Opinion Magazine
Number of visits: 9457182
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાયલ કપાડિયા : Cannes થી Court ? 

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|28 May 2024

ફ્રાન્સના અતિપ્રતિષ્ઠિત Cannes International Film Festivalમાં ભારતના દિગ્દર્શક પાયલ કપાડિયાની All We Imagine As Light નામની સ્ત્રી-કેન્દ્રી ફીચર ફિલ્મને Grand Prix નામનો અત્યંત સન્માનનીય પુરસ્કાર મળ્યો છે.

પાયલ એવાં સહુ પ્રથમ ભારતીય મહિલા દિગ્દર્શક છે કે જેમની ફીચર ફિલ્મ Cannesની મુખ્ય સ્પર્ધામાં બતાવવામાં આવી હોય. વળી આ બીજી જ એવી ભારતીય ફિલ્મ છે કે જે મુખ્ય સ્પર્ધામાં બતાવવામાં આવી હોય. આ પહેલાં 1994માં શાજી એન. કરુણ નામના દિગ્દર્શકની ‘સ્વહમ’ ફિલ્મ બતાવવામાં આવી હતી.

સન્માન સ્વીકારતી વખતે પાયલે સંયત આનંદ સાથે સહુનો આભાર માન્યો. પછી તેમણે ફિલ્મની ત્રણ અભિનેત્રીઓ કની કુસૃતી, દિવ્ય પ્રભા અને છાયા કદમને મંચ પર પોતાની નજીક બોલાવી અને કહ્યું :

‘હું મારી એક્ટર્સને અહીં બોલાવું છું કારણ કે, મને નથી લાગતું કે , તેમનાં વિના આ શક્ય બન્યું હોત.આ સ્ત્રીઓએ મને ઘણું બધું આપ્યું છે અને તેમણે ફિલ્મને પોતાનો પરિવાર ગણીને તેના માટે કામ કર્યું છે, તેમણે આ ફિલ્મને પોતાની માની છે.’

ફિલ્મ વિશેની નોંધ વાંચતાં તેમણે કહ્યું : ‘આ ફિલ્મ મૈત્રી વિશેની છે, આ ફિલ્મ એકબીજાથી સાવ અલગ હોય તેવી ત્રણ સ્ત્રીઓ વિશેની છે. આપણા સમાજમાં ઘણી વાર સ્ત્રી સ્ત્રીની દુ:શ્મન એમ માનવામાં આવે છે. આપણો સમાજ આ રીતે રચાયેલો છે એ આપણી કમનસીબી છે. પણ મારા માટે દોસ્તી બહુ મહત્ત્વનો સંબંધ છે, કારણ કે તે વધુ એકતા, સમાવેશકતા અને સહસંવેદન (solidarity, inclusivity and empathy) જગાવી શકે છે. આ મૂલ્યો માટે આપણે મથતાં રહેવું જોઈએ.’

પાયલે પોતાની ટીમનો અને Cannes Festivalના આયોજન સાથે સંકળાયેલા સહુનો આભાર માન્યો. તદુપરાંત તેમણે ફેસ્ટિવલ સાથે સંકળાયેલા કામદારોનો આભાર માનીને તેમની ચળવળ સાથે સોલિડારિટી વ્યક્ત કરી હતી.

દેશના વડા પ્રધાને પાયલને અભિનંદન આપ્યા છે. યાદ કરાવવું જ રહ્યું કે તેમના જ વડા પ્રધાન પદ હેઠળની ભારતીય જનતા પક્ષની સરકારે આ જ પાયલ અને તેના બીજાં કેટલાક જાગૃત સાથીદાર યુવાઓ પર સરકારના એક તદ્દન ગેરવાજબી પગલાનો વિરોધ કરવા માટે 2015માં ચાર્જશીટ મૂકવામાં આવી હતી. તેમને ‘anti-national’નો સિક્કો અને ‘go back to Pakistan’ના નારા વેઠવાના આવ્યા હતા.

પાયલ ફિલ્મકલાના શિક્ષણ માટેની પૂનામાં આવેલી વિખ્યાત સંસ્થા Film and Television Institute of India (FTII)નાં વિદ્યાર્થિની છે. ફિલ્મકલાના ધરુવાડિયા સમી આ સંસ્થાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.

આ Cannes Festivalમાં પાયલ ઉપરાંત FTIIના ત્રણ વિદ્યાર્થીઓને સન્માન મળ્યાં છે. સંસ્થાના ચેરપર્સન/પ્રેસિડેન્ટ તરીકે મૃણાલ સેન, શ્યામ બેનેગલ, અદૂર ગોપાલકૃષ્ણન, ગિરીશ કર્નાડ જેવા દિગ્ગજો રહી ચૂક્યા છે.

સરકારે સંસ્થાના ચેરપર્સન તરીકે સરકારે જૂન 2015માં ભા.જ.પ.ના સભ્ય એવા અભિનેતા ગજેન્દ્ર ચૌહાનની નિમણૂક કરી. તેઓ કેવળ મહાભારત ટેલિવિઝન શ્રેણીમાં યુધિષ્ઠિરની ભૂમિકા માટે જાણીતા હતા.

આવી નજીવી પાત્રતા ધરાવતા વડાની રાજકીય નિમણૂકનો FTIIના વિદ્યાર્થીઓએ મોટા પાયે વિરોધ કર્યો. આંદોલન 2017માં જુલાઈથી ઑક્ટોબર 130 દિવસ સુધી ચાલ્યું. વિદ્યાર્થીઓની ધરપકડો થઈ, તેમની પર કેસ દાખલ થયા.

આ આંદોલનના ટેકામાં અમદાવાદના કર્મશીલોએ પણ FTIIના વિદ્યાર્થીઓની સાથે ગોષ્ઠી અને તેમની ફિલ્મો બતાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.

FTII આંદોલનના આગેવાનોમાં એક પાયલ હતાં. વિદ્યાર્થીઓએ એક દિવસ માનવ સાંકળ બનાવી અને સંસ્થાના નિયામકને ઘેરાવ કર્યો. તે વખતે કથિત ભાંગફોડ અને અન્ય આરોપો હેઠળ પાંત્રીસેક વિદ્યાર્થીઓ સાથે પાયલની સામે પણ ફરિયાદ દાખલ થઈ.

શિસ્તભંગના પગલાં તરીકે Student Exchange Programમાંથી પાયલનું નામ કમી કરવામાં આવ્યું, વીસ હજાર રૂપિયાની સ્કૉલરશીપ રદ્દ કરવામાં આવી. બધા વિદ્યાર્થીઓ પર 2016માં કેસ દાખલ કરવામાં આવ્યો જેની સુનાવણીઓ પૂનાની સેશન્સ કોર્ટમાં દર બે-ત્રણ મહિને ચાલે છે જેમાં પ્રોસિક્યુશન તરફથી ભાગ્યે જ કોઈ રજૂઆત હોય છે.

જો કે 2017માં પાયલની Afternoon Cloud નામની ફિલ્મ Cannesના વિદ્યાર્થી વિભાગમાં પસંદ પામી ત્યારે FTIIએ પાયલને તેના નિર્માણ માટેનું ખર્ચ આપ્યું હતું.

Cannes સન્માન પછીના એક પ્રતિભાવમાં પાયલે કહ્યું : ‘FTII એ જગ્યા છે કે જ્યાં તમે સિનેમાચાહકોની સાથે ખૂબ શેઅરિંગ કરી શકો. સંસ્થામાં મારી સાથે ભણતા વિદ્યાર્થીઓનો મારા વિચારોને ઘાટ આપવામાં ફાળો છે. અહીં અમને દુનિયાભરની ફિલ્મો જોવા મળી અને એ એક્સપોઝર મને મારી ફિલ્મો બનાવવામાં પણ ઘણું ઉપયોગી થયું.’

પાયલે 2021 બનાવેલી A Night of Knowing Nothing નામની ડૉક્યુમેન્ટરી ફિલ્મને Cannesમાં બેસ્ટ ડૉક્યુમેન્ટરી ફિલ્મનો પુરસ્કાર મળ્યો. Abstract તરફ ઝુકાવ ધરાવતી આ કલાત્મક ફિલ્મ ભારતીય વિદ્યાર્થી જીવન અને યુનિવર્સિટી શિક્ષણ પરની એક સર્વોત્કૃષ્ટ ભારતીય ડૉક્યુમન્ટરી ફિલ્મ ગણાય છે.

ફિલ્મ વિશેના એક લાંબા આસ્વાદલેખમાં નોંધવામાં એ મતલબનું આવ્યું છે કે FTIIના આંદોલનને એક પ્લૅટફૉર્મ તરીકે લઈને આ ફિલ્મ વિદ્યાર્થી જગતે મોદી સરકાર સામે ચલાવેલા વિરોધ, શાસકોનો મુસ્લિમ વિદ્યાર્થીઓ સાથેનો ભેદભાવ, દલિત અને બહુજન સમાજના વિદ્યાર્થીઓ તરફનો અભિગમ, યુનિવર્સિટીઓની ફીમાં કમરતોડ વધારો અને ઉચ્ચશિક્ષણ માત્ર ધનિકોનો વિશેષાધિકાર બને તેવી નીતિને ખુલ્લાં પાડે છે.

2014માં સત્તા પર આવેલી ભા.જ.પ. સરકારે જુદું વિચારવા પ્રેરનારી એક રાષ્ટ્રીય કક્ષાની સંસ્થામાં ખુલ્લેઆમ દખલગીરી અને તેના વિરોધનું દમન કરવાની શરૂઆત કરી તે સંભવત: પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂથી. તે પછી બનારસ હિન્દુ યુનિવર્સિટી, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, જામિયા યુનિવર્સિટી, દિલ્હી યુનિવર્સિટી જેવી અનેક શિક્ષણસંસ્થાઓ સરકારની નીતિઓનો વિરોધ કરનાર છાત્રશક્તિને કચડી નાખવાનો સિલસિલો ચાલ્યો. હમણાં રામનવમી પર પણ FTIIના પરિસરમાં ઘૂસીને ત્યાં જોવા મળતાં બાબરી મસ્જિદ તોડવાના બનાવના પોસ્ટરને ફાડવાના અને ધાકધમકીનો બનાવ બન્યો.

પાયલને 26 મેના દિવસે વૈશ્વિક સન્માન મળ્યું. હવે બરાબર એક મહિના બાદ, 26 જૂન 2024ના દિવસે, પાયલ અને તેમનાં સાથીઓએ જૂન 2016માં, આઠ વર્ષ પહેલા સરકારની સામે અવાજ ઊઠાવ્યો હતો તેના માટેના મુકદમાની તારીખ પૂના સેશન્સ કોર્ટમાં છે.

સૌજન્ય : સમૂહ માધ્યમો
27 મે 2024
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

“If On a Winter’s Night a Traveler” વિશે — 8 

સુમન શાહ|Opinion - Literature|28 May 2024

નિવેદન – સુ૦

(આજકાલ ક્યારેક હું માર્ક્વેઝને પણ વાંચતો હોઉં છું. એમણે લખેલી એક વાર્તા છે, ‘બિટરનેસ ફૉર થ્રી સ્લીપવૉકર્સ’. આ વાર્તા ‘પહેલો પુરુષ કથનકેન્દ્ર’-થી લખાયેલી છે, પરન્તુ એ પહેલો પુરુષ ‘એકવચન’-માં નથી, ‘બહુવચન’-માં છે. એટલે કે, કથા આઇ – I – નથી કહેતો, we કહે છે. આ વાર્તાનું ગુજરાતી કરું તો વ્યાકરણ અનુસાર ‘we’ માટે મારે ‘અમે’ / ‘આપણે’ કહેવું પડે. સમગ્ર વાર્તાના વાચનથી એમ નક્કી થયું કે we એટલે અહીં તો ‘અમે’. જો હું ‘આપણે’ કરું તો એમાં you – તમે – આપોઆપ ઉમેરાઇ જાય! પણ મારે નિર્ણય કરવો પડે કે એ માર્ક્વેઝને મંજૂર છે કે કેમ. કથનકેન્દ્રની હાલ નહીં પરન્તુ અન્તિમ સારરૂપ ચર્ચામાં આ we-ને પણ દાખલ કરીશ.)

કાલ્વિનોની આ નવલ વિશે હું એક સમજૂતી ઊભી કરવા માગું છું. એમાં જરૂરત પ્રમાણે ઉત્તરોત્તર સુધારા-વધારા કરતો રહીશ. મારી સમજૂતી હાલ પ્રવાહી છે.

પહેલી વાત —

એ કે આ નવલની કે કોઈપણ નવલની સમગ્ર સંરચનાને અથવા નિરૂપણરીતિને અથવા વસ્તુગુમ્ફનને પામવા માટે ૩ સમ્પ્રત્યયોને બરાબર સમજી લેવા જરૂરી હોય છે : ૧ – લેખક, ૨ – કથક, ૩ – કથક જેને કથી સંભળાવે છે એ વાચક.  

અહીં —

૧ : લેખક છે, ઇટાલો કાલ્વિનો. 

૨ : કથક છે, જેને નામ નથી, પણ ‘હું’ – ‘I’ – એમ કહીને એના હોવા વિશે ખાતરી કરાવે છે.

૩ : વાચક છે / છીએ, હું અમે તું તમે તે તેઓ. (આ સમજૂતીમાં આ ૩ નમ્બરના વાચકને સર્વત્ર હું ‘વાચક’ અને ‘આપણે વાચકો’ કહીશ.)

— પણ એ ‘વાચક’ ઉપરાન્ત અહીં એક વિશિષ્ટ વાચક છે — ‘તમે’ સૅકન્ડ પર્સન ‘you’.

— એ ‘તમે’ તે કોણ? અગાઉ એકથી વધારે વાર કહ્યું છે કે આ નવલમાં, વાચકને ‘તમે’ કહીને કથકે / કાલ્વિનોએ કથામાં બેસાડ્યો છે, અને જુક્તિ એવી કરી છે કે ક્રમે ક્રમે એ એક પાત્ર બની જાય છે. પણ તેથી થાય છે શું? એ જે કંઇ વિચારે છે, બોલે છે, વર્તે છે, અનુભવે છે, એથી એવી લાગણી પ્રગટે છે કે એ બધું કરનારા ‘આપણે વાચકો’ છીએ. ‘તમે’ સાથે સ્થપાતી આ સમાન્તરતા અને એકરૂપતા કાલ્વિનોને અપેક્ષિત છે. (આ સમજૂતીમાં સર્વત્ર આ ‘તમે’-ને હું ‘You’ કહીશ.)

 — આજે, કથક વિશે જાણીએ : (એ માટે, જરૂરિયાત પ્રમાણે નવલમાંથી અવતરણો આપીશ.) 

નવલના પ્રારમ્ભે કહેવામાં આવ્યું છે કે —

“You are about to begin reading Italo Calvino’s new novel, If on a winter’s night a traveler. Relax. Concentrate. Dispel every other thought. Let the world around you fade. Best to close the door; the TV is always on in the next room. Tell the others right away, ‘No, I don’t want to watch TV!’ Raise your voice—they won’t hear you otherwise—‘I’m reading! I don’t want to be disturbed!’” (P. 3 –Vintage 1983)

(અહીં ઉદ્ધૃત કરેલા આ અને બીજા ફકરાનો ગુજરાતીમાં અનુવાદ નથી કરતો, કેમ કે સુગમ છે.)

આ જેને કહેવાયું છે એ ‘વાચક’ અથવા ‘આપણે વાચકો’ છીએ.  

સવાલ એ થાય કે આમ કહેનાર કોણ છે? બધી કથાઓમાં હોય છે એમ, એ કથક છે અથવા લેખક છે. કાલ્વિનોની આ નવલ ખરીદવા કથક ‘વાચક’ને અને તમને (you) બુકસ્ટોર પર લઈ જાય છે. ત્યાં વિધવિધનાં પુસ્તકો છે : Books You Needn’t Read; Books Read Even Before You Open Them, Since They Belong To The Categorof Books Read Before Being Written; Books You’ve Been Planning to Read for Ages; Books That Everybody’s Read So It’s As If You Had Read Them, Too. And more. (P. 5 –Vintage 1983)

પણ આ કથક પહેલા પ્રકરણમાં પોતાને વિશે કહે છે –“I am called ‘I’ and this is the only thing that you know about me.” એને ‘I’ અથવા ‘હું’-નો દરજ્જો આપનાર લેખક છે. એને એની જાણ છે એટલે કહે છે, “By the very fact of writing ‘I’ the author feels driven to put into this ‘I’ a bit of himself, of what he feels or imagines he feels.” કાલ્વિનોને લાગે કે આ ‘I’-માં મારું કંઈક મૂકું એટલે એમણે ‘I’ એમ લખ્યું છે.

આ નિર્દેશો એમ સૂચવે છે કે કથક અથવા ‘I’ જે કંઇ કહે છે એ વત્તેઓછે અંશે લેખકે કહ્યું હોય છે. બીજા શબ્દોમાં એમ કહેવાય કે કથકે કહેલું ઘણુંબધું અહીં ‘પહેલો પુરુષ એકવચનના કથનકેન્દ્ર’-થી નિરૂપણ પામ્યું છે. 

પ્રકરણ -8 

કથક સિલાસ ફ્લૅનરી નામનો લેખક છે, એ ડાયરી લખતો હોય છે. લેખન માટે દરરોજ ટાઇપરાઇટરે પ્હૉંચે, પણ બાલ્કનીએ જઈ સ્પાય-ગ્લાસિસથી એક સ્ત્રીને જોતો હોય છે. સ્ત્રી ડેક-ચૅરમાં બેસીને પુસ્તકવાચન કરતી હોય છે. એ લખતો હોય છે ત્યારે, ક્યારેક, એમ વિચારતો હોય છે કે એ સ્ત્રી એ જ વાંચી રહી છે જે પોતે લખી રહ્યો છે. જેમ એ એને વાંચતી જુએ છે એમ એ એને લખતો જુએ છે. 

ક્યારેક આ કથકને એમ લાગે છે કે પોતાનાં પુસ્તકો છે ખરાં પણ એને સુવાચ્ય રૂપમાં મૂકવાં જોઈશે. એની પાસે બે લેખકોની વાર્તાનો એક આઇડિયા છે. એક લેખક પ્રોડક્ટિવ છે, બહુલખુ, અને બીજો છે ટૉર્મેન્ટેડ, દુ:ખી. બહુલખુ લેખક દુ:ખી લેખકની રચનાને વખોડી નાખે છે, પણ દુ:ખીને જ્યારે એ સંઘર્ષ કરતો જુએ છે, એને થાય છે – અરે, આ તો મારી રચના છે, વળી, કેટલી ફિસ્સી છે. 

આ કથકે (એટલે કે સિલાસ ફ્લૅનરી નામના લેખકે) એક યુવતી તડકે બેસીને પુસ્તક વાંચતી હોય છે એવી એક વાર્તા કલ્પેલી. યુવતી બહુલખુ લેખક પાસેથી તેમ જ દુ:ખી લેખક પાસેથી હસ્તપ્રત મેળવતી રહે છે; એને એ સમજવું હોય છે કે બન્નેની હસ્તપ્રતો એકબીજાને મળતી આવે છે કે કેમ. અથવા એ કદાચ બન્ને હસ્તપ્રતોની અદલાબદલી કરી નાખે છે, એટલું જ નહીં, પહેલાની બીજાને અને બીજાની પહેલાને આપી બેસે છે; પેલા બન્ને પરેશાન થઇ જાય છે. આ કથક કલ્પે છે કે હસ્તપ્રતોની અદલાબદલી કરવાની બીજી પણ રીતો છે.

વાર્તાની દુનિયામાં નહીં, પણ વાસ્તવિક દુનિયામાં, આ કથકના ટાઇપરાઇટર પર પારકી પંચાત કરનારું કે ચાડી ખાનારું એક પોસ્ટર છે — It was a dark and stormy night… એ વંટોળભરી અંધારી રાત … પોસ્ટર વાંચીને એને મજા પડી જાય છે, એને થાય છે, ‘એ’ એમ ચીંધે છે કે કશુંક બની રહ્યું છે, પણ કોના બારામાં, કેમ, તે નથી સૂચવાતું. કથક વિચારે છે કે પ્રારમ્ભ અને બીજું ઘણું સૂચવતા આ પોસ્ટરને અહીંથી કાઢી નાખવું જોઈશે, કેમ કે એને લીધે પોતાનાં કામોમાં ગરબડભર્યું ભંગાણ ઊભું થાય છે.

આ કથક દૉસ્તોએવસ્કીની નવલકથા “Crime and Punishment”-માંથી ઉતારા કરતો હોય છે, એ જાણવા કે કથાનો સરસ પ્રારમ્ભ કરવો હોય તો કેવી રીતે કરાય. આ કથકનાં પુસ્તકોના અનુવાદ કરવા ઇચ્છતા કોઈકનો બોલાવ્યો એ જાય છે, કેમ કે પેલાએ એને જણાવેલું કે — તાજેતરમાં તમારાં પુસ્તકોના અનધિકૃત અનુવાદો ઘણા ફૂટી નીકળ્યા છે. પણ હકીકત એ છે કે એ પુસ્તકો કથકે કદી લખ્યાં જ નથી! એ જૂઠથી કથક અપમાન અનુભવે છે, જો કે ઉત્સુકે ય થાય છે, ખુશ પણ થાય છે. એને અવગત થાય છે કે એનાં પુસ્તકોનો એ અનુવાદક, એર્મિસ મારન છે!

એર્મિસ મારન કથક આગળ ખુલાસો કરે છે કે હાલ પોતે જપાનમાં છે, પણ એકાએક બીજી વાત કરવા લાગે છે – સિદ્ધાન્ત સમજાવતો હોય એમ કહે છે કે લેખકો શું છે એ સમજીએ – લેખકો બીજા લેખકોએ પોતાની વાર્તાઓ માટે ઉપજાવી કાઢેલાં પાત્રો છે! મારનની આ વાત કથકને કેટલાક દિવસો પછી યાદ આવે છે, અને એને થાય છે કે સાલું, આ તો મારાં જ લેખનને લાગુ પડે છે! એને વિચાર આવે છે કે કુરાન તો મોહમ્મદ પયગમ્બરનું અને એઓ જે વદ્યા તેનું લેખન કરનારા લહિયાનું સંયુક્ત સર્જન કહેવાય. મોહમ્મદ પયગમ્બરે કુરાનની અન્તિમ પંક્તિઓ પણ લહિયાને લખવા દીધી. તેથી લહિયાને ભલે મજા ન આવી, બાકી, હકીકત એ હતી કે કુરાનમાં છેલ્લે શું લખવું તે અલ્લાહને અધીન હતું.  

આ કથકને એની નવલકથાના પ્રકાશનને વિલમ્બમાં નાખનારા પ્રકાશકો અને સાહિત્ય-દલાલોની સાઠગાંઠ યાદ આવે છે. કથક ડુંગરાળ રસ્તે ચાલવા જાય છે, ત્યાં કેટલાક છોકરાઓને જુએ છે. છોકરાઓ ‘ઊડતી રકાબીઓ’-ને તાકતા હોય છે. તેઓ કથકને કહે છે કે – નજીકમાં એક લેખક છે, એ સંકટમાં ઘેરાયો હોય ત્યારે, પરગ્રહવાસીઓ એના મગજમાં વિચારો મોકલતા હોય છે, જો કે, એની એને ખબર નથી પડતી. છોકરાઓ ઉમેરે છે કે – આવું અમે સાંભળ્યું છે. કથકને થાય છે – મારા લેખનને શું પરગ્રહવાસીઓ નિશ્ચિત કરે છે …

આ કથકને કે’દાડાનો ‘રાઇટર્સ બ્લૉક’ છે. લોતારિયા એની એક નવલકથા પર થીસિસ કરતી હોય છે, એ એને મળવા આવે છે. કથક એટલા માટે નિરાશ થાય છે કે થીસિસ લોતારિયાએ પહેલેથી નક્કી રાખેલી પોતાની વિચારણા મુજબ ગોઠવી કાઢ્યો છે. કથક ઇચ્છે છે કે લોકો એની નવલમાં સારું શું છે તે જાતે શોધી લે, એવું કે જેની એને પણ ખબર ન હોય! પણ લોતારિયા કહે છે, એ તો પૅસિવ રીડિન્ગ થયું કહેવાય – સુસ્ત વાચન; કહે છે – મારી બહેન લુદ્મિલા એ જ કરતી હોય છે. લોતારિયાની માન્યતા છે કે વાચનની એક રીત એ પણ છે કે એથી સિલાસ ફ્લૅનરી જેવા, એટલે કે આ કથક જેવા, નીરસ લેખકોને પણ સારી પેઠે પામી શકાય. 

એ સાંજે આ કથકને થયું કે કોઈ અજાણ્યા ઓળા સરકી રહ્યા છે. એને થાય છે કે કોઈ લોકો એની ચીજવસ્તુઓમાં ખાંખાખૉળા કરી રહ્યા છે. પોતાની હસ્તપ્રતો તપાસી જોતાં એને યાદ નથી આવતું કે લખ્યું છે એ બધું પોતાનું છે કે કેમ.

આ કથક લોતારિયાને કેટલાંક પુસ્તકો આપે છે, પણ લોતારિયા જણાવે છે કે પોતે નહીં વાંચી શકે કેમ કે પોતાની પાસે કમ્પ્યૂટર નથી – કમ્પ્યૂટર પર એ પુસ્તકોનાં વિશ્લેષણ કરતી હોય છે – અને એ પ્રકારે કોઈપણ પુસ્તકને પાંચ જ મિનિટમાં વાંચી નાખતી હોય છે. પુસ્તકમાં સામાન્યપણે વપરાયેલા શબ્દો એ ફટ શોધી કાઢે છે, અને બાકીના શબ્દોથી પુસ્તક કેવું થયું છે તે ઝટ કહી દે છે. કથકને લોતારિયા એવા શબ્દોની અનેક યાદીઓ પણ બતાવે છે.

લોતારિયાની પુસ્તકવાચનની એ રીત જાણીને કથક એ વાતે દુ:ખી થાય છે કે એનાં પુસ્તકો પણ એ એમ જ વાંચતી હશે ને! એ પછી, કથકને લુદ્મિલા મળે છે, અને પુસ્તકવાચનની ‘ઉત્તમ’ ગણાતી રીતો વિશે ઉગ્ર પ્રતિભાવો આપે છે, ત્યારે કથકને એમ થાય છે કે લુદ્મિલા લોતારિયાના વિચારો પર પ્રહાર કરી રહી છે; પણ હકીકતે એ એર્મિસ મારનની ટીકા કરતી હોય છે. કથક એને પૂછે છે કે શું પોતે એની અપેક્ષા પ્રમાણેનો છે, તો લુદ્મિલા ‘હા’ ભણે છે, ઉમેરે છે કે મારનને પોતે એના લેખનોમાં તપાસશે.

લુદ્મિલા લેખનને એક શારીરિક ક્રિયા ગણે છે અને પોતાના એ મન્તવ્યનું ગૌરવ કરતાં જણાવે છે કે એ કારણે જ સાહિત્ય-શબ્દનું સત્ય હાથ આવે છે. કથક સમ્મત થાય છે અને નજીક સરકીને લુદ્મિલાને ભેટવા કરે છે, પણ લુદ્મિલા એને ખસેડી નાખે છે, કહે છે – ગલત સમજ્યા છો મને; હું તમારી સાથે સૅક્સ પણ કરું ને, તો ય આપણાથી સિલાસ ફ્લૅનરીના સત્ય લગી નહીં પ્હૉંચાય. લુદ્મિલા આમ એટલા માટે કહે છે કે એના ચિત્તમાં નવલકથાકાર ફ્લૅનરી ચૉંટેલો છે.  

લુદ્મિલાના ગયા પછી, કથક સ્પાય-ગ્લાસિસ લઈને ડેકચૅરમાં બેસેલી પેલી સ્ત્રીને જોવા માગે છે, પણ ત્યાં એ નથી હોતી. મૉડેથી, લુદ્મિલા સાથેની એક બીજી વાતચીત દરમ્યાન, પોતે જોતો હતો એ સ્ત્રી વિશે એ લુદ્મિલાને જાણ કરે છે. લુદ્મિલા પૂછે છે કે સ્ત્રી પરેશાન દેખાતી’તી કે શાન્ત. લુદ્મિલા વાતનો સાર પકડે છે કે સ્ત્રી જો પરેશાન દેખાતી’તી, તો એનો અર્થ એ કે એ પરેશાન કરી દે એવાં પુસ્તકો વાંચતી’તી. 

(આ પ્રકરણ દીર્ઘ છે, માટે અટકું.)

તારણ :

કથક કહેવાતો લેખક સિલાસ ફ્લૅનરી, અનુવાદક એર્મિસ મારન, વાચક ‘તમે’ – you, ‘અન્ય વાચક’ લુદ્મિલા, એની બહેન લોતારિયા – એ સૌ વચ્ચે રચાતી ખરા કે ખોટા લેખનની તેમ જ ખરા કે ખોટા વાચનની ગૂંચ.

ક્રમશ:
(27 May 24 : A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ભારતમાં અમીર લોકો અને ગરીબ લોકો માટે ન્યાય અલગ છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|27 May 2024

રાજ ગોસ્વામી

રિતેશ(નામ બદલ્યું છે)ની ઉંમર હજુ 17 વર્ષની હતી. તેનું ધોરણ બારની બોર્ડ પરીક્ષાનું પરિણામ આવ્યું હતું. તે ખુશ હતો. તેના દોસ્તો સાથે તેણે બારમાં પાર્ટી યોજી હતી. ખૂબ મજા કરી. શરાબ અને કબાબ પાછળ 48,000 રૂપિયા ખર્ચાયા હતા. વહેલી સવારે 2 વાગે પાર્ટી પૂરી કરીને રિતેશ તેની લક્ઝરી પોર્શે કારના વ્હીલ પાછળ ગોઠવાયો અને કારને ઝાટકા સાથે સ્ટાર્ટ કરી.

તેના શરીરમાં અનગિનત પેગની અને કારમાં 160 કિલોમીટર પ્રતિ કલાકની તાકાત હતી. કાર પૂણેની શાંત રાતને ચીરતી નીકળી. રિતેશના નશામાં કારની સ્પીડનો ઉમેરો થયો. એ ઘાતક કોકટેલ હતી. થોડેક દૂર ગયા પછી રિતેશે ભાન ગુમાવ્યું અને કાર આગળ જઈ રહેલી એક મોટરબાઈક સાથે ધડામ કરતી અથડાઈ અને ફૂટપાટ પાસે પાર્ક કરેલાં બીજાં વાહનોમાં ઘૂસી ગઈ.

બાઈક પર બે મિત્રો, અનીસ અવધિયા અને અશ્વિની કોસ્તા, એક પાર્ટીમાંથી પાછા ફરી રહ્યા હતા. પોર્શે કાર તેમની સાથે એટલી જોરથી અથડાઈ હતી કે બંનેનાં ઘટનાસ્થળે જ મોત થઇ ગયાં. રિતેશના પિતા પૂણેના એક અગ્રણી બિલ્ડર છે અને ડ્રાઈવિંગ લાઇસન્સ વગર તેમણે તેમના લાડલાને પોર્શે કાર આપી હતી.

ઘટનાસ્થળે આવેલી પોલીસે રિતેશની ધરપકડ કરી. તેને રવિવારે બપોર પછી હોલીડે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો અને તેની કસ્ટડી માંગી, પરંતુ કોર્ટે એવું કહીને તેને જામીન આપી દીધા કે તેણે યરવડાની ટ્રાફિક પોલીસ સાથે 15 દિવસ કામ કરવું પડશે અને ‘રોડ અકસ્માતની અસરો અને તેના ઉપાય’ એ વિષય પર 300 શબ્દોનો એક નિબંધ લખવો પડશે.

કલ્પના કરો કે એક અમીર બાપનો સગીર છોકરો પબમાં દારૂ પીવે છે, નશામાં તે બેફામ કાર ચલાવીને બે માણસોને કચડી મારે છે અને 15 કલાકમાં કોર્ટ તેને નિબંધ લખવાની સજા કરીને છોડી મૂકે છે!

માત્ર પૂણે જ નહીં, પૂરા દેશમાં હાહાકાર મચી ગયો. આમાં ઘણા બધા મુદ્દા ભેગા થઇ ગયા. એક તો વગર લાઈસન્સે કાર ચલાવી હતી, સગીર ઉંમરે દારૂ પીધો હતો, કોર્ટે ખાલી ઉંમર જોઇને 15 કલાકમાં જ તેને જમીન આપી દીધા, બે આશાસ્પદ યુવાન-યુવતીનાં ઘટના સ્થળે જ મોત થયું હતું તે કોર્ટને ન દેખાયું, પિતા અમીર હતા એટલે મોંઘા વકીલને રોક્યા હતા.

મહારાષ્ટ્રમાં લોકસભાના ચૂંટણી પ્રચાર વચ્ચે જ આ કરુણ અને આઘાતજનક ઘટના બની હતી. લોકોનો ગુસ્સો તો ફૂટી પડ્યો, રાજકારણીઓ પણ એમાં કુદ્યા. નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવિસે જાતે પૂણે પોલીસ સાથે મિટિંગ કરી.

કાઁગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો જારી કરીને એક અણિયાળો સવાલ પૂછ્યો : “અમીર લોકો માટે દેશમાં અલગ કાનૂન છે? જો કોઈ બસ ડ્રાઈવર, ટ્રક ડ્રાઈવર, ઓલા કે ઉબેર ડ્રાઈવરે કોઈને ભૂલથી કચડી નાખ્યા હોય તો, તેને 10 વર્ષ માટે જેલમાં પૂરી દેવામાં આવે છે, પણ એક અમીર પરિવારનો 16-17 વર્ષનો છોકરો દારૂના નશામાં તેની પોર્શે કાર નીચે બે લોકોને મારી નાખે તો તેને નિબંધ લખવાનું કહેવામાં આવે છે. કેમ ઉબેર કે ઓટો ડ્રાઈવરને એવું લખવાનું કહેવામાં આવતું નથી?”

પૂણેના આ નબીરાને છોડી મુકવા માટે સ્થાનિક કોર્ટ પાસે ગમે તે કાનૂની તર્ક હોય, દેશમાં આમ લોકોની અંદર એક માન્યતા લગાતાર બળવત્તર બની રહી છે કે અમીર લોકો માટે ન્યાય જેટલો સુલભ છે, ગરીબો માટે નથી. 2021ના આંકડા પ્રમાણે, ભારતમાં 4,34,302 કાચા કામના કેદીઓ છે, જે કાં તો જેલમાં છે અથવા રિમાન્ડ પર છે. તેમની સામે કેસ જલદી નથી ચાલતા કારણ કે તેમની પાસે લડવા માટેનાં સંસાધનો નથી. નામદાર જજ સાહેબો આનાથી વાકેફ છે અને ઘણા વખત બોલતા પણ હોય છે.

2011માં, દિલ્હી હાઈ કોર્ટના જજ, જસ્ટિસ એસ.એન. ધિંગરાએ કહ્યું હતું કે આપરાધિક ન્યાય વ્યવસ્થામાં બદલાવની જરૂર છે અને મોટી અદાલતો પૈસાવાળા અને તાકાતવાળા લોકોમાં વ્યસ્ત છે. 2013માં, એક કેસની સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એચ.એલ. દત્તુ અને એસ.જે. મુખોપાધ્યાયની બેન્ચે કહ્યું હતું કે ગરીબ લોકોને એવું લાગે છે કે ન્યાય વ્યવસ્થા જાણીતા લોકોની જ દરકાર કરે છે અને ગુમનામ લોકોની ઉપેક્ષા કરે છે. 2020માં, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપક ગુપ્તાએ કહ્યું હતું કે કાનૂન અને ન્યાય વ્યવસ્થા અમીર અને તાકાતવર લોકોને ફેવર કરે છે.

તમને અભિનેતા સલમાન ખાનનો કિસ્સો યાદ હશે. 2015માં, અભિનેતાને દારૂ પીને કાર ચલાવાના અને જીવ લેવાના કેસમાં સેશન્સ કોર્ટે કસુરવાર ઠેરવ્યો તેના ગણતરીના કલાકોમાં તેના મોંઘા વકીલો હાઈ કોર્ટમાંથી જામીન લઇ આવ્યા હતા.  ત્યારે પણ આ ચર્ચા ઊઠી હતી કે અમીર અને સેલિબ્રિટી લોકો માટે ન્યાય કેટલો ઝડપી અને આસાન છે. તેની સામે ગરીબ લોકોને વર્ષો સુધી જેલોમાં સબડવું પડે છે.

2021માં, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી.વાય. ચંદ્રચુડે હત્યા કેસના આરોપી એક ધારાસભ્યની અરજી પર સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે, “ભારતમાં બે સમાંતર કાનૂની વ્યવસ્થા ના હોઈ શકે, એક અમીર અને સાધન સંપન્ન તેમ જ રાજનૈતિક તાકાત અને પ્રભાવ રાખનારાઓ માટે અને બીજી ન્યાય મેળવવા કે અન્યાય સામે લડતા ક્ષમતાઓ વગરના નાના લોકો માટે.”

ન્યાયનો સિદ્ધાંત કહે છે કે તે દરેક વ્યક્તિઓ સાથે, તેમની સામાજિક-આર્થિક પરિસ્થિતિની પરવા કર્યા વિના, નિષ્પક્ષ અને સમાન રીતે વ્યવહાર કરે છે. વ્યવહારમાં, ન્યાય મેળવાનું અઘરું છે કારણ કે વ્યવસ્થાગત પૂર્વગ્રહો અને અસમાનતાઓ કાનૂની પ્રક્રિયાને પ્રભાવિત કરે છે. તેમાં બદલાવ ત્યારે જ આવે જયારે કાનૂની કાર્યવાહીમાં પારદર્શિતા આવે અને સુધાર આવે.

સુપ્રીમ કોર્ટે એવી રેકોર્ડ પર કહ્યું છે કે તેનો 5 ટકા સમય જ સાધારણ નાગરિકો માટે વ્યય થાય છે. જેને પણ ભારતની અદાલતોનો અનુભવ છે તે કહેશે કે કેસ દાખલ કરવાથી લઈએ ધરપકડથી બચવા માટે અરજી કરવા અથવા ઝડપથી સુનાવણી કરવાથી લઈને અનુકૂળ ફેંસલો મેળવવાની સંભવાના, વડી અદાલતો અપીલ સ્વીકાર કરે અને ત્યાં રાહત મેળવવાની સંભાવના સુધીની કાનૂની ઝંઝટ અરજીકર્તા કેટલો સક્ષમ છે તેનાથી પ્રભાવિત થાય છે.

ભારતમાં આપણે બ્રિટિશ ન્યાય પ્રણાલી અપનાવી છે, જેમાં પક્ષોનું પ્રતિનિધિત્વ એડવોકેટ દ્વારા થાય છે. આ એડવોકેટો પાસે તેમના અરજદારોના પક્ષમાં મામલાને પ્રભાવિત કરવાની અલગ અલગ ક્ષમતાઓ હોય છે. અદાલતો અરજદારો પ્રત્યે કેવું વલણ અખત્યાર કરે છે તેનું પ્રમુખ શ્રેય એડવોકેટની પ્રતિષ્ઠા પર નિર્ભર કરે છે. એડવોકેટ જેટલો રુઆબદાર હોય, કોર્ટ એટલી અનુકૂળ હોય.

એટલા માટે અમીર અને તાકાતવર લોકો તેમના કેસ માટે શહેરના સૌથી વરિષ્ઠ એડવોકેટ(જેમની ફી લાખો રૂપિયામાં હોય છે)ને રોકે છે. એવા એડવોકેટ કાનૂનના અચ્છા જાણકાર જ નથી હોતા, કોર્ટમાં તેમની ઉપસ્થિતિ પણ વજનદાર હોય છે અને તેમને વિશેષ રીતે સાંભળવામાં આવે છે.

આ સ્થિતિનું એક સંભવિત સમાધાન મફત કાનૂની સહાય છે. ભારતીય ન્યાય વ્યવસ્થામાં મફત કાનૂની સહાયની જોગવાઈ છે. એ એક આશ્ચર્ય છે કે નાગરિક સમાજમાં આ જોગવાઈને લઈને બહુ જાગૃતિ નથી. કાનૂન વ્યવસ્થામાં સુધાર કરવાની જરૂરિયાત પર વાત થાય છે ત્યારે, આ મફત કાનૂની સહાયતાની જોગવાઈ પર નવેસરથી વિચાર કરવાની અને તેને વધુને વધુ સુલભ અને લોકપ્રિય કરવાની જરૂર છે. ગરીબ અને વંચિત લોકો માટે એ જ એક આશાનું કિરણ છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 26 મે 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...557558559560...570580590...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved