Opinion Magazine
Number of visits: 9457226
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત?

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|30 April 2024

ગુજરાતના પાંસઠમા જન્મ પર્વને અનુલક્ષીને બે શબ્દો લખવા વિચારું છું ત્યારે ચિત્ત 1960ના મે દિવસની પૂર્વરાત્રિએ અમદાવાદના ટાઉન હૉલમાં પહોંચી જતું અનુભવું છું.

પ્રકાશ ન. શાહ

ગુજરાત રાજ્યની રચનાને વધાવતું કવિ સંમેલન છે, અને ઉમાશંકર જોશી પઠન કરી રહ્યા છે : ‘ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત?’ વળી સવારે, રવિશંકર મહારાજ ગુજરાત રાજ્યનું મંગળાચરણ કરે તેનીયે પૂર્વે, આકાશવાણી (અમદાવાદ) પરથી કવિને કંઠે વળી એક વાર આ જ રચનાનું પઠન સાંભળવાનું બન્યું હતું.

આ લખતી વેળાએ ‘સમગ્ર કવિતા’માંથી પસાર થતાં જોઉં છું કે ગુજરાત વિધિવત રચાવાનું હતું તેના બે’ક દિવસ પહેલાં, 29મી એપ્રિલે, તે નિમિત્તે ચાર રચનાઓનું ગુચ્છ ઊતરી આવ્યું હતું. કવિએ ‘ગાંધીને પગલે પગલે’ સહિતની આ ચારે રચનાઓને આપેલું ગુચ્છનામ પણ ગુજરાત વિશેના એમના હૃદયભાવને સુરેખ ઉપસાવી આપે છે : ‘ગુજરાત-સ્તવનો.’

હમણાં મેં એમનો હૃદયભાવ સુરેખ ઊપસી રહે છે એવી જે જિકર કરી તેમાં એક સાભિપ્રાયતા હતી અને છે – ખાસ કરીને ‘સુરેખ’ એ પ્રયોગ પૂંઠે. આપણા એકના એક ગોમાત્રિ(‘સરસ્વતીચંદ્રકાર’ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી)ને જેવો ને જેટલો ગમતો પ્રયોગ ‘રમણીય’ હતો, ઉમાશંકરને કદાચ એવો ને એટલો ગમતો પ્રયોગ ‘સુરેખ’ હતો.

ઉમાશંકર જોશી

તમે જુઓ, ગાંધીને પગલે પગલે ચાલવું તે શું, આપણા કવિએ સુરેખ વ્યાખ્યાયિત કર્યું છે : ‘સત્ય-અહિંસાની આંખે તું ભાળીશ ને ગુજરાત?’ આગળ ચાલતાં વળી ઉમેર્યું છે : ‘બિરૂદ ‘વિવેકબૃહસ્પતિ’નું જે, પાળીશ ને ગુજરાત?’

આ ગુચ્છમાં ચોથી રચના ‘ધન્ય ભૂમિ ગુજરાત’ છે. ઉમાશંકરે ‘સંસ્કૃતિ’ની એમની નોંધમાં સાભિપ્રાય સંભાર્યું છે કે પહેલી મે 1960ની સવારે આકાશવાણી પર ‘ગાંધીને પગલે પગલે’નું પઠન કર્યું હતું જ્યારે ‘ધન્ય ભૂમિ ગુજરાત’ સ્તોત્ર રૂપે રમતું કર્યું હતું.

આ સ્તોત્રમાં ગાંધી સાથે અંતરે અંતરે સંભારાતું ધન્ય નામ કૃષ્ણનું છે. ગાંધીને સંભાર્યા છે ગુજરાતીને ‘ગાંધીગિરા’ કહીને, અને કૃષ્ણને વળી ગુજરાત વિશે ‘કૃષ્ણ-ચરણરજ-પુનિત ધરા’ એ ઉલ્લેખ‌વિશેષ કરીને. વ્યક્તિનામો, વિસ્તારનામો, નદીનામો, ધર્મનામો બધાની યાદી ધ્રોપટ ચાલી આવે છે. પણ વળી વળીને ‘ધન્ય ભૂમિ ગુજરાત’ એ સ્તોત્ર ઠરે તો છે કૃષ્ણ ગિરા ગુજરાતી / કૃષ્ણ-ચરણરજ-પુનિત ધરા આ ગાંધીગિરા ગુજરાતી.’ (ઉમાશંકરે એમની રચનામાં ‘ગાંધીગિરા’ એ પ્રયોગ 1960ની રાજ્યરચના વખતે જ પહેલી વાર કર્યો છે એવું નથી.

હમણેનાં વરસોમાં માતૃભાષા દિવસ મનાવવાનો ચાલ શરૂ થયો છે ત્યારથી દર 21મી ફેબ્રુઆરીએ એમની જે રચના સંભારાય છે એનું તો શીર્ષક જ ‘ગાંધીગિરા’ એવું છે. 1955ના માર્ચમાં એમણે એનો ઉપાડ આમ કર્યો હતો : ‘સદા સૌમ્ય શી ‌વૈભવે ઊભરાતી / મળી માતૃભષા મને ગુજરાતી.’ અને રચનાના અંતભાગે છે : ‘ધ્રુવા સત્ય-સાથી અહિંસા-સુહાતી / નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.’ નોંધ્યું તમે? ‘પગલે પગલે’માં ‘સત્ય-અહિંસાની આંખે’ એવો પ્રયોગ હતો અહીં પણ ‘સત્ય-સાથી અહિંસા-સુહાતી’ આવી મળે છે.

ચાર ગુજરાત-સ્તવનો પૈકી બેની વાત મેં કરી. બીજાં બે પણ સાથે સાથે સંભારી જ લઉં. મે 1960 કરતાં મે 2024માં એમનું મહત્ત્વ પણ કંઈક અધિક છે. દેશને નામે, ભાષાને નામે, ધર્મકોમને નામે સાંકડી સામસામી ઓળખોનું જે રાજકારણ ચાલ્યું છે એની વચ્ચે એકવીસમી સદીના પહેલા ચરણના ઉંબર મહિનાઓમાં આ બે રચનાઓનો સંદેશ કદાચ વિપળ વાર પણ વહેલો નથી.

‘એ તે કેવો ગુજરાતી’ – રચનાની ઉપાડપંક્તિ પણ આ જ છે: ‘એ તે કેવો ગુજરાતી’ અને વાંસોવાંસ દેખીતો પ્રશ્નરૂપ પણ ખરેખર ઉત્તર આવી મળે છે : ‘જે હો કેવળ ગુજરાતી?’ આગળ ચાલતાં વળી કવિ કહે છે : ‘તે નહિ નહીં જ ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી.’

‘એ તે કેવો ગુજરાતી -’ જોડે જ જતી રચના ‘હું ગુર્જર ભારતવાસી’ છે. આ અલબત્ત ‘ધન્ય ધરા’ છે, કેમ કે ‘કૃષ્ણ વસ્યા જ્યાં’ અને વળી ‘ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં.’ પણ કવિની ગુર્જર ભારતવાસીની વ્યાખ્યા અને ‘ગાંધીને પગલે પગલે’ની સમજ ડોંગરેના બાલામૃત જેવા કોઈ ગીતામૃતમાં ગંઠાયેલી નથી. 

‘હું ગુર્જર ભારતવાસી / ઝંખો પલ પલ સહુ જનમંગલ મન મારું ઉલ્લાસી / હું…’થી ઊઘડતી આ રચના વિરમે છે (કદાચ ત્યાંથી જ શરૂ થાય છે) તો આ પંક્તિઓમાં : ‘સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થ નિવાસી હું ગુર્જર ભારતવાસી.’

કવિએ ગુજરાતનું અલગ એકમ અસ્તિત્વમાં આવ્યું એના ઉંબર દિવસોમાં, 1960ના એપ્રિલની 29મીએ એકસાથે ચાર રચનાઓનું જે ગુચ્છ ‘ગુજરાત-સ્તવનો’ના આદિમથાળે ભર્યાઁ નારિયેળ પેઠે રમતું મેલ્યું એમાં વીસમી સદીએ રાષ્ટ્રવાદની યુરોપીય ભેટ અને એશિયાએ કરેલ એની વરવી નકલનાં માઠાં પરિણામો બાબતે ચિંતા, ચિંતન (પ્રકારાન્તરે ચેતવણી પણ) વિલક્ષણ રીતે પ્રગટ થવા કરે છે. પ્રાદેશિક એકમનો સહજ સ્વીકાર ને સહજ આનંદ, એ જ તબક્કે નહીં ગંઠાતાં, નહીં રૂંધાતાં ‘ભારતવાસી’ની ઓળખે પહોંચી, ત્યાં પણ નહીં અટકતાં ‘જગતનાગરિક’ રૂપે વિલસવા કરે છે.

કવિનો જે ગુજરાતી છે તે કદાચ એટલે માટે જ ગુજરાતી છે કે તે કેવળ ગુજરાતી નથી. રાષ્ટ્રવાદનાં ભયસ્થાનો વિશે ચિંતા સેવતા વિશ્વકવિ રવીન્દ્રનાથ અને વિશ્વહિતને અવિરોધી રાષ્ટ્રભાવનાપૂર્વક સાબર તટે આશ્રમ માંડતાં ગાંધી, એ બેને જે વિશ્વબંગાળી, વિશ્વગુજરાતી ગુર્જર ભારતવાસી જગતનાગિરક અભીષ્ટ છે એનું આરતભર્યું ગાન કહો તો ગાન, કવન કહો તો કવન લઈને ઉમાશંકર ગિરા ગુજરાતીના દરબારમાં ઉપસ્થિત થયા હતા … એ 30 એપ્રિલ 1960ની રાત, એ 1 મે 1960નું પ્રભાત!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 01 મે 2024

Loading

મતદારોનું મૌન પક્ષોને અકળાવે છે: બીજા ચરણમાં ‘400 પાર’નો નારો કેમ ગાયબ થઇ ગયો?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|29 April 2024

રાજ ગોસ્વામી

2024ની લોકસભા ચૂંટણીમાં આ વખતે લોકોમાં ઉત્સાહનો અભાવ દેખાઈ રહ્યો છે. કમ-સે-કમ, પ્રથમ ચરણમાં નોંધાયેલું 65.5 ટકાનું મતદાન, જે 2019 કરતાં 4 ટકા (69.9 ટકા) ઓછું હતું, તે રાજકીય પક્ષો અને રાજકીય નિરીક્ષકોને મુંઝવણમાં મૂકી ગયું હતું, ખાસ કરીને જ્યારે હજુ બીજાં છ ચરણો બાકી છે અને માથા પર કાળઝાળ ગરમી છે. ચૂંટણી પંચે પણ મતદારોમાં દેખાયેલા નિરુત્સાહથી સચેત થઈને, રાજકીય પક્ષોની જેમ જ, બીજા ચરણમાં વધુને વધુ મતદારો મતબૂથ સુધી આવે તે માટે બનતા પ્રયાસ કર્યા છે.

આ લેખ શુક્રવારે બીજા ચરણનું મતદાન પૂરું થયું ત્યારે લખાતો હતો, અને હજુ તેના સત્તાવાર આંકડા આવ્યા નથી, પરંતુ એકંદર વલણ જોતાં તે પહેલા ચરણ કરતાં પણ ખરાબ રહેશે એવું મનાય છે. બિનસત્તાવાર રીતે, બીજા ચરણમાં, ફક્ત 63 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હોવાનું લાગે છે, જ્યારે 2019માં, આ બેઠકો પર 70 ટકાથી વધુ લોકોએ મતદાન કર્યું હતું.

ઓછા મતદાને રાજકીય પક્ષોનું ગણિત બગાડી મુક્યું છે. અગાઉ 2014 અને 2019માં મોટી સંખ્યામાં લોકોએ મતદાન કર્યું હતું, પરંતુ આ વખતે મતદારોનો ઉત્સાહ દેખાતો નથી.

ઉત્તર પ્રદેશ, જ્યાં આઠ બેઠકો માટે ચૂંટણી થઇ હતી, ત્યાં પાંચ વાગ્યા સુધીમાં પહેલા ચરણ કરતાં પણ ઓછુ મતદાન થયું હતું. પહેલા ચરણમાં જ્યાં 57 ટકા મતદાન થયું હતું, ત્યારે બીજા ચરણમાં 53 ટકા પણ મતદાન થયું નહોતું. સાંજે 5 વાગ્યા સુધી પૂર્વોત્તર રાજ્યોમાં જબરદસ્ત મતદાન થયું હતું, પણ ઉત્તર પ્રદેશની જેમ મહારાષ્ટ્ર, બિહાર અને મધ્ય પ્રદેશમાં સુસ્તી દેખાઈ હતી.

પ્રથમ ચરણમાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું. તેમાં દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સંપૂર્ણ રીતે આવરી લેવામાં આવ્યા હતા, જ્યારે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આંશિક રીતે આવરી લેવામાં આવ્યા હતા.

બીજા ચરણમાં આસામ, બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, રાજસ્થાન, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીર સહિત 13 રાજ્યોની 89 લોકસભા બેઠકો આવરી લેવામાં આવી છે.

એ વાત સાચી છે કે 2019ની સરખામણીએ આ વખતે પ્રથમ ચરણનું મતદાન તુલનાત્મક રીતે ઓછું નોંધાયું છે. પાછલી લોકસભાની ચૂંટણીના પ્રથમ ચરણમાં 20 રાજ્યોની 91 બેઠકો પર મતદાન થયું હતું. આ વખતે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું, જેમાંથી 65.5 ટકા મતદાન થયું હતું. તેમાં 0.5 ટકાનો તફાવત છે. જો કે, જે બેઠકો પર મતદાન થયું છે તે 2019માં ત્યાં નહોતી. તેથી, મતદાનની ટકાવારીની બેઠક મુજબની સરખામણી યોગ્ય નથી.

અલબત્ત, પ્રથમ ચરણમાં મતદાનમાં વધઘટને એકંદર ચૂંટણી પરિણામો સાથે જોડવું ઉતાવળું કહેવાય, પણ જો સળંગ ત્રણ ચરણ સુધી ઓછું મતદાન થાય તો, ચોક્કસ નિષ્કર્ષ પર આવી શકાય. અમુક રાજ્યોમાં તો ચૂંટણીમાં જરા ય ઉત્સાહ દેખાતો નથી (જેમ કે ગુજરાત) અને જ્યાં ભા.જ.પ. સિવાયનું શાસન છે ત્યાં જ કટ્ટર ટક્કર થઇ છે કારણ કે ભા.જ.પ.ને ત્યાં સ્ટીમરોલર ફેરવવું છે. શું ભા.જ.પ.નાં ગઢ મનાતાં રાજ્યોમાં મતદરો અને પાર્ટીના કાર્યકરો વધુ પડતા આશ્વસ્ત થઇ ગયા છે?

ઓછા મતદાન માટે એવું કહેવામાં આવે છે કે મતદારો સરકાર પ્રત્યે ઉદાસીન છે અને જેમ ચાલતું હોય તેમ ચાલવા દો તેવા મૂડમાં છે, પણ ભારતમાં ચૂંટણીનો ઇતિહાસ દર્શાવે છે કે ઓછા અને વધુ મતદાનનાં પરિણામો લગભગ મિશ્ર રહ્યા છે. તેમ છતાં, મતની ઘટેલી ટકાવારીએ તમામ પક્ષોને ચિંતામાં મૂકી દીધા છે, અને બંને પક્ષો તરફથી હારના જોખમનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

પ્રથમ ચરણમાં મતદારોની સંખ્યા ઘણી ઓછી નજર આવતાં ગત સોમવારે રાત્રે ભા.જ.પ.માં આ અંગે એક બેઠકમાં ચર્ચા થઈ હતી. આ બેઠક મોડી રાત સુધી ચાલી હતી. તે પછી કાર્યકર્તાઓ અને પક્ષના પ્રમુખોને સંદેશ આપવામાં આવ્યો કે તેઓ મતદારોને બહાર નીકળવા અને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે. 

આ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ અને ભા.જ.પ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની હાજરી હતી. સોમવારે ઉત્તર પ્રદેશના અલીગઢમાં પોતાની રેલી દરમિયાન પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ઓછા મતદાનનો ઉલ્લેખ કર્યો હતો. 2014માં જ્યારે ભા.જ.પ. સત્તામાં આવી ત્યારે 66 ટકા મતદાન થયું હતું. વર્ષ 2009માં માત્ર 58 ટકા મતદાન થયું હતું.

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે પ્રથમ ચરણમાં ઓછા મતદાનથી કાઁગ્રેસની આંખોમાં ચમક આવી છે અને લોકોનો ‘મૂડ’ જોઈને રાહુલ ગાંધીની સાથે તેમની બહેન પ્રિયંકાને પણ ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે. રાહુલ ગાંધી વયનાડની સાથે અમેઠી, જ્યારે પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડે તેમ મનાય છે. પ્રિયંકાની પહેલી ચૂંટણી હશે. અત્યાર સુધી તેઓ પક્ષ માટે પ્રચાર કરી રહ્યાં છે, પરંતુ તેમણે સીધી ચૂંટણી લડી નથી. કાઁગ્રેસે અત્યાર સુધી સગાંવાદના આરોપો અથવા અન્ય કોઈ કારણોસર પ્રિયંકાને મેદાનમાં ઉતારવાનું ટાળ્યું છે.

પ્રથમ તબક્કાના મતદાનની અનેક દૃષ્ટિકોણથી સમીક્ષા કરવામાં આવી રહી છે. વિપક્ષ તેને પોતાના ફાયદામાં જુવે છે, જયારે બીજી બાજુ સત્તાધારી ભા.જ.પ. માટે એવું કહેવાય છે તેના કાર્યકરો ‘400 પાર’ના નારાથી અતિ વિશ્વાસમાં આવી ગયા છે અને ‘400 નહીં તો 300 તો આવશે જ’ તેવા વિશ્વાસથી નિશ્ચિંત થઇને નિષ્ક્રિય થઇ ગયા છે. 

અલબત્ત, મતદાનની ટકાવારીમાં ઘટાડો ભા.જ.પ. છાવણીમાં ચિંતાનો વિષય છે. આ જ કારણ છે કે પ્રથમ ચરણના મતદાન પછી અને બીજા ચરણ પહેલા જ હિંદુ-મુસ્લિમ મુદ્દો ઉછાળવામાં આવ્યો છે. કાઁગ્રેસનો ઘોષણાપત્ર વડા પ્રધાન પાસે અગાઉથી જ હતો, પરંતુ પ્રથમ ચરણના પ્રચારમાં તેમની અને અન્ય નેતાઓની સભાઓમાં ‘400 પાર’ અને ‘રામ મંદિર’ કેન્દ્રમાં હતું. 

પ્રથમ ચરણના ઓછા મતદાન પછી ભા.જ.પ.ની છાવણીમાં પુનઃ મંથન થયું હતું અને બીજા ચરણ માટેના પ્રચારમાં વડા પ્રધાને કાઁગ્રેસના ઘોષણાપત્ર પર આક્રમક પ્રહારો કરવાનું શરૂ કરી દીધું હતું. એ જ વ્યૂહરચનાના ભાગરૂપે તેમણે ‘કાઁગ્રેસ દેશનાં સંસાધનોને મુસ્લિમોને આપવા માંગે છે’થી શરૂ કરીને ‘તમારાં મંગલસૂત્ર ચોરી જવા માંગે છે’ના આરોપ મુક્યા હતા. એવું પણ કહેવાય છે કે ‘400 પાર’ના નારાથી પાર્ટીના કાર્યકરો સુસ્ત થઇ ગયા છે એવું લાગતાં હવે એ સ્લોગનને કંઇક અંશે ‘ચૂપ’ કરવામાં આવ્યું છે.

વડા પ્રધાને 21 એપ્રિલે રાજસ્થાનમાં એક ચૂંટણી રેલીમાં આરોપ લગાવ્યો હતો કે જો કાઁગ્રેસ સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ ઘૂસણખોરો અને જેમને વધુ બાળકો હશે તેમને વહેંચી દેશે. કાઁગ્રેસ સત્તામાં આવશે તો મહિલાઓ પાસેથી મંગલસૂત્ર છીનવી લેશે. નરેન્દ્ર મોદી તેમણે આ વિચાર પાછળનું કારણ સમજાવ્યું અને કહ્યું કે 2006 માં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે તેમના નિવેદનમાં કહ્યું હતું કે દેશના સંસાધનો પર મુસ્લિમોનો પ્રથમ અધિકાર છે. 

વડા પ્રધાનના આવા સીધા હુમલાથી ઘણા ઠરેલ લોકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ઘણા ચૂંટણી વ્યૂહરચનાકારોનું માનવું છે કે વડા પ્રધાન મોદી સહિત સમગ્ર ભા.જ.પ. દ્વારા કાઁગ્રેસના ઘોષણાપત્રમાંથી વારસાઈ કર અથવા એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. ઘટાડવાના મુદ્દા ઉઠાવવાનું કારણ પ્રથમ ચરણનું ઓછુ મતદાન છે.

વડા પ્રધાનનું જોઈને ભા.જ.પ.ના મોટા નેતાઓએ પણ એવા મુદ્દાઓ પણ ઉઠાવવાનું શરૂ કર્યું છે જે છેલ્લા 5 વર્ષથી ‘વિકસિત ભારત’, ‘400 પાર’ અને ‘ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા’ના નારાઓમાં દબાયેલા હતા. 

ચૂંટણી પરિણામો પર વધુ કે ઓછા મતદાનની અસર પડે છે? પરંપરાગત માન્યતામાં વધુ મતદાનને પરિવર્તનનો સંકેત માનવામાં આવે છે જ્યારે ઓછું મતદાન ‘જેમ ચાલે છે તેમ ચાલવા દો’નો સંકેત છે. જો કે પાછલાં વર્ષોનાં આંકડા અને તથ્યો એવું માનવા પ્રેરતાં નથી. 

રાજકીય લેખક અને પત્રકાર અમિતાભ તિવારી આંકડાકીય માહિતી આપતાં કહે છે કે 1951-52થી 2019 સુધી લોકસભાની 17 ચૂંટણીઓ થઈ છે. પ્રથમ ચૂંટણીને બાદ કરતાં, 16 ચૂંટણીઓમાં મતદાનમાં 6 વખત ઘટાડો થયો હતો અને 10 વખત વધારો થયો હતો. તેમાં 8 સરકારો ઘરે બેસી હતી અને 8 સરકારો ફરી સત્તામાં આવી હતી. જે 10 વખત મતદાન ઊંચું થયું હતું, તે ચૂંટણીઓમાં 4 સરકારો હારી હતી અને 6 વખત જીતી હતી. ટકાવારી પ્રમાણે, સરકારની 60 ટકા વખત સત્તામાં વાપસી થઇ હતી. જે 6 વખત મતદાનમાં ઘટાડો થયો, તે ચૂંટણીઓમાં સત્તાપક્ષ 4 વખત હારી ગયા હતા અને 2 વખત જીત્યા હતા. એનો અર્થ એ થયો કે સરકારોએ માત્ર ૩૩ ટકા વખત સત્તામાં વાપસી કરી હતી.

મતદાન માત્ર લોકોની લાગણીઓ પર જ નહીં પરંતુ મતવિસ્તાર, ઉમેદવારો, જાતિનાં સમીકરણ  વગેરે પર પણ આધાર રાખે છે. 

2014ની સરખામણીએ 2019માં 79 બેઠકો પર મતદાન વધ્યું હતું. આમાંથી 43 બેઠકો પર 2014ની વિજેતા પાર્ટી 2019માં ચૂંટણી હારી ગઈ હતી. બાકીની 36 પર, વિજેતા પક્ષ બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યો હતો. 23 બેઠકો પર મતદાનમાં ઘટાડો નોંધાયો હતો. તેમાં 18 બેઠકો પર 2014નો વિજેતા પક્ષ ચૂંટણી હારી ગયો હતો અને બાકીની 5 બેઠકો પર વિજેતા પક્ષ બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યો હતો. 

લાસ્ટ લાઈન :

“લોકશાહી એટલી ઉત્તમ હોય, જેટલી લોકોમાં તેને લઈને સમજ ઉત્તમ હોય.”

– સેનેકા, રોમન ચિંતક 

(પ્રગટ : ‘ક્રોસલાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 28 ઍપ્રિલ 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

કાન્સના રેડ કાર્પેટ વર્લ્ડ પ્રીમિયરમાં બેનેગલની ‘મંથન’ પ્રસ્તુત થશે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 April 2024

રવીન્દ્ર પારેખ

સુપ્રસિદ્ધ અભિનેતા અને દિગ્દર્શક કૃષ્ણકાન્ત – કે.કે. – માહિતી ખાતાના હોલમાં, કદાચ 1977માં, ગુજરાતી ફિલ્મો અંગે વાતો કરવા સુરત આવેલા, ત્યારે તેમને સાંભળવા ગયેલો. તેમાં ફિલ્મ બનાવવા અંગેની કોઈ વાત હશે ને મેં ઊભા થઈને કહેલું કે શ્યામ બેનેગલ જેવા, 5 લાખ ખેડૂતોના બબ્બે રૂપિયામાંથી ‘મંથન’ જેવી ફિલ્મ બનાવી શકતા હોય, તો ગુજરાતી ફિલ્મો બનાવવાનું અઘરું ન બનવું જોઈએ. એ વાત અત્યારે કરવાનું કારણ એ છે કે ‘મંથન’ 48 વર્ષ પછી, 77માં કાન્સના રેડ કાર્પેટ વર્લ્ડ પ્રીમિયરમાં પહોંચી છે. ‘મંથન’ અનેક રીતે નોંધપાત્ર ફિલ્મ ત્યારે હતી ને આજે ય છે.

આજે તો ફિલ્મ મેકિંગનું બજેટ અબજો પર પહોંચ્યું છે ને કરોડો રૂપિયામાં મોં મારવામાંથી અભિનેતાઓ કે અભિનેત્રીઓ ઊંચા નથી આવતાં, ત્યારે 1976માં રિલીઝ થયેલી ‘મંથન’ 10 લાખના બજેટમાં બની હતી એ વાત ગળે ન ઊતરે, પણ હકીકત તો એ જ છે. ભારતની એ પ્રથમ ક્રાઉડ-ફન્ડેડ ફિલ્મ હતી. એ પછી આમ લોકો પાસેથી ફાળો ઉઘરાવીને બીજી કોઈ ફિલ્મ બની હોય એવું ધ્યાનમાં નથી. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા નિર્મિત આ ફિલ્મ એક તરફ કાન્સમાં પહોંચી છે અને અમૂલ બ્રાન્ડનાં નામ હેઠળ દૂધ અને દૂધનાં ઉત્પાદનોનું વેચાણ કરતું આ ફેડરેશન તેની સુવર્ણ જયંતી ઊજવી રહ્યું છે. ‘મંથન’નો સ્ટોરી આઇડિયા શ્વેત ક્રાંતિના પિતા ડો. વર્ગીસ કુરિયનનો છે ને એને ડેવેલપ બેનેગલે કર્યો છે.

ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાનું કહેવું છે કે ફિલ્મ, ડેરી સહકારી ચળવળથી પ્રેરિત છે. આ ફિલ્મે દેશભરના લાખો ખેડૂતોને ડેરી સહકારી મંડળીઓ બનાવવા પ્રેર્યા છે અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવ્યા છે. આજે તો કો-ઓપરેટિવ સોસાયટીઓ ઉત્પાદકને ઓછું આપે છે ને ગ્રાહક પાસેથી વધુ વસૂલી બેવડી મલાઈ ખાય છે, પણ ઉત્પાદકોને વધુ મળે એ હેતુ આવી મંડળીઓ શરૂ કરવાનો હતો. આ ફિલ્મે ખેડૂતોમાં એવો આત્મવિશ્વાસ જગાવ્યો કે પશુપાલન અને દૂધ ઉત્પાદન આજીવિકાનું સબળ માધ્યમ બની શકે છે. 1998માં ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બન્યો ને ત્યારથી તે આજ સુધી તેણે એ સ્થાન જાળવી રાખ્યું છે. ‘મંથન’ને 1977નો શ્રેષ્ઠ હિન્દી ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ને તે ઉપરાંત વિજય તેંડુલકરને પણ બેસ્ટ સ્ક્રીન પ્લેનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. 1976ની શ્રેષ્ઠ વિદેશી ભાષાની કેટેગરીમાં એકેડેમી એવોર્ડ માટે પણ આ ફિલ્મ ભારત તરફથી સબમિટ થઈ હતી.

*

સેમલા સ્ટેશન પર ટ્રેન આવતી દેખાય છે ને ગુજરાતનાં 5 લાખ ખેડૂતો આ ફિલ્મ રજૂ કરે છે એવી લાઇન સાથે ‘મંથન’ ટાઇટલ સ્ક્રીન પર આવે છે, એ સાથે જ નીતિ સાગરનું ગીત ‘મેરો ગામ કાથા પારે …’ પ્રીતિ સાગરના અવાજમાં શરૂ થાય છે. ‘હે મારે ઘર અંગનાના ભૂલો ના’માં ‘હે’ જે લહકાથી ગવાય છે તે મનમાં રમ્યા કરે એવો છે. આમ તો આ ફિલ્મ ગુજરાતનાં કોઈ પ્રોડ્યુસર-દિગ્દર્શકે બનાવવી જોઈતી હતી, પણ તે બેનેગલે બનાવી ને તેને એટલી ગુજરાતી તો રાખી જ કે તેની હિન્દી ભાષા પણ ગુજરાતી વાતાવરણ બાંધવામાં ઉપકારક નીવડે. ફિલ્મમાં એક જ ગીત બેકગ્રાઉન્ડમાં ગવાતું રહે છે ને નાયિકા બિંદુ(સ્મિતા પાટિલ)નાં હૈયાના ભાવોને પ્રગટ કરતું રહે છે. ફિલ્મમાં ગીત ન હોય એ બને, પણ એક જ ગીત હોય ને તે પણ બેકગ્રાઉન્ડમાં ગવાતું હોય એવો આ એક જ દાખલો મારી જાણમાં છે. વનરાજ ભાટિયાનું સંગીત સૌરાષ્ટ્રી વાદ્યો સાથે કાઠિયાવાડી વાતાવરણ ઊભું કરવામાં ઉપકારક છે. ફિલ્મના સંવાદોમાં જે ગામઠી ભાષા-બોલીનો ઉપયોગ થયો છે તેણે ફિલ્મમાં પ્રાણ પૂર્યો છે. ગોવિંદ નિહલાનીએ પછી તો દિગ્દર્શક તરીકે ઘણું કાઠું કાઢ્યું, પણ આ ફિલ્મમાં તેમની નયનરમ્ય ફોટોગ્રાફી એવી સરસ છે કે ગામની નિર્જન બપોર અને ધૂળિયા સૂના માર્ગોની ઉદાસી સ્પર્શ્યા વગર ન રહે. એ ઉપરાંત આગનાં, અંધકારનાં, ક્રોધ, કરુણાના ભાવો પણ કેમેરા અત્યંત સજીવ રીતે પ્રગટ કરે છે.

રેલવે પ્લેટફોર્મ પર મહાપાત્ર (સાધુ મહેર) અને ગિરીશ કર્નાડ (ડો. મનોહર રાવ) સામાન સાથે ઊતરે છે ને તેમને રિસીવ કરવા આવનારાઓ મોડા પડે છે, તો કહે છે, ‘માફ કરજો, ગાડી ટાઈમ પર આવી ગઈ.’ તે વખતે ટ્રેન ભાગ્યે જ સમયસર આવતી હતી, એ વાત સૂચક રીતે કહેવાઈ છે. એવું જ યુવાનો આદર્શવાદી હોય છે એ સંદર્ભે શ્રી ગંગાનાથ ડેરીના જી.પી. મિશ્રા(ઓમ પુરી)ના મોંમાં આવો સંવાદ મુકાયો છે, ’યુવાનોમાં આદર્શ ભાવનાઓ જોઈને ખૂબ સારું લાગે છે, કારણ કે એ જલદી જ ગાયબ થવાવાળી ચીજ છે. આ દેશમાં આદર્શવાદીઓની ઘણી જરૂર છે.’ આવા માર્મિક સંવાદો કૈફી આઝમીના છે. મિશ્રાની ડેરીમાં ગામ લોકો દૂધ ભરે છે, પણ ફેટનાં પ્રમાણમાં તેની કિંમત મળતી નથી. વધારે કિંમત મળવી જોઈએ એ ભાન ડો. રાવ કરાવે છે.

ઢોરોનાં ડૉક્ટર રાવ ગામમાં ડેરી સોસાયટી (જેને ગામ લોકો ‘સિસોટી’ કહે છે) શરૂ કરવા આવ્યો છે, પણ ગામ લોકોને તેનો ભરોસો નથી પડતો. એવામાં એક દીકરો માંદો પડે છે ને તેનો ઈલાજ, માણસનો  ડૉક્ટર ન આવતાં, આ ઢોરનો ડૉક્ટર કરે છે (જો કે, હરિજનોની સ્થિતિ ઢોરથી કૈં બહુ સારી ન હતી) ને દીકરો સાજો થઈ જતાં ગામ લોકો ડો. રાવ તરફ વળે છે. સોસાયટી શરૂ થવાની તકો વધે છે, પણ ગામનો સરપંચ અને હરિજનોનો માથા ફરેલ ‘ભોલો’ (નસીરુદ્દીન શાહ) જોડાતા નથી. જો કે, ‘સાંગણવા દૂધ ઉત્પાદક સહકારી મંડળી’ની શરૂઆત તો થાય જ છે. સરપંચ (કુલભૂષણ ખરબંદા) પણ મંડળીમાં જોડાય છે ને ગામનાં લોકો પણ આવે છે, પણ ભોલો જોડાતો નથી, એટલે ઘણાં હરિજનો પણ જોડાતા નથી. રાવનું માનવું છે કે હરિજનો નહીં જોડાય તો એ ગરીબ ખેડૂતો માટેની મંડળી નથી એવો એનો અર્થ થશે, પણ પછી તો ભોલો પણ જોડાય છે ને મંડળી આખા ગામની બને છે.

મંડળીનો પ્રમુખ બનાવવા ચૂંટણી થાય છે ને હરિજન મોતી પ્રમુખ બને છે. એ વાતે 20 વર્ષોથી જીતતો આવેલો સરપંચ ઘવાય છે ને અલગ પડે છે. ગામમાં ચાલતું લોકલ પોલિટિક્સ પણ ફિલ્મમાં બતાવાયું છે. હરિજનવાસમાં આગ લગાવનારા જ ગામ લોકોને ઘરવખરી પણ આપે છે. ભેંશનું દૂધ વેચીને પત્ની ગુજરાન ચલાવે છે, એ જાણનાર પતિ ભેંશને ઝેર આપીને મારી નાખે છે, જેથી તે સોસાયટીમાં દૂધ ભરી ન શકે. ફિલ્મમાં ક્યાં ય દસ્તાવેજી મૂલ્ય ઊભું કરવાનો પ્રયત્ન નથી કે દૂધ મંડળીના લાભનો પણ પ્રચાર નથી. તેમાં સંવેદનશીલ દૃશ્યો, સ્પર્ધા, શત્રુતા જેવી ઘણી વાતો સહજ રીતે વણાઈ છે.

રાવની પત્ની શાંતા આવે છે, પણ તેને તે સમય આપી શકતો નથી ને ઘરમાં એકલી મૂંઝાતી પત્ની માંદી પડે છે. ભોલો શહેરી લોકોને ધિક્કારે છે, કારણ તેની માતાને એક શહેરી કોન્ટ્રાકટર જ ગર્ભવતી કરીને ભાગી ગયો હતો. એવી જ રીતે રાવનો સાથી પણ હરિજન છોકરીને લગ્નની લાલચે ભોળવે છે, તો રાવ રાતોરાત તેને ગામમાંથી હાંકી કાઢે છે. પત્નીની ગેરહાજરીમાં રાવની, બિંદુની નજીક જવાની ક્ષણો ઊભી થાય છે, પણ બિંદુ તે પામી જાય છે ને તેને ત્યાંથી જતાં રહેવાનું કહે છે. એ પછી રાવ અંતર રાખીને વર્તે છે. આર્થિક મદદ કરે છે, પણ બિંદુ એટલી સ્વમાની છે કે તેને ફગાવી દે છે. મિશ્રા બિંદુ પાસે એ કાગળ પર અંગૂઠો મરાવે છે, જેમાં રાવે તેની પર બળાત્કાર કર્યાની કબૂલાત છે ને બિન્દુને એની ખબર નથી. એ સાથે જ સંજોગો એવા ઊભા થાય છે કે બિંદુ, રાવને ઝંખતી થઈ જાય છે ને રાવ નજીક હોવા છતાં દૂરને દૂર થતો જાય છે. પછી તો બીમાર પત્નીને લઈને ડો. રાવ ગામ છોડી જાય છે. જે સેમલા ગામે રાવના આવવાથી ફિલ્મ શરૂ થયેલી એના જ ગામ છોડવાથી ફિલ્મ પૂરી થાય છે.

ના, ફિલ્મ પૂરી થતી નથી, કારણ સોસાયટી શરૂ કરાવનાર રાવના જવાથી સોસાયટી ભાંગી પડે એમ હતું, પણ ચાલે છે, જે સૌથી છેલ્લે જોડાયેલો, એ ભોલા અને ગ્રામજનો જ એ ચાલુ રાખે છે ને ‘મેરો ગામ કાથા પારે ..’ની પંક્તિઓ સાથે ફિલ્મ પૂરી થાય છે …

નસીરુદ્દીન શાહે અંગારા વેરતો સોંસરો અભિનય આપ્યો છે. સ્મિતા પાટિલ તો અભિનય માટે જાણીતી હતી જ, પણ આ ફિલ્મમાં તે પાત્રમાં એટલી ઓતપ્રોત છે કે કાઠિયાવાડી લાગ્યા વગર રહેતી નથી ! ધિક્કારના, તલસાટના ભાવો તે જે રીતે સમગ્ર વર્તનમાં પ્રગટ કરે છે તેની જોડ મળવી મુશ્કેલ છે. સરપંચ તરીકે કુલભૂષણ ખરબંદા એક આંખ બંધ કરીને જે વેધકતાથી જુએ છે તેમાંથી જમાનાના ખાધેલ માણસની છબી ઉપસે છે. ગિરીશ કર્નાડ શિક્ષિત, સ્વસ્થ અને સંતુલિત વ્યક્તિને સરસ રીતે ઉપસાવી આપે છે. ડેરી સંચાલક તરીકે સહાનુભૂતિ દર્શાવતા જઈને ઓમ પુરીએ ખંધા ને ખુરાંટ માણસને સ્ક્રીન પર જીવંત કરી દીધો છે. સ્ત્રી-પુરુષોની સ્થળકાળ પ્રમાણેની શહેરી અને ગામડાંની પ્રજાની વેશભૂષાએ પણ વાતાવરણ ખડું કર્યું છે. આ બધું જ શ્યામ બેનેગલે એક કાબેલ અભ્યાસુની જેમ એવી અસરકારક રીતે પ્રગટ કર્યું છે કે ‘મંથન’ શ્રેષ્ઠ ફિલ્મ થઈને જ રહે.

જેમણે થોડું પણ સારું જોવું, જાણવું છે તેમણે આ ફિલ્મ ચૂકવા જેવી નથી. 48 વર્ષ પછી પણ આ ફિલ્મને કાટ લાગ્યો નથી, તેનો એક જ પુરાવો એ છે કે તે 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ક્લાસિક વિભાગ હેઠળ મે, 2024માં પ્રસ્તુત થવા જઈ રહી છે. યાદ રહે, આવું સન્માન મેળવનારી તે ભારતીય ભાષાની એક માત્ર ફિલ્મ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 એપ્રિલ 2024

Loading

...102030...582583584585...590600610...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved