Opinion Magazine
Number of visits: 9557341
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાઓરીને પત્ર

નારાયણ દેસાઈ|Gandhiana, Opinion - Opinion|22 August 2024

(કાઓરી કુરીહારા એક જાપાનીઝ યુવતી. ગાંધી વિચાર-દર્શનમાં વિશેષ રુચિ. આથી ગાંધીજીને જાણવા-સમજવા ખાસ ભારત આવી. ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં રહી અને ગાંધીદર્શન પર પીએચ.ડી. કર્યું. ગાંધીજીને વધુ સમજવા ખાસ ગુજરાતી શીખી. નારાયણભાઈ દેસાઈની ગાંધીકથા ય સાંભળતી-માર્ગદર્શન મેળવતી.  – સંપાદક, “ભૂમિપુત્ર”)

જાપાનમાં સુનામી આવી અને દરિયાકિનારે જ આવેલ અણુમથક એમાં સપડાયેલું. સૌ લોકો ચિંતિત હતા. ત્યારે કાઓરીએ કેટલાક પ્રશ્ર્નો પૂછેલા તેના જવાબરૂપે આ પત્ર લખાયો હતો. તેના કેટલાક અંશો.

પ્યારી પુત્રી કાઓરી,

કાઓરી કુરીહારા અને નારાયણ દેસાઈ

તારી સાથે ઓળખાણ હતી એટલે જેવું સાંભળ્યું કે તારો દેશ એકસાથે ત્રણ મોટાં સંકટોમાં ફસાયો છે, તેવું જ મારું મન તારા ભણી દોડી ગયું. મેં જ્યારે તારા ઘરનાં સંબંધીઓ અંગે પ્રશ્નો પૂછ્યા ત્યારે તેં તો મને એક ગંભીર પ્રશ્ન પૂછીને વિચાર કરતો કરી મૂક્યો. તેં સાવ સહજભાવે મને પૂછ્યું કે જો આજે ગાંધીજી હોત તો જાપાનના લોકો શું કહેત ? તારે સારુ આ પ્રશ્ન સ્વાભાવિક છે, કારણ તને ગાંધીજીમાં ઊંડો રસ છે. અને તું જાણે છે કે હું ગાંધીજીના ખોળામાં રમ્યો છું પણ મારે માટે આ પ્રશ્ન કઠણ છે. એટલા માટે કે :

૧. મને એમ થાય કે આવા પ્રશ્નનો જવાબ આપવાનો મારો અધિકાર કેટલો ? અને

૨. ગાંધી તો નિત્યવિકાસશીલ વ્યક્તિ હતા. એમને ગયાને પણ કેટલાં ય વર્ષો થઈ ગયાં. મેં એમને જોયા-જાણ્યા તેને આધારે જવાબ આપું, પણ તેઓ તો આટલાં વર્ષોમાં ક્યાંયના ક્યાં ય આગળ વધી ગયા હોત. એટલે મારો જવાબ કદાચ જુનવાણી પણ બની જાય !

પહેલી વારની ચેતવણી આપણને – આખી માણસજાતને હિરોશીમા-નાગાસાકીમાં મળી ગઈ હતી. પણ દુનિયા આખીએ આવી તેજાબી ચેતવણી આગળ આંખ આડા કાન કર્યા. ત્યાર પછીના દાયકાઓ સુધી આપણી માણસજાતે એકબીજાની સામે મૉતનાં શસ્ત્રોના ખડકલા જ કર્યે રાખ્યા. અને પાછું એને રૂપાળું નામ આપ્યું “શીત યુદ્ધ” ! વળી પરમાણુ શસ્ત્રો અને પરમાણુ ઊર્જાનો સંબંધ “ચોલી દામન” હતો. એ આપણે ન સમજ્યા. પરમાણુ શસ્ત્રના શિકાર બનેલા તમારા દુર્ભાગી દેશે એ જ રસ્તો લીધો. “શાંતિ માટે અણુ” એ તો પોતાની લાજ છુપાવવા માટેનું, કહેવાતી વિકસિત દુનિયાનું એક મોટું બહાનું જ હતું. હવે તો એ પુરવાર થઈ ચૂકેલી વાત છે કે પરમાણુ ઊર્જા સ્વચ્છ નથી, સસ્તી નથી અને સલામત તો હરગિજ નથી.

તમારા દેશે અણુઊર્જા પાછળ દોટ મૂકવાનું સ્વીકાર્યું તેની પાછળ કદાચ નીચેનાં કારણો હોઈ શકે :

૧. તમારી પાસે ઊર્જા મેળવવાના બીજા સ્રોતો પ્રમાણમાં ઓછા હતા.

૨. વિકાસ એટલે જરૂરિયાતો વધારવી, એ વ્યાખ્યા તમારા નીતિ – નિર્ધારકોને મનમાં વસી ગઈ હતી. અને એવા વિકાસની હોડમાં તમારે બને એટલા આગળ રહેવું હતું.

૩. આપણી નજર “પશ્ચિમ” ભણી જ રહી. એની આપણે એટલી હદ સુધી હરીફાઈ કરી કે એનાં મૂલ્યો, એની જીવનશૈલી, એની આખી સંસ્કૃતિ જ આપણો આદર્શ બની ગઈ અને આપણે આપણું આગવાપણું વિસારીને પશ્ચિમની નકલમાં લાગી ગયા અને કેટલીક બાબતમાં તો એને આંટી પણ ગયા.

૪. આપણે એમ જ માનીને ચાલ્યા કે અમારી ટેકનોલોજી તો કદી ભૂલ, થાપ ખાય જ નહીં. આપણા પહેલાં બીજા એકથી વધારે મોટા દેશોએ પણ આમ જ માન્યું હતું અને ખસૂસ ભૂલો કરી હતી. તોયે આપણે પોતાને કદી ભૂલ ન કરનારા માનતા રહ્યા. “માણસ માત્ર ભૂલને પાત્ર” એટલી સાધારણ બુદ્ધિને આપણે અળગી જ રાખી.

અમર્યાદ સંપત્તિ, નિરંકુશ સત્તા અને હદબહારની મહત્ત્વાકાંક્ષા – આ ત્રણ આપણા સમાજને નષ્ટ કરનાર ત્રિદોષ છે. એને કાબૂમાં રાખવા માણસે પોતાની મનોવૃત્તિ ફેરવવી પડશે. લોભ, સત્તાકાંક્ષા અને અહંકારને જીતવા આપણે સતત પ્રયત્ન કરતા રહેવો પડશે. સમાજનાં મૂલ્યો બદલવા સારુ છેવટે તો વ્યક્તિની મનોવૃત્તિ જ બદલવાની રહેશે. ઈર્ષા, મહત્ત્વાકાંક્ષા અને યુદ્ધને પ્રેરણા આપનાર સ્પર્ધાને બદલે આપણે પરસ્પર કાળજી રાખતો અને સુખદુ:ખ વહેંચતો caring – દરકાર રાખનાર અને sharing – સહભાગી થનાર સમાજ ઊભો કરવો પડશે.

આપણા સમાજના માળખામાં આપણે એવા ફેરફાર કરવા પડશે કે જેથી સમાજના સંચાલનમાં સમાજના દરેક સભ્યની ભાગીદારી થાય. એ ભાગીદારીનો દરેક સભ્ય લાભ પણ ઉઠાવતો હોય અને એને સારુ જરૂરી એવી ફરજ પણ એ અદા કરતો હોય.

જ્યાં લોકો એકબીજાને નિકટથી ઓળખતા હોય એવા સમુદાયમાં જ આ શક્ય છે. માટે આપણી નવી સમાજરચનાની ગોઠવણ નાના સમુદાયોવાળી કરવી પડશે. આને માટે ઘણાં સામાજિક નિરીક્ષણો ને પ્રયોગો  કરવાં પડશે. તમારી નવી પેઢીનું આ કામ છે. અમારી જૂની પેઢી જ્યાં સુધી સમાજને લઈ ગઈ છે, ત્યાંથી આગળ લઈ જવાનું કામ તમારું છે. માણસજાતના ઇતિહાસમાં તમને આને મળતા કેટલાક દાખલાઓ મળી આવશે. તમારું કામ એનું અધ્યયન કરીને એમની વ્યવસ્થામાંથી સમાજને ટકાવનાર તકો શોધી કાઢીને એને વિકસાવવાનું રહેશે. અલબત્ત આપણે જે નવી વ્યવસ્થા ઊભી કરવી છે તે કોઈ પુરાણી વ્યવસ્થાની નકલ તો નહીં જ હોય. આપણો પ્રયાસ પુરાણી વ્યવસ્થામાંથી સમાજપોષક તત્ત્વો શોધી કાઢીને તેની કલમ નવી વ્યવસ્થાના પડકાર સાથે કરવાનો હોવો જોઈએ.

કામ ભલે થોડું કે નાનું હોય, પણ તે સતત થતું રહેવું જોઈએ. સાતત્ય કામને જે શક્તિ આપે છે તેવી શક્તિ કેટલીક વાર આંદોલન પણ નથી આપી શકતાં. ધ્યેય ઊંચું રાખવું, પણ આંખો સામે નાનાં, પણ સિદ્ધ થાય એવાં લક્ષ્ય રાખવાં.

આજની જટિલ પરિસ્થિતિનો વિચાર કરતાં સમૂળગું પરિવર્તન કરવાની વાત સાવ સહેલી નથી, એ હું સ્વીકારું છું. પણ આદર્શ તો એવો જ હોય ને કે જે પહોંચમાં હોય, પણ પકડમાં ન હોય ! તો જ એને સારુ પરાક્રમ કરવાની પ્રેરણા થાય.

વ્યક્તિગત સજ્જતા જો તમે ઉપર જણાવ્યા તે મુદ્દાઓ મુજબ સાધી, એની સાથેસાથે જ સમાજ પરિવર્તન સારુ નીચેના રસ્તાઓ લેવા જોઈએ એમ મને લાગે છે :

૧. સૌથી પહેલાં તો આજની પરિસ્થિતિમાં રહેલાં એવાં તત્ત્વો જે નૈતિક, સાંસ્કૃતિક કે અન્ય વિષયોમાં જીવન-મરણની કટોકટી ઊભી કરે છે, અને ભવિષ્યમાં કરી શકે એમ છે તે બાબત ખૂબ મોટા પ્રમાણમાં લોકજાગરણ થવું જોઈએ. આ કામ વ્યાપક લોકશિક્ષણ દ્વારા જ થઈ શકે. એને સારુ પ્રચાર અને માધ્યમોનો પણ ઉપયોગ થઈ શકે. અને લોકજાગરણના નવાં વૈકલ્પિક માધ્યમોની શોધ પણ થવી જોઈએ. સમાજનો વિવેક જગાવવો એ પરિવર્તનનું પહેલું પગલું છે.

૨. ત્યારબાદ લોકોની શક્તિ સંગઠિત થવી જોઈએ. સંગઠન સત્તા કબજે કરવા સારુ નહીં. સત્તા કબજે કરીને પરિવર્તનનો પ્રયત્ન એ સાચો ક્રાંતિકારી પ્રયત્ન નથી. મોટેભાગે તો આવા પ્રયાસથી ચાલુ વ્યવસ્થા જ વધુ મજબૂત થતી હોય છે. નવું અને નક્કર સંગઠન તો નીચેથી ઉપર, નાના નાના સમુદાયોમાં, ગામડાઓમાં અને મહોલ્લાઓમાં ઊભું થશે.

૩. વ્યવસ્થાને બદલવા જતાં ઠેક ઠેકાણે એનાં સ્થાપિત હિતો દ્વારા વિરોધ થશે. એમને તો દુનિયા સામે ગમે તેવું સંકટ આવીને ઊભું હોય, તો પણ તેમાંથી પોતાનું હિત જ સાધવું હોય છે. એમની સામે શીંગડાં માંડવા જનારે એ વાસ્તવિકતાનો પણ ખ્યાલ રાખવો જોઈએ કે સ્થાપિત હિતો સંખ્યામાં ભલે નાનાં હોય, પણ તે સંપત્તિવાન છે, સત્તાવાન છે, અને સંચારનાં ઘણાંખરાં માધ્યમો પર અંકુશ છે. સંઘર્ષ કઠણ અને લાંબો થઈ શકે છે. આ બાજુ પરિવર્તન ઇચ્છનારાઓની મોટામાં મોટી શક્તિ લોકશક્તિ છે. એ શક્તિ લાંબા ગાળાના સંઘર્ષમાં છેવટ લગી તો જ ટકી રહે કે જો (અ) એમનામાં ફાટફૂટ ન પડે, (આ) શુદ્ધ સાધનોના ઉપયોગ કરવાના આગ્રહમાં તે મક્કમ હોય અને (ઈ) એને શુદ્ધ ચારિત્ર્યવાળું અને કુશળ નેતૃત્વ મળે. મને વિશ્વાસ છે કે તમારી સુસંસ્કારી, શિસ્તબદ્ધ અને ટકી રહેનારી પ્રજામાંથી જ આવું નેતૃત્વ તમને મળી રહેશે.

બહેન, તારા નાના પ્રશ્નનો મેં બાપુને નામે, લાંબો જવાબ આપ્યો, ક્ષમા કરજે. સાચો જવાબ તો તારા જેવા તરુણ તરુણીઓએ શોધવાનો છે. એની પાછળ અખૂટ શ્રદ્ધા અને વિલક્ષણ કાર્યક્ષમતા જોઈશે. તમારી વાદ-મુક્ત બુદ્ધિ અને વિકારશુદ્ધ હૃદય તમને જવાબ શોધવામાં જરૂર કામ લાગશે. કાળે આપણી સામે કટોકટી ખડી કરી છે. એ કટોકટી જ આપણને વિચાર કરવા પ્રેરશે અને છેવટે સર્વમંગલકારી શક્તિ જ આપણને પુરુષાર્થ કરવા પણ પ્રેરશે એવી શ્રદ્ધા સાથે.

તમારામાં માનવીનું ભાવિ ભાળતો તારો દાદાજી …

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઑગસ્ટ 2024; પૃ. 07-08

Loading

રણમાં પહોંચ્યા બાદ વેડફાતું નર્મદાનું પાણી

નેહા શાહ|Opinion - Opinion|22 August 2024

નેહા શાહ

“ભર ઉનાળે, મે મહિનામાં સુરેન્દ્રનગરના ખારાઘોડા વિસ્તારમાં વગર વરસાદે પૂર આવ્યાં.” આવું કોઈ સાંભળે તો કહે કે કહેતા ભી દિવાના ઔર સુનતા ભી દિવાના…. અને વાતને ફગાવી દે. આમ તો આ વાત તર્કહિન જ લાગે કારણ કે હંમેશાં પાણીની અછતને કારણે ચર્ચામાં રહેતા વિસ્તારમાં વગર વરસાદે પૂર કેવી રીતે આવે? તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કોઈ ટાઢાપોરની ગપ નથી – હકીકત છે. પૂરનાં પાણી કુદરતે નથી વરસાવ્યાં પણ નર્મદાના કચ્છ સુધી પહોંચેલા પાણીના ગેરવહીવટનો પ્રતાપ છે. તે પણ કોઈ એકાદ વખત બનેલી ઘટના નથી, પણ દસ વર્ષ કરતાં વધારે સમયથી વર્ષે બેથી ત્રણ વાર બનતી ઘટના છે. મીઠાં પાણીને ખારું બનાવી દેતા આ ગેરવહીવટનો ભોગ મીઠું પક્વતા અગરિયા વારંવાર બને છે.

પાણી કેટલી રીતે વેડફાય છે એ સમજવા જેવું છે. દિવાળી પછીના સમયમાં આ સૂકાભઠ્ઠ વિસ્તારમાં પાણીની અછત સર્જાય એટલે ખેડૂતો પાસેથી નર્મદાનાં પાણીની માંગ ઊભી થાય. જે માટે નહેરમાં પાણી છોડવામાં આવે. જરૂર કરતાં વધારે પાણી છોડાય એટલે પાણી ત્યાંની નાની નદીઓ અને વહોળામાં થઈ રણ સુધી પહોંચી જાય. કારણ કે, અહીંની બધી નાની નદીઓ રણમાં જ મળે છે. સુરેન્દ્રનગર અને બનાસકાંઠાનાં છેવાડાનાં ગામો સુધી નર્મદાની મુખ્ય નહેર પહોંચી છે, પણ નાની નહેરો બનવાની બાકી છે એટલે છોડેલું પાણી ખેતરમાં પહોંચવાને બદલે રણમાં ઘૂસી જાય છે. બીજું, મચ્છુ અને બામણી નદી પરના બંધમાં ભરેલું પાણી અવારનવાર બંધની સલામતીનાં કારણોસર છોડવું પડે છે. સવાલ થાય છે કે એટલું પાણી ભરવું જ શું કામ જોઈએ કે જેના કારણે બંધની સલામતી જોખમાય? જેને માણસના ઉપયોગ વગર વહાવી દેવું પડે ?

આ વર્ષે તો ગેરવહીવટની હદ થઈ. મચ્છુ નદીના બંધના દરવાજા પર સમારકામની જરૂર હતી જે અંગેની અરજી સિંચાઈ વિભાગે ડિસેમ્બર મહિનામાં કરી હતી. મંજૂરી આવતા આવતા એપ્રિલ થઈ ગયો. આ દરમ્યાન બંધમાં પૂરેપૂરું પાણી ભરી દેવામાં આવ્યું. સમારકામની મંજૂરી મળતાં જ કામ ચોમાસું શરૂ થાય એ પહેલાં પૂરું કરવું પડે, જે માટે બંધમાં ભરેલું પાણી ખાલી કરવું પડ્યું. લાખો ક્યુસેક પાણી નહેરો અને વહોળા થકી છોડી દેવામાં આવ્યું અને પાણીથી તરસતા વિસ્તારને પીવાનું મીઠું પાણી તો ન મળ્યું પણ રણના ખારાપટ પર ચાલીસેક કિલોમીટર અંદર ઘૂસી નર્મદાનું પાણી વેડફાઈ ગયું ! સાથે સાથે મીઠું પકવતા આશરે ૪૦૦ જેટલા પાટાને નુકસાન થયું, જેમાં પાટા દીઠ ગરીબ અગરિયાને લાખેક રૂપિયાનું નુકસાન થયું ! આ ગેરવહીવટ ના કહેવાય તો બીજું શું કહેવાય? એક અંદાજ પ્રમાણે સમગ્ર ઝાલાવાડ વિસ્તારની ખેતીને આખું વર્ષ જોઈએ એનાથી પણ વધારે નર્મદાનું મીઠું પાણી સરદાર સરોવરથી લગભગ ૩૫૦ કિલોમીટરનું અંતર કાપીને કચ્છના રણમાં ખારું થઈ વેડફાઈ જાય છે ! આ જ વિસ્તારમાં સૌથી વધુ મીઠું પાકે છે. અગરિયાઓ દિવાળી પછી મીઠું પકવવાનું કામ શરૂ કરે છે. જ્યારે આ પાણી રણમાં ફરી વળે ત્યારે તેમને માટે આવતાં પીવાનાં મીઠાં પાણીની  ટેન્કર પણ આવી શકતી નથી, જેથી પીવાનાં પાણીનો પ્રશ્ન સર્જાય છે. અગરિયાના પરિવારના આરોગ્ય માટે આવતી હેલ્થ વાન પણ આવી શકતી નથી. બાળકો શાળા સુધી પહોંચી શકતાં નથી. પરિણામે ઘણાં આર્થિક નુકસાન ઉપરાંત પાયાની સુવિધાઓ ખોરવાતી હોવાને કારણે અગરિયાઓને રણમાંથી હિજરત કરવાની જરૂર પડે છે.

નર્મદા યોજના એટલા માટે બનાવી હતી કે જેથી ઉત્તર ગુજરાત અને કચ્છના સૂકા વિસ્તાર સુધી પાણી પહોંચાડી ત્યાંના લોકોની તરસ છિપાવી શકીએ. આ માટે હજારો કરોડોનો ખર્ચ થયો છે અને લાખો આદિવાસી પોતાના ઘરથી વિસ્થાપિત થયા છે. ઉપરવાસમાંથી સ્થળાંતરિત થયેલા આદિવાસીઓએ ભોગવેલી અગવડની કિંમત પણ જો નર્મદા યોજના પાછળ થયેલા ખર્ચમાં ઉમેરીએ તો આંકડો ઘણો ઊંચો જાય. દુર્ભાગ્યની વાત જુઓ કે વર્ષોની મહેનત અને બેશુમાર ખર્ચ પછી પાણીના પ્રબંધમાં બેદરકારીને કારણે લાખો ક્યુસેક પાણી લોકોને રાહત નહીં પણ આફત પહોંચાડે છે. બોલો, આનાથી મોટી કમબખ્તી શું હોઇ શકે?

પાણીની અછતની ગંભીરતાને કારણે આપણે ઘર-વપરાશમાં પણ એક એક બુંદ બચાવીએ છીએ ત્યારે નર્મદાનું પાણી આયોજનના અભાવે વેડફાઈ જતું હોય તો તંત્ર અને સમાજે ભેગાં થઈને આચરેલું ગુનાહિત કૃત્ય લાગે છે. આ સાચા અર્થમાં કરદાતાના પૈસાનો વ્યય છે, જેનો વાંધો દરેક નાગરિકને પડવો જોઈએ. આ પ્રશ્ન તાત્કાલિક ઉપાય માંગી લે છે. ‘અગરિયા હિત રક્ષક સમિતિ’ નામક બિનસરકારી સંસ્થા આ વિસ્તારમાં કામ કરે છે. તેમના કાર્યકર્તાના કહેવા અનુસાર સરદાર સરોવર નિગમ અને ગુજરાત સરકારે તાજેતરમાં આ માટે એક સમિતિની રચના તૈયાર કરવાની મંજૂરી આપી છે, જે રાહતની વાત છે. આ સમિતિમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત હશે જેમાં બંધના પાણીના આયોજન, ખારાપટની જમીનની સંરચના સમજનાર ભૂસ્તર શાસ્ત્રી, સમાજશાસ્ત્રી, તેમ જ સામાજિક કાર્યકર હશે. સમિતિનાં સૂચનો આધારિત ઝડપથી નિર્ણય લેવાય જેથી ખેડૂતોને મહત્તમ પાણી મળે, અગરિયાને થતું નુકસાન અટકે અને રણમાં વેડફાઈ જતું પાણી બચે.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઑગસ્ટ 2024; પૃ. 18

Loading

યુનૂસ અને વડા પ્રધાન મોદી : સંતુલિત અને વિધાયક અભિગમનો રૂડો સંકેત

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|22 August 2024

પરિવર્તનની રાજનીતિ

મુદ્દે, જે સંબંધ છે તે કાઁગ્રેસ / ભા.જ.પ. કે અવામી લીગ અને હસીના વાજેદ વચ્ચેનો નથી. બાંગલાદેશ અને ભારત વચ્ચેનો સંબંધ છે. બાંગલાદેશના યુવા નેતૃત્વને સારુ આજની ઘડી 1971 પછીના બીજા મુક્તિપર્વની છે.

પ્રકાશ ન. શાહ

જ્યાં સુધી ભારત સરકારના અધીન મતનો સવાલ છે, બાંગલાદેશના એકંદર ઘટનાક્રમ પરત્વે સરવાળે સંતુલિત અભિગમની છાપ ઊઠે છે એ અવશ્ય સ્વાગતાર્હ છે. ઢાકાના બનાવોને અનુલક્ષીને વડા પ્રધાને ચાલુ મહિનાના પહેલા પખવાડિયા દરમિયાન કરેલી બંને પ્રગટ ટિપ્પણીઓ – આઠમી ઓગસ્ટે નવી સરકારને શુભ કામના પાઠવવાની રીતે અને પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લેથી  – ત્યાંના સાતઆઠ હિંદુઓની સુરક્ષાની સ્પષ્ટોલ્લેખ સાથે માત્ર અટકી નહોતી. એમણે હિંદુઓ અને બીજી લઘુમતીઓની સુરક્ષા વાસ્તે ખેવના પ્રગટ કરી હતી.

બાંગલાદેશની નવી સરકારના વડા સલાહકાર યુનૂસે વડા પ્રધાન મોદી સાથે વળતે દિવસે, સોળમી ઓગસ્ટે જે વાત કરી તેમાં એમણે વિધાયક પડઘો પાડવા સાથે ઉમેર્યું હતું કે, હિંદુઓ પર હુમલાના હેવાલો ખોટા નથી, પણ એતિશયોક્તિ એમાં અપરંપાર છે. હું તમારે ત્યાંના પત્રકારોને આમંત્રણ આપવા ઇચ્છું છું કે તમે આવો અને સ્થળ પરનું વાસ્તવચિત્ર જુઓ. અલબત્ત, યુનૂસ અને નવી નેતાગીરીની એક લાગણી જરૂર છે કે સત્તા પર અવામી લીગ લાંબો સમય રહી તેમ બાંગ્લાદેશ માટેના સંઘર્ષનુ નેતૃત્વ અવામી લીગના જ નેતા બંગબંધુ શેખ મુજીબૂર રહેમાન હતું એટલે ભારત સરકારને અવામી લીગ સાથે સ્વાભાવિક જ વધારે પ્રસંગ  પડ્યો એ સાચું, પણ સંબંધ છેવટે તો કાઁગ્રેસ / ભા.જ.પ. કે અવામી લીગ અને હસીના વાજેદ વચ્ચેનો નથી. બાંગલાદેશ અને ભારત વચ્ચેનો સંબંધ છે.

યુનૂસે ઘૂંટેલો મુદ્દો તેમ જ વડા પ્રધાને કહેલી વાત સરવાળે ઠીક જ છે, પણ બંને પક્ષે વચ્ચેની એક નાજુક વિગત શેખ હસીનાનું આપણે ત્યાં હોવું છે. ભારત સરકારને એમને આશ્રય આપવાનું ધર્મ્ય જણાતું હોય તે એનું એક લૉજિક જરૂર છે, પણ બંને પક્ષે એક રાજનયિક વિવેક અપેક્ષિત છે. અહીં હસીનાનું હોવું તે તેમને પુનઃ સત્તારૂઢ કરવાનો કોઈ ભારતવ્યૂહ નથી, એ ધોરણે જ ભારત-બાંગલાદેશ મૈત્રી ટકી અને આગળ વધી શકે. બાંગલાદેશને પક્ષે પણ એટલે પુખ્તતા હોવી જોઈએ કે તે બંને પ્રજાઓના લટિયાજટિયા ગુંથાયેલા છે એવી પાયાની સમજથી કામ લે અને અહીં હસીનાનું હોવું કે ન હોવું એને મુખ્ય મુદ્દો ન બનાવે.

આપણે ત્યાં બાંગલાદેશના હિંદુઓ પર હુમલાના જે બધા ‘સેકસ્ડ અપ’ (હુલાવેલા ફુગાવેલા) હેવાલો આવ્યા એ જે બધાં પરિબળોએ એક તબક્કે હાલના સત્તાપક્ષને દિલ્હી પોહંચાડવામાં મુખ્ય કામગીરી બજાવી હશે, એમને જરૂર ફાવતાં આવે એવા હતા. ભારત સરકાર પણ લોકસભામાં પરિણામો પછી જે રીતે ભીંસમાં છે એની વચ્ચે એક મનોવૈજ્ઞાનિક કીમિયાગરી તરીકે આવા હેવાલો તરફથી એને ખાણદાણ ને ઇંધણ બેઉ મળી રહે એમાં શંકા નથી. પણ ભારત સરકારે હમણાં તો વાજબી ચિંતા જતાવવા સિવાય બીજા કોઈ અવાજો નથી કાઢ્યા તે જ વાત એના વળતાં ટેકેદાર વર્તુળોમાંયે વિવેક પ્રેરે એવી અપેક્ષા અસ્થાને નથી.

નાગરિક છેડે આપણે સંતુલિત ને તુલનાત્મક સમાજથી જોવું રહે છે. બાંગલાદેશના યુવા નેતૃત્વને સારુ આજની ઘડી 1971 પછીના બીજા મુક્તિપર્વની છે. એ જ મુજિબૂર રહેમાને, પછીથી, એક પક્ષની સરમુખત્યારીનો રાહ લીધો અને એક અંતરાલ પછી હસીના વાજેદનો અમલ ટુંપાતાં સ્વાતંત્ર્યોનો બની રહ્યો તે એક પ્રજા તરીકે આપણે જે ઘોષિત અને અઘોષિત કટોકટીની ભાષામાં વાત કરીએ છીએ તેના જેવો જ અનુભવ છે. બધે જ વિલાતાં લોકતંત્રો વચ્ચે બાંગલા લોકતંત્ર આળશ મરડીને બેઠું થતું હોય તો એથી રૂડું શું.

બાંગલા વડા પ્રધાનના સત્તાવાર નિવાસ સ્થાને ગણભવન પર લૂંટનો સામાન સ્વૈચ્છિક પાછો ફરી રહ્યાની અને નવાખલી સ્થિત ગાંધી આશ્રમ અક્ષત હોવાના હેવાલો વચ્ચે આ ટિપ્પણી સમેટી રહ્યો છું, ત્યારે આશા સેવું છું કે તીસ્તાનાં પાણીનો પ્રશ્ન ને સરહદે થતી જાનહાનિ આગામી દિવસોમાં શિરદર્દ પેઠે ચાલુ નહીં રહે.

પરિવર્તનની રાજનીતિને ક્ષુદ્ર ઘટનાક્રમનો એરુ ન આભડો.

Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 21 ઑગસ્ટ 2024

Loading

...102030...550551552553...560570580...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved