Opinion Magazine
Number of visits: 9457127
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગરજવાનને અક્કલ ન હોય …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 May 2024

રવીન્દ્ર પારેખ

ચૂંટણી દરમિયાન ભાષણોમાં નેતાઓ જે રીતે ભાષાનું પ્રદૂષણ ફેલાવે છે, તેને કારણે કદાચ દેશમાં હીટ વેવ હોય એમ બને. એક તરફ દેશનું તાપમાન ઘણી જગ્યાએ રેડ એલર્ટ પર છે ને બીજી તરફ શાસક પક્ષ અને વિપક્ષો, કોઈ મહત્ત્વના મુદ્દાની વાત કરવાને બદલે આરોપો ને પ્રતિ આરોપોમાંથી જ ઊંચા નથી આવતા. અવગુણ બધા સામે પક્ષે અને સદ્દગુણ બધા પોતાનામાં જ હોય એમ સામસામે શાબ્દિક પ્રહારો થતા રહે છે. ચૂંટણી ન હોત તો કદાચ ભાષાની આટલી છેડતી ન થઈ હોત. દુ:ખદ એ છે કે કોઇનામાં જ સંયમ કે વિવેક નથી.

આ વખતની ચૂંટણીમાં 1.35 લાખ કરોડનો ખર્ચ થવા જઈ રહ્યો છે, પણ એ ખર્ચ ક્યાંથી આવે છે ને કોણ કરે છે એની ચિંતા ભાગ્યે જ કોઈને છે. પ્રજા, ભા.જ.પ. કે કાઁગ્રેસ સામસામે કેવી બાથ ભીડે છે તે જોવામાં વ્યસ્ત છે, તો ક્યાંક ગુણ સંકીર્તન પણ ચાલ્યા કરે છે. અનેક ગ્રૂપ્સમાં સામસામે મેસેજિસનો મારો ચાલે છે ને કૈં મળવાનું ન હોય કે આ ચર્ચાની કોઈ પક્ષ કે નેતા સુધી વાત જવાની જ ન હોય તો પણ, દાંતિયા કરવાનું ચાલ્યા કરે છે. ભેંશ ભાગોળે … ની જેમ આ ‘ધમાધમ’ અનેક ઘરોમાં ચાલતી રહે છે. જે સત્તામાં આવવાના છે તે એટલા નથી ઉશ્કેરાતા, જેટલા આ ભાવિક ભક્તો કોઈ ટીકાથી ઉશ્કેરાતા હોય છે. રાજકીય પક્ષો પણ એકબીજાને નહોર ભરાવતા રહે છે ને અમસ્તું જ લોહીનું પાણી કરતાં રહે છે. કોઈને ડર છે સંવિધાન બદલાઈ જવાનો, તો કોઈ ને લાગે છે કે સંપત્તિ લૂંટીને કોઈ અલ્પ સંખ્યકોમાં વહેંચી દેશે. સામેવાળા પક્ષથી લોકોને ડરાવીને રાજકીય પક્ષો પોતાનું કામ કાઢતા રહે છે. એમને એમ જ છે કે પ્રજામાં તો અક્કલ નથી ને એ તો જેમ પટાવો તેમ પટી જશે, પણ પ્રજાને એટલી ભોળી સમજી લેવાની જરૂર નથી. આ મૂર્ખ લાગતી પ્રજાએ જ અંગ્રેજોને, કાઁગ્રેસને વિદાય આપી છે. એ ચાલવા દે છે એ એની ઉદારતા છે, તેથી એ ચાલવા જ દેશે, એવા ભ્રમમાં રહેવા જેવું નથી.

મોંઘવારી, બેકારી, જળવાયુ સંપદાની રક્ષા, શિક્ષણની સમસ્યાઓ જેવી બાબતો પ્રજાને સીધી સ્પર્શે છે. તેની વાત કરવાને બદલે એન.ડી.એ. કે ‘ઈન્ડિયા’, રામમંદિર, મદરેસા, મંગલસૂત્ર કે અગ્નિવીર યોજના, અદાણી જૂથનાં કૌભાંડોની હાંક્યા કરે તે યોગ્ય છે? મહત્ત્વના મુદ્દાઓની વાત કોઈ જ કરતું નથી ને એકબીજાનાં વસ્ત્રો ઉતારવાની વાત છેક છેલ્લે પાટલે બેસીને કરવામાં કોઈને નાનમ નથી. ટૂંકમાં, થૂંક ઉડાડવા સિવાય કૈં થતું નથી. એટલે જ તો થાકી હારીને છેવટે ચૂંટણી પંચે ભા.જ.પ.ના અને કાંગ્રેસના અધ્યક્ષોને નોટિસો ફટકારી છે.

ચૂંટણી પંચે બુધવારે કાઁગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને અને ભા.જ.પ. અધ્યક્ષ જે.પી. નડ્ડાને સંબોધીને, બંને પક્ષોને ભાષણોમાં શિષ્ટાચાર જાળવવાની સલાહ આપી છે ને બંને પક્ષના સ્ટાર પ્રચારકોને ધાર્મિક અને સાંપ્રદાયિક નિવેદનો ન કરવાં જણાવ્યું છે. પંચે ભા.જ.પ.ને એવાં ભાષણોથી દૂર રહેવા જણાવ્યું છે જે સમાજને ભાગલા તરફ દોરતાં હોય, તો કાઁગ્રેસને પણ ટપારતાં કહ્યું છે કે એ બંધારણને લગતાં એવાં ખોટાં નિવેદનો ન કરે જેમાં સંવિધાનને ખતમ કરવાની કે વેચવાની વાત હોય. ‘અગ્નિવીર’ સંદર્ભે પણ પંચે ટકોર કરતાં કહ્યું છે કે કાઁગ્રેસ ડિફેન્સ ફોર્સનું રાજનીતિકરણ ન કરે. આમ તો ભા.જ.પ.ના સ્ટાર પ્રચારક વડા પ્રધાન મોદી છે ને કાઁગ્રેસના રાહુલ ગાંધી છે, પણ ચૂંટણી પંચે પહેલી વખત પ્રચારકોને બદલે બંને પક્ષના અધ્યક્ષોને જવાબદાર ગણી તેમને નોટિસો પાઠવી છે.

પંચને આચારસંહિતા ભંગ અંગેની ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે આ સ્ટાર પ્રચારકો ધર્મ, જાતિ, સમુદાય અને ભાષા સંદર્ભે લોકોને વહેંચવાનું અને નફરત ફેલાવવાનું કામ કરી રહ્યા છે. 21 એપ્રિલે વડા પ્રધાને રાજસ્થાનનાં બાંસવાડામાં કહ્યું હતું કે કાઁગ્રેસ સત્તામાં આવશે તો લોકોની સંપત્તિ વધુ બાળકોવાળા લોકોમાં વહેંચી દેશે. કાઁગ્રેસે ‘સંપત્તિની વહેંચણી’ મુદ્દે પંચને ફરિયાદ કરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તો, 18 એપ્રિલે રાહુલ ગાંધીએ કેરળમાં કહ્યું હતું કે ભારતના 70 કરોડ લોકો કરતાં 22 લોકો વધુ અમીર છે. જો કાઁગ્રેસ સત્તા પર આવશે તો એક જ ઝાટકે ગરીબી ખતમ થઈ જશે. આ વાતનો ભા.જ.પ.ને વાંધો પડતાં તેણે સ્પષ્ટતા કરી કે મોદી સરકારનાં કાર્યકાળ દરમિયાન 25 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા હોય તો રાહુલ ગાંધી ગરીબી વધારવાના ખોટા દાવા કેમ કરી રહ્યા છે? મોદી કહે છે કે કાઁગ્રેસ આવશે, તો રામ મંદિર પર બુલડોઝર ફેરવી દેશે ને ખડગે કહે છે, મોદીનો એ આરોપ ખોટો છે, કાઁગ્રેસ મંદિર પર બુલડોઝર નહીં ફેરવે. કાઁગ્રેસ 55 વર્ષ સત્તામાં રહી, પણ તેણે કોઈને કોઇની પૂજા કરતાં રોક્યાં નથી કે નથી તો કોઈનું મંગલસૂત્ર છીનવ્યું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ પાકિસ્તાનથી ડરવું હોય તો વિપક્ષ ડરે, અમે તો પી.ઓ.કે. લઈને જ રહીશું, એમ પ્રચાર કરતાં રહે છે, તો સાહેબને પુછાય કે ભા.જ.પ.ને સરકારમાં આવ્યાને ય 10 વર્ષ થયાં. પી.ઓ.કે.નું મુહૂર્ત હજી આવ્યું નથી?

જોઈ શકાશે કે ભા.જ.પ. કે કાઁગ્રેસ ને અન્ય વિપક્ષો પણ વાણી વિલાસથી દૂર રહી શકતા નથી. એમાં પ્રજાનું શું ભલું થાય છે તે નથી ખબર, પણ હકીકત એ છે કે પ્રજા તો રોડ શો માટે, ભાષણો સાંભળવા કે પ્રચાર કરવા પૂરતી જ બચી ગઈ છે. તેને કોઈ લેખામાં લેતું જ નથી. પક્ષોનો હેતુ તો કેવળ સામેવાળાની ટીકા કરીને પોતાનું મહત્ત્વ સ્થાપવાનો જ છે. ભા.જ.પ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને એક મુલાકાતમાં પૂછવામાં આવ્યું કે પૂર્વ વડા પ્રધાન વાજપેયીના સમય વખતની અને હવે, આર.એસ.એસની સ્થિતિ કેવીક છે? નડ્ડાએ એના જવાબમાં કહ્યું કે શરૂઆતમાં ભા.જ.પ. સક્ષમ ન હતો, ત્યારે સંઘની જરૂર પડતી હતી, હવે અમે સક્ષમ છીએ અને જાતે નિર્ણય લઈ શકીએ છીએ, એટલો ફેર પડ્યો છે. એ તો અડવાણી, મુરલી મનોહર જોશી જેવાની સ્થિતિ પરથી પણ સમજી શકાય એમ છે કે ગરજ હોય ત્યારે ચપટી ધૂળ પણ ખપે છે ને કામ સરી જાય તો જે સીડી ચડીને ઉપર આવીએ એને લાત મારવાનો ય સંકોચ નથી થતો.

ગરજ સરી કે વૈદ વેરી-ની નવાઈ નથી ને ગરજવાનને અક્કલ ન હોય એવાં ઉદાહરણો પણ ભા.જ.પ.માં ખોળવા દૂર જવું પડે એમ નથી. ઓડિસાના પુરીના ભા.જ.પ.ના ઉમેદવાર સંબિત પાત્રા માટે વડા પ્રધાન મોદીએ રોડ શો કર્યો. એ પછી મીડિયા સાથે વાત કરતાં ભા.જ.પ.ના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ 20 મે-એ એવા ઉદ્દગાર કાઢ્યા કે ભગવાન જગન્નાથ પણ મોદીના ભક્ત છે. ભગવાન મોદીના ભક્ત છે કે નહીં, તે તો ભગવાન જાણે, પણ પાત્રા મોદીના ભક્ત છે તે તો આપોઆપ જ સિદ્ધ થઈ ગયું. આવો બફાટ નિર્દોષતાથી કે જીભ લપસવાથી થયો નથી. આ મોદી સાહેબને વહાલા થવા કહેવાયું છે ને તે એવા ભાવ સાથે કે માણસો તો ખરા જ, ભગવાન પણ મોદીના ભક્ત છે ! ભગવાન જગન્નાથ કરતાં પોતે વધારે છે એવું 10,000 ટકા મોદી તો નહીં જ માનતા હોય, પણ એમને માટે આવી માન્યતા આવા ગરજવાન પ્રવક્તા ધરાવે એ અક્ષમ્ય છે. આમાં તો એ પ્રવક્તા નહીં, પ્રબક્તા જ વધુ લાગ્યા છે. એ ખરું કે એમણે જીભ લપસી હોવાનું આગળ કરીને માફી માંગી લીધી ને સાથે જ ત્રણ દિવસના ઉપવાસની જાહેરાત પણ કરી દીધી. બોલ્યા તેની માફી માંગી ને બોલીને પોતાની જાહેરાત પણ કરી. ઉપવાસ પોતાને જ ખબર પડે એમ રાખ્યા હોત તો જાહેર જનતાને ખબર ન પડી હોત. એમને  ખબર પાડી દેવા ઉપવાસની જાહેરાત કરવામાં આવી.

ઓડિસાના મુખ્ય મંત્રી નવીન પટનાયક, કાઁગ્રેસ અધ્યક્ષ ખડગે, કાઁગ્રેસી સાંસદ રાહુલ ગાંધી જેવા ઘણા નેતાઓની ટીકાનો સંબિત પાત્રાએ સામનો કરવાનો આવ્યો. નવીન પટનાયકે સોશિયલ મીડિયા પર લખ્યું કે ભગવાન જગન્નાથ ભગવાન છે ને કોઈ ભગવાનને મનુષ્યનો ભક્ત કહેવો એ ઈશ્વરનું અપમાન છે. ખડગેએ કહ્યું કે સત્તાના નશામાં ધૂત ભા.જ.પ. ભગવાનને પણ છોડતો નથી. આ વાત વડા પ્રધાન જાણતા તો હશે જ, પણ તેઓ મગનું નામ મરી ભાગ્યે જ પાડે છે. પોતાના જ રાષ્ટ્રીય પ્રવક્તા ભગવાનને પોતાના ભક્ત ગણાવે ને એનો એમને વાંધો ન પડે એ વિચિત્ર છે. આવું વિધાન વિપક્ષમાંથી આવ્યું હોત તો વડા પ્રધાન ભાગ્યે જ ચૂપ રહ્યા હોત, પણ એમને વિપક્ષની ધોલાઈ કરવાનું ને પક્ષની સિલાઈ કરવાનું ફાવે છે. એ જે હોય તે, પણ આ મામલે એમણે કમ સે કમ પાત્રાની વાતનો રદિયો તો આપવો જ જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 મે 2024

Loading

૯૦મી વર્ષગાંઠ મુબારક રસ્કિન બૉન્ડ (જ. ૧૯ મે, ૧૯૩૪)

રૂપાલી બર્ક|Opinion - Opinion|23 May 2024

રસ્કિન બૉન્ડ

બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે મારા પિતા ઍરફૉર્સમાં હતા તેથી યુદ્ધમાં લડવા ગયા. મને દહેરાદૂનમાં મારા નાનાનાની સાથે રહેવા મોકલી દીધો, હું ૬ વર્ષનો હતો. મારા માટે કઠિન હતું — મારા પિતાની યાદ ખૂબ સતાવતી હતી. એક વર્ષ બાદ મારાં માતાપિતાના ડાઈવોર્સ થઈ ગયા. યુદ્ધ સમાપ્તિના આરે હતું ત્યારે અમને પત્ર મળ્યો કે ગોળી વાગવાથી મારા પિતાનું મૃત્યુ થયું છે. હું સાવ ભાંગી પડ્યો.

હું ખૂબ એકલો થઈ ગયો. થોડાંક વર્ષો બાદ મારી માતાએ બીજાં લગ્ન કરી લીધાં. પરંતુ હું મારા પિતાના સ્થાને અન્ય પુરુષને સ્વીકારી ન શક્યો. બાળપણમાં મારા ઓરમાન પિતા પ્રત્યે નારાજગી અનુભવતો હતો. આથી મેં મારી નાનકડી દુનિયા સર્જી લીધી — શાળા પત્યા બાદ હું પુસ્તક સાથે કોકડું થઈ બેસી જતો અને બીજું બધું ભૂલી જતો. એક રીતે પુસ્તકો મારા માટે છુટકારાનો માર્ગ હતાં — ૧૨ વર્ષની ઉંમરે હું અઠવાડિયાના પાંચથી વધુ પુસ્તકો વાંચી કાઢતો. મારો એકમાત્ર ધ્યેય મારા પ્રિય લેખકોનું અનુકરણ કરવાનો હતો. એટલે મેં ટૂંકી વાર્તા લખવાની શરૂ કરી.

૧૯૫૧માં મારી પ્રથમ વાર્તા સ્થાનિક મૅગૅઝીનમાં પ્રકાશિત થઈ. ત્યારે મારી ઉંમર ૧૬ વર્ષની હતી. હું બહુ ખુશ હતો. મેં મારી માતાને કહ્યું, “મારે લેખક બનવું છે. પરંતુ એણે મારી વાત પ્રત્યે ગંભીરતા ન દાખવી — મને કૉલૅજના અભ્યાસ માટે દરિયા વાટે ઈંગ્લૅન્ડ મોકલી દીધો.

આવનાર ૪ વર્ષોએ મને શીખવ્યું કે લેખક તરીકે જીવનનિર્વાહ કરવો કેટલો અઘરો છે. કૉલૅજ સમય બાદ હું ૪ અર્ધ-સમયની નોકરીઓ અને ટાંપા કરી મારું ગુજરાન ચલાવતો. દિવસના અંતે થાકીને લોથ થઈ જતો, તેમ છતાં રાત્રે લેખન કરતો. સપ્તાહના અંતે હું એકથી બીજા પ્રકાશનગૃહના આંટા મારતો, પરંતુ મારું લેખન ક્યાં ય સ્વીકારાતું નહોતું. તેથી કૉલૅજ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મેં ભારત પાછા ફરવાનો નિર્ણય લીધો. વહાણમાં બેઠો કે તરત મને પોસ્ટકાર્ડ મળ્યો કે મારી એક વાર્તા પ્રકાશન માટે પસંદ થઈ છે અને એમણે મને £૫૦નો ચૅક મોકલી આપ્યો છે.

ભારતમાં મારી માતા અને ઓરમાન પિતા દિલ્હી રહેવા જતા રહ્યાં હતાં. મારા નાનાનાની ગુજરી ગયાં હતાં. એટલે મેં મસૂરીમાં એક નાનો અપાર્ટમૅન્ટ ભાડે રાખ્યો અને એકલો રહેવા લાગ્યો. દરરોજ હું દૈનિકો પર વાર્તામારો કરતો — એક વાર્તા પ્રકાશિત થાય એના મને ૫૦ રૂ. મળતા. હું એટલાથી સંતુષ્ટ હતો. ૧૯૫૬માં મેં ‘નાઈટ ટ્રેન ઍટ દેઓલી’ લખી જે ખૂબ પ્રસિદ્ધ થઈ. હું ૨૪ વર્ષનો હતો અને રેલવે સ્ટેશન પર છોકરીઓ સાથે પ્રેમમાં પડવાની બહુ વાર્તાઓ લખતો. પરંતુ વાસ્તવમાં એમાંથી એકેય છોકરીએ મને વળતી લાગણી દર્શાવી નહીં. એટલે આ રહ્યો હું, ૮૭ વર્ષે હજુ કુંવારો છું.

લેખક હોવાના કારણે મને નાણાંની ખૂબ તંગી પડતી. એથી હું દિલ્હી જઈ પરચૂરણ નોકરી કરતો અને પૂરતા નાણાં આવી જાય એટલે પર્વતમાં જઈ લેખન કરતો. ૧૯૯૦ના દાયકામાં મને ખ્યાલ આવ્યો કે હું લોકપ્રિય છું. એક વખત હું સ્ટેશન પર હતો ત્યારે ત્રણ બાળકો મારી તરફ આંગળી ચીંધીને ઉત્સાહથી બોલ્યા, “રસ્કિન બૉન્ડ, રસ્કિન બૉન્ડ”. હાશકારા સાથે મેં મનમાં વિચાર્યું, ‘ચાલો, કોઈક તો મને ઓળખે છે.’

છેલ્લાં ૩૦ વર્ષોથી મારી દિનચર્યા બદલાઈ નથી — સવારે પર્વતના ઢાળ પર ચાલવા જવું, ટી.વી. જોવું અને લેખન કરતાં કરતાં મારા પ્રિય મટન કટલૅટ માણવા. ઉંમર વધવાને કારણે મને ઝોંકા ખાવાની મજા પડે છે. શનિ-રવિના દિવસે અહીંના એકમાત્ર બૂકસ્ટોરમાં જઈ લોકો સાથે વાર્તાલાપ કરું છું અને હવે મારા ગૉડ-સન્સે મને ઈનસ્ટાગ્રામ પર મૂકી આપ્યો છે — એને કેવી રીતે વાપરવું એ પણ શીખવાડતો ય જાય છે પરંતુ મેં પ્રયત્ન પડતો મૂકી દીધો છે. હસીને એને કહું છું, “હું મારાં પુસ્તકો સાથે ખૂબ ખુશ છું. મને આ ઑનલાઈન વિશ્વનો હિસ્સો ના બનાવશો.”

સ્રોત: republicworld.com
ફોટો: timesofindia.indiatimes.com
e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

સુંદરતાઘેલા સમાજમાં પ્રાચી નિગમનું દસમી ટોપર થવું …

ચંદુ મહેરિયા|Opinion - Opinion|23 May 2024

ચંદુ મહેરિયા

ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ બોર્ડની ૨૦૨૪ની દસમા ધોરણની પરીક્ષામાં ૯૮.૫૦ ટકા માર્ક્સ મેળવી પ્રથમ આવેલી પ્રાચી નિગમે બે ચાર દિવસ પછી જ પત્રકારોને અફસોસ સાથે કહ્યું કે મારે થોડા ઓછા માર્ક્સ આવ્યા હોત અને ટોપર ના બની હોત તો સારું. પ્રાચીને કેમ આવું કહેવું પડ્યું?  તેનાં કારણો જાણીએ તો સ્વાભાવિક જ રોષ જન્મે છે. પંદર વરસની આ કન્યા યુ.પી.ના સીતાપુર જિલ્લાના મહેમુદાબાદની સીતા ઈન્ટર કોલેજમાં ભણતી હતી. તેની તેજસ્વીતા, મહેનત અને લગનનું પરિણામ હતું કે સમગ્ર રાજ્યના પંચાવન લાખ પરીક્ષાર્થીઓમાં તે પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ. તેની સફળતાના ઓવારણા તો લેવાતા હતા જ. પરંતુ સમાજનો એક વર્ગ તેને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરતો હતો. પ્રાચીના અપરલિપ્સ પર વાળ છે તે તેની તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે. બાહ્ય સુંદરતાઘેલા કેટલાક લોકોને તેનો જ વાંધો પડ્યો. એટલે કોઈએ આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ થકી તેના ચહેરાને રૂપાળો બનાવ્યો, કોઈએ શેવ કરવાની સલાહ આપી, કોઈએ મિમ્સ બનાવ્યા, ઘણાંએ ભણવા સાથે ચહેરાની માવજત કરવા કહ્યું  અને બહુ બધાએ તેના ચહેરા પરના વાળની મજાક કરી. સફળતાના સર્વોચ્ચ શિખરે પહોંચેલી આ કન્યા ટ્રોલિંગથી આહત ન થાય તો જ નવાઈ. આરંભિક અફસોસ પછી પ્રાચીએ જાતને સંભાળી લીધી અને ટીકાખોરોની જમાતને દમદાર જવાબ પણ આપ્યો.

કેટલીક મહિલાઓને શરીર પરનાં અનિચ્છનીય વાળનો સામનો કરવો પડે છે. ચહેરો, હાથ, પીઠ અને છાતી પર વાળ ઉગવાનું કારણ બાયોલોજિકલ, હોર્મોનલ ઈમ્બેલેન્સ કે અસંતુલિત હોર્મોન્સ છે. પ્રાચીના ચહેરા પર મૂછ જેવા જે વાળ ઉગ્યા છે તેને પ્રાચી, તેનો પરિવાર, શાળાના શિક્ષકો અને તેના સહાધ્યાયીઓએ કશું મહત્ત્વ આપ્યું નથી. પરંતુ તે ટોપર બનતાં તેની તસવીરો અનેક માધ્યમોમાં પ્રગટ થતાં તે મજાક અને ટીકાનું પાત્ર બની છે. પ્રાચી કોઈ ગોખણશી છોકરી નથી. ઉચ્ચ મૂલ્યો અને સકારાત્મ્ક વિચારો સાથે તે ભણે છે. ટ્રોલિંગ જે હદે થયું તે હદની નહીં તો તેનાથી વધતી-ઘટતી સ્થિતિનો સામનો તેણે અગાઉ ઘણી વાર કર્યો છે. આગળ અભ્યાસ જારી રાખીને ઈજનેર બનવા માંગતી આ કિશોરી માટે તેનું ધ્યેય અગત્યનું છે નહીં કે શરીરની બનાવટ. તેણે ટ્રોલરિયાઓને રોકડું પરખાવતાં કહ્યું છે કે જ્યારે જરૂર જણાશે ત્યારે હું મારો ઈલાજ કરાવી લઈશ પણ હાલમાં તો મારું લક્ષ મન દઈને ભણવાનું છે. વિષાક્ત સાઈબર સ્પેસ સંદર્ભે પ્રાચી માને છે કે ક્ષણિક્નું મનાતું ટ્રોલિંગ પણ વ્યક્તિ પર નકારાત્મક અસર કરે જ છે તેથી આવા તત્ત્વો પર કાર્યવાહી થવી જોઈએ.

પ્રાચી નિગમ

પ્રાચીને ટીકાકારોની જેમ સમર્થકો પણ મળ્યા છે. તેની જ સ્કૂલના બે અન્ય ટોપર્સ હેમંત વર્મા અને જ્ઞાનેન્દુ વર્માએ # ડોન્ટ ટ્રોલ પ્રાચી કેમ્પેન શરૂ કર્યું છે. તેને ઘણો હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર પ્રાચી વિશેની સઘળી ટિપ્પણીઓનો આ સહપાઠીઓ જ જવાબ વાળે છે. શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સતત પ્રાચીના પક્ષે રહ્યા છે. સુંદરતાને સર્વોચ્ચ માનતા લોકોને સ્કૂલ પ્રિન્સિપાલ બહુ ગંદી ભાવના ધરાવનારા ગણાવે છે.

પ્રાચીના ટેકામાં બોમ્બે શેવિંગ કંપનીએ જાહેરખબર પ્રકાશિત કરી છે. જેમાં તેણે પ્રાચીનો બચાવ કર્યાનો દાવો કર્યો છે. કંપનીએ ડીયર પ્રાચીના સંબોધન સાથેની એડમાં લખ્યું છે કે જે લોકો આજે તારા ચહેરા પરના વાળને લીધે તને ટ્રોલ કરી રહ્યા છે તે કાલે પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ માટે  તારી પ્રસંશા કરશે. જો કે કંપની જાહેરખબરમાં તેનું તકવાદી માનસ પ્રગટ કરતાં ના રહી શકી. તેણે માર્કેટિંગ કરતાં લખ્યું, અમે આશા રાખી છીએ કે અમારું રેઝર ઉપયોગ કરતાં જ તને કોઈ પરેશાન નહીં કરે. કંપનીની આ એડ્નો વ્યાપક વિરોધ થયો છે. એડવર્ટાઈઝીંગ સ્ટાન્ડર્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા(ASCI)એ લોકોના આક્રોશની નોંધ લઈને આ જાહેરખબરની તપાસ શરૂ કરી છે. સરકારના ઈશારે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (PGI), લખનૌએ પ્રાચીના મફત ઈલાજની ઓફર કરી છે.

આખરે આ સુંદરતા એટલે શું અને તેના માપદંડો ક્યા ? સુંદરતાને પરિભાષિત કરવી કઠિન છે. બાહ્ય સુંદરતા કે શરીરની સુંદરતા પિતૃસત્તાત્મક વિચારની પેદાશ છે. જેણે મહિલાઓના માથે તે થોપી છે. લગભગ તમામ વયની મહિલાઓને સુંદરતા વળગાડી છે. પણ કિશોર અને યુવાન વયમાં તે વિશેષ છે. લગ્ન વિષયક જાહેરાતોમાં ગોરી, નમણી,નાજુક, સમપ્રમાણ કદ કાઠી, કાળા લાંબા ભરાવદાર અને સીધા વાળ, નાનું નાક અને મોટી પાણીદાર આંખો ધરાવતી  મહિલાઓની માંગ સૌ કોઈ કરે છે. પુરુષોની સુંદરતાની સમજ જ નહીં સોંદર્યના બજારની પણ આ માયાજાળ છે.

સોંદર્યનું બજાર કદી મંદ પડતું નથી. સોંદર્ય પ્રસાધનોની વિશ્વની ટોપ બ્રાન્ડ ભારતમાં પુષ્કળ કમાણી કરે છે. ભારતનો કોસ્મેટિક ઉદ્યોગ સૌથી વધુ કમાણી કરતો વિશ્વનો ચોથા નંબરનો ધંધો છે. શરીર સોંદર્ય અને વ્યક્તિગત માવજતના સાધનોનું બજાર ૨૦૨૦માં એક લાખ કરોડ રૂપિયાનું હતું જે આવતા વરસે બે લાખ કરોડનું થવાનું છે. સુંદરતાના બજાર અને સમાજે બનાવેલા વિચારજડ માપદંડોમાં મહિલાઓ જકડાયેલી છે. એટલે પોતાની નાની શી બદસૂરતી પણ તે બરદાસ્ત કરતી નથી અને પોતાના આવા શરીરને તે ખુદ જ સ્વીકારતી નથી. અભાવગ્રસ્ત જિંદગી અને તેની જદ્દોજહદ વચ્ચે શરીરની બહારની સુંદરતાની તેની સમજ બજાર પર આધારિત છે. સુંદરતાના બજારની સૌથી મોટી ગ્રાહક મહિલાઓ જ હોય છે. હવે તેમાં પુરુષો પણ ફસાયા છે. ગોરા થવાની મેન્સ ફેરનેસ ક્રીમ અને સાબુ પણ ધૂમ વેચાય છે. ભારતના કુલ સોંદર્ય બજારનો ચોથો ભાગ તો નાહવાના સાબુનો છે. ગોરી ચામડી માટેના પ્રસાધનો ૨૦ ટકા અને માથામાં નાંખવાના તેલનો  હિસ્સો ૧૫ ટકા છે.

પ્રાચી નિગમના અપરલિપ્સ પરના વાળની મજાક કરતો સુંદરતાઘેલો સમાજ ખરેખર તો સુંદરતાના બજારથી ઘેરાયેલો છે. બોડી શેમિંગની નઠારી અસર બાળકોના મન પર પડે છે. તેઓ લઘુતાગ્રંથિ કે હીન ભાવ અનુભવે છે. તેની અસર તેમના અત્મવિશ્વાસ અને અભ્યાસ પર પડે છે. ફિલ્મો, સોંદર્ય પ્રસાધનના સાધનોના વિજ્ઞાપનો અને નટનટીના રૂપાળા દેખાવાના ખર્ચા અને નખરાંથી અછૂતા રહી શકતી પ્રાચી જેવી કોઈ વિરલ તેજસ્વી કન્યા પણ મજાક અને આલોચનાનો શિકાર બને છે. તો સામાન્ય દેખાવના લોકોનું તેની સામે ટકવાનું શું ગજું. સોશ્યલ મીડિયા અને દેખાવડા લોકોને ઈન્સ્ટાગ્રામ જેવા માધ્યમ પર મળતી પ્રાથમિકતા પણ બળતામાં ઘી હોમે છે. 

દરમિયાન હાલમાં તો દસમી ટોપર પ્રાચીને અભિનંદન અને સોંદર્યઘેલછાની દેશવ્યાપી ચર્ચા માટે આભાર.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...560561562563...570580590...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved