Opinion Magazine
Number of visits: 9457248
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લાલ ફૂલોવાળો સફેદ ડ્રેસ

સરયૂ પરીખ|Opinion - Opinion|7 May 2024

સરયૂ પરીખ

મારા પ્યારા ભાવનગરમાં, મારાં માતા-પિતાની શિક્ષકની નોકરીની આવકમાં, અમારા નાના કુટુંબની જરૂરિયાતો સચવાઈ જતી. અમારું પોતાનું ઘર હતું, બગીચામાં દસેક આંબા અને ગુલાબ હતા. કેવળ ગુલાબના છોડની સંભાળ રાખવાની મારી જવાબદારી હતી. મારી પાસે આંગળીને ટેરવે ગણી શકું એટલા પોશાક હતા. કબાટમાં, કાચનાં બારણા પાછળ, સંકેલીને એક ખાનામાં ગોઠવાઈને મારાં કપડાં મૂકાયેલા રહેતાં. અમારા મધ્યમ વર્ગના પરિવારમાં જીવન જરૂરિયાત કરતાં વધારે એશો આરામનો અનુભવ નહોતો, તેથી અદ્યતન સગવડતાઓની કમી છે, એવી સમજ નહોતી પડતી.

મને દસ વર્ષની ઉંમરે ટાઇફૉઇડ થયો અને ત્યાર પછી કોઈ અજાણ કારણથી હું જરા જાડી થઈ ગઈ હતી. મને ચિડવવા ‘ડબલ ટાઈફોડ’ નામ પણ આપેલું. પાછા ઉપરથી સલાહ આપનાર કહેતાં, “તું ચિંતા કરે તો પાતળી થઈ જાય.” તો હું ભોળા ભાવે પૂછતી, “મને કહો, ચિંતા કેમ થાય?”

ઘરની લગભગ બધી ખરીદી મારા બાપુજી કરતા, પણ મારાં કપડાં ખરીદવા મારે બાની સાથે જવાનું થતું. શનિવારે બાને સવારની અરધા દિવસની શાળા ચાલુ હોય, તેથી બપોરે જવાનું શક્ય બનતું. ખરીદી કરવા જવાના દિવસે ઉત્સાહને કાબૂમાં રાખવાનું આ કિશોરી માટે અઘરુ હતું. બપોરનું જમવાનું પૂરું થતા બા જલદી આરામ કરી લે તે વાસ્તે શેત્રંજી અને ઓશીકું ગોઠવીને તૈયાર કરીને મૂકી દેતી. પછી ચા પણ બનાવી આપું. પણ, સૌથી મોટો ભય અતિથિ આવીને ઊભા રહેશે એનો રહેતો. અને એવું બને ત્યારે મારા અણગમાનો ભાવ વાંચી ન લે … તેથી હું રસોડામાં જઈ ચા બનાવવા લાગી જતી. પછી જલદી ચા પતી જાય, એ પ્રાર્થના કરતી કરતી ઘરના બારણા પાસે ઊભી રહેતી. આ નાની લાગતી વાતોનું એ સમયે કેટલું મોટું સ્વરૂપ હતું!

એ શનિવારે અમે નવી કાપડની દુકાને ગયેલાં. ડ્રેસ બનાવવા માટે કપડું પસંદ કરવાનું હતું. “બહેનને પેલા ઉપરના તાકામાંથી બતાવો.” માણસે એકાદ બે ખોલ્યા, પણ મારી નજર એક નાજુક લાલ ફૂલોવાળા સફેદ મુલાયમ જ્યોર્જેટ તરફ આકર્ષાઈ. એ ખોલતાં જ મારો ચહેરો ખીલી ઊઠ્યો. મેં બાને કહ્યું, “આ તો લેવું જ છે.” ત્રણ વાર કાપવા માટે માપતા છેલ્લે જરા કાણા દેખાયા. બાને લાગ્યું કે સારું કાપડ નથી, એમ સમજીને કહ્યું, “ના, આ રહેવા દો.” અગ્યાર વર્ષની હું આંખમાં આંસુ છૂપાવવા એક બાજુ જઈ ઊભી રહી. બાએ મારી લાગણી ન દુભાય તેથી સંમતિ આપી કાપડ લઈ આપ્યું. ખૂબ હોંશથી ડ્રેસ તૈયાર થઈ ગયો અને ‘સાચવીને ખાસ પ્રસંગે પહેરવાનો’ એવી સલાહ સાથે મારા કબાટના ખાનામાં ગોઠવાયો. એ લાલ ફૂલવાળા સફેદ ડ્રેસને ખોલવો, ને ફરી સંકેલવો, મુલાયમ કાપડ પર નાજુક હાથ ફેરવવો, એ ગમતી પ્રવૃત્તિઓ હતી.

એક દિવસ મારી તબિયત ખરાબ લાગતાં મારા ડોક્ટરમામાને દવાખાને બા લઈ ગયાં. એ સમયે બહુ કોમળતા બતાવવાની રીત નહોતી. “ન્યૂમોનિઆ લાગે છે” એવા નિદાન સાથે દવા લઈ, ચાલતા ઘરે આવી પથારીમાં સૂતી. બા નોકરી પર ગયાં. આખી બપોર શ્વાસ લેતા ખૂબ દર્દ થયું ત્યારે, ન્યૂમોનિઆ એક ગંભીર બીમારી છે, એ બધાના ધ્યાનમાં આવ્યું. અમારે ત્યાં ફોન નહોતો. એ એક જ દિવસ અમે બાને શાળામાં ફોન પાડોશીના ઘેરથી કરાવ્યો હતો. પછીના પાંચેક દિવસ કેમ ગયા એની મને સભાનતા નહોતી. જ્યારે આંખ ખોલી જોતી ત્યારે બા-બાપુજીના ચિંતિત ચહેરા અને ભાઈ રૂમની અંદર બહાર આવ-જા કરતો દેખાતો. બાને વધારે ચિંતાનુ કારણ એ પણ હતું કે થોડા મહિનાઓ પહેલા જ, બે દિવસના તાવમાં, મારી પાંચ વર્ષની બહેન અમે ગુમાવી હતી. એ આઘાત ઘેરો ઘૂંટાતો હતો.

પાંચમે દિવસે મારી તબિયત જરા સારી લાગતા મને તાજગી લાગે માટે સ્પંન્જ બાથની તૈયારી કરી રહ્યાં હતાં. મારી નજર કબાટમાં ગોઠવાયેલા રાતાં ફૂલોવાળા ડ્રેસ પર અટકી રહી હતી. મારા બા પણ મારી નજરને અનુસરી એક સ્મિત સાથે એ ડ્રેસ જોઈ રહ્યાં. પછી મને એ ડ્રેસ પહેરાવ્યો. તાજગી ભરી હું મારા ગમતા ડ્રેસમાં ખુશ હતી અને મારો ભાઈ આવીને મજાક કરતાં, દિવસો પછી, હું ખડખડાટ હસી પડી. મને સ્વસ્થતા આવતા મારી નજર મારા હાથ પર પડતાં ખ્યાલ આવ્યો કે મારો અંગૂઠો પાતળો દેખાતો હતો. મને ધ્યાનમાં આવ્યું કે મારું વજન ઘણું ઊતરી ગયું હતું. વાહ! મારું સપનું સાકાર થયું.

મારા આરામ કરવાના દિવસો દરમ્યાન ઘણાં મિત્રો આવતા રહેતાં. એમાં એક દિવસ મારી બહેનપણી હંસા પણ સંકોચ સાથે આવી. હંસાને મારા માટે બહુ લાગણી હતી, પણ હું એની કિંમત નહોતી કરતી અને નજીવા બહાનાથી થોડા સમયથી બોલતી નહોતી. મારા બા કહેતાં કે, સ્નેહની કદર ન કરીએ તો સ્નેહ મળતો બંધ થઈ જાય. મારા અબોલા છતાં ય હંસા મારી ખબર કાઢવા આવી તેથી મારું દિલ આભારવશ થઈ ગયું. એ માંદગીના સમયે મને એવી ઘણી અણજાણ, અંતર્હિત લાગણીઓની કદર સમજાઈ.

એ દિવસે મારી તબિયત સારી હોવાથી મેં મારા ગુલાબના છોડને મળવાનું વિચાર્યું. મારા આશ્ચર્ય અને આનંદ વચ્ચે એક મજાનું લાલ ગુલાબ હસી રહ્યું હતું. બધાને બતાવવા એને જતનથી ઘરમાં લઈ આવી. સામે જ બા બેઠક પર બેસીને એમની કવિતાની નોટમાં લખી રહ્યાં હતાં. “બા! લો આ તમારા માટે ભેટ.” બાના મુખ પર એ ગુલાબ જેવું જ હાસ્ય ફરક્યું. બીજા દિવસ પછી ગુલાબ દેખાયું નહીં તેથી એ વિષે હું ભૂલી ગઈ. પછી આ ઉત્સાહભરી સુકુમારી અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ ગઈ. વર્ષો સાથે લાલ ફૂલોવાળો સફેદ ડ્રેસ, નાનો પડી ગયો હતો તો પણ, હંમેશાં સૌથી વધારે મનગમતો બની રહ્યો.

લગ્ન પછી પરદેશ વાસને લીધે બા અને જન્મભૂમિની મુલાકાતો વચ્ચે કાળક્રમે અંતરાય વધતો રહ્યો. ૧૯૯૩માં, બાને છેલ્લી વિદાય આપવા વડોદરામાં ભાઈને ઘરે ભેગા થયેલા. તેમના અવસાન બાદ ભારે હૈયે ભાવનગરના ઘરમાં પ્રવેશ કરતાં ઋજુ લાગણીઓ સ્પર્શી ગઈ. બાના કબાટને ખોલી એમની ગમતી ચીજો સાથે મનથી વાતો કરી રહી હતી. એમાં કપડાં પર પડેલી એમની કવિતાની નોટ બુકને મેં સહજ ઉત્સુકતાથી ઉઠાવી અને મૃદુ આંગળીઓથી ખોલી. એમાં જતનપૂર્વક ગોઠવેલું લાલ ગુલાબ! હવે મને ખ્યાલ આવ્યો કે મેં આપ્યું હતું એના બીજા દિવસ પછી એ ક્યાં સંતાયેલું હતું! એ જ પુસ્તકની નીચે મારો લાલ ફૂલોવાળો સફેદ ડ્રેસ! એના પર હાથ ફેરવી એની મુલાયમતા અનુભવી રહી હતી. અચરજ  એ થાય છે કે કાળની નદી વહે જાય છે, પણ એ કિશોરી તો અહીં જ ઊભી છે!

એવામાં, વર્ષો સુધી બાનું કામ કરનાર, સંતોકબહેન, એમની પૌત્રી મેના સાથે ઓરડામાં દાખલ થયાં. ડ્રેસને જોઈને એ બોલ્યાં કે, “બાને જ્યારે તમારી બહુ યાદ આવતી ત્યારે આ ડ્રેસને હાથમાં લેતા જોયેલાં.” મેં રેશમી યાદોના પુંજને હાથમાં લઈ, દિલની નજીક થોડી ક્ષણો પકડી રાખ્યો, અને પછી મેનાને પ્રેમથી આપી દીધો. મેના એની દાદી સાથે ચહેકતી બહાર દોડી ગઈ.

હું બાના લાલ ગુલાબવાળા પુસ્તકને લઈ બચપણની યાદમાં લપેટાઈન બેઠી…

માના આંગણની સુવાસ

વહેલી પરોઢ, કોઈ જાણીતી મ્હેક, મારી યાદની પરાગને જગાડતી;
વર્ષોની પાર, ઝૂમી ઓચિંતી આજ, અહો! માના આંગણની સુવાસથી.

પાંપણ પરસાળમાં શોધે ચાર પાંદડી, ધોળા રે ફૂલ પીળી દાંડલી,
આઘા અતિતમાં અવરી એક છોકરી, કે જોઉં મને વેણી પરોવતી!

ઉષાની ઓઢણીની આછેરી હલચલથી, પર્ણોના થાપ થથરાટથી,
જાગી હું આજ જાણે ઝીણાં ઝંકારથી, ભીંજી પળભરમાં પમરાટથી!

પહેલા સુગંધ પછી પમરાતી પાંખડી, મહેકાવે યાદને સુવાસથી,
ફૂલની પથારી પર નાજૂક હથેળીઓ, સ્પર્શે સરયૂને કુમાશથી!

                                                        ———

e.mail : saryuparikh@yahoo.com Austin, Texas.
 www.saryu.wordpress.com

Loading

ભારતમાં લોકોને સરમુખત્યારશાહીનું આકર્ષણ કેમ છે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 May 2024

રાજ ગોસ્વામી

સામાન્ય લોકો, જે નિયમિત રીતે ચૂંટણીમાં વોટ આપવા જાય છે, તે રાજકારણથી ઉબાઈ ગયા છે? વિશ્વમાં જે રીતે લોકલુભાવનવાદ(પોપ્યુલિઝમ)નો ફેલાવો થઇ રહ્યો છે અને લોકશાહીમાંથી વિશ્વાસ ઓછો થઇ રહ્યો છે તે જોતાં એવું લાગે છે કે જનતાને રાજકીય સિદ્ધાંતો, મૂલ્યો, નૈતિકતા કે નિષ્પક્ષતા નિરર્થક લાગે છે કારણ કે એમાં નેતાઓનું તો ભલું થાય છે પણ જનતા ઠેરની ઠેર રહે છે.

દુનિયાના અનેક દેશોની જનતામાં એવી લાગણી ઘર કરી ગઈ કે લોકશાહી વધારે પડતી ઉદાર છે અને ઉદારતાવાદી શાસકો સાધારણ માણસો અને તેમની ભાવનાથી તદ્દન કપાઈ ગયેલા છે. બીજા અર્થમાં કહીએ તો લોકોમાં એવી માન્યતા મજબૂત બની કે ‘લોકો માટેની’ લોકશાહી અમુક લોકો માટે સીમિત રહી ગઈ છે.

લોકવાદનો પ્રવેશ અહીંથી થાય છે. લોકવાદ લોકશાહીનું જ શિર્ષાસન છે. લોકશાહીમાં, લોકોની લાગણીઓએ મૂલ્યો અને સિદ્ધાંતોની પરિપાટી પર ખરી ઉતરવું પડે, તો તેના પર અમલ થાય. લોકવાદમાં, જે મૂલ્યો અને સિદ્ધાંતો લોકોની લાગણીઓ પર ખરા ઉતરે, તેનો જ અમલ થાય.

દાખલા તરીકે, લોકશાહીમાં એક અપરાધીના માનવીય અધિકારોનું રક્ષણ કરવામાં આવે છે, પરંતુ લોકવાદમાં લોકો એવું માનતા હોય છે કે અપરાધનો ભોગ બનેલી વ્યક્તિના પણ માનવીય અધિકારો હોય છે એટલે અપરાધીને કાનૂની સહાય આપવાને બદલે તેને ગોળી મારી દેવી જોઈએ.

લોકોને કેમ લોકશાહીમાંથી વિશ્વાસ ઊઠી રહ્યો છે? કારણ કે લોકોમાં એવી માન્યતા ઘર કરતી જાય છે કે લોકશાહીમાં કશું કામ થતું નથી, નેતાઓ દુષ્ટ અને ભ્રષ્ટ છે, મુઠ્ઠીભર લોકોનાં ઘર ભરતાં રહે છે, કાનૂન નિષ્પક્ષ નથી, જેની લાકડી તેની ભેંસ જેવો નિયમ છે, ગરીબ લોકો વધુને વધુ ગરીબ થાય છે, ધનવાન લોકો વધુને વધુ ધનવાન થાય છે, બુનિયાદી સુવિધાઓ લોકો સુધી પહોંચતી નથી, સરકારી તંત્રને જનતાની કોઈ પડી નથી.

કદાચ એટલા માટે જ, ભારતના 85 ટકા લોકો દેશમાં મિલિટરી શાસન અથવા સરમુખત્યારશાહીની તરફેણ કરતા હોય તો એમાં આશ્ચર્ય ન થવું જોઈએ. વૈશ્વિક સ્તરે સામાજિક અને રાજકીય વલણોનો સર્વે કરતી અમેરિકા સ્થિત સંસ્થા ‘પ્યુ રિસર્ચ સેન્ટર’નો, વર્ષ 2023નો 24 દેશોનો એક સર્વે કહે છે કે આ બધા દેશોના લોકોને તેમના દેશનું તંત્ર જે રીતે ચાલે છે તેની સામે અનેક ફરિયાદો છે, પરંતુ તેમાં ભારતમાં જ સૌથી વધુ (85 ટકા) લોકોએ કહ્યું હતું કે કડક હાથે કામ લીધા વગર સુધારો નથી થવાનો.

આ સર્વેનું તારણ એ હતું કે પૂરી દુનિયામાં લોકો જનપ્રતિનિધિ લોકતંત્રને સૌથી શ્રેષ્ઠ શાસન વ્યવસ્થા ગણે છે, પરંતુ તે જે રીતે અસલમાં કામ કરે છે તેનાથી લોકો નિરાશ છે. આ સર્વે તો 24 દેશોમાં થયો હતો, પણ આપણે ભારતને લગતાં ચોંકાવનારાં અમુક તારણો જોઈએ. જેમ કે –

– લોકતાંત્રિક વ્યવસ્થા સૌથી ઉત્તમ છે તેવું માનતા ભારતીયોમાં 8 ટકાનો ઘટાડો થયો છે

– 67 ટકા ભારતીયોએ કહ્યું કે સરમુખત્યારશાહી હોવી જોઈએ

– 29 ટકા લોકોએ કહ્યું કે મિલિટરી શાસન ‘કંઇક અંશે’ સારું હશે

– 43 ટકા લોકોએ કહ્યું કે મિલિટરી શાસન ‘ઘણું સારું’ હશે

– 54 ટકા ભારતીયોએ કહ્યું કે જનપ્રતિનિધિઓ જનતાની ચિંતા નથી કરતા

સરમુખત્યાર શાસનનું એક દેખીતું નુકશાન એ છે કે તેમાં જનતાના હાથમાં સત્તા રહેતી નથી કારણ કે સરમુખત્યાર વોટ માંગવા નથી આવવાનો. તો પછી સવાલ એ ઊભો થાય કે લોકશાહીમાં સારા નેતાને ચૂંટવાની અને ખરાબ નેતાને ઘરે બેસાડવાની પોતાની સત્તાને જતી કરવા માટે લોકો કેમ તૈયાર થતા હશે?

તેનું કારણ તાર્કિક નહીં, મનોવૈજ્ઞાનિક છે. લોકતંત્રની અંદર, તીવ્ર ધ્રુવીકરણમાં વહેંચાઇ ગયેલા મતદારો તેમનાં હિતોના રક્ષણની વાત કરે તેવા નેતાને ચૂંટવા માટે થઈને લોકતાંત્રિક પ્રતિસ્પર્ધાને નેવે મુકવા તૈયાર થઇ જાય છે. બીજી રીતે કહીએ તો, લોકતંત્રની ખામીઓ જ સરમુખત્યાર નેતાઓને અવસર પૂરો પાડે છે કે તેઓ વધુને વધુ ધ્રુવીકરણ પેદા કરે જેથી લોકો પાસે તેમને ચૂંટવા સિવાય બીજો વિકલ્પ ન રહે, પછી ભલે એમાં લોકતંત્રનો બલિ ચઢતો હોય.

સરમુખત્યારશાહીમાં ઉપરથી નીચેનો અભિગમ હોય છે. સૈન્યની જેમ, ટોચનો નેતા આદેશ જારી કરે છે અને અધિકારીઓ મગજ ચલાવ્યા વગર તેનું પાલન કરવાનું હોય છે. એ નેતા કામ કરવા અને કરાવવા માટે કડક નિયમો, નીતિઓ અને પ્રક્રિયાઓ પર આધાર રાખે છે. તે કોઈને પૂછીને કે સલાહ મંત્રણા કરવાને બદલે સ્વતંત્ર રીતે નિર્ણયો લે છે.

સામાન્ય લોકોને આવા ‘રિઝલ્ટ ઓરિયંટેડ’ નેતાઓ ગમતા હોય તે સમજી શકાય છે કારણ કે જનતા માત્ર પોતાની જરૂરિયાતના દૃષ્ટિકોણથી વિચારતી હોય છે, અને તેને એવો પણ ભરોસો હોય છે કે તેની જરૂરિયાતો કાયમ માટે નેતાની પ્રાથમિકતા બની રહેશે. ઇતિહાસમાં ઊંધું પુરવાર થયું છે – જનતાની સેવા કરવા માટે એકહથ્થુ સત્તાને હાથમાં લેનારા નેતાઓ અંતત: પોતાનાં હિતોની રક્ષા કરતા થઇ જાય છે.  

અનેક ઉદાહરણો સાબિત કરે છે કે સરમુખત્યારોની સત્તા સકારાત્મક (જનતા લક્ષી) કામોમાં નથી વપરાતી. તે બીજા કોઈને કશું કામ નહીં કરવા દેવામાં વપરાય છે. એ અર્થમાં કડક માણસ વાસ્તવમાં કમજોર હોય છે; તે બીજા લોકોને કમજોર બનાવીને જ ટકી રહેતો હોય છે. 

લોકશાહીના ઘણા દોષ હશે, પરંતુ કમ-સે-કમ નેતાઓની ગરદન પર એટલી ઘૂંસરી તો રહે છે કે તેમને દર પાંચ વર્ષે જનતા પાસે વોટની ‘ભીખ’ માંગવા માટે આવવું પડે છે. લોકશાહી તેને ‘તમારો’ નેતા બનાવે છે. સરમુખત્યાર ‘તમારો’ બનીને નથી રહેતો. 

વિન્સ્ટન ચર્ચિલ દ્વિતીય મહાયુદ્ધમાં બ્રિટનના પ્રધાન મંત્રી હતા. યુદ્ધની શરૂઆતથી જ બ્રિટનનો સામનો નાઝી જર્મનીથી હતો. ચર્ચિલ ઉત્તમ નેતા ઉપરાંત એક સૈનિક અને યુદ્ધ રિપોર્ટર પણ હતા. ચર્ચિલના નેતૃત્વમાં બ્રિટન જર્મની સામે અડીખમ ઊભું રહ્યું એટલું જ નહીં, બ્રિટને કુનેહપૂર્વક અમેરિકા અને સોવિયેત સંઘ સાથે મોરચો બાંધ્યો હતો. યુદ્ધમાં જર્મનીનો પરાજય થયો પછી ચર્ચિલ બ્રિટનમાં હિરો બની ગયા હતા. 

1945માં, યુદ્ધ સમાપ્ત થયું તેના બે મહિનામાં ચર્ચિલે ચૂંટણી જાહેર કરી. તેમની કન્ઝર્વેટિવ પાર્ટીએ યુદ્ધમાં વિજયના નામે વોટ માંગ્યા, પણ જનતાએ, ચર્ચિલથી ઓછા લોકપ્રિય, લેબર પાર્ટીના ક્લેમેન્ટ એટલીને સત્તામાં ચૂંટ્યા. કેમ? બ્રિટિશ જનતાએ એવું નક્કી કર્યું હતું કે યુદ્ધ વિજેતા તરીકે ચર્ચિલ ગમે તેટલા મહાન હોય, શાંતિકાળ માટે તે અયોગ્ય છે, અને ઘરેલું સમસ્યાઓ માટે એટલી અને તેમની લેબર પાર્ટી વધુ ઉત્તમ છે. 

ચર્ચિલને આનું બહુ દુઃખ થયું હતું, પણ તેમને એમાં બોધપાઠ મળ્યો, અને થોડાં જ વર્ષોમાં ચૂંટણી જીતીને પાછા સત્તામાં આવ્યા.

સાર : જનનાયકોનો આપણે આદર કરવો જોઈએ, ભક્તિ નહીં. આદરમાં તેમને તેમની જવાબદારીનું ભાન રહે છે. ભક્તિમાં તેઓ પોતાને આલોચનાની પાર ગણે છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેલ”; 05 મે 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

एक गांधीवाले का अवसान

कुमार प्रशांत|Gandhiana|7 May 2024

कुमार प्रशांत

पूरा नाम धीरजलाल शांतिलाल मेहता (27 अप्रैल 1936 : 22 अप्रैल 2024)… लेकिन इतना बड़ा नाम अधिकांशत: अनजाना व अजनबी ही रहा. वे अपने सभी जानने वालों के लिए बस धीरू भाई थे. कारपोरेट जगत की तीखी दुनिया में, बहुतों के कठिन व नाज़ुक निजी जीवन में, गांधी व गांधी इतर सार्वजनिक जीवन के बहुत बड़े दायरे में यह छोटा-सा नाम बहुत बड़ी जगह घेरता था. 88 साल की पकी उम्र में उनके देहावसान के साथ गांधीजनों के बीच वह शून्य बना है जिसे भरना आसान नहीं है,  क्योंकि धीरू भाई बनना आसान नहीं है.

1995 से अपनी अंतिम सांस तक धीरू भाई गांधी शांति प्रतिष्ठान के नियामक मंडल के सदस्य रहे और उनकी यह सदस्यता औपचारिक नहीं थी. अपने जीवन में उन्होंने औपचारिक भूमिका शायद ही निभाई होगी. उन्होंने जो भी, जब भी किया, पूरी शिद्दत से किया.

1974 में जब जेपी ने संपूर्ण क्रांति का आंदोलन शुरू किया तब धीरू भाई से मेरा नया परिचय हुआ. कहां सुदूर बिहार में आंदोलन और कहां मुंबई के कारपोरेट जगत की सबसे ऊंची कतार में विराजते धीरू भाई ! लेकिन मैं याद कर के भी उस श्रेणी का दूसरा कोई नाम याद नहीं कर पा रहा हूं जिनमें उन जैसी दीवानगी थी. वे इस आंदोलन की हर गतिविधि से ऐसे जुड़ गए जैसे उन्हें दूसरा कोई काम ही न हो. जेपी के विश्वस्त सहयोगी की जिम्मेवारी के साथ वे मुंबई की सड़कों पर उतरे, जुलूसों में शामिल हुए, नारे लगाए, युवकों को उत्साहित किया, आर्थिक मदद जमा की, पटना-मुंबई की दौड़ लगाते रहे, उन सबसे भिड़ते रहे जो आंदोलन की राह रोकने सामने आए – फिर वे नामचीन धनपति हों, कारपोरेट जगत के उनके मित्रगण या फिर विनोबा भावे. अपने बजाज ग्रुप को भी उन्होंने कठघरे में खड़ा किया, अपनी नायाब नौकरी पर ग्रहण लगने की हद तक गए.

1975. जेपी जब प्राणघातक बीमार से ग्रस्त, चंडीगढ़ की एकांत कारा से निकाल कर मुंबई के जसलोक अस्पताल में पहुंचाए गए तब वे इंदिरा गांधी की नजर में  देश के ‘सबसे बड़े अपराधी’ थे. कुर्सी-दौलत की दुनिया उनसे दामन बचाने लगी थी. उस बूढ़े-बीमार ‘दुश्मन’ से मिलने या उन्हें देखने  यदि कोई जसलोक अस्पताल आ जाता तो उसका नाम सरकार की काली सूची में दर्ज हो जाता था. ऐसे में दो लोग ऐसे थे जो बिना नागा हर दिन अपने जेपी से मिलने, उनकी पसंद व सुविधा की चीजें ले कर जसलोक अस्पताल पहुंचते रहे और रोज ही अपना नाम दर्ज करवाते रहे तो वे दो थे धीरू भाई व नंदिनी बहन. पति-पत्नी दोनों ने मुंबई में बीमार व अकेले ‘जेपी का परिवार’ बना दिया था.

यह सारा कुछ धीरू भाई तब कर रहे थे जब वे सार्वजनिक जीवन में उतरे भी नहीं थे. सार्वजनिक दायित्व के इस बोध का एक सिरा महात्मा गांधी के प्रति उनकी भक्ति से जुड़ता था तो दूसरा सिरा अपनी प्रिय पत्नी नंदा की अद्भुत संतुलित जीवन-दृष्टि से ! इन दो सिरों के बीच धीरू भाई उन तमाम विशिष्ट जनों के निजी संपर्क में रहे जिन्होंने स्वतंत्रता के बाद के गांधी-आंदोलन को बनाया-बढ़ाया-संवारा. वे उन सबका विश्वास अर्जित कर सके, सबके सबसे विश्वसनीय सहयोगी बन सके, यही उनकी विशिष्टता बतलाता है. तब कोई गहरा विवाद उठ खड़ा हुआ था. कठघरे में सर्व सेवा संघ के वरिष्ठ जन खड़े थे. स्व. विमला ठकार मामले को देख रही थीं. मुंबई आईं तो मेरी पेशी भी हुई. मुझसे पहले धीरू भाई की पेशी हो चुकी थी. उसका संदर्भ देती हुई वे बोलीं थी : “ मैं धीरू भाई से असहमत हो सकती हूं लेकिन पल भर के लिए भी उन पर शंका नहीं कर सकती. ऐसा मैं बिरले लोगों के लिए कह सकती हूं.”

धीरू भाई के व्यक्तिमत्व की ऐसी ही पारदर्शी संरचना थी.

हास-परिहास में डूबे बेहद संजीदा इंसान थे वे.

गुजरात के भावनगर जिले से सोनगढ़ गांव के जिस परिवार में उनका जन्म हुआ वह गांधीवाला नहीं था लेकिन गहरे नैतिक मूल्यों वाला था. मां अत्यंत व्यावहार कुशल लेकिन नैतिकता से न डिगने वाली मजबूत गृहिणी थीं, पिता अपनी सीमित आय में संस्कारी परिवार चलाते थे. इन दोनों का धीरू भाई के जीवन पर गहरा व अमिट असर रहा. यहीं से खादी पहनने का व्रत लिया और ताउम्र उसे निभाया.  फिर सारा परिवार मुंबई आ गया जहां से धीरू भाई के जीवन ने एक अलग दिशा पकड़ी. वे मेधावी छात्र रहे, सीए की दो कठिन परीक्षाएं आसानी से पास कीं. जैसे नियति उन्हें हाथ पकड़ कर भावी के लिए तैयार कर रही थी, कुछ इस तरह उनकी शादी गांधी-विनोबा के ‘दास’ राधाकृष्ण बजाज की बेटी नंदिनी बजाज से हुई. गुजराती-राजस्थानी परिवार के बीच यह संबंध उन दिनों सामान्य नहीं था. लेकिन दोनो के बीच ‘गांधी’ थे तो यह सारा कुछ संभव हुआ. इस विवाह के साथ धीरू भाई बजाज परिवार से भी जुड़े और बजाज कंपनी से भी. यह प्रतिभा व जरूरत का ऐसा मधुर संयोग था जिसने दोनों को पल्लवित व पुष्पित किया. आर्थिक मामलों में धीरू भाई की दक्षता, दूरंदेशी, मूल्यनिष्ठा तथा अथक काम करने की क्षमता ने उन्हें बजाज समूह का अभिन्न अंग बना दिया. बजाज समूह की तीन पीढ़ियों, कमलनयन बजाज, रामकृष्ण बजाज तथा राहुल बजाज के साथ धीरू भाई का लंबा साथ अपूर्व रहा. साथ व विश्वास का यह हाल हुआ कि रामकृष्ण बजाज के देहांत के बाद जब बजाज-परिवार में मालिकी व संपत्ति का विवाद हुआ और बजाज ग्रुप दो हिस्सों में टूट गया तब दोनों पक्षों में मध्यस्थता के लिए एक ही नाम पर सहमति बनी : धीरू भाई !

  निजी जीवन की उपलब्धियों व निश्चिंतता के बाद भी सार्वजनिक जीवन के कर्तव्यों के प्रति उनका विवेकपूर्ण आकर्षण उन्हें खींचता ही रहता था. ऐसे में उन्हें साथ मिला डॉक्टर सुशीला नैयर का जो वर्धा के कस्तूरबा अस्पताल की गाड़ी खींचने में बेदम हुई जा रही थीं. उम्र का 50वां दशक पार कर रहे धीरू भाई को वे अपने साथ नई दिशा में ले गईँ. बजाज जैसे समूह की सर्वप्रिय ऊंचाई से मुंह मोड़ कर एक नई दिशा में निकल पड़ना किसी के लिए भी आसान नहीं होगा. भरा-पूरा घर भी, खिलते हुए बच्चे भी, सुरक्षित वर्तमान को भविष्य की अनजानी अनिश्चितताओं की तरफ खींच ले जाना न आसान था, न परिजनों की नज़र में समझदारी! लेकिन धीरू भाई ने रास्ता बदलना सोचा तो सबकी सुनते हुए, सबको साथ लेते हुए रास्ता बदल ही लिया.

अब जिस धीरू भाई को हम पाते हैं वह सेवाग्राम अस्पताल, लेप्रेसी फाउंडेशन, इंदौर के कस्तूरबाग्राम, अहमदाबाद के गुजरात विद्यापीठ, गांधी के नवजीवन प्रकाशन, राजकोट के आंख के अस्पताल, महाराष्ट्र के धुर आदिवासी विस्तार मेलघाट के अस्पताल से ले कर भारतीय विद्या भवन तक,  दिल्ली के गांधी शांति प्रतिष्ठान से लेकर गांधी स्मारक निधि तक के बीच भागता मिलता है. कहूं तो इन सबको धीरू भाई ने जैसे अपना ही लिया.

कस्तूरबा की स्मृति में बापू के आशीर्वाद से जिस छोटे-से अस्पताल की शुरुआत उनकी बेटीसमान डॉ. सुशीला नैयर ने की थी, सेवाग्राम का वह अस्पताल व संस्थान आज जहां व जैसा है, उसकी कल्पना भी धीरू भाई की ही है और वह उपलब्ध भी उनकी ही है. अपने हर अभिक्रम को गांधी से जोड़ने की उनकी कोशिश ने वहां कितनी ही नयी शुरुआत की, नई दिशा दी. देश में दूसरा कोई मेडिकल कॉलेज नहीं है कि जहां प्रवेश के लिए गांधी-विचार से संबंधित एक परीक्षा भी देनी व पास करनी पड़ती है, जहां एडमिशन पाए हर युवा भावी डॉक्टर को अपना प्रारंभिक 15 दिन गांधी के सेवाग्राम आश्रम में, वहां की दिनचर्या से जुड़ कर, जीना पड़ता है. स्वास्थ्य व चिकित्सा के बारे में गांधी-विचार से उन्हें परिचित कराने की उनकी यह कोशिश कितनी सफल या असफल रहती है, इसका हिसाब लाने वाले बहुत मिलेंगे लेकिन गहरी एकाग्रता व संलग्नता से ऐसी कोशिश करने वाले धीरू भाई अकेले ही थे. इसी अस्पताल में नये-पुराने व नवागंतुक सारे ही डॉक्टर खादी के कपड़ों में मरीजों की जांच करते, वार्डों का दौरा करते व ऑपरेशन करते मिलते रहे. अपने अस्पताल व संस्थान को चिकित्सा की दुनिया में फैले भ्रष्टाचार से अलग रखने व बचाने की जितनी व जैसी कोशिश धीरू भाई ने की, दूसरे उसकी कल्पना भी नहीं कर सकते. इसके साथ ही वे लगातार प्रयत्नशील रहे कि आधुनिक चिकित्सा-विज्ञान की हर सुविधा वर्धा ग्रामीण के इस अस्पताल में उपलब्ध हो.

वे गांधी-विचार के गहन अध्येता, व्याख्याकार नहीं थे. गांधी आंदोलनों से उनका सीधा सरोकार भी नहीं था  लेकिन गांधी संस्थाओं की बहुत सारी जिम्मेवारियां उन्होंने संभाल रखी थीं.  हमारे बीच वे आर्थिक सलाहकार, विवेकपूर्ण निर्णायक तथा संतुलित व्यवहारिकता के आधारस्तंभ थे. पढ़ने का उन्हें शौक था – गुजराती उनकी पहली भाषा थी तो अंग्रेजी उनकी सहज अभिव्यक्ति की भाषा थी. गुजराती साहित्य— काव्य भी, कथा-कहानी-उपन्यास भी उनकी दिनचर्या में शामिल थे. कवि मकरंद भाई से ले कर कथाकार मोरारी बापू तक उनकी सहज समाई थी. वे अपनी तरह से लेखन भी करते थे – गुजराती व अंग्रेजी दोनों में. सरदार पटेल उनके राजनीतिक हीरो थे जिनकी जीवनी के भी वे सहलेखक रहे.

56 सालों की जीवन-संगिनी नंदा 80 वर्ष की उम्र में, 2022 में जटिल बीमारियां झेल कर विदा हुईं तो जैसे जीवन के प्रति धीरु भाई का उत्साह फीका पड़ गया. उन्होंने अपनी सारी मानसिक शक्ति समेट कर इस एकाकी जीवन को भुलाने की कोशिश की जरूर लेकिन उसका रंग उतर चुका था. 2014 के साथ भारतीय राजनीति में जैसे परिवर्तन हुए उसकी बारीकियों को देखने-समझने में भी वे गांधी-परिवार से अलग दिशा में गए. गांधी-दर्शन से उनका भटकाव जिस कदर हुआ, उसने भी उनका अकेलापन बढ़ा दिया. ऐसा हमेशा हुआ. गांधी अपने वक्त में समकालीनों की अत्यंत कड़ी कसौटी तो करते ही रहे, गांधी-दर्शन भी अपने अनुयायियों से सख्ती से बरतता रहा. अहिंसक क्रांति का स्वप्न जितना मोहक है उतना ही दुर्धर्ष भी. धीरू भाई के लिए भी वह परीक्षा कठिन साबित हुई. लेकिन समग्रता व संपूर्णता में धीरू भाई न केवल अनोखे व अनूठे थे बल्कि बड़ी मुश्किल से मिलने वाली सख्सियत थे.

गांधीजन उनकी स्मृति में सर झुकते हैं.

(07.05.2024)
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

...102030...574575576577...580590600...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved