Opinion Magazine
Number of visits: 9557158
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બંદૂક સ્વપ્નોને ખતમ કરી શકતી નથી …

સોનલ પરીખ|Opinion - Opinion|19 September 2024

ચાર વર્ષની ઉંમરથી ગાલીચાની ફેક્ટરીમાં મજૂરી કરતા ઇકબાલને એની ઉંમરનાં બાળકોની જેમ સ્વપ્નો અને આશાઓ હતાં. એક દિવસ એ નાસી ગયો. બી.એલ.એલ.એફ.(બૉન્ડેડ લેબર લિબરેશન ફ્રન્ટ)ના ચેરમેન અહેસાન ઉલ્લા ખાને તેની કહાણી સાંભળી અને તેને કાયદેસર મુક્ત કરાવ્યો, ત્યારે તે દસ વર્ષનો હતો … પછી શું થયું?

ડૉ. એ.પીજે. અબ્દુલ કલામ કહે છે કે ‘અ ચાઇલ્ડ ઈઝ મેન્ટ ટુ લર્ન, નોટ ટુ અર્ન.’ આ વાક્ય સાથે લગભગ આખી દુનિયા સંમત થાય, પણ આખી દુનિયામાં બધે જ વધતેઓછે અંશે બાળમજૂરી છે અને કરોડો બાળકો એના ખપ્પરમાં હોમાયેલાં છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન જણાવે છે કે બાળમજૂરી બાળકના શારીરિક-માનસિક વિકાસને અવરોધે છે અને તેમના તારુણ્ય, ગરિમા અને શક્તિઓને ગંભીર નુકસાન પહોંચાડે છે. ફાટેલાં કપડાં અને ખુલ્લા પગે ફુગ્ગા કે ફૂલો વેચતાં બાળકોની કલ્પનાથી આપણને દુ:ખ થાય છે, પણ વિશ્વના કરોડો બાળકોની આ જ જિંદગી છે, આ જ નિયતિ છે. છેલ્લા અહેવાલ મુજબ એરિટા, સોમાલિયા, કૉંગો, મ્યાનમાર, સુદાન. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઝીમ્બાબ્વે અને યમનમાં બાળમજૂરીનું પ્રમાણ સૌથી વધુ છે.

ઇકબાલ માસિહ

આજે વાત કરવી છે ભૂખ, મજૂરી અને અકાળ મૃત્યુનો ભોગ બનેલા એક પાકિસ્તાની બાળમજૂરની. સ્વતંત્રતા અને શિક્ષણનું સ્વપ્ન જોવા બદલ 1995ની 16મી એપ્રિલે તેની હત્યા કરવામાં આવી હતી. મૃત્યુ વખતે તે માત્ર 12 વર્ષનો હતો.

પાકિસ્તાનમાં ખાસ કરીને ખૈબર-પખ્તુનવા, લાહોર, કરાંચી, સિયલકોટ, મુલતાન અને પેશાવર વિસ્તારમાં બાળમજૂરીનું પ્રમાણ વધારે છે. ઘરના ધંધામાં કે પછી કુટુંબની આવક વધારવા પાકિસ્તાનનાં 5થી 14 વર્ષનાં 50 લાખ બાળકો આખો દિવસ મહેનત કરે છે. એમનાં જીવનનો કોમળ સુવર્ણકાળ કઠોર વાસ્તવની ઘંટીમાં પિસાઈ રહ્યો છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કહે છે કે બાળમજૂરીથી પાકિસ્તાનના ઉદ્યોગો અને અર્થકારણ બંનેને નુકસાન થઈ રહ્યું છે. એની એસી તેસી કરી પાકિસ્તાન એનાં બાર મિલિયન બાળકોને મજૂરીમાં ધકેલી વિશ્વનો ત્રીજા નંબરનો બાળમજૂરી-દેશ બન્યો છે.

આપણે જેની વાત કરવી છે એ બાળક ઇકબાલ માસિહની કહાણી આવી જ છે. તેનો જન્મ 1 જાન્યુઆરી 1983ના દિવસે લાહોર પાસેના એક નાના ગામમાં ગરીબ કેથલિક ક્રિશ્ચન પરિવારમાં થયો. પિતા સૈફ મસીહ મજૂરી કરતા અને મા ઇનાયત બીબી લોકોનાં ઘરકામ કરતી. હાથ ભીડમાં આવતા પિતાએ એક ઠેકેદાર પાસેથી 600 રૂપિયા ઉછીના લીધા. બદલામાં ચાર વર્ષનો ઇકબાલને એ માણસની ફેકટરીમાં કામ કરે એમ ઠરાવ્યું. કોઈ લખાણ, કરાર કશું નહીં. એક વર્ષની તાલીમ દરમિયાન કોઈ વેતન નહીં, ત્યાર પછી રોજનો એક રૂપિયો. આ બાજુ વ્યાજના દર કૂદકે ને ભૂસકે વધતા જ જાય. 12 કલાકની શિફ્ટ, એમાં અર્ધા કલાકનો બ્રેક, અપમાન, ત્રાસ, નહીં જેવી કમાણી અને નહીં જેવું પોષણ. એની ઊંચાઈ વધતી અટકી ગઈ. આંગળીઓ વળી જવા માંડી. કાર્પેટ વણવામાં મુશ્કેલી આવવા માંડી. વક્રતા તો એ હતી કે આ બધુ છતાં ચાર વર્ષ પછી એ ભાગી ગયો ત્યારે લેણું ઘટવાને બદલે વધીને 13,000 થઈ ગયું હતું!

હાથથી બનાવાતા ઊનના ગાલીચાની વિશ્વભરમાં માંગ છે. પાકિસ્તાન, ભારત, નેપાળ અને મોરક્કો તેની મોટાં પ્રમાણમાં નિકાસ કરે છે. છેલ્લાં 20 વર્ષમાં ગાલીચાઉદ્યોગનો ખૂબ વિકાસ થયો છે. આ વિકાસની પાછળ નાનાં બાળકોની સખત મહેનત રહેલી છે. ગાલીચાની સુંદરતાથી મોહિત થનારાઓએ એની પાછળનું કુરૂપ વાસ્તવ જાણવું જોઈએ. આ બાળકો સતત ઘણા કલાક સુધી, ખૂબ ઓછા વેતનમાં, ક્યારેક તો મફતમાં કામ કરે છે. દક્ષિણ એશિયાની કાર્પેટ ફેક્ટરીઓમાં આવાં લાખો બાળમજૂરો છે. ભારતમાં બેથી ત્રણ લાખ, પાકિસ્તાનમાં પણ લગભગ એટલાં જ અને નેપાળમાં દોઢ લાખ બાળકો કાર્પેટ ફેક્ટરીઓમાં કામ કરે છે અને તરુણ થતા સુધીમાં તો અનેક રોગોનો ભોગ બને છે. વર્ષો સુધી એમનો દાવો હતો કે કાર્પેટની નાજુક ડિઝાઇન માટે બાળકોની નાની આંગળીઓ જ જોઈએ. મૂળ વાત એ છે કે બાળકો પર અન્યાય કરવો, એમનું શોષણ કરવું સહેલું છે.

એની ઉંમરનાં બાળકોની જેમ ઇકબાલને પણ સ્વપ્નો અને આશાઓ હતાં. એક વાર મોકો જોઈ એ નાસી છૂટ્યો અને પાસેના પોલીસ સ્ટેશનમાં જઈ ફેકટરીના માલિક વિરુદ્ધ ફરિયાદ કરી. પોલીસે એની વાત સાંભળી તો ખરી, પણ થોડી લાંચના લોભે તેને ફરી એ જ માલિકને હવાલે કરી દીધો. ઇકબાલને જોઈતી હતી સ્વતંત્રતા, પણ હવે એની સાંકળો વધારે મજબૂત થઈ ગઈ. કામ વધ્યું, પહેરો વધ્યો, અન્યાય વધ્યો, ત્રાસ વધ્યો. માલિક એને પાઠ ભણાવવા સાથે બીજાં બાળકો પર પણ દાખલો બેસાડવા માગતો હતો.

એવામાં સુપ્રીમ કૉર્ટે બાળમજૂરી પ્રતિબંધ ધારો પસાર કર્યો. આ સમાચાર જાણી ઇકબાલને ફરી આશાનું કિરણ દેખાયું. એ ફરી નાસી ગયો. આ વખતે પોલીસ પાસે જવાને બદલે તે બી.એલ.એલ.એફ.(બૉન્ડેડ લેબર લિબરેશન ફ્રન્ટ)માં ગયો. ચેરમેન અહેસાન ઉલ્લા ખાને તેની કહાણી સાંભળી અને તેને કાયદેસર મુક્ત કરાવ્યો, ત્યારે તે દસ વર્ષનો હતો.

હવે ઇકબાલનું ધ્યેય હતું લોકોમાં બાળમજૂરી તરફ સંવેદનશીલતા અને જાગૃતિ વધારવાનું. બી.એલ.એલ.એફ. દ્વારા તેણે દેશમાં અને સ્વીડન, અમેરિકા જેવા દેશોમાં જઈ બાળમજૂરી સામેની પોતાની લડતમાં લોકોનો સાથ માગવા માંડ્યો. તેને ભણવામાં પણ રસ હતો. બે વર્ષમાં તેણે ચાર વર્ષનું ભણી લીધું. તે કહેતો, ‘બાળકના હાથમાં પેન્સિલ હોવી જોઈએ, કામનાં સાધનો નહીં.’ લોકોએ ખૂબ સારો પ્રતિભાવ આપ્યો. ઈટાલીમાં તેના નામની શાળા સ્થપાઈ. પાકિસ્તાન સરકાર સહિત વિશ્વસ્તરના અનેક ઍવોર્ડ તેને મળ્યા. બોસ્ટનમાં રિબૂક હ્યુમન રાઇટ્સ ઍવોર્ડ મળ્યો ત્યારે તેણે કહ્યું, ‘હું પાકિસ્તાનનાં લાખો કમનસીબ બાળકોમાંનો એક છું. મને છૂટવા મળ્યું, તેઓ હજી મજૂરી કરી રહ્યા છે. મને બી.એલ.એલ.એફ.નો ઘણો સાથ મળ્યો. હું તેમની સ્કૂલમાં ભણું છું. મારે વકીલ બનવું છે અને બાળમજૂરો માટે કામ કરવું છે.’ તેણે અનેક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સોમાં પણ પોતાની વાત મૂકી હતી.

પણ કાર્પેટ ઇન્ડસ્ટ્રીના માફિયાઓ તેને સતત ધમકીઓ આપતા. એક કાળા દિવસે, ઇકબાલ ચર્ચથી પાછો ફરતો હતો ત્યારે એમણે તેના પર બંદૂકની ગોળીઓ ચલાવી. પળભરમાં પ્રાણપંખેરુ ઊડી ગયું. મૃત્યુ સમયે તેની ઉંમર માત્ર 12 વર્ષની હતી. તેની અંતિમ ક્રિયામાં સેંકડો લોકો આવ્યા અને હજારો લોકોએ વિરોધમાં રેલી કાઢી. બાળમજૂરી વિરુદ્ધ જેહાદ જગાવવાના તેના મિશને તેની જિંદગીનો ભોગ લીધો. શેતાની પશુબળ પાસે કાયદા અને ન્યાય-નીતિનું તો નહીં જ, પણ એક બાળકના પ્રાણનું પણ કોઈ મહત્ત્વ નહોતું.

ઇકબાલની કહાણીમાં પ્રેરણા અને કરુણતા બંને ભારોભાર છે. જીવનની છેલ્લી ક્ષણ સુધી તે પૂરી તાકાતથી, પૂરી બહાદુરીથી બાળમજૂરી વિરુદ્ધ અને બાળકોના શિક્ષણ માટે લડ્યો. તેની પ્રેરણાથી કેનેડાની ‘વી ચેરિટી’ અને ‘ઇકબાલ મસીહ ચિલ્ડ્રન ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સ્થપાઈ. વીસ જેટલી ઇન્ટરનેશનલ સ્કૂલો ખૂલી. બાળકલ્યાણની અનેક પ્રવૃત્તિઓ શરૂ થઈ. તેના જીવન પરથી ‘ઇકબાલ – ધ ફરગોટન સ્ટોરી’ અને ‘કાર્પેટ બૉય’ નામની ફિલ્મો બની છે. પુસ્તકો લખાયાં છે.

2021માં આવેલો ‘ટ્રિબ્યૂન’નો અહેવાલ કહે છે કે શિક્ષણનું ઓછું પ્રમાણ, જાગૃતિનો અભાવ અને ગરીબીના કારણે પાકિસ્તાનનાં સવા કરોડ બાળકો જુદી જુદી જાતની મજૂરી કરે છે. અભણ માબાપો ઘણીવાર બાળકોને નાની ઉંમરથી કામ કરવા મજબૂર કહે છે અને એમનો ઉપયોગ આવકના સાધન તરીકે કરે છે. કાયદાઓ બને, નીતિઓ ઘડાય તેનો ખાસ અર્થ નથી. બાળમજૂરીનો ફાયદો જેમને થાય છે એવાં સ્થાપિત હિતોને સુધરવું પડે એવાં સખત પગલાં ભરવામાં નહીં આવે ત્યાં સુધી નિર્દોષ બાળકોનાં બાળપણનો ભોગ લેવાતો રહેશે.

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 14 એપ્રિલ  2024

Loading

રાજેન્દ્ર શાહની કાવ્યસૃષ્ટિ (૨)  

સુમન શાહ|Opinion - Literature|19 September 2024

દીર્ઘ સર્જનયાત્રા

સર્જકને પામવા એની સૃષ્ટિમાં કાળજીપૂર્વક ઊતરવું પડે. પણ એ બાબતમાં તો સારા કહેવાયેલા સાહિત્યકારો પણ પછાત પુરવાર થાય છે. ખરી વાત એ પણ છે કે રાજેન્દ્રભાઈની કવિતાનો આપણા ભાવકવર્ગને ખાસ કશો ઊંડો પરિચય નથી; એમના સર્જનાત્મક વિકાસની આપણી પાસે કશી ચૉક્કસ છબિ નથી. મને યાદ નથી કે રાજેન્દ્રભાઈને જ્ઞાનપીઠ અપાયા પછી એમને વિશે કશું નૉંધપાત્ર લખાયું હોય.

એમનું કાવ્યસર્જન ૧૭ વર્ષની વયે પ્રારમ્ભાયું. “ધ્વનિ” પહેલો કાવ્યસંગ્રહ, ૧૯૫૧-માં પ્રકાશિત, -૩૮ની વયે. કાવ્યસંગ્રહો અને અનુવાદો મળીને એમનાં ૨૦-૨૫ જેટલાં પુસ્તકો હશે : “ધ્વનિ”, “આંદોલન”, “શ્રુતિ”, “શાંત કોલાહલ”, “ચિત્રણા”, “ક્ષણ જે ચિરંતન”, “વિષાદને સાદ”, “મધ્યમા”, “ઉદ્ગીતિ”, “દક્ષિણા”, “પત્રલેખા”, “પ્રસંગ સપ્તક”, “પંચપર્વા”, “કિંજલ્કિની”, “વિભાવન” અને છેક છેલ્લે “હા, હું સાક્ષી છું”.

૧૯૫૧-થી માંડીને ૧૯૮૩ સુધીની ૩૧-૩૨ જેટલાં વર્ષની એમની દીર્ઘ કાવ્યસર્જનયાત્રા રહી છે. ૧૯૮૩ પછી પણ એ યાત્રા અવિરામ ચાલુ રહી છે. ૧૯૮૩માં, સર્વસંગ્રહ “સંકલિત કવિતા” પ્રકાશિત થયો છે. એનાં ૧૦૦૦-થી વધુ પૃષ્ઠ પર રાજેન્દ્રશબ્દ અંકિત છે. 

એ દીર્ઘ સર્જનયાત્રાની કેટલીક વીગતો આ પ્રમાણે છે : 

૧: 

એમની સૃષ્ટિની પહેલી ઓળખ એ છે કે એ સભરે ભરી છે :

૨: 

“ધ્વનિ” પછીનાં નૉંધપાત્ર ઉડ્ડયનો છે, “શ્રુતિ”, “શાંત કોલાહલ”, “ક્ષણ જે ચિરન્તન“, “મધ્યમા“, “ઉદ્ગીતિ”, “પત્રલેખા”. એમાં, કવિકર્મનો વિકાસ જોઈ શકાય છે.

૩: 

લગબગ બધા સંગ્રહોમાં સૉનેટ કાવ્યો છે. ’આયુષ્યના અવશેષે’-માં પાંચ સૉનેટ છે. ‘વનખણ્ડ’-માં ચાર. ‘રાગિણી’-માં ૮.

૪: 

કાવ્યમાળાઓ – “છલનિર્મલ”, “તારું નવ નામ નીલાંજના”, “ખાલી ઘર”, “પ્રભો”. 

૫: 

દસ પંક્તિનાં કાવ્યો – “ઇક્ષણા”.

૬: 

ગઝલરચનાઓ – “પંચપર્વા”.

૭: 

વિલક્ષણ કાવ્યબન્ધ ધરાવતી રચનાઓ – “ખાંયણાં”, “વિભાવન”.

૮: 

ગુચ્છ રચતાં કાવ્યો – “મધ્યમા”, “દૈનંદિની”, “નિદ્રિત નયને”.

૯: 

દીર્ઘ કાવ્યો – ‘મારું છે અન્ન’, ‘આજની આ કથા’, ‘પત્ર’, ‘સ્વપ્ન’, ‘ગ્રીષ્માન્ત’, ‘ઐકાન્તિક દિન’, ‘ક્ષણને આધાર’, ‘બોલાવતું હશે કોણ?’ ‘ઉત્કણ્ઠ’.

૧૦: 

પદ્યસંવાદ અને પદ્યનાટક સદૃશ રચનાઓ : ‘પદ્માવતી’ – કવિ જયદેવના જીવનના એક પ્રસંગ પર આધારિત છે. ‘પ્રસંગપ્તક’-માં, અહલ્યા કૈકેયી રેણુકા સત્યા શકુન્તલા પૃથા અને અર્જુન – દરેકને વિષય બનાવીને દરેકનાં આગવાં અર્થઘટન કર્યાં છે.

૧૧: 

ગીતસૃષ્ટિ -‘કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે’. ‘આપણા દુ:ખનું કેટલું જોર?’. ‘તને જોઈ જોઈ તો ય તું આજાણી’. ‘ઇંધણાં વીણવા ગૈ’તી મોરી સહિયર’. વગેરે અનેક ગીતરચનાઓ છે અને સુગેયતા ગુણે રસપ્રદ હોવું એ એની લાક્ષણિકતા છે. ઉપરાન્ત, “વનવાસીનાં ગીત”-ની રચનાઓ પણ એટલી જ નૉંધપાત્ર છે.

બીજા શબ્દોમાં એમ કહેવાય કે રાજેન્દ્રભાઈની કાવ્યસૃષ્ટિ વિરાટ છે. એની પૂરી વાત તો થાય જ નહીં ને કરવી જ હોય તો દિવસો જોઈએ; અને એ પણ એક અર્થમાં તો અનુચિત જ ગણાવાનું. એ સભાનતા અને ક્ષમાભાવ સાથે, લાગે છે કે હું એ વિરાટ સૃષ્ટિની ઝાંખી કરાવી શકીશ. 

“સંકલિત કવિતા”-માં એમણે જાતે કહેલું તે સ્મરણીય છે; કહે છે : ‘કાવ્યના સૌન્દર્યને અને રસને પામવાની પ્રક્રિયા મને તો પ્રેયસીના અવગુંઠનની ઓથે રહેલા વદનના સૌન્દર્યને અને ઓષ્ઠના રસને પામવા સમી લાગે છે. કોમળ સ્પર્શથી મહીન આવરણને જરા આઘું કરી મુખની સુરખી અને નેત્રની દ્યુતિ ઝીલી શકાય. પ્રત્યેક ભાવક નિજી સંસ્કાર અને રુચિ પ્રમાણે રસાનુભવ કરે એમાં વચ્ચે આવવાનું ન હોય’.  

 આમેય તેઓ તો આ ધરાતલ છોડી ગયા છે, આપણી વચ્ચે નથી જ આવવાના.

(ક્રમશ:)
(18 Sep 24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ન્યાયમૂર્તિઓએ સી.બી.આઈ.ને જે સલાહ આપી એ ન્યાયતંત્રને પણ લાગુ પડે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|19 September 2024

રમેશ ઓઝા

આશ્ચર્યજનક રીતે એક અઠવાડિયામાં બે જણનો છુટકારો થયો. એક છે રશીદ એન્જિનિયર અને બીજા અરવિંદ કેજરીવાલ. અબ્દુલ રશીદ શેખ જે જમ્મુ અને કાશ્મીરમાં રશીદ એન્જિનિયર તરીકે ઓળખાય છે એ બારામુલ્લાથી ચૂંટાયેલા લોકસભાના સભ્ય છે. તેમણે લોકસભાની ચૂંટણી જેલમાંથી લડી હતી. જેમ અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર કરવા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા તેવા જામીન રશીદ એન્જિનિયરને ત્યારે નહોતા આપવામાં આવ્યા, તેઓ પોતે ચૂંટણી લડતા હોવા છતાં. જેલમાં રહીને ૨,૦૪,૦૦૦ મતોની સરસાઈથી તેમણે ચૂંટણી જીતી હતી એ આ વખતના છૂટકારાનું કારણ છે. તેમણે અવામી ઇત્તેહાદ પાર્ટી નામનો પક્ષ સ્થાપ્યો છે અને એ પક્ષ ફારુખ અબ્દુલ્લાના નેશનલ કોન્ફરન્સ અને કાઁગ્રેસ વચ્ચે થયેલી સમજૂતીને નિષ્ફળ બનાવી શકે એમ છે. ટૂંકમાં કામનો માણસ છે.

પણ શા માટે રશીદ એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી હતી? ક્યારે કરવામાં આવી હતી? શું આરોપ છે તેમના પર? અને અત્યારે ખટલાની શી સ્થિતિ છે? રશીદ એન્જિનિયરની ધરપકડ ૨૦૧૯ની સાલમાં દેશદ્રોહના આરોપ હેઠળ કરવામાં આવી હતી. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી(એન.આઈ.એ.)ના કહેવા મુજબ તે ત્રાસવાદીઓને નાણાંકીય સહાય કરતો હતો, દેશવિરોધી કાવતરાં કરતો હતો, કાશ્મીરને ભારતથી અલગ કરવાની હિમાયત કરતો હતો અને એ રીતે તે વિભાજનવાદી હતો. તેમના પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યા હતા અને પાંચ વરસ પહેલાં ધરપકડ કરવામાં આવી હતી. આરોપ ગંભીર હતા એટલે તેને જામીન આપવામાં નહોતા આવતા તે ત્યાં સુધી કે ગયા મે મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં તેમણે પોતે ઉમેદવારી કરી હોવા છતાં પ્રચાર કરવા માટે જામીન આપવામાં નહોતા આવ્યા. ખૂંખાર ત્રાસવાદીને છૂટો મૂકાય? હા, એ વાત જૂદી છે કે હજુ સુધી તેની સામે ખટલો શરૂ થયો નથી. પૂરેપૂરું આરોપનામું દાખલ થયું નથી. હજુ તપાસ ચાલે છે. પણ આ વખતે ચૂંટણી પ્રચાર કરવા માટે જામીન આપવામાં આવ્યા છે, તેનું કારણ કાઁગ્રેસને પરાજીત કરવા માટે તેમનો ખપ છે એમ કહેવામાં આવે છે. એટલે તો આ વખતે રશીદની જામીન અરજીનો સરકારે વિરોધ નહોતો કર્યો.

અરવિંદ કેજરીવાલને શરતો સાથે જામીન આપવામાં આવ્યા હતા. તેઓ કાર્યાલયમાં હાજરી નહીં આપે અને કોઈ સરકારી દસ્તાવેજો પર સહી નહીં કરે. કેજરીવાલે મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપી દીધું છે એટલે આ શરતોનો હવે કોઈ અર્થ નથી રહ્યો. અરવિંદ કેજરીવાલની જામીનઅરજી મંજૂર રાખતા સર્વોચ્ચ અદાલતના બન્ને ન્યાયમૂર્તિઓએ સી.બી.આઈ.ની સખત ટીકા કરી હતી. એજન્સી છ છ મહિના સુધી આરોપી સામે આરોપનામું દાખલ કરી શકતી નથી, તપાસનો કોઈ અંત આવતો જ નથી, તપાસમાંથી એવું કશું નિષ્પન્ન થયું નથી કે આરોપમાં વજન નજરે પડે વગેરે. ન્યાયમૂર્તિઓએ સી.બી.આઈ.ને સલાહ આપી હતી કે તે પાંજરાનો પોપટ બનવાનું બંધ કરે અને સ્વતંત્ર કામકાજ કરે. કોઈ આરોપીને માત્ર શંકાનાં આધારે ક્યાં સુધી જેલમાં ગોંધી રાખવાનો? અને છેવટે ન્યાયમૂર્તિઓએ અરવિંદ કેજરીવાલને બેમુદ્દત જામીન આપી દીધા.

જામીનનું ટાઈમિંગ શંકા પેદા કરે છે, કારણ કે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને ત્યાં કાઁગ્રેસને નુકસાન પહોંચાડવા માટે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલનો ખપ છે. કેજરીવાલે પણ હરિયાણાની તમામ ૯૦ બેઠકો પર ઉમેદવાર ઊભા કર્યા છે. આ સિવાય વખત આવ્યે કાઁગ્રેસને નુકસાન પહોંચાડીને બી.જે.પી.ને મદદ કરવાનો કેજરીવાલનો ટ્રેક રેકોર્ડ છે. ગુજરાતમાં અને ગોવામાં આવું બન્યું હતું. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બી ટીમ છે એવી પણ એક ધારણા છે.

અહી બે સવાલ મુખ્ય છે. એક છે ન્યાયતંત્રની વિશ્વાસર્હતા. ન્યાયમૂર્તિઓએ શુદ્ધ મેરીટ જોઇને નિર્ણય લીધો હશે એમ માની લઈએ, પણ લોકો અદાલતના દરેક નિર્ણયને રાજકીય પરિપ્રેક્ષ્યમાં જુવે છે. આ સ્થિતિ માટે ન્યાયતંત્ર જવાબદાર નથી? છેલ્લાં દસ વરસ દરમ્યાન શાસક પક્ષની વિચારધારાનો વિરોધ કરનારા ર્ક્મશીલો અને વિરોધ પક્ષોના નેતાઓની સેંકડોની સંખ્યામાં ધરપકડ કરવામાં આવી છે એમાંથી કેટલાની સામે તપાસ પૂરી થઈ? કેટલા લોકો સામે આરોપનામાં દાખલ થયાં? કેટલા સામે ખટલા ચાલ્યા? કેટલાને સજા થઈ? જેની સામે ગંભીર આરોપ હતા એ લોકો ભા.જ.પ.માં જોડાઈ ગયા એ પછી તેમની સામેના કેસોનું શું થયું? ચાલે છે કે બંધ થઈ ગયા કે પછી ઠંડા બસ્તામાં ધકેલી દીધા? આરોપ જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી વ્યક્તિની આઝાદી અમૂલ્ય છે એમ વારંવાર જે કહેવામાં આવે છે એનો અમલ ક્યાં?

ન્યાયતંત્ર પાસે આનો કોઈ જવાબ નથી એટલું જ નહીં કેટલાક જજો આનાથી વિપરીત રીતે વર્તે છે એ કોણ નથી જાણતું! આજે કેટલા જજો બંધારણનિષ્ઠ સ્વતંત્ર અને ખુદ્દાર છે? ઉપરથી નીચે સુધી નજર કરો તો સમગ્રતામાં દસ ટકા પણ નહીં. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓએ સી.બી.આઈ.ને જે સલાહ આપી એ ન્યાયતંત્રને પણ લાગુ પડે છે. કેટલાક ન્યાયમૂર્તિઓ પાળેલા પોપટ જેવા છે એ ચોખ્ખું નજરે પડે છે. ન્યાયમૂર્તિઓ આદર્શની વાત કરે છે જે આચરણમાં નજરે પડતાં નથી, એટલું જ નહીં તેઓ ન્યાયતંત્રની પોતાની જે અવસ્થા છે એ વિષે તો કશું બોલતા જ નથી ત્યાં ઈલાજ તો બહુ દૂરની વાત છે. અરવિંદ કેજરીવાલને મળેલા જામીનમાં લોકો રાજકારણ જુએ છે તો એ માટે સર્વોચ્ચ અદાલતના સ્તર સુધી ન્યાયતંત્ર જવાબદાર છે અને તેનો કોઈ ઇન્કાર કરી શકે એમ નથી.

બીજી વાત શાસકો વિષે. જેની સામે દેશદ્રોહ જેવા ગંભીર આરોપ હોય અને જ્યાં શાસકો પહેલી પંક્તિના દેશભક્ત અને રાષ્ટ્રવાદી હોય ત્યાં “નાલાયકો”ને સજા કરાવવામાં આટલી ઢીલાશ કેમ? કાઁગ્રેસનું રાજ હોય તો સમજાય કે એ લોકો સાચા દેશભક્ત નથી અને ઉપરથી ઢીલા છે. આ લોકો તો સો વરસથી માભોમકા માટે બલીદાન આપવા અને દુ:શ્મનને નેસ્તનાબૂદ કરવા થનગનતા હતા પણ ગાંધી અને નેહરુએ બલીદાન આપવા ન દીધું અને કાઁગ્રેસે દુ;શ્મનને નેસ્તનાબૂદ કરવા ન દીધા. પણ હવે તો તક મળી છે તો તેનો કેમ ઉપયોગ કરવામાં નથી આવતો? ધડાધડ ખટલા ચલાવો અને સજા કરો. કોણ રોકે છે તેમને? આવું જ ભ્રષ્ટાચારીઓની બાબતમાં. ૨૦૧૩-૧૪માં વડા પ્રધાન માટે ભષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ કેટલા અસહ્ય હતા એ આપણે ક્યાં નથી જાણતા. તેમનો વલોપાત, તેમનો ઉદ્વેગ, તેમનો ઝૂરાપો આપણે જોયો છે. પણ આશ્ચર્યની વાત એ છે કે સ્વચ્છ શાસન માટેનો આટલો ઝૂરાપો હોવા છતાં એક પણ ભ્રષ્ટાચારીને સજા થઈ નથી. એક પણ સજા પામીને જેલમાં નથી ગયો. ઊલટું કેટલાક ભષ્ટાચારીઓ બી.જે.પી.માં જોડાઈને સુરક્ષિત થઈ ગયા છે.

તો આનો અર્થ એ થયો કે આ સરકાર નથી દેશદ્રોહીઓને સજા કરી શકતી કે નથી ભ્રષ્ટાચારીઓને. ઊલટો તેમનો રાજકીય લાભ લેવામાં આવે છે અને રાજકીય લાભ લેવા માટે તેમને લટકતી તલવાર હેઠળ રાખવામાં આવે છે. જો ખટલો ચાલ્યો હોત તો રશીદ એન્જીનિયર કાં નિર્દોષ છૂટ્યો હોત કાં સજા પામીને જેલમાં ગયો હોત. બન્ને સ્થિતિમાં તેમનો રાજકીય ઉપયોગ ન થઈ શકે. આવું જ અરવિંદ કેજરીવાલની બાબતમાં.

જોઈએ અરવિંદ કેજરીવાલ અને રશીદ એન્જિનિયર કાઁગ્રેસને કેટલું નુકસાન પહોંચાડે છે! અહીં પણ ગફૂરવાળો ન્યાય છે. ગફૂરનું બુરું થતું હોય તો અમારી સાત પેઢી ભલે બરબાદ થઈ જાય એ ન્યાયે જો કાઁગ્રેસનું બુરું થતું હોય તો તેઓ જેને ભ્રષ્ટાચારીઓ અને ત્રાસવાદીઓ તરીકે ઓળખાવે છે ભલે છૂટા ફરે.

આવું હશે હિંદુ રાષ્ટ્ર.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 19 સપ્ટેમ્બર 2024

Loading

...102030...519520521522...530540550...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved