Opinion Magazine
Number of visits: 9457130
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઊંચું પરિણામ, હતાશાને નામ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 May 2024

રવીન્દ્ર પારેખ

22 મે, 2024ને રોજ મહારાષ્ટ્ર હાયર સેકન્ડરી સર્ટિફિકેટ(HSC)નું 93.37 ટકા પરિણામ આવ્યું, એમાં પણ સાયન્સનું પરિણામ 97.82 ટકા, કોમર્સનું 92.18 ટકા અને આર્ટ્સનું 85.88 ટકા આવ્યું. આટલું ઊંચું પરિણામ આવ્યું હોવા છતાં, મલાડ કોલેજની એક 17 વર્ષની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી. તે એટલે કે તેને 90 ટકા માર્કસની અપેક્ષા હતી, પણ તેટલા ટકા ન મળતા તે હતાશ થઈ ને તેણે જીવન ટુંકાવી લીધું. જો કે, તેના 78 ટકા તો આવ્યા જ હતા, પણ આત્મહત્યા કરી લેતાં તેનો કોઈ અર્થ રહ્યો નહીં. એક સમય હતો જ્યારે કોઈના 78 ટકા આવે તો તેને માટે અહોભાવ થતો ને હવે 90 ટકા લાવનારા ગધેડે ગવાય છે. આ ઊંચું પરિણામ કુદરતી છે કે તે મેનેજ કરવામાં આવે છે તે ઉઘાડું રહસ્ય છે. આમ તો ઊંચું પરિણામ આનંદનો વિષય ગણાય, પણ તે હતાશા પણ જન્માવે છે ને તેની આડઅસરો જોવા – તપાસવા જેવી છે.

ધોરણ 10 અને 12નું ઊંચું પરિણામ આપીને ગુજરાત શિક્ષણ બોર્ડ ભયંકર ગરમીમાં એ.સી. કેબિનોમાં ઘોરતું હોય એમ બને, પણ આ ઊંચાં પરિણામોએ આગળના વર્ગોમાં પ્રવેશના જે પ્રશ્નો ઊભા કર્યા છે, તે અભૂતપૂર્વ હોય તો નવાઈ નહીં. આ વખતનું ધોરણ 10નું ગુજરાત શિક્ષણ બોર્ડનું પરિણામ 82.56 ટકા આવ્યું ને ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ, 91.93 ટકા અને વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા આવ્યું. સામાન્ય પ્રવાહમાં 91થી 100 ટકાની શ્રેણીમાં 1,034 વિદ્યાર્થીઓ છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં 91થી 100 ટકા મેળવનારની શ્રેણીમાં 5,508 વિદ્યાર્થીઓ છે. માત્ર સુરતની વાત કરીએ તો સી.બી.એસ.ઈ.માં 99 ટકાથી પણ વધુ માર્કસ મેળવનારની સંખ્યા 4ની હોય તો બોર્ડમાં કેટલા હશે તે કલ્પી શકાય એવું છે. ગુજરાત શિક્ષણ બોર્ડનું પરિણામ વધારે લાગતું હતું, ત્યાં સી.બી.એસ.ઇ.નું પરિણામ તો તેને પણ ટપી જાય તેવું આવ્યું. ધોરણ 10નું ગુજરાત બોર્ડનું પરિણામ 82.56 ટકા છે, જ્યારે સી.બી.એસ.ઇ.નું 10નું પરિણામ 93.60 ટકા છે. પરિણામોનો અને માર્કસનો આવો ફુગાવો અગાઉ જોવાયો નથી. 91 ટકાથી વધુ માર્કસ મેળવનાર ગુજરાતમાં 23,247 છે, જ્યારે સી.બી.એસ.ઇ.માં એ સંખ્યા 47,983ની છે. એ ખરું કે 23,247નો આંકડો ગુજરાતનો છે, જ્યારે 47,963નો આંકડો દેશનો છે, એટલે સ્વાભાવિક રીતે જ તે આંકડો મોટો હોવાનો, પણ દેશમાં 91 ટકાથી વધુ ટકા લાવનારની સંખ્યા 50 હજારની નજીક હોય એ આશ્ચર્ય અને આઘાતજનક નથી?

આખા દેશમાં ભણાવનારમાં કે ભણનારમાં એવું કૈં અભૂતપૂર્વ બન્યું નથી કે આવાં અભૂતપૂર્વ પરિણામ આવે. આ વખતે પણ પ્રશ્નપત્રોમાં ગરબડો હતી, પરીક્ષામાં ચોરીઓ થઈ હતી, જે તે વિષયના પરીક્ષકો મળ્યા ન હતા, આમાં અસામાન્ય હતું તે એ કે આ વખતે લોકસભાની ચૂંટણી સામે હતી ને પરિણામો વહેલાં જાહેર કરવાની જાહેરાતો થઈ ચૂકી હતી, એમાં ય સમય તો ન જ સચવાયો, પણ પરિણામો જાહેર કરવાની ઉતાવળ તો હતી જ, બને કે એમાં જ કૈં ઊંધું મરાયું હોય. પરિણામ આપી દેવાની ઉતાવળમાં માર્કસ આડેધડ મુકાયા હોય એમ બને. જો કે, પરિણામ તો આખા દેશમાં 90 ટકાની આસપાસ આવ્યાં છે, તો બધે જ ઊંધું મરાયું હોય એવું તો ન હોય. એ જે હોય તે, પણ આ કુદરતી નથી એટલું નક્કી ! વહેમ તો એવો પડે છે કે આ બધું ખાનગી સ્કૂલ-કોલેજોને ઉત્તેજન આપવા થઈ રહ્યું છે.

ગુજરાતની વાત કરીએ તો સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરીને સરકારી સ્કૂલો બંધ થાય તેવી પેરવીમાં છે. મોટે ભાગે સરકારી સ્કૂલોમાં સાધારણ કુટુંબનાં વિદ્યાર્થીઓ એટલે ભણે છે કે ફીનો બોજ ઘર પર ન પડે, પણ એ બોજ સરકાર પણ ઉઠાવવા તૈયાર નથી. આમ તો એ ખર્ચ પ્રજાના ટેક્સમાંથી જ થાય છે, પણ સરકારને તે ગજવામાંથી કાઢવો પડતો હોય તેમ તે એ જવાબદારીમાંથી હાથ કાઢી લેવા માંગે છે. જતે દિવસે ખાનગી સ્કૂલ-કોલેજો જ ચાલે તેની વેતરણમાં સરકાર છે. એમાં આ વખતના પરિણામો એ રીતે સેટ થયાનું લાગે છે કે ઊચ્ચ ટકા મેળવવા છતાં વિદ્યાર્થીઓને ખાનગીમાં જવાની ફરજ પડે. ગુજરાતની વાત પણ જવા દઈએ ને માત્ર સુરતનો જ ને તે પણ 11 સાયન્સમાં એડમિશન પૂરતો જ વિચાર કરીએ, તો જે ચિત્ર ઊભું થાય છે તે કૈંક આવું છે –

આ વખતે ધોરણ 10માં A-1 ગ્રેડમાં એટલે કે 91 ટકાથી 100 ટકાની શ્રેણીમાં 4,870 વિદ્યાર્થીઓ આવ્યા છે. અન્ય શ્રેણીની તો વાત જ નથી, માત્ર 91 ટકાથી ઉપરના જ આટલી સંખ્યામાં છે. હવે નજીવી ફી ભરીને ગ્રાન્ટેડ સ્કૂલોમાં એડમિશન લઈ શકાય, એવા 11 સાયન્સના 14 વર્ગો છે. એમાં દરેક વર્ગમાં 60 વિદ્યાર્થીઓ સમાવી શકાય કે બહુ બહુ તો બીજી 20 સીટ વધે તો પણ 1,120 વિદ્યાર્થીઓથી વધુ વિદ્યાર્થીઓ સમાવી ન શકાય. જો 91 ટકાથી વધુ માર્કસવાળા 4,870માંથી 1,120, 14 વર્ગોમાં સમાવાય તો પણ, 3,750 વિદ્યાર્થીઓ ગ્રાન્ટેડ સ્કૂલોમાં પ્રવેશથી વંચિત રહે એમ બને. મેરિટ 90 ટકાથી ઉપર હોય ને 90 ટકાથી વધુ ટકા લાવનાર 3,750 વિદ્યાર્થીઓ જ પ્રવેશ ન મેળવી શકે તો એનો કોઈ અર્થ ખરો? 50 ટકાવાળો તો પ્રવેશથી વંચિત રહે જ, પણ 91 ટકાવાળો પણ પ્રવેશ વગર ફાંફાં મારે એવી સ્થિતિ આ વખતના પરિણામોએ સર્જી છે. શિક્ષણ વિભાગને આનો ખ્યાલ જ ન હોય એવું તો ન બને ને એવું બન્યું છે કે સેંકડો વિદ્યાર્થીઓ 90થી વધુ ટકા હોવા છતાં એડમિશનથી વંચિત રહે.

ધારો કે, એક વર્ગમાં કુલ 80 વિદ્યાર્થીઓ સમાવવાની છૂટ અપાય છે, તેમાં બધા 90 ટકાવાળા જ સમાવાય એવું પણ નથી. ગયે વર્ષે 75 વિદ્યાર્થીઓ સમાવવાનું નક્કી થયેલું, તેમાં 25 વિદ્યાર્થીઓ જે તે સ્કૂલના, 6 વિદ્યાર્થીઓ અન્ય શાળાના ને 44 જુદી જુદી કક્ષાના અનામત વિદ્યાર્થીઓ હોય એવું નક્કી થયેલું. એ હિસાબે 90 ટકાવાળા તો 31 (25+6) વિદ્યાર્થીઓ જ સમાવાય, બાકીના 44 વિદ્યાર્થીઓ અનામત કક્ષાના સમાવવાના હોવાથી, ને તે 90 ટકાવાળા જ હોય એવું જરૂરી નથી, એ સ્થિતિમાં દરેક સ્કૂલમાં 91 ટકાથી વધુ ટકાવાળા 31 વિદ્યાર્થીઓથી વધુ સમાવી ન શકાય. એટલે કે 75નો વર્ગ હોય તો ગ્રાન્ટેડ સ્કૂલોના 14 વર્ગમાં 91થી વધુ ટકાવાળા 434 (31×14) વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવી શકે ને 3,436 (4,870-434) વિદ્યાર્થીઓ 91 ટકાથી વધુ માર્કસ હોવા છતાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં પ્રવેશ ન મેળવી શકે.

હવે પાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલોની સ્થિતિ જોઈએ. તેનાં ધોરણ 10માં ભણતા 3,798 વિદ્યાર્થીઓ પાસ થયા છે ને તેની 11માં ધોરણની 18 સ્કૂલમાં સીટ 1,400 જ છે. એટલે તે પોતાનાં જ 2,398 વિદ્યાર્થીઓને સુમન હાઈસ્કૂલો પ્રવેશ આપી શકે એમ નથી. સંખ્યા દરેક સ્કૂલમાં બમણી વધારાય તો પણ સેંકડો વિદ્યાર્થીઓ પોતાની જ સ્કૂલમાં એડમિશન ન મેળવે એવી હાલત છે. ટૂંકમાં, 91 ટકાથી વધુ માર્કસ લાવવા છતાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં સાયન્સમાં એડમિશનનાં ફાંફાં છે ને 10 વર્ષ જે સ્કૂલમાં ભણ્યા હોય એવા હજારો વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલમાં જ પ્રવેશ મેળવી શકે એમ નથી.

તો, આ સ્થિતિ છે – બોર્ડનાં ઊંચાં પરિણામોની. આ સ્થિતિમાં થશે શું, તે જોઈએ. સેંકડો વિદ્યાર્થીઓ ગ્રાન્ટેડ સ્કૂલોમાં પ્રવેશ નહીં મેળવી શકે ને તેમણે નોન-ગ્રાન્ટેડ સ્કૂલોમાં ઊંચી ફી ભરીને એડમિશન લેવું પડશે. જો આર્થિક સ્થિતિ સારી નહીં હોય, તો પોતાનાં ઊંચાં પરિણામ છતાં વિદ્યાર્થીએ અભ્યાસ છોડવો પડશે. સાયન્સમાં પ્રવેશની બધી પાત્રતા છતાં, વિદ્યાર્થીઓનાં આગળ ભણવાનાં સપનાં રોળાય એમ પણ બને. આ સ્થિતિ વિદ્યાર્થીઓમાં હતાશા જન્માવે ને તે ડિપ્રેશનનો શિકાર બને ને કોઈ અજુગતું પગલું ભરે એ શક્યતા પણ નકારી ન શકાય. તો, સવાલ એ થાય કે ઊંચું પરિણામ આવાં પરિણામો માટે અપાય છે?

ઊંચું પરિણામ જોઈને રાજી થતાં સાહેબો ને બોર્ડના અધિકારીઓ વિદ્યાર્થીઓમાં હતાશા જન્મે એની ચિંતા કે કલ્પના કરે છે ખરા? સવાલોનો સવાલ તો એ છે કે આખા દેશનાં સતત ઊંચાં પરિણામો ને માર્કસના ફુગાવાથી શિક્ષણ જગત સિદ્ધ શું કરવા માંગે છે? વિદ્યાર્થીઓને વધુ માર્કસ આપીને ભણતા અટકાવવાનો ઇરાદો અણી શુદ્ધ નથી. અહીં તો સાયન્સ સંદર્ભે ધોરણ 11માંના પ્રવેશની માત્ર સુરતની જ વાત કરી છે, અન્ય શહેરોમાં પ્રવેશની શી સ્થિતિ હશે એની તો કલ્પના જ કરવાની રહે છે. વારુ, ઊંચાં પરિણામની આવી જ સ્ફોટક સ્થિતિ ધોરણ 12ની પણ છે. 12માંમાં પણ વધુ ટકા લાવનાર ઘણા વિદ્યાર્થીઓને ગ્રાન્ટેડ કોલેજમાં એડમિશન મળવાની મુશ્કેલીઓ જ છે. એવા વિદ્યાર્થીઓએ પણ ખાનગી કોલેજોમાં લાખો રૂપિયા ફીના ખર્ચીને ભણતર પૂરું કરવાનું રહે અને આર્થિક સ્થિતિ સારી નહીં હોય તો ભણવાનું છોડીને નાનીમોટી નોકરીથી જ સંતોષ માનવાનો રહે ને એ જો સહન ન થાય તો ડિપ્રેસ્ડ મૂડમાં વીતવાનું રહે. આમ તો પાત્રતા શિક્ષણ વિભાગની છે, પણ એ ઢાંકણીમાં પાણી નહીં જ લે, એ કામ એ વિદ્યાર્થી, વાલી કે શિક્ષક પાસેથી કરાવે એમ બને. હવે તો 90 ટકાવાળાએ પણ આપઘાત કરવાના દા’ડા આવ્યા છે, એ શિક્ષણ જગતની બલિહારી નથી તો બીજું શું છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 મે 2024

Loading

‘ફોરેન’ ગોઠવાઇ જવાના અભરખા અભેરાઇએ નાખી દેવાનો વખત પાકી ગયો છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|26 May 2024

એક સમયે ‘હોટ’ ગણાતા રાષ્ટ્રોમાં આર્થિક અસમાનતા, બેરોજગારી, મોંઘવારી સાથે રંગભેદ જેવી સમસ્યાઓનો સામનો કરનારા ભારતીયોએ ઘર ભણી નજર કરવાની જરૂર છે

ચિરંતના ભટ્ટ

“અમારો બાબો તો ફોરેન જ સેટલ થવાનો, એવી જ રીતે તૈયારી કરે છે બધી”, “અમારી બેબી માટે ત્યાંનો જ છોકરો શોધીએ છીએ, આ તો શું કે અહીં આમે ય કશું રાખ્યું નથી, ત્યાં જાય તો સારું ને!” આવા સંવાદો ગુજરાતી ઘરો માટે બહુ સામાન્ય છે. એકદમ સાધારણ પરિસ્થિતિમાં રહેનારા લોકો પણ વિદેશ જવાના, ત્યાં કાળી મજૂરી કરવાનાં, ત્યાંથી પોતાને વતન પૈસા મોકલવાના અને ભારત પાછા આવે ત્યારે ડોલર્સ ખર્ચીને સામે વાળાને પ્રભાવિત કરી દેવાના સપનાં સેવે છે. આ એંશી-નેવુંના દાયકામાં એક જુવાળ સમાન ચાલતું અને પછી ધીરે ધીરે વિદેશ ભણવા જનારાઓની સંખ્યા વધી. ‘બ્રેન ડ્રેઇન’ શબ્દથી આપણે કોઇ અજાણ્યા નથી. સુંદર પિછાઇ જેવા ભારતીયોના ઉદાહરણ અપાય કે જો એ ત્યાં જઇને આટલું મેળવી શકે તો એ તો દરેક માટે પ્રેરણારૂપ કહેવાય, વગેરે – જો કે આવા વિધાનો કરવામાં કોઇ બહુ લાંબું વિચારતું નથી કે ન તો સામી વ્યક્તિના બેકગ્રાઉન્ડને ગણતરીમાં લેવાની તસ્દી લે છે. ટૂંકમાં ઉચ્ચ સ્તરીય શિક્ષણ અને જીવનનું બહેતર સ્તર માત્ર ગુજરાતીઓને જ નહીં પણ ભારતીયોને વિદેશ તરફ આકર્ષતું રહ્યું છે. જો કે હવે આ સપનાં ઝાંખાં પડતાં જાય છે.

યુ.એસ.એ, યુ.કે., કેનેડા, ઑસ્ટ્રેલિયા, યુરોપ – આ બધા એક સમયે એવા રાષ્ટ્રો ગણાતા જ્યાં જતાં જ ભલભલાની કિસ્મત ચમકી જશે એમ માનવામાં આવતું પણ કમનસીબે હવે આ રાષ્ટ્રોની રાજકીય, આર્થિક સ્થિતિ અને ભારતીયો પ્રત્યેનો તેમનો ભેદભાવ ભર્યો અભિગમ એ રીતે સપાટી પર આવી રહ્યાં છે કે વિદેશ જવાની લ્હાયમાં આંધળુકિયા કરવાનું લોકો ટાળે છે.

વિદેશની યુનિવર્સિટીમાંથી ભણી પરવારેલા વિદ્યાર્થીઓને સારી નોકરી મળવાનું મુશ્કેલ બની રહ્યું છે. અમુક દેશોમાં તો રહેવાની વ્યવસ્થા જ નથી કારણ કે માણસો વધારે અને ઘરો ઓછાં વાળી સ્થિતિ છે એટલે ભાડાં તગડાં છે જેને કારણે વિદેશ ગયેલાં કેટલા ય લોકોને માથે છત ન હોવાની હાલત ખડી થઇ છે. વર્ક વિઝા અને પી.આર. – પરમેનન્ટ રેસિડન્સી – કાયમી રહેવાસને લગતા નિયમો કડક બન્યા હોવાથી વિદેશમાં વસવાનું સપનું લઇને ત્યાં પહોંચેલા ભારતીયો પણ ગુંચવાયા છે. ત્યાં ભણવા જવું અને પછી ત્યાં ગોઠવાઇ જવાનું સપનું જોનારા હવે સાવચેતી ભર્યા પગલાં લે છે. કેટલા બધા ભારતીયો જે અત્યારે વિદેશમાં છે એ લોકોની હાલત પણ કફોડી છે. કોવિડ રોગચાળાની અસરો ત્યાંના જોબ-માર્કેટ પર હજી પણ વર્તાય છે. જાપાન અને યુ.કે.માં ટેક્નિકલ મંદીનું મોજું ફરી વળ્યું હતું તો જર્મની, કેનેડા અને ઑસ્ટ્રેલિયા પણ એ જ રસ્તે છે. જે.પી. મોર્ગનના એક રિપોર્ટ અનુસાર મંદી તાત્કાલિક નહીં તો 2025 સુધીમાં તો અમેરિકામાં પણ વર્તાશે. દુનિયા આખીમાં બિઝનેસિઝ સંકોચાઇ રહ્યા છે, ઓછા લોકોમાં કામ થઇ શકતું હોય એવા રસ્તા શોધવામાં આવે છે અને માટે જ નોકરીની તકો પાંખી બની છે. ટેક જાયન્ટ્સ ગણાતી કંપનીઓમાં ઢગલો નોકરીઓ રહેતી એ પણ હવે ગાયબ થઇ રહી છે. ટેક કંપનીઝમાં થતી છટણીના સમાચારો ગયા વર્ષે તો બહુ ઝળક્યા – મેટા પ્લેટફોર્મ્સ હોય કે ગૂગલ કે પછી એમેઝોન – ઘણાં ભારતીયો અહીં થયેલી છટણીનો ભોગ બન્યા. આ કારણે કાં તો તેમણે વર્ક વિઝા પર જેટલો સમય બચ્યો હોય તે ગણતરીમાં લઇને કાં તો ત્યાં બીજી નોકરી શોધી લેવી પડી અથવા તો ઘર ભેગા થવું પડ્યું. જે રાષ્ટ્રોમાં છટણી થાય અથવા તો નોકરીની થોડી ઘણી તકોની શક્યતા પણ હોય એ રાષ્ટ્રો પોતાના નાગરિકોને નોકરી આપવાને અગ્રિમતા આપે તે સ્વાભાવિક છે. વર્ક વિઝા પર કામ કરવા ગયેલા ભારતીયો તેમની પહેલી પસંદ નથી હોતા. યુ.એસ.એની જ વાત કરીએ તો એવા ભારતીયો જે ભણીને ત્યાં ગોઠવાયા છે, હોમ મોર્ટેગેજ લીધા છે, બાળકોને ત્યાંની સ્કૂલમાં ભણવા મુક્યાં છે તેમની પાસે કોઇ વિકલ્પો નથી બચ્યાં. તે ન તો ભારતના રહ્યાં છે ન તો વિદેશનાં! કેટલા ય લોકો ઘર ભેગાં થઇને ઓછા પગારમાં નોકરી સ્વીકારીને ભારતમાં જ ગોઠવાઇ ગયા છે તો કેટલાક, જે યેનકેન પ્રકારેણ વિદેશમાં જ રહેવા માગે છે એમણે ત્યાં ઓછામાં ઓછા પગારની નોકરી મળી હોય તો એ સ્વીકારી લીધી છે. ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ હાલત કંઇ અલગ નથી. જે લોકો ત્યાં ભણવા ગયા હોય છે તેવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી માંડ અડધા લોકોને ફૂલ ટાઇમ નોકરી મળે છે. બીજાઓ આટલું ભણ્યા પછી પણ ઓછા પગારની લો-સ્કીલ્ડ નોકરીઓ કરે છે. વળી વિદેશમાં રહેવાની સમસ્યા પણ મોટી છે. મોટાભાગના યુરોપિયન દેશોમાં ભાડા બહુ વધારે છે. નાના ઓરડામાં ક્ષમતા કરતાં વધારે લોકો રહેતા હોય એવું મુંબઈમાં જ થાય છે એમ નથી પણ યુરોપ, ઑસ્ટ્રેલિયા અને કેનેડામાં પણ આવી સ્થિતિ છે. ઘણા વિદ્યાર્થીઓએ એકાદ સેમિસ્ટર જતું કર્યું છે, ગૅપ લેવી પડી છે કારણ કે તેમને ભાડું પોસાય એવું ઘર ન મળ્યું. પાર્ટ ટાઇમ કામ કરનારા વિદ્યાર્થીઓને જરૂર પડ્યે માતા-પિતા પાસેથી પૈસા મંગાવવા પડે છે, ક્યારેક એકથી વધુ નોકરીઓ મેનેજ કરે છે અને બચત કરવા માટે એક જ ટંક ખાતા હોય એવું પણ બનતું હોય છે.

વળી ઇમિગ્રેશનને લગતી નીતિઓ બદલાતી રહે છે અને માટે વર્ક પરમિટ કે રેસિડન્સી વિઝાની કોઇ ગેરંટી ન હોવાથી તેઓ ત્યાં લાંબો સમય રહી શકશે કે કેમ, તેની કોઇ સ્પષ્ટતા નથી હોતી. યુ.એસ. સરકારે H-1B વર્ક વિઝા પર વાર્ષિક મર્યાદા મુકી છે અને જ્યારે આ માંગ વધે ત્યારે લોટરી સિસ્ટમને આધારે વર્ક વિઝા અપાય છે. વળી રેસિડન્સી પરમિટ મેળવવા તો ઓર અઘરા હોય છે. સોશ્યલ મીડિયા પર વર્ક વિઝા પર ત્યાં રહેનારા ઘણા લોકોએ પોતાની વ્યથા લખી છે જેમાં એવી વાત કરાઇ છે કે જ્યાં સુધી H-1B વિઝા નહીં મળે ત્યાં સુધી બધું અધ્ધર છે અને જો આટલી અસ્પષ્ટતામાં રહેવાનું હોય તો ઘરે પાછા ફરવામાં જ સાર છે. કેનેડા તો ભારતીયોમાં બહુ લોકપ્રિય દેશ છે પણ ત્યાં પણ વિદેશી વિદ્યાર્થીઓને પરમિટ આપવામાં બે વર્ષની મર્યાદા મુકાઇ છે અને સ્નાતક થયા બાદ મળનારા વર્ક વિઝા પર અટકાવાયા છે. વળી કેનેડામાં ભણવા જવું હોય તો પહેલાં જેટલા પૈસા ખાતામાં બતાવવા પડતા હતા તે રકમ હવે બમણી કરી છે, તો જે ત્યાં પરમિનેન્ટ રેસિડન્સી ચાહતા હોય તેમણે વધારે ફીઝ ભરવી પડે છે. યુ.કે.ની વાત કરીએ તો ફેમિલી વિઝા કેટેગરી જેમાં લાંબા સમયથી યુ.કે.માં રહેનારા પોતાના સાથીને બોલાવી શકે એ માટે તેમની કમાણી વર્ષે 18,600 પાઉન્ડને બદલે હવે 38,700 પાઉન્ડ કરી દેવાઇ છે. નોકરીને મામલે આમે ય ધાંધિયા છે અને ગમે કે ન ગમે હજી પણ એશિયન્સને માટે ઉચ્ચ પદવી પર નોકરી મેળવવી સહેલી તો નથી જ અને આવામાં કમાણી વધવાની શક્યતાઓ પણ પાંખી છે.

ફોરેન જવાની લ્હાયને કારણે શું થાય છે એ અંગે બહુ લાંબી ચર્ચા કરવાનો અર્થ નથી કારણ કે ડિંગુચા જેવા કેટલા ય કેસિઝ આપણને હવે ખબર છે. એ તો ગેરકાયદે માર્ગ લેવાની વાત છે જેમાં હ્યુમન સ્લેવરીના કેસિઝ જ થાય છે. પણ બાળકને વિદેશમાં ભણાવવા માટે મા-બાપ તગડી લોન લેતા હોય છે પણ હવે એ ભૂલ કરવા જેવી નથી. પહેલાં જે આર્થિક સદ્ધરતાની આશા હતી તેમાં હવે પહેલાં જેટલી સલામતી નથી રહી.

સૌથી અગત્યની વાત એ કે નોકરીની અસલામતી અને મોંઘી રહેણી-કરણી માત્ર સમસ્યાઓ છે તેમ નથી. અહીં પરિવાર અને મિત્રો વચ્ચે રહેનારા કેટલાં ય છોકરાંઓ વિદેશની ધરતી પરની એકલતા નથી સાંખી શકતા. ત્યાંની એકલતાની સીધી અસર માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. વળી ભારતીયોને વિદેશમાં રંગભેદનો સામનો તો કરવો જ પડે છે અને તેમને માટે ત્યાં ભળવાનું દબાણ નવી જ ચિંતા બની જાય છે. વળી મોંઘી કૉલેજમાંથી કોઇ નાનકડો કોર્સ કરવાને બદલે નાની કૉલેજમાંથી વ્યવસ્થિત ફૂલ ટાઇમ કોર્સ કરેલો હોય તો વધારે ફાયદો થાય છે.

વિદેશ જવાના અભરખા એક સ્થિર સ્થાઇ જિંદગીને ભરખી ન જાય એની કાળજી લેવી જરૂરી છે. આટલી બધી સમસ્યાઓનો સામનો કરવાને બદલે પોતાના દેશમાં રહીને માનસિક અને સામાજિક સ્થિરતા જાળવીને કામ કરવું વધારે ફાયદાકારક છે એ ચોક્કસ.

બાય ધી વેઃ 

આપણી સરકારે ખાનગી અને સરકારી, એમ બન્ને સ્તરે શિક્ષણની સ્થિતિ સુધારીને વિદ્યાર્થીઓને વિદેશ જતાં અટકાવવા જોઇએ. સરકારે માત્ર નીતિના સ્તરે કામ કરવું જોઇએ અને શિક્ષણ સંસ્થાનોને રાજકારણના અખાડા ન બનાવવા જોઇએ. રશિયા જઇને મેડિકલનો અભ્યાસ કરેલા કેટલા ડૉક્ટરો પોતે માનસિક રીતે સ્વસ્થ છે? ત્યાં પણ વિદ્યાર્થીઓ હેરાન થયા છે. આજે ક્યાંક યુદ્ધ ચાલે છે તો ક્યાંક જે-તે રાષ્ટ્રના અર્થતંત્રનાં ઠેકાણાં નથી તો કેટલાક માત્ર પોતાના લોકોને આગળ ધપાવવા માગે છે. વિદેશમાં ભણવું, ત્યાં નોકરી કરવી અને ખૂબ પૈસા કમાવા વાળી વાત હવે ‘ડુંગરા દૂરથી રળિયામણા’ જેવી થઇ ગઇ છે. વિદેશમાં જઇને ડિશ વોશિંગ અને ડિલિવરી વર્ક ન કરીને એજ્યુકેશન લોન ભરવાને બદલે પોતાના દેશની સલામતીમાં પ્રગતિનાં પગથિયાં ઘડવામાં ડહાપણ છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 મે 2024

Loading

આ દેશને બોદા રૂપિયાઓએ આઝાદી નથી અપાવી, સાચુકલી પાઈઓએ આઝાદી અપાવી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|26 May 2024

રમેશ ઓઝા

ગયા સપ્તાહના મારા લેખમાં મેં લખ્યું હતું કે તાકાત ભલે બેશુમાર હોય, સફળતા ત્યારે જ મળે છે જ્યારે કોઈ વિચાર અને એ વિચાર આધારિત માર્ગ સમાજિક પંક્તિઓમાં છેલ્લી પંક્તિના લોકો સ્વીકારી લે. એવું જો ન બને તો થોડો સમય વાવાઝોડું આવે અને પછી બંધુ શાંત પડી જાય. સ્વીકારનો એ અંતિમ માપદંડ છે. ઉન્માદ અને પરિવર્તનમાં પાયાનો ફરક છે. ઉન્માદ પરિવર્તનો નથી સર્જતાં.

અને આજે આ લખી રહ્યો છું ત્યારે ‘ધ વાયર’ નામના ન્યુઝ પોર્ટલમાં એક પુસ્તકનો રિવ્યુ જોવા મળ્યો. જાણીતી ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર સબા દીવાને ‘તવાયફનામા’ નામનું એક પુસ્તક લખ્યું છે જેમાં બનારસની તવાયફોએ આઝાદીની લડતમાં કેવી રીતે સાથ આપ્યો હતો તેની વિગત છે. ૨૫ અને ૨૬ નવેમ્બર ૧૦૨૦ના રોજ ગાંધીજી બનારસ ગયા હતા. ૨૫મી તારીખે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ગાંધીજીની સભા હતી જેમાં બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક મદનમોહન માલવિયજી હાજર હતા અને તેમની ઉપસ્થિતિમાં ગાંધીજીએ વિદ્યાર્થીઓને સલાહ આપી હતી કે સરકાર સાથે અસહકાર કરવાના ભાગરૂપે તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીનો બહિષ્કાર કરવો જોઈએ, કારણ કે યુનિવર્સિટી સરકારી અનુદાન લે છે. એ પછી તેમણે વિદ્યાર્થીઓને એવી પણ સલાહ આપી હતી કે તેમણે યુનિવર્સિટીનો બહિષ્કાર કરવાનો નિર્ણય મહામના પંડિતજીને સાંભળ્યા પછી જ લેવો જોઈએ, કારણ કે પંડિતજી મારા મત કરતાં જુદો મત ધરાવે છે. તેમણે પંડિત મદનમોહન માલવિયજીને બોલવા કહ્યું હતું, પંડિતજીએ ગાંધીજીના શાળાકોલેજ છોડવાના ગાંધીજીના કાર્યક્રમનો વિરોધ કર્યો હતો અને એ પછી વિદ્યાર્થીઓને નિર્ણય લેવા કહ્યું હતું. લગભગ અડધા કરતાં વધુ વિદ્યાર્થીઓએ મહામનાની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીનો બહિષ્કાર કર્યો હતો.

મદન મોહન માલવિયજી

કલ્પના કરો કેવા એ સંબંધ હશે, કેવા સ્તરની પારદર્શકતા હશે અને કેવી ખુદ્દારી હશે! મદનમોહન માલવિયજીની હાજરીમાં ગાંધીજીએ કહ્યું હતું કે હું ઈચ્છું છું કે આ યુનિવર્સિટીને તાળાં લાગે અથવા યુનિવર્સિટી સ્વદેશી મૂલ્યો પર ચાલે. પંડિતજીએ ગાંધીજીનું ટ્રોલીંગ નહોતું કરાવ્યું.

બીજા દિવસે ગાંધીજીની સભા બનારસના ટાઉનહોલનાં પ્રાંગણમાં હતી અને ત્યાં વિદ્યાધરીબાઈ નામની તવાયફ બનારસની તવાયફોને લઈને ગાંધીજીને સાંભળવા ગઈ હતી. તેમના પર ગાંધીજીનો એટલો પ્રભાવ પડ્યો હતો કે તેણે વિદેશી ચીજો વાપરવાનું બંધ કર્યું હતું, બને ત્યાં સુધી હાથ વણાટનાં કપડાં પહેરતી હતી અને તવાયફ સભા નામની સંસ્થાની સ્થાપના કરી હતી. હુસનાબાઈ નામની બનારસ શહેરની બીજી એક તવાયફની અધ્યક્ષતામાં મળેલી સભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે દેશ ગુલામ છે એટલે આઝાદી ન મળે ત્યાં સુધી તવાયફો મુજરા કરતી વખતે સોનાનાં કડાં કે કંગન નહીં પહેરે પણ લોખંડનાં કડાં પહેરશે જે હાથકડીની યાદ અપાવશે. હજુ થોભો, વિદ્યાધરીબાઈએ આઝાદી અને સ્વદેશીનો પ્રચાર કરનારા મુજરા રચ્યા હતા. આને કહેવાય વિચારનો અને એ વિચારધારા આધારિત માર્ગનો સ્વીકાર. કોઈ વિવેક અગ્નિહોત્રીઓને પૈસા આપવામાં નહોતા આવ્યા, તવાયફોના કોઠામાં સ્વયંભૂ અવાજો ઉઠ્યા હતા. વિદ્યાધરીબાઈએ એ સમયે દેશને આઝાદ કરવા રચેલી “ચુન ચુન કે ફૂલ લે લો” નામની ઠુમરી વિદ્યાધરીબાઈના મૃત્યુ પછી અને દેશને આઝાદી મળી એ પછી પણ ઘણાં વરસો સુધી ગવાતી હતી. શું દેશપ્રેમ ચોક્કસ વર્ગનો ઠેકો છે? હજુ વધુ શોધખોળ કરતાં ખબર પડી કે જાણીતા હિન્દી સાહિત્યકાર અમૃતલાલ નાગરે ૧૯૫૮માં ‘યે કોઠેવાલિયાં’ નામનું પુસ્તક લખ્યું હતું અને એમાં તેમણે લખ્યું છે કે વિદ્યાધરીબાઈ અને બીજી તવાયફોને ગાંધીજી મળ્યા હતા.

અત્યારે બંગલાદેશમાં આવેલા બરીસાલ નામનાં શહેરની અને વિજયવાડાની દેહજીવીનીઓએ પણ ગાંધીજીના આંદોલનમાં પોતાની અનુકૂળતા મુજબ ભાગ લીધો હતો. બરીસાલની દેહવ્યવસાય કરનારી સ્ત્રીઓ તો ગાંધીજી સાથે વધારે સંપર્કમાં હતી અને એમાંની કેટલીક સ્ત્રીઓએ તો ગાંધીજીની સલાહ અનુસરીને દેહવ્યવસાય છોડીને ચરખો કાંતિને ગુજરાન ચલાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. અને આવા તો છેલ્લી પંક્તિના લોકોએ આઝાદીનું બીડું ઊંચકી લીધું હોય અને અનેક પ્રકારની મુશ્કેલીઓ વચ્ચે યથાસંભવ યોગદાન આપ્યું હોય એવા એક બે નહીં, સેંકડો દાખલા ગાંધીજીના અક્ષરદેહમાં મળે છે.

જાણીતી ગાયિકા શુભા મુદગલનું નામ તમે સાંભળ્યું હશે. તેમણે અને તેમના પતિ અને જાણીતા તબલાવાદક અનિશ પ્રધાને મળીને ૨૦૦૮ની સાલમાં ‘સ્વાતંત્ર્ય સમર ગીત’ નામનું આલ્બમ તૈયાર કર્યું હતું. કોણ હતા એ ગીતોના રચયિતાઓ અને ગાયકો? સાવ અજાણ્યા લોકો, સાવ છેવાડાના લોકો. તેમણે પોતાની જાતે જ મશાલ પોતાના હાથમાં લઈ લીધી હતી. ચંપારણમાં આજે પણ કવ્વાલી ગવાય છે જેમાં અંગ્રેજ પક્ષ અને ગળી ઉગાડનારા સ્વદેશ પક્ષ વચ્ચે કવ્વાલીઓમાં કરવામાં આવે છે એમ સવાલજવાબ કરવામાં આવે છે અને ગળીનું વાવેતર કરનારા ગરીબ ખેડૂતોનો વિજય થાય છે. ઝારખંડના આદિવાસીઓ આજે પણ તાનાભગતના ગાંધીગીતો ગાય છે. એક ટંક માંડ રોટલો મળતો હતો, પણ પેટ ભૂખ્યું હોવા છતાં તેમણે મશાલ બુઝાવા દીધી નહોતી. શુભા મુદગલ-અનિશ પ્રધાનના આલ્બમમાં વિદ્યાધરીબાઈની પણ રચના છે.

આ દેશને બોદા રૂપિયાઓએ આઝાદી નથી અપાવી, સાચુકલી પાઈઓએ આઝાદી અપાવી છે. બોદા રૂપિયા માફી માગતા હતા, અંગ્રેજોને મદદ કરતા હતા અને સાચુકલી પાઈ સમાન વિદ્યાધરીબાઈઓ સોનાનાં કડાંની જગ્યાએ હાથકડીની યાદ અપાવનારાં લોખંડના કડાં પહેરીને પોતાના અવાજનું રાષ્ટ્રીય અવાજમાં ઉમેરણ કરતી હતી. ઉમેરણ. હીઝ માસ્ટર્સ વોઈસ નહીં, ઉમેરણ. આને કહેવાય સ્વીકાર.

—

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 26 મે 2024 

Loading

...102030...558559560561...570580590...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved