ થતો અને બોરી બંદર આગળ પૂરો થતો. પછી ધીમે ધીમે તેને પહેલાં ચર્ચ ગેટ સ્ટ્રીટ સુધી, અને પછી એપોલો બંદર સુધી લંબાવવામાં આવ્યો. આજે આ રોડના જુદા જુદા હિસ્સાને જુદાં જુદાં નામ અપાયાં છે. તેમાં એક મોટા હિસ્સાનું નામ ડોક્ટર દાદાભાઈ નવરોજી રોડ. 

અને ત્રીજો દરવાજો તે બઝાર ગેટ. બીજા બે કરતાં કદમાં લગભગ બમણો. અહીં વચમાં એક મોટો દરવાજો અને તેની બંને બાજુ એક-એક નાના દરવાજા હતા એટલે ‘દેશી’ લોકો તેને ત્રણ દરવાજા તરીકે પણ ઓળખતા. બોરી બંદરથી શરૂ થઈને એલ્ફિન્સ્ટન સર્કલ (આજનું હોર્નિમન સર્કલ) સુધી જતા રસ્તાનું નામ પણ હતું બઝાર ગેટ સ્ટ્રીટ. અને અહીં લોકોનો આવરોજાવરો પણ ઘણો વધારે. એક જમાનામાં અહીંની બજાર એ મુંબઈની સૌથી મોટી બજાર. દિવસ દરમ્યાન આ દરવાજામાંથી વેપારીઓ અને ઘરાકોની આવનજાવન સતત ચાલુ. 

એક જમાનામાં અવિનાશ વ્યાસનો આ ગરબો ખૂબ જાણીતો થયેલો :

અલી ઓ રે, બજાર વચ્ચે બજાણિયો,

જોને બજાવે ઢોલ, 

કેમ સહ્યું જાય રે લોલ!

એ ગરબાની જેમ આજે બજાર ગેટ પણ ભૂલાઈ ગયો છે. તેના પરથી નામ પડેલું તે સ્ટ્રીટનું નામ પણ બદલાઈ ગયું છે. હા, આ લખનાર જેવા જૂના જમાનાનાં લોકો હજી વાતચિતમાં ‘બજાર ગેટ સ્ટ્રીટ’ બોલે ખરા!

ત્રીજો દરવાજો – બજાર ગેટ 

ત્રણ દરવાજાનાં તો નામ પણ બચ્યાં છે, લોકોની યાદદાસ્તમાં. પણ બોમ્બેના ફોર્ટના બેસ્ટિયન કહેતાં બુરજનાં તો નામ સુદ્ધાં હંમેશ માટે ભૂલાઈ ગયાં છે. તેમાંનાં કેટલાંક નામ : ફ્લાવર ટ્રી બેસ્ટિયન, બ્રેબ ટ્રી બેસ્ટિયન, ફ્લેગ સ્ટાફ બેસ્ટિયન. આ ત્રણે અસલ પોર્ટુગીઝોએ બાંધેલા બોમ્બે કાસલના ભાગ હતા જે પોતે બાંધેલા કિલ્લામાં અંગ્રેજોએ સમાવી લીધા હતા. તેમાં બ્રેબ ટ્રી સાથે એક રોચક વાત સંકળાયેલી છે. બ્રેબ ટ્રી એટલે તાડ કે ખજૂરનું ઝાડ. અસલ કિલ્લામાં આ જગ્યાએ આવાં ઘણાં બધાં ઝાડ હતાં, અને ખાસ્સાં ઊંચાં હતાં. એ વખતે અહીં દીવા દાંડી નહોતી. પણ દરિયામાં દૂર દૂરથી પણ ઝાડનું આ ઝુંડ દેખાતું. એટલે એ દેખાય કે તરત ખલાસીઓ સમજી જતા કે હવે બોમ્બેનો કિનારો નજીકમાં જ છે. અંગ્રેજોએ બાંધેલા કિલ્લાના કેટલાક બેસ્ટિયન કહેતાં બુરજનાં નામ : રોયલ, માલબરો, સ્ટેનહોપ, ચર્ચ (ચર્ચ ગેટ નજીક), મૂર, બનિયન (વડનું ઝાડ), પ્રિન્સિસ, ટેંક (તળાવ), ફ્લેગ સ્ટાફ, અને નોર્થ-ઈસ્ટ બેસ્ટિયન. 

પણ કાંઈ ફક્ત કિલ્લો બાંધવાથી શહેરનું રક્ષણ થોડું થાય? એ માટે કિલ્લા પર ઠેર ઠેર તોપ ગોઠવવી પડે. આ રીતે જ્યાં બે કે તેથી વધુ તોપ ગોઠવી હોય તેને લશ્કરની પરિભાષામાં ‘બેટરી’ કહે છે. પોર્ટુગીઝોએ બાંધેલો કિલ્લો પૂરો થાય અને અંગ્રેજોએ બાંધેલો શરૂ થાય ત્યાં પહેલી હતી હોર્નબીઝ બેટરી. બીજી બેટરી હતી ડોક બેસ્ટિયનની સાથે. ત્રીજી બેટરી તે ટેંક બેટરી. આ ત્રણે બેટરી પર સંખ્યાબંધ તોપો રહેતી. એ ઉપરાંત આખા કિલ્લાની રાંગ ઉપર તો ઠેર ઠેર તોપ ગોઠવેલી હતી જ. પણ દારૂગોળા વગરની તોપ તો શોભાના ગાંઠિયા જેવી! એટલે બધી તોપો માટેનો જરૂરી દારૂગોળો અને બીજો શસ્ત્ર-સરંજામ સંઘરવા માટે કિલ્લામાં એક મેગેઝીન, કહેતાં દારૂખાનું પણ હતું. કિલ્લાના બોરી બંદર નજીકના છેડા પર આવેલું હતું. એ વિસ્તારની એક જગ્યા આજે પણ ‘દારૂખાના’ તરીકે ઓળખાય છે, જ્યાં મુંબઈનું સૌથી મોટું ભંગાર બજાર આવેલું છે જે ચોવીસે કલાક ઉઘાડું રહે છે. 

કિલ્લાના આ બધા ભાગો પરથી કેટલાક રસ્તાનાં નામ પણ પડેલાં. જેમ કે બેસ્ટિયન રોડ, બેટરી સ્ટ્રીટ, રેવલીન સ્ટ્રીટ, રામપાર્ટ રો, વગેરે. માંડવી બંદરથી એપોલો બંદર સુધીના દરિયાના કાંઠે કાંઠે કોટની દીવાલ અડીખમ ઊભી હતી. તોપોનાં મોઢાં દરિયા તરફ અને જમીન તરફ એમ બંને બાજુ તાકેલાં રહેતાં.

પણ મુંબઈનો આ કિલ્લો બાંધવાનાં ફદિયાં આવ્યાં ક્યાંથી? એ વખતે હિન્દુસ્તાનમાં રાજ હતું કંપની સરકારનું. અને એ હતી વેપારી કંપની. હજારો માઈલ દૂર આવેલા મુંબઈ માટે ગાંઠનાં ગોપીચંદન એ કંપની શું કામ કરે? ૧૭૦૪ના જાન્યુઆરીની ૧૨મી તારીખે લંડનમાં બેઠેલા ડિરેક્ટરોએ કિલ્લો બાંધવાની માત્ર મંજૂરી આપી, પણ એ બાંધવા માટે કાણી કોડી ય નહિ. મુંબઈવાળા કહે : પૈસા વગર કિલ્લો બાંધીએ કઈ રીતે? લંડનવાળા કહે, અમે તમને છ ટકા વ્યાજે પૈસા આપશું. પણ ૧૫ વરસમાં તમારે એ વ્યાજ સાથે પાછા આપવાના. મુંબઈવાળા કહે, અમારે એ માટે ખાસ વધારાનો એક ટકો ટેક્સ નાખવો પડશે. ૧૭૧૦માં આ ટેક્સ નાખવાની લંડનથી મંજૂરી મળી. ૧૭૧૬માં કિલ્લો બંધાઈ રહ્યો ત્યાં સુધી મુંબઈના લોકોએ આ એક ટકો વધારાનો ટેક્સ ભર્યો. પણ એટલાથી કામ પૂરું થાય એમ નહોતું. એટલે મુંબઈ સરકારે વેપારીઓ પાસેથી ‘સ્વૈચ્છિક’ ફંડફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું. અહીંના વેપારીઓએ કહ્યું કે પરદેશથી જે કાંઈ માલસામાન દરિયાઈ માર્ગે આયાત થાય તેની કિંમતના બે ટકા જેટલો ટેક્સ અમે સરકારને આપશું. સરકાર બી રાજી, અને વેપારીઓ બી રાજી. 

સરકારનું તો જાણે સમજ્યા. પણ વેપારીઓ? એની વાત, અને મુંબઈના કોટની બીજી પણ કેટલીક મજેદાર વાતો હવે પછી. 

e.mail: deepakbmehta@gmail.com

XXX XXX XXX

(પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 27 એપ્રિલ 2024)

Loading

અમારાં आई

સંજય સ્વાતિ ભાવે|Profile|27 April 2024

સ્વાતિબહેન ભાવે – મેઘશ્રી ભાવે – સંજય ભાવે

અમ ત્રણ ભાઇઓના आई એટલે કે મમ્મી અન્નપૂર્ણા એ અર્થમાં પણ હતાં કે તે અન્નનો મહિમા પૂર્ણ રીતે સમજતાં. તેનો એક પણ દાણો ન વેડફાય તે એમનો આદર્શ હતો.

વાસણો ઘસવા આપતાં પહેલાં आई તેને ચોખ્ખાં કરતાં. વાનગી મોટાં વાસણમાંથી નાના વાસણમાં કાઢતી વખતે ચમચી કે બીજા કોઈ સાધનનો નહીં, પણ જમણા હાથનો ઉપયોગ કરતાં – ચાર આંગળીઓનાં ટેરવાં ભેગાં રાખીને, વાસણની દિવાલ અને તળિયેથી શાકનો રસો ને એ બધું નજાકતથી લઈ લેતાં. અમારે ત્યાં તેલનો વપરાશ ગુજરાતના પ્રમાણમાં ઓછો. તળવાનું પૂરું થાય એટલે તળણની કઢાઈને રોટલી કે લોટથી સાફ કરીને ચોખ્ખી કરી દેવાની.

રસોડું જ મંદિર, એમાં ભકિત-પૂજામાં ઉતાવળ ભાગ્યે જ કરવી પડે. રાંધવાનું બધું ધીમા તાપે જ, એટલે વાસણ ક્યારે ય બળતાં નહીં. વાસણ બળે, દૂધ ઊભરાય, ઘી ઢોળાય તો આઈ દુ:ખી દુ:ખી થઈ જાય.

જમવાનું પૂરું થાય એટલે થાળી બિલકુલ ચોખ્ખી કરવાની પાકી ટેવ મમ્મી-પપ્પાએ અમને પાડી હતી. થાળી ચોખ્ખી કરવામાં અમારી ક્યારેક હરીફાઈ થતી. દાળ-શાકનાં વાસણો એક એક જણ રોટલી કે હાથથી ચોખ્ખાં કરતા.

આ રીતે બધાં વાસણને ઘસવા આપતાં પહેલાં સ્વચ્છ કરી દેવાતાં. પછી આઈ મોટા વાસણમાં નાનું વાસણ એમ કરીને, એમાં પાણી રેડીને એકદમ કૉમ્પૅક્ટલી ગોઠવીને ચોકડીમાં નળ નીચે મૂકતાં.

વાસણોને ઘસવા આપતાં પહેલાં ચોખ્ખાં કરવાનાં અનેક ફાયદા – અન્નનો દાણો ય ન વેડફાય, પાંત્રીસેક વર્ષથી અમારા ઘરે કામ કરનારા કાન્તિભાઈને વાસણ ઘસવામાં તકલીફ ઓછી પડે, પાણી ઓછું વપરાય, કામમાં સમય ઓછો લાગે.

મોઢે માંડીને વપરાતાં હોય તેવાં વાસણ એટલે કે પ્યાલાં, પવાલી, વાટકી, ગ્લાસ, ચમચી, કપ-રકાબી આઈ જાતે સિંકમાં જ ધોતાં. ધોયેલાં વાસણ ઊંધા મૂકવાની પણ ખાસ રીત – જે સપાટી ઊપર ઊંધા કરીને મૂકવામાં આવે તે સપાટી અને વચ્ચે સહેજ જગ્યા (ગૅપ) રાખવાની.

મધ્યમ વર્ગના અમારા પરિવાર માટે દૂધ-ઘી મર્યાદિત હતાં. તેનું એકેક ટીપું સાચવવાનો નીમ હતો. તપેલીમાંનું દૂધ પૂરું થયાં પછી તપેલીની તળછટ ચમચી કાઢીને ખાઈને, ઓછું હોય તેમ તપેલીનાં તળિયું અને દીવાલ આંગળીથી ચાટીને, દૂધની તપેલીઓ ચોખ્ખી કરવામાં અમ ભાઈઓએ વિશેષ પ્રવીણતા પ્રાપ્ત કરી છે. અને હવે વર્ષોથી અછત નથી તો ય જળવાઈ છે.

માખણને તાંસળીને ઘી બનાવ્યાં પછી તપેલીમાં ‘બળી’ બને. તેના રંગ પરથી ઘી કેવુંક બન્યું છે તેનો અંદાજ આવે. એ બળી પણ તવેથીતી ઊતારીને તેમાં ઘી કે ગોળ નાખીને ખાવાની. ઘરનાં દૂધ-મેળવણ-દહીં છાશ-માખણ થકી ઘી અઠવાડિયે એક વાર બને.

એટલે બળી ખાવામાં ભાઈઓના વારા હોય. બળી આઈ જ કાઢીને આપે, કેમ કે બળીવાળી તપેલી (તલછટ કાઢતી વખતે દૂધની તપેલી અમે એંઠી થતી તેમ) એંઠી થાય એ ચાલે નહીં, તેમાં ઉનું પાણી નાખીને તે પાણી લોટ બાંધવા માટે વાપરવાનું હોય.

ગરમ વાસણ ઊતારવા માટે બને ત્યાં સુધી સાણસીનો નહીં પણ મસોતાનો ઉપયોગ કરવાનો. રસોઈ બનાવતી વખતે હાથ લૂછવા માટે અને વાસણ લૂછવા માટે સૂતરાઉ કાપડના અલગ અલગ ટુકડા વપરાય. વળી તે પણ ઘરની જૂની ચાદર, નહાવા માટેનાં જૂનાં રૂમાલ જેવાંનું કટિંગ કરીને બનાવેલાં. આ ત્રણેયને વળી ધોવાં નહીં આપવાનાં, દરરોજ જાતે ધોવાનાં. દરેકની બે જોડી હોય.

કામ ચાલુ હોય ત્યારે ય રસોડું ખાસ વિખરાયેલું ન હોય. એણે બનાવેલી રસોઈની, એ બનાવવાની રીતની તો વળી અલગ જ વાત.

જમવાનું ને એ બધું પૂરું થયાં બાદ બપોરે ને રાત્રે આઈ ઢાંકોઢૂબો કરે. એ પછી જે વ્યવસ્થિત ચોખ્ખુંચણક રસોડું દેખાય કે જોયાં જ કરીએ, આજે મનોમન પગે લાગું.

અમારાં आई વિશે કેટલાં ય સંભારણાં છે. તે આવતાં દિવસોમાં આ જગ્યાએ લખતાં રહેવાનો મનસૂબો છે. 

આજે અમારાં आईનો ચોથો સ્મૃતિદિન છે.  

Aai – 2024
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...584585586587...590600610...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved