Opinion Magazine
Number of visits: 9741154
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હું કહું તેમ કરો

નીતા રામૈયા|Poetry|13 October 2024

આપણાં પ્રથમ અને પ્રખર નારીવાદી કવિ નીતા રામૈયાને અલવિદા ! સ્મૃતિ સલામ !

°

હું કહું તેમ કરો

ક્યારે ય નહીં તો આજે તો કરો

વધુ નહીં તો ખાલી આ પાના ઉપર

તમારી આંખની ધારે ધાર કાઢતા આ શબ્દોને

વાંચ્યા પછી

હું કહું તેમ કરો.

ક્યારે ય નહીં તો આજે આ પાના ઉપર

ડાકણનું પુંલિંગ કરો

ડાકઘર આસપાસ હોય તો ભલે રહ્યું

કણ એક માટે પરસેવો પાડો પણ

ગમે તેમ કરીને ડાકણનું પુંલિંગ કરો

એક લાજવાબ ઘર વિશે જવાબ આપો : વેશ્યાઘર

તે સ્ત્રીનું ઘર કે પુરુષનું ઘર કે બંનેનું ઘર કાયદાનાં થોથાં ઉથલાવવાનું માંડી વાળો

વેશ્યા જો સ્ત્રી હોય તો તેની પાસે જનાર પુરુષને કોઈ નામ આપો

દામ આપીને કામ પતાવતા આ કામ–પંથીઓ માટે

આ કરવા જેવું કામ છે

ગૃહિણી અને ગૃહપતિનું કાર્યક્ષેત્ર નક્કી કરો છાપું વાંચ્યા પછી ચાના પ્યાલામાં વાવાઝોડું જોતા પુરુષને

કૂકરમાં ભેગી થતી વરાળનું રહસ્ય સમજાવો અને સમજાવો તેને કે સ્ત્રીનું મગજ ક્યારેક ક્યારેક કૂકર જેવું બની જાય

જો હૈયાની વરાળ ઠાલવવા જેવું પાત્ર તેને ન મળે તો

આ પાત્ર એટલે કેવું પાત્ર તેની વ્યાખ્યા આપો

પુરુષનું મંગળ ઇચ્છતી સ્ત્રી

તેના નામનું સૂત્ર ગળે વીંટતી હોય તો

સ્ત્રીનું મંગળ ઇચ્છતા પુરુષના ગળામાં કયું સૂત્ર શોભે તેની સવિસ્તર ચર્ચા કરીને બંધબેસતો ઉત્તર આપો

ક્યારે ય નહીં

તો આજે તો આટલું કરો

વધુ નહીં તો ખાલી આ પાના ઉપર.

***

સૌજન્ય : મનીષીભાઈ જાનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઈઝરાયેલ – પૅલૅસ્ટાઈન સંઘર્ષનું એક વર્ષ

સંકલન : રૂપાલી બર્ક|Opinion - Opinion|13 October 2024

રૂપાલી બર્ક

૮ ઑક્ટોબરે આ કારમા સંઘર્ષનું એક વર્ષ પૂરું થયું. ૨ ઑક્ટોબર ગાંધી જયંતીનો દિવસ.  ‘ગાઝા એકોક્તિઓ’ના ત્રીજા હપ્તાના ચાલુ અનુવાદ થકી આ પ્રદેશના હિંસક માહોલની અનુભૂતિ કરી રહી છું અને શાંતિની પ્રાર્થના કરી રહી છું એવામાં એક મિત્રએ ગયા વર્ષે પ્રસિદ્ધ થયેલો નીચે મુકેલો લેખ મોકલ્યો જેનો અનુવાદ અને મારા પ્રિય પૅલૅસ્ટિનયન-અમૅરીકી કવિ ફૅડી જુડાહના હૃદયના તાર ઝંઝોળી નાખે એવા કાવ્યનો અનુવાદ રજૂ કરું છું.

(વિસ્તૃત લેખ indianexpress.com પર વાંચવા મળશે. દૈનિક દ્વારા જ સંક્ષિપ્ત લેખ નીચે મુજબ છે.)

°°°

શા માટે ગાંધીજી પૅલૅસ્ટાઈનમાં યહૂદી રાજ્યની તરફેણમાં નહોતા? / અર્જુન સેનગુપ્તા, નવી દિલ્હી, ઑક્ટૉબર ૧૦, ૨૦૨૪ (‘ઇન્ડિયન ઍક્સપ્રૅસ’)

અનુવાદ : રૂપાલી બર્ક

“જે અર્થમાં ઇંગ્લૅન્ડ અંગ્રેજોનું છે અથવા ફ્રાંસ ફ્રૅંચ પ્રજાનું છે તે રીતે પૅલૅસ્ટાઈન આરબોનું છે,” એમ મહાત્મા ગાંધીએ ‘હરિજન’માં નવેમ્બર ૨૬, ૧૯૩૮ના રોજ લખેલું.

ગાંધીજીનો લેખ, ‘The Jews’ વર્ષોથી ગહન ચર્ચાનો વિષય રહ્યો છે. અમુકે એને ગાંધીજીના ભોળપણનો પુરાવો ગણાવ્યો છે તો બીજાઓેએ પરિણામની પરવાહ કર્યા વિના અહિંસા પરત્વે ગાંધીજીની ઊંડી પ્રતિબદ્ધતા તરીકે એને મુલવ્યો છે.

‘હરિજન’ ગાંધીજીએ શરૂ કરેલું સાપ્તાહિક સામયિક હતું જેમાં વિવિધ વિષયો પર ગાંધીજી એમના વિચારો વ્યક્ત કરતા.

યહૂદીઓ માટેની ગાંધીજીની સહાનુભૂતિ

પોતાના ધર્મને લીધે યહૂદી લોકોની ઐતિહાસિક સતામણી અંગે ગાંધીજી અત્યંત સભાન હતા અને એમના પ્રત્યે ઊંડી સહાનુભૂતિ અનુભવતા હતા.

“મારી સહાનુભૂતિ સમગ્રપણે યહૂદીઓ પ્રત્યે છે … તેઓ ખ્રિસ્તી ધર્મના અછૂતો રહ્યા છે. ખ્રિસ્તીઓ દ્વારા એમની સાથેના વ્યવહાર અને હિન્દુઓ દ્વારા અછૂતો સાથેના વ્યવહારમાં ખૂબ સામ્ય છે. બન્ને કિસ્સાઓમાં સામા પક્ષ સાથે અમાનવીય વ્યવહારને વાજબી ઠેરવવા ધાર્મિક સંમતિનું કારણ દર્શાવવામાં આવે છે,” ગાંધીજીએ ‘The Jews’માં લખ્યું છે.

ગાંધીજીએ એમ પણ લખ્યું કે “જર્મનોના હાથે યહૂદીઓની સતામણીનો ઇતિહાસમાં જોટો નથી”, અને તે વખતે (૧૯૩૯માં બીજા વિશ્વ યુદ્ધની શરૂઆત પૂર્વે) ઍડૉલ્ફ હિટલરને પ્રસન્ન કરવાની બ્રિટનની નીતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

“માનવતાના નામમાં અને માનવતા માટે જો કોઈ યુદ્ધને વાજબી ઠેરવવું હોય તો એક આખા સમુદાય વિરુદ્ધ ક્રૂર સતામણીને નિવારવા માટે જર્મની વિરુદ્ધ યુદ્ધ વાજબી ગણાશે,” એમ ગાંધીએ લખ્યું છે.

આરબો માટે ચિંતા

આમ છતાં, મહાત્મા ગાંધીએ પૅલૅસ્ટાઈનમાં ‘ઝાયોનિસ્ટ સ્ટેટ’ની (જેની યોજના બની રહી હતી) તરફેણમાં ન હતા. “આરબો પર યહૂદી આધિપત્ય ખોટું અને અમાનવીય છે. યહૂદીઓને આંશીક કે સંપૂર્ણ પૅલૅસ્ટાઈન પોતાના રાષ્ટ્રીય વતન તરીકે પરત આપવા માટે ગૌરવશાળી આરબોને ઓછા આંકવા માનવતા વિરુદ્ધ ગુનો બને”, ગાંધીજીએ નોંધ્યું છે.

ગાંધીજીનો વિરોધ બે સૈધાંતિક માન્યતાઓ પર આધારિત હતો. પ્રથમ, પૅલૅસ્ટાઈન આરબ પૅલૅસ્ટિનિયનોનું વતન હતું અને બ્રિટને સક્રિય રીતે શક્ય બનાવેલી યહૂદીઓની વસાહત મૂળભૂત રીતે હિંસક હતી.

“ધાર્મિક કૃત્ય (યહૂદીઓનું પૅલૅસ્ટાઈનમાં પાછા ફરવું) બેયોનૅટ કે બોંબની સહાય વિના શક્ય ના બને,” ગાંધીજીએ લખ્યું. એમના મુજબ યહૂદીઓ પૅલૅસ્ટાઈનમાં “આરબોના સદ્ભાવ”થી જ વસાહટ કરી શકે અને તે માટે એમણે “બ્રિટિશ બેયોનૅટ”ને ત્યજવી પડે.

બીજુ, ગાંધીજીને લાગતું કે યહૂદી વતનનો ખ્યાલ વિશ્વમાં અન્ય ઠેકાણે વધુ મહત્ત્વના હકો માટેની એમની લડાઈથી સાવ વિરુદ્ધ હતો.

“જો યહૂદીઓનું પૅલૅસ્ટાઈન સિવાય કોઈ વતન નથી તો શું વિશ્વના અન્ય ભાગોમાં જ્યાં એ વસેલા છે ત્યાંથી એમની હકાલપટ્ટી થાય એ એમને માન્ય હશે?” ગાંધીજીએ લખ્યું અને વધુમાં ઉમેર્યું રાષ્ટ્રીય વતન માટેના યહૂદી દાવાથી “જર્મનો દ્વારા યહૂદીઓની હકાલપટ્ટીને ઊંડુ સમર્થન મળે છે.”

ભારતની વિદેશ નીતિ

મહાત્મા ગાંધીની માફક આરબ દેશોના નેતાઓ અને સામ્રાજયવાદ વિરોધીઓ પૅલૅસ્ટાઈનના બ્રિટિશ વહીવટથી અને ૧૯૧૭ના બૅલફોર ડૅક્લરેશન મુજબ બ્રિટિશ મૅન્ડેટમાં દર્શાવેલ યહૂદીઓને વતનના વચનથી ભયભીત હતા.

બ્રિટિશ લેખક આર્થર કૉસ્લરે, જે પોતે યહૂદી હતા, ડૅક્લરેશન વિશે લખેલું, “એક રાષ્ટ્રે ગંભીરતાપૂર્વક બીજા રાષ્ટ્રને ત્રીજાના દેશનું વચન આપ્યું.”

ગાંધીજીના અભિપ્રાયનો નહેરુ પર ઊંડો પ્રભાવ પડ્યો અને એના લીધે તથા નહેરુની પોતાના સામ્રાજ્યવાદ વિરોધી મતને આભારી દશકો સુધી ભારતની વિદેશ નીતિ ઘડાતી રહી. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘની નવેમ્બર ૧૯૪૭ની સામાન્ય બેઠકમાં પસાર કરાયેલા ઠરાવ ૧૮૧ (૧૧)નો વિરોધ કર્યો કારણ કે એમાં મૅન્ડૅટરી પૅલૅસ્ટાઈનને યહૂદીઓ અને આરબો વચ્ચે વહેંચવાનું આવતું હતું.

ભારતે ૧૯૫૦માં ઈઝરાયેલને સમર્થન નહોતું આપ્યું. ૧૯૯૨માં પી.વી. નરસિંહમા રાવ વડા પ્રધાન હતા તે દરમ્યાન ભારતે ઈઝરાયેલ સાથે ઔપચારિક રાજનૈતિક સંબંધો સ્થાપ્યા.

*

અનુકરણ / ફૅડી જુડાહ

મૂળ અંગ્રેજી પરથી ગુજરાતી અનુવાદ : રૂપાલી બર્ક

મારી દીકરી

એની બાયસીકલના હૅન્ડલ વચ્ચે રહેતા

કરોળિયાને હાનિ ના પહોંચાડી

કરોળિયો આપમેળે જતો ના રહ્યો ત્યાં સુધી

બે અઠવાડિયા એણે રાહ જોઈ.

 

જો તું એનું જાળું ખેંચી કાઢે

તો એને ખ્યાલ આવી જશે કે

આ સ્થળને ઘર કહેવાય નહીં

વળી તને સાયકલ ફેરવવા મળશે

મેં દીકરીને કહ્યું.

 

દીકરી બોલી, આ જ રીતે

બીજા નિરાશ્રિત બની જાય છે, ખરું ને?

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

કાશ્મીર : બંદૂકની ગોળીથી સમરસતા સ્થપાતી નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|13 October 2024

રમેશ ઓઝા

કાશ્મીર ભારતનો મુગટ છે, ધરતી પરનું સ્વર્ગ છે, પણ આ ધરતી પરનાં સૌથી કમનસીબ પ્રદેશમાંનો એક છે. આમ જુઓ તો આજના સીમાબદ્ધ રાષ્ટ્રવાદના યુગમાં સીમાએ આવેલા પ્રદેશો સર્વત્ર દુઃખી છે. માત્ર ભારત નહીં, સર્વત્ર. આનું કારણ એ છે કે સીમાડાની પ્રજાનો સાંસ્કૃતિક અનુબંધ સીમાની સામે પાર આવેલા પ્રદેશ અને પ્રજા સાથે વધુ હોય છે અને રાષ્ટ્રની મધ્યે આવેલા પ્રજા અને પ્રદેશ સાથે ઓછો હોય છે. આને કારણે તેમનાં વજૂદને ઓછું આંકવામાં આવે છે અને તેમની રાષ્ટ્ર માટેની વફાદારીને શંકાથી જોવામાં આવે છે. મોટાભાગે શાસકો માટે સીમાડાનો પ્રદેશ જમીન(એસ્ટેટ)થી વધુ મહત્ત્વ નથી ધરાવતો. એ જમીન છે અને રાજ્ય એ જમીનનું માલિક છે. ત્યાં વસતા લોકોની ઇચ્છા અને એષણાની કોઈ કિંમત નથી હોતી. પણ કાશ્મીર આ બધામાં વધારે કમનસીબ છે.

જ્યારે દેશ આઝાદ થયો અને જમ્મુ અને કાશ્મીરના મહારાજાએ તેમનાં રાજ્યને ભારતમાં વિલીન કરવાનો નિર્ણય લીધો ત્યારે કાશ્મીરના લોકોને ત્રણ ચીજ કહેવામાં આવી હતી : ઈન્સાનિયત, જંબુરિયત (લોકતંત્ર) અને કાશ્મીરિયત. આમાંથી ઈન્સાનિયત અને જંબુરિયત તો સાર્વત્રિક છે, એટ લીસ્ટ કહેવા માટે દરેક સ્વીકારે છે, પણ કમનસીબે કશ્મીરિયત જમ્મુ અને કાશ્મીરમાં પણ સાર્વત્રિક રીતે સ્વીકાર્ય નથી અને કાશ્મીરિયત જેવી કોઈ ચીજ સાર્વત્રિક નથી એટલે નવી દિલ્હીના શાસકો ઈન્સાનિયત અને જંબુરિયત એમ બન્ને સાથે ચેડાં કરે છે. કાશ્મીર વધારે કમનસીબ છે એનું કારણ આ છે.

જમ્મુ અને કાશ્મીર કેવી રીતે બન્યું તેના ઇતિહાસમાં જવાની જરૂર નથી. એટલું કહેવું બસ છે કે એ જમ્મુ અને કાશ્મીરના મહારાજા ગુલાબ સિંહ અને અંગ્રેજો વચ્ચે ખરીદફરોખનું એ સર્જન છે. જી હા, અંગ્રેજોએ એ પ્રદેશો કાશ્મીરના મહારાજને વેચ્યા હતા અને તેને એકત્ર કરીને જમ્મુ અને કાશ્મીરની રિયાસત અસ્તિત્વમાં આવી હતી. એમાં હિંદુ છે, શીખો છે, કાશ્મીરની ખીણમાં મુસલમાનો છે, કારગીલ અને લડાખમાં બૌદ્ધો અને શિયા મુસલમાનો છે, ઉપર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં કબિલાઈ શિયા મુસલમાનો છે અને એ બધાને કાશ્મીરની ભૌગોલિક રચનાને કારણે એકબીજા સાથે ખાસ સંબંધ નથી. સૌથી વધુ સંબંધ ખીણમાં પંડિતો અને પંડિતોમાંથી વટલાયેલા મુસલમાનો વચ્ચે છે, પરંતુ તેમનો ધર્મ અલગ છે અને એટલે જંબુરિયતના રાજકારણમાં તેમનો પ્યાદા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જો કાશ્મીરિયત જેવી કોઈ ચીજ હોય તો એ ફક્ત ખીણમાં પંડિતો અને મુસલમાનો માટે છે, તેમને તે વ્હાલી છે, પણ બન્ને સામસામે છે.

ભારતીય જનતા પક્ષના શાસકોએ હવે તેમને સાવ એકબીજાની સામે ઊભા કરી દીધા છે. લડાખને જમ્મુ અને કાશ્મીરથી અલગ કરવામાં આવ્યો છે. કાશ્મીરની ખીણ અને જમ્મુનો રાજ્યનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો છે. તે અત્યારે દિલ્હી જેવું કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રકારનું રાજ્ય છે. જમ્મુની છાવણીઓમાં રહેતા પંડિતોને કાશ્મીર વિરોધી હિન્દુમાં ફેરવી દેવામાં આવ્યા છે. કશ્મીરિયત છોડો હિંદુ બનો. દસ વરસથી દેશમાં હિન્દુત્વવાદીઓનું શાસન છે, પણ એક પણ પંડિત પાછો ખીણમાં પોતાને ગામ ગયો નથી. એ શક્ય નથી જ્યાં સુધી તંગદિલી છે. તમારી વેરની ભાવના પોષવામાં અમે સહાય કરીશું, ન્યાય મેળવવાની અને ખીણમાં પાછા જઇને વસવાના સપનાં જોવાનું છોડી દો. ઘણા લોકોને વેર વાળવામાં વિજયનો સંતોષ મળે છે.

જમ્મુ અને કાશ્મીરની યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની આ પૃષ્ઠભૂમિ છે. જમ્મુના હિંદુઓને કાશ્મીરના મુસલમાનો સામે ઊભા કરી દેવામાં આવ્યા છે અને પંડીતોને પીર પંજાલની આ બાજુએ ઊભા કરી દઈને કશ્મીરિયત ખંડિત કરી દેવામાં આવી છે. જેટલી પ્રાદેશિક અસ્મિતા આધારિત એકત્વની ભાવના ઓછી એટલી ઈન્સાનિયત ઓછી અને જ્યાં ઈન્સાનિયત ન હોય ત્યાં જંબુરિયત ક્યાંથી હોય! મણિપુરમાં પણ આ જ જોવા મળી રહ્યું છે. ત્યાં મૈતી અને કુકીઓ સામસામે છે. કેન્દ્ર સરકાર તો ચૂંટણી જ યોજવા નહોતી ઈચ્છતી. એ તો સર્વોચ્ચ અદાલતે ચૂંટણીપંચને આદેશ આપ્યો એટલે યોજવી પડી. સર્વોચ્ચ અદાલતે તો કેન્દ્ર સરકારને પણ આદેશ આપ્યો છે કે જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. અત્યારે જે ચૂંટણી પરિણામ આવ્યાં છે એ જોતાં મને નથી લાગતું કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપે, સિવાય કે સર્વોચ્ચ અદાલત કઠોર ભૂમિકા લે.

ઊલટું વિભાજન સંપૂર્ણ છે. મતદારક્ષેત્રોની પુન: રચના કરીને જમ્મુ અને કાશ્મીરની વિધાનસભામાં જમ્મુની બેઠકો વધારી આપવામાં આવી છે. વ્યવસ્થા એવી કરવામાં આવી છે કે જમ્મુ અને કાશ્મીરમાં મુસલમાનોની બહુમતી હોવા છતાં જમ્મુ અને કાશ્મીર પર કોઈ હિંદુ મુખ્ય પ્રધાન રાજ કરે. ખીણમાં થોડા બીકાઉ વોટ કટવા પેદા કરવાના જે મુસલમાન હોય. જો કોઈ વોટ કટવો ખીણમાં દસ બેઠકો તોડી આપે તો ખેલ ખલાસ. આ વખતે રશીદ એન્જિનિયરને ખાસ જેલમાંથી જામીન પર છોડાવીને કાશ્મીરની ખીણમાં મોકલવામાં આવ્યો હતો. આ ખૂંખાર ત્રાસવાદી છે અને દેશદ્રોહી છે એમ કહેવામાં આવતું હતું. હા, એ જ રશીદ એન્જિનિયર જેનાં ‘કાશ્મીર ફાઈલ્સ’ નામની ફિલ્મમાં કાળાં કૃત્યો જોઇને ભક્તો રડ્યા હતા.

આ વખતે યોજના સફળ ન નીવડી, પણ ભવિષ્યમાં નહીં નીવડે એની ખાતરી નથી. પણ પ્રશ્ન એ છે કે ધારી લો કે જમ્મુ અને કાશ્મીરમાં કોઈ હિંદુ મુખ્ય પ્રધાન રાજ કરે તો બતાવી દેવાનાં ખોખલા સંતોષ સિવાય ફરક શું પડવાનો? કાશ્મીરની ખીણ હોય કે મણિપુર, ત્યાં જઇને વસવા તો ત્યારે જ મળવાનું છે જ્યારે ત્યાં શાંતિ હોય. અને જો અંતિમ લક્ષ સંઘની ભાષામાં કાશ્મીરની ભારતમાં ‘સમરસતા’ હોય તો તેનો માર્ગ અલગ છે. બંદૂકથી સમરસતા સ્થપાતી નથી, પછી ભલે બંદૂકમાં ગમે એટલી ગોળીઓ હોય.

અત્યારે જ્યાં ઊભા છીએ ત્યાં ઉત્તમ માર્ગ એ જ છે કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપે અને રાજ્યમાં રચાનારી નેશનલ કોન્ફરન્સ અને કોાંગ્રેસની સરકારને સહકાર આપે.

પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 13 ઑક્ટોબર 2024

Loading

...102030...557558559560...570580590...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved