Opinion Magazine
Number of visits: 9457183
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“યે હો ક્યા રહા હૈ?”

રમેશ ઓઝા|Opinion - Opinion|21 May 2024

રમેશ ઓઝા

“યે હો ક્યા રહા હૈ?” મને ખાતરી છે કે ૧૪મી અને ૧૫મી તારીખે એક ભક્તે બીજા ભક્તને આવો સવાલ કર્યો હશે અને બીજા ભક્તે જવાબમાં કહ્યું હશે કે “મુઝે ભી કુછ સમઝમેં નહીં આ રહા હૈ.” ૧૪મી તારીખે વડા પ્રધાને તેમની પાળીતી ચેનલોનાં પત્રકારોને મુલાકાત આપતા કહ્યું હતું કે હિંદુ મુસલમાનનું કોમવાદી રાજકારણ? છી! છી! છી! આવું ગંદુ રાજકારણ મેં જિંદગીમાં ક્યારે ય કર્યું જ નથી અને જો હું કરું તો જાહેરજીવનમાં રહેવાની કોઈ લાયકાત હું ધરાવતો નથી. એ પછી એમનું હંમેશનું કથન. મુસલમાનો સાથે તો બાળપણનો સંબંધ છે. ઇદના દિવસે મુસલમાનના ઘરે ભોજન કરતો હતો, સેવૈયા ખાતો હતો, તાજીયાના જુલુસમાં ભાગ લેતો હતો વગેરે વગેરે. અને છેલ્લે રાહુલ ગાંધીએ હજુ અઠવાડિયા પહેલાં ભવિષ્ય ભાખ્યું હતું એમ થોડું રુદન. રાહુલે કહ્યું હતું કે ચૂંટણીનાં ભા.જ.પ. માટે અઘરા રાઉન્ડ શરૂ થશે એ પહેલાં રુદન પણ જોવા મળશે અને મળ્યું. અનપ્રેડીક્ટેબલ વડા પ્રધાન પ્રેડીક્ટેબલ બની ગયા છે.

૧૫મી તારીખના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પહેલાં પાને વડા પ્રધાનની આ હેડલાઈન હતી અને એ જ અખબારનાં એ જ દિવસનાં અંદરનાં પાને અન્યત્ર જગ્યાએ કરેલી મુસલમાનોની નિંદા હતી. જો મુક્ત પત્રકારત્વનો જમાનો હોત તો આ બન્ને સમાચાર એક જ સ્થળે બાજુબાજુમાં છપાયા હોત.

પણ આ કથન આશ્ચર્યજનક છે. ૨૩ વરસથી તેઓ સતત હિંદુ-મુસ્લિમ કરે છે અને એ આ જગતમાં કોણ નથી જાણતું? હકીકતમાં તેમની ઓળખ જ એ છે અને તેને કારણે તો તેમને ભક્ત મળ્યા છે. ભક્તને એ જ ભગવાન ભાવે જે એના મનોરથ પૂરા કરતો હોય. માત્ર ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે હિંદુ-મુસ્લિમ નહોતું કર્યું, કારણ કે ત્યારે તેમને દિલ્હી પહોંચવું હતું. બાકી યુ ટ્યુબ પર સર્ચ કરશો તો મુસલમાનોને ગાળો દેનારી સો ક્લિપ્સ તો સહેજે મળશે. પંદર-વીસ ક્લિપ્સ તો આ વરસની જ મળી રહેશે. દસેક ક્લિપ્સ ચૂંટણીપ્રચાર શરૂ થયો એ પછીની મળી રહેશે. રાજસ્થાનમાં બાંસવાડાનું તેમનું ભાષણ સાંભળી લો. આવું જ ભક્તોને ભ્રમિત કરી દે એવું ચોંકાવનારું કથન ૮મી મેના રોજ તેમણે તેમના મિત્ર અદાણી અને અંબાણી વિષે કર્યું હતું. એ બન્નેએ ટેમ્પો ભરીને પૈસા કાઁગ્રેસને આપ્યા છે. પોતાના ભાઈબંધની વફાદારી વિષે આમ કહ્યું હતું. ભક્તોને હજુ તો એની કળ વળી નહોતી ત્યાં આ બીજું નિવેદન. માટે ભક્તોએ એકબીજાને ફોન કરીને પૂછ્યું હશે કે યે હો ક્યા રહા હૈ?

આવી રીતે સૂર બદલવાનું કારણ શું? જો કે વિરોધાભાસની તેમણે ક્યારે ય ચિંતા કરી નથી; પછી એ મનરેગા હોય, જી.એસ.ટી. હોય, આધાર કાર્ડ હોય, ખેડૂતોને ટેકાના ભાવ હોય, પેન્શન હોય, ભષ્ટાચાર હોય, ચીન હોય કે બીજું કાંઈ પણ હોય. નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડા પ્રધાન છે જેમનાં પોતાનાં જ પરસ્પર વિરોધી નિવેદનોનો એક કોશ બને. આજ કુછ, કલ કુછ. જરૂરિયાત બદલાઈ કે ભાષા બદલાઈ. એક જ અભિપ્રાયને વળગી રહેવું કે ટેકીલા રહેવું એ નમાલાઓનો ગુણ છે, ભડવીર તો સભાએ સભાએ જુદું બોલે. તેમના આ ખાસ ગુણના કારણે મોદી કી ગારંટીની મતદાતાઓ ઉપર કોઈ અસર થતી નથી. પણ આ વખતે અદાણી – અંબાણીનાં નામ પોતાનાં મુખેથી લીધાં અને મુસલમાનો સાથે મોહબ્બત કરવાની જે વાત કરી એ રાબેતાનાં પરસ્પર વિરોધી નિવેદનો કરતાં ઘણું વધુ છે.

શા માટે?

એક કારણ એવું દેખાય છે કે વિશ્વદેશો ભારતની ચૂંટણી પર નજર રાખી રહ્યા છે અને નરેન્દ્ર મોદી ૨૦૦૨ની કોમવાદી અને તિરસ્કૃત ભાષા પર ઉતરી આવ્યા છે એવું જગતનાં અખબારો લખવા માંડ્યા છે. સરકારો કહેવા લાગી છે કે ભારતમાં લોકતંત્ર જળવાઈ રહેશે અને ચૂંટણી મુક્ત અને ન્યાયી હશે એવો અમને વિશ્વાસ છે. આવું કેમ કહ્યું? આ પહેલાં તો ક્યારે ય આવું કોઈ દેશે ભારતનાં લોકતંત્ર અને ચૂંટણી વિષે કહ્યું નહોતું? વગોવણી એટલી હદે થઈ રહી છે કે ભારતના વિદેશ પ્રધાને કહેવું પડ્યું કે ભારતનાં લોકતંત્રની બીજા દેશોએ ચિંતા કરવાની જરૂર નથી, એ આમરી અંગત બાબત છે. હજુ થોભો, રશિયા પાસે કહેવડાવવામાં આવ્યું કે અમેરિકા ભારતની ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

હવે સમસ્યા એ છે કે નરેન્દ્ર મોદીને સત્તા પણ જોઈએ છે અને જગતને ચોરે પાંચમાં પૂછાવું પણ છે. જવાહરલાલ નેહરુને અહીં આંબી જવા છે અને આગળ નીકળી જવું છે. હવે ઓર્દેગોન(તુર્કીના વડા)ને તો આદર મળે નહીં, આદર તો સભ્ય માણસને જ મળે! એટલે હવે જ્યારે ૫૪૪ બઠકોમાંથી ૩૭૮ બેઠકો પર મતદાન થઈ ચુક્યું છે ત્યારે પ્રમાણમાં અજાણ્યો રાગ માણસાઈ આલાપવામાં જોખમ નથી. અને વળી પક્ષના કાર્યકર્તાઓ, સાયબર સેલ અને ભક્તો તો છે જે ઝેર ફેલાવવા માટે. તો બદલાયેલા સૂર પાછળનું પહેલું કારણ જગતમાં ભૂંડા લાગવાથી બચવાનું હોઈ શકે છે.

બીજું કારણ એ છે કે ન કરે નારાયણ અને જો બહુમતી ન મળે અને બીજાના સથવારે સરકાર ચલાવવી પડે તો ઘમંડ, મનમાની, દાદાગીરી અને ઉન્માદ છોડીને વચ્ચે આવવું પડે અને ત્યારે એ બહુ વસમું લાગે. એનાં કરતાં અત્યારથી જ વચ્ચે શા માટે ન આવવું? તમે જોયું હશે કે ગોદી ચેનલો વચ્ચે આવવા માંડી છે અને રાહુલ ગાંધી તેમ જ વિરોધ પક્ષોના નેતાઓને તેમ જ તેમના ચૂંટણી પ્રચારને બતાવવા લાગી છે. દેશમાં ઉન્માદ પેદા કરવાના ગુનેગાર તેઓ બનવા માગતા નથી. આમ પણ આગળ કહ્યું એમ બે તૃતીયાંશ બેઠકોની ચૂંટણી તો થઈ ગઈ છે. તો આ બીજું એટલું જ પ્રબળ કારણ છે.

અને જો જનતાજનાર્દન રૂઠે અને પરાજય થયો તો? તો તો ડહાપણ અને માણસાઈ જ તારી શકે. કઢીચટ્ટાઓ એક એક કરીને ભાગી જાય. અત્યારે જ મૂકેશ અંબાણીની ચેનલો અને ગૌતમ અદાણીની ચેનલો અપમાન સહન કરીને પણ નરેન્દ્ર મોદીને સાથ આપે છે અને બીજી બાજુ પવન જોઇને બીજાને સાથ આપવા માંડ્યા છે. કઢીચટ્ટાઓનો સ્વભાવ છે કઢી ચાટવાનો, એ કોની છે એનાથી તેમને કોઈ ફરક પડતો નથી.

Loading

બંધ કરો આ રમત

રોનક ચંદ્રકાન્તભાઈ જોષી ‘રાહગીર’|Opinion - Opinion|21 May 2024

વર્ષો પછી ભીંતો પણ બોલી હવે બંધ કરો આ રમત,

કાંઈ મળ્યું નથી, ને મળવાનું પણ નથી છોડો મમત.

આડોશી પાડોશી સાથે મક્કમ રીતે જોડાયેલ ભલે છું,

જેટલું સાંભળ્યું સમજ્યું છે એટલું આચરવું ગમત.

દુનિયા છે બેધારી તલવાર જેવી એટલે ખામોશ છું,

અહીં તો સ્વયં સાથે જ છે રાતદિન કશ્મકશ લડતઃ

જિંદગીના રંગ રૂપની એ ધૂપછાંવનો અહેસાસ છે,

એટલે તરોતાજા ઝિંદા – નહિતર હોત જડભરત.

અહેસાસને મહેસૂસ એ રીતે કર્યો છે મેં જીવનમાં,

જેમ રામે રાખી હતી માઁ સમાન મંથરા માટે નફરત.

જીવન છે સુખ દુઃખનું મેદાન એમાં જ જીવવું પડે,

દુનિયા ભલેને ફરે આપણી સામે લઈને કરવત.

e.mail : ronakjoshi226@gmail.com

Loading

અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે : વાર્યા ના વળે તે હાર્યા વળે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|20 May 2024

રાજ ગોસ્વામી

ગુજરાતીમાં એક સુંદર કહેવત છે; વાર્યા ના વળે તે હાર્યા વળે – જેને સમજાવીએ છતાં ન સમજે તે અનુભવે આપમેળે ઠેકાણે આવી જાય. શીખવાના બે રસ્તા હોય છે; કાં તો તમે બીજાઓના અનુભવો પરથી શીખો અથવા ખુદના અનુભવ પરથી. પહેલું ઇચ્છનીય પણ અઘરું છે, બીજું અનિચ્છનીય પણ સહેલું છે. 

બીજા લોકો સાથે કશું ઘટે ત્યારે આપણે તેમાંથી ધડો એટલા માટે નથી લેતા કારણ કે આપણને એવો આત્મવિશ્વાસ હોય છે કે એવું મારી સાથે થવાનું નથી. કેમ? કારણ કે બીજાની સરખામણીમાં આપણે આપણને વધુ હોંશિયાર સમજતા હોઈએ છીએ. શેર બજારમાં પ્રત્યેક સટોડિયો બીજા સટોડિયાને મૂરખ સમજતો હોય છે, પરંતુ એ જfયારે પછડાય છે ત્યારે મૂરખ સટોડિયાથી જુદી રીતે નથી પછડાતો.

રોય રોજર્સ નામના એક અમેરિકન ગીતકારે વ્યંગમાં કહ્યું હતું;

દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય છે.

એક વાંચીને શીખે છે.

અમુક જોઇને શીખે છે.

બાકીના ઇલેક્ટ્રિક તાર પર પેશાબ કરીને શીખે છે.

તાજેતરમાં, હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી મનીષા કોઈરાલાએ કંઇક આવો જ એકરાર કર્યો છે. તે અંડાશયના કેન્સરમાંથી બેઠી થઇ છે અને ઈશ્વરનો પાડ માને છે કે તે મરતાં મારતાં બચી છે. મોતને જોઇને પાછા ફરેલા લોકોનો જીવન પ્રત્યેનો અભિગમ ધરમૂળથી બદલાઈ જતો હોય છે. મનિષા એવા લોકોમાંથી છે.

સંજય લીલા ભણસાલીની નેટફ્લિક્સ સિરીઝ ‘હીરામંડી’ની રિલીઝ પ્રસંગે, મનીષાએ ઇન્સ્ટાગ્રામ પર તેના પુનરાગમનની ખુશી વ્યક્ત કરતાં લખ્યું હતું;

‘ભગવાનની કૃપાથી મને કેન્સર પછી બીજું જીવન મળ્યું છે. મેં જીવનમાં ઘણું જોયું છે અને ઘણા ખોટા રસ્તા પણ અપનાવ્યા છે. જીવનના ઉતાર-ચઢાવથી મને ઘણું શીખવા મળ્યું છે અને હું સમયનું મહત્ત્વ સમજું છું. ગઈકાલ મુશ્કેલ હતી, પરંતુ આજે તે શાંતિ છે.”

‘સોદાગર,’ ‘લવ સ્ટોરી.’ ‘ખામોશી’ અને ‘અકેલે હમ અકેલે તુમ’ જેવી સફળ ફિલ્મો આપનાર મનીષાનું જીવન ઉપર લખી તે વાતનું ગવાહ છે કે માણસો પોતાની ભૂલો, નિષ્ફળતાઓ અને અકસ્માતોમાંથી જેટલું શીખે છે તેટલું બીજામાંથી નથી શીખતા.

સતત સફળતા પછી, કારકિર્દીમાં એક સમય એવો આવ્યો જ્યારે મનીષા કોઈરાલાની ફિલ્મો ફ્લોપ થવા લાગી હતી. તે આ તનાવનો સામનો કરી શકી નહોતી અને બીજી તરફ ગ્લેમરની દુનિયાની ચકાચાંધથી અંજાઈ ગઈ હતી, જેની અસર તેની કારકિર્દી પર પડી હતી. મનીષા ધીમે ધીમે દારૂની વ્યસની બની ગઈ હતી. વ્યસનને કારણે, તેમણે ધીમે ધીમે ફિલ્મો મળતી બંધ થઇ ગઈ હતી. એટલું જ નહીં, 2 વર્ષની અંદર, તેના પતિથી ઝઘડા અને છૂટાછેડાએ તેને સંપૂર્ણપણે તોડી નાખી. દારૂના સેવનથી તેના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ હતી.

તેના જીવનનો સૌથી ખરાબ તબક્કો એ હતો જ્યારે તેને ખબર પડી કે તેને અંડાશયનું કેન્સર છે. એમાં એની આંખો ઉઘડી હતી. ઘણીવાર તમે એક સ્વપ્નમાં એવા ડૂબેલા હો કે તમને ખબર જ ન પડે કે તે સ્વપ્ન છે, અને અચનાક તમે એમાંથી જાગી જાવ (અને ફરી પાછા ઊંઘી ના જાવ) તો તમને તમારી વાસ્તવિકતાનું ભાન થાય. કેન્સર છે એવી ખબર પડી ત્યારે મનીષાને તેની વાસ્તવિકતાની, તે રીતનું જીવન જીવતી હતી તેનું ભાન થયું હતું. તેને કેન્સરથી લડવું હતું એટલું જ નહીં, નવેસરથી જીવવાનું શરૂ કરવું હતું.

કેન્સરની સારવાર પાછળ તેનાં ચાર વર્ષ ગયાં. આ એ જ સમય હતો જ્યારે તેણે તેના રૂટિનને અને જીવન પ્રત્યેના અભિગમને સમગ્રપણે બદલી નાખ્યો. તે દારૂના વ્યસનમાંથી બહાર આવી ગઈ, પ્રેમ સંબંધોમાં જીવનનો હેતુ શોધવામાંથી બહાર આવી ગઈ અને કેન્સરમાંથી બહાર આવી ગઈ. એ એક નવી મનીષાનો જન્મ હતો.

તેણે તેની આ યાત્રા પર ‘હીલ્ડ : હાઉ કેન્સર ગેવ મી અ ન્યૂ લાઈફ’ નામનું પુસ્તક લખ્યું છે. પુસ્તકની શરૂઆતમાં જ મનીષાએ લખ્યું હતું – ‘હું મરવા નથી માંગતી.’ મનીષા કહે છે કે તેને જ્યારે બીમારીની ખબર પડી, ત્યારે તેણે એવા લોકો વિશે જાણવાનું શરૂ કર્યું હતું, જે આ બીમારી સાથે લડીને આગળ નીકળ્યા હતા. તેમાં જ તેને ક્રિકેટર યુવરાજ સિંહ અને મોડેલ-અભિનેત્રી લીઝા રેની કેન્સર સાથેની લડાઈ જાણવા મળી હતી. એ પછી મનીષાએ પાછું વળીને ન જોયું અને બીમારી સામે જીતવાનું નક્કી કરી લીધું.

જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં, આ પુસ્તકના વિમોચન પ્રસંગે મનીષાએ કહ્યું હતું, ‘ખરાબ સમય તમારી સફળતાને રોકી શકતો નથી, પરંતુ તે શીખવા અને શીખવવાનો સમય છે. જીવન ફૂલોથી બનેલું નથી, ઉતાર-ચઢાવ એ જીવનનું વાસ્તવિક પાસું છે, માત્ર એટલી સમજ હોવી જોઈએ કે ખરાબ સમય પછી પણ સારો સમય પણ આવે છે. કેન્સરે મને એક માણસ તરીકે બદલી નાખી છે અને હું વધુ દયાળુ અને સૌમ્ય બની ગઈ છું અને પ્રકૃતિના દરેક પાસાનો આનંદ માણું છું.”

એક ખેડૂતને ચાર દીકરા હતા. ચારે ય આળસુના પીર હતા. કોઈ કામ ન કરે અને ખાઈ-પીને રખડ્યા કરે. ખેડૂત તેમને ટકોરી ટકોરીને થાકી ગયો હતો. અંતે તેણે તેમને પાઠ ભણાવાનું નક્કી કર્યું. તેણે ચારે દીકરાઓને ભેગા કરીને કહ્યું કે રાતે દાદા સપનામાં આવ્યા હતા અને તેમણે કહ્યું કે ખેતરમાં ખજાનો દટાયેલો છે. 

ચારે દીકરા દોડ્યા અને આખું ખેતર ખોદી નાખ્યું. કશું હાથ ન આવ્યું. ખેડૂતે કહ્યું, દાદા ફરીવાર સપનામાં આવ્યા હતા અને કહ્યું છે કે વરસાદ પડે તો ખોદવાનું અટકાવી દેજો અને ત્રણ મહિના પછી ફરી પ્રયાસ કરજો.

દીકરાઓએ તો ખેતરની જમીન ઉપર-તળે કરી નાખી હતી એટલે ખેડૂતે સલાહ આપી કે વરસાદ આવવાની તૈયારમાં જ છે તો ભેગા ભેગી મકાઈ રોપી દો એટલે જમીન પાછી બહુ કડક ના થઇ જાય. 

દીકરા સંમત થયા અને ત્રણ મહિના પૂરા થાય તેની લ્હાયમાં મકાઈ રોપવા માટે મંડી પડ્યા.

એ સિઝનમાં મકાઇ ભરપૂર થઇ. ખેડૂતે તેને ઊંચા દામે બજારમાં વેચી. ઘરમાં ઢગલો રૂપિયા આવ્યા. ખેડૂતે ચારે દીકરાને ભેગાં કરીને રૂપિયા તરફ આંગળી ચીંધીને કહ્યું, દાદાજી ફરી પાછા સપનામાં આવ્યા હતા અને કહેતાં હતા કે તેમણે આ જ ખજાનાની વાત કરી હતી.

દીકરાઓ પરિશ્રમનું મહત્ત્વ સમજી ગયા. એ અનુભવ તેમનો શ્રેષ્ઠ શિક્ષક સાબિત થયો હતો.

મનીષા કોઈરાલાને નવા જીવનનો ખજાનો મળ્યો તેમાં તેની અસ્તવ્યસ્ત જીવનશૈલી અને બીમારીનો અનુભવ શ્રેષ્ઠ શિક્ષક સાબિત થયો હતો.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 19 મે 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...562563564565...570580590...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved